લેબલ સુપ્રીમ કોર્ટ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સુપ્રીમ કોર્ટ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 12 જૂન, 2012

લઘુમતી સબક્વોટા: અનામતના રાજકારણે ધરી બદલી


-આનંદ શુક્લ
જાતિ આધારીત અનામતની રાજનીતિ ધાર્મિકતાને આધાર બનાવીને થવા લાગી છે. ગત શિયાળુ સત્રના સમાપનના બીજા દિવસે જ કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરીને ઓબીસીના 27.5 ટકા ક્વોટામાં લઘુમતીઓ માટે 4.5 ટકા સબક્વોટાની જાહેરાત કરી હતી. સૌથી વધારે મુસ્લિમ મતો ધરાવતા યૂપી સહીત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી આ નોટિફિકેશનના એક-બે દિવસમાં જ જાહેર થઈ હતી. જેના કારણે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના ઈરાદાઓ પર સવાલ ઉઠાવાયા હતા. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ દ્વારા મુસ્લિમો માટેના 4.5 ટકા સબક્વોટાને રદ્દ કરવાના આદેશ પર તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. આ બે ઘટનાઓથી અનામતના રાજકારણની ઓળખ થોડી સ્પષ્ટ થઈ છે. અનામતની બંધારણીય વ્યવસ્થાઓ અને અનામતનું રાજકારણ બે અલગ બાબતો છે.

ભારતીય બંધારણમાં આઝાદીના દશ વર્ષ સુધી એસસી અને એસટી માટે અનામતની વ્યવસ્થા સ્વીકારવામાં આવી હતી. પરંતુ અનામતની જાતિ આધારીત રાજનીતિ એવી ચાલી કે અલગથી ઓબીસી ક્વોટા ઉભા કરાયા. એસસી અને એસટી સમુદાયમાં નહીં આવનારી જાતિઓને પાછલે બારણેથી અનામતનું ગાજર બતાવીને રાજકીય રોટલા શેકવાની રાજનીતિ ભારતમાં લગભગ બે દશકા જેટલા લાંબા સમય સુધી ચાલી. કમજોરને સશક્ત બનાવવા માટે અનામતની વ્યવસ્થા બેશક હોવી જોઈએ. બંધારણમાંની અનામતની જોગવાઈ કોઈપણ હિસાબે અયોગ્ય નથી. પરંતુ તેના પર થતી રાજનીતિ અને તેના અમલીકરણમાં જરૂર કોઈને કોઈ ખામી છે કે જેના કારણે હકીકતમાં શોષિત, વંચિત અને પીડિત વર્ગને કોઈ મોટો ફાયદો થયો નથી.

2004ની લોકસભા ચૂંટણીથી ધર્મના આધારે અનામતનું રાજકારણ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવ્યું. જેમાં સમાજવાદી પાર્ટી અને બીએસપી સહીતના પ્રાદેશિક પક્ષો પણ જોડાયા. યૂપીની વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતદારોને ધ્યાનમાં રાખીને 9 ટકા અને 18 ટકા અનામત આપવાના વચનો પણ અપાયા. અનામતના લાભાર્થી સમાજના ઉપેક્ષિત વર્ગોને મુખ્યપ્રવાહ સાથે જોડવાના માધ્યમ કરતાં રાજકીય પક્ષો અને સરકારો માટે રાજકીય હિતસાધનાનું સાધન અનામત બની ગયું. ઉપેક્ષિત વર્ગના ઉત્થાન માટે અનામત એક માધ્યમ ત્યારે બની શકે કે જ્યારે આ વર્ગના વ્યક્તિને યોગ્ય અવસર ઉપલબ્ધ કરાવવામાં આવે. તાજેતરમાં સંપન્ન આઈઆઈટીની લગભગ દસ હજાર બેઠકો માટેની પ્રવેશ પરીક્ષમાં પાંચ લાખથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સાડા ચાર ટકા અનામતથી તેમાં લઘુમતી સમુદાયના 325 બાળકોને જ મુશ્કેલીથી લાભ મળી શક્યો છે.

આવી જ હાલત નોકરીઓમાં છે. આપણે એ ભૂલવું જોઈએ નહીં કે અનામત સરકારી નોકરીઓ અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ સુધી જ સીમિત છે. સચ્ચર કમિટી અને રંગનાથ મિશ્ર પંચે મુસ્લિમોની ગરીબી અને અસુરક્ષાની ભાવના દૂર કરવા માટે અનામત સિવાય આર્થિક મદદ સહીતની અન્ય ભલામણો પણ કરી હતી. જો કે તેના સંદર્ભે કેન્દ્ર સરકાર વધારે વાત કરવા ઈચ્છતી નથી.

મુસ્લિમોને સબક્વોટાના મામલાને સુપ્રીમ કોર્ટે બંધારણીય મર્યાદાના ઉલ્લંઘન તરીકે જોયું છે. સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે આ અનામત ધાર્મિક આધારે આપવામાં આવ્યું છે અને તેની મંજૂરી બંધારણ આપતું નથી. સરકારના દાવા પ્રમાણે તેમણે વ્યાપક સર્વેને આધારે નિર્ણય કર્યો છે. જો કે ભારતના બહુ થોડા લોકો સાધન-સંપન્ન અને ઘણાં લોકો શોષિત, વંચિત તથા ઉપેક્ષિત છે. ત્યારે સરકારને ખાતરી થઈ ગઈ છે કે ઓબીસી સમુદાયના લોકોની સ્થિતિ હવે વધારે સુધરી હોવાથી તેમના અનામતને ઘટાડી શકાય છે? શું કેન્દ્ર સરકાર રાજકીય લાભ ખાટવા બાકીના 22 ટકા ઓબીસી ક્વોટાને વધારે વિભાજિત નહીં કરવાની ગેરેન્ટી આપશે?

શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2011

સરકાર ગરીબોની ગરીબી પ્રત્યે સંવેદનશીલ બનશે?


-આનંદ શુક્લ

ભારતમાં ગરીબો અને ગરીબીનું રાજકારણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. દેશમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતી હતી. દેશમાં ત્યાર પછી સત્તામાં આવતી દરેક પક્ષોની કે મોરચાની સરકારે હંમેશા ગરીબી હટાવવાની ગુલબાંગો પોકારી છે. જો કે દેશમાંથી ગરીબી દૂર થઈ નથી, તેનાથી ઉલટું ગરીબી વધી છે. દેશમાં કલ્યાણના સ્થાને તથાકથિત વિકાસના રાજકીય એજન્ડાએ ગરીબો માટે જીવન દુભર બનાવી દીધું છે. ભારતના બંધારણમાં ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાની વાત કરવામાં આવી છે. જેને કારણે મૂડીવાદી વિકાસના જુદાંજુદાં ઉદ્યોગપતિઓના એજન્ડાને આગળ વધરાતી કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે કલ્યાણ યોજનાઓ માત્ર કર્મકાંડ બની ગઈ છે. હાલની મૂડીવાદી વિકાસની સરકારી મનોવૃતિએ કેટલાંક ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓના ખિસ્સા ભરવાનું કામ જ કર્યું છે. આ દેશનો ગરીબ વધારે ગરીબ થઈ રહ્યો છે. ચિંતાનો વિષય છે કે દેશનો વિકાસ દર જેટલી ગતિથી વધી રહ્યો છે, તેટલી ગતિથી દેશમાં ગરીબી અને ગરીબોની સંખ્યા વધી રહી છે. દેશમાં ગરીબો અને મધ્યમ વર્ગ માટે જીવનયાપન ઘણું કઠિન બની રહ્યું છે. પરંતુ આવી પરિસ્થિતિઓમાં પણ દેશનો વહેપાર કરી રહેલા નીતિ-નિર્ધારકો અને તેમની સરકારો ગરીબો પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતા હોવાના એક કરતાં વધારે દાખલા સામે આવી રહ્યાં છે.

ભારતમાં કલ્યાણકારી યોજનાઓ યોજના પંચના દિશાનિર્દેશ પ્રમાણે અમલી બનતી હોય છે. યોજના પંચના અધ્યક્ષ હોદ્દાની રુએ વડાપ્રધાન ખુદ હોય છે. ગરીબો, શોષિતો-વંચિતો અને પીડિતો માટેની કલ્યાણ યોજનાઓ બનાવતું યોજના પંચ કેટલી હદે અસંવેદનશીલ છે, તે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં તેણે રજૂ કરેલા સોગંદનામાથી સ્પષ્ટ બન્યું છે. યોજના પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે કે શહેરોમાં રોજના 32 રૂપિયા અને ગામડાંમાં રોજના 26 રૂપિયા મેળવનાર વ્યક્તિ ગરીબ કહી શકાય નહીં. યોજના પંચનું ગરીબો સંદર્ભે કરવામાં આવેલું આકલન આ કાળઝાળ મોંઘવારીમાં કેટલું વ્યવહારીક છે, તે તો સામાન્ય જનતાની સાથે મળીને અનુભવવાનો વિષય છે. યોજના પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહલુવાલિયાએ રોજના રૂપિયા 32 લેખે એક અઠવાડિયું ગુજારીને ગરીબી કોને કહેવાય તેનો અનુભવ કરવો જોઈએ. યોજના પંચના આંકડામાં કેટલી સચ્ચાઈ છે, તે કદાચ ભાગ્યે જ કોઈનાથી અજાણ હશે. પરંતુ ગરીબી આકલન અને માપનની પદ્ધતિઓને લઈને ભ્રમ છે. આ સંદર્ભે સમાધાન આપણી એક મોટી જરૂરત છે.

ગરીબી માપવાની પારાશીશી જુદીજુદી પદ્ધતિઓ અને માપદંડોને આધારે ઉભી કરવામાં આવે છે. તેના કારણે ભારતમાં ગરીબોની વસ્તી કેટલી છે? તેના ઘણાં જવાબ હોઈ શકે છે. જુદાંજુદાં રિપોર્ટોને જોઈએ તો આ એક રાષ્ટ્રીય શરમ છે. આપણા દેશમાં કેટલાં ગરીબો છે, તે સાચા માપદંડોને આધારે આપણે જાણતા નથી. યોજના પંચના નવા રિપોર્ટનો અસ્વીકાર કરી શકાય છે. પરંતુ મહત્વની વાત એ છે કે આવા રિપોર્ટના આધારે જ કલ્યાણકારી યોજનાઓ સંચાલિત થાય છે અને ત્રુટિપૂર્ણ અહેવાલોને આધારે કલ્યાણકારી યોજનાઓ ચલાવવાનો અર્થ છે, વિકાસની દુર્ગતિ. સરકાર ગરીબી નિયંત્રણ માટે યોજના પંચના આંકડાને આધારે જ કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. જો કે યોજના પંચનું આકલન અન્ય આવા આકલનોની સરખામણીએ ગરીબોની વસ્તી ઓછી જણાવે છે.

દેશમાં નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન પ્રમાણે 60.50 ટકા, ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રચાયેલી એન. સી. સક્સેના સમિતિ પ્રમાણે 50 ટકા, વિશ્વ બેંક પ્રમાણે 42 ટકા, અર્જૂનસેન ગુપ્તા પ્રમાણે 78 ટકા અને સુરેશ તેંડૂલકર સમિતિના અહેવાલ પ્રમાણે 37.2 ટકા ગરીબો દેશની કુલ વસ્તીમાં છે. જો કે યોજના પંચના નવા આકલન પ્રમાણે દેશમાં લગભગ 30 ટકા લોકો જ ગરીબ છે. ગરીબોની વસ્તી સંદર્ભેના આ તમામ આકલનોના માપદંડો અલગ અલગ છે. યોજના પંચના આકલનમાં ખાવાપીવાની વસ્તુઓનો ઉપયોગ અને પ્રતિ વ્યક્તિએ કેલરીના ઉપયોગને મહત્વનું માપદંડ માનવામાં આવ્યું છે. જ્યારે તેંડૂલકર સમિતિએ ભોજનની સાથે, શિક્ષણ અને આરોગ્ય પર થનારા ખર્ચાને પણ માપદંડ તરીકે સામેલ કર્યા હતા. તેવી રીતે સક્સેના સમિતિ ગ્રામીણ વિસ્તારો માટે 700 રૂપિયાની આવક અને શહેરી વિસ્તાર માટે 1000 રૂપિયાની માસિક આવકનને ગરીબી અનુમાન માટે આધાર બનાવે છે. તેમણે કુપોષિત બાળકો અને એનિમિયા જેવા રોગોથી પીડિત મહિલાઓને પણ આધાર બનાવ્યા છે.

ખરેખર દેશમાં ગરીબી નિર્મૂલન માટે સૈદ્ધાંતિક નહીં, પણ વ્યવહારીક નીતિની જરૂર છે. તેના માટે ગરીબોની સંખ્યા સિદ્ધાંતોના આધારે નહીં, વ્યવહારના આધારે બનાવવી જોઈએ. સરકારે નવી આર્થિક નીતિ અને સુધારાની અસરોનું નિષ્પક્ષ આકલન કરવા માટે યોજના પંચને પ્રેરીત કરવું જોઈએ. જો કે સરકાર આવા પ્રભાવોને સકારાત્મક બતાવવા માટે જ ગરીબો અને ગરીબીના આકંડામાં હેરફેર કરે છે. સરકારે ગરીબને યોગ્ય રીતે પરિભાષિત કરવાની સાથે અમીરીને પણ પરિભાષિત કરવી પડશે. ગરીબ અને અમીર વચ્ચેના મધ્યમ વર્ગને પરિભાષિત કરીને કોઈક યોજનાઓ તેઓ ગરીબીના સ્તરમાં આવી ન જાય તેના માટે પણ બનાવવી પડશે. જો સરકાર આવી કોઈ પરિભાષાઓ યોગ્ય માપદંડોના આધારે વ્યવહારીક રીતે બનાવી શકે નહીં, તો તેમણે સરકારી યોજનાઓને આંકડાબાજીની જાળમાંથી બચવવા માટે તમામ જનકલ્યાણ યોજનાનો લાભ દેશના તમામ નાગરીકોને ઉપલબ્ધ થાય તેમ કરવું જોઈએ.

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

ગુજરાત સામેના તેજોદ્વેષીઓની “ગેમ” ખુલ્લી પડી


-આનંદ શુક્લ

કાયદાની રમત અને કાયદા સાથે રમત બંને ઘટનાઓ ગુજરાતની 2002ના કોમી રમખાણોની ઘટના સાથે જોડાયેલી છે. ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા હિંદુત્વનો પાયો ઘણો ઉંડો નાખવામાં આવ્યો છે. હિંદુત્વની વિચારધારા ગુજરાત અને દેશભરમાં આગળ વધે તેનાથી કૉંગ્રેસ, કમ્યુનિસ્ટ પક્ષો સહીતના રાજકીય પક્ષોને તો વાંધો છે જ. પરંતુ કેટલીક વિદેશી હિતસાધક એનજીઓ અને કથિત કર્મશીલોને પણ તેનાથી વાંધો છે. ભારતમાં કાયદો ન્યાય માટે પૂરો અવકાશ આપે છે. આવી કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખીને વિદેશી હિતસાધક કર્મશીલો અને એનજીઓની એક ધરી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને હિંદુવાદી સંગઠનો પાછળ હાથ ધોઈને પડી છે. તેમને તેમના આ મિશનમાં મીડિયાનો સાથ મળ્યો છે. ગુજરાતમાં હિંદુત્વને આગળ વધતું અટકાવવા અને નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે મીડિયાએ કર્મશીલોના ઈશારે નાચીને ઘણાં ધમપછાડા કર્યા છે.

ઘણાં કેસોમાં મીડિયા ટ્રાયલ ચાલી. બેસ્ટ બેકરી કેસ તેનું ઉદાહરણ છે. જ્યારે બેસ્ટ બેકરી કેસમાં વડોદરાની અદાલતે આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા, ત્યારે મીડિયાએ કર્મશીલો સાથે કોરસમાં હોબાળો મચાવ્યો હતો. તેમની મીડિયા ટ્રાયલે ગુજરાતના વાતાવરણમાં ભારે તણાવ ઉભો કરી દીધો હતો. ગુજરાતનું ન્યાયતંત્ર ભયાનક કક્ષાએ બદનામ થયું હતું. બેસ્ટ બેકરી સહીત રમખાણોના 9 જેટલાં કેસો ગુજરાત બહાર ખસેડવામાં આવ્યા.ત્યાર બાદ બેસ્ટ બેકરી કેસમાં આરોપીઓને સજા થઈ. તેની સામે તાજેતરમાં આવેલા ગોધરા કાંડના ચુકાદામાં ઘણાં આરોપીઓ છૂટી ગયા. ગોધરાકાંડનો મુખ્ય આરોપી પણ છૂટી ગયો. પરંતુ મીડિયા અને કર્મશીલોએ આ કેસમાં છૂટી જનારા લોકો સંદર્ભે કોઈ મોટો હોબાળો મચાવ્યા નહીં. તેના માટે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં કોઈ રીટની કાર્યવાહી કરી નહીં. બેસ્ટ બેકરી કેસ અને અન્ય 9 કેસોમાં મુસ્લિમો મર્યા હતા અને ગોધરાકાંડમાં હિંદુઓ મર્યા હતા. તેને કારણે મુસ્લિમો તરફે જ લડવું અને બોલવું મીડિયા અને કર્મશીલો નક્કી કરીને બેઠા હોવાનું જ સામે આવે છે. ગોધરાકાંડ પછીના તોફાનોની વારંવાર વાતો કરનારા લોકો ગોધરાકાંડ સંદર્ભે બેશરમ મૌન રાખે છે. ગુજરાતની જનતાએ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને 2002, 2007ની ચૂંટણીમાં પોતાનો પ્રત્યાઘાત આપ્યો છે. ગુજરાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રહેલી ભાજપને બહુમતી આપી છે. જો કે મીડિયાને વશવશો હશે કે તેમનું મિશન મોદી અને ભાજપ હટાવો સફળ થઈ શક્યું નહીં.

દુષ્પ્રચાર અને મુદ્દા ઉઠાવવા બંને વચ્ચે મોટો ભેદ છે. ગુજરાતમાં હિંદુત્વની પાયો નાખી ચુકેલી વિચારધારાને કોમવાદી ગણીને તેનો તેજોદ્વેષ કરવો સૌથી મોટી નાલાયકી છે. હિંદુત્વને રાજકીય રીતે અનુસરવું લોકોની પસંદગી છે. આ પસંદગીને ખોટી ઠેરવવાનો કોઈને હક નથી. હિંદુત્વને કોમવાદ ગણાવીને તેના નામે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, હિંદુ સંગઠનો અને ભાજપ પર માછલા ધોવાની વૃતિ પબ્લિક ઓપિનિયનને બદલવા માટેની નિર્લજ્જ કવાયત છે. ગુજરાતમાં મુદ્દા ઘણાં ઉઠાવી શકાય તેમ છે. ગુજરાતમાં સાડા સાત વર્ષ સુધી લોકાયુક્ત ન હતા. પરંતુ જ્યારે રાજ્યપાલે લોકાયુક્તની નિમણૂક કરી ત્યારે જ મીડિયાએ લોકાયુક્તનો મુદ્દો ઉઠાવ્યો. ગુજરાતમાં ગોચરની જમીનો પર અતિક્રમણનો મુદ્દો છે. ગુજરાતમાં ઉદ્યોગોને અપાતી કથિત વધુ પડતી રાહતોનો મુદ્દો છે. ખેતીની જમીનો ઉદ્યોગોને આપવાની બાબત છે. કેગના રિપોર્ટ પ્રમાણેની નાણાંકીય ગેરરીતિનો મુદ્દો છે. પણ આવા મુદ્દા ટીવી ચેનલને સનસનાટીપૂર્ણ અને ટીઆરપી વધારનારા લાગતા નથી. તેને કારણે મોદી સામે મોરચો ખોલવા માટે તેમને ગુજરાતના 2002ના રમખાણો, સોહરાબુદ્દીન-કૌસરબી એન્કાઉન્ટર, ઈશરત જહાં એન્કાઉન્ટર જેવાં સનસનાટીપૂર્ણ ટીઆરપી વધારનારા અને ચોક્કસ રાજકીય પક્ષોને મદદ કરનારા મુદ્દાઓ જ હાથમાં આવે છે.

ગુજરાતમાં વિકાસ પૂરઝડપે ચાલી રહ્યો હોવાનો મુખ્યમંત્રી દાવો કરી રહ્યાં છે. ઘણાં રિપોર્ટો તેમની વાતને સમર્થન આપે છે. ત્યારે મીડિયા આ મુદ્દા પર તેમની કોઈ ભૂલ અથવા કોઈ કમી શોધીને લોકો સામે લાવી શકે તેમ છે કે કેમ? મીડિયા અને કર્મશીલોએ જવાબ આપવો જોઈએ કે 2002ની ઘટનાઓ બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ક્યાં કાચા પૂરવાર થયા છે? નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે કઈ જગ્યાએ કેવી રીતે કાચા પૂરવાર થયા છે? કોઈ ઈન્ટરવ્યૂ હોય તો કરણ થાપર કે વિજય ત્રિવેદી જેવાં મુલાકાતકર્તા નરેન્દ્ર મોદીને ગોધરાકાંડ અને રમખાણોના પ્રશ્નો પુછીને મુંઝવવાનો દાવો કરીને વાહવાહી લૂંટીને ટીઆરપી અંકે કરતાં હોય છે. આ વૃતિ કેટલી વ્યાજબી છે?

ગુલમર્ગ સોસાયટી કાંડમાં દિવંગત કોંગ્રેસી નેતા અહેસાન જાફરીના પત્ની જાકિયા જાફરી દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશનને આધારે રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે પોતાની તપાસને આધારે કહ્યું છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ પુરાવા નથી. સુપ્રીમ કોર્ટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ અને એમેક્સ ક્યુરીના રિપોર્ટ નીચલી અદાલતને સુપ્રત કર્યા છે. સુપ્રીમ કોર્ટે આ કેસનું મોનિટરિંગ કરવાનો પણ ઈન્કાર કર્યો છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ગુજરાત અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ દ્વેષીલો-ઝેરીલો પ્રચાર ચાલી રહ્યો છે, તેનો અંત આવે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે. જેના કારણે એ વાતને બળ મળે છે કે રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય 62 વ્યક્તિઓ પર અનિર્ણાયકતા અને ફરજ ચૂકના આરોપો મૂકવામાં આવ્યા હતા, તે માત્ર અને માત્ર રાજકારણનો ભાગ છે. તેમાં ન્યાયતંત્રને ખોટી રીતે કાયદાઓના ઉપયોગથી ઢસડવામાં આવ્યું હતું. કોઈએ 1984ના શીખ વિરોધી રમખાણો અથવા ભાગલપુરના તોફાનોને આવી રીતે ન્યાયતંત્રમાં લઈ જવાની વાત કરી નથી. માત્ર ગુજરાતને જ આવી બાબતો કેમ લાગુ પડે છે, તે સમજવું ખરેખર અઘરું છે.

માત્ર એક જ નહીં ગુજરાતના સંખ્યાબંધ કેસમાં સીધા જ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પક્ષકારો દ્વારા અપનાવામાં આવેલી પદ્ધતિ ટીકા પાત્ર છે. કારણ કે તેના દ્વારા તેવો એવું સ્થાપિત કરવા માંગે છે કે ગુજરાતમાં ન્યાયતંત્ર જેવી કોઈ ચીજ નથી. પક્ષકારોના આવા વલણોથી સમગ્ર ન્યાયતંત્રની બદનામી થઈ છે. ગુલબર્ગ સોસાયટીના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે પણ ટેલિવિઝન પર બકવાસ કરીને નિર્ણયની ટીકા કરનારાઓની નોંધ સુપ્રીમ કોર્ટે લેવા જેવી ખરી.

માનવાધિકાર કાર્યકર્તાઓની રંગભૂમિ માત્ર ગુજરાત જ શા માટે છે? શું અન્ય કોઈ રાજ્યોમાં માનવાધિકાર હનનના કોઈ કિસ્સા બનતા જ નથી? મીડિયા ગુજરાતલક્ષી બનીને અહીંની નાનામાં નાની ઘટનાને સનસનાટીપૂર્ણ બનાવીને બતાવતું રહે છે. ત્યારે મીડિયા માટે ભારતમાં બનતી માનવાધિકારની ઘટનાઓ ગુજરાત સુધી જ સીમિત છે? ગુજરાત અને ભારતમાં અન્ય તમામ સ્થાનો પર કોમી તોફાનોની ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ જૂની બાબતોની ખણખોદ કરીને વાતાવરણ તણાવપૂર્ણ કરવાનો પ્રયાસ નિંદાજનક નથી?

વિચારધારાને નિશાન બનાવવા માટે કોઈ એક વ્યક્તિ વિરુદ્ધ આટલો બધો દુષ્પ્રચાર કરવાનો આઝાદ ભારતના રાજકીય ઈતિહાસમાં આ પહેલો બનાવ છે. કેટલીક ઘટનાઓમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હોવાના કારણે કિન્નાખોરી રખાતી હોવાની વાત પણ પ્રતિપાદીત થતી હોય તેવો ભાસ ઉભો થાય છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી એસઆઈટીના કાબેલ અધિકારીઓએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સતત 9 કલાક પૂછપરછ કરી હતી. આ સિવાય અન્ય 62 વ્યક્તિઓની પણ સઘન પૂછપરછ થઈ હતી. આ પૂછપરછના આધારે તેમને કોઈ પુરાવા હાથ લાગ્યા ન હતા. આનો અર્થ એ થયો કે જેમના તરફ આંગળી ચિંધવામાં આવી હતી, તેઓ સામે આવી બાબતો રાજકીય પ્રચારથી વધારે કશું જ ન હતી. સુપ્રીમ કોર્ટ હવે આ કેસની બહાર છે. ત્યારે સવાલ એ છે કે આટલી ખોટી રીતે કાયદાનો ઉપયોગ કરીને સીધા સુપ્રીમમાં કેસ લડવા માટે ક્યાંથી નાણાં અને ફંડ પૂરું પડે છે? શું આની પાછળ કોઈ રાજકીય પક્ષની હિતસાધના છે અથવા વિદેશમાંથી હિતસાધક તત્વોને મદદ મળી રહી છે? સુપ્રીમ કોર્ટમાં એક દિવસ માટે વકીલોની ફી લાખો રૂપિયામાં હોય છે. ગુજરાતના હજી ડઝનબંધ કેસો સુપ્રીમ કોર્ટમાં છે. ત્યારે આ કેસ લડવા માટે મળી રહેલા ફંડ સંદર્ભે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા જ તપાસ થાય તે ઈચ્છનીય છે. પ્રજા ઉબાઈ જાય તેટલી હદે વાતનું વતેસર કરવા પાછળ મીડિયા અને ધર્માંતરીત કાર્યકરો તથા તેમના મળતિયાંઓને કોણ બહેકાવી રહ્યું છે, તે પણ ઊંડી તપાસનો મુદ્દો છે. કારણ કે સવાલ માત્ર નરેન્દ્ર મોદીનો નથી, આ મુદ્દા પર સવાલ હિંદુત્વની વિચારધારાને નિશાન બનાવવાનો અને ગુજરાતને બદનામ કરવાનો પણ છે.