લેબલ ફાંસી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ફાંસી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 31 ઑગસ્ટ, 2011

ફાંસીની સજા પર નિર્લજ્જ રાજકારણ!


-આનંદ શુક્લ

રાજ્યનું ગુનેગારો પ્રત્યે નરમ વલણ ગુનાઓની તીવ્રતા અને સંખ્યામાં વધારો કરે છે. આ પ્રકારનો અહેસાસ ભારતને વર્ષોથી થઈ રહ્યો છે. સંસદ પર હુમલાની સજા ફાંસી છે, ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનીહત્યાની સજા ફાંસી છે, પંજાબમાં આતંકવાદી હત્યાઓની સજા ફાંસી છે. પરંતુ દેશનું કમભાગ્ય છે કે રાષ્ટ્રીય અને પ્રાદેશિક કારણોને કારણે આવા ગુનેગારોની ફાંસીની સજા પર નિર્લજ્જ રાજકારણ ખેલાય છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ત્રણ હત્યારાઓની દયા અરજી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે કેટલાંક દિવસ પહેલા ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાજીવના હત્યારાઓને ફાંસી આપવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. પરંતુ મદ્રાસ હાઈકોર્ટે કેટલીક બાબતોને આધારે હત્યારાઓની ફાંસીની સજાને હાલપૂરતી આઠ સપ્તાહ માટે થંભાવી દીધી છે. કોર્ટે સવાલ કર્યો છે કે ગુનેગારોની દયા અરજી પર નિર્ણય કરવામાં 11 વર્ષોનો લાંબો સમય કેમ લાગ્યો?

જસ્ટિસ સી. નાગપ્પન અને જસ્ટિસ એમ. સત્યનારાયણનની ખંડપીઠે મામલાને કાયદા સામે એક પ્રશ્ન ગણાવ્યો છે. વાસ્તવમાં ત્રણેય ગુનેગારો જેલમાં 20 વર્ષની સજા કાપી ચુક્યા છે. તેવામાં ઘણાં લોકો સવાલ કરે છે કે શું આટલી લાંબી સજા કાપ્યા બાદ પણ ફાંસી આપવી યોગ્ય છે? આ તમામ ઘટનાક્રમ વચ્ચે તમિલ રાજકારણના સમીકરણોને કારણે તમિલનાડુની વિધાનસભાએ ફાંસીની સજા ઓછી કરવા માટે એક ઠરાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવ રાજ્યના લોકોની ભાવનાત્મક અપીલના નામે કરવામાં આવ્યો હતો. તેમા રાષ્ટ્રપતિને ફાંસીની સજા સંદર્ભે પુનર્વિચાર કરવાની અપીલ કરવામાં આવી છે. જો કે વિધાનસભાનો ઠરાવ કોઈને બાધ્યકારી નથી.

રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીની સજા ઓછી કરવાની અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવાને કારણે દક્ષિણ ભારતમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. આજે દેશમાં દરેક સંવેદનશીલ મુદ્દા પર રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશ થઈ રહી છે. તમિલ રાજકારણને કારણે તમિલનાડુના ઘણાં નેતા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીને આજીવન કેદમાં ફેરવવાની માગણી કરી રહ્યા છે. મામલો ચાહે પંજાબમાં દેવિંદરપાલ સિંહ ભુલ્લરનો હોય કે દક્ષિણમાં રાજીવના હત્યારા મુરુગન, પેરારિવલન અને સંતનનો, ફાંસીની સજાને ઉંમરકેદમાં ફેરવવાની માગણી કરવા પાછળ રાજકીય પક્ષોનો ઉદેશ્ય પ્રાદેશિક મતદારોની સહાનુભૂતિ હાસિલ કરીને પોતાની રાજકીય જમીન મજબૂત કરવાનો છે.

રાજકીય સાંકડાપણું પ્રાદેશિકતાને કારણે તેજ બન્યું છે. પહેલા તો કેટલાંક સ્થાનિક સંગઠનો જ રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી આપવાનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે મામલાએ આગ પકડી, તો કોંગ્રેસના સહયોગી અને તમિલ રાજકારણને હવા આપનારું ડીએમકે પણ તેમા સામેલ થઈ ગયું. જયલલિતા એક પગલું આગળ વધીને કેન્દ્ર સરકારને અપીલ કરી કે જો આ હત્યારાઓની ફાંસીની સજા ઉંમરકેદમાં ફેરવી દેવામાં આવશે, તો તમિલ લોકો ખુશ થશે. આ પ્રકારની કવાયતોથી રાજકીય પક્ષો રાજ્યના લોકોની ભાવનાઓ ભડકાવાની વધારે કોશિશ કરી રહ્યાં છે.

તમિલનાડુની રાજનીતિ શ્રીલંકામાં તમિલ સંગઠન એલટીટીઈની હાર બાદ સંપૂર્ણપણે બદલાઈ ચુકી છે. જો ત્રણેય ગુનેગારોને ફાંસી આપી દેવામાં આવે, તો પણ કોઈ મોટી રાજકીય ઉથલ-પાથલ થવાની નથી. આ સમગ્ર ઘટનાની ચર્ચા નાના સ્તરે જ થાત. કેટલાંક સમય પહેલા પંજાબના રહેવાસી ભુલ્લરની ફાંસીની સજા આપવાનો વિરોધ તેના પંજાબી હોવાના નાતે કરવામાં આવ્યો હતો. તેની પહેલ કેટલાક રાજકીય-બિનરાજકીય સંગઠનો સાથે ખુદ પંજાબ સરકારે પણ કરી હતી. આ પહેલા સંસદ પર હુમલાના ગુનેગાર કાશ્મીરી આતંકવાદી અફઝલ ગુરુની ફાંસીની સજા પર પણ લાંબુ રાજકારણ ચાલી રહ્યું છે. અફઝલને ફાંસી ન આપવાની માગણી સાથે દલીલ કરવામાં આવે છે કે આવું કરવાથી જમ્મુ-કાશ્મીર રાજ્યની પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. દિલ્હી સરકાર, ગૃહ મંત્રાલયની મિલીભગતથી અફઝલ ગુરુને ફાંસીની સજા સંદર્ભેની ફાઈલ વર્ષો સુધી દબાવી રાખવામાં આવી હતી. હવે તે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાઈ છે.

ત્યારે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તમિલનાડુની વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવ સંદર્ભે ટ્વિટ કરીને રાજકીય પાંસો ફેંક્યો છે. તેમણે ટ્વિટ કર્યું છે કે- જો જમ્મુ-કાશ્મીર વિધાનસભા તમિલનાડુ જેવો જ પ્રસ્તાવ અફઝલ ગુરુના મામલામાં પસાર કરત, તો શું આવી જ ચુપકીદીવાળી પ્રતિક્રિયા રહેત? મને લાગે છે કે નહીં. આમ ટ્વિટ કરીને તેમણે પણ અફઝલ ગુરુની પેરવી કરવાનો પ્રયત્ન કરીને ઘણો મોટો રાજકીય દાવ ખેલીને સમગ્ર મામલાને ધાર્મિક એન્ગલ આપવાનો પ્રયત્ન કર્યો છે.

ભારતમાં 2004 બાદથી કોઈને પણ ફાંસીની સજા આપવામાં આવી નથી. આ વર્ષોમાં 28 દયા અરજીઓ રાષ્ટ્રપતિ સામે મૂકવામાં આવી. લાંબા સમય સુધી તેના પર નિર્ણય થઈ શક્યો નહીં. પરંતુ બાદમાં સક્રિયતા દેખાડતા રાષ્ટ્રપતિએ રાજીવ ગાંધી હત્યાકાંડમાં ફાંસીની સજા પામેલા પ્રતિબંધિત તમિલ સંગઠન એલટીટીઈના ત્રણ સભ્યો સિવાય ભુલ્લરની દયા અરજી ફગાવી દીધી છે.
ફાંસીની સજા કઠોરતમ સજા છે. ઘણાં દેશોએ ફાંસીની સજા સમાપ્ત કરી દીધી છે. જો કે ઘણાં દેશોએ તેને ફરીથી બહાલ પણ કરી છે. ઘણાં વિચારકો પણ ફાંસીની સજાનું સમર્થન કરે છે. જ્યારે માનવાધિકાર કાર્યકર્તાઓ તેને ખતમ કરવા માટે અભિયાન ચલાવી રહ્યાં છે. ભારતમાં ફાંસીની સજા રેરેસ્ટ ઓફથી રેર કેસમાં આપવામાં આવે છે. ભારતીય બંધારણ નિર્માતાઓએ કાયદાની યોગ્ય પ્રક્રિયાની જગ્યાએ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો ઉપયોગ કર્યો છે. ભારતમાં કોર્ટને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની જોગવાઈ હેઠળ ઘણી શક્તિ મળી છે. ફાંસી આપવામાં વિલંબ તેને આજીવન કેદમાં ફેરવવા માટેનો એક આધાર છે.

1983માં હાઈકોર્ટની એક ખંડપીઠે બાથિશ્વરન મામલામાં ચુકાદો આપ્યો હતો કે ફાંસી આપવામાં બે વર્ષથી વધારે વિલંબ થવાથી તે પોતાની મેળે આજીવન કેદમાં પરિવર્તિત થઈ જશે. કાયદાની જોગવાઈઓનો છટકબારી તરીકે ઉપયોગ કરીને રાજીવ ગાંધી હત્યાકાંડના કેસને જેમ જોવામાં આવી રહ્યો છે, તેવી રીતે અફઝલ ગુરુની દયા અરજીના રદ્દ થવાની સ્થિતિમાં કોઈને કોઈ પક્ષ રાજકીય ફાયદા માટે વિલંબને આધાર બનાવીને ફાંસીને આજીવન કેદમાં બદલવાની અરજી દાખલ કરી દેશે.

તમિલનાડુમાં વિપક્ષ ડીએમકે પ્રચારીત કરી રહ્યો છે કે રાજીવ ગાંધી હત્યાકાંડના ત્રણેય ગુનેગારોના જીવ મુખ્યમંત્રી જયલલિતાની ઈચ્છાશક્તિ પર નિર્ભર થઈ ગયા છે. તેનાથી ક્યાંકને ક્યાંક તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની છબીને કમજોર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કારણ છે કે રાજીવ ગાંધીના હત્યારાઓને તમિલવાદનું પ્રતીક બનાવવાની પૂરજોર કોશિશો થઈ રહી છે. રાજકારણનું આ સ્વરૂપ બેહદ ખતરનાક છે. આ રાજનીતિનું નીચામાં નીચું સ્તર છે. ફાંસીની સજા માફ થાય કે બહાલ થાય, પણ એવું પ્રતિપાદિત થવું કે હત્યારાઓને રાજકીય લાભને કારણે બચાવવામાં આવી રહ્યા છે, તો તે બેહદ ખતરનાક સ્થિતિ પેદા કરશે. આવા રાજકીય ઉધામાથી લાગે છે કે રાજકીય પક્ષોને રાષ્ટ્રીય હિતો અને બંધારણીય મૂલ્યોની કોઈ પરવાહ નથી. ફાંસી પર રાજકારણ રમી રહેલા રાજકારણીઓને જનતા તરફથી સ્પષ્ટ સંદેશ મળવો જોઈએ કે જાતિ, ક્ષેત્ર અને ધર્મના નામે આવી રાજનીતિ યોગ્ય નથી. આ દેશના રાજકીય ભવિષ્ય સંદર્ભે સારા સંકેતો નથી.

શુક્રવાર, 27 મે, 2011

ભગતસિંહ : ‘થોભો,એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે’

>અંતિમ સમયે ઈશ્વરને યાદ કરીશ, તો તે બુજદિલ માનશે

ભગતસિંહ શું એક વ્યક્તિ હતા? જો ભગતસિંહ એક વ્યક્તિ હતા, તો તેને અંગ્રેજી હૂકુમતે 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા. પરંતુ ભગતસિંહ માત્ર એક વ્યક્તિ ન હતા, તેઓ એક એવી વિચારસરણી બની ગયા હતા કે જેને આજે પણ ભારતના યુવાનો આદર્શ તરીકે માને છે. ભગતસિંહ એક વ્યક્તિ કરતાં એક વિચાર અને તેથી વધારે એક વિચારધારા વધારે હતા. અંગ્રેજોએ બહુ મોટી ભૂલ કરી કે તેઓ વ્યક્તિને મારી શક્યા, તેમના વિચારો આજે પણ જીવંત છે. માટે જ માણસને મારી શકાય છે, તેના વિચાર, તેની સારાસ, તેની નિર્ભયતા, તેના કામને ક્યારેય મારી શકાતું નથી.

ફાંસી પહેલાની શહીદ-એ-આઝમ ભગતસિંહની અંતિમ ક્ષણો પરના વિવરણો દર્શાવે છે કે આ માણસના વિચારો જેટલા નિડર હતા, ક્રાંતિકારી કાર્યોમાં જેટલાં બહાદૂર હતા, તેઓ તેટલી જ નિર્ભયતા સાથે મા ભારતીની આઝાદી માટે ફાંસીના માંચડે ચઢયા હતા. આ હુતાત્માએ પોતાના જીવનનું એક બહુ મોટા દેશકાર્ય માટે બલિદાન કર્યું હતું.

લાહોર જેલના ચીફ વોર્ડન સરદાર ચતરસિંહે જણાવ્યું હતું કે 23 માર્ચ, 1931ની સાંજે ત્રણ વાગ્યે જ્યારે તેમને ફાંસીની ખબર પડી, તો તેઓ ભગતસિંહ પાસે ગયા અને કહ્યું કે “મારી માત્ર એક પ્રાર્થના છે કે અંતિમ સમયમાં વાહે ગુરુનું નામ લઈ લો અને ગુરુવાણીનો પાઠ કરી લો.”

નિર્ભય અને બહાદૂર સરદાર ભગતસિંહે જોરથી હસીને કહ્યું હતું કે “તમારા પ્રેમનો શુક્રગુજાર છું. પરંતુ હવે જ્યારે અંતિમ સમય આવ્યો. હું ઈશ્વરને યાદ કરી, તો તે કહેશે કે હું બુજદિલ છું. આખી જીંદગી તો તેને યાદ કર્યો નથી અને હવે મોત સામે નજરે પડવા લાગ્યું છે, તો ઈશ્વરને યાદ કરવા લાગું. માટે એ જ સારું હશે કે મે જે પ્રકારે પહેલા પોતાનું જીવન જીવ્યું છે, તેવી જ રીતે મારો અંતિમ સમય પણ ગુજારું. મારા ઉપર તો ઘણાં આરોપ લાગવાશે કે ભગત સિંહ નાસ્તિક હતા અને તેમણે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો નથી, પરંતુ એ આરોપ તો કોઈ નહીં લગાવે કે ભગતસિંહ કાયર અને બેઈમાન પણ હતો અને અંતિમ સમયમાં તેના પગ લથડવા લાગ્યા હતા.” (ભગતસિંહ-પ્રો. દીદારસિંહ, પૃષ્ઠ ક્રમાંક-346)

ભગતસિંહે લાહોર જેલના ચીફ વોર્ડન સરદાર ચતરસિંહને આપેલા જવાબમાં અહંકારનો એકપણ છાંટો ન હતો, પણ પોતાને કોઈ કાયર-બેઈમાન ન ગણાવી જાય તેની સતર્કતા હતા. આધુનિક ભારતના ઈતિહાસમાં મોતને આટલી નિર્ભયતાથી મળનારા માણસોના કિસ્સાઓમાં શહીદે આઝમ ભગત સિંહની ફાંસી પહેલાની અંતિમ પળો સૌથી વધારે યાદગાર રહી છે.

>`થોભો, એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે`

ભગતસિંહને અંતિમ દિવસે મળનારાઓમાં તેમના સલાહકાર વકીલ પ્રાણનાથ મેહતા હતા. એક દિવસ પહેલા ભગતસિંહે તેમની પાસે લેનિનની આત્મકથા માંગી હતી. માટે અંતિમ દિવસે મેહતાજી ભગતસિંહને લેનિનની આત્મકથા આપી ગયા હતા.

આખરી ક્ષણો સુધી તેઓ ખૂબ નિષ્ઠા અને એકાગ્રચિતથી લેનિનની જીવનકથા વાંચી રહ્યાં હતા. જ્યારે જેલના કર્મચારી તેમને લેવા માટે આવ્યા, તો તેમણે કહ્યું હતું કે ‘થોભો એક ક્રાંતિકારીના બીજા ક્રાંતિકારીને મળવામાં અડચણ ન નાખો.’ ભગતસિંહે ફાંસીની સૂચના આપનારા અધિકારીને કહ્યું હતું કે થોભો એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે. જો કે ત્યાર બાદ એક મિનિટ બાદ પુસ્તક છત તરફ ઉછાળીને તેમણે કહ્યું હતું કે ‘ચાલો.’ ભગતસિંહ સાથે તેમના બે નજીકના સાથીદારો સુખદેવ અને રાજગુરુને પણ ફાંસીની સજા આપવામાં આવી હતી.

ફાંસીના માંચડા તરફ આગળ વધી રહેલા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ગીત ગાઈ રહ્યાં હતા કે

દિલ સે નિકલેગી ન મરકર ભી વતન કી ઉલ્ફત,
મેરી મિટ્ટી સે ભી ખુશ્બુએ વતન આયેગી


23 માર્ચ, 1931ના રોજ સાંજે લગભગ 7-33 વાગ્યે ભગતસિંહ અને તેમના સાથીદારો સુખદેવ અને રાજગુરુને ફાંસીના માંચડે ચઢાવીને સરકારે તેમને શ્વાસ લેવાનો અધિકાર છીનવીને પોતાની પ્રતિહિંસાની તરસ છીપાવી લીધી હતી. અન્યાય અને શોષણ વિરુદ્ધ વિદ્રોહ કરનારા ત્રણેય તરુણોની જીંદગીઓ જલ્લાદે ફાંસીના ફંદામાં સમાપ્ત કરી નાખી.

>ફાંસી પહેલાં અંગ્રેજ મેજીસ્ટ્રેટને સંબોધન

ફાંસીના તખ્તા પર ચઢતી વખતે સરદાર ભગતસિંહે અંગ્રેજ મેજીસ્ટ્રેટને સંબોધિત કરીને કહ્યું હતું કે ‘મેજીસ્ટ્રેટ મહોદય તમે હકીકતમાં મોટા ભાગ્યશાળી છો, કારણ કે તમને આ જોવાનો અવસર પ્રાપ્ત થયો છે કે એક ભારતીય ક્રાંતિકારી પોતાના મહાન આદર્શ માટે કેવી રીતે હસતાં-હસતાં મૃત્યુને ભેટે છે.’

ફાંસીની સજા ભોગવતા પહેલા પોતાના ભાઈના નામે પોતાના આખરી પત્રમાં ભગતસિંહે લખ્યું હતું કે ‘મારા જીવનનું અવસાન નજીક છે, પ્રાત: કાલીન પ્રદીપ ઝગમગતો, મારા જીવન-પ્રદીપ ભારતના પ્રકાશમાં વિલીન થઈ જશે. આપણો આદર્શ, આપણાં વિચાર આખા સંસારમાં જાગૃતિ પેદા કરી દેશે. પછી જો આ મુઠ્ઠીભર રાખ વિનિષ્ટ થઈ જાય, તો તેનાથી સંસારનું શું બનશે કે બગડશે?’

જેમ જેમ ભગતસિંહનો અંત નજીક આવવા લાગ્યો તેમ દેશ તથા મહેનતકશ જનતાના ઉજ્જવળ ભવિષ્યમાં તેમની આસ્થા વધારે ઘેરી થતી ગઈ. મૃત્યુ પહેલા સરકારના નામ પર લખેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે ‘અતિ શીઘ્ર અંતિમ સંઘર્ષના આરંભની દુંદુભિ વાગશે. તેનું પરિણામ નિર્ણાયક હશે. સામ્રાજ્યવાદ અને મૂડીવાદ પોતાની અંતિમ ઘડીઓ ગણી રહ્યાં છે. અમે તેની વિરુદ્ધ યુદ્ધમાં ભાગ લીધો હતો અને અમને તેના માટે ગર્વ છે.’

>ગાંધીજી સામે કાળા ઝંડા ફરક્યા

ભારતમાતાના ત્રણ સપૂતો-ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને એક સાથે ફાંસી આપ્યા બાદ અંગ્રેજોને આંદોલન ભડકી ઉઠવાનો ડર હતો. તેના કારણે જાલિમ અંગ્રેજોએ ત્રણેયના મૃત શરીરના ટુકડા કર્યા અને તેને બોરીઓમાં ભરીને ફિરોઝપુર તરફ લઈ ગયા. અહીં તેમના મૃત શરીરોના અવશેષોને ઘીના બદલે કેરોસિનથી બાળવા લાગ્યા. ગામના લોકોએ આગ જોઈ તો તેઓ તેની નજીક ગયા. તેનાથી ડરીને અંગ્રેજો શહીદોની લાશોના અડધા બળેલા ટુકડાઓને સતલજ નદીમાં ફેંકીને ભાગી ગયા. જો કે ગામના લોકોએ શહીદોની મોતનો મલાજો રાખીને તેમના મૃત દેહાવશેષો એકત્રિત કરીને તેનો વિધિવત દાહસંસ્કાર કર્યો. ભગતસિંહ મૃત્યુ સુધી એક વ્યક્તિ હતા, પરંતુ મૃત્યુ બાદ તત્કાલિન યુવા માનસમાં એક વિચારનું સ્વરૂપ લઈ ચુક્યા હતા. આજે પણ ભગતસિંહના વિચારોને ભારતના અનેક યુવાનો આદર્શ માની રહ્યાં છે. ભગતસિંહ લોકોના હ્રદયમાં અમર થઈ ગયા.

આ ઘટનાક્રમ બાદ અંગ્રેજો સાથે ગાંધીજીને પણ લોકો શહીદ ભગતસિંહના મોત માટે જવાબદાર સમજવા લાગ્યા હતા. તેના કારણે જ્યારે ગાંધીજી કૉંગ્રેસના લાહોર અધિવેશનમાં ભાગ લેવા જઈ રહ્યાં હતા, તો લોકોએ કાળા ઝંડાઓથી ગાંધીજીનું સ્વાગત કર્યું હતું. કોઈક જગ્યાએ ગાંધીજી સાથે ઉગ્ર વર્તન પણ થયું.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે વ્યક્તિને મારવો સરળ છે, પરંતુ તેના વિચાર અને તેણે આપેલી વિચારધારા ખતમ કરવી ઘણી અઘરી છે? આજના ભારત માટે ભગતસિંહના વિચારો અને તેમના જેવી નીડરતા કેટલી પ્રાસંગિક છે? શું ભગતસિંહે જોયેલા સપનાંઓ પૂરાં કરવાની શક્તિ ભારતનો યુવાવર્ગ ધરાવે છે? ભારતનો યુવાવર્ગ કોઈ સબળ નેતૃત્વ નીચે ભારતને તેના સર્વોચ્ચ સમૃદ્ધિના શિખરે લઈ જવામાં કામિયાબ રહેશે? તમારો અભિપ્રાય શહીદે આઝમ ભગતસિંહ તરફ કૃતજ્ઞતા અને સમ્માન દર્શાવીને નીચેના કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચા કરો.

શહીદ-એ-આઝમ ભગતસિંહનો અંતિમ પત્ર

ભારતના ક્રાંતિકારીઓના ઈતિહાસમાં શહીદ-એ-આઝમ ભગતસિંહે નવું સીમાચિન્હ, નવી ઊંચાઈ સ્થાપી છે. ભગતસિંહે ભારતના યુવાનોને આઝાદીની લડાઈ વખતે નવો રાહ બતાવ્યો હતો. તેમની સાથે કેટલાંક અસંમત હતા, પણ ઘણાં બધાં તેમની સાથે ચાલવા તૈયાર હતા. પણ તેમનું કમનસીબ હતું કે ભગતસિંહ જેલમાં હતા અને તેમને નેતૃત્વ આપનારા અન્ય કોઈ ભગતસિંહ આવા યુવાનો વચ્ચે ન હતા. 23 માર્ચ, 1931ના દિવસે સરદાર ભગતસિંહ સાથે તેમના નજીકના સાથી સુખદેવ અને રાજગુરુને પણ ફાંસીના માંચડે ચઢાવી દઈને અંગ્રેજોએ ભારતની ક્રાંતિકારી વિચારધારાને ફાંસી આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેમાં તત્કાલિન ટોચના નેતાઓએ પણ અંગ્રેજોના હિતો પાર પડે, તેવા વલણો અજાણતા જ અખત્યાર કર્યા હતા.

અહીં સવાલ એ છે કે ભગતસિંહ કેટલાં બહાદૂર હતા. હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતીક બન્યા બાદ તેઓ ક્રાંતિકારી આદર્શો અને કુરબાનીઓથી એટલા ઊંચે ઉઠી ચુક્યા હતા કે જીવિત રહેવાની સ્થિતિમાં આનાથી વધારે ઉંચે હરગીજ જઈ શકે તેમ ન હતા. તેમણે તેમના ક્રાંતિકારી સાથીદારોને લખેલા પ્રત્રમાં ક્યાંય છુપાવ્યું નથી કે તેવોને જીવિત રહેવાની ઈચ્છા નથી. પરંતુ તેઓ કેદ થઈને કે પાબંધીઓ વચ્ચે જીવિત રહેવા ઈચ્છતા ન હતા. તેમને ચિંતા હતી કે જો તેઓ ફાંસીથી બચી જશે, તો તેમની કમજોરીઓ જનતા સામે નથી, તે સામે આવશે અને ક્રાંતિના પ્રતીકો ઝાંખા પડી જશે અને કદાચ ભૂંસાઈ જશે.

તેમની ઈચ્છા જિંદાદિલીથી હસતાં-હસતાં ફાંસી પર ચઢવાની હતી કે જેથી હિંદુસ્તાનની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનાવવાની આરજૂ રાખે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા વધી જાય. તેમણે એમ પણ કહ્યું છે કે દેશ અને માનવતા માટે જે કંઈ કરવાની હસરતો દિલમાં હતી, તેનો હજારમો ભાગ પણ તેઓ પૂરો કરી શક્યા નથી. તેમણે કહ્યું હતું કે જો તેઓ સ્વતંત્ર, જીવિત રહી શકત તો કદાચ આવી હસરતો પૂરી શકવાની તેમને તક મળી શકત

શહીદે આઝમ સરદાર ભગતસિંહનો 22 માર્ચ, 1931ના રોજ જેલમાંથી તેમના સાથીદારોને સંબોધીને લખાયેલો અંતિમ પત્ર નીચે દર્શાવ્યો છે.

--------------------------------

શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહનો સાથીદારોને અંતિમ પત્ર-

22 માર્ચ, 1931 સાથીઓ,

સ્વાભાવિક છે કે જીવવાની ઈચ્છા મારામાં પણ હોવી જોઈએ, હું તેને છુપાવવા ઈચ્છતો નથી. પરંતુ હું એક શરતે જીવિત રહી શકુ છું કે હું કેદ થઈને કે પાબંદ થઈને જીવવા માંગતો નથી.

મારું નામ હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતીક બની ચુક્યું છે અને ક્રાંતિકારી દળના આદર્શો અને કુરબાનીઓએ મને એટલો ઉંચો ઉઠાવી દીધો છે- એટલો ઉંચો કે જીવિત રહેવાની સ્થિતિમાં આનાથી વધારે ઉંચો હરગીજ થઈ શકતો નથી.

આજે મારી કમજોરીઓ જનતાની સામે નથી. જો હું ફાંસીથી બચી ગયો તો તે જાહેર થઈ જશે અને ક્રાંતિના પ્રતીક-ચિન્હ ઝાંખા પડી જશે અથવા કદાચ તે ભૂંસાઈ જશે. પરંતુ જિંદાદિલ ઢંગથી હસતાં-હસતાં મારા ફાંસી પર ચઢવાની સ્થિતિમાં હિંદુસ્તાની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનાવવાની આરજૂ કરશે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા એટલી વધી જશે કે ક્રાંતિને રોકવી સામ્રાજ્યવાદ અથવા તમામ શેતાની શક્તિઓની તાકાતની વાત રહેશે નહીં.

હા, એક વિચાર આજે પણ મારા મનમાં આવે છે કે દેશ અને માનવતા માટે જે કંઈ કરવાની હસરતો મારા દિલમાં હતી, તેનો હજારમો ભાગ પણ પૂરો કરી શક્યો નથી. જો સ્વતંત્ર, જીવિત રહી શકત ત્યારે કદાચ તેને પૂરો કરવાનો અવસર મળત અને હું મારી હસરતોં પૂરી કરી શકત.

તમારો સાથી,

ભગતસિંહ


------------------------------------

તમારો અભિપ્રાય

તમને આ પત્ર વાંચ્યા પછી ક્રાંતિકારીઓ અને શહીદે આઝમ ભગતસિંહ વિશે કેવી લાગણી થાય છે, તે અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે તમારી લાગણીઓથી સંવાદ કાયમ કરો.