શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2011

સરકાર ગરીબોની ગરીબી પ્રત્યે સંવેદનશીલ બનશે?


-આનંદ શુક્લ

ભારતમાં ગરીબો અને ગરીબીનું રાજકારણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. દેશમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતી હતી. દેશમાં ત્યાર પછી સત્તામાં આવતી દરેક પક્ષોની કે મોરચાની સરકારે હંમેશા ગરીબી હટાવવાની ગુલબાંગો પોકારી છે. જો કે દેશમાંથી ગરીબી દૂર થઈ નથી, તેનાથી ઉલટું ગરીબી વધી છે. દેશમાં કલ્યાણના સ્થાને તથાકથિત વિકાસના રાજકીય એજન્ડાએ ગરીબો માટે જીવન દુભર બનાવી દીધું છે. ભારતના બંધારણમાં ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાની વાત કરવામાં આવી છે. જેને કારણે મૂડીવાદી વિકાસના જુદાંજુદાં ઉદ્યોગપતિઓના એજન્ડાને આગળ વધરાતી કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે કલ્યાણ યોજનાઓ માત્ર કર્મકાંડ બની ગઈ છે. હાલની મૂડીવાદી વિકાસની સરકારી મનોવૃતિએ કેટલાંક ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓના ખિસ્સા ભરવાનું કામ જ કર્યું છે. આ દેશનો ગરીબ વધારે ગરીબ થઈ રહ્યો છે. ચિંતાનો વિષય છે કે દેશનો વિકાસ દર જેટલી ગતિથી વધી રહ્યો છે, તેટલી ગતિથી દેશમાં ગરીબી અને ગરીબોની સંખ્યા વધી રહી છે. દેશમાં ગરીબો અને મધ્યમ વર્ગ માટે જીવનયાપન ઘણું કઠિન બની રહ્યું છે. પરંતુ આવી પરિસ્થિતિઓમાં પણ દેશનો વહેપાર કરી રહેલા નીતિ-નિર્ધારકો અને તેમની સરકારો ગરીબો પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતા હોવાના એક કરતાં વધારે દાખલા સામે આવી રહ્યાં છે.

ભારતમાં કલ્યાણકારી યોજનાઓ યોજના પંચના દિશાનિર્દેશ પ્રમાણે અમલી બનતી હોય છે. યોજના પંચના અધ્યક્ષ હોદ્દાની રુએ વડાપ્રધાન ખુદ હોય છે. ગરીબો, શોષિતો-વંચિતો અને પીડિતો માટેની કલ્યાણ યોજનાઓ બનાવતું યોજના પંચ કેટલી હદે અસંવેદનશીલ છે, તે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં તેણે રજૂ કરેલા સોગંદનામાથી સ્પષ્ટ બન્યું છે. યોજના પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે કે શહેરોમાં રોજના 32 રૂપિયા અને ગામડાંમાં રોજના 26 રૂપિયા મેળવનાર વ્યક્તિ ગરીબ કહી શકાય નહીં. યોજના પંચનું ગરીબો સંદર્ભે કરવામાં આવેલું આકલન આ કાળઝાળ મોંઘવારીમાં કેટલું વ્યવહારીક છે, તે તો સામાન્ય જનતાની સાથે મળીને અનુભવવાનો વિષય છે. યોજના પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહલુવાલિયાએ રોજના રૂપિયા 32 લેખે એક અઠવાડિયું ગુજારીને ગરીબી કોને કહેવાય તેનો અનુભવ કરવો જોઈએ. યોજના પંચના આંકડામાં કેટલી સચ્ચાઈ છે, તે કદાચ ભાગ્યે જ કોઈનાથી અજાણ હશે. પરંતુ ગરીબી આકલન અને માપનની પદ્ધતિઓને લઈને ભ્રમ છે. આ સંદર્ભે સમાધાન આપણી એક મોટી જરૂરત છે.

ગરીબી માપવાની પારાશીશી જુદીજુદી પદ્ધતિઓ અને માપદંડોને આધારે ઉભી કરવામાં આવે છે. તેના કારણે ભારતમાં ગરીબોની વસ્તી કેટલી છે? તેના ઘણાં જવાબ હોઈ શકે છે. જુદાંજુદાં રિપોર્ટોને જોઈએ તો આ એક રાષ્ટ્રીય શરમ છે. આપણા દેશમાં કેટલાં ગરીબો છે, તે સાચા માપદંડોને આધારે આપણે જાણતા નથી. યોજના પંચના નવા રિપોર્ટનો અસ્વીકાર કરી શકાય છે. પરંતુ મહત્વની વાત એ છે કે આવા રિપોર્ટના આધારે જ કલ્યાણકારી યોજનાઓ સંચાલિત થાય છે અને ત્રુટિપૂર્ણ અહેવાલોને આધારે કલ્યાણકારી યોજનાઓ ચલાવવાનો અર્થ છે, વિકાસની દુર્ગતિ. સરકાર ગરીબી નિયંત્રણ માટે યોજના પંચના આંકડાને આધારે જ કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. જો કે યોજના પંચનું આકલન અન્ય આવા આકલનોની સરખામણીએ ગરીબોની વસ્તી ઓછી જણાવે છે.

દેશમાં નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન પ્રમાણે 60.50 ટકા, ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રચાયેલી એન. સી. સક્સેના સમિતિ પ્રમાણે 50 ટકા, વિશ્વ બેંક પ્રમાણે 42 ટકા, અર્જૂનસેન ગુપ્તા પ્રમાણે 78 ટકા અને સુરેશ તેંડૂલકર સમિતિના અહેવાલ પ્રમાણે 37.2 ટકા ગરીબો દેશની કુલ વસ્તીમાં છે. જો કે યોજના પંચના નવા આકલન પ્રમાણે દેશમાં લગભગ 30 ટકા લોકો જ ગરીબ છે. ગરીબોની વસ્તી સંદર્ભેના આ તમામ આકલનોના માપદંડો અલગ અલગ છે. યોજના પંચના આકલનમાં ખાવાપીવાની વસ્તુઓનો ઉપયોગ અને પ્રતિ વ્યક્તિએ કેલરીના ઉપયોગને મહત્વનું માપદંડ માનવામાં આવ્યું છે. જ્યારે તેંડૂલકર સમિતિએ ભોજનની સાથે, શિક્ષણ અને આરોગ્ય પર થનારા ખર્ચાને પણ માપદંડ તરીકે સામેલ કર્યા હતા. તેવી રીતે સક્સેના સમિતિ ગ્રામીણ વિસ્તારો માટે 700 રૂપિયાની આવક અને શહેરી વિસ્તાર માટે 1000 રૂપિયાની માસિક આવકનને ગરીબી અનુમાન માટે આધાર બનાવે છે. તેમણે કુપોષિત બાળકો અને એનિમિયા જેવા રોગોથી પીડિત મહિલાઓને પણ આધાર બનાવ્યા છે.

ખરેખર દેશમાં ગરીબી નિર્મૂલન માટે સૈદ્ધાંતિક નહીં, પણ વ્યવહારીક નીતિની જરૂર છે. તેના માટે ગરીબોની સંખ્યા સિદ્ધાંતોના આધારે નહીં, વ્યવહારના આધારે બનાવવી જોઈએ. સરકારે નવી આર્થિક નીતિ અને સુધારાની અસરોનું નિષ્પક્ષ આકલન કરવા માટે યોજના પંચને પ્રેરીત કરવું જોઈએ. જો કે સરકાર આવા પ્રભાવોને સકારાત્મક બતાવવા માટે જ ગરીબો અને ગરીબીના આકંડામાં હેરફેર કરે છે. સરકારે ગરીબને યોગ્ય રીતે પરિભાષિત કરવાની સાથે અમીરીને પણ પરિભાષિત કરવી પડશે. ગરીબ અને અમીર વચ્ચેના મધ્યમ વર્ગને પરિભાષિત કરીને કોઈક યોજનાઓ તેઓ ગરીબીના સ્તરમાં આવી ન જાય તેના માટે પણ બનાવવી પડશે. જો સરકાર આવી કોઈ પરિભાષાઓ યોગ્ય માપદંડોના આધારે વ્યવહારીક રીતે બનાવી શકે નહીં, તો તેમણે સરકારી યોજનાઓને આંકડાબાજીની જાળમાંથી બચવવા માટે તમામ જનકલ્યાણ યોજનાનો લાભ દેશના તમામ નાગરીકોને ઉપલબ્ધ થાય તેમ કરવું જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો