Thursday, August 4, 2011

કોમવાદના બહાને હિંદુઓને ગુનેગાર ઠેરવતું શેતાની બિલ!


- આનંદ શુક્લ

કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિની પરાકાષ્ઠા જોવા મળી રહી છે. પહેલા સચ્ચર સમિતિના રિપોર્ટ હેઠળ ભારતમાં મુસ્લિમોની પરિસ્થિતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કરતાં પણ ખરાબ હોવાનું સર્ટિફિકેટ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે અપાવ્યું. ત્યાર બાદ રંગનાથ મિશ્ર પંચના અહેવાલ હેઠળ મુસ્લિમ અને અન્ય લઘુમતીઓને તેમની સ્થિતિ સુધારવા માટે શિક્ષણ અને નોકરીઓમાં 15 ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી. આ દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો હોવાની વાત વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ ભૂતકાળમાં બોલી ચુક્યા છે, તેમણે પંદર સૂત્રીય કાર્યક્રમ પણ લાગુ કરાવી દીધો છે. પરંતુ આ દેશની કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારની મુસ્લિમ પરસ્તી આટલેથી અટકતી નથી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વડપણ નીચેની નેશનલ એડવાઈઝરી કમિટી (રાષ્ટ્રીય સલાહકાર સમિતિ) નેશનલ ઔરંગઝેબ કમિટી બનીને વર્તી રહી છે. આ કમિટીએ કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા નિવારણ વિધેયક-2011 બનાવ્યો છે. આ બિલનો મુસદ્દો ઘડવામાં એ વાતની ચિવટ રાખવામાં આવી છે કે કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા-હુલ્લડો માટે માત્ર બહુમતી હિંદુઓ જ ગુનેગાર હોઈ શકે, જ્યારે મુસ્લિમ-ખ્રિસ્તી અને અન્ય લઘુમતીઓ પીડિત જ હોઈ શકે. કોંગ્રેસની મુસ્લિમ પરસ્ત રાજનીતિની ધાર વધુ તીખી કરનારા આ બિલને બનાવવામાં જે લોકોની સમિતિ હતી, તે ઘોર હિંદુ વિરોધી, નેહરુ-ગાંધી પરિવારના ભક્તો અને ઢોંગી સેક્યુલારિસ્ટોની લોબી છે. એનએસીની કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા નિવારણ વિધેયક-2011 બનાવનારી સમિતિમાં હર્ષ મંડર, ફરહ નકવી, ગોપાલ સુબ્રમણ્યમ, માજા દારુવાલા, નજમ બાજિરી, પી. આઈ. જોસ, તીસ્તા સીતલવાડ, ઉષા રાનાથન અને વૃંદા ગ્રોવરનો સમાવેશ થાય છે.

દેશના પંથનિરપેક્ષ હિંદુઓ પર જનોઈવઢ ઘા કરનારા આ બિલને કાયદાના નિષ્ણાતો ટાડા કરતાં પણ વધારે ખતરનાક ગણાવી રહ્યાં છે. તેમના મતે આ બિલથી દેશના પંથનિરપેક્ષ તાણાં-વાણા અને સંઘીય માળખાને ગંભીર જોખમ છે. આ કાયદાનો મુસદ્દો વાંચ્યા બાદ કોઈને પણ એવું લાગે કે સોનિયા ગાંધીના વડપણવાળી એનએસી પોતાના શેતાની બિલ દ્વારા દેશના કોમી સૌહાર્દને નષ્ટ-ભ્રષ્ટ કરવાનું બંધારણ વિરોધી ષડયંત્ર કરી ચુક્યા છે. આ બિલ કેન્દ્ર સરકારને રાજ્યોના મામલાઓમાં હસ્તક્ષેપના નવા-નવા બહાના ઉપલબ્ધ કરવાનો કારસો છે.

ભારતમાં કોમી રમખાણો માત્ર હિંદુઓ કરે છે અને મુસ્લિમો-ખ્રિસ્તીઓનો કોઈપણ વાંક ન હોવાની થિયરી પર બિલનું ઘડતર થયું છે. આ દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 28માં બહુમતી હિંદુઓને કોમવાદી હિંસા માટે જવાબદાર ગણાવાની વાત સોનિયા એન્ડ કંપનીએ ઘડેલા બિલમાં કરવામાં આવી છે. આ બિલની જોગવાઈ પ્રમાણે, કોમવાદી હિંસા અને કોમવાદી દુર્ભાવના માટે માત્ર હિંદુઓ પર જ કેસ ચાલશે, માત્ર હિંદુઓને જ દોષિત માનવામાં આવશે અને સજા માત્ર હિંદુઓને જ મળશે. જાણે કે હિંદુ હોવું આ દેશમાં મોટો ગુનો હોય! મુસદ્દામાં સૌથી મોટી શરારત સમૂહ શબ્દની પરિભાષામાં કરવામાં આવી છે. સમૂહનો અર્થ ભારતના કોઈ રાજ્યમાં ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતી અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિથી છે. આ હિંદુ વિરોધી શરારતથી મોટાભાગના રાજ્યોમાં બહુમતીમાં રહેલા હિંદુઓ સમૂહની મર્યાદામાં આવશે નહીં. હિંદુઓ કોમવાદી હિંસા નિવારક કાયદા હેઠળ કોઈ સંરક્ષણ મેળવી શકશે નહીં, પછી તેઓ ભલે મુસ્લિમ કે ખ્રિસ્તી કોમવાદ, ઘૃણા અને હિંસાનો શિકાર હોય.

ઉદાહરણ તરીકે જો ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બાને બાળી નાખવાની ઘટના વખતે આ કાયદો હોત, તો ગોધરાકાંડની ઘટના માટે હિંદુઓની હત્યા બદલ ફરીયાદ થઈ શકી ન હોત. પરંતુ ગોધરાકાંડ બાદ થયેલા કોમી રમખાણોની ઘટનામાં સાંપ્રદાયિક હિંસા નિવારક બિલની જોગવાઈઓનો ઉપયોગ કરી શકાત. બોલો છે ને, કોંગ્રેસી ન્યાય? તમે વિચારો કે પીડિતો વચ્ચે ધર્મ-જાતિ-ભાષા-વર્ગના આધારે ભેદભાવ કરવો કેટલો વ્યાજબી છે? આ બિલ કોમવાદી હિંસાના શિકાર હિંદુઓને બીજા દરજ્જાના નાગરીક તરીકે જોવાની તંત્રને ફરજ પાડશે.

પ્રસ્તાવિત કાયદાના મુસદ્દા પ્રમાણે, પીડિતની વ્યાખ્યામાં લઘુમતી એટલે કે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના સભ્ય તરીકે કરવામાં આવી છે. પીડિત મુસ્લિમ કે ખ્રિસ્તી એટલે કોમવાદી હિંસામાં શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, આર્થિક નુકસાન પહોંચ્યું હોય અથવા તેની સંપત્તિને નુકસાન થયું હોય. તેની મર્યાદામાં તેના સંબંધી, કાયદેસરના વાલી અને ઉત્તરાધિકારીનો પણ સમાવેશ થઈ જાય છે. લઘુમતી સમુદાયનો વ્યક્તિ હિંદુ પર મનોવૈજ્ઞાનિક નુકસાનનો ખોટો આરોપ લગાવે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. આ બિલ કાયદો બને, તો કોઈપણ ગુમનામ મુસ્લિમ અથવા અન્ય લઘુમતી ફરીયાદકર્તા કોમવાદી ઘૃણા ભડકાવવા માટે કોઈ હિંદુ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી શકે છે અને પોલીસ આને એક બિનજામીનપાત્ર ગુનો ગણીને ફરીયાદીની ઓળખ જાહેર કર્યા વગર આરોપી હિંદુની ધરપકડ કરશે અને આરોપી તરીકે પકડાયેલા હિંદુને ત્યાં સુધી દોષિત માની લેવાશે કે જ્યાં સુધી તે પોતાની જાતને નિર્દોષ સાબિત ન કરે. આ એક ગેરબંધારણીય બાબત છે. કારણકે ભારતમાં પ્રવર્તી રહેલા મોટાભાગના કાયદામાં આરોપીને દોષિત સાબિત કરવાની જવાબદારી ફરીયાદીના સિરે રહેલી છે. આવા મામલાઓને એસસી અને એસટી સામેની એટ્રોસિટીને સમાંતર ચલાવવામાં આવશે.

આ વાત આટલેથી અટકતી નથી હિંદુઓને અસભ્ય મૂર્તિપૂજકો અને કાફિર કહેનારા ખ્રિસ્તી-મુસ્લિમો હિંદુ દેવી-દેવતાના અપમાન કરશે, તો પણ તેમને ભારતીય બંધારણ દ્વારા હંમેશા નિર્દોષ ગણાવાશે. હિંદુ દેવી-દેવતા અને ભારતમાતાને નગ્ન ચિતરનારા ચિતારા મકબૂલ ફિદા હુસેનનો કિસ્સો હજીપણ લોકોની સામે છે. મકબૂલ ફિદા હુસેનનું ભલે અવસાન થયું, પણ આ કાયદાથી નવા મકબૂલ ફિદા હુસેનો ફૂટી નીકળે તો નવાઈ પામવા જેવું નથી. આ સિવાય હુલ્લડો દરમિયાન હિંદુ મહિલાઓ પર બળાત્કાર કે જાતિય અત્યાચારની ઘટના બનશે, તો તેના માટે હિંદુઓ આ બિલની જોગવાઈ પ્રમાણે ફરીયાદ નોંધાવી શકશે નહીં. જાતિય શોષણ અને જાતિય ગુનાના મામલા પણ માત્ર અને માત્ર મુસ્લિમો હિંદુઓ વિરુદ્ધ દાખલ કરાવી શકશે. હિંદુઓને બિલની જોગવાઈ પ્રમાણે તથાકથિત ગુના માટે બે વખત અલગ-અલગ કાયદા હેઠળ દંડિત કરાશે.

આ બિલ પોલીસ અને સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ આતંકવાદીઓ અને આઈએસઆઈની જેમ વર્તશે. મુસ્લિમો-ખ્રિસ્તીઓ વિરુદ્ધ હુલ્લડો દરમિયાન સુરક્ષાદળો પ્રભાવી ઢંગથી કામ કરી સ્થિતિ પર નિયંત્રણ નહીં કરે તો તેમની વિરુદ્ધ મુખ્ય આપરાધિક કલમો પ્રમાણે કેસ ચાલશે. આ બિલ મુસ્લિમ-ખ્રિસ્તી તરફી સ્પષ્ટ ઝુકાવવાળું, કેન્દ્ર અને રાજ્યોમાં અફસરશાહી નિર્મિત કરનારું અને કેન્દ્ર-રાજ્યના સંબંધો પર નકારાત્મક અસર ઉભી કરનારું છે. કોમી હિંસાને આંતરીક ઉપદ્રવ ગણીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને બરખાસ્ત કરીને જે-તે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરી શકે તેવી પણ જોગવાઈ છે. એટલે કે કેન્દ્રમાં સત્તા પર રહેલી પાર્ટીને કોઈ રાજ્યની સરકારને ગબડાવી હશે, તો ત્યાં કોમી રમખાણો કરાવીને તેઓ તેમ કરી શકશે! (ભારતના રાજકારણની હાલની નીચતાને કારણે આવી પરિસ્થિતિ ઉભી થઈ પણ શકે છે.) જો બહુમતીનું સરઘસ લઘુમતી વિસ્તારમાંથી કાઢવામાં આવે અને મુસ્લિમ-ખ્રિસ્તી લઘુમતી એમ કહે છે કે તેમને આ સરઘસથી મનોવૈજ્ઞાનિક ક્ષતિ થઈ છે, તો તેને સરકાર વળતર આપશે. બિલ પ્રમાણે આવી ઘટનાઓમાં આરોપી બહુમતી હિંદુ જ હશે અને આવા આરોપી વ્યક્તિઓની સંપત્તિ તાત્કાલિક જપ્ત કરી લેવાશે, તે ત્યાં સુધી જપ્ત રહેશે કે જ્યાં સુધી તે કોર્ટના ચુકાદાથી નિર્દોષ છૂટી ન જાય.

આ સિવાય સત્તાના બીજા કેન્દ્ર જેવી વિશિષ્ટ અધિકારવાળી એક રાષ્ટ્રીય સમિતિ કે પંચની પણ બિલમાં વકીલાત કરવામાં આવી છે. બિલ પ્રમાણે, કોમી સૌહાર્દ, ન્યાય અને ક્ષતિપૂર્તિ માટે એક સાત સભ્યોની રાષ્ટ્રીય સમિતિ હશે. આ સમિતિના સાત સભ્યોમાંથી ચાર સભ્યો મુસ્લિમ-ખ્રિસ્તી અથવા અન્ય લઘુમતી સમુદાયાના હશે. આવી સમિતિઓ રાજ્ય સ્તરે પણ રચવામાં આવશે. સરકારે આ સમિતિને પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ સમિતિને કોઈ ફરીયાદની તપાસ કરવા, કોઈ ઈમારતમાં ઘુસવાની, છાપો મારવાની અને તપાસ કરવાના વિશિષ્ટ અધિકારો આપવામાં આવશે. આ સમિતિ કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ જારી કરી શકશે. આ સમિતિની નિમણૂક માટે વડાપ્રધાન, ગૃહમંત્રી, સંસદના બંને ગૃહોના વિપક્ષના નેતાઓ અને પ્રત્યેક રાજકીય પક્ષના એક નેતાનું કોલેજિયમ બનાવવામાં આવશે. રાજ્યોના સ્તરે પણ આવી વ્યવસ્થા હશે.

આ સિવાય સીઆરપીસીની કલમ-161 નીચે નિવેદન નોંધવામાં આવશે નહીં. પીડિતના નિવેદન માત્ર કલમ-164 હેઠળ એટલે કે કોર્ટની સામે લેવાશે. આ જોગવાઈ હેઠળ સરકારને સંદેશાઓ અને ટેલિકોમ્યુનિકેશન બાધિક કરવા અને રોકવાનો અધિકાર હશે. બિલના ઉપબંધ-67 પ્રમાણે, લોકસેવક વિરુદ્ધ મામલો ચલાવવા માટે સરકારની મંજૂરીની જરૂર નથી. ફરીયાદકર્તા પીડિતના હિતમાં કામ કરવામાં આવશે, પીડિતનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. કેસની પ્રગતિનો રિપોર્ટ પોલીસ ફરીયાદકર્તાને જણાવશે.

જો કે આ ડ્રેકોનિયન લો વિશિષ્ટ દરજ્જો પામેલા મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ત્યાંની વિધાનસભાની સંમતિ બાદ જ લાગુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં 1989માં અલગતાવાદે આતંકવાદના સ્વરૂપે માથું ઉંચક્યું અને સેંકડો હિંદુઓની કતલ કરીને ત્રણ લાખ જેટલાં કાશ્મીર ખીણમાં રહેતા હિંદુઓને તેમના આઝાદ દેશ ભારતમાં નિરાશ્રિત બનાવી દેવામાં આવ્યા છે. આ કામ ઈસ્લામિક જેહાદના રંગે રંગાયેલા મુસ્લિમ આતંકવાદીઓએ કર્યું છે. આજે પણ કાશ્મીરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષાદળોએ ઘણી મહેનત કરવી પડે છે. અલગતાવાદ અને આતંકવાદની સ્થિતિ જેમની તેમ છે. ત્યારે જો કોમવાદી હિંસા નિવારક કાયદો જમ્મુ-કાશ્મીરમાં જ લાગુ ન થાય, તો તેનો અર્થ શો રહેવાનો?

વળી આ બિલ કોમી હિંસા અને ઘૃણાના તમામ પીડિતો અને દોષિતોને બરાબરીથી જોતું નથી. ત્યારે સરકારે આ બિલની સાથે કેટલાંક આંકડાઓ પણ જાહેર કરવા જોઈએ. દેશમાં આઝાદી પહેલા અને આઝાદી બાદ ક્યાં સ્થાનો પર કોમી હિંસા થઈ? થયેલી આ કોમી હિંસામાં કોને સૌથી વધારે ભોગવવું પડયું? આ કોમી રમખાણોમાં મરનાર હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સંખ્યા કેટલી? આ કોમી રમખાણો થવાના કારણ અથવા કારણો ક્યાં હતા? પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સંખ્યા કેટલી? આ આંકડાઓથી જ ખબર પડી શકે કે દેશમાં કોમી રમખાણો માટે માત્ર હિંદુ જ જવાબદાર છે કે મુસ્લિમ-ખ્રિસ્તીઓ પણ જવાબદાર હોય છે?
ભારતમાં જમ્મુ-કાશ્મીર અને લક્ષદ્વીપમાં મુસ્લિમ, પંજાબમાં શીખ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમમાં ખ્રિસ્તીઓની બહુમતી છે. ત્યારે આ રાજ્યોમાં કોમી હિંસાની ઘટનામાં સરકાર ક્યાં પ્રકારનું વલણ લેશે? આ સિવાયચ મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં કોઈ ધર્મના લોકોની સંખ્યા પચાસ ટકાથી ઉપર નથી અને કોઈને સ્પષ્ટ બહુમતી નથી. આ બંને રાજ્યોમાં કોમવાદી હિંસા વિરોધી કાયદાનો અમલ સરકાર કોને દોષિત ગણીને કરશે? કેરળનો મામલો પણ છે, જ્યાં 56.20 ટકા હિંદુ છે. જો તેમાંથી 22 ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિને અલગ કરી દેવામાં આવે તો હિંદુઓની ટકાવારી શું હશે?

આ બિલ કોંગ્રેસ દ્વારા હિંદુ-મુસ્લિમો વચ્ચે દુશ્મની પેદા કરીને ગલીએ ગલીએ દેશભરમાં રમખાણો કરીને પોતાની વોટબેંક મજબૂત કરવાની સાજિશ છે. શું આ કોમવાદી હિંસા નિવારક બિલથી દેશમાં કોમી સદભાવનાને ખરેખર પ્રોત્સાહન મળશે? ભારતમાં હિંદુઓ લઘુમતીમાં હોય તેવા શહેર અને જિલ્લાઓ ઘણાં છે. તો ત્યાં કોમવાદી હિંસા અને હુલ્લડો માટે કોને દોષિત ઠેરવવામાં આવશે? એક મુસ્લિમ બહુલ અને એક હિંદુ બહુલ શહેર વચ્ચે હુલ્લડો ફાટી નીકળે, તો પછી પોલીસ શું કરશે? આવી પરિસ્થિતિઓમાં પણ પોલીસ માત્ર હિંદુઓની ધરપકડ કરશે, કારણ કે ભારતીય કાયદામાં આ ઉલ્લેખિત છે? શું આ બિલ મુસ્લિમો અને ખ્રિસ્તીઓને દેશમાં હિંદુઓ પર હુમલા કરવાની પરવાનગી આપી દેશે?

3 comments: