Tuesday, June 12, 2012

લઘુમતી સબક્વોટા: અનામતના રાજકારણે ધરી બદલી


-આનંદ શુક્લ
જાતિ આધારીત અનામતની રાજનીતિ ધાર્મિકતાને આધાર બનાવીને થવા લાગી છે. ગત શિયાળુ સત્રના સમાપનના બીજા દિવસે જ કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરીને ઓબીસીના 27.5 ટકા ક્વોટામાં લઘુમતીઓ માટે 4.5 ટકા સબક્વોટાની જાહેરાત કરી હતી. સૌથી વધારે મુસ્લિમ મતો ધરાવતા યૂપી સહીત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી આ નોટિફિકેશનના એક-બે દિવસમાં જ જાહેર થઈ હતી. જેના કારણે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના ઈરાદાઓ પર સવાલ ઉઠાવાયા હતા. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ દ્વારા મુસ્લિમો માટેના 4.5 ટકા સબક્વોટાને રદ્દ કરવાના આદેશ પર તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. આ બે ઘટનાઓથી અનામતના રાજકારણની ઓળખ થોડી સ્પષ્ટ થઈ છે. અનામતની બંધારણીય વ્યવસ્થાઓ અને અનામતનું રાજકારણ બે અલગ બાબતો છે.

ભારતીય બંધારણમાં આઝાદીના દશ વર્ષ સુધી એસસી અને એસટી માટે અનામતની વ્યવસ્થા સ્વીકારવામાં આવી હતી. પરંતુ અનામતની જાતિ આધારીત રાજનીતિ એવી ચાલી કે અલગથી ઓબીસી ક્વોટા ઉભા કરાયા. એસસી અને એસટી સમુદાયમાં નહીં આવનારી જાતિઓને પાછલે બારણેથી અનામતનું ગાજર બતાવીને રાજકીય રોટલા શેકવાની રાજનીતિ ભારતમાં લગભગ બે દશકા જેટલા લાંબા સમય સુધી ચાલી. કમજોરને સશક્ત બનાવવા માટે અનામતની વ્યવસ્થા બેશક હોવી જોઈએ. બંધારણમાંની અનામતની જોગવાઈ કોઈપણ હિસાબે અયોગ્ય નથી. પરંતુ તેના પર થતી રાજનીતિ અને તેના અમલીકરણમાં જરૂર કોઈને કોઈ ખામી છે કે જેના કારણે હકીકતમાં શોષિત, વંચિત અને પીડિત વર્ગને કોઈ મોટો ફાયદો થયો નથી.

2004ની લોકસભા ચૂંટણીથી ધર્મના આધારે અનામતનું રાજકારણ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવ્યું. જેમાં સમાજવાદી પાર્ટી અને બીએસપી સહીતના પ્રાદેશિક પક્ષો પણ જોડાયા. યૂપીની વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતદારોને ધ્યાનમાં રાખીને 9 ટકા અને 18 ટકા અનામત આપવાના વચનો પણ અપાયા. અનામતના લાભાર્થી સમાજના ઉપેક્ષિત વર્ગોને મુખ્યપ્રવાહ સાથે જોડવાના માધ્યમ કરતાં રાજકીય પક્ષો અને સરકારો માટે રાજકીય હિતસાધનાનું સાધન અનામત બની ગયું. ઉપેક્ષિત વર્ગના ઉત્થાન માટે અનામત એક માધ્યમ ત્યારે બની શકે કે જ્યારે આ વર્ગના વ્યક્તિને યોગ્ય અવસર ઉપલબ્ધ કરાવવામાં આવે. તાજેતરમાં સંપન્ન આઈઆઈટીની લગભગ દસ હજાર બેઠકો માટેની પ્રવેશ પરીક્ષમાં પાંચ લાખથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સાડા ચાર ટકા અનામતથી તેમાં લઘુમતી સમુદાયના 325 બાળકોને જ મુશ્કેલીથી લાભ મળી શક્યો છે.

આવી જ હાલત નોકરીઓમાં છે. આપણે એ ભૂલવું જોઈએ નહીં કે અનામત સરકારી નોકરીઓ અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ સુધી જ સીમિત છે. સચ્ચર કમિટી અને રંગનાથ મિશ્ર પંચે મુસ્લિમોની ગરીબી અને અસુરક્ષાની ભાવના દૂર કરવા માટે અનામત સિવાય આર્થિક મદદ સહીતની અન્ય ભલામણો પણ કરી હતી. જો કે તેના સંદર્ભે કેન્દ્ર સરકાર વધારે વાત કરવા ઈચ્છતી નથી.

મુસ્લિમોને સબક્વોટાના મામલાને સુપ્રીમ કોર્ટે બંધારણીય મર્યાદાના ઉલ્લંઘન તરીકે જોયું છે. સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે આ અનામત ધાર્મિક આધારે આપવામાં આવ્યું છે અને તેની મંજૂરી બંધારણ આપતું નથી. સરકારના દાવા પ્રમાણે તેમણે વ્યાપક સર્વેને આધારે નિર્ણય કર્યો છે. જો કે ભારતના બહુ થોડા લોકો સાધન-સંપન્ન અને ઘણાં લોકો શોષિત, વંચિત તથા ઉપેક્ષિત છે. ત્યારે સરકારને ખાતરી થઈ ગઈ છે કે ઓબીસી સમુદાયના લોકોની સ્થિતિ હવે વધારે સુધરી હોવાથી તેમના અનામતને ઘટાડી શકાય છે? શું કેન્દ્ર સરકાર રાજકીય લાભ ખાટવા બાકીના 22 ટકા ઓબીસી ક્વોટાને વધારે વિભાજિત નહીં કરવાની ગેરેન્ટી આપશે?

No comments:

Post a Comment