Sunday, August 7, 2011

હિંદુઓએ મુદ્દાઓના તાર્કિક અંત માટેની લડાઈ લડવી પડશે


-આનંદ શુક્લ

હિંદુ જાગી રહ્યો છે, પરંતુ નિષ્ક્રિય બનીને તમામ ઘટના-દુર્ઘટનાને થતી જોઈ રહ્યો છે. મુંબઈમાં તાજેતરમાં બોમ્બ વિસ્ફોટો થયા, વળી પાછા નિર્દોષ લોકોનું લોહી રેડાયું. હિંદુઓએ બળાપો કાઢયો કે સરકાર કંઈ કરતી નથી, હિંદુ સંગઠનો કંઈ કરતા નથી, નેતાઓના પેટનું પાણી હાલતું નથી. પરંતુ હકીકત એ છે કે હિંદુ સમાજ કંઈ કરવા ઈચ્છતો નથી, સમાજના પેટનું પાણી હાલતું નથી. આખો સમાજ મૂઢ બનીને તમામ અત્યાચારો અને દુર્ઘટનાઓને થતી જોઈ રહ્યો છે. તેમને હજી સરકાર, સંગઠનો અને નેતાઓ પર વિશ્વાસ છે. પરંતુ મોટાભાગે તેમનો વિશ્વાસ નઠારા તંત્ર, નકામા સંગઠનો અને નપાવટ નેતાઓને કારણે ઠગારો નીવડે છે. હિંદુઓએ દેશના ભૂતકાળને યાદ રાખવો જોઈએ. તેમની સાથે થયેલા અને થઈ રહેલા છળ-કપટને યાદ રાખવા જોઈએ. પરંતુ દુર્ભાગ્ય એ વાતનું છે કે હિંદુ કંઈ યાદ રાખતો નથી અથવા તો એમ કહો કે હિંદુઓને ઘણી વસ્તુઓ વિસ્મૃત કરાવી દેવામાં નેતા, સંગઠનો અને સરકાર હંમેશા કામિયાબ થાય છે.

બહુ દૂર ન જઈએ તો યાદ કરો કે છેલ્લી એક સદીમાં ચાલેલા કેટલાં આંદોલનો તેના તાર્કિક અંત સુધી પહોંચી શક્યા અને કેટલાં આંદોલનો તાર્કિક અંત સુધી ન પહોંચ્યા? આવા આંદોલનમાં આઝાદીનું આંદોલન મુખ્ય છે. ભારતને આઝાદી મળી, પણ કેવી આઝાદી મળી? ખંડિત અને લોહિયાળ આઝાદી. કહેવામાં આવે છે કે ભારતમાં અહિંસક આંદોલનથી આઝાદી મળી, પરંતુ કેટલીક કહેવાતી લોહિયાળ ક્રાંતિ કરતાં વધારે લોહી ભારતે આઝાદીની ચળવળ વખતે અને આઝાદી વખતે રેડયું છે. આ આઝાદી માટે લડનારા નેતાઓ, સંગઠનોએ કહ્યું હતું કે ભારતને પૂર્ણ આઝાદી મળશે અને ભારત અખંડ રહેશે. પરંતુ ભારતના હિંદુ નેતાઓ અને તે વખતે હિંદુ સંગઠન તરીકે માન્યતા પ્રાપ્ત કોંગ્રેસ ભારતના ભાગલા રોકવામાં નિષ્ફળ ગઈ. મહાત્મા ગાંધી ભારતના લોહીયાળ ભાગલાની પરિસ્થિતિમાં પણ મહાત્મા બનીને વર્તયા. તેના કારણે હિંદુઓને બેફામ પીડા સહન કરવી પડી.

વાત એટલેથી અટકતી નથી, ભારતને ખંડિત આઝાદી તો મળી, પરંતુ તેની સાચી ઓળખ પણ સ્થાપિત થઈ નહીં. ભારતમાંથી છૂટા પડેલા પાકિસ્તાને પોતાને ઈસ્લામિક સ્ટેટ જાહેર કર્યું, પરંતુ ભારતના નેતાઓ અને તે સમયના એકમાત્ર સર્વશક્તિમાન સંગઠન કોંગ્રેસે ભારતના હિંદુઓને ઓળખ વગરનું સેક્યુલર સ્ટેટ આપ્યું. ભારતની આઝાદીની ચળવળ જે રીતે ચાલી અને તેનો જે અંત આવ્યો, તેમાં જે પરિણામ ભારતના હિંદુઓના માથે થોપવામાં આવ્યું, તે જરાપણ તાર્કિક ન હતું. છતાં હિંદુઓ તત્કાલિન સંગઠનો, નેતાઓ અને સરકાર પર પોતાની હિતરક્ષા માટેનો વિશ્વાસ રાખીને બેઠા રહ્યાં.

ત્યાર બાદ સ્વતંત્ર ભારતમાં ગોહત્યા વિરોધી આંદોલન થયું. ગાય હિંદુઓ માટે ધાર્મિક રીતે અતિ પવિત્ર છે. છતાં મુસ્લિમો તેની ખુલ્લેઆમ કતલ કરતાં હતા. આવી સ્થિતિમાં કેટલાંક નેતાઓ અને સંગઠનોએ ગોહત્યાના વિરોધમાં આંદોલન શરૂ કર્યું. દેશ આખો ગોહત્યા વિરોધમાં ઉભો થઈ ગયો. સંસદનો ઘેરાવો થયો, સરકારની અંદરના નેતાઓ પણ ગોહત્યાના વિરોધમાં આંદોલનના સમર્થનમાં સામે આવ્યા. ઈન્દિરા ગાંધી જેવાં શક્તિશાળી વડાપ્રધાનને ગોહત્યા વિરોધી આંદોલનએ માથે તણાવની રેખાઓ પાડી દીધી. પરંતુ ગોહત્યા વિરોધમાં ચાલેલા આંદોલનનો તાર્કિક અંત આવ્યો નહીં. તે વખતે આંદોલન કોઈપણ નક્કર પરિણામ વગર આટોપી લેવાયું. જો કે ભારતમાં કેટલાંક રાજ્યોમાં ગોહત્યા પ્રતિબંધિત કરતાં કાયદા ઘણાં રાજ્યોએ પારિત કર્યા. પરંતુ તેનો કડકાઈથી અમલ થતો નથી. સરકાર હેલ્મેટ પહેરવાના કાયદાના અમલ માટે તમામ શક્તિ લગાવી રહી છે. પોલીસ તંત્ર પણ વાહનચાલકોને હેલ્મેટ પહેરાવા મેદાને પડવા માટે તૈયાર છે. પરંતુ ગોહત્યા પ્રતિબંધક કાયદાના અમલ માટે પોલીસ તંત્ર અને સરકાર, સંગઠનો અને નેતાઓ કોઈ ગંભીર પગલાં ઉઠાવી રહ્યાં નથી. અખબારોમાં ગોહત્યાના સમાચાર અવાર-નવાર વાંચવામાં આવે છે. ત્યારે વાંચીને દુ:ખની લાગણી અવશ્ય થાય છે કે હિંદુ સમાજની સક્રિયતાની ધાક તંત્ર, સરકાર, સંગઠનો અને નેતાઓ પર બિલકુલ નથી, જેને કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે.

આ સિવાય બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ પહેલા આસામ-પ. બંગાળમાં આંદોલનો ચાલ્યા. ત્યારબાદ આખા દેશમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ આંદોલનો થયા. પરંતુ પરિણામ શું આવ્યું? મહાશૂન્ય. વોટની લાલચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેના આંદોલનને તેના તાર્કિક અંત સુધી પહોંચાડવામાં આવ્યું નહીં. બાંગ્લાદેશી ઘૂસણખોરોને બાંગ્લાદેશમાં ખદેડવા માટે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે બાંગ્લાદેશી ઘૂસણખોરોથી દક્ષિણ આસામ અને પ. બંગાળના સરહદી જિલ્લાઓ વસ્તીથી ઉભરાઈ રહ્યાં છે. મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવાં ભારતના અન્ય શહેરોમાં બાંગ્લાદેશીઓની મોટી વસાહતો છે. જે લોકો બાંગ્લાદેશીઓ વિરુદ્ધ આંદોલન કરતાં હતા, તેઓ સત્તા પર આવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આ આંદોલનનો તાર્કિક અંત સત્તા સુધી પહોંચવાનો એક વળાંક પાર કરવા સુધીનો સાબિત થયો છે. આ બાબત હિંદુ સમાજ સામે છેતરપિંડી નથી? હિંદુ સમાજે તેમની સામે કેવી રીતે વર્તવું જોઈએ?

આ સિવાય કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની વાત, સમાન નાગરીક ધારો અને રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરની સ્થાપનાના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ પર છેડાયેલા આંદોલનનો શું હાલ થયો છે, તે તો આપણી સામે છે. આ આંદોલનો સત્તા પ્રાપ્તિ થયા બાદ બંધ કરી દેવામાં આવ્યા અને મુદ્દાઓને કોલ્ડબોક્ષના મ્યુઝિયમમાં સજાવીને રાખવામાં આવ્યા છે. હિંદુઓએ એમ વિચારી લીધું કે સમાજ અને રાષ્ટ્ર હિતના મુદ્દાઓ નેતાઓ, સંગઠનો અને સરકારે પોતાને હસ્તગત લીધા છે, માટે પોતે શાંતિથી ઉંઘી શકશે. પરંતુ તેમનો વિશ્વાસ ઠગારો નિવડયો. કારણ કે હિંદુઓએ સમાજ તરીકે, વ્યક્તિ તરીકે પોતાની સક્રિયતા ગુમાવી દીધી. તેને કારણે સત્તાની દુકાન પર બેઠેલા તમામ બેફિકર બનીને વર્તવા લાગ્યા.

હિંદુ સમાજે આ તમામ બાબતોનો હિસાબ લેવાનો વખત આવી ગયો છે. આતંકવાદ, નક્સલવાદ, લઘુમતી તુષ્ટિકરણના મુદ્દાઓ સામે પણ ચલાવવામાં આવેલા અભિયાનો ઉધામા સાબિત થયા છે. કારણ કે આ અભિયાન ચલાવનારાઓ પર હિંદુ સમાજને વિશ્વાસ ન નથી અને પોતે વ્યક્તિ તથા સમાજ તરીકે સક્રિય થવા માગતો નથી. પરંતુ હકીકત એ છે કે જે ખુદની મદદ કરે છે, તેને ઈશ્વર મદદ કરે છે, બાકીના ઈશ્વર સહાય વગરના જ રહે છે. શ્રીમદ ભગવદ ગીતાના એક શ્લોકને વારંવાર યાદ કરવામાં આવે છે-

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥७॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥८॥

એટલે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થવા લાગે છે અને અધર્મ વધવા લાગે છે, ત્યારે ત્યાર હું પોતે જન્મ લવું છું. સજ્જનોની રક્ષા અને દુષ્ટોનો વિનાશ અને ધર્મની પુનર્સ્થાપના માટે હું જુદાંજુદાં યુગોમાં અવતરિત થવું છું.
આ મહાન ગ્રંથરૂપે કૃષ્ણની વાણી પર હિંદુઓનો વિશ્વાસ હોવો સ્વાભાવિક છે. પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે દરેક જીવ શિવનો અંશ છે, માટે દરેક મનુષ્યમાં પણ ઈશ્વરીય અંશ છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થવા લાગે છે અને અધર્મ વધવા લાગે છે, ત્યારે ત્યારે મનુષ્યમાં રહેલો ઈશ્વરનો અંશ પ્રભાવી બનવો જોઈએ અને તે વ્યક્તિ જ ઈશ્વર તરીકે વર્તીને દુષ્ટોનો વિનાશ અને ધર્મની પુનર્સ્થાપના કરવાની વૃતિ પોતાનામાં અવતરિત કરીને ઈશ્વરનો પ્રાદૂર્ભાવ કરી શકે છે. પરંતુ આવું કેટલાં હિંદુ કરવા માટેની તૈયારી રાખી રહ્યાં છે? ધર્મની રક્ષા કરો, તે તમારી રક્ષા કરશે- धर्मो रक्षति रक्षितः

પરંતુ આપણામાંથી કેટલાં ધર્મની સાચા અર્થમાં રક્ષા કરી શક્યા છે? જો ધર્મની સાચા અર્થમાં રક્ષા થઈ હોત, તો તે આપણી રક્ષા કરત અને આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનશનના તાયફા કરવા પડયા ન હોત. એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે દરેક હિંદુ દેવી-દેવતાના હાથમાં શસ્ત્ર અને શાસ્ત્ર બને છે. શાસ્ત્ર ધર્મ સમજાવા માટે છે અને શસ્ત્ર ધર્મનો અનાદર કરનારને સમજાવા માટે છે. આ કામ દરેક દેવી-દેવતાએ ખુદ કર્યું છે. ત્યારે જ તો તે દેવી-દેવતા બન્યા છે. ત્યારે હિંદુએ વ્યક્તિ તરીકે મજબૂત બનીને સામે આવવું પડશે. પોતાની ખુદની રક્ષા માટે ખુદના સિવાય અન્ય કોઈ પર આધાર રાખવાનું બંધ કરવું પડશે. આતંકવાદીના બોમ્બ-ગોળાથી બચવા, પોતાની ગાય બચાવવા, બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભગાડવા, કાશ્મીરની સમસ્યાના ઉકેલ માટે, સમાન નાગરીક ધારા માટે, રામજન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટે, મુસ્લિમ તુષ્ટિકરણના રાજકારણને ડામવા માટે હિંદુઓએ ખુદ કોઈ સંગઠન, નેતા કે સરકારને ભરોસે રહ્યાં વગર મેદાનમાં આવવું પડશે. કારણ કે સરકારો, નેતાઓ અને સંગઠનો તો આવશે અને જશે, પરંતુ જો હિંદુઓએ ભારતને જીવંત રાખવું હશે, તો સ્વયં પોતાના મુદ્દાઓ માટે પરિસ્થિતિ પ્રમાણેની રણનીતિથી લડવું પડશે. હિંદુઓએ પોતાની લડતમાં સાચા તાર્કિક અંત સુધી પહોંચવું પડશે. આ સાચો તાર્કિક અંત એ છે કે હિંદુઓએ ભારતને તેની ઓળખ અક્ષુણ્ણપણે પાછી આપવી. શું તમે હિંદુ ભાઈઓ અને બહેનો ભારતને તેની અક્ષુણ્ણ ઓળખ પાછી અપાવવા માટે તૈયાર છો?

No comments:

Post a Comment