લેબલ ગોહત્યા પ્રતિબંધ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગોહત્યા પ્રતિબંધ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 23 ઑક્ટોબર, 2011

સંપૂર્ણ ગોહત્યાબંધીમાં ભારતની સરકારોને બિલકુલ રસ નથી!


-આનંદ શુક્લ

ભારતના ભારતીયત્વનો આધાર ગાયો પ્રત્યેની ભારતીયોની ભાવના, આસ્થા અને આદર છે. ગાયોને ભારતના લોકો પૂજનીય ગણે છે. હિંદુઓની આસ્થાઓના સૌથી મોટા કેન્દ્રબિંદુઓમાં ગાયનો સમાવેશ થાય છે. વેદોમાં ગાયને માતા ગણાવતી ઘણી ઋચાઓ છે. ભગવાન શ્રીકૃષ્ણની કલ્પના ગાય વગર થઈ શકે તેમ નથી. ભગવાન શ્રીરામ પણ ગાય પ્રત્યે આસ્થા ધરાવતા હતા. ભારતના રાજાઓ ગાયોની રક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવતા હતા. સૌરાષ્ટ્રના ગામેગામ ગોરક્ષા માટે લડનારા વીરોના અનેક પાળિયાઓ આવેલા છે. પ્રાચીન કાળથી ગાય ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ રહી છે. ગોધન પ્રદેશની સમૃદ્ધિનું પરિમાણ હતું. ગાયને હિંદુઓ માતા ગણે છે. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાની માન્યતાને કારણે તે પવિત્ર ગણવામાં આવે છે. ગોહત્યા, બ્રહ્મહત્યા, બાળહત્યા, સ્ત્રીહત્યા જેવાં પાપોમાં ગોહત્યાનું કોઈ જ પ્રાયશ્ચિત કર્મ નથી. ગોહત્યાનું પાપ ક્યારેય ધોવાતું નથી. ભારતમાં પરમાત્માએ ખુદ ગોપાલ બનીને ગોપાલન કર્યું છે. ભારતમાં ગોપાલનની પરંપરા સનાતન છે.ગૌ, ગંગા અને ગાયત્રી (સૂર્ય) એ ભારતની પહેચાન છે.

મહાત્મા ગાંધીએ ગાયનું આર્થિક વિશ્લેષણ કરતાં કહ્યું હતું કે “આજે તો ગાય મૃત્યુના કિનારે ઉભી છે અને મને વિશ્વાસ નથી કે અંતમાં આપણાં પ્રયત્નો તેને બચાવી શકશે. પરંતુ તે નષ્ટ થઈ જશે તો તેની સાથે જ આપણે પણ એટલે કે આપણી સભ્યતા પણ નષ્ટ થઈ જશે.” રાષ્ટ્રપિતાએ કહ્યું હતું કે “આપણા ઋષિઓએ આપણને ઉપાય બતાવી દીધો છે. તેઓ કહે છે કે ગાયની રક્ષા કરો, સૌની રક્ષા થઈ જશે. ઋષિ જ્ઞાનની કુંજી ખોલી ગયા છે, તેને આપણે વધારવી જોઈએ, બરબાદ કરવી જોઈએ નહીં.” અંગ્રેજ સલ્તનતકાળમાં ભારતના વાઈસરોય લોર્ડ લિનલિથગોએ કહ્યુ હતુ કે ભારતમાં ગાય પોતાની પીઠ પર સંપૂર્ણ આર્થિક ઢાંચાનો ભાર સંભાળી રહી છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને એક સંદેશમાં કહ્યું હતું કે ભારત ટ્રેક્ટર, ખાતર વગેરેનો ખેતીમાં ઉપયોગ ન કરે. ભારતે પોતાની ખેતીનો આધાર ગાય અને બળદને જ રાખવો જોઈએ. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરના શબ્દો હતા કે ગોબર ગેસ ઊર્જાનો અક્ષય સ્ત્રોત છે. પ્રસિદ્ધ અમેરિકી વૈજ્ઞાનિક ડોનાલ્ડ ક્લાંસે ભારતના તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીને સૂચન કર્યું હતુ કે ભારત પોતાના પશુધનની રક્ષા કરે તો તેનાથી 2.28 કરોડ બેરલ પેટ્રોલિયમ જેટલી ઊર્જા પ્રાપ્ત થશે.

ગાય દૂધ આપનારી ડેરી છે. ખાતર આપનાર ફર્ટિલાઈઝર પ્લાન્ટ છે. બળદના રૂપમાં ટ્રેક્ટર છે અને માલ લાવવા-લઈ જવા માટે ટ્રક છે. મનુષ્યની આ તમામ જરૂરિયાતો તે ઘાસ ખાઈને પૂરી કરે છે. ગાય અને ગોવંશની આ સૌથી મોટી વિશેષતા છે. ગાય અને ગોવંશ ખુદ ઘાસ અને ભુસું ખાઈને મનુષ્યને અન્ન, ઊર્જા અને દૂધ આપે છે.

ગોહત્યાથી સામાન્ય હિંદુઓની ધાર્મિક ભાવના દુભાય છે. જો કે મુસ્લિમો ગોહત્યાને પોતાનો ધાર્મિક અધિકાર સમજીને વર્તી રહ્યાં છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં ગોહત્યા કરનારા અને પશુહત્યાના ધંધામાં સીધી કે આડકતરી રીતે પોતાનો નફો રળનારાઓમાં હિંદુઓ હવે વટલાયેલા મુસ્લિમ જેવાં થઈ ગયા છે. આર્થિક લાભ માટે ધાર્મિક સિદ્ધાંતોના ભંગનો આવા હિંદુઓને લેશમાત્ર રંજ નથી. ગોહત્યાથી આર્થિક લાભ મેળવનારા મુસ્લિમોની જેમ હિંદુઓની સંખ્યા પણ નાનીસૂની નથી. પૈસો એ જ પરમેશ્વરનો મંત્ર અત્યારે ચારેકોર ગુંજી રહ્યો છે. તેના કારણે ઉભા થયેલા સ્થાપિત હિતોના પરિણામે આઝાદીના 64 વર્ષ બાદ પણ દેશમાં સંપૂર્ણ ગોહત્યાબંધી થઈ શકી નથી.

ચામડાની નિકાસના 15 હજાર કરોડ રૂપિયાના સ્થાપિત હિતો

કતલ કરવામાં આવતા પ્રાણીઓના ચામડાની નિકાસની વાત કરીએ તો આ ઉદ્યોગમાં ભારતે હરણફાળ ભરી છે. એક સમય હતો કે જ્યારે આપણા દેશમાં પ્રાણીઓની કતલ ખૂબ મર્યાદીત પ્રમાણમાં થતી. જે પશુઓના કુદરતી રીતે મોત થતા, તેમનું અહિંસક ચામડું જ ઉપયોગમાં લેવાતું હતું. ઈન્ડિયન ઈકોનોમિક સર્વેના પ્રમાણભૂત આંકડા મુજબ 1961માં ભારતમાંથી ચામડાની નિકાસ માત્ર 28 કરોડ રૂપિયાની હતી. આ નિકાસ 1971માં 80 કરોડ અને 1981માં 390 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ. 1981થી 1991 વચ્ચેના દસ વર્ષમાં ભારતની ચામડાની નિકાસમાં લગભગ 600 ટકાનો ધરખમ વધારો થયો. 1991માં ચામડાની નિકાસ 2600 કરોડ રૂપિયા ઉપર અને 2001માં 9004 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ. 2001થી 2011 વચ્ચે પણ ચામડાની નિકાસે મોટા લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. 2006-07માં 3059.43 મિલિયન યુએસ ડોલર, 2007-08માં 3548.51 મિલિયન યુએસ ડોલર, 2008-09માં 3403.57 મિલિયન યુએસ ડોલર અને 2010-11માં 3844.46 મિલિયન યુએસ ડોલર એટલે કે 3.8 બિલિયન યુએસ ડોલર. એક ડોલરના સરેરાશ 50 રૂપિયા ભાવ ગણીએ તો 2010-11માં ભારતમાંથી 15000 કરોડ રૂપિયાની ચામડાની નિકાસ થઈ છે. યુરોપિયન ઈકોનોમીમાં મંદી છતાં ભારતમાંથી ચામડાની નિકાસમાં 13 ટકાનો વધારો નોંધાયો છે. એસોચેમનું અનુમાન છે કે 2014માં ભારત ચામડાની નિકાસમાં 5.4 બિલિયન યુએસ ડોલરના લક્ષ્યાંકને પ્રાપ્ત કરશે.

ચામડાની નિકાસ દ્વારા દેશમાં 15 હજાર કરોડ રૂપિયાથી વધારેના સ્થાપિત હિતો પેદા થયા છે. આ સ્થાપિત હિતો થોડા વખતમાં અઢી લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે. તેથી ગોહત્યાબંધી કરવામાં આવે, ચામડાના ઉદ્યોગપતિઓને મોટો આર્થિક ફટકો પડે. આ નિકાસકારો અને ઉદ્યોગપતિઓ માત્ર મુસ્લિમ જ છે, તેવું નથી. તેમાં હિંદુઓ પણ મોટી સંખ્યામાં છે. આ સ્થાપિત હિતોને પરિણામે દેશભરમાં ગોહત્યા પ્રતિબંધનો કડક કાયદો આવી શક્યો નથી. વળી જે રાજ્યોમાં ગોહત્યા પ્રતિબંધના કાયદા છે, ત્યાં તેનો અમલ પણ કડકાઈથી ન થવા પાછળ આવા સ્થાપિત હિતો કારણભૂત છે.

ભારતમાં મુસ્લિમ સલ્તનત અને મોગલકાળમાં પણ ગોહત્યા પ્રતિબંધ હતો. ક્રૂરતમ મોગલ સમ્રાટ ઔરંગઝેબના સમયમાં પણ ગોહત્યા પ્રતિબંધ હતો. મોગલ સલ્તનતનો પાયો નાખનાર કટ્ટર મુસ્લિમ બાબરે પોતાના અનુગામી સુલ્તાન-બાદશાહોને કહ્યું હતું કે ભારતમાં ટકવું હશે, તો ગોહત્યા પર પ્રતિબંધ મુકવો પડશે. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રા પછી ભારત નબળું પડયું તેનો લાભ અંગ્રેજોએ મોટાપાયે પશુઓની કતલ કરવામાં લીધો. કારણ કે યુરોપ અને અમેરિકાના ઠંડા વાતાવરણને કારણે ત્યાં ચામડાની ઘણી જરૂરિયાત રહે છે. રમેશચંદ્ર દત્તે લખેલા પુસ્તક ધી ઈકોનોમિક હિસ્ટરી ઓફ ઈન્ડિયાના આંકડા પ્રમાણે, 1857થી 1900 વચ્ચેના માત્ર 43 વર્ષના ગાળામાં કુલ 1667 કરોડ રૂપિયાની કિંમતનું ચામડું યુરોપ અને અમેરિકા મોકલવામાં આવ્યું હતું. એ જમાનામાં બળદની કિંમત માંડ પાંચથી છ રૂપિયા હતી. આ ગણતરીએ 43 વર્ષમાં અંગ્રેજોએ 300 કરોડ ગાય-બળદની આપણાં દેશમાં કતલ કરી. આ આંકડો દર વર્ષે સાત કરોડ ગોવંશની કતલ સૂચવે છે. ભારત સ્વતંત્ર બન્યું ત્યારે દેશમાંથી ચામડાની નિકાસ બિલકુલ બંધ થઈ ગઈ હતી. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ માંસ અને ચામડાના સોદાગરોના દબાણમાં સરકાર ઝુકી ગઈ અને દેશમાં કતલખાનાઓ ખોલવાની મંજૂરી આપવા માંડી. આજે ભારત માંસ અને ચામડાના નિકાસમાં વિશ્વના પ્રથમ દશ દેશોમાંનો એક દેશ બની ગયો છે.


ભારતમાં ગાયોની કત્લેઆમનો વિકાસ!


1760માં રોબર્ટ ક્લાઈવે કોલકત્તામાં દેશનું સૌથી પહેલું કતલખાનું બનાવ્યું હતું. આ કતલખાનામાં તે વખતે રોજની 30 હજાર ગાયો અને અન્ય પશુઓ કપાતા હતા. આઝાદી વખતે ભારતમાં માત્ર 300 કતલ ખાના હતા. પરંતુ આજે દેશમાં 36 હજારથી વધારે નાના-મોટા કતલખાના અસ્તિત્વમાં છે. આ સિવાય ગેરકાયદેસરના કતલખાના પણ મોટા પ્રમાણમાં છે. દેશમાં ગાયો અને ગોવંશમાં 80 ટકાનો ઘટાડો આઝાદી પછી નોંધાયો છે. જે કામ મોગલો અને અંગ્રેજોના કાળમાં થયું ન હતું, તે આઝાદ ભારતના કપૂત શાસકોએ કર્યું છે. દેશમાં હાલ ગાયોના 70 નસ્લોમાંથી માત્ર 33 નસ્લો જ બચી છે. દેશના 36 હજારથી વધારે કતલખાનાઓમાંથી 10 મોટા અને અત્યાધુનિક કતલખાના છે. હૈદરાબાદના અલ-કબીર કતલખાનાને દર વર્ષે 6 લાખ પશુઓની કતલ કરવાનો પરવાનો અપાયેલો છે. મુંબઈના દેવનાર કતલખાનામાં દર વર્ષે 1,20,000 ગાયો અને 60,000 ભેંસોની કતલ કરવામાં આવે છે. કોલકત્તામાં દર વર્ષે 12 લાખ ગાયો અને ભેંસોની કતલ થાય છે. 1951માં દર હજાર માણસે 430 ગાયો હતી, 1961માં દર હજાર માણસે 400 ગાયો, 1971માં દર હજાર માણસે 326 ગાયો, 1981માં દર હજાર માણસે 278 ગાયો, 1991માં દર હજાર માણસોએ 202 ગાયો, 2001માં દર હજાર માણસોએ 110 ગાયો હતી. પરંતુ 2011માં અનુમાન લગાવાય છે કે દર હજાર માણસે માત્ર 20 ગાયો ભારતમાં બચી છે! ભારતની ઉદારીકરણ અને વૈશ્વિકરણમાં આ સૌથી મોટી પ્રગતિ છે.

ગોહત્યાથી અઢી લાખ કરોડ રૂપિયાના સ્થાપિત હિતો

વિશ્વમાં ગોમાંસ પેદા કરનારા દેશોમાં ભારત છઠ્ઠું સ્થાન ધરાવે છે. વિશ્વના ગોમાંસની નિકાસકર્તા દેશોમાં ભારતનું સ્થાન ત્રીજું છે. દુનિયામાં 10.47 ટકા ગોમાંસ ભારતમાંથી નિકાસ થાય છે. આઝાદી વખતે ભારતમાંથી ગોમાંસની નિકાસ શૂન્ય હતી. પરંતુ દેશમાં કતલખાના વધવાની સાથે જ ગોમાંસની નિકાસ પણ વધી છે. 1961માં દેશમાંથી માત્ર 1 કરોડ રૂપિયાનું ગોમાંસ નિકાસ થતું હતું. 1971માં ગોમાંસની નિકાસ 3 કરોડ અને 1981માં ગોમાંસની નિકાસ 56 કરોડ રૂપિયાએ પહોંચી હતી. 1991માં ઉદારીકરણના તબક્કામાંથી પસાર થતાં ભારતમાં ગોમાંસની નિકાસ 140 કરોડ રૂપિયા અને 2001માં ઉદારીકરણના તબક્કામાં 1600 કરોડ રૂપિયાની ગોમાંસની નિકાસ થઈ હતી. આઠમી અને નવમી પંચવર્ષીય યોજનાઓમાં ગોવંશની કતલને પ્રોત્સાહન મળ્યું, તેના કારણે દેશમાં દસ વર્ષમાં જ ગોમાંસની નિકાસ દસ ગણી વધી ગઈ. હાલ ભારત 800 મેટ્રિક ટન ગોમાંસ ભારતમાંથી નિકાસ કરે છે. ગોમાંસ ઉત્પાદનના 2005ના આંકડા પ્રમાણે 2250 મિલિયન ટન ગોમાંસ, 2006માં 2375 મિલિયન ટન ગોમાંસ, 2007માં 2413 મિલિયન ટન ગોમાંસ, 2008માં 2470 મિલયન ટન ગોમાંસ, 2009માં 2475 મિલિયન ટન ગોમાંસનું ઉત્પાદન થયું છે. 2011માં ભારતમાં ગોમાંસ ઉત્પાદનમાં હજી 10 ટકાનો વધારો થયો છે. ભારતના પશુધનને કાપીને અમેરિકા, યુરોપ, મધ્ય એશિયા, ખાડીદેશો, વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, પાકિસ્તાનને માંસ ખવડાવાય છે. ગાયને પૂજ્ય ગણનારા ભારતીય હિંદુઓના નાક નીચે દરરોજ 30 હજારથી વધારે ગાયોની કતલ થાય છે. હૈદરાબાદ ખાતેના અલકબીર નામના કતલખાનામાં પણ હજારો ગાયોની કતલ થાય છે. આ કતલખાનાનો માલિક બિનમુસ્લિમ છે. ગોમાંસના લાખો કરોડ રૂપિયાના કારોબારમાં સરકારને પણ વિદેશી હુંડિયામણ કમાવવાની ઘેલછા છે. તેના કારણે ગોમાંસ અને ચામડાના કારોબારને પ્રોત્સાહન આપી રહી છે.

28 ઓક્ટોબર, 2010ના રોજ ગોવંશ 32,57,58,250 હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જો તેમાં ભેંસો મેળવી લેવામાં આવે તો આ સંખ્યા 45 કરોડની થાય છે. જો કે 70 ટકા ગોવંશ ભાગ્યે જ બચ્યો હશે. પરંતુ સરકારી આંકડાને સાચા માની લઈએ તો આપણી પાસે 20.5 કરોડ ગાયો છે. આ ગાયો દર વર્ષે ઓછામાં ઓછા 6 કરોડ ગોવંશને જન્મ આપે છે. વળી દશ કરોડ ભેંસો પણ ત્રણ કરોડ બચ્ચાઓને જન્મ આપે છે. આ પ્રજનન સંપૂર્ણપણે ગોચર જ હોતું નથી. એટલે કે લગભગ ગાય-બળદ, ભેંસ બે લાખ કરોડ રૂપિયાનું 2 કરોડ ટન ગોમાંસ પ્રદાન કરે છે. તેમાંથી 50 હજાર કરોડ રૂપિયાનું ચામડું, હાડકાં અને લોહીનો પણ વેપાર થાય છે. આ કુલ અઢી લાખ કરોડનો વેપાર દેશના વિકાસમાં કંઈજ ઉપયોગી થતો નથી. તેનાથી ન તો ગ્રામીણ વિકાસ થાય છે, ન તો રોજગારી ઉભી કરવાની તક પુરી પાડે છે. ભારતમાં ગાય સાથે ભેંસ, ઘેટાં-બકરાં-ડુક્કર વગેરેની પણ મોટાપાયે કતલ કરવામાં આવે છે. ભારતે 2006માં 29890 મેટ્રિક ટન, 2007માં 26212 મેટ્રિક ટન અને 2008માં 15648 મેટ્રિક ટન માંસની નિકાસ કરી છે. આનાથી ભારત સરકારે 58,361 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલું જ નહીં, ભારતમાં જ્યારે પણ કોઈ અન્ય દેશથી માંસ નિકાસની માંગ આવે છે, ત્યારે ભારત સરકાર પશુઓની કતલ કરીને માંસની નિકાસ કરવા ઉતાવળી રહે છે. ભારત સરકાર માંસ નિકાસને વિદેશી મુદ્રા કમાવવા માટે જરૂરી માને છે. પરંતુ પ્રાણીઓના રક્ત અને માંસના વેપારથી દેશનું ભલું થઈ શકે? જો તેમ જ હોય તો ભારતમાં 121 કરોડ માનવજીવો છે, ભારત સરકારે માનવીય રક્તના વેપારનો કારોબાર પણ શરૂ કરવો ન જોઈએ?

માંસ લોબીનું ભારત સરકાર પર દબાણ

ધી કેટલ સાઈટ લેટેસ્ટ ન્યૂઝ પર 17 સપ્ટેમ્બર, 2008માં પ્રસારીત થયેલા સમાચારમાં ભવિષ્યવાણી છે કે ભારત ગોમાંસનું ઉત્પાદન વધારે. તેની ભવિષ્યવાણી છે કે ગોમાંસ નિકાસમાં ભારતને અનિવાર્યપણે દર વર્ષે પાંચ ટકાની વૃદ્ધિ કરવી પડશે. દુર્ભાગ્યથી વણસેલી પરિસ્થિતિમાં ગાયને માતા ગણનારા ભારતમાં ગોમાંસ એક મહત્વપૂર્ણ વેપાર બની ગયો છે. 1981માં ભારતમાં ગોમાંસની નિકાસ 39 હજાર ટનની હતી. હવે તે વધીને 5 લાખ ટન વાર્ષિક થઈ છે. વિશ્વમાં સૌથી વધારે પશુધન ભારતની પાસે છે, માટે વિશ્વની માંસ લોબી એ ચિંતામાં રહે છે કે ભારત પોતાના પશુધનની કતલ કરીને માંસ, ચામડા, લોહી અને હાડકાંની આપૂર્તિ યથાવત રાખે. આ ઉદેશ્યોની પૂર્તિ માટે ભારત પર જુદીજુદી પદ્ધતિઓથી વિદેશી શક્તિઓ દબાણ બનાવવા માટે સક્રિય રહે છે. ભારત સરકાર પર વિશ્વની માંસ લોબીનું દબાણ રહે છે કે તે વધારેમાં વધારે પશુઓને કાપવાની વ્યવસ્થા કરે. માંસ લોબી વારંવાર એ વાતને પ્રચારીત કરે છેકે જો વિશ્વમાં માંસ, ચરબી, ચામડા અને હાડકાની કિંમતોમાં સંતુલન બનાવી રાખવું હશે, તો ભારતના પશુધનને કતલખાનામાં લઈ જવું ઘણું જરૂરી છે.

ટ્રેક્ટર લોબીના સ્થાપિત હિતો

ભારતમાં 48 કરોડ એક ખેતીલાયક જમીન છે. આ સિવાય 15 કરોડ 80 લાખ એકર બંજર ભૂમિ છે. ભારતમાં ખેતી માટે 10 કરોડ બળદોની જરૂરિયાત છે. પરંતુ દેશમાં હાલ ટ્રેક્ટરોનું ચલણ વધી રહ્યું છે. 1951માં દેશમાં માત્ર 9 હજાર ટ્રેક્ટરો વપરાશમાં હતા. 1961માં 31 હજાર ટ્રેક્ટરોનું ઉત્પાદન થયું. 1971માં વધીને 1.40 લાખ ટ્રેક્ટરો ઉપયોગમાં આવ્યા. 1991માં 5.20 લાખ ટ્રેક્ટરો થયા. 1991ના વર્ષમાં 14.50 લાખ ટ્રેક્ટરો અને 1998-90ના વર્ષમાં 27 લાખ ટ્રેક્ટરોનું ઉત્પાદન થયું છે. હાલ ભારતમાં 40 લાખથી વધારે ટ્રેક્ટરો ખેતીકામમાં ઉપયોગમાં લેવાય છે. આ ટ્રેક્ટરોની કિંમત લગભગ 50 હજાર કરોડ રૂપિયા થાય છે. ટ્રેક્ટર દ્વારા ભારતની માત્ર 50 ટકા ખેતીલાયક જમીન પર જ ખેતી થઈ રહી છે. હજી બીજી 24 કરોડ એકર જમીન પર ખેતી કરવા માટે આટલા જ ટ્રેક્ટરની જરૂરિયાત લંબાવી શકાય તેમ છે. માટે દેશની ટ્રેક્ટર લોબી માટે ગોહત્યા પ્રતિબંધ નુકસાનીનો ધંધો છે. કારણ કે ટ્રેક્ટર વગર ખેતી બળદોથી થતી હતી. દેશમાં સંપૂર્ણ ગોહત્યાબંધી કરવામાં આવે, તો ખેતી માટે ઉપયોગી બળદોનો પુરવઠો વધી જાય અને ટ્રેક્ટરની માંગ ઘટી જાય.આથી ટ્રેક્ટર લોબી દેશમાં ગોઆધારીત ખેતી વિકાસને આગળ વધવા દેવા તૈયાર નથી.

વધતો માંસાહાર અને ખાદ્ય સંકટ

1961માં વિશ્વમાં માંસની કુલ માંગ 7 કરોડ ટન હતી. જે 2008માં ચાર ગણી વધીને 28 કરોડ ટન થઈ ગઈ. આ દરમિયાન પ્રતિ વ્યક્તિએ માંસની ખપત બેગણી થઈ છે. ખાદ્ય ઉત્પાદનમાં પશુ ઉત્પાદોનો હિસ્સો લગભગ 40 ટકાએ પહોંચી ગયો છે. વિશેષજ્ઞોનું આકલન છે કે 2050 સુધીમાં પશુ ઉત્પાદનોની માગણી બેગણીથી વધારે થઈ જશે. ભારતમાં પણ માંસાહારનું પ્રમાણ વધી રહ્યું છે. એક સમય હતો કે જ્યારે ભારતમાં 68 ટકા લોકો શુદ્ધ શાકાહારી હતા, પરંતુ અત્યારે ભારતની કુલ વસ્તીના માત્ર 30 ટકા લોકો વિશુદ્ધ શાકાહારી છે. જો કે 25 ટકા લોકો ઘણાં ઓછા પ્રસંગે માંસાહાર કરે છે. બાકીના 45 ટકા લોકો માંસાહાર અને શાકાહાર બંનેનો ઉપયોગ કરે છે. એક સમય હતો કે જ્યારે દેશી રિયાસતો વખતે વર્ષમાં 106 દિવસ કતલખાના બંધ રહેતા હતા, પરંતુ હવે પર્યુષણ અને રામનવમી જેવાં તહેવારોમાં પણ બજારમાં જેનું ચાહો તેનું માંસ ઉપલબ્ધ થઈ જાય છે. ભારતના એક કૃષિ મંત્રીનું માનવું હતું કે અન્ય વસ્તુઓના ઉત્પાદનમાં ઘણો ખર્ચ થાય છે. પંરતુ માંસ એક એવો વેપાર છે કે તેમાં આપણું કંઈપણ ખર્ચાતુ નથી. પશુને કતલખાને મોકલો તેટલી વાર છે, બસ પછી તો ડોલર, યૂરો અને રૂપિયાના વરસાદથી ઝોળી ભરાય જાય છે. મુંબઈના એક મોટા માંસ નિકાસકારના માનવા પ્રમાણે, વિપુલ સંખ્યામાં પશુધન ભારત માટે પેટ્રોલનો કૂવો છે. જ્યારે ઈચ્છો ત્યારે તેનો ઉપયોગ કરો. ભારતમાં પશુધન સંદર્ભે સરકારની શું નીતિ હશે, તેનો સંકેત ભારત સરકારના એક મોટા અધિકારી ખુરોદીએ જીનિવા સંમેલનમાં આપેલા ભાષણ પરથી સમજી શકાય તેમ છે. ખુરોદીએ જીનિવા સંમેલનમાં કહ્યું હતું કે ભારતના 80 ટકા પશુધનને નષ્ટ કરી દેવું જોઈએ. જો કે ખુરોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે 80 ટકા પશુધનને સમાપ્ત કરતી વખતે ભારતીયોની ધાર્મિક ભાવનાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.

આજે અમેરિકામાં પેદા થનારું 70 ટકાથી વધારે અનાજ જાનવરોને ખવડાવી દેવામાં આવે છે. દુનિયાની બે તૃતિયાંશ જમીન પર પશુ આહાર પેદા કરવામાં આવે છે. પરંતુ જાણકારોનું માનીએ તો 100 કેલોરી જેટલું બીફ (ગોમાંસ) પેદા કરવા માટે 700 કેલોરી બરાબર અનાજ વપરાય છે. સીધું અનાજ ખાવાની સરખામણીમાં જાનવરોને ખવડાવીને તેમાંથી માંસ, ઈંડા અને દૂધ તૈયાર કરવામાં અનાજની વધારે ખપત થાય છે. ઉદાહરણ તરીકે વિકસિત દેશોમાં એક કિલોગ્રામ ગોમાંસ તૈયાર કરવા માટે સાત કિલોગ્રામ અનાજની ખપત થાય છે. એક કિલોગ્રામ સુવ્વરનું માંસ તૈયાર કરવામાં સાડા છ કિલોગ્રામ અનાજની લાગત આવે છે. જ્યારે એક કિલોગ્રામ ચિકન અથવા ઈંડા માટે અઢી કિલોગ્રામ અનાજ વાપરવું પડે છે. આ સિવાય પ્રત્યક્ષ રીતે અનાજના ઉપભોગની સરખામણીએ માંસના ઉપયોગથી ઊર્જા અને પ્રોટીન પણ ઓછું મળે છે. એક કિલો ચિકન અથવા ઈંડાના ઉપયોગથી 1090 કેલોરી ઊર્જા અને 290 ગ્રામ પ્રોટીન મળે છે. પરંતુ એક કિલો ચિકન તૈયાર કરવામાં લાગતા અનાજથી 6900 કેલોરી ઊર્જા અને 200 ગ્રામ પ્રોટીન મળી શકે છે.

ખાસ કરીને મોટા જાનવરોનું માંસ ખાવું ઊર્જા અને પ્રોટીનની દ્રષ્ટિએ અનાજ પ્રત્યે વધારે બિનજરૂરી ખર્ચો છે. એક કિલોગ્રામ ગોમાંસમાંથી માત્ર 1140 કેલોરી ઊર્જા અને 226 ગ્રામ પ્રોટીન મળે છે. જ્યારે એક કિલોગ્રામ ગોમાંસ તૈયાર કરવામાં લાગતા અનાજમાંથી 24,150 કેલોરી ઊર્જા અને 700 ગ્રામ પ્રોટીન મળે છે. અમેરિકામાં દર કલાકે ચાર હજાર ગાયો કપાય છે. માંસાહાર અને ખાદ્ય સંકટના સંબંધને વધારે આસાનીથી એ તથ્યથી સમજી શકાય કે બ્રાઝિલ અને અમેરિકામાં ખવાતા ગોમાંસના બનેલા એક પાઉન્ડના એક બર્ગરમાં જેટલાં અનાજનો ઉપભોગ થાય છે, તેમાં ત્રણ ભારતીયોનો આખા દિવસનો ખોરાક પૂરો પડી શકે છે.


પાકિસ્તાનને 38 હજાર ટનનું માંસ ખવડાવ્યું


સરકારના આંકડા જણાવે છે કે 2006-07માં ભારતે પાકિસ્તાનને 25,606.38 મેટ્રિક ટન, 2007-08માં 9,947.68 મેટ્રિક ટન અને 2008-09માં 2789.37 મેટ્રિક ટન માંસની આપૂર્તિ કરી છે. તેના બદલામાં ભારતને અનુક્રમે 13,309.63, 6125.58 અને 1,743.53 લાખ રૂપિયાની આવક થઈ છે. ટૂંકાણમાં કહીએ તો 38343.43 ટન માંસના બદલામાં ભારત સરકારે પાકિસ્તાન પાસેથી 21178.74 લાખ ની કમાણી કરી છે. ભારતની જાગરૂક જનતાએ વિચાર કરવો જોઈએ કે કેટલાં સસ્તી કિંમતમાં આપણાં પશુધનને શત્રુદેશનું ભોજન બનાવી દેવાય છે!

ભારતની ગાયોની કતલથી બાંગ્લાદેશને વર્ષે 1.13 ખરબ રૂપિયાની કમાણી

બાંગ્લાદેશમાં ગાયો રહી નથી. પરંતુ એક અનુમાન પ્રમાણે, દર વર્ષે બાંગ્લાદેશમાં ભારતની 45-50 લાખ ગાયોની દાણચારો થાય છે. પ.બંગાળના રસ્તે ભારતમાંથી 20થી 25 હજાર પશુઓ દરરોજ બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે લઈ જવાય છે. એક આકલન પ્રમાણે, ભારતમાંથી દાણચોરી કરીને લવાયેલા પશુઓના ચામડાં, માંસ, હાડકાં અને લોહીમાંથી બાંગ્લાદેશને દર વર્ષે લગભગ 1.13 ખરબ રૂપિયાનો વેપાર થાય છે. બાંગ્લાદેશમાં ગાયો નથી, પણ બાંગ્લાદેશ દર વર્ષે એક લાખ ટન ગોમાંસની નિકાસ કરે છે! બાંગ્લાદેશ સિવાય રાજસ્થાન સરહદેથી પણ ગાયોની તસ્કરી થાય છે. ગાયોની તસ્કરી પાછળ પણ દેશભરમાં મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. આ નેટવર્કના પણ કરોડો રૂપિયાના સ્થાપિત હિતો છે. તેઓ ગાયોની તસ્કરી કરવા માટે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ કરી રહ્યાં છે. દેશની સરહદે સુરક્ષાદળોના નાક નીચે થઈ રહેલી ગાયોની તસ્કરી ઘણાં સવાલો પેદા કરી રહી છે.

દેશમાં કુલ મળીને ગોવંશની કુલ સંખ્યા પચ્ચીસ કરોડ 11 લાખ બેતાલીસ હજારની આસપાસ હોવાનું અનુમાન છે. તેમાંથી માત્ર 35-36 લાખ ગોવંશ ગોશાળાઓમાં સુરક્ષિત છે. સ્પષ્ટ છે કે દેશનું સાડા ચોવીસ કરોડ ગોવંશ સમાજ અર્થાત ગામ, કસબા અને નગરોમાં નિવાસ કરનારા પશુપાલકો અને નાગરીકોના દરવાજે આશ્રય લીધો છે. આજે દેશમાં ભયંકર સ્થિતિ છે કે દર મિનિટે દેશના 36 હજારથી વધારે કતલખાનાઓમાં 2800 ગાયો કપાય છે. ગોહત્યાની જગ્યાએ ગોવસંવર્ધન અને ગોપાલનથી દેશને વધારે લાભ થઈ શકે તેમ છે. ગોવંશ 4 ટન પ્રતિ વર્ષના હિસાબથી 120 કરોડ ટન ગોબર અને 80 કરોડ લીટર ગોમૂત્ર પ્રદાન કરે છે. આ માત્રા દેશના વિકાસમાં સહાયક થવી જોઈએ. જો ગોશક્તિને ઉપયોગમાં લાવવામાં આવે, તો દેશમાં 120 કરોડ ટન ગોબર, 50 હજાર કરોડનું પ્રાકૃતિક ખાતર, 35 હજાર કરોડની 10 હજાર કરોડ યૂનિટ વીજળી અને એક બળદ બરાબર આઠ અશ્વશક્તિના હિસાબે 80 કરોડ અશ્વશક્તિ સમાન બળદશક્તિથી દેશની ગ્રામીણ વિદ્યુત, ઈંધણ અને પીવાના પાણીની સમસ્યાનું નિદાન થઈ શકે છે.

ભારતમાં આડેધડ થઈ રહેલી ગોહત્યા અને પશુધનની હત્યા આપણી સંસ્કૃતિ અને સભ્યતાના અસ્તિત્વની સામે લાલબત્તી ધરે છે. જાણકારોના માનવા પ્રમાણે, સમૃદ્ધ અને સમર્થ ભારતની વ્યવસ્થાને 1500 વર્ષોના હુમલાથી જેટલું નુકસાન પહોંચ્યું ન હતું, તેટલું ગત પાંચસો વર્ષમાં થયું છે. તેમાં ગત 250 વર્ષમાં જેટલું નુકસાન થયું છે, લગભગ તેટલું જ નુકસાન આપણે 50 વર્ષોમાં કર્યું છે. ગોહત્યાથી દેશનો વિકાસ ટકાઉ અને પર્યાવરણલક્ષી રહ્યો નથી. તેના કારણે ભારત એક ઉંડી ખાઈ તરફ ધકેલાઈ રહ્યું છે. ત્યારે ગોહત્યા રોકીને ગાય અને ગોવંશ આધારીક કૃષિ વિકાસ તરફ ભારત અગ્રેસર બને, તેવી વ્યાપક રાષ્ટ્રીય નીતિની જરૂરિયાત ઉભી થઈ છે. પરંતુ દેશમાં ગોહત્યાના પ્રત્યક્ષ 3થી 5 લાખ કરોડ રૂપિયાના સ્થાપિત હિતો આવી રાષ્ટ્રીય નીતિઓને ઘડવા દેશે નહીં અને આવી નીતિ ઘડાશે તો તેનો અમલ થવા દેશે નહીં. પરંતુ જેમને મન ભારતની સંસ્કૃતિ અને સભ્યતા પહેલી પ્રાથમિકતા છે, તેઓ ગાય અને ગોવંશ સહીતના પશુધનને બચાવવા માટે સરકાર પર દબાણ કરશે, જો તેઓ દબાણ ન કરે તો તેઓ પોતાની જીવનપદ્ધતિમાં ગાય અને ગોવંશનું મહત્વ જળવાય તેવી બાબતો અપનાવે તે જરૂરી છે. ગાયોની રક્ષાથી રાષ્ટ્રની રક્ષા થશે. બાકી ગાયોની કતલથી મળેલા લાખો કરોડ રૂપિયા દેશના નાગરીકોના વિકાસમાં કોઈ રીતે કામમાં આવવાના નથી.

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

વિકૃત સેક્યુલારિઝ્મથી ભારત સત્યાનાશના માર્ગે!


- આનંદ શુક્લ

વિવાદના વંટોળમાં ભારતના રાષ્ટ્રહિતો મરી રહ્યાં છે. દેશના રાજકીય પક્ષોને પોતપોતાની વોટબેંક સાચવવા સિવાય અન્ય કોઈ વાતની પરવાહ નથી. રાજનીતિનું લક્ષ્ય માત્ર અને માત્ર સત્તાપ્રાપ્તિ રહ્યું છે. રાજનીતિમાં રાષ્ટ્રસેવા, સમાજસેવા અને જનસેવા ગેરહાજર છે. રાજકીય પક્ષો અને નેતાઓની સ્વહિત સાધના રાષ્ટ્રને બેહદ નુકસાન પહોંચાડી રહી છે. દેશની સંસદમાં દેશહિત અને રાષ્ટ્રહિતની મોટાભાગે વિવાદો કરીને અવહેલના કરવામાં આવી છે. આતંકવાદ, કોમવાદ, નક્સલવાદ, પાકિસ્તાન, કાશ્મીર, ચીન, અમેરિકા સાથેના સંબંધો, ભ્રષ્ટાચાર, ભૂખ, ગરીબી, બેકારી જેવાં ઘણાં બધાં મુદ્દાઓ પર કોઈપણ પ્રકારની રાષ્ટ્રીય નીતિનો અભાવ છે. આ તમામ મુદ્દા રાષ્ટ્રનીતિના નહીં, રાજનીતિના ભાગ બની ગયા છે. લોકોની ઝંખના છે કે તેમને સારું, સ્વસ્થ અને સુરક્ષિત જીવન મળે. પણ સ્વહિત સાધનાથી સત્તાપ્રાપ્તિ માટેના લક્ષ્યમાં લાગેલા રાજકીય પક્ષો અને નેતાઓ લોકોની આવી કોઈ લાગણીને માન આપી રહ્યાં નથી.

દિલ્હીમાં 7મી સપ્ટેમ્બર, 2011ના રોજ હાઈકોર્ટના ગેટ નંબર-5 પર વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ વિસ્ફોટ ભારતનું ભાગ્ય બની ગયું છે. એથી વધારે દુર્ભાગ્ય છે કે બે દશકાથી આતંકવાદથી પીડિતા ભારત પાસે તેનો સામનો કરવાની કોઈ રાષ્ટ્રીય નીતિ નથી, કોઈ કડક કાયદો નથી અને રાજકીય પક્ષો પોતપોતાની ટ્યૂન વગાડીને રાજનીતિ કરી રહ્યાં છે. શું 26/11 બાદ આતંકના ભયાવહ ચહેરાને જોયા પછી ભારતીય સંસદ એક વિશેષ સત્ર આતંકવાદ સામેની રાષ્ટ્રીય નીતિ ઘડવા માટે કોઈ વિશેષ સત્ર બોલાવીને ચર્ચા ન કરી શકે? પણ દેશનું દુર્ભાગ્ય છે કે વિવિધ રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો પોતપોતાની જવાબદારીઓ ભૂલી જાય છે.

યુપીએ-1ના સમયગાળામાં સૌથી પહેલું કામ આતંકવાદ વિરોધી કાયદો પોટાને હટાવવાનું થયું હતું. આ કામ તેમણે કોઈ રાષ્ટ્રહિતમાં કર્યું ન હતું, પરંતુ મુસ્લિમોને હેરાનગતિ થઈ રહી હોવાના આક્ષેપ સાથે તેમણે પોટાને હટાવ્યો હતો. વિચાર કરો કે જ્યારે આતંકવાદથી દુનિયા ત્રસ્ત હોય, અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધ્વસ્ત થયા હોય અને ભારતની સંસદ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયત્ન થયો હોય, ત્યારે પોટા જેવા કડક આતંકવાદ વિરોધી કાયદાને હટાવી દેવો કેટલું તર્કસંગત લાગ છે? આતંકવાદની રાજનીતિ તો પાકિસ્તાન ભારતમાં કરી રહ્યું છે, પરંતુ ભારતના રાજકારણીઓ આતંકવાદ પર રાજનીતિ કરી રહ્યાં છે. મુસ્લિમ વોટબેંકને છાવરવાની રાજનીતિ આતંકવાદના મુદ્દે મહત્વની બની છે. આતંકવાદ સામે કડક કાયદાનો વિરોધ કરનારાઓનો તર્ક હતો કે કાયદો ઘડવાથી કંઈ આતંકવાદ રોકાવાનો નથી અને ભારત પાસે પુરતા કાયદા છે કે તેના દ્વારા આતંકવાદનો સામનો થઈ શકે છે. ત્યારે સવાલ એ છે કે દેશમાં બે દાયકાથી આતંકવાદ શા માટે કાબૂમાં આવતો નથી? દેશમાં 26/11ની ઘટના પછી પણ કોઈ બોધપાઠ શા માટે લેવામાં આવ્યો નથી? શું જેલમાં બેસીને મટન-બિરયાની ખાઈ રહેલા અફઝલ ગૂરુ અને કસાબને જોઈને કોઈ આતંકવાદ વિરોધી કડક કાયદાની અને ન્યાયપ્રણાલીને વધારે ઝડપી બનાવવાની જરૂરત દેખાતી નથી?

ખરેખર આતંકવાદના મુદ્દે વિવિધ તર્કોથી લોકો તંગ આવી ગયા છે. કોઈ કહે છે કે આતંકવાદને ધર્મ હોતો નથી, કોઈ કહે છે કે આતંકવાદનો કોઈ રંગ હોતો નથી, કોઈ કહે છે કે આતંકવાદ સામે કોઈ કડક કાયદાની જરૂરત નથી, કોઈ કહે છે કે આતંકવાદનું કારણ ગરીબી, બેકારી અને શિક્ષણનો અભાવ છે, કોઈ કહે છે કે આતંકવાદ ગેરમાર્ગે દોરાયેલાઓનું કૃત્ય છે. ત્યારે જનતા જાણવા કંઈક જાણવા ઈચ્છે છે. ભારતમાં કેટલા પ્રકારના આતંકવાદ અસ્તિત્વમાં છે? તેમનું હાલનું સ્ટેટસ શું છે? આ તમામ આતંકવાદનું કારણ શું છે? દેશમાં આઝાદી બાદ કેટલાં આતંકવાદી હુમલા થયા? આ આતંકવાદી હુમલા ક્યારે અને ક્યાં ઠેકાણે થયા? આ હુમલા પાછળનો ઉદેશ્યોની સરકારને તપાસ બાદ જાણ થઈ છે? આ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની સંખ્યા શું હતી? આ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના નામ જાહેર કરો? આ દરેક આતંકવાદી હુમલા બાદ સહાયતા રાશિ કેટલી અને કેવી રીતે ચુકવવામાં આવી? આ આતંકવાદી હુમલા બાદ સરકારે ક્યાં પગલાં લીધા? આ આતંકવાદી હુમલાની તપાસનું સ્ટેટસ શું છે? આ આતંકવાદી હુમલાની ઘટનામાંથી કેટલાંમાં ગુનેગારોને સજા થઈ? આતંકવાદીઓને સજા થયા પછી તેનો અમલ કેટલા કિસ્સામાં થયો? આતંકવાદ સામે લડવામાં દેશની રાષ્ટ્રીય નીતિ શું છે?

આતંકવાદી હુમલાઓ બાદનું રાજકીય વાતાવરણ હંમેશા જણાવે છે કે આવા કોઈપણ સવાલોના જવાબ દેશના નેતાઓ પાસે નથી અને જનતાની સંવેદનાઓને એટલી મૂઢ બનાવી દેવામાં આવી છે કે તેઓ આવા કોઈ પ્રશ્નોનો જવાબ પુછી શકે તેવી સ્થિતિમાં નથી.

આ સિવાય દેશમાં કોમવાદી રાજકારણ ચાલી રહ્યું છે. કોમવાદનો એવો અર્થ નથી કે બહુમતીને છાવરવા જ કોમવાદ ગણાય. કોમવાદ તો લઘુમતી-મુસ્લિમ અને ખ્રિસ્તીઓને છાવરવા પણ છે. પરંતુ દેશના કર્મશીલો અને રાજકારણીઓ આ વાતને ભૂલી જાય છે. જેના કારણે દેશના બહુમતી સમાજમાં પણ પ્રતિક્રિયાઓ, આશંકાઓ અને તણાવ ઉભો થાય છે. ભારતના બંધારણે કાયદાને તમામ માટે સમાન અને કાયદા સામે તમામ સમાન હોવાની વાત ભારપૂર્વક કરી છે. દેશના દરેક વ્યક્તિને મૂળભૂત અધિકારો આપ્યા છે. પરંતુ સાથે સાથે વિશેષ અનુચ્છેદ દ્વારા લઘુમતીઓને સંરક્ષણ પણ આપ્યું છે. જો કે આ સંરક્ષણને સંરક્ષણ ન રહેવા દઈને દેશના રાજકીય નેતાઓએ લઘુમતી તુષ્ટિકરણનો હાઈવે બનાવી દીધો છે. દેશને આઝાદી મળી, તેની સાથે જ વિભાજનનું દુ:ખ પણ મળ્યું. આ દુ:ખ ક્યાં કારણોથી મળ્યું, તેની કોઈ ચર્ચા વ્યવસ્થિત રીતે જનતા સમક્ષ કરવામાં આવી નથી. દેશમાં મુસ્લિમ લીગના કોમવાદી રાજકારણે પાકિસ્તાનની પેદાશ કરી છે. આ વાતને ગમે તેવા રૂપાળા તર્કો અને તથ્યોને વિક્ષેપિત કરીને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવે, પણ તે વધારે સમય સુધી છુપાય શકે તેમ નથી.

દેશનું સુપર કેબિનેટ નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ દેશના કોમવાદથી ઘણી બધી રીતે પરેશાન છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી નેશનલ એડવાઈઝરી કાઉન્સિલે પ્રિવેન્સન ઓફ કોમ્યુનલ એન્ડ ટાર્ગેટેડ વાયોલન્સ એક્ટ-2011 બનાવ્યો છે. પરંતુ તે બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધનો કાયદો છે. વળી તે કાયદા સામે તમામને સમાન અને તમામ માટે કાયદાને સમાન ગણવાની મૂળ ભાવનાનો છેદ ઉડાડી રહ્યો છે. આ કાયદા પ્રમાણે કોમવાદી અને લક્ષિત હિંસા માટે માત્ર અને માત્ર બહુમતી સમાજ એટલે કે આ દેશનો હિંદુ જ જવાબદાર છે. નેશનલ એડવાઈઝરી કાઉન્સિલનું આ ફેક્ટ ફાઈન્ડિંગ કેટલું ભયંકર છે, તેનો અંદાજો લગાવતા વિશેષજ્ઞોને કંપકપી છૂટી જાય છે. આ કાયદો સમાજનું કેટલી હદે વિઘટન કરશે, તેની તેના બનાવનારને ખબર નથી.

ત્યારે સવાલ એ છે કે દેશમાંથી કોમવાદનું નિર્મૂલન કરવું છે કે તેના પર રાજકારણને છૂટોદોર આપવો છે? જો દેશમાં કોમવાદના નિર્મૂલનની દિશામાં કંઈક વિચાર કરવો હોય, તો દેશની સરકારે થોડા સવાલોના જવાબ સાર્વજનિક કરવા જોઈએ. ભારતના વિભાજન માટે ક્યાં પરિબળો અને કોની રાજનીતિ જવાબદાર હતી? આઝાદ ભારતમાં કોમી અને લક્ષિત હિંસાના કેટલાં બનાવો બન્યા? આ બનાવો ક્યારે અને કઈ જગ્યાએ બન્યા? તેની પાછળના સંભવિત કારણો ક્યાં હતા? કોમી અને લક્ષિત હિંસાની ઘટનામાં માર્યા ગયેલાઓ અને ઘાયલોના નામ ઘટનાવાર જાહેર કરવામાં આવે? આવી ઘટનાઓમાં મૃતકો અને ઘાયલોને ચુકવવામાં આવેલી સહાયતા રાશિઓને ઘટનાવાર નામ સાથે જાહેર કરવામાં આવે? કોમી અને લક્ષિત હિંસાની ઘટનાઓ સંદર્ભે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વલણોને જાહેર કરવામાં આવે? આવી કેટલી ઘટનાઓની તપાસ તેના અંજામ સુધી પહોંચી? આવી ઘટનાઓ બાદ કેટલાં લોકોની ધરપકડ કરવામાં આવી અને તેમાથી કેટલાં લોકોને સજા થઈ તે ઘટનાવાર દર્શાવવામાં આવે. શું ભારતમાં આતંકવાદ અને કોમવાદી ઘટનાઓ વચ્ચે કોઈ આંતરસંબંધ છે?

આ સવાલોના જવાબ મળે તો જાણી શકાય કે દેશમાં કોમવાદ કેમ છે? તેના માટે કોણ મોટાભાગે જવાબદાર છે? આવી ઘટનાઓ કેવી રીતે થાય છે અને તેમાં સજા અને સહાયતા કેવી રીતે થાય છે? ત્યાર બાદ જો તો કોઈ કાયદો બનાવી શકાય. પણ આ બાબતોની ચર્ચા કર્યા વગર તેને ધ્યાન પર કાયદો બનાવીને હિંદુઓને કોર્ટની કાર્યવાહી વગર દોષિત ઠેરવી દેવા કેટલી હદે વ્યાજબી છે? ભારતમાં આતંકવાદ અને કોમવાદ વચ્ચે સંબંધ હોવાની વાત ઘણાં કિસ્સાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામે આવી છે. ત્યારે શું કોમવાદ અને લક્ષિત હિંસા સંદર્ભે મુસ્લિમોને તોફાન કરવાનો પરવાનો આપતા કાયદાથી આતંકવાદને રોકવા માટેનું લક્ષ્યાંક સિદ્ધ કરી શકાશે?

આના સિવાય પણ હિંદુઓની ધાર્મિક લાગણીઓની કોઈ દરકાર કરવામાં આવતી નથી. હિંદુઓ ગાયને માતા ગણે છે અને હિંદુઓમાં ગોમાંસ વર્જ્ય છે. ત્યારે ગોહત્યાને રોકવા માટે દેશવ્યાપી કડક કાયદા બનાવવાની કોઈ હિલચાલ કરવામાં આવતી નથી.બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ગોહત્યા પ્રતિબંધક કાયદાની ભલામણ કરવામાં આવી છે. પરંતુ જે રાજ્યોમાં ગોહત્યા પ્રતિબંધક કાયદા છે, ત્યાં કાયદાનો કડકાઈથી અમલ થઈ રહ્યો નથી.

હિંદુ ધાર્મિક સ્થાનો અને ટ્રસ્ટો પર સરકારની ગીધદ્રષ્ટિ છે. જ્યારે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મસ્થાનો અને ટ્રસ્ટોને વિશેષાધિકાર આપી દેવાયા છે. કર્ણાટક જેવાં રાજ્યમાં ભાજપની સરકારે જ મંદિરોનો વહીવટ પોતાના હસ્તગત લઈ લીધો છે. વળી મંદિરોની દાનની આવક હિંદુ ધાર્મિક કાર્યો માટે જ વપરાય તેવી કોઈ ચોકસાઈ રાખવામાં આવતી નથી. મંદિરોની આવકને હજની સબસિડી, મદરેસાઓ અને અન્ય ધર્મના કામમાં પણ વાપરવામાં આવે છે. ત્યારે હિંદુઓ પોતાના ધાર્મિક સ્થાનો, મંદિરો અને ટ્રસ્ટોમાં દાન કરીને ધાર્મિક પ્રવૃતિઓ કેવી રીતે ચલાવી શકશે? તેનો કોઈ અર્થ કેવી રીતે રહેશે?

આ દેશનો આત્મા હિંદુત્વ છે. પરંતુ દેશનું શાસન સેક્યુલર માળખાં નીચે ચાલી રહ્યું છે.આમા દેશમાં તમામ ધર્મની સાથે સમાન વ્યવહાર કરવો સરકારની ફરજ છે. પરંતુ સરકાર તેમ કરી રહી નથી. તેની વધુ સાબિતીઓ ઉપરોક્ત સવાલોના જવાબો જાહેર થયા બાદ આપોઆપ લોકો સામે સ્પષ્ટ બનશે.સેક્યુલારિઝ્મની વિકૃત વ્યાખ્યા કરવી આ દેશની મુસ્લિમ વોટબેંક માટે લાળ ટપકાવતા નેતાઓ માટે સામાન્ય વાત છે. દેશમાં હિંદુઓને જ પીડિત બનાવીને અન્ય પંથ-સંપ્રદાય-મજહબોને વિશેષ લાભો આપીને તુષ્ટિકરણ કરીને દેશના સોશ્યલ એન્જિનિયરિંગ સાથે ભયાનક અને ભાગલાવાદી પ્રયોગ થઈ રહ્યો હોય તેમ લાગતું નથી? દેશ માટે સેક્યુલારિઝ્મની વિકૃત વ્યાખ્યા, વિકૃત વ્યવહાર તમામ પ્રકારે અને સ્તરે ખતરનાક પુરવાર થયો છે અને થતો રહેશે.ત્યારે જરૂરી છે કે દેશની જનતા સ્વયંભૂ જાગૃત બનીને દેશના નેતાઓ અને રાજકારણીઓને વિકૃત સેક્યુલારિઝ્મનો માર્ગ છોડાવા માટે અભૂતપૂર્વ દબાણ ઉભું કરે, રાષ્ટ્રહિતમાં રાષ્ટ્રીય નીતિઓ બનાવવા માટે દબાણ કરે.જો દેશની તમામ સમસ્યાનો અભ્યાસ કરવામાં આવે,તો તેમાંથી મોટાભાગની સમસ્યાઓના મૂળમાં વિકૃત સેક્યુલરોની સેક્યુલારિઝ્મના નામે આચરવામાં આવેલી વિકૃતિઓ છે.

રવિવાર, 7 ઑગસ્ટ, 2011

હિંદુઓએ મુદ્દાઓના તાર્કિક અંત માટેની લડાઈ લડવી પડશે


-આનંદ શુક્લ

હિંદુ જાગી રહ્યો છે, પરંતુ નિષ્ક્રિય બનીને તમામ ઘટના-દુર્ઘટનાને થતી જોઈ રહ્યો છે. મુંબઈમાં તાજેતરમાં બોમ્બ વિસ્ફોટો થયા, વળી પાછા નિર્દોષ લોકોનું લોહી રેડાયું. હિંદુઓએ બળાપો કાઢયો કે સરકાર કંઈ કરતી નથી, હિંદુ સંગઠનો કંઈ કરતા નથી, નેતાઓના પેટનું પાણી હાલતું નથી. પરંતુ હકીકત એ છે કે હિંદુ સમાજ કંઈ કરવા ઈચ્છતો નથી, સમાજના પેટનું પાણી હાલતું નથી. આખો સમાજ મૂઢ બનીને તમામ અત્યાચારો અને દુર્ઘટનાઓને થતી જોઈ રહ્યો છે. તેમને હજી સરકાર, સંગઠનો અને નેતાઓ પર વિશ્વાસ છે. પરંતુ મોટાભાગે તેમનો વિશ્વાસ નઠારા તંત્ર, નકામા સંગઠનો અને નપાવટ નેતાઓને કારણે ઠગારો નીવડે છે. હિંદુઓએ દેશના ભૂતકાળને યાદ રાખવો જોઈએ. તેમની સાથે થયેલા અને થઈ રહેલા છળ-કપટને યાદ રાખવા જોઈએ. પરંતુ દુર્ભાગ્ય એ વાતનું છે કે હિંદુ કંઈ યાદ રાખતો નથી અથવા તો એમ કહો કે હિંદુઓને ઘણી વસ્તુઓ વિસ્મૃત કરાવી દેવામાં નેતા, સંગઠનો અને સરકાર હંમેશા કામિયાબ થાય છે.

બહુ દૂર ન જઈએ તો યાદ કરો કે છેલ્લી એક સદીમાં ચાલેલા કેટલાં આંદોલનો તેના તાર્કિક અંત સુધી પહોંચી શક્યા અને કેટલાં આંદોલનો તાર્કિક અંત સુધી ન પહોંચ્યા? આવા આંદોલનમાં આઝાદીનું આંદોલન મુખ્ય છે. ભારતને આઝાદી મળી, પણ કેવી આઝાદી મળી? ખંડિત અને લોહિયાળ આઝાદી. કહેવામાં આવે છે કે ભારતમાં અહિંસક આંદોલનથી આઝાદી મળી, પરંતુ કેટલીક કહેવાતી લોહિયાળ ક્રાંતિ કરતાં વધારે લોહી ભારતે આઝાદીની ચળવળ વખતે અને આઝાદી વખતે રેડયું છે. આ આઝાદી માટે લડનારા નેતાઓ, સંગઠનોએ કહ્યું હતું કે ભારતને પૂર્ણ આઝાદી મળશે અને ભારત અખંડ રહેશે. પરંતુ ભારતના હિંદુ નેતાઓ અને તે વખતે હિંદુ સંગઠન તરીકે માન્યતા પ્રાપ્ત કોંગ્રેસ ભારતના ભાગલા રોકવામાં નિષ્ફળ ગઈ. મહાત્મા ગાંધી ભારતના લોહીયાળ ભાગલાની પરિસ્થિતિમાં પણ મહાત્મા બનીને વર્તયા. તેના કારણે હિંદુઓને બેફામ પીડા સહન કરવી પડી.

વાત એટલેથી અટકતી નથી, ભારતને ખંડિત આઝાદી તો મળી, પરંતુ તેની સાચી ઓળખ પણ સ્થાપિત થઈ નહીં. ભારતમાંથી છૂટા પડેલા પાકિસ્તાને પોતાને ઈસ્લામિક સ્ટેટ જાહેર કર્યું, પરંતુ ભારતના નેતાઓ અને તે સમયના એકમાત્ર સર્વશક્તિમાન સંગઠન કોંગ્રેસે ભારતના હિંદુઓને ઓળખ વગરનું સેક્યુલર સ્ટેટ આપ્યું. ભારતની આઝાદીની ચળવળ જે રીતે ચાલી અને તેનો જે અંત આવ્યો, તેમાં જે પરિણામ ભારતના હિંદુઓના માથે થોપવામાં આવ્યું, તે જરાપણ તાર્કિક ન હતું. છતાં હિંદુઓ તત્કાલિન સંગઠનો, નેતાઓ અને સરકાર પર પોતાની હિતરક્ષા માટેનો વિશ્વાસ રાખીને બેઠા રહ્યાં.

ત્યાર બાદ સ્વતંત્ર ભારતમાં ગોહત્યા વિરોધી આંદોલન થયું. ગાય હિંદુઓ માટે ધાર્મિક રીતે અતિ પવિત્ર છે. છતાં મુસ્લિમો તેની ખુલ્લેઆમ કતલ કરતાં હતા. આવી સ્થિતિમાં કેટલાંક નેતાઓ અને સંગઠનોએ ગોહત્યાના વિરોધમાં આંદોલન શરૂ કર્યું. દેશ આખો ગોહત્યા વિરોધમાં ઉભો થઈ ગયો. સંસદનો ઘેરાવો થયો, સરકારની અંદરના નેતાઓ પણ ગોહત્યાના વિરોધમાં આંદોલનના સમર્થનમાં સામે આવ્યા. ઈન્દિરા ગાંધી જેવાં શક્તિશાળી વડાપ્રધાનને ગોહત્યા વિરોધી આંદોલનએ માથે તણાવની રેખાઓ પાડી દીધી. પરંતુ ગોહત્યા વિરોધમાં ચાલેલા આંદોલનનો તાર્કિક અંત આવ્યો નહીં. તે વખતે આંદોલન કોઈપણ નક્કર પરિણામ વગર આટોપી લેવાયું. જો કે ભારતમાં કેટલાંક રાજ્યોમાં ગોહત્યા પ્રતિબંધિત કરતાં કાયદા ઘણાં રાજ્યોએ પારિત કર્યા. પરંતુ તેનો કડકાઈથી અમલ થતો નથી. સરકાર હેલ્મેટ પહેરવાના કાયદાના અમલ માટે તમામ શક્તિ લગાવી રહી છે. પોલીસ તંત્ર પણ વાહનચાલકોને હેલ્મેટ પહેરાવા મેદાને પડવા માટે તૈયાર છે. પરંતુ ગોહત્યા પ્રતિબંધક કાયદાના અમલ માટે પોલીસ તંત્ર અને સરકાર, સંગઠનો અને નેતાઓ કોઈ ગંભીર પગલાં ઉઠાવી રહ્યાં નથી. અખબારોમાં ગોહત્યાના સમાચાર અવાર-નવાર વાંચવામાં આવે છે. ત્યારે વાંચીને દુ:ખની લાગણી અવશ્ય થાય છે કે હિંદુ સમાજની સક્રિયતાની ધાક તંત્ર, સરકાર, સંગઠનો અને નેતાઓ પર બિલકુલ નથી, જેને કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે.

આ સિવાય બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ પહેલા આસામ-પ. બંગાળમાં આંદોલનો ચાલ્યા. ત્યારબાદ આખા દેશમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ આંદોલનો થયા. પરંતુ પરિણામ શું આવ્યું? મહાશૂન્ય. વોટની લાલચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેના આંદોલનને તેના તાર્કિક અંત સુધી પહોંચાડવામાં આવ્યું નહીં. બાંગ્લાદેશી ઘૂસણખોરોને બાંગ્લાદેશમાં ખદેડવા માટે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે બાંગ્લાદેશી ઘૂસણખોરોથી દક્ષિણ આસામ અને પ. બંગાળના સરહદી જિલ્લાઓ વસ્તીથી ઉભરાઈ રહ્યાં છે. મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવાં ભારતના અન્ય શહેરોમાં બાંગ્લાદેશીઓની મોટી વસાહતો છે. જે લોકો બાંગ્લાદેશીઓ વિરુદ્ધ આંદોલન કરતાં હતા, તેઓ સત્તા પર આવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આ આંદોલનનો તાર્કિક અંત સત્તા સુધી પહોંચવાનો એક વળાંક પાર કરવા સુધીનો સાબિત થયો છે. આ બાબત હિંદુ સમાજ સામે છેતરપિંડી નથી? હિંદુ સમાજે તેમની સામે કેવી રીતે વર્તવું જોઈએ?

આ સિવાય કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની વાત, સમાન નાગરીક ધારો અને રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરની સ્થાપનાના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ પર છેડાયેલા આંદોલનનો શું હાલ થયો છે, તે તો આપણી સામે છે. આ આંદોલનો સત્તા પ્રાપ્તિ થયા બાદ બંધ કરી દેવામાં આવ્યા અને મુદ્દાઓને કોલ્ડબોક્ષના મ્યુઝિયમમાં સજાવીને રાખવામાં આવ્યા છે. હિંદુઓએ એમ વિચારી લીધું કે સમાજ અને રાષ્ટ્ર હિતના મુદ્દાઓ નેતાઓ, સંગઠનો અને સરકારે પોતાને હસ્તગત લીધા છે, માટે પોતે શાંતિથી ઉંઘી શકશે. પરંતુ તેમનો વિશ્વાસ ઠગારો નિવડયો. કારણ કે હિંદુઓએ સમાજ તરીકે, વ્યક્તિ તરીકે પોતાની સક્રિયતા ગુમાવી દીધી. તેને કારણે સત્તાની દુકાન પર બેઠેલા તમામ બેફિકર બનીને વર્તવા લાગ્યા.

હિંદુ સમાજે આ તમામ બાબતોનો હિસાબ લેવાનો વખત આવી ગયો છે. આતંકવાદ, નક્સલવાદ, લઘુમતી તુષ્ટિકરણના મુદ્દાઓ સામે પણ ચલાવવામાં આવેલા અભિયાનો ઉધામા સાબિત થયા છે. કારણ કે આ અભિયાન ચલાવનારાઓ પર હિંદુ સમાજને વિશ્વાસ ન નથી અને પોતે વ્યક્તિ તથા સમાજ તરીકે સક્રિય થવા માગતો નથી. પરંતુ હકીકત એ છે કે જે ખુદની મદદ કરે છે, તેને ઈશ્વર મદદ કરે છે, બાકીના ઈશ્વર સહાય વગરના જ રહે છે. શ્રીમદ ભગવદ ગીતાના એક શ્લોકને વારંવાર યાદ કરવામાં આવે છે-

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥७॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥८॥

એટલે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થવા લાગે છે અને અધર્મ વધવા લાગે છે, ત્યારે ત્યાર હું પોતે જન્મ લવું છું. સજ્જનોની રક્ષા અને દુષ્ટોનો વિનાશ અને ધર્મની પુનર્સ્થાપના માટે હું જુદાંજુદાં યુગોમાં અવતરિત થવું છું.
આ મહાન ગ્રંથરૂપે કૃષ્ણની વાણી પર હિંદુઓનો વિશ્વાસ હોવો સ્વાભાવિક છે. પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે દરેક જીવ શિવનો અંશ છે, માટે દરેક મનુષ્યમાં પણ ઈશ્વરીય અંશ છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થવા લાગે છે અને અધર્મ વધવા લાગે છે, ત્યારે ત્યારે મનુષ્યમાં રહેલો ઈશ્વરનો અંશ પ્રભાવી બનવો જોઈએ અને તે વ્યક્તિ જ ઈશ્વર તરીકે વર્તીને દુષ્ટોનો વિનાશ અને ધર્મની પુનર્સ્થાપના કરવાની વૃતિ પોતાનામાં અવતરિત કરીને ઈશ્વરનો પ્રાદૂર્ભાવ કરી શકે છે. પરંતુ આવું કેટલાં હિંદુ કરવા માટેની તૈયારી રાખી રહ્યાં છે? ધર્મની રક્ષા કરો, તે તમારી રક્ષા કરશે- धर्मो रक्षति रक्षितः

પરંતુ આપણામાંથી કેટલાં ધર્મની સાચા અર્થમાં રક્ષા કરી શક્યા છે? જો ધર્મની સાચા અર્થમાં રક્ષા થઈ હોત, તો તે આપણી રક્ષા કરત અને આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનશનના તાયફા કરવા પડયા ન હોત. એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે દરેક હિંદુ દેવી-દેવતાના હાથમાં શસ્ત્ર અને શાસ્ત્ર બને છે. શાસ્ત્ર ધર્મ સમજાવા માટે છે અને શસ્ત્ર ધર્મનો અનાદર કરનારને સમજાવા માટે છે. આ કામ દરેક દેવી-દેવતાએ ખુદ કર્યું છે. ત્યારે જ તો તે દેવી-દેવતા બન્યા છે. ત્યારે હિંદુએ વ્યક્તિ તરીકે મજબૂત બનીને સામે આવવું પડશે. પોતાની ખુદની રક્ષા માટે ખુદના સિવાય અન્ય કોઈ પર આધાર રાખવાનું બંધ કરવું પડશે. આતંકવાદીના બોમ્બ-ગોળાથી બચવા, પોતાની ગાય બચાવવા, બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભગાડવા, કાશ્મીરની સમસ્યાના ઉકેલ માટે, સમાન નાગરીક ધારા માટે, રામજન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટે, મુસ્લિમ તુષ્ટિકરણના રાજકારણને ડામવા માટે હિંદુઓએ ખુદ કોઈ સંગઠન, નેતા કે સરકારને ભરોસે રહ્યાં વગર મેદાનમાં આવવું પડશે. કારણ કે સરકારો, નેતાઓ અને સંગઠનો તો આવશે અને જશે, પરંતુ જો હિંદુઓએ ભારતને જીવંત રાખવું હશે, તો સ્વયં પોતાના મુદ્દાઓ માટે પરિસ્થિતિ પ્રમાણેની રણનીતિથી લડવું પડશે. હિંદુઓએ પોતાની લડતમાં સાચા તાર્કિક અંત સુધી પહોંચવું પડશે. આ સાચો તાર્કિક અંત એ છે કે હિંદુઓએ ભારતને તેની ઓળખ અક્ષુણ્ણપણે પાછી આપવી. શું તમે હિંદુ ભાઈઓ અને બહેનો ભારતને તેની અક્ષુણ્ણ ઓળખ પાછી અપાવવા માટે તૈયાર છો?