Friday, August 19, 2011

અન્ના ઈવેન્ટથી આંદોલનમાં મીડિયાની ભૂમિકા


-આનંદ શુક્લ

ભ્રષ્ટાચારના શિષ્ટાચાર વિરુદ્ધ ઉઠેલા આક્રોશને અન્ના હજારેએ અભિવ્યક્તિ આપી છે. ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ, તેવી અન્નાની માગણી પૂરી થવી જોઈએ. તેના માટે સરકારે, સમાજે અને તંત્રે તમામ સ્તરે કામ કરવાની જરૂર છે. ભ્રષ્ટાચારથી ત્રસ્ત લોકોને હતાશામાંથી બહાર આવવા માટે અન્ના રૂપી આશાનું કિરણ દેખાયું છે. પરંતુ અન્નાના આંદોલનમાં શરૂઆતથી જ મીડિયાની ભૂમિકા ઘણી મોટી રહી છે. મહારાષ્ટ્રના રાલેગાંવ સિદ્ધિ ગામમાં સુધારાના અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક ચલાવનારા સામાજીક કાર્યકર્તાને મીડિયાએ મહાત્મા ગાંધી અને લોકનાયક જયપ્રકાશ નારાયણ બનાવવા માટેના પ્રયત્ન સાથેની ઘણી મોટી ભૂમિકા અદા કરી છે. એમા કોઈ શંકા નથી કે સામાજીક કાર્યકર્તા તરીકે અન્ના હજારેનું યોગદાન ઘણું મોટું છે. તેઓની સ્વચ્છ છબી દરેક પ્રકારે બિરદાવા યોગ્ય છે. પરંતુ અન્ના હજારેને મહાત્મા ગાંધી અને જયપ્રકાશ નારાયણની ઊંચાઈએ હોવાનો ભ્રમ પેદા કરવાની મીડિયાની ભૂમિકા ઘણી બધી રીતે નુકસાનકારક પણ છે. માત્ર અન્ના માટે જ નહીં, દેશ માટે પણ તે નુકસાનકારક છે.

દેશની સંસદમાં સરકાર અને વિપક્ષ સહીતના બધાં નેતાઓએ અન્નાના જનલોકપાલ બિલના બધાં મુદ્દાઓ સાથે સંમત ન થવાની વાત એકસૂરમાં કહી છે. તેમણે કહ્યું છે કે લોકપાલ બિલ સંદર્ભે સંસદ કાયદો બનાવશે. પરંતુ જનતા લોકપાલ મુદ્દે આ વાસ્તવિકતાને જાણ્યા બાદ એ સવાલ ઉભો થાય છે કે જનતાનો એક વર્ગ તો આંખો બંધ કરીને અન્ના અને તેમના સાથીદારોની વાતનો ભરોસો કરી રહ્યો છે. તેની સાથે એક સવાલ ઉભો થાય છે કે અન્નાનું આ આભામંડળ કેવી રીતે બન્યુ?

ગુરુવાર બપોરે ઈન્ડિયા ટુડે ગ્રુપની ચેનલ હેડલાઈન્સ ટુડેમાં જે પરિચર્ચા આવી, તેમાં આ બીજા સવાલનો જવાબ મળે છે. ચર્ચાનું શીર્ષક હતું કે શું અન્નાને મીડિયાએ સ્થાપિત કર્યા છે? આ ચર્ચામાં જે ચાર જાણીતાં લોકો ભાગ લઈ રહ્યાં હતા, તેમાના બધાંએ આ સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો છે, પરંતુ તેના બહાને અન્નાને હીરો બનાવવામાં મીડિયાની મહત્વની ભૂમિકા રહી છે. તેમાંથી એક વાર્તાકાર દિલીપ ચેરિયને ત્યાં સુધી કહ્યું કે આજના સમયગાળામાં મીડિયાના માધ્યમથી જ કોઈ આંદોલન થઈ શકે છે. આ ચર્ચામાં એ વાત સ્થાપિત થઈ કે જો મીડિયા ખાસ કરીને ટીવીએ આટલું આગળ પડતું કવરેજ ન કર્યું હોત તો આંદોલનને જે વ્યાપકતા મળી, તે મળી શકી ન હોત.

અન્નાના લોકો ખુલ્લેઆમ જેટલું બોલી રહ્યાં છે અને પોતાની અસંમતિઓનો ઈજહાર કરી રહ્યાં છે તેવું અન્ય પક્ષો કરી શકતા નથી કારણ કે મીડિયાએ આખા મામલાને અન્ના વિરુદ્ધ સરકારનો મુદ્દો બનાવી દીધો છે.

અન્ના અને સરકાર સિવાય અનેક રાજકીય પક્ષો છે અને જુદાંજુદાં પ્રકારના સેંકડો સંગઠન છે. તેમની લાખો-કરોડોની મેમ્બરશિપ છે. મીડિયાની ચર્ચામાં આ સંગઠન એક તરફથી ગાયબ છે. તેનાથી એક વાતની ખબર પડે છે કે અન્નાને લઈને મીડિયા ઓબ્સેશનનો શિકાર છે. ઉદાહરણ તરીકે વિભિન્ન વિચારધારાના મહિલા, ખેડૂત, મજૂર, યુવાનો અને વિદ્યાર્થી સંગઠનો છે, તેના સિવાય એવા પણ સ્વયંસેવી સંગઠનો છે કે જેમના સેંકડો એકમો છે. તેમનો મત એક તરફથી ગાયબ છે.

કોર્પોરેટ મીડિયા અન્ના પ્રત્યે ઓબ્શેસન એ વાતનો પુરાવો છે કે તે ભારતના બૃહત્તર ઓપિનિયનની ઉપેક્ષા કરી રહ્યું છે. વિગત દિવસોમાં ટીવી સ્ટુડિયોમાં ચર્ચાના નામે અન્ના ભક્તોની જે ભીડ ભેગી કરવામાં આવી હતી તે પણ કોર્પોરેટ મીડિયાના અન્ના ઓબ્શેસનને જ સામે લાવે છે. અન્નાભક્ત સ્ટુડિયોમાં અન્ના ટીમથી જુદો મત વ્યક્ત કરનારાઓને હૂટ કરી રહ્યાં હતા.

અન્ના ટીમનું પ્રચાર અભિયાન મીડિયા ઓબ્શેસન પર ટકેલું છે. તમામ ચર્ચાઓમાં અન્ના ટીમને સેલીબ્રિટી તરીકે મૂકવામાં આવે છે. સામાન્ય રીતે સ્ટુડિયોમાં એવા લોકો બોલાવવામાં આવે છે જે અન્નાના ફેન છે અથવા અનુયાયી છે. અન્ના ટીમને મીડિયાએ સામાજીક કાર્યકર્તા તરીકે નહીં, પરંતુ સેલિબ્રિટી તરીકે કલ્ટીવેટ કરી છે.

અન્નાએ 15 ઓગસ્ટની સાંજે મીડિયાને પોતાના પરિવારનું સભ્ય ઘોષિત કર્યું અને આશા વ્યક્ત કરી કે બંને સાથે મળીને લડાઈ લડશે. તેનાથી સ્પષ્ટ ખબર પડે છે કે અન્ના હજારેને મીડિયાની ચરિત્રની બિલકુલ જાણ નથી અને તેમને જે ક્ષણિક પ્રસિદ્ધિ મળી રહી છે, તેનાથી તેઓ આત્મમુગ્ધ થતાં જઈ રહ્યાં છે. વળી લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા પણ ભ્રષ્ટ હોવાનું અને તે ભ્રષ્ટાચારથી ખદબદતું હોવાની વાત કોઈનાથી અજાણી નથી. ત્યારે ભ્રષ્ટાચારને રોકવા માટે બીજા ભ્રષ્ટાચારીનો સાથ કેવી રીતે લેવાય? ખુદ અન્નાએ એપ્રિલ માસના અનશન વખતે મીડિયા રિપોર્ટોને આધારે ગુજરાત અને બિહારમાં વિકાસ સંદર્ભે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ અનુક્રમે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની પ્રશંસા કરી હતી. પરંતુ તેઓ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા, ત્યારે તેમણે પોતાના નિવેદનને ફેરવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે પહેલાનું તેમનું નિવેદન મીડિયાની માહિતીના આધારે હતું. આમ મીડિયા સંદર્ભે અન્ના હજારેને જાત અનુભવ છે.

આજકાલ જે સંચાર માધ્યમો છે તેની ઉપયોગિતાથી કોણ ઈન્કાર કરી શકે, પરંતુ આ રવિવારે ધ હિંદુમાં સેવંતી નાઈનને એક ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે નવું સામાજિક મીડિયા આવ્યું છે, શું તે હંમેશા સમાજ હિતૈષી જ રહેશે અથવા તેની કોઈ નુકસાનકારક ભૂમિકા પણ હોઈ શકે છે? તેમણે ઈંગ્લેન્ડના તાજેતરના ઉપદ્રવોનું ઉદાહરણ આપીને જણાવ્યું કે કેવી રીતે ફેસબુક, ટ્વિટર વગેરેનો દુરુપયોગ કરવામાં આવ્યો. આ વાતને ભારતના સંદર્ભમાં મૂકીને જોવો. આ માધ્યમ બાળકોના રમકડાં નથી, તેનો શોખ રાખવો એક વાત છે, પરંતુ તેના સારા અને નરસા પ્રભાવો સંદર્ભે વિચારવાનું પણ જરૂરી છે.

એ સમજી શકાય છે કે આરબ જગતમાં ખાસ કરીને ટ્યૂનિશિયા અને ઈજીપ્તમાં સત્તા પરિવર્તનમાં આ માધ્યમોએ મહત્વની ભૂમિકા અદા કરી હતી. એવું લાગે છે કે ભારતનું મીડિયા તે સમયથી જ ઉતાવળુ હતું કે અહીં પણ આવું કંઈક કરી નાખવામાં આવે. હું ફરી એક વાર માર્શલ મેકલુહાનની ઉક્તિ યાદ કરું છું કે માધ્યમ જ સંદેશ છે. જેવું કે બધાં જાણે છે કે મીડિયા હવે પત્રકારોના હાથમાં નથી, પરંતુ કોર્પોરેટ હાઉસના હાથમાં છે. વિશ્વની અર્થવ્યવસ્થા અને રાજકારણ પર નિયંત્રણ માટે આ મહામૂડીવાદીઓ પાસે મીડિયાના રૂપમાં એક સશક્ત શસ્ત્ર આવી ગયું છે. અન્નાને મહાનાયક બનાવવામાં આ શસ્ત્રોનો ઉપયોગ કરવો તેમની રણનીતિનો જ એક ભાગ માની શકાય છે, પરંતુ અહીં તેમની એક વિસંગતિ તરફ પણ ધ્યાન આપો. ગુરુવાર સવાર સુધી મીડિયા અન્નાનું અઢળક કવરેજ આપી રહ્યું હતું, પરંતુ બપોર બાદ તે કંઈક ઠંડુ પડી ગયું. શું એટલા માટે કે સરકાર દ્વારા સ્થિતિ સંભાળી લીધા બાદ સનસનાટી ફેલાવવામાં હાલ કોઈ અન્ય બિંદુ ન હતું, અથવા એટલા માટે કે એક અબજ વીસ કરોડની જનતાને ઘણાં લાંબા સમય સુધી બેવકૂફ બનાવી શકાય નહીં, આ વાત મીડિયાને સમજમાં આવી ગઈ?

મીડિયા અન્નાના આંદોલનમાં એક ઈવેન્ટ મેનેજર તરીકે વર્તયું હોય તેવું સ્પષ્ટ લાગે છે. મીડિયાએ અન્ના ઈવેન્ટને આંદોલનમાં ફેરવી નાખી છે. સતત ત્રણ-ચાર દિવસથી અન્ના સિવાય અન્ય કોઈ સમાચાર ટેલિવિઝન પર આવતા નથી. ઈલેક્ટ્રોનિક મીડિયાએ હદ કરી નાખી છે કે અન્નાના આંદોલનના હિસાબે જાણે કે દુનિયા થંભી ગઈ હોય અને અન્ય કોઈ ઘટનાઓ બનતી જ ન હોય! અન્ના હજારે તિહાડ જેલમાંથી બહાર આવ્યા, રેલીમાં ચાલ્યા અને દોડયા, રામલીલા મેદાનમાં સંબોધન કર્યું-જેવા સમાચારો ખૂબ બહોળા કવરેજથી બતાવ્યા કર્યા છે. આગળ જતાં મીડિયા અન્નાની તબિયત, સરકાર તરફથી કરવામાં આવતા નિવેદનો, વિપક્ષનું સ્ટેન્ડ, આંદોલનના ટેકેદારો વગેરે બાબતોમાં ઈવેન્ટને જલદ બનાવી આંદોલને ઉગ્ર બનાવવાની ફિરાકમાં રહેશે, જ્યાં તે આમ જનતાને પોતાના બનાવેલા એજન્ડા પર લઈ જઈ શકે. બાબા રામદેવનું આંદોલન પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધનું હતું અને તેમાં વિદેશથી કાળું ધન પાછું લાવવાની માગણી કરવામાં આવી હતી. પરંતુ બાબા રામદેવ અન્ના હજારેના આંદોલન જેટલું બહોળું અને હકારાત્મક કવરેજ મેળવવા માટે ભાગ્યશાળી બન્યા ન હતા. બાબા રામદેવ મહિલાઓના કપડાંમાં ભાગ્યા, બાબા રામદેવ ફરી ગયા, બાબા રામદેવની કંપનીઓ અને ટ્રસ્ટોની સંપત્તિનો વિવાદ, તેમના સહયોગી બાલકૃષ્ણ સામેના આરોપોની ચર્ચા-વગેરે ઘણી નેગેટીવ સ્ટોરી મીડિયા દ્વારા ચલાવવામાં આવી હતી.

આના પરથી એક વાત સ્પષ્ટ છે કે મીડિયાને પોતાના એજન્ડા માટે બાબા રામદેવ કરતાં અન્ના હજારે વધારે અનુકૂળ આવે તેમ છે. આગળ વાત કરી તેમ મીડિયા હવે પત્રકારો નહીં, કોર્પોરેટ હાઉસના હાથમાં છે. એટલે કે મીડિયા કોર્પોરેટ હાઉસના એજન્ડાઓ પ્રમાણે કામ કરે છે. ભવિષ્યમાં એવું પણ બની શકે કે જે કોર્પોરેટોના આંતરરાષ્ટ્રીય હિતો છે, તે રાષ્ટ્રહિતના મુદ્દાઓને પોતાના એજન્ડા પ્રમાણે ગેરમાર્ગે દોરવા તે દિશામાં જનમત ઘડવાનો પ્રયાસ પણ કરે. તમને નથી લાગતું કે મીડિયાનો એજન્ડા રાષ્ટ્ર હિત વિરુદ્ધ કોર્પોરેટના આંતરરાષ્ટ્રીય હિતના દિશા-નિર્દેશથી બનતો હશે?

No comments:

Post a Comment