લેબલ ગરીબો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગરીબો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 5 જૂન, 2012

ભારતની આર્થિક સમસ્યાની જડ અણઘડ આર્થિક ઉદારીકરણ


-આનંદ શુક્લ
1991-92માં તત્કાલિન નાણાંપ્રધાન ડૉ. મનમોહન સિંહના માર્ગદર્શન નીચે દેશ વૈશ્વિકરણ હેઠળ ઉદારીકરણના રસ્તે સરપટ દોડવા માટે તૈયાર થયો. ઉદારીકરણના તબક્કમાં ભારતે વિકાસના ઘણાં ઉચ્ચ માપદંડો સિદ્ધ કર્યા. વૈશ્વિક મંદીમાં પણ દેશ પ્રખર અર્થશાસ્ત્રી એવા વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં 2008માં ઉગરી ગયો. પરંતુ 2010-11ના 8.4 ટકાના જીડીપી વિકાસ દરમાં ઘટાડો થઈને 2011-12માં વિકાસ દર 6.5 ટકાએ પહોંચ્યો છે. જ્યારે 2012ના પહેલા ક્વાર્ટરમાં માત્ર 5.3 ટકાનો વિકાસ દર નોંધાયો છે. પ્રખર અર્થશાસ્ત્રી ગણાતા વડાપ્રધાન મનમોહન સિંહ પાસે પણ હાલ એ વાતનો જવાબ નથી કે જ્યારે અમેરિકાની ખુદની અર્થવ્યસ્થા ઘણાં પડકારો સામે ઝઝુમી રહી છે, ત્યારે રૂપિયો ડોલર સામે કેમ ઘસાઈ રહ્યો છે? ભારત છેલ્લા એક દશકાથી ફૂગાવાના ઉંચા દરનો સામનો કરી રહ્યું છે. ફૂગાવાનો દર ડબલ ડિઝિટમાં છેલ્લા દશકામાં ઘણી વખત પહોંચ્યો છે. 2002માં 30 રૂપિયા આસપાસ લિટર પેટ્રોલનો ભાવ હાલ 76 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ સ્થિર થયો છે.
આવી પરિસ્થિતિમાં ખરેખર પ્રશ્ન ઉપસ્થિત થાય કે  છેલ્લા 20 વર્ષથી જે ઉદારીકરણ હેઠળ આપણી અર્થવ્યવસ્થા વિકાસના ગાણાં ગાતી થઈ છે, તેમાં કંઈક ખામી છે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું  કામ થયું છે. જો કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાડા છ લાખ ગામડાંને સ્થાને 400 શહેરો સુધી જ કેન્દ્રીત હોય તેવું પણ લાગ્યા વગર રહેતું નથી. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લોકો ઉપયોગ કરે છે, પરંતુ તેના કરતાં વધારે એવું પ્રતિપાદિત થઈ રહ્યું છે કે દેશમાં આવેલા ઔદ્યોગિક કોર્પોરેટ સમૂહોની સવલત વધારે સચવાય રહી છે.
આજે પણ દેશમાં આમ આદમી માટે જીવનજરૂરિયાતોની વસ્તુઓ, આરોગ્ય સુવિધાઓ અને શિક્ષણ તેમને પોષાય તેવા દરે ઉપલબ્ધ નથી. ફૂગાવાને કારણે જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓ સાથે તમામ સેવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજી, અનાજ, કઠોળના ભાવ દેશના 32 રૂપિયા રોજ કમાનારા વ્યક્તિની પહોંચની બહાર થઈ રહ્યા છે. શિક્ષણમાં સેલ્ફ ફાયનાન્સને પ્રોત્સાહનને કારણે ગરીબી રેખા નીચે જીવનાર વ્યક્તિ માટે ઉચ્ચ શિક્ષણ દીવાસ્વપ્ન સમાન જ બની રહ્યું છે. જ્યારે આરોગ્ય સુવિધાઓ દેશના સાડા છ લાખ ગામડાં સુધી હજી સુધી પહોંચી શકી નથી. આરોગ્ય સુવિધાનું સરકારી તંત્ર દેશના આમ આદમીને સવલતો પુરી પાડવામાં ઉણું ઉતરી રહ્યું છે. જ્યારે આમ આદમી મોંઘીદાટ પ્રાઈવેટ-કોર્પોરેટ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતો નથી.
ત્યારે પ્રશ્ન જરૂરથી થાય કે શું ભારતે ખરેખર ઉદારીકરણમાં વિકાસ કર્યો છે? હકીકતમાં ભારતનો વિકાસ જરૂરથી થયો છે, પરંતુ તે અસંતુલિત થયો છે. દેશમાં સવા લાખની આસપાસ કરોડ-અબજપતિઓ  છે. અંબાણી બંધુઓ સહીતના દેશના  ઘણાં ઉદ્યોગપતિઓ દુનિયાના અમીરોની યાદીમાં સ્થાન પામે છે. દેશમાં 1990ની સરખામણીએ હાલ અમીરોની સંખ્યા ઘણી વધારે છે.
પરંતુ કડવી વાસ્તવિકતા એ પણ છે કે ગરીબોની ગરીબી અને તેમની સંખ્યામાં પણ ભારતે ઉદારીકરણના સમયગાળામાં ઘણો વિકાસ કર્યો છે. હાલ દેશમાં 42 ટકા લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. આ એવા લોકો છે કે જેઓ શહેરી વિસ્તારમાં 32 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારમાં 26 રૂપિયા રોજના મેળવે છે. જો કે બીજી હકીકત એ છે કે સારી બ્રાન્ડના એક લિટર પાણીના બોટલની કિંમત 15થી 20 રૂપિયા છે! ભારતમાં અમીરો-ગરીબો વચ્ચેની ખાઈ ઉદારીકરણના દોરમાં છ ગણી વધી છે. અમીરો-ગરીબો વચ્ચે આવકનો તફાવત છ ગણો વધ્યો છે.
દેશની 70 ટકા સંપત્તિ પર દેશના અમીરોનો કબજો છે. દેશની લોકસભા અને  રાજ્યોની ધારાસભાઓમાં કરોડપતિ સાંસદો અને ધારાસભ્યોની  અછત નથી. દેશની લોકસભા અને ધારાસભામાં અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા ગરીબી રેખાની નીચે જીવનારો એકપણ વ્યક્તિ પ્રતિનિધિ તરીકે  પહોંચ્યો નથી. દેશના 82 કરોડ લોકોને એક ટંકનું ખાવાનું  માંડમાંડ મળી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના માનવ વિકાસના તાજેતરના ઈન્ડેક્સ પ્રમાણે, 187 દેશોની યાદીમાં ભારત 134મા સ્થાન પર છે. તેનો ક્રમાંક પાકિસ્તાન, બાંગ્લાદેશ અને રવાંડા જેવા દેશોથી પણ નીચે છે. લૈંગિક વિષમતાના માપદંડ પર 147 દેશોની યાદીમાં ભારત 129મા સ્થાને છે. ભારત સર્વાધિક બાળ મૃત્યુ દરવાળા દેશોની યાદીમાં સામેલ છે. ભારતની લગભગ 15.8 કરોડ વસ્તી શહેરોમાં એવી ઝૂંપડીઓમાં વસવાટ કરે છે કે તેને જોયા પછી સ્લમડોગ મિલિયનિયર ફિલ્મના દ્રશ્યો ઝાંખા પડે.
બાળકોના કુપોષણને વડાપ્રધાન મનમોહન સિંહે ખુદ રાષ્ટ્રીય શરમ ગણાવી છે. પરંતુ  ખરેખર વડાપ્રધાન તરીકે તેમને પણ શરમ આવવી જોઈએ કે વિકાસના ગાણાં ગાવા છતાં બાળકો માટે યુપીએ-1 અને યુપીએ-2 સરકાર કંઈ કરી શકી નથી. સંયુક્ત રાષ્ટ્રના સર્વેક્ષણમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના 42 ટકા બાળકોનું વજન લઘુત્તમ માપદંડથી નીચે છે અને 59 ટકા બાળકો રોગિષ્ટ છે. પર્યાવરણીય સંતુલનના માપદંડ પર 132 દેશોમાં ભારતનો ક્રમ 125મો છે. આ ક્રમાંક પાકિસ્તાન, માલદીવ અને કિર્ગિજસ્તાનથી પણ ઉતરતો છે. ત્યારે આર્થિક ઉદારીકરણના દેશના હિતને જોખમાવતા રસ્તા પર 19 વર્ષ ચાલેલા ભારતના કર્ણધારોએ વિચાર કરવો જોઈએ કે શું આ તમામ લક્ષણો દેશને આર્થિક મહાશક્તિ બનાવવાના દાવાનો સ્વીકાર કરનારા લાગે છે?

ભારતમાં લોકશાહી છે. પરંતુ લોકશાહી હવે લોકોની, લોકોથી અને લોકો માટેની વ્યવસ્થા રહી નથી. કારણ કે ભારતની લોકશાહીમાં ગરીબીની નહીં, પણ ગરીબોની બાદબાકી થઈ રહી છે. ભારતમાં ગરીબી રેખા નીચે જીવનારા 42 ટકા લોકો છે. જ્યારે અન્ય 82 કરોડ લોકો દારૂણ સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. ભારતની વ્યવસ્થામાં હવે તો મીડલ ક્લાસ પણ બાદબાકી થવા તરફ આગળ વધી રહ્યો છે. ભારતની લોકશાહી અમીરોની, અમીરો માટે અને અમીરો દ્વારા ચાલતી વ્યવસ્થા ઉદારીકરણના તબક્કામાં બની  ચૂકી છે!
ત્યારે યુપીએ સરકારા વડાપ્રધાન તરીકે પ્રખર અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહે જવાબ આપવો જોઈએ કે તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલકલામના વિઝન-2020ના ડોક્યુમેન્ટ પર કેટલું કામ  કર્યું છે? ગરીબોની સંખ્યા ઘટાડવાના બે રસ્તા છે. ગરીબોની ગરીબી ઘટાડવી અથવા તો ગરીબોને મૃત્યુ તુલ્ય જીવન  આપીને ખતમ કરવા. ત્યારે યુપીએ સરકારે સ્પષ્ટતા  કરવી જોઈએ  કે તેઓ ક્યાં રસ્તે ગરીબી ખતમ કરશે? ગરીબી હટાવો સૂત્રો આ દેશમાં 80ના દાયકાથી લલકારવામાં આવે છે. પરંતુ ગરીબી હટતી નથી, ગરીબો હટાવાનો પ્રયત્ન થાય છે. જો કે આ પ્રયત્ન છતાં ગરીબોની  ગરીબી અને તેમની સંખ્યા સતત વધતી રહી છે. ત્યારે ભારતના નીતિ-નિર્ધારકો દેશની આર્થિક નીતિઓની સમીક્ષા દેશહિત, લોકહિતમાં ફરીથી કરી શકે નહીં?

શનિવાર, 11 ફેબ્રુઆરી, 2012

રાજકીય વ્યવસ્થા દેશના શાસન-સત્તામાં ગરીબોને પ્રતિનિધિત્વ આપે

political system should give representation to poors in power
વ્યવસ્થા જ્યારે કંઈ સુધારો કે પરિવર્તન કરી શકતી નથી, ત્યારે તેના પર પ્રશ્નાર્થ લાગવા સ્વાભાવિક છે. ભારતમાં પણ વ્યવસ્થા દ્વારા કોઈ મોટા પાયાના જલદ પરિવર્તનો થયા નથી. ભારતમાં વ્યવસ્થાનું પરિણામ જ છે કે 32 રૂપિયા રોજના માંડમાંડ કમાનારા લોકોની સંખ્યા 42 ટકા છે. તેમા વધારો થવાની પણ સંભાવના દર્શાવાય છે. જ્યારે બીજી તરફ દેશમાં અબજોપતિની સંખ્યા વધી રહી છે. એટલે કે સીધી સમજ પ્રમાણે દેશના લોકોમાં સંપત્તિની વહેંચણીમાં ઘણી મોટી ખામી છે. કરોડો લોકોની સંપત્તિ આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો પાસે પહોંચી રહી છે. તેમ છતાં ભારતમાં અમીર વધારે અમીર થાય અને ગરીબ વધારે ગરીબ થાય તેવી વ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે અને સુદ્રઢ થઈ રહી છે.

તેની પાછળ સૌથી મોટું કારણ છે, દેશની રાજકીય વ્યવસ્થા. દેશની રાજકીય વ્યવસ્થા શરૂઆતથી ગરીબો માટેની વ્યવસ્થા રહી નથી. દેશની ભૂતકાળની સંસદો અને વિધાનસભાઓથી માંડીને પ્રવર્તમાન સંસદ અને વિધાનસભાનો સર્વે કરવામાં આવે તો તુરંત માલૂમ પડશે કે દેશના ધારાસભ્યો અને સાંસદો બનવામાં ધનકુબેરો અગ્રસ્થાને છે. દેશમાં 32 રૂપિયા રોજના ન કમાઈ શકનારો વ્યક્તિ ક્યારે દેશની સંસદ અથવા વિધાનસભામાં બેઠો હોય તો તેઓ કિસ્સો અમુક અપવાદોને બાદ કરતા બન્યો નથી અને બની રહ્યો નથી.

દેશમાં દરેક જાતિ-ધર્મ-વર્ગને પ્રતિનિધિત્વ આપવા માટે અનામત (શિક્ષણ અને નોકરીમાં)આપવામાં આવી રહ્યું છે. એસસી-એસટીને અનામત, મહિલાઓને અનામત, ઓબીસીને અનામત, મુસ્લિમોને અનામત, ખ્રિસ્તીઓને અનામત.જો કે આમાથી એસસી અને એસટીને બાદ કરતા અન્ય કોઈ વર્ગ-જાતિ-ધર્મને રાજકીય અનામત નથી. પણ આ બધાં અનામતમાં ગરીબોને દેશની સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળતું નથી. દેશમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકો 42 ટકા છે, તો ગરીબીની રેખા ઉપર જીવતા અને ગરીબ એવા લોકોની સંખ્યા પણ એટલા જ ટકા છે. ત્યારે આવા આર્થિક રીતે વિપન્ન વર્ગોને દેશની સંસદ-વિધાનસભામાં બિલકુલ પ્રતિનિધિત્વ મળતું નથી. આ કેવી વ્યવસ્થા છે કે જેમાં દેશના લગભગ 70 ટકા લોકોનું પ્રતિનિધિત્વ ગેરહાજર હોય.

એક એવો પણ અભ્યાસ કરવો જોઈએ કે દેશમાં ગરીબોની વાત કરનારા લોકો આર્થિક અને રાજકીય રીતે કેટલા આગળ વધ્યા છે અને તેના પ્રમાણમાં કેટલું કામ થયું છે. કારણ કે દેશમાં ગરીબી ઘટવાને બદલે વધી છે. અને પરિસ્થિતિ ત્યારે ભયંકર બની છે કે દેશના અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ વધારે ઉંડી થઈ છે. ત્યારે દેશના ગરીબોને દેશની કાર્યપાલિકાઓમાં પ્રતિનિધિત્વ મળે તેના માટે કોઈ પ્રયત્ન ક્યારે થશે?

એક ધારાસભ્ય અથવા સાંસદને બિનઆધિકારીક રીતે ચૂંટણી જીતવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. ટિકિટ મેળવવાથી લઈને ચૂંટણી જીતવા સુધી તમામ સ્તરે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. શું આ દેશનો ગરીબ આટલો ખર્ચો કરીને શાસનનો ભાગીદાર બની શકે છે? આ દેશમાં મુસ્લિમો વોટબેંક છે, એસસી વોટબેંક છે, ઓબીસી વોટબેંક છે, એસટી વોટબેંક છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પણ વોટબેંક છે. પરંતુ ગરીબ હજી સુધી આ દેશમાં વોટબેંક બની શક્યો નથી. ગરીબને બ્રાહ્મણ, એસસી, એસટી, મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય પંથ-વર્ગમાં વહેંચી દેવામાં આવ્યો છે. અને વ્યવસ્થામાં આ પંથ-વર્ગમાં ધનકુબેર લોકો જ શાસનના ભાગીદાર બની શકે છે અને તેઓ જ આ વર્ગ-પંથનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

શું આ રાજકીય વ્યવસ્થાના સ્વરૂપથી આશ્ચર્ય ઉપજતું નથી? શું આ વ્યવસ્થા ભારતના લોકોની વ્યવસ્થા છે? શું આ વ્યવસ્થા ભારતના એક મોટા ઉપેક્ષિત વર્ગ એવા ગરીબ લોકોને સત્તાની ભાગીદારીમાંથી દૂર રાખી રહી નથી? શું આવી વ્યવસ્થામાં ગરીબોની ભાગીદારી માટે કોઈ વ્યવસ્થા થવી જોઈએ નહીં? પરંતુ ગરીબો માટે દિલથી વિચારવાની કોઈને દરકાર નથી, કારણ કે તેઓ ગરીબ નથી એટલે કે ગરીબ વર્ગનું પ્રતિનિધિત્વ કરતા નથી. પછી ગરીબો માટે કંઈ કરવાનો તો કોઈ સવાલ જ ઉભો થતો નથી.

એક બાબત એ પણ છે કે ગરીબને ભીખારી બનાવતી યોજનાઓની દેશમાં કોઈ જરૂર નથી. ગરીબને સ્વાભિમાનની જિંદગી આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે. ગરીબને સ્વાભિમાનની જિંદગી આપવા માટે માત્ર તેનું સસ્તા અનાજથી પેટ ભરવું કે તેને 365 દિવસમાંથી 100 દિવસ ડેલી વેજિસ કરતા પણ ઓછી કિંમતે મજૂરી કામ આપવું પુરતું નથી. તેના માટે એવી વ્યવસ્થાની જરૂર છે કે જેનાથી તેની જિંદગી સ્વાભિમાનપૂર્ણ બને.

તેના માટે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે કે તેનું જીવનસ્તર તબક્કાવાર ઉપર આવે, અમીર તેના ભાગની સંપત્તિ પર વધારે કબજો કરે નહીં, અમીર-ગરીબ વચ્ચેની ખાઈ પુરાય. પરંતુ આવી વ્યવસ્થા કરવા માટે મૂડીપતિઓનું ફંડ લેનારા રાજકીય પક્ષોને કોઈ દરકાર હોય તેમ લાગતું નથી. દેશના કરોડો-અબજોપતિ સાંસદો અને ધારાસભ્યોની સંપત્તિમાં દર પાંચ વર્ષે મોટો વધારો થાય છે. પરંતુ દેશમાં તેટલા જ મોટા પ્રમાણમાં ગરીબોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે દેશની અને દેશના ગરીબોની ગરીબી ઓછી થાય તેના માટેની કોઈ વ્યવસ્થા ઉભી કરવાનો વિચાર કોઈ ક્રાંતિ બનીને દેશની સામે આવશે? શું ગરીબોને દેશના શાસન અને સત્તામાં તેમની સંખ્યાના પ્રમાણમાં ભાગીદારી મળશે?

શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2011

સરકાર ગરીબોની ગરીબી પ્રત્યે સંવેદનશીલ બનશે?


-આનંદ શુક્લ

ભારતમાં ગરીબો અને ગરીબીનું રાજકારણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. દેશમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતી હતી. દેશમાં ત્યાર પછી સત્તામાં આવતી દરેક પક્ષોની કે મોરચાની સરકારે હંમેશા ગરીબી હટાવવાની ગુલબાંગો પોકારી છે. જો કે દેશમાંથી ગરીબી દૂર થઈ નથી, તેનાથી ઉલટું ગરીબી વધી છે. દેશમાં કલ્યાણના સ્થાને તથાકથિત વિકાસના રાજકીય એજન્ડાએ ગરીબો માટે જીવન દુભર બનાવી દીધું છે. ભારતના બંધારણમાં ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાની વાત કરવામાં આવી છે. જેને કારણે મૂડીવાદી વિકાસના જુદાંજુદાં ઉદ્યોગપતિઓના એજન્ડાને આગળ વધરાતી કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે કલ્યાણ યોજનાઓ માત્ર કર્મકાંડ બની ગઈ છે. હાલની મૂડીવાદી વિકાસની સરકારી મનોવૃતિએ કેટલાંક ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓના ખિસ્સા ભરવાનું કામ જ કર્યું છે. આ દેશનો ગરીબ વધારે ગરીબ થઈ રહ્યો છે. ચિંતાનો વિષય છે કે દેશનો વિકાસ દર જેટલી ગતિથી વધી રહ્યો છે, તેટલી ગતિથી દેશમાં ગરીબી અને ગરીબોની સંખ્યા વધી રહી છે. દેશમાં ગરીબો અને મધ્યમ વર્ગ માટે જીવનયાપન ઘણું કઠિન બની રહ્યું છે. પરંતુ આવી પરિસ્થિતિઓમાં પણ દેશનો વહેપાર કરી રહેલા નીતિ-નિર્ધારકો અને તેમની સરકારો ગરીબો પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતા હોવાના એક કરતાં વધારે દાખલા સામે આવી રહ્યાં છે.

ભારતમાં કલ્યાણકારી યોજનાઓ યોજના પંચના દિશાનિર્દેશ પ્રમાણે અમલી બનતી હોય છે. યોજના પંચના અધ્યક્ષ હોદ્દાની રુએ વડાપ્રધાન ખુદ હોય છે. ગરીબો, શોષિતો-વંચિતો અને પીડિતો માટેની કલ્યાણ યોજનાઓ બનાવતું યોજના પંચ કેટલી હદે અસંવેદનશીલ છે, તે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં તેણે રજૂ કરેલા સોગંદનામાથી સ્પષ્ટ બન્યું છે. યોજના પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે કે શહેરોમાં રોજના 32 રૂપિયા અને ગામડાંમાં રોજના 26 રૂપિયા મેળવનાર વ્યક્તિ ગરીબ કહી શકાય નહીં. યોજના પંચનું ગરીબો સંદર્ભે કરવામાં આવેલું આકલન આ કાળઝાળ મોંઘવારીમાં કેટલું વ્યવહારીક છે, તે તો સામાન્ય જનતાની સાથે મળીને અનુભવવાનો વિષય છે. યોજના પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહલુવાલિયાએ રોજના રૂપિયા 32 લેખે એક અઠવાડિયું ગુજારીને ગરીબી કોને કહેવાય તેનો અનુભવ કરવો જોઈએ. યોજના પંચના આંકડામાં કેટલી સચ્ચાઈ છે, તે કદાચ ભાગ્યે જ કોઈનાથી અજાણ હશે. પરંતુ ગરીબી આકલન અને માપનની પદ્ધતિઓને લઈને ભ્રમ છે. આ સંદર્ભે સમાધાન આપણી એક મોટી જરૂરત છે.

ગરીબી માપવાની પારાશીશી જુદીજુદી પદ્ધતિઓ અને માપદંડોને આધારે ઉભી કરવામાં આવે છે. તેના કારણે ભારતમાં ગરીબોની વસ્તી કેટલી છે? તેના ઘણાં જવાબ હોઈ શકે છે. જુદાંજુદાં રિપોર્ટોને જોઈએ તો આ એક રાષ્ટ્રીય શરમ છે. આપણા દેશમાં કેટલાં ગરીબો છે, તે સાચા માપદંડોને આધારે આપણે જાણતા નથી. યોજના પંચના નવા રિપોર્ટનો અસ્વીકાર કરી શકાય છે. પરંતુ મહત્વની વાત એ છે કે આવા રિપોર્ટના આધારે જ કલ્યાણકારી યોજનાઓ સંચાલિત થાય છે અને ત્રુટિપૂર્ણ અહેવાલોને આધારે કલ્યાણકારી યોજનાઓ ચલાવવાનો અર્થ છે, વિકાસની દુર્ગતિ. સરકાર ગરીબી નિયંત્રણ માટે યોજના પંચના આંકડાને આધારે જ કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. જો કે યોજના પંચનું આકલન અન્ય આવા આકલનોની સરખામણીએ ગરીબોની વસ્તી ઓછી જણાવે છે.

દેશમાં નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન પ્રમાણે 60.50 ટકા, ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રચાયેલી એન. સી. સક્સેના સમિતિ પ્રમાણે 50 ટકા, વિશ્વ બેંક પ્રમાણે 42 ટકા, અર્જૂનસેન ગુપ્તા પ્રમાણે 78 ટકા અને સુરેશ તેંડૂલકર સમિતિના અહેવાલ પ્રમાણે 37.2 ટકા ગરીબો દેશની કુલ વસ્તીમાં છે. જો કે યોજના પંચના નવા આકલન પ્રમાણે દેશમાં લગભગ 30 ટકા લોકો જ ગરીબ છે. ગરીબોની વસ્તી સંદર્ભેના આ તમામ આકલનોના માપદંડો અલગ અલગ છે. યોજના પંચના આકલનમાં ખાવાપીવાની વસ્તુઓનો ઉપયોગ અને પ્રતિ વ્યક્તિએ કેલરીના ઉપયોગને મહત્વનું માપદંડ માનવામાં આવ્યું છે. જ્યારે તેંડૂલકર સમિતિએ ભોજનની સાથે, શિક્ષણ અને આરોગ્ય પર થનારા ખર્ચાને પણ માપદંડ તરીકે સામેલ કર્યા હતા. તેવી રીતે સક્સેના સમિતિ ગ્રામીણ વિસ્તારો માટે 700 રૂપિયાની આવક અને શહેરી વિસ્તાર માટે 1000 રૂપિયાની માસિક આવકનને ગરીબી અનુમાન માટે આધાર બનાવે છે. તેમણે કુપોષિત બાળકો અને એનિમિયા જેવા રોગોથી પીડિત મહિલાઓને પણ આધાર બનાવ્યા છે.

ખરેખર દેશમાં ગરીબી નિર્મૂલન માટે સૈદ્ધાંતિક નહીં, પણ વ્યવહારીક નીતિની જરૂર છે. તેના માટે ગરીબોની સંખ્યા સિદ્ધાંતોના આધારે નહીં, વ્યવહારના આધારે બનાવવી જોઈએ. સરકારે નવી આર્થિક નીતિ અને સુધારાની અસરોનું નિષ્પક્ષ આકલન કરવા માટે યોજના પંચને પ્રેરીત કરવું જોઈએ. જો કે સરકાર આવા પ્રભાવોને સકારાત્મક બતાવવા માટે જ ગરીબો અને ગરીબીના આકંડામાં હેરફેર કરે છે. સરકારે ગરીબને યોગ્ય રીતે પરિભાષિત કરવાની સાથે અમીરીને પણ પરિભાષિત કરવી પડશે. ગરીબ અને અમીર વચ્ચેના મધ્યમ વર્ગને પરિભાષિત કરીને કોઈક યોજનાઓ તેઓ ગરીબીના સ્તરમાં આવી ન જાય તેના માટે પણ બનાવવી પડશે. જો સરકાર આવી કોઈ પરિભાષાઓ યોગ્ય માપદંડોના આધારે વ્યવહારીક રીતે બનાવી શકે નહીં, તો તેમણે સરકારી યોજનાઓને આંકડાબાજીની જાળમાંથી બચવવા માટે તમામ જનકલ્યાણ યોજનાનો લાભ દેશના તમામ નાગરીકોને ઉપલબ્ધ થાય તેમ કરવું જોઈએ.