લેબલ પ્રશાંત ભૂષણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રશાંત ભૂષણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 20 ઑક્ટોબર, 2011

અણ્ણાનું અરાજનીતિક આંદોલન વિખેરણ તરફ?


- આનંદ શુક્લ

ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં અણ્ણા હજારેનું આંદોલન વિખરણ અને વિવાદના વંટોળમાં ફસાઈ રહ્યું છે. અણ્ણા હજારે હાલ અનિશ્ચિતકાલિન મૌન પાળી રહ્યાં છે. પરંતુ જ્યારે સિવિલ સોસાયટીની કોર કમિટીના મહત્વના સભ્ય કિરણ બેદી પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યાં છે, ત્યારે તો અણ્ણાએ મૌન છોડીને કંઈક બોલવું જોઈએ. કિરણ બેદીને જુદીજુદી સંસ્થાઓ દ્વારા વ્યાખ્યાન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આવી અંદાજે 12 યાત્રાઓ ટાંકીને એક અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે કિરણ બેદી ઈકોનોમિક ક્લાસમાં હવાઈ મુસાફરી કરીને બિઝનેસ ક્લાસનું ભાડું સંબંધિત એનજીઓ પાસેથી વસૂલ્યુ છે. કિરણ બેદીને એર ઈન્ડિયા તરફથી ભાડામાં મોટી છૂટ પણ મળે છે. કિરણ બેદીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે તેમણે ઈકોનોમી ક્લાસમાં હવાઈ મુસાફરી કરી છે. એનજીઓ બિઝનેસ ક્લાસનું ભાડું આપે છે. આ બચત તેમણે ઈન્ડિયા વિઝન નામની પોતાની એનજીઓમાં સમાજસેવા માટે જમા કરાવી છે. કિરણ બેદીની આઈપીએસ તરીકેની કારકિર્દી બેદાગ રહી છે. તેમના પર ભ્રષ્ટાચારના કોઈ આરોપો નથી. તેમને તેમની સમાજસેવા બદલ મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે કિરણ બેદીને એર ટિકિટના મામલે ભ્રષ્ટાચાર કહો કે અનૈતિકતાના મામલામાં ઢસડવામાં આવી રહ્યાં છે. ત્યારે શું અણ્ણા હજારે શાબ્દિક મૌન પાળી રહ્યાં છે, તે યોગ્ય છે?

જનલોકપાલ બિલને લઈને સિવિલ સોસાયટીની લડાઈ પોતાના સારા ઉદેશ્ય સાથે અણ્ણા હજારેના એકતરફી અને અતાર્કિક નિર્ણયોને લઈને ઘણી ચર્ચામાં રહી છે. ટીમ અણ્ણા એટલે કે આખા આંદોલનને ચલાવનારી 22 સભ્યોની કોર કમિટી છે. આ કોર કમિટીના બે સભ્યો, ગાંધીવાદી સંગઠક વી. પી. રાજગોપાલ અને પર્યાવરણ કાર્યકર્તા રાજેન્દ્ર સિંહે તાજેતરમાં રાજીનામું આપી દીધું છે. બંને મહાનુભાવો એ વાતથી નારાજ હતા કે હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું આહ્વવાન કરવાની કોર કમિટી પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. અણ્ણાનું આંદોલન બિનરાજકીય રહ્યું છે. પરંતુ હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાના આહ્વવાન બાદ અણ્ણાનું આંદોલન કેવી રીતે બિનરાજકીય રહે છે, તે મોટી ચર્ચાનો વિષય છે.

અણ્ણાના આંદોલનમાં તેમના સાથીદારો દ્વારા અણ્ણાની અતિ પ્રશંસા કરતાં નિવેદનો થયા છે. રામલીલા મેદાનમાં અણ્ણા સંદર્ભે કિરણ બેદીએ કહ્યું હતું કે અણ્ણા ઈઝ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ અણ્ણા. આ નિવેદન ઠીક એવું હતું કે જેવું નિવેદન કટોકટી વખતે દેવુકાંત બરુઆએ ઈન્દિરા ગાંધી માટે કર્યું હતું. તેમણે તે વખતે ઈન્ડિયા ઈઝ ઈન્દિરા એન્ડ ઈન્દિરા ઈઝ ઈન્ડિયાનું અતિ ચર્ચાસ્પદ નિવેદન કર્યું હતું. અરવિંદ કેજરીવાલ સતત સંસદની મહત્તાને પડકારી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે અણ્ણા દેશની સંસદથી પણ ઉપર છે. જો કે અણ્ણા હજારેએ કહ્યું છે કે લોકો સંસદથી ઉપર છે, તેઓ નહીં. અરવિંદ કેજરીવાલ હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસની હારથી ઘણી ઉછળકૂદ કરી રહ્યાં છે. તેઓ ઉત્તરપ્રદેશમાં ગયા ત્યારે કહી આવ્યા કે જો કોંગ્રેસ શિયાળુ સત્રમાં મજબૂત લોકપાલ બિલ પસાર નહીં કરે તો તેમની હાલત યુપી વિધાનસભાની ચૂંટણીમાં હિસારની પેટાચૂંટણી જેવી થશે. જો કે અરવિંદ કેજરીવાલ અણ્ણાના અનશન વખતથી પોતાના અક્કડ વલણ માટે જાણીતા બન્યા છે. કોંગ્રેસ સામેના અનર્ગલ બકવાસ બાદ અરવિંદ કેજરીવાલ પર ઉત્તર પ્રદેશમાં એક સભા દરમિયાન કોંગ્રેસના સેવાદળ સાથે જોડાયેલા એક યુવાને ચપ્પલ ફેંક્યુ હતું. આ યુવાનનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ દેશને ભડકાવી રહ્યાં છે. આ યુવાને એમ પણ કહ્યું છે કે તેને કેજરીવાલ પર ચપ્પલ ફેંકવાનું કોઈ દુ:ખ નથી, તે અણ્ણા હજારે પર પણ ચપ્પલ ફેંકી શકે છે. વળી આવે વખતે મહારાષ્ટ્રના ડીજીપીને ઈન્ટેલિજન્સ બ્યૂરો તરફથી ઈનપુટ આપવામાં આવ્યા છે કે અણ્ણા હજારેના જાનને જોખમ છે. તેથી મહારાષ્ટ્ર પોલીસ અણ્ણાની સુરક્ષાની સમીક્ષા પણ કરી રહી છે.

અણ્ણાની ટીમના સભ્ય શાંતિભૂષણ અને પ્રશાંત ભૂષણ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો છે. પ્રશાંત ભૂષણે તાજેતરમાં કાશ્મીરને જનમત દ્વારા આઝાદ થવા દેવું જોઈએ, તેવું નિવેદન કર્યું છે. તેના કારણે સુપ્રીમ કોર્ટ ખાતેની તેમની ચેમ્બરમાં ભગતસિંહ ક્રાંતિસેના અને શ્રીરામ સેનાના ત્રણ યુવાનોએ પ્રશાંત ભૂષણ પર હુમલો કરીને તેમને માર માર્યો છે. આખા દેશમાં અણ્ણાની ટીમની કાશ્મીર પરના પ્રશાંતના નિવેદન બાદ છબી ખરાબ થતી લાગતા અણ્ણા ખુદ વિવાદ ઠારવા માટે કૂદી પડયા. અણ્ણાએ રાષ્ટ્રવાદી નેતાની જેમ કહ્યું છે કે તેઓ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માને છે. તેઓ કાશ્મીર માટે પાકિસ્તાન સાથે ફરી એક વખત લડવા માટે પણ તૈયાર છે. અણ્ણા અને તેમની ટીમના મોટાભાગના સભ્યોએ કાશ્મીર પરના પ્રશાંત ભૂષણના નિવેદનની ટીકા કરી છે. પ્રશાંત ભૂષણને ટીમ અણ્ણામાંથી હાંકી કાઢવાની વાત પણ થઈ રહી છે. આ વિવાદ બાદ જ અણ્ણા હજારેએ સૂચક મૌન લીધું છે, તે ઉલ્લેખનીય છે.

આ પહેલા સ્વામી અગ્નિવેશ પણ ટીમ અણ્ણામાંથી સરકારના ભેદિયા હોવાના મુદ્દે અલગ થઈ ચુક્યા છે. સ્વામી અગ્નિવેશના સ્ટિંગ ઓપરેશનમાં કથિત રીતે તેમને કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સાથે વાતચીત કરતાં અને અણ્ણાને કાળા હાથી કહેતા સાંભળવામાં આવ્યા છે. જો કે સ્વામી અગ્નિવેશે અણ્ણાના નિર્ણયો અલોકતાંત્રિક હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારથી તેમનું ટીમ અણ્ણામાંથી પત્તું સાફ થવા લાગ્યું હતું. સ્વામી અગ્નિવેશને અણ્ણા હજારેએ માફ કરી દીધા છે. પરંતુ હવે તેઓ અણ્ણાના આંદોલનમાં કોર કમિટીમાં મહત્વની ભૂમિકા નીભાવી શકે તેમ નથી. અણ્ણાની ટીમના મહત્વના સભ્યો જસ્ટિસ સંતોષ હેગડે અને મેધા પાટકરે કોંગ્રેસ હરાવો અભિયાનથી ખુલ્લેઆમ નાખુશી જાહેર કરી છે. મહત્વપૂર્ણ છે કે જસ્ટિસ હેગડે અને મેધા પાટકરની છબી કોંગ્રેસના ટેકેદારની નથી.

અણ્ણાના આંદોલનનું અરાજનીતિક સ્વરૂપ અને ચિંતન-કર્મની જુદીજુદી વિચારધારાઓથી આવેલા ઈમાનદાર જમીની સ્તરના કાર્યકર્તાઓ સાથે તેનું જોડાણ તેની સૌથી મોટી શક્તિ છે. અણ્ણા અને ટીમમાં તેમના ખૂબ નજીકના સાથીદારો વિચારે છે કે વ્યવસ્થા પરિવર્તનની આટલી મોટી બબાલ માથે ઓઢવાની જગ્યાએ સીધો સત્તાધારી પક્ષ પર હુમલો કરીને તેને નમાવવો વધારે આસાન છે, તો તે તેમની બહુ મોટી ભૂલ છે.

આવા વિચારથી ટીમ અણ્ણા કદાચ સરકાર બદલવામાં સફળ થઈ શકે છે, પરંતુ સામાજીક સ્તરે અને વ્યવસ્થામાં કોઈ બદલાવ લાવી શકશે નહીં. વળી સરકાર બદલવાની વાત પણ દશકો પહેલા ચાલેલા જેપી અને વીપી આંદોલનોને યાદ કરીને કહેવામાં આવી રહી છે. જેપી અને વીપી બંને પોતાની મોટી લડાઈ શરૂ કરતાં પહેલા રાષ્ટ્રીય રાજનીતિમાં ઘણા મોટા દાવ રમી ચુક્યા હતા અને તેમના દ્વારા પ્રસ્તાવિત વિકલ્પો સંદર્ભે ભારતીય સમાજમાં કંઈને કંઈ ભ્રમ બચેલો હતો.

તેમની સરખામણીએ અણ્ણાના આંદોલનનો એજન્ડા ઘણો ઊંડો છે. પરંતુ રાજકીય અને સંગઠનના કૌશલ્યના મામલામાં તેઓ પોતાના બંને પૂર્વવર્તીઓની સરખામણીએ ઘણાં ઉણાં ઉતરી રહ્યાં છે. ટીમ અણ્ણા માટે અત્યારે સૌથી વધારે વિશ્વાસપાત્ર રસ્તો એ હોઈ શકે છે કે તે ભ્રષ્ટાચાર વિરોધી જનજાગૃતિની લાંબી મુહિમને આગળ વધારે, સહજ રાજકીય આકર્ષણોથી બચે અને પોતાની અંદર લોકતાંત્રિક ચર્ચા માટે વધારે અવકાશ ઉભો કરે.

પરંતુ અફસોસ છે કે અણ્ણા અને ટીમ અણ્ણા તરફથી આવો કોઈ સંકેત મળી રહ્યો નથી. કોઈપણ આંદોલનમાં મતભેદ તો હોય જ છે, પરંતુ તે આંદોલનના નેતૃત્વની જવાબદારી છે કે આવા વિવાદોને આંદોલનના હિતમાં ઝડપથી સમાપ્ત કરે. તેથી અણ્ણા હજારેનું પણ દાયિત્વ છે કે તેઓ ટીમ અણ્ણાની ભીતર ઉભા થયેલા મતભેદોને ઝડપથી સમાપ્ત કરાવે અને આંદોલનને તેની દિશામાંથી દિગ્ભ્રમિત થતું અટકાવે. પરંતુ આવી પરિસ્થિતિમાં અણ્ણાએ મૌન સાધી લીધું છે અને માત્ર લખીને જરૂરી મુદ્દાઓ પર તેઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. બની શકે કે તેઓ પોતાની આત્મિક શક્તિને મૌનના માધ્યમથી એકજૂટ કરી રહ્યાં હોય, પરંતુ આ સમય તો આંદોલનને બહારી હુમલા અને અંદરના અંતર્વિરોધો-મતભેદોથી બચાવવાનો છે. વળી મહત્વપૂર્ણ વાત એ છે કે આ આંદોલનની અરાજનીતિક છબી પર આઘાત થતા રહેશે, તો આ આંદોલન વિખેરાઈ જશે. આવી સંભવિત સ્થિતિમાં ઉભાં થનારા શૂન્યને દશકાઓ સુધી કોઈ ભરી શકશે નહીં. હજી તો લોકપાલ બિલ પણ આવ્યું નથી, માટે આ આંદોલન બચાવવું જરૂરી છે. તેના માટે ટીમ અણ્ણાએ લોકતાંત્રિક રીતે એક સમયબદ્ધ આચાર સંહીતા પણ બનાવી લેવી જોઈએ, કે જેથી તેઓ આંદોલનના અરાજનીતિક સ્વરૂપને બચાવીને બિનજરૂરી વિવાદોથી તેને બચાવી શકે.

શુક્રવાર, 14 ઑક્ટોબર, 2011

દેશદ્રોહને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોઈ શકે?


-આનંદ શુક્લ

પ્રશાંત ભૂષણના કાશ્મીર સંદર્ભેના પ્રજા લાગણી વિરુદ્ધના નિવેદનની કિંમત ચુકવવી પડી છે. શ્રીરામ સેના અને ભગતસિંહ ક્રાંતિસેનાના ત્રણ યુવાનોએ સુપ્રીમ કોર્ટ ખાતેની પ્રશાંત ભૂષણની ચેમ્બરમાં ઘુસીને હુમલો કર્યો. આ યુવાનોએ પ્રશાંત ભૂષણ પર આક્રોશ સાથે લાત-મુક્કાનો વરસાદ વરસાવ્યો. આ હુમલો કર્યા બાદ બે યુવાનો ભાગવામાં સફળ થયા. જ્યારે ઈન્દર વર્મા નામનો યુવાન ઝડપાઈ ગયો. જો કે બાદમાં તેજિન્દરપાલ સિંહ બગ્ગા અને વિષ્ણુ શર્મા નામના અન્ય યુવાનોને કોર્ટમાં આત્મસમર્પણ કરતાં પહેલા પોલીસે પકડી લીધા. પ્રશાંત ભૂષણે શ્રીરામ સેના પર પ્રતિબંધ મુકવાની માગણી કરી છે.

પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. તેમણે 500 જેટલી પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઈએલ) કરી છે. તેમને છાને ખૂણે ‘પીઆઈએલ બ્લેકમેઈલર’ પણ કહેવામાં આવે છે. પ્રશાંત ભૂષણ કુખ્યાત આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓના કેસ પણ લડી રહ્યાં છે. તેમણે બટલા હાઉસ એન્કાઉન્ટરમાં પોલીસ કાર્યવાહી વિરુદ્ધ પાણીમાંથી પોરા પણ કાઢયા છે. સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુને સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા મળી છે. પરંતુ પ્રશાંત ભૂષણે અફઝલ ગુરુને ફાંસીની સજા ન કરવાનો મત વ્યક્ત કર્યો છે. પ્રશાંત ભૂષણ નક્સલીઓની પણ તરફેણ કરી રહ્યાં છે. તાજેતરમાં વારાણસી ખાતે પ્રશાંત ભૂષણે પોતાની તમામ મર્યાદાઓ ઓળંગીને ભારતના અભિન્ન અંગ જમ્મુ-કાશ્મીર પર વિવાદાસ્પદ નિવેદન કરી દીધું. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાંથી સેના હટાવવામાં આવે, લોકોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવે. તેમ છતાં તેઓ ભારતથી આઝાદ થવા માંગે, તો ત્યાં જનમત કરાવીને કાશ્મીરને આઝાદ કરવામાં આવે. અણ્ણા હજારેના જનલોકપાલ બિલ સંદર્ભેના આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવીને પ્રસિદ્ધિ મેળવીને નામ કમાનારા પ્રશાંત ભૂષણનું કાશ્મીર સંદર્ભેનું નિવેદન દેશદ્રોહ કેમ ન ગણવું જોઈએ? 1993માં ભારતની સંસદે સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પણ ભારતમાં જોડવા માટે પ્રયત્નો કરવામાં આવશે. અણ્ણાની ટોળકીના સેનાપતિ અરવિંદ કેજરીવાલે અણ્ણા હજારેને સંસદથી ઉપર ગણાવ્યા છે. અણ્ણા હજારે પોતાને સંસદથી ઉપર સમજે છે કે નહીં, તે હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ અણ્ણાની ટોળકીના પ્રશાંત ભૂષણે કાશ્મીર સંદર્ભેના તેમના દેશદ્રોહી નિવેદનથી સાબિત કરી દીધું છે કે તેઓ પોતાને દેશની સંસદ અને જનભાવનાઓથી ઉપર સમજે છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ-19માં અભિવ્યક્તિની સ્વતંત્રતા કેટલીક મર્યાદાઓ સાથે આપવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ છે કે કોઈપણ દેશમાં દેશહિત વિરોધી અથવા દેશદ્રોહી પ્રકારની અભિવ્યક્તિને સ્વતંત્રતા આપવી જોઈએ? પ્રશાંત ભૂષણ અને કાશ્મીરના કટ્ટરપંથી અલગતાવાદી નેતાઓની ભાષામાં માર્મિક તફાવત શું છે? સૈયદ અલી શાહ ગિલાની અને અરુંધતિ રોયે દિલ્હી ખાતેના એક સેમિનારમાં જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ ન હોવાની વાત કરી હતી. ત્યાર બાદ દેશભરમાં તેની સામે ઉગ્ર વિરોધ થયો હતો. ગિલાની અને અરુંધતિ રોયને નિશાન બનાવાયા હતા. તેમની સામે એફઆઈઆર પણ નોંધાવામાં આવી છે. જો કે તેમની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી. આતંકવાદીમાંથી કાશ્મીરના અલગતાવાદી નેતા બનેલા યાસીન મલિકે શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવાનો પડકાર ફેંક્યો હતો. તેની સામે ભાજપના યુવા મોરચાએ એકતા યાત્રા કાઢી હતી. પરંતુ અફસોસ કે યાસીન મલિક જેવાં ગુંડાનો પડકાર ઝીલનારા ભાજપ યુવા મોરચાને શ્રીનગરમાં તિરંગો ફરકાવતા અટકાવવામાં આવ્યો. જો કે ત્યાર બાદ અલગતાવાદી નેતાઓ મીરવાઈઝ ઉમર ફારુક અને યાસીન મલિક પર જોડાં ફેંકીને વિરોધ નોંધાવામાં આવ્યો હતો. કાશ્મીર સંદર્ભેના ભારતીય જનમતને ઠેસ પહોંચાડવા માટે આઈએસઆઈ દ્વારા ચલાવાયેલા અભિયાનના સૂત્રધારનો ન્યૂયોર્ક ખાતે પર્દાફાશ થયો છે. તેમાં ભારતના બુદ્ધિજીવીઓ અને પત્રકારોના નામ પણ ખુલ્યા હતા. ત્યારે પ્રશ્ન એ છે કે પ્રશાંત ભૂષણ ક્યાંક જાણે-અજાણે આઈએસઆઈ પ્રેરીત કાશ્મીર મુદ્દા સંદર્ભેના લોબિંગનો તો ભાગ નથી ને?

મીડિયામાં શ્રીરામ સેના અને ભગતસિંહ ક્રાંતિસેનાના કથિત યુવકોને દેશભક્તિની આડમાં ગુંડાગીરી ફેલાવનારા ગણાવાયા. એકાદ અપવાદને બાદ કરીને તમામ રાજકીય પક્ષોએ પ્રશાંત ભૂષણ પરના હુમલાને વખોડયો છે. પરંતુ પ્રશાંત ભૂષણના કાશ્મીર સંદર્ભેના નિવેદનને દેશદ્રોહી ગણીને તેમની સામે એફઆઈઆર નોંધાવાની ચેષ્ટા કોઈપણ પક્ષ કે સંગઠને કરી નથી. સરકારે સ્પષ્ટતા કરી છે કે કાશ્મીર પરનું પ્રશાંત ભૂષણનું નિવેદન તેમનો વ્યક્તિગત મત છે અને સરકાર તેમના મત સાથે સંમત નથી. પરંતુ તેથી શું? સરકારે જ તો યુવાનોને શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવા જવા દીધા ન હતા. સરકારે અરુંધતિ રોય અને ગિલાની સામે એફઆઈઆર દાખલ કરવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે પ્રશાંત ભૂષણ પરના હુમલાને બંધારણ વિરોધી અને કાયદા વિરોધી ગણાવનારાઓને પ્રશ્ન કરવો જોઈએ કે બંધારણમાં કઈ જગ્યાએ દેશદ્રોહની અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે? બંધારણમાં ક્યાં ઠેકાણે દેશહિત વિરુદ્ધના નિવેદનો કરવાની અને તેના સંદર્ભે કામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે? જ્યારે કાયદો કાયદાનું કામ કરતો નથી, ત્યારે લોકોને કાયદા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. દેશમાં અફઝલ ગુરુ અને કસાબ જેવાં આતંકવાદીઓને બિરયાની ખવડાવતી સરકાર કાયદાને કાયદાનું કામ કરવા દેતી નથી. તેને કારણે તો અરુંધતિ રોય જેવાં બુદ્ધિજીવીએ આડેધડ દેશહિત વિરુદ્ધના દેશદ્રોહી પ્રકારના નિવેદનો કર્યા બાદ પણ ખુલ્લેઆમ ફરે છે. ત્યારે પ્રશાંત ભૂષણ પર હુમલો કરનારા યુવાનોને ગુંડા કહેનારા લોકો દેશહિત વિરુદ્ધ વર્તનારાઓને દેશદ્રોહી કહેવાની હિંમત કેમ કરતાં નથી? જ્યારે કાયદો કાયદાનું કામ કરતો નથી, ત્યારે કાયદાને જનતા હાથમાં લે છે. બની શકે કે કેટલાંક યુવાનો અથવા સંગઠનોની ધીરજ ખૂટી જાય. આવી પરિસ્થિતિ દેશ માટે ખતરનાક છે. પરંતુ દેશના રાજકારણીઓની બોદી ઈચ્છાશક્તિને કારણે આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે. તેને અટકાવા માટે દેશના નીતિ-નિર્ધારકો કોઈ સ્પષ્ટ નીતિ બનાવશે?

જમ્મુ-કાશ્મીરમાંથી સેના હટાવી જનમત દ્વારા તેને આઝાદ કરવાની વાત કરનારા પ્રશાંત ભૂષણને ખબર હોવી જોઈએ કે કાશ્મીરને બચાવવા માટે ભારતીય સેનાના જવાનોએ પોતાના લોહીની નદીઓ વહેવડાવી છે. તેમણે અસંખ્ય બલિદાનો થકી કાશ્મીરને બચાવ્યું છે. ભારત સામેના પાકિસ્તાનના તમામ અભિયાનો અને યુદ્ધના મૂળમાં કાશ્મીર છે. આજ સુધીમાં કાશ્મીરમાં 50 હજાર સૈનિકો અને સુરક્ષાકર્મીઓએ શહાદત વ્હોરી છે, 70 હજાર જેટલાં નાગરીકોને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે જનમત કરીને કાશ્મીરને આઝાદ કરવાની વાત કેટલી યોગ્ય છે? બીજું, 1948ના કબાયલી હુમલા વખતે ભારતીય સેનાની શ્રીનગરથી આગેકૂચ અટકાવીને યુનોના ઠરાવ પર જવાહરલાલ નેહરુએ સંમતિ વ્યક્ત કરી હતી. પરંતુ તેનો અમલ 63 વર્ષ બાદ કરવો યોગ્ય નથી. તેનો તાત્કાલિક અમલ થઈ ગયો હોત, તો હજી વાત ગળે ઉતરે તેમ છે. બાકી આ 63 વર્ષના ગાળામાં પાકિસ્તાને કાશ્મીરમાં મજહબી ઝનૂનથી લોકોનું બ્રેઈન વોશ કરી દીધું છે. કાશ્મીરના નેતાઓની જુબાન પાકિસ્તાને ખરીદી લીધી છે. વળી, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી સેના હટાવવા માટે પાકિસ્તાન તૈયાર નથી. ગિલગિટ અને બાલટિસ્તાનના કેટલાંક ભાગોને કથિત આઝાદ કાશ્મીરથી અલગ કરીને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યા છે. પાકિસ્તાને 1963માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો એક ટુકડો ચીનને આપી દીધો છે. આવી પરિસ્થિતિમાં કાશ્મીરમાં જનમત દ્વારા આઝાદીની વાત કરવી કેટલી યોગ્ય છે?

અણ્ણાના ભ્રષ્ટાચાર વિરોધી અને જનલોકપાલ બિલ માટેના આંદોલનમાં ભારતીય લોકશાહીની સામે, સંસદની સામે, રાજકારણીઓની સામે બેફામ નિવેદનો થયા છે. ભ્રષ્ટાચાર સામે લાચાર જનતાએ અણ્ણા હજારેમાં વિશ્વાસ મુક્યો છે. પરંતુ તેમને ત્યારે ખબર નહીં હોય કે ભારતમાતાના મુગટ એવા કાશ્મીરને જનમતના આધારે આઝાદ કરવાનું બેફામ અને બેશરમ નિવેદન અણ્ણાની ટોળકીને સરગના પ્રશાંત ભૂષણ કરશે. અણ્ણાની ટીમના અન્ય એક સભ્ય સ્વામી અગ્નિવેશે પણ કાશ્મીર સંદર્ભે બેફામ નિવેદનો કર્યા છે. તેઓ કાશ્મીરના અલગતાવાદીઓની સાથે મેળમિલાપ કરવા શ્રીનગરમાં ગયા હતા. ત્યારે તેમણે અમરનાથ યાત્રા પર નિવેદન કરતાં કહ્યું હતું કે અમરનાથનું શિવલિંગ માત્ર બરફનો ઢગલો છે. તેનો જવાબ તેમને અમદાવાદ ખાતે થપ્પડ દ્વારા મળ્યો હતો. બેફામ અને ઉશ્કેરણીજનક નિવેદનો કરનારાઓને કાયદા દ્વારા સજા ન મળે, તો જનતા ક્યાં સુધી ધીરજ રાખે? આક્રોશ પણ એક અભિવ્યક્તિ છે. આક્રોશની અભિવ્યક્તિ માટે હિંસા પણ એક માધ્યમ બની શકે છે, તેનો ખ્યાલ બેફામ, ઉશ્કેરણીજનક નિવેદન કરનારાઓને નહીં હોય? ફેસબુક પર અણ્ણાના આંદોલનને ટેકો મળ્યો હતો. તેને જોઈને અણ્ણાની ટોળકી ગદગદિત થતી હતી. પણ હવે ફેસબુક પર તેજિન્દરપાલ સિંહ બગ્ગાના ભગતસિંહ ક્રાંતિસેનાના પૃષ્ઠ પર પ્રશાંત ભૂષણને મારવાની ઘટનાની મોટા પ્રમાણમાં તરફેણ કરવામાં આવી છે. અણ્ણા અને તેમની ટોળકી માટે પણ આ ઘટનામાં ગર્ભિતાર્થ છે કે સાચા દેશહિતના મુદ્દાઓમાં લોકો સાથ આપશે, પણ દેશહિત વિરુદ્ધની દેશદ્રોહી પ્રકારની વાતને લોકો ક્યારેય ટેકો આપશે નહીં.

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2011

અન્ના દૂરનું જોવો છો, આજુબાજુમાં પણ જોવો


- આનંદ શુક્લ

અન્ના હજારે દૂરનું ઘણું જોવે છે. તેમને દેશમાં ઉપરથી નીચે સુધીના ભ્રષ્ટાચારને દૂર કરવો છે. મિશન ખૂબ જ પ્રશંસનીય છે. તેઓ ખૂબ દૂરનું જોઈ શકે છે. તેમના માનવા પ્રમાણે, તેમની સિવિલ સોસાયટીએ બનાવેલું જનલોકપાલ બિલ પારીત કરી દેવામાં આવશે, તો 60-65 ટકા ભ્રષ્ટાચારનો ખાતમો બોલી જશે. પણ પછી ચિંતા 35-40 ટકા ભ્રષ્ટાચારની તો કરવી જ પડશે. તેના માટે અન્ના હજારેએ બીજી આઝાદીની લડાઈ અને હવે ક્રાંતિની વાત પણ કરી છે. અન્નાની દ્રષ્ટિ ઘણી વિશાળ છે અને મિશન ઘણું બધું પ્રશંસનીય છે.

અન્ના હજારેએ જાહેરાત કરી છે કે તેમના મંચ પર કોઈ રાજકીય વ્યક્તિઓને આવવા દેવામાં આવશે નહીં. અરે, વિદેશમાંથી કાળાધન અને ભ્રષ્ટાચારના મુદ્દે અનશન કરનારા યોગગુરુ બાબા રામદેવને પણ પોતાના મંચ પર નહીં આવવા દેવાની જાહેરાત અન્ના અને તેમની ટીમ કરી ચુકી છે. પરંતુ તેની સામે હકીકત એ છે કે ટીમ અન્નાએ લાલકૃષ્ણ અડવાણી, નીતિશ કુમાર સહીતના રાજકારણીઓને જનલોકપાલ મુદ્દે સમર્થન મેળવવા માટે સંપર્ક કર્યો છે.

અન્ના સાથે અગ્નિવેશ, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, મેધા પાટકર, મલ્લિકા સારાભાઈ, મનિષ સિસોદીયા, પ્રશાંત ભૂષણ, શાંતિભૂષણ, સંતોષ હેગડે જેવાં લોકો છે. જરા આમાના કેટલાંકની પૃષ્ઠભૂમિ તપાસવા જેવી છે. અગ્નિવેશ ભગવા વસ્ત્રો પહેરે છે. તેઓ આર્ય સમાજી છે. પરંતુ તેમની માઓવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ અદભૂત છે. તેઓ સરકાર તરફથી માઓવાદીઓ સાથે વાતચીત કરે છે. માઓવાદી આઝાદના એન્કાઉન્ટર સામે એસઆઈટીની માગણી કરે છે. તેઓ છત્તીસગઢમાં માઓવાદીઓને લાલ સલામ કરી આવે છે. તો કાશ્મીરના અલગતાવાદીઓ સૈયદ અલી શાહ ગિલાની સાથે તેમને અત્યંત પ્રેમ છે. તેઓ શ્રીનગરમાં જઈને અલગતાવાદીઓને પણ આશિર્વાદ આપી આવે છે. તેઓ શ્રીનગરમાં પવિત્ર અમરનાથ યાત્રાને તૂત અને અમરનાથના શિવલિંગને બરફનો ઢગલો કહી આવે છે. આ વ્યક્તિને અમદાવાદમાં આ મુદ્દે થપ્પડનો પણ સામનો કરવો પડયો છે. આ સિવાય છત્તીસગઢમાં ઈંડા-ટામેટાનો વરસાદ તો એક-બે વખત પામી ચુકયા છે. ગુજરાતના વિકાસના અન્નાએ વખાણ કર્યા હતા, ત્યારે અગ્નિવેશે અન્નાનું નિવેદન પાછું ખેંચાવાની વાત કરી હતી. તેના માટે તેઓ અઠવાડિયું ગુજરાતમાં ધામા નાખીને અન્નાને ગુજરાતના વિકાસ વિરોધી નિવેદનો પણ કરાવી ગયા છે. ગુજરાતમાં ગોટાળા જ ગોટાળા છે અને અહીં દૂધ નહીં દારૂની નદીઓ વહે છે-એવા આત્યાંતિક નિવેદનો અન્ના પાસે કરાવવામાં અગ્નિવેશ અને મલ્લિકા સારાભાઈ જેવાં ગુજરાતના વિકાસના ઘોર વિરોધીઓ સફળ થયા છે.

આ સિવાય મેધા પાટકર પણ અન્નાના આંદોલનમાં ખૂબ ચમકતા તારા જેવાં છે. મેધા પાટકર સંદર્ભે ગુજરાતની જનતાને આમ તો પરીચયની કોઈ જરૂરત નથી. પરંતુ મેધા પાટકરે ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પરની સરદાર સરોવર યોજનાનો ભરપૂર વિરોધ કર્યો હતો. તેમણે નર્મદા યોજનાનો નહીં, પણ ગુજરાતના વિકાસનો વિરોધ કર્યો હતો. મેધા પાટકરને તેમના આ ગુના બદલ ગુજરાતની જનતા ક્યારેય માફ કરી શકે તેમ નથી.

મલ્લિકા સારાભાઈ પણ એક આવું જ નામ છે. ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ અને તેના પછીની ઘટનાઓમાં મલ્લિકા સારાભાઈએ ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું. તેમની આ ભૂમિકા પ્રત્યે ગુજરાતના લોકોને પુરતો અણગમો છે. પોતાની સેક્યુલર છબી ચમકાવા માટે ગુજરાતના હિતોને ઠેસ પહોંચાડવાથી પરહેજ ન કરનાર મલ્લિકા સારાભાઈએ અન્ના હજારેની ગુજરાત યાત્રામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. અન્ના હજારેએ તેમના અને અગ્નિવેશના બતાવેલા ગુજરાતને જોયું હતું. ત્યાર બાદ અન્નાએ પોતાના પહેલાના નિવેદનને મીડિયાના આધારે કરાયેલું નિવેદન ગણાવીને નવું નિવેદન કર્યું હતું.

આ સિવાય 2002ના રમખાણો દરમિયાન હર્ષ મંડરે પણ ગુજરાતના હિતોને નુકસાન પહોંચાડતી વાતો કરીને ગુજરાતને બદનામ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. અન્નાની ટીમમાં હર્ષ મંડર સાથે સારા સંબંધો ધરાવનારા અરવિંદ કેજરીવાલ સહીતના લોકો પણ સામેલ છે. આ સિવાય પ્રશાંત ભૂષણ ડાબેરી વિચારધારા ધરાવનારા અને ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓના કેસ લડનારા વકીલ છે. એપ્રિલ માસના અનશન દરમિયાન એક મહીલા ડાબેરી નેતાને અન્નાના મંચ પર કેટલાંક એનજીઓ એક્ટિવિસ્ટોએ આમંત્ર્યા હતા અને ત્યાર બાદ થોડી ક્ષણોમાં તેમને ધક્કે પણ ચઢાવ્યા હતા. ડાબેરી વિદ્યાર્થી સંગઠને કપિલ સિબ્બલના એક કાર્યક્રમમાં કાળા વાવટા પણ દેખાડયા હતા.

ત્યારે અન્ના એક ખૂબ સારું મિશન લઈને આગળ વધી રહ્યાં છે. પરંતુ તેઓ તેમની આસપાસમાં એક એવી ટોળકીથી ઘેરાઈ ગયા છે કે જે માઓવાદીઓ સંદર્ભે સહાનુભૂતિ રાખે છે, આતંકવાદ સંદર્ભે મુંગી રહે છે, કાશ્મીરના અલગતાવાદીઓ સાથે સારા સંબંધો ધરાવે છે, અમરનાથના શિવલિંગ સંદર્ભે વાંધાજનક ટિપ્પણીઓ કરે છે, ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે, ગુજરાતના વિકાસના વિરોધી છે. તો બીજી તરફ બાબા રામદેવના અનશનમાં આરએસએસે સાથ આપ્યો હતો અને તેમના મંચ પર સાધ્વી ઋતંભરા બેઠાં હતાં તેટલા માત્રથી અન્ના બાબા રામદેવને શરતોને આધારે જ મંચ પર આવવા દેવાનું કહી ચુક્યા છે. ત્યારે સવાલ એ છે કે અન્ના હિંદુત્વવાદીઓ, રાષ્ટ્રવાદીઓ અને ભગવાધારીઓ માટે આવો અભિગમ કેમ રાખે છે? તેઓ પણ આ દેશના નાગરીકો છે અને તેમને પણ ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાં અન્નાને સાથ આપવાનો અધિકાર નથી?