લેબલ રાજ ઠાકરે સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ રાજ ઠાકરે સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 17 ફેબ્રુઆરી, 2012

ભાજપ-શિવસેનાના જોડાણ માટે મહારાષ્ટ્રમાં ફરી આશાનું કિરણ


bjp-shivsena has hpe for 2014 assembly election

મહારાષ્ટ્રમાં તાજેતરમાં આવેલા બીએમસી સહીતની 10 મહાનગરપાલિકા અને 27 જિલ્લાપરીષદોના ચૂંટણી પરિણામો અને વલણો ભાજપ-શિવસેના ગઠબંધન માટે ફીલગુડ કરાવનારા સાબિત થઈ રહ્યા છે. કોંગ્રેસ-એનસીપી ગઠબંધનનો 2014ના મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલમાં ભાજપ-શિવસેના-આરપીઆઈ ગઠબંધન સામે હાર થઈ છે. જો કે હાલ રાજ ઠાકરે ન તો કિંગ બન્યા છે અને ન તો કિંગ મેકર બન્યા છે.


આ ચૂંટણી પહેલા પ્રચાર દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે શિવસેના પ્રમુખ બાલ ઠાકરે સામે કેટલીક કઠોર ટીપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે આ ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન મોટી જીત મેળવશે અને બાલ ઠાકરે મહારાષ્ટ્રની રાજનીતિમાં અપ્રાસંગિક થઈ જશે.

પરંતુ મતદાતાઓની ગત ન્યારી હોય છે, મતદાતાએ શુક્રવારે આપેલા ચુકાદા બાદ મહારાષ્ટ્રની રાજનીતિ નવી દિશા તરફ જઈ રહી છે. બાલ ઠાકરે ઢળતી ઉંમરે છે, પરંતુ તેઓ હજી પણ રાજ્યના મતદાતાઓ માટે શિવસેના થકી પ્રાસંગિક છે. જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ રાજ ઠાકરેના નેતૃત્વમાં ઘણી સારી સફળતા પ્રાપ્ત કરી છે. રાજ ઠાકરેએ શિવસેનાની મતબેંકો અને કિલ્લાઓમાં સેંઘ મારવામાં 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ સફળતા મેળવી હતી અને અત્યારે પણ સારા પ્રમાણમાં સફળ થયા છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મહારાષ્ટ્રની રાજનીતિ દ્વિધ્રુવીય રહી છે. જેમાં એક ધ્રુવ કોંગ્રેસ-એનસીપી અને બીજો ધ્રુવ ભાજપ-શિવસેના રહ્યા છે. 17 વર્ષથી રાજ્યની સત્તામાંથી દૂર રહેલી ભાજપ-શિવસેનાની ધરી માટે આ વખતે આશાના કિરણો ફૂટયા છે. રાજ્યની 10માંથી 8 મહાનગરપાલિકામાં ભગવા જોડાણ સૌથી આગળ રહ્યું છે. જો કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રનું રાજકારણ દ્વિધ્રુવીયની જગ્યાએ ત્રિકોણીય બની જશે, તેવા પણ સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

આમ તો બૃહદમુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ-શિવસેનાને સૌથી વધારે બેઠકો મળી છે, પરંતુ તેને બહુમતી માટે હજી 8 કોર્પોરેટરોનો જુગાડ કરવો પડશે. જ્યારે કોંગ્રેસ-એનસીપીના જોડાણને 66 બેઠકો મળી છે. જો કે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ શિવસેનાના ગઢ દાદર અને માહિમના કાંગરા ખેરવીને 28 બેઠકો પર જીત હાંસલ કરી છે. મુંબઈના 34 ધારાસભ્યોમાંથી 6 ધારાસભ્યો એમએનએસના છે. જો એક ધારાસભ્ય નીચે 6 કોર્પોરેટરોની ગણતરી કરવામાં આવે તો એમએનએસના 36 કોર્પોરેટરો જીતવા જોઈએ. તેમ છતાં પણ શિવસેનાના ગઢના કાંગરા ખેરવવાનો સંતોષ રાજ ઠાકરેને થઈ રહ્યો છે.

ઠાણેમાં પણ ભાજપ-શિવસેના ગઠબંધન કોંગ્રેસ-એનસીપીથી આગળ છે. અહીં એમએનએસનો દેખાવ સારો થયો નથી. જેના કારણે રાજ ઠાકરેએ પ્રતિક્રિયા આપી છે કે ઠાણેમાં એમએનએસનો દેખાવ ખરાબ રહ્યો છે અને અહીં પાર્ટીમાં ફેરફારો થશે. જો કે એનસીપીએ શિવસેનાને ઠાણેમાં સારું એવું નુકસાન કર્યું છે. પરંતુ તેમ છતાં ભગવા ગઠબંધન ઠાણેમાં પણ સત્તા કબજે કરી શકે તેવા સ્પષ્ટ સમીકરણો બન્યા છે.

જો કે પુણે મહાનગરપાલિકામાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન ફરી સત્તા કબજે કરતું દેખાય રહ્યું છે. અહીં એમએનએસનો દેખાવ પણ ઘણો સારો રહ્યો છે. પુણેમાં એમએનએસને 27 અને નાસિકમાં 36 બેઠકો મળી છે. નાસિકમાં એમએનએસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી છે. રાજ ઠાકરેએ પુણે અને નાસિકમાં પાર્ટીને સારા મત આપવા બદલ અહીંની જનતાનો આભાર માન્યો છે. જો કે પિંપરી-ચિંચવડમાં એનસીપી 68 બેઠકો સાથે પોતાના દમ પર મહાનગરપાલિકામાં કાબિજ થઈ ગઈ છે.

કોંગ્રેસ માટે આઘાતજનક ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસી નેતા નારાયણ રાણે પાર્ટી પર જ વરસી પડયા છે, તેમણે હાર માટે કોંગ્રેસી નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે કોંગ્રેસી નેતા સંજય નિરુપમ પ્રમાણે એનસીપીને આપેલી 5 બેઠકો પર ગઠબંધન હાર્યું છે. તો રાજ ઠાકરેએ પ્રતિક્રિયા આપી છે કે શિવસેના ગઠબંધનને ભાજપ અને આરપીઆઈ સાથેના જોડાણને કારણે બેઠકો મળી છે.

હાલ આવેલા ચૂંટણી પરિણામો 2014ની વિધાનસભાની સેમીફાઈનલ બાદ રાજ્યની દ્વિધ્રુવીય રાજનીતિ ત્રિકોણીય થવા તરફ સ્પષ્ટ સંકેત કરી રહી છે. રાજ ઠાકરેએ કહ્યુ છે કે તેઓ મહારાષ્ટ્રમાં અન્ય ક્ષેત્રોમાં પાર્ટીનો વિસ્તાર કરશે. પરંતુ તેનાથી સ્વાભાવિક પણે શિવસેનાને થતું નુકસાન તેને કેટલું થાય છે, તેના પર પણ રાજકીય સમીકરણોનો મોટો આધાર રહેશે.

2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન શિવસેનામાંથી અલગ પડેલા રાજ ઠાકરેની એમએનએસે 21 ટકા મતો મેળવ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં રાજ ઠાકરેએ 45 બેઠકો પર ભાજપ-શિવસેના ગઠબંધનને ભારે નુકસાન પહોંચાડયું છે. ત્યારે 2014ની વિધાનસભાની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્રના રાજકારણમાં “રાજ ફેક્ટર” ઘણું મોટું અને મહત્વનું બની રહેશે.

ઉલ્લેખનીય છે કે શરદ પવાર એલાન કરી ચુક્યા છે કે હવે તેઓ કોઈ ચૂંટણી લડશે નહીં, બીજી તફ બાલ ઠાકરે ઢળતી ઉંમરને કારણે રાજકીય રીતે સક્રિય રહી શકતા નથી અને તેનો લાભ રાજ ઠાકરેને મરાઠી માનૂષની રાજનીતિ કરવામાં મળી રહ્યો છે. ત્યારે તેમનો રાજકીય વારસો સંભાળનારાઓ માટે પણ આ ચૂંટણી સેમીફાઈનલ છે.

ઉલ્લેખનીય છેકે મહાનગરપાલિકાના પરિણામો પહેલા બાલ ઠાકરેએ ઉદ્ધવ અને રાજ ઠાકરેના એક થવા સંદર્ભેનું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યુ હતુ કે તેમના મતે બંનેને એક થઈ જવું જોઈએ. ત્યારે રાજ ઠાકરેએ ઉદ્ધવ સાથેના મતભેદો કાયમ રાખતા પ્રતિક્રિયા આપી હતી કે તેઓ કાકા બાલ ઠાકરે માટે 100 પગલા ચાલવા માટે તૈયાર છે, પરંતુ ઉદ્ધવ માટે તેઓ આમ કરશે નહીં. તેથી મહારાષ્ટ્રની રાજનીતિમાં બાલ ઠાકરેના વારસોના એક થવાની સંભાવના ઘણી પાંખી છે. પરંતુ ભવિષ્યમાં તેમની વચ્ચે કોઈ સંબંધો ઉભા થઈ શકે છે.

શુક્રવાર, 15 જુલાઈ, 2011

આતંકવાદનો સામનો નાલાયકોની ‘રાજનીતિ’થી અશક્ય


મુંબઈમાં બુધવારે ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થયા. બોમ્બ બ્લાસ્ટમાં 21 નિર્દોષ લોકોના મોત નીપજ્યા, જ્યારે 131 લોકો ઘાયલ થયા છે. પરંતુ રાજકારણીઓને નિવેદનબાજી કરવા સિવાય અન્ય કોઈ વાતની દરકાર નથી. સૌથી આઘાતજનક નિવેદન કેન્દ્રીય ગૃહ મંત્રીનું લાગ્યું, તેમણે કહ્યું કે ભારતનું કોઈપણ શહેર સુરક્ષિત નથી. ભાઈ, તમે સરકાર છો, તમારા હાથમાં પાવર છે અને તમે મુંબઈ પર હુમલાના 31 માસ બાદ કહો છો કે ભારતના બધાં શહેરો પર ખતરો છે. ગૃહ મંત્રી તરીકે શિવરાજ પાટિલની વિદાય બાદ પી. ચિદમ્બરમ પર દેશને સૌથી વધારે આશા હતી, પરંતુ આ આશા ઠગારી ત્યારે નીવડી કે જ્યારે તેમણે કહ્યું કે મુંબઈમાં 31 માસ બાદ આતંકી હુમલો થયો છે. આ હુમલાની આગોતરી જાણકારી કેન્દ્ર કે રાજ્યની એજન્સીઓને ન હતી. છતાં પી. ચિદમ્બરમ આ બાબતને ઈન્ટેલિજન્સની નિષ્ફળતા માનવા તૈયાર નથી. અત્રે સવાલ એ ઉભો થાય છે કે ઈન્ટેલિજન્સ પાસે આતંકી હુમલાની કોઈ માહિતી ન હોવી તેની નિષ્ફળતા નથી? જો કે હવે થનારા આતંકી હુમલામાં જરૂરથી ઈન્ટેલિજન્સની નિષ્ક્રિયતા કે નિષ્ફળતાની ચર્ચા નહીં થાય, કારણ કે ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે કહી દીધું છે કે ભારતના દરેક શહેર પર જોખમ છે.

તો ભાવિ વડાપ્રધાન તરીકે કોંગ્રેસ દ્વારા પ્રોજેક્ટ થનારા યુવરાજ રાહુલ ગાંધીના નિવેદન વધારે આઘાતજનક છે. તેમણે કહ્યું છે કે દેશમાં 100 ટકા આતંકવાદી હુમલા રોકવા શક્ય નથી. 99 ટકા આતંકવાદી હુમલા રોકી લેવાયા છે. આનો અર્થ ઘણો સ્પષ્ટ છે કે સરકાર અને તેની આગેવાન કોંગ્રેસ પાર્ટી આતંકવાદી હુમલાને પોતાની વોટબેંકની રાજનીતિમાં ઘણાં હળવાશથી લઈ રહ્યાં છે. કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ વધારે આશ્ચર્ય ત્યારે સર્જ્યું કે જ્યારે તેમણે ભારતની સરખામણી અફઘાનિસ્તાન અને ઈરાક સાથે કરી. તેમણે કહ્યું કે અમેરિકા પણ અફઘાનિસ્તાન અને ઈરાકમાં આતંકવાદી હુમલા રોકી શક્યું નથી. આટલી બેજવાબદારીભર્યા નિવેદનો જણાવે છે કે ભાવિ વડાપ્રધાન ગણાવાતા રાહુલ ગાંધીમાં દેશના લોકોની ભાવના પ્રમાણે વર્તવાની કોઈ પરિપકવતા નથી.

ભારત વિશ્વના સૌથી અશાંત ગણાતાં દેશોનું પડોશી છે. છતાં ભારત આટ-આટલા આતંકવાદી હુમલા બાદ પણ કોઈ સ્પષ્ટ રણનીતિ તૈયાર કરી શક્યુ નથી. સાચું પુછો તો દેશની સામેના આ દેખીતા સૌથી મોટા પડકાર સામે રાજકીય સ્તરે કોઈ સામુહિક ચિંતન અને સ્પષ્ટ રાષ્ટ્રીય નીતિ ઉપલબ્ધ નથી. વોટબેંકની રાજનીતિ અને મુસ્લિમ તુષ્ટિકરણની નીતિના કારણે આતંકવાદ સામે ઢીલી નીતિ અખત્યાર કરવામાં આવી છે.

તો બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું છે કે બ્લાસ્ટ રોકવા હોય તો યુપી-બિહારના લોકોને મુંબઈમાંથી ભગાડો. રાજ ઠાકરે મહારાષ્ટ્રના નામે પ્રાદેશિક રાજનીતિ કરવા માટે કુખ્યાત છે. તેમણે યુપી-બિહારના લોકો સામે જે પ્રકારે ગુંડાગીરી કરી છે, તે કોઈનાથી છુપી નથી. ત્યારે હાલ જ્યારે બોમ્બ બ્લાસ્ટની તપાસનું કોઈ પરિણામ આવ્યું નથી, ત્યારે યુપી-બિહારના લોકો પર બ્લાસ્ટના દોષનો ટોપલો ઢોળીને પાકિસ્તાન પરસ્ત આતંકવાદીઓને છટકી જવા દેવાની વાત કરવી ઘણી આશ્ચર્યજનક અને આઘાતજનક છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં દહેશત ફેલાવીને આતંકવાદીઓ ભારતને આર્થિક રીતે કમજોર કરવા માંગે છે. કારણ કે ભારતમાં આર્થિક વ્યવહાર મોટાભાગે મુંબઈથી ચાલે છે. ભારતમાં રોકાણકારો આવે નહીં અને પ્રવાસીઓ પોતાની મુસાફરી સ્થગિત કરી દે, તેવો કારસો આતંકવાદીઓ ઘડવા માંગે છે. લોક લાગણીને ડામી દેવા માટે બ્લાસ્ટના દોષનો ટોપલો ઈન્ડિયન મુજાહિદ્દીન અને અંડરવર્લ્ડના માથે ઢોળી દેવામાં આવે છે. પરંતુ આ બંને પાકિસ્તાનમાંના તેમના આકાઓની મરજી સિવાય કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટનાને અંજામ આપે તેમ નથી.

અલ કાયદા જેવા સંગઠનના નિશાના પર હોવા છતાં અમેરિકામાં 10 વર્ષથી આતંકવાદી હુમલો થઈ શક્યો નથી. બ્રિટનમાં 7/11ની ઘટનાના છ વર્ષ બાદ આતંકવાદીઓ પોતાના નાપાક મનસૂબા પાર પાડી શક્યા નથી. હમાસ અને હિજબુલ્લાના નિશાના પર હોવા છતાં 1972 બાદ ઈઝરાયેલનું કોઈ વિમાન હાઈઝેક થયું નથી. પરંતુ આતંકવાદીઓ ભારતને ગમે ત્યારે નિશાન બનાવવામાં સફળ થઈ રહ્યાં છે. તેના મુખ્યત્વે ત્રણ કારણો છે- રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ, ઘણાં બધાં બુદ્ધિજીવીઓમાં આતંકવાદીઓ પ્રત્યે હમદર્દી અને અમેરિકાથી વિપરીત ભારતના પડોશી દેશોની દુશ્મનાવટ. અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા બાદ દેશમાં રાજકીય ઈચ્છાશક્તિના બળે આતંકવાદને ખાળવામાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યાંના ડેમોક્રેટ અને રિપબ્લિક પક્ષે સાથે મળીને આતંકવાદ સામે રાષ્ટ્રીય નીતિ બનાવી. એકમતથી પેટ્રિયટ લો બનાવીને કાયદામાં ફેરફાર કર્યો, ઈમિગ્રેશન લો બદલ્યા, હોમલેન્ડ સિક્યુરિટીને મજબૂત કરી અને પોલીસને વધારે શક્તિ આપી છે. અમેરિકાએ પોતાના સૌથી મોટા દુશ્મન ઓસામા બિન લાદેનના ખાતમા માટે રાષ્ટ્રપતિ બુશ વખતે શરૂ કરેલી નીતિને ડેમોક્રેટ પાર્ટીના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આગળ વધારી અને આજે તેના પરિણામો દુનિયાની સામે છે.

બીજી તરફ ભારતમાં એવા લોકો કમભાગ્યે હાજર છે કે જેઓ કહે છે કે સંસદ પર હુમલા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા પામેલા અફઝલ ગુરુને સજા ન કરવી જોઈએ. આ સિવાય આપણે ત્યાં રાજકીય ઈચ્છાશક્તિ વોટબેંકની રાજનીતિ અને મુસ્લિમ તુષ્ટિકરણમાં હંમેશા ગેરહાજર રહે છે. કંધાર હાઈજેકિંગમાં ત્રણ આતંકવાદીઓની મુક્તિ અને વી. પી. સિંહ સરકાર વખતે તત્કાલિન ગૃહ મંત્રી મુફ્તિ મહંમદ સઈદની પુત્રી રુબિયા સઈદની મુક્તિ માટે પાંચ આતંકવાદીઓને છોડી મુકવાની ભારત સરકારની નીતિથી એવો સંદેશ ગયો છે કે ભારત એક નબળું અને ઝુકવાવાળું રાષ્ટ્ર છે.
આ સિવાય ભારતના પડોશી દેશો ભારત માટે દરેક વખતે મુસીબત ઉભી કરતાં રહે છે. પાકિસ્તાન ખુદ દુનિયાનો સૌથી વધારે આતંક પ્રભાવિત દેશ છે, પરંતુ તે ભારતમાં આતંકની સતત નિકાસ કરી રહ્યું છે. બાંગ્લાદેશને ભારતે આઝાદી અપાવી, પણ તેમ છતાં તે ભારત વિરોધી પ્રવૃતિથી ધમધમી રહ્યું છે.

આમ જોવો તો ભારતમાં આતંકવાદી હુમલા બાદ રાજકારણીઓએ નવા નિવેદન આપવાની જરૂર પડે તેમ જ નથી. કારણ કે તેઓ બીબાઢાળ નિવેદનો આપીને જનતાનું માથું ફેરવે છે. માત્ર ઘટના અને ભોગ બનનારના નામ બદલાય છે, પણ સરકાર, વિપક્ષ અને સુરક્ષા એજન્સીઓના નિવેદનોમાં કોઈ ફેર પડતો નથી. વળી અત્યાર સુધીની મોટાભાગની આતંકવાદી ઘટનાઓમાં કોઈ પરિણામ આવ્યું નથી. આમ જોવો તો હુમલા પછી થનારી તપાસમાં પણ કોઈ સક્કરવાર હોતો નથી. ત્યારે લાગતું નથી કે લોક લાગણીને સમજીને સરકાર, વિપક્ષ અને સુરક્ષા એજન્સીઓ હવે હરકતમાં આવે અને નિર્દોષ ભારતીયોના આમ વહેતા લોહીને અટકાવે?