લેબલ સરદાર પટેલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સરદાર પટેલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

કોંગ્રેસનો વિકલ્પ ઉભો થાય છે, પણ કોંગ્રેસ મોડલનો વિકલ્પ નથી!


there is option of congress in power but opposition fail to give option in political moldel

અજબ ભારતીય રાજકારણની ગજબની કહાની છે. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટીને રાજકારણની દુર્દશા માટે બિનકોંગ્રેસી પક્ષો જવાબદાર ઠેરવે છે. થોડો સમય માટે બિનકોંગ્રેસી દળો સત્તામાં કોંગ્રેસનો વિકલ્પ પણ બને છે. પરંતુ આવા બિનકોંગ્રેસી દળો કોંગ્રેસના રાજકીય મોડલનો વિકલ્પ પુરો પાડવામાં સદંતર નિષ્ફળ ગયા છે. કોંગ્રેસ ભારતની આઝાદી પહેલા સૌથી પ્રભાવી રાજકીય પક્ષ તરીકે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને આઝાદી બાદ પણ દેશની સત્તાનો ભોગવટો સૌથી વધારે સમય સુધી કર્યો છે. હાલ પણ યુપીએ-2 સરકારનું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. 127 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીના રાજકીય મોડલનો ભારતમાં હજી સુધી કોઈ જવાબ ઉભો થઈ શક્યો નથી. કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવી હંમેશા લોઢાના ચણા ચાવવાનો ખેલ હોય છે. જાણકારો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા દેશમાં ઘણાં ઉંડે સુધી પહોંચ્યા હોવાનું ગણાવે છે. આ વાત આંશિક રીતે સાચી છે. પરંતુ ભારતીય રાજકારણની તાસિર તપાસમાં આવે તો ભારતમાં લગભગ એક સદીથી વધારે સમયથી કોંગ્રેસના રૂપમાં રાજકીય પાર્ટીનું એક જ મોડલ સાતત્યપૂર્ણ રીતે અસ્તિત્વમાં છે.

1885માં અંગ્રેજ એ.ઓ.હ્યૂમે કોંગ્રેસની સ્થાપના કરી. ત્યારથી કોંગ્રેસ પાર્ટી ભારતના રાજકારણના એક ધ્રુવ તરીકે ઉભરી હતી. આમ તો કોંગ્રેસે 1885થી 1905 સુધી અંગ્રેજી હકૂમત સાથે મહદ અંશે પત્રાચાર કરવાનું કામ કર્યું હતું. લોકમાન્ય તિલકના કોંગ્રેસમાં પ્રભાવી બન્યા બાદ સ્વતંત્રતા આંદોલન સંદર્ભે કોંગ્રેસમાં ઉગ્રતા આવી હતી. તેમ છતાં તેમા ગરમ દળ અને નરમ દળનું અસ્તિત્વ હતું. પરંતુ એક હકીકત એ છે કે અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસે અંગ્રેજી હકૂમત સામે ભારતીયોને લડવા માટે એક રાજકીય મોડલ થકી પ્લેટફોર્મ પુરું પાડયું હતું. મુસ્લિમ લીગના મહોમ્મદ અલી ઝીણા 1937 સુધી કોંગ્રેસી અને સેક્યુલર નેતા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર કોંગ્રેસી અગ્રણી હતા. હિંદુ મહાસભાના મદન મોહન માલવિયા સરીખા નેતાઓ પણ કોંગ્રેસમાં સક્રિય હતા. આર્યસમાજમાં સક્રિય લાલા લાજપતરાયની ગણના પણ દિગ્ગજ કોંગ્રેસી નેતામાં થતી હતી. આઝાદ હિંદ ફોજ બનાવીને અંગ્રેજો સામે સશસ્ત્ર લડત કરનારા સુભાષચંદ્ર બોઝ 1937માં કોંગ્રેસ પ્રમુખ હતા. સમાજવાદી નેતા આચાર્ય કૃપલાણી, રામમનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ સુદ્ધા કોંગ્રેસમાં ગાંધીજી સાથે કામ કરી ચુક્યા છે.

મુસ્લિમ લીગ 1906માં સ્થપાઈ અને હિંદુ મહાસભા 1905માં સ્થપાઈ. ત્રીસના દશકામાં કમ્યુનિસ્ટ પાર્ટીઓ અસ્તિત્વમાં આવી. 1947 પહેલા સમાજવાદી નેતાઓ કોંગ્રેસમાંથી અલગ થયા. ક્યારેક પોતાને પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાવનારી ભારતીય જનતા પાર્ટીના મૂળિયા પણ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરનારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પણ 1941ના વર્ષમાં કોંગ્રેસી નેતા રહી ચુક્યા છે. આ સિવાય સંઘના સંસ્થાપક ખુદ કોંગ્રેસી નેતા રહ્યા છે. એટલે કે કોંગ્રેસ એક એવું વટવૃક્ષ છે કે જેની એક-એક વડવાઈ તેને થડ જેટલી મોટી બની છે. આઝાદી બાદ મુસ્લિમ લીગી મોડલ પાકિસ્તાનમાં નિષ્ફળ ગયું, પરંતુ કોંગ્રેસનું મોડલ ભારતમાં સફળ બન્યું.

આઝાદી બાદ પણ કોંગ્રેસમાંથી પ્રાદેશિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે નેતાઓ દ્વારા અલગ ચોકો રચવાની પ્રક્રિયા ચાલુ જ રહી. કોંગ્રેસને સૌથી પહેલા સત્તાની બહાર કરવાનો શ્રેય જયપ્રકાશ નારાયણને મળે છે. કટોકટી બાદ મોરારજી દેસાઈના વડપણ હેઠળ જનતા પાર્ટીની સરકાર બની હતી. જો કે તે કોંગ્રેસની જેમ સત્તાનો સ્થિર વિકલ્પ બની શકી ન હતી અને માત્ર અઢી વર્ષના ગાળામાં જ સત્તામાંથી દૂર થઈ હતી. આમ જોવો તો મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણના મૂળિયા પણ કોંગ્રેસી જ હતા. ત્યાર બાદ 1989માં વી.પી.સિંહના વડપણ નીચે બિનકોંગ્રેસી પક્ષોએ ભેગા મળીને કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવા માટે આંદોલન કર્યું. પરંતુ હકીકત એ છે કે વી. પી. સિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને રાજીવ ગાંધી સાથે મતભેદોને કારણે કોંગ્રેસમાંથી અલગ પડયા હતા. પરંતુ વી. પી. સિંહ પણ સત્તામાં લાંબો સમય ટકી શક્યા નહીં. ચંદ્રશેખરને વડાપ્રધાન બનાવી કોંગ્રેસે બહારથી ટેકો આપ્યો, પરંતુ રાજીવ ગાંધીના જાસૂસી પ્રકરણે આ સરકારને ઘર ભેગી કરી. ત્યાર બાદ યોજાયેલી ચૂંટણીમાં પી. વી. નરસિંહરાવના નેતૃત્વમાં કોંગ્રેસી સરકાર સત્તામાં આવી. જો કે તે લઘુમતી સરકાર હતી, પરંતુ તેણે ઘણા ગોટાળા અને બ્લંડરો છતાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. ત્યારબાદ ભાજપની 13 દિવસની સરકાર સત્તામાં આવી. ત્યાર બાદ દેવેગૌડા અને ઈન્દર કુમાર ગુજરાલની કમજોર કોંગ્રેસના ટેકાવાળી સરકારોએ દેશને રાજકીય અસ્થિરતાના તબક્કામાં નાખી દીધી. 1998માં વાજપેયીના વડપણ નીચે એનડીએની સરકાર સત્તામાં આવી અને સત્તામાં કોંગ્રેસના વિકલ્પ તરીકે પોતાનો કાર્યકાળ સફળતાપૂર્વક પુરો કરનારી તે પહેલી બિનકોંગ્રેસી સરકાર હતી. પરંતુ 2004થી કોંગ્રેસના વડપણવાળા યુપીએ ગઠબંધનની સરકાર સત્તામાં છે.

ભાજપ ભારતીય રાજકારણનો બીજો ધ્રુવ ગણાય છે. પરંતુ ભાજપના કોંગ્રેસીકરણની વાતો પણ જોરશોરથી ઉઠી રહી છે. કોંગ્રેસમાં ગાંધી-નહેરુ પરિવારનો એકહથ્થુ પ્રભાવ એકાદ અપવાદને બાદ કરતાં જળવાઈ રહ્યો છે. તો તેવી રીતે ભારતના ભાજપ, શિવસેના, સમાજવાદી પાર્ટી, અકાલી દળ, તેલગુદેશમ પાર્ટી, ડીએમકે, એઆઈએ-ડીએમકે, બીજુ જનતાદળ સહીતને પક્ષોમાં વંશવાદ અને ભાઈ-ભત્રીજાવાદ ચરમ પર છે. વંશવાદની નકલ કરવામાં કેટલીક હદે કમ્યુનિસ્ટ પક્ષોને બાદ કરતા દેશના તમામ પક્ષો વંશવાદ અને ભાઈ-ભત્રીજાવાદની રાહ પર જ આગળ વધી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીમાં આંતરીક લોકશાહી ગાંધીજીના વખતથી અસ્તિત્વમાં નથી. કોંગ્રેસના ચૂંટાયેલા અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝને ગાંધીજીના સમર્થકોના વિરોધને કારણે પાર્ટી છોડવી પડી અને હિંસક માર્ગે આઝાદી મેળવવાનો આઝાદ હિંદ ફોજનો રસ્તે અખત્યાર કરવો પડયો હતો. દેશની આઝાદી પછી કોંગ્રેસમાં ગાંધી-નહેરુ પરિવારના સભ્યોનો બોલ કોંગ્રેસ પાર્ટીમાં કાયદો બની ગયો છે. તેવી જ રીતે દેશના બિનકોંગ્રેસી દળોમાં પણ આંતરીક લોકશાહીની અછત વર્તાય રહી છે. હાઈકમાન્ડના નામે પાંચ-સાત ચૂંટણી મેનેજરો પાર્ટીના નિર્ણય કરે છે. ભાજપ પ્રાઈવેટ લિમિટેડ પાર્ટી બની ગઈ હોવાની વાત પણ ઉમા ભારતીએ ભૂતકાળમાં પાર્ટી છોડતી વખતે કરી હતી. વળી કમ્યુનિસ્ટ વિચારધારા લોકશાહીને માનતી નથી. તેથી કમ્યુનિસ્ટ પાર્ટીમાં આંતરીક લોકશાહીનું સપનું જોવું પણ એક જોક સમાન છે. પરંતુ કમ્યુનિસ્ટ પાર્ટીઓ પોતાને ત્યાં આંતરીક લોકશાહી હોવાના દાવા કરે છે.

કોંગ્રેસ પાર્ટી પર આઝાદીની લડતના સમયથી તે મૂડીપતિઓની પાર્ટી હોવાનો આક્ષેપ થતો આવ્યો છે. આઝાદી બાદ પણ કોંગ્રેસ પર મૂડીપતિઓના હિતસાધવાનો આરોપ મૂકાતો આવ્યો છે. કોંગ્રેસની જાણે-અજાણે નકલ કરીને તેના રાજકીય પ્રતિસ્પર્ધી પક્ષ ભાજપના નેતાઓ પણ મૂડીપતિઓને સાધવામાં લાગેલા રહે છે. અન્ય રાજકીય પક્ષોને પણ ફંડફાળો અમુક અપવાદને બાદ કરતા મૂડીપતિઓ તરફથી જ મળે છે. તેને કારણે દેશની આર્થિક નીતિ આવા મૂડીપતિઓની હિતસાધક બને તેમાં નવાઈ પામાવા જેવું નથી. આને કારણે મૂડીપતિ વધારે ધનવાન બને છે અને આમ આદમી બેહાલ બને છે. મોંઘવારી અને ભ્રષ્ટાચાર નામની આડઅસરથી કોંગ્રેસી અને બિનકોંગ્રેસી એમ બંને પ્રકારની સરકારો અછૂતી નથી.

કોંગ્રેસ દ્વારા મુસ્લિમ સમુદાય તરફ વિશેષ દ્રષ્ટિકોણ આઝાદી પહેલાથી અપનાવામાં આવ્યો છે. ઉર્દૂ અને વંદેમાતરમ સહીતના મુદ્દાઓ પર મુસ્લિમોની આળપંપાળ કરતી નીતિઓ આઝાદી બાદ લઘુમતીવાદને પ્રોત્સાહન આપનારી નીતિઓ બની ગઈ છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાની પાર્ટીના ઝંડામાં મુસ્લિમ સમુદાયના પ્રતીક સમાન લીલો રંગ રાખ્યો, તો ભાજપે પણ પોતાના ઝંડામાં લીલો રંગ કર્યો. આ પ્રકારના ફેરફાર અકાલીદળ અને શિવસેના જેવી પાર્ટીઓને બાદ કરતા મોટાભાગની પાર્ટીઓએ કર્યા. કારણ કે અહીં સવાલ મુસ્લિમ વોટબેંકનો હતો. કોંગ્રેસે પોતાને ત્યાં એસસી, એસટી, મહિલા અને લઘુમતી સેલ ચાલુ કર્યા. તો અન્ય પાર્ટીઓએ પણ તેનું આંધળુ અનુકરણ કરીને પોતાને ત્યાં આવી જ વ્યવસ્થા ઉભી કરી.

વળી દેશમાં 1947થી 1989 સુધી વચ્ચેના અઢી વર્ષને બાદ કરીને કેન્દ્ર તથા દેશના મોટાભાગના રાજ્યોમાં સત્તા ચલાવનારી કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે તેને પહેલા કાર્યકાળમાં સચ્ચર સમિતિ બનાવીને દેશના મુસ્લિમોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. સચ્ચર સમિતિએ દેશના દલિતો કરતાં પણ મુસ્લિમોની હાલત ખરાબ હોવાનું કહ્યું. જો સચ્ચર સમિતિના અહેવાલોને સાચા માનીએ તો મુસ્લિમોની બદતર હાલત માટે કોંગ્રેસ જ જવાબદાર છે. કારણ કે કોંગ્રેસના રાજકીય મોડલ પ્રમાણે મુસ્લિમો વોટબેંક છે અને દર પાંચ વર્ષે કોઈને કોઈ ટૂકડો ફેંકીને તેમના મતો અંકે કરી લેવા. આ રણનીતિ હેઠળ ભાજપ, સમાજવાદી પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, બીએસપી અને અન્ય મોટાભાગની પાર્ટીઓ કોંગ્રેસી મોડેલ હેઠળ પોતાની રાજનીતિ કરવા લાગી.

દેશના વડાપ્રધાન મનમોહન સિંહ કહી ચુક્યા છે કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. તો હાલમાં મુસ્લિમો માટે ઓબીસી ક્વોટામાં 4.5 ટકાનો સબક્વોટા જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સલમાન ખુરશિદે ઉત્તર પ્રદેશમાં સત્તા મળ્યા બાદ આ સબક્વોટા 9 ટકા કરવાનો વાયદો પણ કર્યો છે. તો સમાજવાદી પાર્ટીએ એક ડગલું આગળ વધીને કહ્યું છે કે તેઓ મુસ્લિમોના સબક્વોટાને 18 ટકા કરી દેશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ડાબેરી મોરચા સરકારે પણ રાજ્યમાં મુસ્લિમો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. એનડીએના શાસનકાળમાં હજ સબસિડી વધારવી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવી જેવી નીતિઓ પણ બની છે. આ કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિ છે. જે હજી પણ વધારે અધમ કક્ષાઓ જવા માટે તૈયાર બેઠી છે.

કોંગ્રેસની પાકિસ્તાન નીતિ પણ 1995 પછી દેશના મુસ્લિમ મતોના રાજકારણ સાથે જોડાઈ ગઈ હોય તેમ લાગે છે. એનડીએ સરકારે પણ આગ્રા સમિટ અને શાંતિવાર્તાના તાયફા કરીને તેને ચાલુ રાખી. તો અત્યારે યુપીએ સરકાર પણ મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાન સાથે વાતચીતનો દોર ચાલુ રાખી રહી છે. ચીન સામેની નીતિમાં 1962માં કોંગ્રેસે નહેરુના ભરોસે થાપ ખાધી અને ભારતીય સેનાના માથે હારનું કલંક લગાડયું. આજે પણ ચીન નીતિમાં કોઈ વ્યાપક પરિવર્તન આવ્યું નથી. ચીનના આક્રમણનો ખતરો હજી પણ ચાલુ છે. ત્યારે કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો ચીન સામે આકરા પગલા લેવાની વાત કરવાને બદલે તેમની સાથે વેપાર વધારવાની અને માત્ર વાતચીત કરવાની નીતિ અપનાવાની તરફેણ કરે છે. ભારતે ચીન અને પાકિસ્તાન સામે કૂટનીતિક, સામરીક અને લશ્કરી રાહે ભારતના હિતમાં લઈ શકાય તેવા પગલાં લેવા જોઈએ તેવું ચિંતન આપી શકે તેવો એકપણ રાજકીય પક્ષ આજે અસ્તિત્વમાં નથી.
કોંગ્રેસે આદિવાસી, દલિતોની વોટબેંક દ્વારા સત્તાની સાધના દસકાઓ સુધી કરી. આદિવાસી અને દલિતો માટે સારું કામ કરવું ઘણું સારું છે. પરંતુ તેમને વોટબેંક તરીકે જોઈને તેમના કલ્યાણ માટે કંઈક કરવાનો દેખાડો કરવો અલગ વસ્તુ છે. પરંતુ આ કામ કોંગ્રેસ સિવાયના પક્ષોએ પણ ચાલુ રાખ્યું. આજે દેશમાં દલિતો અને આદિવાસીઓ પાછળ વાપરવામાં આવેલા નાણાં અને ઉભી કરવામાં આવેલી લાભકારક જોગવાઈઓની સરખામણીએ તેમના સશક્તિકરણના મળેલા પરિણામો જોવા જોઈએ.

આ સિવાય ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતવા માટે ગરીબી હટાવોના નારા નીચે લોકોને લોભાવ્યા હતા. પરંતુ 80ના દાયકાથી ગરીબી હટાવોની વાત સૂત્રોમાં જ રહી છે, હવે તો એવો સમય છે કે સત્તામાં આવનારી દરેક સરકાર ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબો હટે તેવી નીતિઓ અપનાવી રહ્યા છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે, ત્યારે ગરીબ આમ આદમી લાચારી સાથે જીવન સંઘર્ષમાં પાછો પડી રહ્યો છે. ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કોંગ્રેસની જેમ દરેક પક્ષો કરે છે, પરંતુ તેને દૂર કોઈ કરતું નથી.

ભારતના રાજકારણમાં સેક્યુલર ચહેરો દેખાડવાનો ટ્રેન્ડ પણ કોંગ્રેસના રાજકીય મોડલે ચાલુ કર્યો. ગાંધીજીની હિંદુ-મુસ્લિમ એકતાની વાત હોય, નહેરુની સમાજવાદની વાત હોય, ઈન્દિરા ગાંધીની સેક્યુલારિઝમની વાત હોય, મનમોહન સિંહની દેશની સંપત્તિ પર પહેલો અધિકાર લઘુમતીઓનો હોવાની વાત હોય, દરેક નેતા લઘુમતીઓની આળપંપાળ કરીને પોતાનો સેક્યુલર ચહેરો ચમકાવામાં લાગેલો છે. મુસ્લિમ તુષ્ટિકરણને નારો બનાવીને ચૂંટણીમાં જીતેલા ભાજપના નેતાઓ વાજપેયી અને અડવાણીએ પણ સેક્યુલર છબી ચમકાવા માટે આ જ કોંગ્રેસી નીતિનો સહારો લીધો. વાજપેયીએ લીલી પાઘડીઓ પહેરી, મુસ્લિમ ટોપી ઓઢી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવાના વચનો આપ્યા, હજ સબસિડીમાં સામેથી વધારે કરી આપ્યો. તો અડવાણી પાકિસ્તાન જઈને મોહમ્મદ અલી ઝીણાની કબર પર માથું ટેકવી આવ્યા. પ્રખર હિંદુત્વવાદી ચહેરો ધરાવતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાલ પોતાનો સેક્યુલર ચહેરો ચમકાવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ઘણાંના મનમાં પ્રશ્ન થાય છે કે કટોકટી, 1989માં વી. પી. સિંહના નેતૃત્વમાં વિપક્ષના એકજૂટ થવા છતાં, વાજપેયીના વડપણ નીચે 6 વર્ષ એનડીએનું શાસન હોવા છતાં કોંગ્રેસ વારંવાર બેઠી કેમ થઈ જાય છે? તો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા ઉંડા હોવા નથી, પરંતુ કોંગ્રેસનું વૈકલ્પિક રાજકીય મોડલ વિપક્ષો આપી શક્યા નથી. હા, તેઓ કોંગ્રેસની સત્તાનો વિકલ્પ બની શકે છે, તેના મોડલનો નહીં. સત્તામાં આવ્યા પછી તેમને કોંગ્રેસના મોડલ પ્રમાણે જ રાજ ચલાવવું પડે છે. બસ કોંગ્રેસ ખરાબમાં ખરાબ તબક્કાઓ છતાં બેઠી થઈ જાય છે, તેનું આ એક માત્ર કારણ છે કે ભારતની રાજનીતિમાં એકમાત્ર મોડલ છે અને તે છે કોંગ્રેસ.

શુક્રવાર, 27 મે, 2011

ચીન-પાક બંને મોરચે સૈન્ય સજ્જતાનું સરદારનું વિઝન હતું!


સંરક્ષણ નિષ્ણાત કેપ્ટન ભરત વર્મા દ્વારા 2012 સુધીમાં ભારત પર ચીનનું આક્રમણ થવાની આશંકાઓ વ્યક્ત કરતાં સમાચારો ગત વર્ષે ચમક્યા હતા. ચીને ગત વર્ષ ભારતીય સીમામાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર ઘૂસણખોરી કરીને આક્ર્મક વલણ દર્શાવ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ ચીન અને પાકિસ્તાન બંને સરહદો પર એક સાથે મોરચો સંભાળવાની રણનીતિ એટલે કે ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ની ચર્ચા પણ કરી છે. તત્કાલિન ભારતીય સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂરે ચીન અને પાકિસ્તાનના આક્રમક વલણને ધ્યાનમાં રાખીને ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ની ચર્ચા કરી હતી. તેની પાછળનું કારણ ચીન અને પાકિસ્તાનની સતત ભારત વિરોધી વૃતિ અને બંને વચ્ચેના ઘનિષ્ઠ લશ્કરી સંબંધો છે. જો કે ભારતના શાસક વર્ગે ચીન અને પાકિસ્તાનની પ્રતિક્રિયાઓથી ગભરાયને તેના પર ઠંડુપાણી રેડી દીધું હતું. જે વાત ભારતીય સેનાએ 2009-10માં વિચારી છે, તે વાતની 1950માં દૂરદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલે ચીનના બદઈરાદાઓ પારખીને જણાવી હતી.

અત્રે એક વાત ઉલ્લેખનીય છે કે ભારતને ચીન અને પાકિસ્તાન એમ બંને મોરચે તૈયાર રહેવાની હાકલ કરનારા સરદાર પટેલ અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીમાં સૌથી વધારે અખૂટ શ્રદ્ધા ધરાવનારા વ્યક્તિ હતા. તેઓ ભારતના તમામ પડોશીઓ સાથે સારો વ્યવહાર રાખવાની વાત સાથે પણ સંમત હતા. જો કે તેમણે તે વખતે ઘોષણા કરી હતી કે ‘આ કળિયુગમાં આપણે અહિંસાનો જવાબ અહિંસાથી આપવો જોઈએ. પરંતુ જો કોઈ આપણી વિરુદ્ધ ફૌજનો સહારો લેશે, તો આપણે તેનો જવાબ ફૌજથી આપવો પડશે.’

ચીન-પાક બંને મોરચે ભારતને તૈયાર રહેવા સરદારે હાકલ કરી હતી

પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ જેવી જ વાત સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના મૃત્યુના એક માસ પહેલા જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં પણ કરી હતી. સરદાર પટેલે ચીન તરફની તત્કાલિન ભારતીય નીતિઓથી અસંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. તેમણે ચીનના વધી રહેલા જોખમ અને તિબેટ સમસ્યા તરફ ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને અવગત કરાવી દીધા હતા. સરદારે જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવો ખતરો- સામ્યવાદી અને સામ્રાજ્યવાદી-બંને છે. જ્યારે સુરક્ષાનો આપણો પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમનો ખતરો પહેલાથી મોટો છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવું જોખમ પેદા થઈ ગયું છે. આ પ્રકારે પહેલીવાર શતાબ્દિઓ બાદ ભારતને પોતાની રક્ષા સંદર્ભે એક સાથે બે જગ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. આપણાં પ્રતિરક્ષાના ઉપાયો અત્યાર સુધી પાકિસ્તાનની શ્રેષ્ઠતા પર આધારીત હતા. હવે આપણે ઉત્તર અને ઉત્તર-પૂર્વમાં સામ્યવાદી ચીનના પ્રમાણે પોતાની ગણતરીઓનું ધ્યાન રાખવું પડશે. સામ્યવાદી ચીન, જેની નિશ્ચિત મહત્વકાંક્ષા અને ઉદેશ્યો છે અને જે કોઈપણ પ્રકારે આપણી પ્રત્યે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખી શક્તુ નથી.’

સરદાર પટેલ તિબેટ પરના ચીની આક્રમણથી નાખુશ હતા

સરદાર પટેલ તિબેટમાં ચીન દ્વારા લશ્કરનો ઉપયોગ કરવાની વાતથી નાખુશ પણ હતા અને તેમણે ચીનના લશ્કરી પગલાની નિંદા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘પારંપરિક રીતે શાંતિપ્રિય તિબેટવાસીઓની વિરુદ્ધ તલવારનો પ્રયોગ કરવો અન્યાયપૂર્ણ છે. કોઈપણ અન્ય દેશ એટલો શાંતિપ્રિય નથી કે જેટલું શાંતિપ્રિય તિબેટ છે. માટે ભારત એ વાત પર વિશ્વાસ કરતું નથી કે તિબેટના પ્રશ્નને ઉકેલવા માટે ચીન સરકાર દ્વારા વાસ્તવમાં ફૌજનનો ઉપયોગ કરવો જોઈએ.’

સરદાર પટેલે સૈન્ય શક્તિના નશામાં ચકચૂર ચીન સંદર્ભે કહ્યું હતું કે ‘કોઈપણ જણાવી શકે નહીં કે ચીનના આ વ્યવહારનું પરિણામ શું હોઈ શકે. સેનાનો ઉપયોગ કરવાથી ડર અને તણાવ વ્યાપ્ત થઈ ગયો છે. એ સંભવ છે કે જ્યારે દેશ પોતાની સૈન્ય શક્તિ અને તાકાતના નશામાં ચકચૂર થઈ જાય છે, ત્યારે શાંતિપૂર્ણ રીતે વિચારતો નથી.’

ચીની ખતરા તરફ નહેરુની ઉપેક્ષાથી સરદાર નિરાશ હતા

ચીનના ખતરાની સરદારની ચિંતાને જવાહરલાલ નહેરુએ અવગણી હતી. તેમણે ચીન સંદર્ભેની સરદાર પટેલની આશંકાઓને નજરઅંદાજ કરી હતી. તેનાથી સરદાર ખાસા નિરાશ હતા. ભૂતપૂર્વ રાજનયિક વી.પી.મેનને લખ્યું છે કે ‘જ્યારે હું કહી રહ્યો છું કે સરદાર પટેલનો તિબેટ સમસ્યા પ્રત્યેનો વિચાર વ્યવહારિક મહત્વ અને આ દેશની સુરક્ષાના મહત્વ બંને પર જ આધારીત છે, તો હું કોઈ રહસ્ય ખોલી રહ્યો નથી. તેમણે મને જણાવ્યું અને મારી પાસે તેમની વાતચીતનો રેકોર્ડ છે કે તેઓ ચીન સાથએ આપણી સરહદો સંદર્ભે કોઈપણ પ્રકારની ગેરેન્ટી વગર આપણાં વધારાના ક્ષેત્રીય અધિકારો આપવાની વિરુદ્ધ હતા. આપણે વિચાર્યું અને હું તેના માટે કોઈને દોષિત ઠેરવી રહ્યો નથી કે ચીન જો આ મુદ્દા પર એક વખત સંમત થઈ જાય, તો આપણો મિત્ર બની રહી શકે છે. અત્યારે આપણે ભ્રમિત છીએ અને એવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ કે જે કદાચ ઘણાં વર્ષો સુધી આપણી સાથે રહે.’

સરદારની સલાહ અવગણવા બદલ નહેરુને દોષિત ઠેરવાયા

કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા એન. જી. રંગા સરદાર પટેલની ચીનના જોખમ સંદર્ભેની સલાહ ન માનવા સંદર્ભે જવાહરલાલ નહેરુને દોષિત ઠેરવે છે. તેમણે લખ્યું છે કે ‘ભારતના પડોશી દેશો ખાસ કરીને સિલોન, બર્મા અને તિબેટ પ્રત્યે તેના નેતાઓના (ચીનના) ઉત્તરદાયિત્વપૂર્ણ સહયોગ અને રાજકીય દ્રષ્ટિકોણ પ્રત્યે નિશ્ચત થયા વગર નહેરુ દ્વારા સામ્યવાદી ચીન સાથે ઉતાવળમાં કરવામાં આવેલી મૈત્રીને લઈને સરદાર અપ્રસન્ન હતા.’ એન.જી. રંગા નહેરુની ચીન નીતિ સંદર્ભે લખે છે કે ‘જવાહરલાલે આપણી આશંકાઓને ધ્યાનમાં રાખી નથી, ન તો તેમણે ભૂ-રાજનીતિક હિતોનું ધ્યાન રાખ્યું છે.’ ઉલ્લેખનીય છે કે તિબેટની સ્વાયત્તતા ભારત માટે ઘણી આવશ્યક ગણવામાં આવતી હતી. ઉત્તર ભારત માટે એક હિમાલિયન રાજ્ય તથા એક બફર સ્ટેટ તરીકે તેને ઘણું મહત્વનું માનવામાં આવતું હતું. જો કે હવે તિબેટની સમસ્યા અને તિબેટ પ્રત્યે ભારતના તત્કાલિન વલણ અને પ્રવર્તમાન વલણમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

લોકનાયક જયપ્રકાશ નારાયણે સરદારના પત્રની ચર્ચા કરી

આ સંદર્ભે જયપ્રકાશ નારાયણે તિબેટ સંદર્ભે નહેરુને લખેલા સરદાર પટેલના પત્રનો ઉલ્લેખ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘જો જવાહરલાલે સરદાર પટેલની સલાહ પર ધ્યાન આપ્યું હોત, તો ચીન આપણાં માટે જોખમ બન્યું ન હોત, જેવું કે આજે તે આપણાં માટે બનેલું છે. જેવું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની રાજનીતિક સમિતિની સામે તિબેટના મુદ્દાને લાવવામાં આવ્યો છે, ભારતના પ્રતિનિધિ જામ સાહેબને નિરાધાર આશ્વાસન આપવાની હિદાયત આપવામાં આવી છે કે ભારતને વિશ્વાસ થઈ ગયો છે કે ચીન અને તિબેટ પરસ્પરમાં જ આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેશે. જ્યારે ભારત, કે જેના તિબેટ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા, આ પ્રકારે વાત કરે છે તો આ અપેક્ષા કરવામાં આવે છે કે અન્ય રાષ્ટ્ર આ મુદ્દાને લઈને પરેશાન થશે નહીં.’

જો કે હજારો તિબેટિયનો સાથે તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાએ વર્ષોથી ભારતમાં રાજ્યાશ્રય મેળવ્યો છે. ચીને તિબેટને સ્વ-શાસિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ચીન યાત્રા વખતે પણ તિબેટ સંદર્ભે ભારત તરફથી કોઈ ઠોસ પરિણામજનક વાત કહેવામાં આવી ન હતી. તિબેટની સમસ્યા આજે પણ જેમની તેમ છે. દલાઈ લામા સાથે ચીન વાત કરવાથી પણ કતરાય રહ્યું છે.

ચીનના આક્રમણ સંદર્ભે સરદારના પુત્રી મણિબહેનની પ્રતિક્રિયા

ઈતિહાસ સાક્ષી છે કે નહેરુના ખોટા આશ્વાસનોથી ભારતે 1962માં કારમી હારથી મોટી કિંમત ચુકવી છે. આ ઐતિહાસિક પ્રક્રિયાના સાક્ષી એવા સરદાર પટેલના પુત્રી મણિબહેને લખ્યું છે કે ‘મને હંમેશા મહેસૂસ થાય છે કે જો ચીનના સંદિગ્ધ ઈરાદાઓ સંદર્ભે ગંભીર ચેતવણી અને ઉત્તર અને ઉત્તર-પૂર્વ સીમાંતોની સુરક્ષા કરવાના સરદાર પટેલના સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવત અને જરૂરત પડવાથી તેના પર અમલ કરવામાં આવત તો નિશ્ચિતપણે બાર વર્ષો બાદ આપણે ચીનના આક્રમણથી આપણાં સામરીક ક્ષેત્રને બચાવી લેત.’

સરદારે ચીનના ખતરાને પારખ્યો, પણ નહેરુએ થાપ ખાધી!


15 ડિસેમ્બર ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. યોગાનુયોગ આજથી જ (15-12-2010)ચીનના વડાપ્રધાન વેન જિયાબાઓની ત્રણ દિવસીય ભારત યાત્રા શરૂ થઈ હતી. ત્યારે યાદ કરવું જોઈએ કે સરદાર પટેલે પોતાની દૂરદર્શિતાથી આવનારા ચીની જોખમને ઓળખ્યું હતું અને તેનાથી દેશને તથા તત્કાલિન વડાપ્રધાનને આગાહ કર્યા હતા. જો કે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સરદારની સલાહોની અને આશંકાઓની અવગણના કરી હતી. જેનું પરિણામ 1962માં ચીનના જંગી આક્રમણ અને કારમી હારથી ભારતને ભોગવવું પડયું છે. ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં પણ ભારતના નીતિનિર્ધારકો ચીન નીતિને કોઈ નવો ઓપ આપતાં પહેલા સરદાર પટેલની સલાહો પર ધ્યાન આપે તે જરૂરી બની જાય છે.

ભારતના એકમાત્ર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. તેમણે ભારતની એકતા અને અખંડિતતાને વાસ્તવિક અર્થમાં સાકાર કરીને તેઓ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાયા છે. ભારતનો ઈતિહાસ ભારતની એકતા અને અખંડિતતાના પ્રકરણમાં ક્યારેય સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને અવગણી શકશે નહીં. ભારતની આંતરીક બાબતો સાથે સરદાર પટેલે ભારતની વિદેશ નીતિ સાથે સંકળાયેલા ભારતના હિતો તરફ પણ વખતોવખત તત્કાલિન ભારતીય વડાપ્રધાન અને વિદેશ મામલાના મંત્રી જવાહરલાલ નહેરુનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમણે હિમાલયના વિસ્તારોમાં ખાસ કરીને તિબેટમાં ચીની હલચલને ધ્યાનમાં રાખીને નહેરુને આગામી સમયમાં જોખમી બનનારા ચાલાક ચીનના ખતરાથી અવગત કર્યા હતા. જો કે જવાહરલાલ નહેરુની ઠંડી પ્રતિક્રિયાથી સરદાર પટેલ નિરાશ થયા હતા.

સરદાર પટેલ ચીન સાથે મૈત્રીભાવ અને ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ની અવધારણાથી સંતુષ્ટ ન હતા. ઉલ્લેખનીય છે કે નહેરુનું માનવું હતું કે ભારત તિબેટથી સેનાઓ હટાવી લેશે, તો ભારત અને ચીન વચ્ચે અતૂટ મિત્રતા કાયમ થઈ જશે.

વિદેશ મંત્રાલયના તત્કાલિન મહાસચિવ ગિરિજાશંકર વાજપેયીએ પોતાની 3 નવેમ્બર, 1950માં લખેલી નોટમાં પટેલને ખૂબ વ્યથા સાથે વાસ્તવિક સ્થિતિની માહિતી આપી હતી. તેમણે ગ્યાનત્સી અને યાતુંગની વેપારી ચોકીઓ અને લ્હાસાથી ભારતીય મિશનની અપમાનજનક વાપસી સંદર્ભે કેટલાંક સૂચનો આપ્યા હતા. વાજપેયી આશંકિત હતા કે સૈનિક ઘૂસણખોરી તેમાં સામેલ રહેશે કે તેનું અનુસરણ કરશે. વાજપેયીએ સૂચન કર્યું હતું કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સામે સમર્પણ કરવાના ચીનના દાવાની હિમાયત કરવી બંધ કરવી જોઈએ.

વાજપેયીની નોટ મળ્યા બાદ સરદાર પટેલે આગલા દિવસે જ પોતાની પ્રતિક્રિયાઓ સાથે ઉત્તર આપ્યો હતો. તેમાં તેમની રાજકીય દૂરદર્શિતા અને ચીનના વિશ્વાસઘાત પ્રત્યે તેમના યથાર્થવાદી વિચાર પ્રદર્શિત થાય છે. સરદારે આવનારા જોખમને ઓળખી લીધું હતું અને તેમણે દેશને ચેતવણી આપી હતી કે ‘તિબેટમાં ચીનના પ્રવેશે આપણી સુરક્ષાની તમામ ગણતરીઓને અસ્ત-વ્યસ્ત કરી દીધી છે. અત્યાર સુધી ભારતે પોતાની સરહદોથી હંમેશા ઉત્તર-પશ્ચિમથી ખતરો હતો. આખા ઈતિહાસમાં આપણી સેનાઓને તે ક્ષેત્રોમાં તેનાત રાખી. પહેલી વાર ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી હવે એક ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે. તેની સાથે પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમથી ખતરો કોઈપણ પ્રકારે ઓછો થયો નથી. આ તમામ વાતોથી શર્મનાક સંરક્ષણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અને તેઓ તેમની (ગિરિજાશંકર વાજપેયી) સાથે સંપૂર્ણપણે સંમત છે કે આપણાં સૈનિકોની સ્થિતિ અને સેનાઓની ફરી વખત તેનાતીથી આપણે બચી શકીશું નહીં.’

ચીનની તત્કાલિન નીતિઓ પરથી આકલન લગાવીને સરદારે કહ્યું હતું કે ‘આપણે આપણી સામે ઉભેલી પૂર્ણપણે અનૈતિક, અવિશ્વસનીય અને દ્રઢ શક્તિઓ પર પણ ધ્યાન આપવું પડશે. તેઓ એ વાતના હકદાર છે કે સતર્કતાની જગ્યાએ તેમની સાથે શક્તિથી રજૂ થવું જોઈએ. આ પરિસ્થિતિઓમાં એક વાતો બિલકુલ સ્પષ્ટ છે કે ચીન સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરી શકાય નહીં. આપણે શક્તિઓના દ્રઢ, અનૈતિક, નિષ્ઠુર, સિદ્ધાંતહીન અને પૂર્વગ્રહી વગેર તમામ પ્રકારોથી પોતાનો બચાવ કરવા સંદર્ભે વિચારવાનું છે કે જેનું ચીન નેતૃત્વ કરી રહ્યું છે. તેમની તરફથી બહારી પ્રસ્તાવ કે મૈત્રીનો વિરોધ થઈ શકે છે. પરંતુ તેમાં તેમના જૂથમાં એક આધારભૂત, આદર્શવાદી ધૃણિત ષડયંત્ર અને ત્યાં સુધી કે રાજકીય વિજય છુપાયેલો હશે. આપણા તરફથી કોઈપણ પ્રકારના મૈત્રીપૂર્ણ અથવા શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસને યા તો કમજોરી માની લેવામાં આવશે યા તેમના ચરમ લક્ષ્યને પ્રોત્સાહન આપવાના સ્વરૂપે ઉપયોગ કરવામાં આવશે.’

સરદાર પટેલે 11 નવેમ્બર, 1950ના રોજ નહેરુને લખેલા પત્રમાં કહ્યું હતું કે ચીની સરકાર શાંતિપૂર્ણ ઢંગથી આપણને વિશ્વાસઘાત કરવાની કોશિશ કરી રહ્યું છે. તેમને લાગ્યું કે તેમાં સંદેહ નથી કે આ પત્રાચાર દરમિયાન વીતેલા સમયમાં ચીનું ધ્યાન તિબેટ પર આક્રમણ કરવા પર કેન્દ્રિત હોય. સરદાર પટેલેને એવું લાગ્યું કે ચીન એક મિત્રની ભાષા બોલી રહ્યું નથી, પરંતુ એક કટ્ટર દુશ્મનની ભાષા બોલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘આજનો કટુ ઈતિહાસ આપણને એ પણ જણાવે છે કે સામ્યવાદ ઉપનિવેશવાદના વિરુદ્ધ કોઈ કવચ નથી અને તે પણ કે સામ્યવાદી કોઈ અન્યની જેમ એટલાં જ ખરાબ અથવા સારા ઉપનિવેશવાદી છે. આ સંદર્ભમાં ચીનની મહત્વકાંક્ષામાં આપણી તરફની હિમાલયની ચઢાઈ જ આવે છે, પરંતુ તેમા આસામના મહત્વપપૂર્ણ ભાગો પણ આવી રહ્યાં છે.’

પંડિત નહેરુએ 18 નવેમ્બર, 1950ના રોજ પોતાની નોટમાં ચીન અને તિબેટ સંદર્ભે લખ્યું હતું કે ‘મને લાગે છે કે એ અત્યાધિક નિરાશાજનક વાત છે કે આપણે ભવિષ્ય સંદર્ભે એ અનુમાન લગાવી લઈએ કે ચાહે શાંતિ હો યા યુદ્ધ, તેમાં ચીન તરફથી કોઈપણ પ્રકારના સૈનન્ય હુમલાનો સામનો કરવો પડી શકે છે. એ કલ્પનાતીત છે કે તેઓ પોતાની ફૌજ અને પોતાની શક્તિને તિબેટના અશરણ્ય ક્ષેત્રથી હટાવી લેશે અને હિમાલયની પાર જોખમ ભરેલા રસ્તાઓ પર આધિપત્ય કરી લેશે. માટે હું ભારત પર ચીનના કોઈપણ મોટા હુમલાને નિયમ વિરુદ્ધ ઘોષિત કરું છું.’

ચીનના સંભવિત જોખમ સામે સરદાર પટેલ દ્વારા દર્શાવાયેલી આશંકાઓને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા નજરઅંદાજ કરાય તે સ્પષ્ટ દેખાય આવે છે. ભારતે ચીન સાથે પંચશીલ સમજૂતીઓ અને યુનોમાં ચીનના સભ્યપદને સમર્થન જેવી નીતિઓ ચાલુ રાખી હતી. બદલમાં ચીને હિમાલયના ક્ષેત્રોમાં આધિપત્યના દાવાઓ ચાલુ રાખ્યા હતા. લોહપુરુષ સરદાર ચીની જોખમોથી દેશને આગાહ કરીને 15 ડિસેમ્બર, 1950ના રોજ ભારતની ચિંતા સાથે પરલોક ચાલ્યા ગયા. પરંતુ દૂરદર્શી સરદારની વાત 1962માં સાચી પડી અને ચીને ભારતીય ક્ષેત્રો પર આક્રમણ કરીને જવાહરલાલ નહેરુની પીઠમાં ખંજર ભોંક્યું હતું. તેમા ભારતે લડાખ અને નેફાના હજારો વર્ગ કિલોમીટર વિસ્તારને ગુમાવવો પડયો હતો. 1962ના યુદ્ધમાં ભારતને નામોશીભરી હાર વેઠવી પડી હતી.

તમારો અભિપ્રાય જણાવો

ભારતે ચીન પ્રત્યે સરદારની સલાહને ધ્યાનમાં રાખીને કેવું વલણ અપનાવવું જોઈએ? વાચક મિત્રો આપનો અભિપ્રાય અમને નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મ દ્વારા લખી જણાવો.