Friday, August 19, 2011

અન્ના દૂરનું જોવો છો, આજુબાજુમાં પણ જોવો


- આનંદ શુક્લ

અન્ના હજારે દૂરનું ઘણું જોવે છે. તેમને દેશમાં ઉપરથી નીચે સુધીના ભ્રષ્ટાચારને દૂર કરવો છે. મિશન ખૂબ જ પ્રશંસનીય છે. તેઓ ખૂબ દૂરનું જોઈ શકે છે. તેમના માનવા પ્રમાણે, તેમની સિવિલ સોસાયટીએ બનાવેલું જનલોકપાલ બિલ પારીત કરી દેવામાં આવશે, તો 60-65 ટકા ભ્રષ્ટાચારનો ખાતમો બોલી જશે. પણ પછી ચિંતા 35-40 ટકા ભ્રષ્ટાચારની તો કરવી જ પડશે. તેના માટે અન્ના હજારેએ બીજી આઝાદીની લડાઈ અને હવે ક્રાંતિની વાત પણ કરી છે. અન્નાની દ્રષ્ટિ ઘણી વિશાળ છે અને મિશન ઘણું બધું પ્રશંસનીય છે.

અન્ના હજારેએ જાહેરાત કરી છે કે તેમના મંચ પર કોઈ રાજકીય વ્યક્તિઓને આવવા દેવામાં આવશે નહીં. અરે, વિદેશમાંથી કાળાધન અને ભ્રષ્ટાચારના મુદ્દે અનશન કરનારા યોગગુરુ બાબા રામદેવને પણ પોતાના મંચ પર નહીં આવવા દેવાની જાહેરાત અન્ના અને તેમની ટીમ કરી ચુકી છે. પરંતુ તેની સામે હકીકત એ છે કે ટીમ અન્નાએ લાલકૃષ્ણ અડવાણી, નીતિશ કુમાર સહીતના રાજકારણીઓને જનલોકપાલ મુદ્દે સમર્થન મેળવવા માટે સંપર્ક કર્યો છે.

અન્ના સાથે અગ્નિવેશ, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, મેધા પાટકર, મલ્લિકા સારાભાઈ, મનિષ સિસોદીયા, પ્રશાંત ભૂષણ, શાંતિભૂષણ, સંતોષ હેગડે જેવાં લોકો છે. જરા આમાના કેટલાંકની પૃષ્ઠભૂમિ તપાસવા જેવી છે. અગ્નિવેશ ભગવા વસ્ત્રો પહેરે છે. તેઓ આર્ય સમાજી છે. પરંતુ તેમની માઓવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ અદભૂત છે. તેઓ સરકાર તરફથી માઓવાદીઓ સાથે વાતચીત કરે છે. માઓવાદી આઝાદના એન્કાઉન્ટર સામે એસઆઈટીની માગણી કરે છે. તેઓ છત્તીસગઢમાં માઓવાદીઓને લાલ સલામ કરી આવે છે. તો કાશ્મીરના અલગતાવાદીઓ સૈયદ અલી શાહ ગિલાની સાથે તેમને અત્યંત પ્રેમ છે. તેઓ શ્રીનગરમાં જઈને અલગતાવાદીઓને પણ આશિર્વાદ આપી આવે છે. તેઓ શ્રીનગરમાં પવિત્ર અમરનાથ યાત્રાને તૂત અને અમરનાથના શિવલિંગને બરફનો ઢગલો કહી આવે છે. આ વ્યક્તિને અમદાવાદમાં આ મુદ્દે થપ્પડનો પણ સામનો કરવો પડયો છે. આ સિવાય છત્તીસગઢમાં ઈંડા-ટામેટાનો વરસાદ તો એક-બે વખત પામી ચુકયા છે. ગુજરાતના વિકાસના અન્નાએ વખાણ કર્યા હતા, ત્યારે અગ્નિવેશે અન્નાનું નિવેદન પાછું ખેંચાવાની વાત કરી હતી. તેના માટે તેઓ અઠવાડિયું ગુજરાતમાં ધામા નાખીને અન્નાને ગુજરાતના વિકાસ વિરોધી નિવેદનો પણ કરાવી ગયા છે. ગુજરાતમાં ગોટાળા જ ગોટાળા છે અને અહીં દૂધ નહીં દારૂની નદીઓ વહે છે-એવા આત્યાંતિક નિવેદનો અન્ના પાસે કરાવવામાં અગ્નિવેશ અને મલ્લિકા સારાભાઈ જેવાં ગુજરાતના વિકાસના ઘોર વિરોધીઓ સફળ થયા છે.

આ સિવાય મેધા પાટકર પણ અન્નાના આંદોલનમાં ખૂબ ચમકતા તારા જેવાં છે. મેધા પાટકર સંદર્ભે ગુજરાતની જનતાને આમ તો પરીચયની કોઈ જરૂરત નથી. પરંતુ મેધા પાટકરે ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પરની સરદાર સરોવર યોજનાનો ભરપૂર વિરોધ કર્યો હતો. તેમણે નર્મદા યોજનાનો નહીં, પણ ગુજરાતના વિકાસનો વિરોધ કર્યો હતો. મેધા પાટકરને તેમના આ ગુના બદલ ગુજરાતની જનતા ક્યારેય માફ કરી શકે તેમ નથી.

મલ્લિકા સારાભાઈ પણ એક આવું જ નામ છે. ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ અને તેના પછીની ઘટનાઓમાં મલ્લિકા સારાભાઈએ ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું. તેમની આ ભૂમિકા પ્રત્યે ગુજરાતના લોકોને પુરતો અણગમો છે. પોતાની સેક્યુલર છબી ચમકાવા માટે ગુજરાતના હિતોને ઠેસ પહોંચાડવાથી પરહેજ ન કરનાર મલ્લિકા સારાભાઈએ અન્ના હજારેની ગુજરાત યાત્રામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. અન્ના હજારેએ તેમના અને અગ્નિવેશના બતાવેલા ગુજરાતને જોયું હતું. ત્યાર બાદ અન્નાએ પોતાના પહેલાના નિવેદનને મીડિયાના આધારે કરાયેલું નિવેદન ગણાવીને નવું નિવેદન કર્યું હતું.

આ સિવાય 2002ના રમખાણો દરમિયાન હર્ષ મંડરે પણ ગુજરાતના હિતોને નુકસાન પહોંચાડતી વાતો કરીને ગુજરાતને બદનામ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. અન્નાની ટીમમાં હર્ષ મંડર સાથે સારા સંબંધો ધરાવનારા અરવિંદ કેજરીવાલ સહીતના લોકો પણ સામેલ છે. આ સિવાય પ્રશાંત ભૂષણ ડાબેરી વિચારધારા ધરાવનારા અને ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓના કેસ લડનારા વકીલ છે. એપ્રિલ માસના અનશન દરમિયાન એક મહીલા ડાબેરી નેતાને અન્નાના મંચ પર કેટલાંક એનજીઓ એક્ટિવિસ્ટોએ આમંત્ર્યા હતા અને ત્યાર બાદ થોડી ક્ષણોમાં તેમને ધક્કે પણ ચઢાવ્યા હતા. ડાબેરી વિદ્યાર્થી સંગઠને કપિલ સિબ્બલના એક કાર્યક્રમમાં કાળા વાવટા પણ દેખાડયા હતા.

ત્યારે અન્ના એક ખૂબ સારું મિશન લઈને આગળ વધી રહ્યાં છે. પરંતુ તેઓ તેમની આસપાસમાં એક એવી ટોળકીથી ઘેરાઈ ગયા છે કે જે માઓવાદીઓ સંદર્ભે સહાનુભૂતિ રાખે છે, આતંકવાદ સંદર્ભે મુંગી રહે છે, કાશ્મીરના અલગતાવાદીઓ સાથે સારા સંબંધો ધરાવે છે, અમરનાથના શિવલિંગ સંદર્ભે વાંધાજનક ટિપ્પણીઓ કરે છે, ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે, ગુજરાતના વિકાસના વિરોધી છે. તો બીજી તરફ બાબા રામદેવના અનશનમાં આરએસએસે સાથ આપ્યો હતો અને તેમના મંચ પર સાધ્વી ઋતંભરા બેઠાં હતાં તેટલા માત્રથી અન્ના બાબા રામદેવને શરતોને આધારે જ મંચ પર આવવા દેવાનું કહી ચુક્યા છે. ત્યારે સવાલ એ છે કે અન્ના હિંદુત્વવાદીઓ, રાષ્ટ્રવાદીઓ અને ભગવાધારીઓ માટે આવો અભિગમ કેમ રાખે છે? તેઓ પણ આ દેશના નાગરીકો છે અને તેમને પણ ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાં અન્નાને સાથ આપવાનો અધિકાર નથી?

No comments:

Post a Comment