લેબલ સ્વામી વિવેકાનંદ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સ્વામી વિવેકાનંદ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 27 મે, 2011

વિવેકાનંદના વિચારોથી ભ્રષ્ટાચારના ભોરિંગને નાથો


ભારત આજે ભ્રષ્ટાચારના કાદવમાં ખૂપી ગયું છે. તાજેતરમાં ઘણાં ગોટાળાઓ સામે આવ્યા છે. આ ગોટાળા રાજકારણીઓ અને ઉદ્યોગોની મિલીભગતથી થયા છે. તેમાં 1.72 લાખ કરોડ રૂપિયાનું 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ, અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનું મનાતું કોમનવેલ્થ ગેમ્સનો ગોટાળો, આદર્શ હાઉસિંગ સોસાયટીનો કડદો, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં જમીનના ગોટાળા, રેડ્ડી બંધુઓનું માઈનિંગ કૌભાંડ અને અન્ય સામે ન આવ્યા હોય તેવા ગોટાળા તો સામે આવે તો જ ખબર પડે. માનવામાં આવે છે કે ભારતના 70000 લાખ કરોડ રૂપિયા સ્વિઝ બેંકોમાં છે. આ કાળા નાણાંને ભારતમાં લાવવાનો મુદ્દો ગત લોકસભાની ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બન્યો હતો. આ મુદ્દો હજી પણ ચાલુ છે. પરંતુ આ તમામ ભ્રષ્ટાચારની સમસ્યામાંથી નીકળવાનો માર્ગ યુગપુરષ સ્વામી વિવેકાનંદના વિચારદર્શનમાં છે. જરૂર છે, માત્ર તેને જાણવાની અને જાણીને સમજવાની. યોગાનુયોગ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ પણ છે. સ્વામી વિવેકાનંદના ઉત્કૃષ્ટ વિચારો ભ્રષ્ટાચારના ભોરિંગની ફેણ કચડવા માટે મદદરૂપ બની શકે તેમ છે.

મનુષ્ય નિર્માણથી રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થશે

રાષ્ટ્ર ઉત્થાન, રાષ્ટ્રસાધના એ આપણાં પ્રત્યેકના જીવનનું લક્ષ્ય બનવું આવશ્યક છે. જેનાથી રાષ્ટ્ર ઉન્નતિ તરફ આગળ વધશે. પણ કોઈપણ કાર્યની સાધના તેના સાધન પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે વ્યક્તિ આદર્શથી એટલો વશીભૂત બની જાય છે કે તેની પ્રાપ્તિના સાધનોનો વિચાર તેની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ જાય છે. સ્વામી વિવેકાનંદ ત્યારે રાષ્ટ્ર સાધનામાં રત સાધકોને રસ્તો બતાવતા કહે છે કે ‘જ્યારે કોઈ અસફળતા મળે છે, ત્યારે તેમાની 99 ટકા ઘટનાઓમાં માત્ર એક જ નિષ્કર્ષ નીકળશે કે સાધનો તરફ ધ્યાન ન અપાયું તે અસફળતાનું કારણ છે. તેથી જો સાધન બિલકુલ યોગ્ય હશે, તો સાધ્ય પ્રાપ્ત થઈને રહે છે. કારણ જ પરિણામનું જનક હોય છે. પરિણામ કોઈ પોતાની મેળે નહીં નીકળે. એક વખત જો આદર્શોને લગભગ ભૂલી પણ જઈએ તો કોઈ હર્જ નથી, કારણ કે સાધનોની પૂર્ણતાની સાથે તેની સિદ્ધિ અપરિહાર્ય છે. આદર્શની પ્રાપ્તિ પરિણામ માત્ર છે. સાધન તેનું કારણ છે. તેથી સાધનોની ચિંતા જ રાષ્ટ્ર જીવનની સફળતાની કુંજી છે.’ આ સાધનોના સ્વરૂપે તેમણે ધર્મ અને આધ્યાત્મિક ચિંતનધારાને પ્રગટ કરી, જેનાથી જનસાધારણને સંગઠિત કરવામાં સહાયતા પ્રાપ્ત થઈ.

સ્વામી વિવેકાનંદે મનુષ્ય નિર્માણ માટે આહ્વાન કર્યું છે, જેનાથી સમાજમાં મત વિભિન્નતા, પોંગાપંથી, અજ્ઞાન, જાતિભેદ, ઈર્ષા હોવા છતાં સામાજીક પુનરોત્થાન થશે અને રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થશે. આ જ આધારે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ‘દીર્ઘ રાત્રિ હવે સમાપ્ત થઈ હોય તેમ લાગે છે.’ સ્વામી વિવેકાનંદે ભારતીય સમાજને આહ્વાન કરતાં પોતાની ‘સંન્યાસીના ગીત’ કવિતામાં રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાનો ઉદઘોષ કરતાં કહ્યું છે કે-

‘તોડો સબ શ્રૃંખલા, ઉન્હેં નિજ જીવન બંધન જાન,
હો ઉજ્જવલ કાંચન કે અથવા ક્ષુદ્ર ધાતુ કે મ્લાન
પ્રેમ, ધૃણા, સદ-અસદ, સભી યે દ્વંદ્વો કે સંધાના
દાસ સદા હી દાસ, સમાદ્રત્ત વા તાડિત-પરતંત્ર
સ્વર્ણ નિગડ હોને સે ક્યાં વે સુદ્રઢ ન બંધન યંત્ર?
અત: ઉન્હેં સંન્યાસી તોડો, છિન્ન કરો, ગા યહ મંત્ર’


ભારતના અમૃતપુત્રોને સ્વામી વિવેકાનંદનો સંદેશ અને માર્ગદર્શન

સંસારનો ઈતિહાસ સાક્ષી છે કે પરિવર્તન દુરાગ્રહપૂર્ણ સુધારાઓથી આવી શકતું નથી. બુરાઈ વિરુદ્ધ સંઘર્ષ માટે સ્વામી વિવેકાનંદે દર્શાવેલો રસ્તો વધારે આત્મનિષ્ઠ લાગે છે. તેમણે ભારતના સમાજની બુરાઈઓ સામે લડવા માટે રસ્તો સૂચવતા જણાવ્યું છે કે ‘હે મારા ભારતવાસીઓ! હે અમૃત પુત્રો! તમારું આ રાષ્ટ્રીય વહાણ યુગોથી સભ્યતાઓને ધારણ કરી રહ્યું છે અને પોતાના અમૂલ્ય રત્નો સંપૂર્ણ વિશ્વના કોષમાં ભરતું રહ્યું છે. સેંકડો શાનદાર શતાબ્દિઓથી આપણું આ રાષ્ટ્રીય જળયાન જીવનસાગરની આરપાર ચક્કર લગાવી રહ્યું છે અને અગણિત આત્માઓને સાંસારિક દુ:ખોથી દૂર, પેલે પાર લઈ ગયું છે. પરંતુ આઝે ભલે તમારી પોતાની ભૂલોથી, ચાહે કોઈ અન્ય કારણથી ક્ષતિગ્રસ્ત થઈ ગયું, થશે અથવા તેમાં એકાદ છેદ થઈ ગયો અને તમે બધાં તેમાં બેઠાં છો, તો શું કરશો? શું તમે તેને કોસતા રહી અને આપસમાં ઝગડતા રહેશો? શું તમે બધાં એકતાના સૂત્રમાં ગુંથાઈને આ છિદ્રને બંધ કરવાનો પ્રયત્ન નહીં કરો? આઓ, આમ કરવા માટે આપણે આપણાં હ્રદય આપીએ, આપણાં રક્ત આપીએ અને જો આપણે આપણાં પ્રયત્નોમાં અસફળ રહીએ તો સાથે ડૂબી જઈએ.’

આપણા રાષ્ટ્રીય વહાણના છિદ્રને ભરવા માટે ‘હું આત્મા છું, મને તલવાર કાપી નહીં શકે, શસ્ત્ર છેદી નહીં શકે, અગ્નિ બાળી નહીં શકે, વાયુ શોષી નહીં શકે, હું સર્વશક્તિમાન છું, હું સર્વદર્શી છું’ વેદાંતના આ દર્શનથી પ્રત્યેકના જીવનમાં આધ્યાત્મિકતાથી પ્રેરણા જગાડી શકાશે. આ આત્મ વિશ્વાસથી ભારતના દરેક વ્યક્તિનું નિર્માણ કરવું તે જ રાષ્ટ્રસાધના છે. આ આત્મવિશ્વાસ જગાડવાની ક્રિયા જ હકીકતમાં રાષ્ટ્રોત્થાન છે. આ આત્મવિશ્વાસથી છલરકતો દરેકે દરેક ભારતીય શક્તિશાળી, સુદ્રઢ, ભ્રષ્ટાચાર અને અન્ય બદીથી મુક્ત રાષ્ટ્રનું પુનર્નિમાણ કરી શકશે. ભારતનું પુનરોત્થાન ભારતની વિખરાયેલી આધ્યાત્મિક શક્તિઓના એકીકરણથી જ શક્ય બનશે. સમાન આધ્યાત્મિક સ્વરના સ્પંદનો ધરાવતાં હ્રદયવાળા લોકોના સંગઠનથી ભારતએ ખરા અર્થમાં ભારત બની શકશે.

ભારતના યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદે માનવસેવા એ જ પ્રભુસેવા હોવાનું જણાવ્યું છે. સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું છે કે ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહ્યો’. તેઓ ઈચ્છતા હતા કે ભારતનો યુવાન મંદિરોની જગ્યાએ ફૂટબોલના મેદાનમાં પરસેવો પાડી પોતાના યૌવનને ઝંકૃત કરે. તેઓ યુવાનોને ભારતના પુનરોત્થાન માટેનું કારણ માનતા હતા. તેમણે ભારતના યુવાનોમાં વ્યક્તિત્વ નિર્માણ કરીને રાષ્ટ્રનિર્માણનું સ્વપ્ન જોયું હતું. જો કે અફસોસ એ વાતનો છે કે વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત કરવામાં આવી રહી છે, છતાં હજીપણ રાષ્ટ્રની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.

સ્વામી વિવેકાનંદે ધાર્મિક પરંપરાઓને એક એવી સંયુક્ત પરંપરા ગણાવી છે કે જેમાં શંકરનો નિર્ગુણ નિરપેક્ષતાવાદ, રામાનુજનો ભક્તિવાદ અને ભગવાન બુદ્ધનો માનવતાવાદ ઓતપ્રોત થઈ ગયા છે.

સ્વામી વિવેકાનંદ માનતા હતા કે ધર્મને વહેમ અને લાગણીવેડાથી મુક્ત કરીને શુદ્ધ કરવામાં આવે તથા તર્ક અને વિજ્ઞાનને તેમની આક્રમણકારી કઠોરતાથી મુક્ત કરવામાં આવે તો, જરૂર એક સૈમ્ય અને સંતોષકારક જીવનદ્રષ્ટિ ઉત્પન્ન કરી શકાય. તેમણે ભારતને ચેતવણી આપી છે કે ‘રીત-રીવાજ અને અંધશ્રદ્ધાવાળી રૂઢ પ્રાણાલિકાઓ પર ચણાયેલો ધર્મ એ ‘ધર્મનો વિક્રય કરતી દુકાન’ બની જાય છે, તેમાં ઈશ્વર એ સાધ્ય નહીં પણ સાધન બની રહે છે.’

તેમણે પશ્ચિમની સભ્યતા માટે ભવિષ્યવાણી કરી છે કે ‘જો આધ્યાત્મનો પાયો નહીં હોય, તો આખીય પશ્ચિમી સભ્યતા ધરાશાહી થઈ જશે. માનવજાત પર તલવારના જોરે શાસન કરવું તદ્દન નિરર્થક છે.’

સ્વામી વિવેકાનંદનો ઉપદેશ હંમેશા યુવાનોને પ્રેરણા આપતો રહ્યો છે. તેમના ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહ્યોનો જયઘોષ યુવાનોને ઉત્સાહથી ભરપૂર બનાવે છે. વિવેકાનંદનો ઉપદેશ વ્યવહારીક, માનવકેન્દ્રી અને સક્રિય પુરુષાર્થ સભર છે. ગીતામાં નિર્દિષ્ટ ‘નિષ્કામ કર્મ’ ઉપર તેઓ હંમેશા ભાર મૂકતા હતા. હિંદુ ધર્મની શ્રેષ્ઠતાનો વિશ્વભરમાં ડંકો વગાડનારા સ્વામી વિવેકાનંદનું જીવન અને તેમના વિચારો ભારતના યુવાનોને તેમનામાં વ્યક્તિત્વ નિર્માણ કરીને રાષ્ટ્રને પરમ વૈભવે પહોંચાડવાના કાર્યમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપશે.

તમારો અભિપ્રાય

સ્વામી વિવેકાનંદના વિચારો પ્રમાણે મનુષ્ય નિર્માણથી રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થાય છે. ભારતની હાલની ભ્રષ્ટાચાર સહીતની અન્ય સમસ્યાઓનું મૂળ મનુષ્ય નિર્માણ કરવા માટેના મૂલ્યોનો હ્રાસ તો નથી ને? વિચાર માંગી લે તેઓ વિષય છે. કારણ કે મૂલ્યો, નૈતિકતા, સદાચાર, વિશ્વાસ, આત્મસમ્માન, માનવતા વગરે દ્વારા જ તો મનુષ્યનું નિર્માણ થાય છે. પરંતુ ભારતની હાલની વ્યવસ્થા આ પ્રકારે મૂલ્યો અને નૈતિકતા સહીતના મનુષ્ય નિર્માણમાં નિષ્ફળ જવાને કારણે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, દ્વેષ, હિંસાચાર, આતંકવાદ જેવી સમસ્યાનું કારણ બની રહી છે. ત્યારે સમય છે કે સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી કોઈ માર્ગદર્શન મેળવવામાં આવે. વાચક મિત્રો નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં આપના વિચારો, અભિપ્રાયો અને મંતવ્યો લખીને સબમિટ કરો. દુનિયાભરના વાચકો સાથે સંવાદનો પ્રારંભ કરો......

અમેરિકામાં 9/11 તો સ્વામી વિવેકાનંદે પણ કર્યું હતું!


11 સપ્ટેમ્બર, 1893ના રોજ વિશ્વ ધર્મ પરિષદમાં એક અજાણ્યા ભારતીય સંન્યાસીએ કહેલી વાત વિચારીએ, તેમણે કહ્યું હતું કે ‘જેમ જુદાંજુદાં સ્થળેથી નીકળતાં નદીના અનેક વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ પ્રભુ, જુદાંજુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાર્ગો ગમે તેવા ભિન્ન હોય, સરળ યા અટપટાં હોય, તો પણ અંતે તો એ બધાં તારા પ્રત્યે જ લઈ જાય છે.’ આ સંન્યાસી અન્ય કોઈ ન હતા પરંતુ દેશ-દુનિયાના સેંકડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ હતા.

સ્વામી વિવેકાનંદનું પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ

ભગવા વસ્ત્રોમાં સજ્જ કેસરી પાઘડીવાળા સ્વામી વિવેકાનંદનું તૈલચિત્ર આજે પણ દેશ અને દુનિયાના સેંકડો યુવાનોને પ્રેરણા આપી રહ્યું છે. તેમની આંખોના ભાવ આજે પણ ભારતના યુવાનોમાં નચિકેતાને શોધી રહ્યાં છે, કે જે ભારતને પરમ વૈભવે પહોંચાડી શકે. તેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી બળ અને ધૈર્ય નીતરે છે.

જ્યારે તેઓ 1892માં અમેરિકામાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં અસરકારક ભાષણ દ્વારા ભારતીય વેદાંતના સિદ્ધાંતોને તર્કબદ્ધ રીતે સમજાવીને પોતાના સ્થાન પર બેઠાં ત્યારે ત્યાં આવેલા તમામ ધર્માચાર્યો તેમની પ્રભાવી વાણીમાં હિંદુ ધર્મ અને તત્વજ્ઞાન અંગે સાંભળીને શું બોલવું? તે નક્કી કરી શક્યા ન હતા!

સ્વામી વિવેકાનંદની ઉંચી ખડતલ દેહયષ્ટિ, વેધક અને તેજસ્વી વિશાળ આંખો, ઘેરો અને સમૃદ્ધ એવો સ્વર તેમના પ્રતિભાશાળી તથા પ્રભાવશાળી વ્યક્તિત્વને વિશિષ્ટ શક્તિ પ્રદાન કરતાં હતા. તેઓએ ખરેખર 11 સપ્ટેમ્બર, 1892ના દિવસે વિશ્વ ધર્મ પરિષદમાં ભારત માટે ‘દિગ્વિજય’ કર્યો હતો. તેઓ ધાર્મિક હોવા છતાં સમર્પણ તેમના માટે સ્વભાવગત ન હતું! તેમનું મન એક વિજેતાનું મન હતું. શું તફાવત હતો સ્વામી વિવેકાનંદના વિચારોમાં અને અન્ય ધર્માચાર્યોના વિચારમાં? સ્વામી વિવેકાનંદે કોઈ જ વિદ્વતાપૂર્ણ નિંબધ વાંચ્યો ન હતો. તેમજ કોઈના ભલામણ પત્ર પણ સાથે લાવ્યા ન હતા. સૌને સવાલ થયો હતો કે ભારતથી આવેલા એક અજાણ સંન્યાસીએ કેવી રીતે આટલો ઉંડો પ્રભાવ પાડયો?

તેનો જવાબ સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના શિકાગો ખાતે થયેલા ઉદબોધનમાંથી મળી જાય છે. આ પરિષદમાં અન્ય ધર્માચાર્યો પોતાના ધર્મના ઈશ્વર અંગે બોલ્યા હતા, જ્યારે સ્વામી વિવેકાનંદ સૌના ઈશ્વર વિશે બોલ્યા હતા!જો કે આ વાત હજી સુધી સમજી ન શકનારા આપણે હજી પણ આપણાં ઈશ્વર માટેની લડાઈઓ ચાલુ રાખી છે.

ઓસામાના 9/11ને કદાચ સ્વામી વિવેકાનંદે પારખી લીધું હતું!


સ્વામી વિવેકાનંદે કદાચ 11 સપ્ટેમ્બર, 1893ના દિવસે જ ઓસામા બિન લાદેનના દોરી સંચાર હેઠળ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થનારા અમેરીકા પરના ભીષણ આતંકવાદી હુમલાને કદાચ જોઈ લીધો હશે. કારણ કે સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ઉદઘાટન વખતે બોલાયેલા શબ્દો તેના સાક્ષી છે.

વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ‘પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાનઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો, આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે.’ સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદના ઘંટારવને યાદ કરીને કહ્યું હતું કે ‘આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતાં જુદાંજુદાં માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃતિઓનો, સર્વઝનૂનવાદોનો, અને તલવાર કે કલમથી થતાં સર્વ ત્રાસનો મૃત્યુ ઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.’

વિશ્વમાં આતંકવાદની સૌથી મોટી ઘટના 11 સપ્ટેમ્બર, 2001ના દિવસે થઈ હતી. તેના વિલન અલકાયદા અને તેનો સરગના ઓસામા-બિન-લાદેન હતા. આ ઘટનાને આતંકના ઈતિહાસમાં 9/11ની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 11 સપ્ટેમ્બર, 1893માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના અજાણ્યા સંન્યાસી ભગવા વસ્ત્રધારી સ્વામી વિવેકાનંદે ભારત અને હિંદુ ધર્મનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજ કોઈ યુદ્ધ કરીને, કોઈ હિંસા કરીને કે કોઈ પ્રકારની બળજબરીથી મળેલા વિજયને કે ઓસામાના જેવા આતંકી કુકૃત્યોને પરિણામે ફરક્યો ન હતો. પણ પ્રેમ, સમજણ અને જ્ઞાન દ્વારા સ્વામી વિવેકાનંદે ભારતમાં જન્મેલા અને વિશ્વમાં અનેક સ્વરૂપે પ્રસરેલા સનાતન હિંદુ ધર્મની ધ્વજ પતાકા પોતાના ઓજસ્વી ભાષણથી ફરકાવી હતી.

આ પણ અમેરીકા પર એક હુમલો હતો, પણ આ હુમલો હતો અમેરીકા અને અન્યોના જ્ઞાનના ગરુર પરનો હુમલો. આ એવો હુમલો હતો કે જેમાં એક પણ વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે ઘાયલ થઈ ન હતી કે મૃત્યુ પામી ન હતી. હા, ત્યાં ઉપસ્થિત સેંકડો લોકો સ્વામી વિવેકાનંદના હિંદુ ધર્મ ચિંતન અને તત્વજ્ઞાનથી નતમસ્તક જરૂર થઈ ગયા હતા. 1893ના શિકાગોમાં થયેલા 9/11ના હીરો સ્વામી વિવેકાનંદ હતા.

વિશ્વ ધર્મ પરિષદમાં કહેલી સ્વામી વિવેકાનંદની વાતોને જો માનવ સમાજે યાદ રાખી હોત તો કદાચ 9/11ની ભીષણ આતંકવાદી હુમલાની ઘટના બની ન હોત. ધર્મો વચ્ચે સંવાદની પ્રક્રિયા સાધી શકાય હોત તો કદાચ જેહાદી આતંકવાદીઓના જથ્થા તૈયાર કરનારા ઓસામ બિન લાદેનો પેદા થઈ શક્યા ન હોત. સારા વિશ્વ ધર્મ સંવાદથી કદાચ ધર્મના નામે ચાલતો આતંકવાદ નિર્મૂળ કરી શકાશે. કદાચ ઓસામ બિન લાદેન અને તેના અનુયાયીઓની વિચારધારા અને માનસિકતાને વિશ્વમાંથી રૂખસદ આપી શકાશે.

તમારો અભિપ્રાય


વાચકમિત્રો સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ભાષણ સંદર્ભે અને તેમણે આપેલા દ્રષ્ટિકોણ સંદર્ભે આપનો શું અભિપ્રાય છે? તમને લાગે છે કે ભારતે સ્વામી વિવેકાનંદના વૈચારીક માર્ગદર્શન હેઠળ પોતાનો પથ નક્કી કરવો જોઈએ? ભારતીય તત્વજ્ઞાનને ઘેરાયથી સમજવાની જરૂર છે? તમારો મત અમને નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં લખીને મોકલી જણાવશો.

‘સ્યૂડો કલ્ચરલ નેશનાલિસ્ટો’ માટે વિવેકાનંદના વિચારોની લાલબત્તી


કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં આત્મવિશ્વાસ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જ્યારે પોતાનામાંતી વિશ્વાસ હટી જાય છે, ત્યારે તે રાષ્ટ્ર ગુલામ બની જાય છે. પ્રાચીન ધર્મોમાં કહેવાયું છે કે જે ઈશ્વરમાં વિશ્વાસ રાખતો નથી, તે નાસ્તિક છે. પણ નૂતનકાળમાં જે આત્મવિશ્વાસ ધરાવતો નથી, તે ખરેખર નાસ્તિક છે. કારણ કે પોતાનામાં વિશ્વાસ એ જ ઈશ્વરમાં વિશ્વાસ છે.

કેટલાંક લોકો માલિક છે, જ્યારે કેટલાંક લોકો ગુલામ છે અને મનુષ્યોમાં આ ભેદનું મુખ્ય કારણ માત્ર આત્મવિશ્વાસની ઉપસ્થિતિ અને તેનો અભાવ છે. સમગ્ર સંસારનો ઈતિહાસ એવા લોકોનો ઈતિહાસ છે કે જેમાનામાં ભરપૂર આત્મવિશ્વાસ હતો. આ આત્મવિશ્વાસ અંતરમાં રહેલા દેવત્વને લલકારીને પ્રગટ કરી દે છે અને ત્યારે વ્યક્તિ કંઈપણ કરી શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ સર્વસમર્થ બની જાય છે. અસફળતા ત્યારે જ મળે છે કે જ્યારે અંતસ્થ અમોઘ શક્તિને અભિવ્યક્ત થવાનો યોગ્ય પ્રયત્ન થતો નથી. આમ જોવામાં આવે, તો જે ક્ષણે વ્યક્તિ કે રાષ્ટ્ર પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે, તે જ ક્ષણે તે મૃત્યુ પામે છે. રાષ્ટ્રમાં રહેલો આ આત્મવિશ્વાસ સામૂહિક રીતે તે રાષ્ટ્રના લોકોએ અભિવ્યક્ત કરેલી ભાવના છે. જેને રાષ્ટ્રવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભાવના એટલે કે રાષ્ટ્રવાદ રાષ્ટ્રના આત્મારૂપ હોય છે.

સ્વામી વિવેકાનંદના વિચારોમાં રાષ્ટ્રોત્થાન અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ

સ્વામી વિવેકાનંદે ભારતીય રાષ્ટ્રવાદ સંદર્ભે પોતાના ગહન ચિંતન દ્વારા આપણું માર્ગદર્શન કર્યું છે. તેમણે કહ્યું છે કે પ્રત્યેક રાષ્ટ્રમાં રાષ્ટ્રવાદ ભિન્ન સ્વરૂપે વિકસિત થયો છે. ફ્રાંસમાં સ્વતંત્રતાનું મહત્વ છે. અંગ્રેજોના ચરિત્રમાં વ્યવસાય અને આદાન-પ્રદાનની પ્રધાનતા છે. જ્યારે ભારતીય રાષ્ટ્રવાદ પ્રમાણે-‘રાજકીય અને સમાજીક સ્વતંત્રતા ખૂબ સારી છે, પરંતુ વાસ્તવિક સાધ્ય આધ્યાત્મિક સ્વાધીનતા અર્થાત મુક્તિ છે.’ તેમણે ભારતીય ઈતિહાસનો સંદર્ભ ટાંકીને કહ્યું હતું કે ‘જે કોઈ આક્રમણખોરોએ અહીંના ધર્મમાં હસ્તક્ષેપ કર્યો છે, તે અહીં પોતાનું શાસન કરી શક્યા નથી. ધર્મના આધારે જ ભારતીયોનું ચરિત્ર ઘડાયું છે. ભારતનો પ્રાણ ધર્મ છે, ભાવ ધર્મ છે અને રાષ્ટ્રીય જાગૃતિનું કારણ પણ ધર્મ છે.’ ભારતીયોમાં ધર્મની મહત્તાને કારણે જ સ્વામી વિવેકાનંદે રાષ્ટ્રવાદનું આધ્યાત્મિકરણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદ દ્રઢપણે માનતા હતા કે ધર્મ જ વ્યક્તિ અને રાષ્ટ્રને શક્તિ પ્રદાન કરી શકે છે.

‘પ્રત્યેક વ્યક્તિની જેમ પ્રત્યેક રાષ્ટ્રનો પણ એક વિશેષ જીવન ઉદેશ્ય છે, તે જ તેના જીવનનું કેન્દ્ર હોય છે, તેના જીવનનો મુખ્ય સ્વર હોય છે, જેની સાથે અન્ય તમામ સ્વરો મળીને સમરસતા ઉત્પન્ન કરે છે. ભારતવર્ષમાં ધાર્મિક જીવન જ રાષ્ટ્રીય જીવનનું કેન્દ્ર છે અને તે જ રાષ્ટ્રીયજીવનરૂપી સંગીતનો પ્રધાન સ્વર છે. જો ધર્મને અલગ કરીને રાજનીતિ, સમાજનીતિ કે અન્ય કોઈ નીતિને જીવનશક્તિનું કેન્દ્ર બનાવવામાં સફળ થઈ જઈશું, તો તેનું પરિણામ હશે કે ભારતનું અસ્તિત્વ જ નહીં રહે. ધર્મરૂપી મેરુદંડથી બધાં કાર્ય કરવા પડશે. વેદાંત દ્વારા સામાજીક અને રાજકીય વિચારોથી પ્લાવિત કરતાં પહેલા આવશ્યક છે કે આધ્યાત્મિક વિચારોનું પૂર લાવી દેવામાં આવે.’ આ અદભૂત ચિંતન હતું સ્વામી વિવેકાનંદનું! તેઓ વેદાંતી, સંન્યાસી હતા. તેઓ ભારતીય રાષ્ટ્રવાદને લોકો સુધી સમાજના દરેક ભાગ સુધી લઈ જવામાં અત્યંત સફળ થયા છે.

રાષ્ટ્ર વ્યક્તિઓથી બને છે. માટે જ વિવેકાનંદનો અનુરોધ હતો કે રાષ્ટ્રની દરેક વ્યક્તિમાં પુરુષત્વ, માનવગરિમા તથા આત્મસમ્માનની ભાવનાઓનો વિકાસ કરવો જોઈએ. વ્યક્તિએ પોતાના અહમ અને રાષ્ટ્રના આત્મા સાથે બરાબર તાલમેલ રાખવો જોઈએ.

સ્વામી વિવેકાનંદ પવિત્ર ભારતીય પરંપરાઓ અને ધર્મને જ ભારતનો સામાન્ય આધાર માનતા હતા. તેમનું સ્પષ્ટપણે માનવું હતું કે ‘યુરોપની રાષ્ટ્રીય એકતાનું કારણ રાજકીય વિચારધારા છે, પણ એશિયામાં રાષ્ટ્રીય ઐક્યનો આધાર ધર્મ છે, માટે ભારતમાં ભવિષ્યના સંગઠનોની પહેલી શરત ધાર્મિક એકતા છે. પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વર છે, તે સિદ્ધાંતને માનવાવાળો આખા દેશનો એક જ ધર્મ હોય.’

ધર્મનો અર્થ

ધર્મ શબ્દનો ભારતમાં પ્રચાર એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ સાથે કરવામાં આવ્યો છે. જેને કારણે ભારતનો સામન્ય નાગરીક ધર્મ એટલે Religion સમજી બેસે છે. પણ હકીકતમાં ધર્મ અને રિલિઝિયનમાં આસમાન-જમીનનો તફાવત છે. અંગ્રેજી શબ્દ રિલિઝિયન સંકુચિત અર્થમાં વપરાયો છે. જ્યારે ધર્મનો અર્થ અતિવ્યપાક છે. અંગ્રેજી શબ્દકોષ પ્રમાણે, રિલિઝિયન એટલે એક વિશિષ્ટ પ્રકારની ઉપાસના પદ્ઘતિ અથવા શ્રદ્ધા (Religion means a system of faith and woship.). જ્યારે ભારતીય ધર્મ ઉપાસના પદ્ધતિ સુધી જ સીમિત નથી. પરંતુ તે ઉપાસના પદ્ધતિ તેનું એક અંગ માત્ર છે. ધર્મ શબ્દની ઉત્પતિ ‘ધૃ’ ધાતુ પરથી થઈ છે. જેનો અર્થ છે, ‘ધારયતિ ઈતિ ધર્મ:’ અથવા ‘ધ્રિયતે લોક: અનેન’ અર્થાત જેને કાણે લોકોની સૃષ્ટિનું ધારણ થયું છે અથવા જે લોકોને ધારણ કરે છે. આમ ધર્મની સરળ વ્યાખ્યા એવી કરવામાં આવે છે કે જેના કારણે સમાજનું ગઠન થાય છે, તે નિયમ ધર્મ છે. તેનો અન્ય અર્થ છે કે ઉપાસના પરંપરાઓ રુઢ ભિન્નજાતિ અથવા સંપ્રદાયના આચાર વિધાન, સંવિધાન, નૈતિક સદાચાર, સત્કર્મો, કર્તવ્યો, ન્યાય, પવિત્રતા, નીતિ વગેરે છે. બૃહદારણ્યક ઉપનિષદ ધર્મને સત્ય માને છે. તેના પ્રમાણે, ‘જો કોઈ વ્યક્તિ સત્યની ઘોષણા કરે છે, તો તે ધર્મની ઘોષણા કરી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ ધર્મની ઘોષણા કરી રહ્યો છે, તો તે સત્યની ઘોષણા કરી રહ્યો છે. આમ સત્ય અને ધર્મ બંને સમાનાર્થી છે’.
રાષ્ટ્રપુરુષને સશક્ત કરવાનો વિવેકાનંદે દર્શાવેલો ઉપાય

એક તરફ માનવામાં આવે છે કે ભૂતકાળ તરફ દ્રષ્ટિ નાખવાથી કોઈ લાભ થશે નહીં, ભવિષ્ય તરફ જોવું જોઈએ. જ્યારે બીજી તરફ માનવામાં આવે છે કે ભૂતકાળથી જ ભવિષ્યનું નિર્માણ થાય છે, તેથી ભૂતકાળને નજરઅંદાજ કરવો યોગ્ય નથી. અતીતના ગૌરવગાન પર જ ભારતને પહેલા કરતાં વધારે સર્વશ્રેષ્ઠ બનાવવાનો પાયો નખાયો છે અને તેમાંથી ભવિષ્યનું ભારત પણ બની રહ્યું છે. સ્વામી વિવેકાનંદે ભારતના પુનરોત્થાન માટે આધ્યાત્મિકતા પર ભાર મૂકતા કહ્યું હતું કે ‘ભારતની આધ્યાત્મિકતા જ આપણાં જીવનનું રક્ત છે. જો તે શુદ્ધરૂપથી વહેતું રહે, જો તે શુદ્ધ અને સશક્ત રહે તો બધું જ ઠીક છે. રાજકીય, સામાજીક અને અન્ય કોઈપણ પ્રકારની ઐહિક ત્રુટિઓ હોય, ચાહે દેશની નિર્ધનતા જ કેમ ન હોય, જો ભારતના રક્ત સમાન ભારતની આધ્યાત્મિકતા શુદ્ધ હશે, તો બધું જ સુધરી જશે.’ સ્વામી વિવેકાનંદનું માનવું હતું કે ભાર,તના રક્ત સમાન આધ્યાત્મિકતાને રોગકારક અશુદ્ધ કરનાર કીટાણુઓ શરીમાંથી દૂર થઈ જાય તો પછી બીજી કોઈ અશુદ્ધિ રક્તમાં સમાય શકવાની નથી.

જ્યાં સુધી રાષ્ટ્રીય જીવન સશક્ત રહે છે, ત્યાં સુધી આધ્યાત્મિકતાને અશુદ્ધ કરનારા તત્વો દૂર રહે છે. પરંતુ જ્યારે રાષ્ટ્રીય જીવન કમજોર બની જાય છે, ત્યારે દરેક પ્રકારના રોગાના કીટાણુઓ રાષ્ટ્રપુરુષના શરીરમાં એકઠાં થઈ તેની રાજનીતિ, સમાજનીતિ અને બુદ્ધિને અશક્ત બનાવી દે છે. તેથી તેની ચિકિત્સા માટે આપણે આ બિમારીના મૂળ સુધી પહોંચીને ભારતના રક્ત સમાન ભારતની આધ્યાત્મિકતામાંથી ધર્મનીતિ વિરુદ્ધની અશુદ્ધિઓને કાઢી નાખવી જોઈએ. ત્યારે ઉદેશ્ય એ હોવો જોઈએ કે રાષ્ટ્રપુરુષ બળવાન બને, રક્ત શુદ્ધ અને શરીર તેજસ્વી થાય જેનાથી તે બહારી ઝેરને દબાવી અને તેને હટાવવા લાયક બની જાય. ધર્મનને રાષ્ટ્રનું તેજ, બળ અને રાષ્ટ્રીય જીવનનો આધાર ઘોષિત કરનારા સ્વામી વિવેકાનંદ સશક્ત બનવા માટે કહે છે. વિદેશી આક્રમણખોરોએ સોમનાથ જેવા જૂનાં અને પવિત્ર ધર્મસ્થાનોનો ધ્વંસ કર્યો, પણ કેટલાંય સમય બાદ તે પુન: જીવનના પ્રવાહ બની ગયા. જો આ જીવનપ્રવાહમાંથી બહાર આવવાનો પ્રયત્ન થશે, તો તેની પરિણિતી રાષ્ટ્રનો માત્ર પૂર્ણ વિનાશ બનીને જ ઉભી રહેશે.

તમારો અભિપ્રાય

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાતો કરનારા લોકો અને પક્ષો ભારતીય રાજકારણ અને સમાજજીવનમાં હાલ પણ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેઓ શું ખરેખર સ્વામી વિવેકાનંદના વિચારોમાં રહેલી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ગંગાને સમજ્યા છે કે પછી લોકોને તેના નામે ઉલ્લૂ બનાવી રહ્યાં છે. વાચક મિત્રો આ આપણાં સૌ માટે વિચારવાનો સમય છે. તમારા વિચારો અમને નીચે દર્શાવેલા કોમન્ટ બોક્ષમાં મોકલી શકો છે.