લેબલ સ્વામી અગ્નિવેશ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સ્વામી અગ્નિવેશ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 23 ઑક્ટોબર, 2011

કંચનની છબીની વાસ્તવિકતા કથીર પણ હોય!


-આનંદ શુક્લ

મીડિયા અને સભા-રેલી-યાત્રાઓ અથવા અન્ય કાર્યક્રમો નેતા, સંગઠન, અભિનેતા, સમાજસેવક, કર્મશીલની છબીઓ બનાવે છે. આ છબીઓને આધારે નેતા, સંગઠન, અભિનેતા, સમાજસેવક, કર્મશીલ વ્યક્તિઓના વ્યક્તિત્વને બનાવે છે. જનતા તેમની છબીમાંથી નીખરેલા વ્યક્તિત્વને કારણે તેમની સાથે અથવા તેમની વિરુદ્ધમાં હોય છે. પરંતુ મોટાભાગે મીડિયા અને રેલી, યાત્રા, સભાઓ જેવાં જાહેર કાર્યક્રમોથી બનતી છબી હંમેશા સાચી હોતી નથી. આવી છબીથી જનતા છેતરાય છે. આવા કિસ્સા ઈતિહાસના પાના પર તો અંકીત છે જ, પણ સાથેસાથે આજે પણ આવી ઘટનાઓ બની રહી છે. છબીથી અંજાઈને લોકો જેમને સોનાના ગણે છે, તે પિત્તળના નીકળે છે.

અત્યારે મીડિયા અને જાહેર કાર્યક્રમો તથા ઈન્ટરનેટ-ફેસબુકની મદદથી ભ્રષ્ટાચાર સામે આંદોલન જગાવનાર ટીમ અણ્ણાની પણ જનનાયક તરીકેની છબી ઉપસી આવી છે. લોકોમાં ટીમ અણ્ણાના લોકો ભ્રષ્ટાચારી ન હોવાની માન્યતા પ્રવર્તી રહી છે. પરંતુ મીડિયામાં આવી રહેલી હકીકતો કદાચ ટીમ અણ્ણાના સભ્યો માટે લોકોનો વિચાર બદલવાનું કારણ બની શકે છે. ટીમ અણ્ણાના સેનાપતિ અરવિંદ કેજરીવાલ પાસે ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ 9 લાખ રૂપિયા લેણા નીકળતા હોવાની નોટિસ મોકલે છે. અરવિંદ કેજરીવાલ નોટિસો પર સ્પષ્ટીકરણ આપતા રહે છે. સ્વામી અગ્નિવેશે દાવો કર્યો છે કે અણ્ણાના અનશન વખતે 80 લાખ રૂપિયા દાનના મળ્યા હતા. તેને અરવિંદ કેજરીવાલે પોતાની સંસ્થામાં જમા કરાવી લીધા છે. સ્વામી અગ્નિવેશે આ 80 લાખ રૂપિયાનો હિસાબ માગ્યો છે. એક અંગ્રેજી અખબાર પ્રમાણે, અણ્ણાના અનશન વખતે ભ્રષ્ટાચારી રાજકારણીઓની દુપટ્ટો ઓઢીને ફિરકી ઉતારનારા આઈપીએસ તરીકે પ્રામાણિક અધિકારીની છાપ ધરાવતા કિરણ બેદી પર પણ રાહતો મેળવીને પૂરું ટિકિટ ભાડું વસૂલવાના આરોપ લાગ્યા છે. કિરણ બેદીને એર ઈન્ડિયામાંથી 75 ટકા રાહત મળે છે. અહેવાલ મુજબ કિરણ બેદીને બોલાવનારી એનજીઓ તેમને બિઝનેસ ક્લાસની એર ટિકિટ મોકલતા હતા. કિરણ બેદી ઈકોનોમી ક્લાસમાં એનજીઓના કાર્યક્રમ સ્થળે જતાં હતા. ત્યાર બાદ તેઓ બિલ બિઝનેસ ક્લાસનું પુરું વસૂલતા હતા. કિરણ બેદીએ સ્પષ્ટતા કરી છે કે આ બચતને તેઓ તેમની ઈન્ડિયા વિઝન ફાઉન્ડેશન એનજીઓમાં જમા કરાવતા હતા. તો ટીમ અણ્ણાના ડૉ. કુમાર વિશ્વાસ પર પણ આરોપ છે કે તેઓ જે કોલેજમાં છે, ત્યાં અધ્યાપન કાર્ય વ્યવસ્થિત રીતે કરી રહ્યાં નથી. કુમાર વિશ્વાસ છેલ્લા કેટલાય દિવસોથી કોલેજમાં લેકચર લેતા નથી.

કંચનની છબી ધરાવનારા કથીર અને કથીરની છબી ધરાવનારા કંચન નીકળે તેવા બનાવો ઘણાં બને છે. છબીનું બનવું અને ભૂંસાઈ જવું એક મોટો ખેલ છે. આ ખેલમાં આજે મીડિયા અને સોશ્યલ નેટવર્કિંગ બહુ મોટી ભૂમિકામાં છે. જો કે છબી જોઈને આકર્ષાયેલા લોકોને ભૂતકાળમાં પણ ઘણાં કડવા અનુભવો થયા છે. તો કોઈક વ્યક્તિએ તેમની છબી કરતાં તદ્દન વિપરીત વર્તન પણ કર્યું હોય તેવું માલૂમ પડયું છે.

ગુજરાતના એક ખૂબ જાણીતાં કોલમિસ્ટની કોલમથી આકર્ષાઈને તેમના પ્રશંસક તેમને તેમના ઘરે મળવા માટે ગયા. બપોરનો સમય હતો, ત્યારે આંખો ચોળતા ગુજરાતી કોલમિસ્ટે બારણું ખોલ્યું અને પોતાના પ્રશંસકને પાણી તો દૂર પરીચય કેળવ્યા વગર તેમને હડધૂત જ કરી દેવામાં આવ્યા. ગાંધીજીની પણ એક નિશ્ચિત છબીએ તેમને મહાત્મા બનાવ્યા. આજે જ્યારે ગાંધીજીના અંગત જીવનના કિસ્સાઓ પુસ્તક સ્વરૂપે આપણી સામે આવે છે, ત્યારે આપણે તેનો તિરસ્કાર કરીએ છીએ, આપણને દુ:ખ થાય છે. આપણે ગાંધીજીની મહાત્માની છબી તૂટે તેવું ઈચ્છતા નથી. આપણે ક્યારેય માનવા માટે તૈયાર થતાં નથી કે ગાંધીજી સામાન્ય માણસ હતા, તેમનામાં પણ માનવ સહજ નબળાઈઓ હતી. તેમને પ્રેમ ઉભરાતો, ગુસ્સો આવતો, ખેદ થતો, કરુણા ઉપજતી, ટીખળના પ્રસંગો બનતા, એ બધું જ ગાંધીજી કરતાં જે સામાન્ય માણસ કરે છે. પરંતુ ગાંધીજીને દેશની આઝાદીની લડાઈના મહાનાયક અને રાષ્ટ્રપિતા તરીકે આપણે આપણાં હ્રદયમાં સ્થાન આપ્યું છે. ગાંધીજીને મહાત્મા ગણીને આપણા દિલોદિમાગમાં બેસાડી દીધા છે. તેને કારણે ગાંધીજીના અંગત જીવનના માનવીય પાસાઓ આપણા માટે અસહ્ય થઈ જાય છે. બની શકે કે તેમાના કેટલાંક વાસ્તવિકતાથી કોશો દૂર હોય.

અમિતાભ બચ્ચનની પડદા પર એન્ગ્રી યંગમેનની છબી ઉભી થઈ હતી. પરંતુ અમિતાભ અંગત જીવનમાં ખૂબ સાલસ અને ક્રોધથી ઘણાં દૂર રહેનાર વ્યક્તિ છે. હિંદી ફિલ્મોના જાણીતા વિલન પ્રાણ સાથે પણ તેમની પડદા પર ઉભી થયેલી ઈમેજને કારણે રમૂજી ઘટના બની હતી. પ્રાણ એક સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યાં હતા. ત્યારે તેમની આગળની બેઠકમાં બેસીને મેચ જોઈ રહેલા વ્યક્તિનું પાકિટ નીચે પડી ગયું. પ્રાણે સહજતાથી આ પાકિટ તે વ્યક્તિને પાછું આપ્યું, પરંતુ ત્યારે તે વ્યક્તિનો પ્રતિભાવ વિચિત્ર હતો. તેણે પ્રાણને કહ્યું કે તમારી પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહીં. પ્રાણની પડદા પર છાપ એક ખૂંખાર વિલનની હતી. પ્રાણ વિલનના પાત્રમાં દુનિયાની તમામ બુરાઈઓને ઠાલવીને અભિનય કરતાં હતા. પ્રાણે આખી ઘટના પર પ્રતિક્રિયા આપી કે જો પાકિટ પાછું આપ્યા પછી તે વ્યક્તિએ મારી પ્રશંસા કરી હોત, તો મારા અભિનયમાં કચાશ હોવાનું તથ્ય સામે આવત.

છબી અને વાસ્તવિકતા વચ્ચે હંમેશા અંતર રહે છે. દેશમાં જિન્નાને કોમવાદી ગણવામાં આવે છે. પાકિસ્તાનના જનક તરીકે તેમને ધિક્કારવામાં આવે છે. પરંતુ ભારતની સૌથી વધારે દક્ષિણપંથી રાજકીય પાર્ટીઓમાંની એકના ભાજપના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી જિન્નાને પાકિસ્તાનમાં સેક્યુલર નેતા ગણાવે છે. મુસ્લિમ લીગના કટ્ટરવાદી નેતા તરીકે પંકાયેલા જિન્નાહે સૌથી પહેલા ગાંધીજીના ખિલાફત આંદોલનનો વિરોધ કર્યો હતો. તેમણે રહેમત અલીના પાકિસ્તાન માટેના વિચારને શેખચલ્લીનો ખ્વાબ ગણાવ્યો હતો. તેમને સરોજિની નાયડુએ હિંદુ-મુસ્લિમ એકતાના એમ્બેસેડર પણ કહ્યા હતા. જિન્નાહે લોકમાન્ય ટીળકનો કેસ પણ લડયા હતા. જિન્નાહ ક્યારેય નમાઝ પઢતા ન હતા અને તેઓ ડુક્કરનું માંસ પણ ખાતા હતા. જિન્નાના નજીકના મિત્ર હિંદુ હતા. તેમણે પારસી યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમણે પાકિસ્તાનને સેક્યુલર રાષ્ટ્ર બનાવવા માટે ત્યાંની બંધારણીય સભામાં ભાષણ આપ્યું હતું. આમ જોવો તો જિન્નાની વ્યક્તિગત રીતે કટ્ટર મુસ્લિમ ન હોવા છતાં તેમની છાપ કટ્ટરવાદી મુસ્લિમ લીગી નેતાની હતી. તેમની છાપે જ તેમને પાકિસ્તાન સર્જવામાં ઘણી મોટી મદદ કરી હતી.


મીડિયાની છબી કૃત્રિમ નૈતિકતાને આધારે બને છે. હાલના સમયમાં મીડિયા વ્યક્તિ કે સંગઠનને માથે પણ ઉંચકે છે અને તેને પગની નીચે પણ નમાવી શકે છે. મીડિયામાં પેદા થયેલી કાચની છબીઓ એક કાંકરીના પ્રહાર માત્રથી તૂટી જાય છે. મીડિયામાં કોઈની છબી બને છે, પછી તેમની પાછળ સક્રિય તેના હિત તંત્રની ખબરો પણ આવે છે. સ્પષ્ટ છે કે મીડિયામાં કોઈ છબી માસૂમ, તટસ્થ, નિષ્કલંક અથવા પૂરી રીતે નૈતિક આદર્શ હોતી નથી. પરંતુ તે તેવું દેખાવાની કોશિશ કરે છે અને છળ પેદા કરે છે. તે પોતાના છળથી સંચાર બળને સ્થિર કરે છે. સંચાર યુગમાં મસીહાઓ હવે કાચ અને કાગળના બની રહ્યાં છે. મીડિયા કેટલીય કાગળની હોડીઓને તેમના હિતોની વેતરણી પાર કરાવી રહ્યું છે. પરંતુ લોકોએ છબીઓને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય કરવો ન જોઈએ. જો છબીને ધ્યાનમાં રાખીને લોકો વ્યક્તિની પડખે ઉભા રહેશે, તો ચોક્કસપણે છેતરાશે. વ્યક્તિના વાણી-વર્તનની માહિતી મેળવવી, તેનું વિશ્લેષણ કરવું અને આ વિશ્લેષણને આધારે છબી ચકાસવી જોઈએ. એક હિંદી કવિતામાં લખ્યું છે કે-
છાયા મત છૂના મન, હોગા દુ:ખ દૂના મન! એટલે કે માનેલા કંચન જ્યારે કથીર નીકળે છે, ત્યારે ખૂબ દુ:ખ થાય છે. તેથી જરૂરી છે કે વ્યક્તિની તમામ સાચી માહિતી મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે અને લોકો તેનું વિશ્લેષણ કરે.

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2011

અન્ના દૂરનું જોવો છો, આજુબાજુમાં પણ જોવો


- આનંદ શુક્લ

અન્ના હજારે દૂરનું ઘણું જોવે છે. તેમને દેશમાં ઉપરથી નીચે સુધીના ભ્રષ્ટાચારને દૂર કરવો છે. મિશન ખૂબ જ પ્રશંસનીય છે. તેઓ ખૂબ દૂરનું જોઈ શકે છે. તેમના માનવા પ્રમાણે, તેમની સિવિલ સોસાયટીએ બનાવેલું જનલોકપાલ બિલ પારીત કરી દેવામાં આવશે, તો 60-65 ટકા ભ્રષ્ટાચારનો ખાતમો બોલી જશે. પણ પછી ચિંતા 35-40 ટકા ભ્રષ્ટાચારની તો કરવી જ પડશે. તેના માટે અન્ના હજારેએ બીજી આઝાદીની લડાઈ અને હવે ક્રાંતિની વાત પણ કરી છે. અન્નાની દ્રષ્ટિ ઘણી વિશાળ છે અને મિશન ઘણું બધું પ્રશંસનીય છે.

અન્ના હજારેએ જાહેરાત કરી છે કે તેમના મંચ પર કોઈ રાજકીય વ્યક્તિઓને આવવા દેવામાં આવશે નહીં. અરે, વિદેશમાંથી કાળાધન અને ભ્રષ્ટાચારના મુદ્દે અનશન કરનારા યોગગુરુ બાબા રામદેવને પણ પોતાના મંચ પર નહીં આવવા દેવાની જાહેરાત અન્ના અને તેમની ટીમ કરી ચુકી છે. પરંતુ તેની સામે હકીકત એ છે કે ટીમ અન્નાએ લાલકૃષ્ણ અડવાણી, નીતિશ કુમાર સહીતના રાજકારણીઓને જનલોકપાલ મુદ્દે સમર્થન મેળવવા માટે સંપર્ક કર્યો છે.

અન્ના સાથે અગ્નિવેશ, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, મેધા પાટકર, મલ્લિકા સારાભાઈ, મનિષ સિસોદીયા, પ્રશાંત ભૂષણ, શાંતિભૂષણ, સંતોષ હેગડે જેવાં લોકો છે. જરા આમાના કેટલાંકની પૃષ્ઠભૂમિ તપાસવા જેવી છે. અગ્નિવેશ ભગવા વસ્ત્રો પહેરે છે. તેઓ આર્ય સમાજી છે. પરંતુ તેમની માઓવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ અદભૂત છે. તેઓ સરકાર તરફથી માઓવાદીઓ સાથે વાતચીત કરે છે. માઓવાદી આઝાદના એન્કાઉન્ટર સામે એસઆઈટીની માગણી કરે છે. તેઓ છત્તીસગઢમાં માઓવાદીઓને લાલ સલામ કરી આવે છે. તો કાશ્મીરના અલગતાવાદીઓ સૈયદ અલી શાહ ગિલાની સાથે તેમને અત્યંત પ્રેમ છે. તેઓ શ્રીનગરમાં જઈને અલગતાવાદીઓને પણ આશિર્વાદ આપી આવે છે. તેઓ શ્રીનગરમાં પવિત્ર અમરનાથ યાત્રાને તૂત અને અમરનાથના શિવલિંગને બરફનો ઢગલો કહી આવે છે. આ વ્યક્તિને અમદાવાદમાં આ મુદ્દે થપ્પડનો પણ સામનો કરવો પડયો છે. આ સિવાય છત્તીસગઢમાં ઈંડા-ટામેટાનો વરસાદ તો એક-બે વખત પામી ચુકયા છે. ગુજરાતના વિકાસના અન્નાએ વખાણ કર્યા હતા, ત્યારે અગ્નિવેશે અન્નાનું નિવેદન પાછું ખેંચાવાની વાત કરી હતી. તેના માટે તેઓ અઠવાડિયું ગુજરાતમાં ધામા નાખીને અન્નાને ગુજરાતના વિકાસ વિરોધી નિવેદનો પણ કરાવી ગયા છે. ગુજરાતમાં ગોટાળા જ ગોટાળા છે અને અહીં દૂધ નહીં દારૂની નદીઓ વહે છે-એવા આત્યાંતિક નિવેદનો અન્ના પાસે કરાવવામાં અગ્નિવેશ અને મલ્લિકા સારાભાઈ જેવાં ગુજરાતના વિકાસના ઘોર વિરોધીઓ સફળ થયા છે.

આ સિવાય મેધા પાટકર પણ અન્નાના આંદોલનમાં ખૂબ ચમકતા તારા જેવાં છે. મેધા પાટકર સંદર્ભે ગુજરાતની જનતાને આમ તો પરીચયની કોઈ જરૂરત નથી. પરંતુ મેધા પાટકરે ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પરની સરદાર સરોવર યોજનાનો ભરપૂર વિરોધ કર્યો હતો. તેમણે નર્મદા યોજનાનો નહીં, પણ ગુજરાતના વિકાસનો વિરોધ કર્યો હતો. મેધા પાટકરને તેમના આ ગુના બદલ ગુજરાતની જનતા ક્યારેય માફ કરી શકે તેમ નથી.

મલ્લિકા સારાભાઈ પણ એક આવું જ નામ છે. ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ અને તેના પછીની ઘટનાઓમાં મલ્લિકા સારાભાઈએ ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું. તેમની આ ભૂમિકા પ્રત્યે ગુજરાતના લોકોને પુરતો અણગમો છે. પોતાની સેક્યુલર છબી ચમકાવા માટે ગુજરાતના હિતોને ઠેસ પહોંચાડવાથી પરહેજ ન કરનાર મલ્લિકા સારાભાઈએ અન્ના હજારેની ગુજરાત યાત્રામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. અન્ના હજારેએ તેમના અને અગ્નિવેશના બતાવેલા ગુજરાતને જોયું હતું. ત્યાર બાદ અન્નાએ પોતાના પહેલાના નિવેદનને મીડિયાના આધારે કરાયેલું નિવેદન ગણાવીને નવું નિવેદન કર્યું હતું.

આ સિવાય 2002ના રમખાણો દરમિયાન હર્ષ મંડરે પણ ગુજરાતના હિતોને નુકસાન પહોંચાડતી વાતો કરીને ગુજરાતને બદનામ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. અન્નાની ટીમમાં હર્ષ મંડર સાથે સારા સંબંધો ધરાવનારા અરવિંદ કેજરીવાલ સહીતના લોકો પણ સામેલ છે. આ સિવાય પ્રશાંત ભૂષણ ડાબેરી વિચારધારા ધરાવનારા અને ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓના કેસ લડનારા વકીલ છે. એપ્રિલ માસના અનશન દરમિયાન એક મહીલા ડાબેરી નેતાને અન્નાના મંચ પર કેટલાંક એનજીઓ એક્ટિવિસ્ટોએ આમંત્ર્યા હતા અને ત્યાર બાદ થોડી ક્ષણોમાં તેમને ધક્કે પણ ચઢાવ્યા હતા. ડાબેરી વિદ્યાર્થી સંગઠને કપિલ સિબ્બલના એક કાર્યક્રમમાં કાળા વાવટા પણ દેખાડયા હતા.

ત્યારે અન્ના એક ખૂબ સારું મિશન લઈને આગળ વધી રહ્યાં છે. પરંતુ તેઓ તેમની આસપાસમાં એક એવી ટોળકીથી ઘેરાઈ ગયા છે કે જે માઓવાદીઓ સંદર્ભે સહાનુભૂતિ રાખે છે, આતંકવાદ સંદર્ભે મુંગી રહે છે, કાશ્મીરના અલગતાવાદીઓ સાથે સારા સંબંધો ધરાવે છે, અમરનાથના શિવલિંગ સંદર્ભે વાંધાજનક ટિપ્પણીઓ કરે છે, ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે, ગુજરાતના વિકાસના વિરોધી છે. તો બીજી તરફ બાબા રામદેવના અનશનમાં આરએસએસે સાથ આપ્યો હતો અને તેમના મંચ પર સાધ્વી ઋતંભરા બેઠાં હતાં તેટલા માત્રથી અન્ના બાબા રામદેવને શરતોને આધારે જ મંચ પર આવવા દેવાનું કહી ચુક્યા છે. ત્યારે સવાલ એ છે કે અન્ના હિંદુત્વવાદીઓ, રાષ્ટ્રવાદીઓ અને ભગવાધારીઓ માટે આવો અભિગમ કેમ રાખે છે? તેઓ પણ આ દેશના નાગરીકો છે અને તેમને પણ ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાં અન્નાને સાથ આપવાનો અધિકાર નથી?