Wednesday, August 31, 2011

ફાંસીની સજા પર નિર્લજ્જ રાજકારણ!


-આનંદ શુક્લ

રાજ્યનું ગુનેગારો પ્રત્યે નરમ વલણ ગુનાઓની તીવ્રતા અને સંખ્યામાં વધારો કરે છે. આ પ્રકારનો અહેસાસ ભારતને વર્ષોથી થઈ રહ્યો છે. સંસદ પર હુમલાની સજા ફાંસી છે, ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનીહત્યાની સજા ફાંસી છે, પંજાબમાં આતંકવાદી હત્યાઓની સજા ફાંસી છે. પરંતુ દેશનું કમભાગ્ય છે કે રાષ્ટ્રીય અને પ્રાદેશિક કારણોને કારણે આવા ગુનેગારોની ફાંસીની સજા પર નિર્લજ્જ રાજકારણ ખેલાય છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ત્રણ હત્યારાઓની દયા અરજી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે કેટલાંક દિવસ પહેલા ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાજીવના હત્યારાઓને ફાંસી આપવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. પરંતુ મદ્રાસ હાઈકોર્ટે કેટલીક બાબતોને આધારે હત્યારાઓની ફાંસીની સજાને હાલપૂરતી આઠ સપ્તાહ માટે થંભાવી દીધી છે. કોર્ટે સવાલ કર્યો છે કે ગુનેગારોની દયા અરજી પર નિર્ણય કરવામાં 11 વર્ષોનો લાંબો સમય કેમ લાગ્યો?

જસ્ટિસ સી. નાગપ્પન અને જસ્ટિસ એમ. સત્યનારાયણનની ખંડપીઠે મામલાને કાયદા સામે એક પ્રશ્ન ગણાવ્યો છે. વાસ્તવમાં ત્રણેય ગુનેગારો જેલમાં 20 વર્ષની સજા કાપી ચુક્યા છે. તેવામાં ઘણાં લોકો સવાલ કરે છે કે શું આટલી લાંબી સજા કાપ્યા બાદ પણ ફાંસી આપવી યોગ્ય છે? આ તમામ ઘટનાક્રમ વચ્ચે તમિલ રાજકારણના સમીકરણોને કારણે તમિલનાડુની વિધાનસભાએ ફાંસીની સજા ઓછી કરવા માટે એક ઠરાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવ રાજ્યના લોકોની ભાવનાત્મક અપીલના નામે કરવામાં આવ્યો હતો. તેમા રાષ્ટ્રપતિને ફાંસીની સજા સંદર્ભે પુનર્વિચાર કરવાની અપીલ કરવામાં આવી છે. જો કે વિધાનસભાનો ઠરાવ કોઈને બાધ્યકારી નથી.

રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીની સજા ઓછી કરવાની અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવાને કારણે દક્ષિણ ભારતમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. આજે દેશમાં દરેક સંવેદનશીલ મુદ્દા પર રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશ થઈ રહી છે. તમિલ રાજકારણને કારણે તમિલનાડુના ઘણાં નેતા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીને આજીવન કેદમાં ફેરવવાની માગણી કરી રહ્યા છે. મામલો ચાહે પંજાબમાં દેવિંદરપાલ સિંહ ભુલ્લરનો હોય કે દક્ષિણમાં રાજીવના હત્યારા મુરુગન, પેરારિવલન અને સંતનનો, ફાંસીની સજાને ઉંમરકેદમાં ફેરવવાની માગણી કરવા પાછળ રાજકીય પક્ષોનો ઉદેશ્ય પ્રાદેશિક મતદારોની સહાનુભૂતિ હાસિલ કરીને પોતાની રાજકીય જમીન મજબૂત કરવાનો છે.

રાજકીય સાંકડાપણું પ્રાદેશિકતાને કારણે તેજ બન્યું છે. પહેલા તો કેટલાંક સ્થાનિક સંગઠનો જ રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી આપવાનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે મામલાએ આગ પકડી, તો કોંગ્રેસના સહયોગી અને તમિલ રાજકારણને હવા આપનારું ડીએમકે પણ તેમા સામેલ થઈ ગયું. જયલલિતા એક પગલું આગળ વધીને કેન્દ્ર સરકારને અપીલ કરી કે જો આ હત્યારાઓની ફાંસીની સજા ઉંમરકેદમાં ફેરવી દેવામાં આવશે, તો તમિલ લોકો ખુશ થશે. આ પ્રકારની કવાયતોથી રાજકીય પક્ષો રાજ્યના લોકોની ભાવનાઓ ભડકાવાની વધારે કોશિશ કરી રહ્યાં છે.

તમિલનાડુની રાજનીતિ શ્રીલંકામાં તમિલ સંગઠન એલટીટીઈની હાર બાદ સંપૂર્ણપણે બદલાઈ ચુકી છે. જો ત્રણેય ગુનેગારોને ફાંસી આપી દેવામાં આવે, તો પણ કોઈ મોટી રાજકીય ઉથલ-પાથલ થવાની નથી. આ સમગ્ર ઘટનાની ચર્ચા નાના સ્તરે જ થાત. કેટલાંક સમય પહેલા પંજાબના રહેવાસી ભુલ્લરની ફાંસીની સજા આપવાનો વિરોધ તેના પંજાબી હોવાના નાતે કરવામાં આવ્યો હતો. તેની પહેલ કેટલાક રાજકીય-બિનરાજકીય સંગઠનો સાથે ખુદ પંજાબ સરકારે પણ કરી હતી. આ પહેલા સંસદ પર હુમલાના ગુનેગાર કાશ્મીરી આતંકવાદી અફઝલ ગુરુની ફાંસીની સજા પર પણ લાંબુ રાજકારણ ચાલી રહ્યું છે. અફઝલને ફાંસી ન આપવાની માગણી સાથે દલીલ કરવામાં આવે છે કે આવું કરવાથી જમ્મુ-કાશ્મીર રાજ્યની પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. દિલ્હી સરકાર, ગૃહ મંત્રાલયની મિલીભગતથી અફઝલ ગુરુને ફાંસીની સજા સંદર્ભેની ફાઈલ વર્ષો સુધી દબાવી રાખવામાં આવી હતી. હવે તે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાઈ છે.

ત્યારે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તમિલનાડુની વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવ સંદર્ભે ટ્વિટ કરીને રાજકીય પાંસો ફેંક્યો છે. તેમણે ટ્વિટ કર્યું છે કે- જો જમ્મુ-કાશ્મીર વિધાનસભા તમિલનાડુ જેવો જ પ્રસ્તાવ અફઝલ ગુરુના મામલામાં પસાર કરત, તો શું આવી જ ચુપકીદીવાળી પ્રતિક્રિયા રહેત? મને લાગે છે કે નહીં. આમ ટ્વિટ કરીને તેમણે પણ અફઝલ ગુરુની પેરવી કરવાનો પ્રયત્ન કરીને ઘણો મોટો રાજકીય દાવ ખેલીને સમગ્ર મામલાને ધાર્મિક એન્ગલ આપવાનો પ્રયત્ન કર્યો છે.

ભારતમાં 2004 બાદથી કોઈને પણ ફાંસીની સજા આપવામાં આવી નથી. આ વર્ષોમાં 28 દયા અરજીઓ રાષ્ટ્રપતિ સામે મૂકવામાં આવી. લાંબા સમય સુધી તેના પર નિર્ણય થઈ શક્યો નહીં. પરંતુ બાદમાં સક્રિયતા દેખાડતા રાષ્ટ્રપતિએ રાજીવ ગાંધી હત્યાકાંડમાં ફાંસીની સજા પામેલા પ્રતિબંધિત તમિલ સંગઠન એલટીટીઈના ત્રણ સભ્યો સિવાય ભુલ્લરની દયા અરજી ફગાવી દીધી છે.
ફાંસીની સજા કઠોરતમ સજા છે. ઘણાં દેશોએ ફાંસીની સજા સમાપ્ત કરી દીધી છે. જો કે ઘણાં દેશોએ તેને ફરીથી બહાલ પણ કરી છે. ઘણાં વિચારકો પણ ફાંસીની સજાનું સમર્થન કરે છે. જ્યારે માનવાધિકાર કાર્યકર્તાઓ તેને ખતમ કરવા માટે અભિયાન ચલાવી રહ્યાં છે. ભારતમાં ફાંસીની સજા રેરેસ્ટ ઓફથી રેર કેસમાં આપવામાં આવે છે. ભારતીય બંધારણ નિર્માતાઓએ કાયદાની યોગ્ય પ્રક્રિયાની જગ્યાએ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો ઉપયોગ કર્યો છે. ભારતમાં કોર્ટને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની જોગવાઈ હેઠળ ઘણી શક્તિ મળી છે. ફાંસી આપવામાં વિલંબ તેને આજીવન કેદમાં ફેરવવા માટેનો એક આધાર છે.

1983માં હાઈકોર્ટની એક ખંડપીઠે બાથિશ્વરન મામલામાં ચુકાદો આપ્યો હતો કે ફાંસી આપવામાં બે વર્ષથી વધારે વિલંબ થવાથી તે પોતાની મેળે આજીવન કેદમાં પરિવર્તિત થઈ જશે. કાયદાની જોગવાઈઓનો છટકબારી તરીકે ઉપયોગ કરીને રાજીવ ગાંધી હત્યાકાંડના કેસને જેમ જોવામાં આવી રહ્યો છે, તેવી રીતે અફઝલ ગુરુની દયા અરજીના રદ્દ થવાની સ્થિતિમાં કોઈને કોઈ પક્ષ રાજકીય ફાયદા માટે વિલંબને આધાર બનાવીને ફાંસીને આજીવન કેદમાં બદલવાની અરજી દાખલ કરી દેશે.

તમિલનાડુમાં વિપક્ષ ડીએમકે પ્રચારીત કરી રહ્યો છે કે રાજીવ ગાંધી હત્યાકાંડના ત્રણેય ગુનેગારોના જીવ મુખ્યમંત્રી જયલલિતાની ઈચ્છાશક્તિ પર નિર્ભર થઈ ગયા છે. તેનાથી ક્યાંકને ક્યાંક તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની છબીને કમજોર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કારણ છે કે રાજીવ ગાંધીના હત્યારાઓને તમિલવાદનું પ્રતીક બનાવવાની પૂરજોર કોશિશો થઈ રહી છે. રાજકારણનું આ સ્વરૂપ બેહદ ખતરનાક છે. આ રાજનીતિનું નીચામાં નીચું સ્તર છે. ફાંસીની સજા માફ થાય કે બહાલ થાય, પણ એવું પ્રતિપાદિત થવું કે હત્યારાઓને રાજકીય લાભને કારણે બચાવવામાં આવી રહ્યા છે, તો તે બેહદ ખતરનાક સ્થિતિ પેદા કરશે. આવા રાજકીય ઉધામાથી લાગે છે કે રાજકીય પક્ષોને રાષ્ટ્રીય હિતો અને બંધારણીય મૂલ્યોની કોઈ પરવાહ નથી. ફાંસી પર રાજકારણ રમી રહેલા રાજકારણીઓને જનતા તરફથી સ્પષ્ટ સંદેશ મળવો જોઈએ કે જાતિ, ક્ષેત્ર અને ધર્મના નામે આવી રાજનીતિ યોગ્ય નથી. આ દેશના રાજકીય ભવિષ્ય સંદર્ભે સારા સંકેતો નથી.

No comments:

Post a Comment