Friday, May 27, 2011

ચીન-પાક બંને મોરચે સૈન્ય સજ્જતાનું સરદારનું વિઝન હતું!


સંરક્ષણ નિષ્ણાત કેપ્ટન ભરત વર્મા દ્વારા 2012 સુધીમાં ભારત પર ચીનનું આક્રમણ થવાની આશંકાઓ વ્યક્ત કરતાં સમાચારો ગત વર્ષે ચમક્યા હતા. ચીને ગત વર્ષ ભારતીય સીમામાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર ઘૂસણખોરી કરીને આક્ર્મક વલણ દર્શાવ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ ચીન અને પાકિસ્તાન બંને સરહદો પર એક સાથે મોરચો સંભાળવાની રણનીતિ એટલે કે ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ની ચર્ચા પણ કરી છે. તત્કાલિન ભારતીય સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂરે ચીન અને પાકિસ્તાનના આક્રમક વલણને ધ્યાનમાં રાખીને ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ની ચર્ચા કરી હતી. તેની પાછળનું કારણ ચીન અને પાકિસ્તાનની સતત ભારત વિરોધી વૃતિ અને બંને વચ્ચેના ઘનિષ્ઠ લશ્કરી સંબંધો છે. જો કે ભારતના શાસક વર્ગે ચીન અને પાકિસ્તાનની પ્રતિક્રિયાઓથી ગભરાયને તેના પર ઠંડુપાણી રેડી દીધું હતું. જે વાત ભારતીય સેનાએ 2009-10માં વિચારી છે, તે વાતની 1950માં દૂરદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલે ચીનના બદઈરાદાઓ પારખીને જણાવી હતી.

અત્રે એક વાત ઉલ્લેખનીય છે કે ભારતને ચીન અને પાકિસ્તાન એમ બંને મોરચે તૈયાર રહેવાની હાકલ કરનારા સરદાર પટેલ અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીમાં સૌથી વધારે અખૂટ શ્રદ્ધા ધરાવનારા વ્યક્તિ હતા. તેઓ ભારતના તમામ પડોશીઓ સાથે સારો વ્યવહાર રાખવાની વાત સાથે પણ સંમત હતા. જો કે તેમણે તે વખતે ઘોષણા કરી હતી કે ‘આ કળિયુગમાં આપણે અહિંસાનો જવાબ અહિંસાથી આપવો જોઈએ. પરંતુ જો કોઈ આપણી વિરુદ્ધ ફૌજનો સહારો લેશે, તો આપણે તેનો જવાબ ફૌજથી આપવો પડશે.’

ચીન-પાક બંને મોરચે ભારતને તૈયાર રહેવા સરદારે હાકલ કરી હતી

પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ જેવી જ વાત સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના મૃત્યુના એક માસ પહેલા જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં પણ કરી હતી. સરદાર પટેલે ચીન તરફની તત્કાલિન ભારતીય નીતિઓથી અસંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. તેમણે ચીનના વધી રહેલા જોખમ અને તિબેટ સમસ્યા તરફ ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને અવગત કરાવી દીધા હતા. સરદારે જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવો ખતરો- સામ્યવાદી અને સામ્રાજ્યવાદી-બંને છે. જ્યારે સુરક્ષાનો આપણો પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમનો ખતરો પહેલાથી મોટો છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવું જોખમ પેદા થઈ ગયું છે. આ પ્રકારે પહેલીવાર શતાબ્દિઓ બાદ ભારતને પોતાની રક્ષા સંદર્ભે એક સાથે બે જગ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. આપણાં પ્રતિરક્ષાના ઉપાયો અત્યાર સુધી પાકિસ્તાનની શ્રેષ્ઠતા પર આધારીત હતા. હવે આપણે ઉત્તર અને ઉત્તર-પૂર્વમાં સામ્યવાદી ચીનના પ્રમાણે પોતાની ગણતરીઓનું ધ્યાન રાખવું પડશે. સામ્યવાદી ચીન, જેની નિશ્ચિત મહત્વકાંક્ષા અને ઉદેશ્યો છે અને જે કોઈપણ પ્રકારે આપણી પ્રત્યે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખી શક્તુ નથી.’

સરદાર પટેલ તિબેટ પરના ચીની આક્રમણથી નાખુશ હતા

સરદાર પટેલ તિબેટમાં ચીન દ્વારા લશ્કરનો ઉપયોગ કરવાની વાતથી નાખુશ પણ હતા અને તેમણે ચીનના લશ્કરી પગલાની નિંદા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘પારંપરિક રીતે શાંતિપ્રિય તિબેટવાસીઓની વિરુદ્ધ તલવારનો પ્રયોગ કરવો અન્યાયપૂર્ણ છે. કોઈપણ અન્ય દેશ એટલો શાંતિપ્રિય નથી કે જેટલું શાંતિપ્રિય તિબેટ છે. માટે ભારત એ વાત પર વિશ્વાસ કરતું નથી કે તિબેટના પ્રશ્નને ઉકેલવા માટે ચીન સરકાર દ્વારા વાસ્તવમાં ફૌજનનો ઉપયોગ કરવો જોઈએ.’

સરદાર પટેલે સૈન્ય શક્તિના નશામાં ચકચૂર ચીન સંદર્ભે કહ્યું હતું કે ‘કોઈપણ જણાવી શકે નહીં કે ચીનના આ વ્યવહારનું પરિણામ શું હોઈ શકે. સેનાનો ઉપયોગ કરવાથી ડર અને તણાવ વ્યાપ્ત થઈ ગયો છે. એ સંભવ છે કે જ્યારે દેશ પોતાની સૈન્ય શક્તિ અને તાકાતના નશામાં ચકચૂર થઈ જાય છે, ત્યારે શાંતિપૂર્ણ રીતે વિચારતો નથી.’

ચીની ખતરા તરફ નહેરુની ઉપેક્ષાથી સરદાર નિરાશ હતા

ચીનના ખતરાની સરદારની ચિંતાને જવાહરલાલ નહેરુએ અવગણી હતી. તેમણે ચીન સંદર્ભેની સરદાર પટેલની આશંકાઓને નજરઅંદાજ કરી હતી. તેનાથી સરદાર ખાસા નિરાશ હતા. ભૂતપૂર્વ રાજનયિક વી.પી.મેનને લખ્યું છે કે ‘જ્યારે હું કહી રહ્યો છું કે સરદાર પટેલનો તિબેટ સમસ્યા પ્રત્યેનો વિચાર વ્યવહારિક મહત્વ અને આ દેશની સુરક્ષાના મહત્વ બંને પર જ આધારીત છે, તો હું કોઈ રહસ્ય ખોલી રહ્યો નથી. તેમણે મને જણાવ્યું અને મારી પાસે તેમની વાતચીતનો રેકોર્ડ છે કે તેઓ ચીન સાથએ આપણી સરહદો સંદર્ભે કોઈપણ પ્રકારની ગેરેન્ટી વગર આપણાં વધારાના ક્ષેત્રીય અધિકારો આપવાની વિરુદ્ધ હતા. આપણે વિચાર્યું અને હું તેના માટે કોઈને દોષિત ઠેરવી રહ્યો નથી કે ચીન જો આ મુદ્દા પર એક વખત સંમત થઈ જાય, તો આપણો મિત્ર બની રહી શકે છે. અત્યારે આપણે ભ્રમિત છીએ અને એવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ કે જે કદાચ ઘણાં વર્ષો સુધી આપણી સાથે રહે.’

સરદારની સલાહ અવગણવા બદલ નહેરુને દોષિત ઠેરવાયા

કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા એન. જી. રંગા સરદાર પટેલની ચીનના જોખમ સંદર્ભેની સલાહ ન માનવા સંદર્ભે જવાહરલાલ નહેરુને દોષિત ઠેરવે છે. તેમણે લખ્યું છે કે ‘ભારતના પડોશી દેશો ખાસ કરીને સિલોન, બર્મા અને તિબેટ પ્રત્યે તેના નેતાઓના (ચીનના) ઉત્તરદાયિત્વપૂર્ણ સહયોગ અને રાજકીય દ્રષ્ટિકોણ પ્રત્યે નિશ્ચત થયા વગર નહેરુ દ્વારા સામ્યવાદી ચીન સાથે ઉતાવળમાં કરવામાં આવેલી મૈત્રીને લઈને સરદાર અપ્રસન્ન હતા.’ એન.જી. રંગા નહેરુની ચીન નીતિ સંદર્ભે લખે છે કે ‘જવાહરલાલે આપણી આશંકાઓને ધ્યાનમાં રાખી નથી, ન તો તેમણે ભૂ-રાજનીતિક હિતોનું ધ્યાન રાખ્યું છે.’ ઉલ્લેખનીય છે કે તિબેટની સ્વાયત્તતા ભારત માટે ઘણી આવશ્યક ગણવામાં આવતી હતી. ઉત્તર ભારત માટે એક હિમાલિયન રાજ્ય તથા એક બફર સ્ટેટ તરીકે તેને ઘણું મહત્વનું માનવામાં આવતું હતું. જો કે હવે તિબેટની સમસ્યા અને તિબેટ પ્રત્યે ભારતના તત્કાલિન વલણ અને પ્રવર્તમાન વલણમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

લોકનાયક જયપ્રકાશ નારાયણે સરદારના પત્રની ચર્ચા કરી

આ સંદર્ભે જયપ્રકાશ નારાયણે તિબેટ સંદર્ભે નહેરુને લખેલા સરદાર પટેલના પત્રનો ઉલ્લેખ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘જો જવાહરલાલે સરદાર પટેલની સલાહ પર ધ્યાન આપ્યું હોત, તો ચીન આપણાં માટે જોખમ બન્યું ન હોત, જેવું કે આજે તે આપણાં માટે બનેલું છે. જેવું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની રાજનીતિક સમિતિની સામે તિબેટના મુદ્દાને લાવવામાં આવ્યો છે, ભારતના પ્રતિનિધિ જામ સાહેબને નિરાધાર આશ્વાસન આપવાની હિદાયત આપવામાં આવી છે કે ભારતને વિશ્વાસ થઈ ગયો છે કે ચીન અને તિબેટ પરસ્પરમાં જ આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેશે. જ્યારે ભારત, કે જેના તિબેટ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા, આ પ્રકારે વાત કરે છે તો આ અપેક્ષા કરવામાં આવે છે કે અન્ય રાષ્ટ્ર આ મુદ્દાને લઈને પરેશાન થશે નહીં.’

જો કે હજારો તિબેટિયનો સાથે તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાએ વર્ષોથી ભારતમાં રાજ્યાશ્રય મેળવ્યો છે. ચીને તિબેટને સ્વ-શાસિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ચીન યાત્રા વખતે પણ તિબેટ સંદર્ભે ભારત તરફથી કોઈ ઠોસ પરિણામજનક વાત કહેવામાં આવી ન હતી. તિબેટની સમસ્યા આજે પણ જેમની તેમ છે. દલાઈ લામા સાથે ચીન વાત કરવાથી પણ કતરાય રહ્યું છે.

ચીનના આક્રમણ સંદર્ભે સરદારના પુત્રી મણિબહેનની પ્રતિક્રિયા

ઈતિહાસ સાક્ષી છે કે નહેરુના ખોટા આશ્વાસનોથી ભારતે 1962માં કારમી હારથી મોટી કિંમત ચુકવી છે. આ ઐતિહાસિક પ્રક્રિયાના સાક્ષી એવા સરદાર પટેલના પુત્રી મણિબહેને લખ્યું છે કે ‘મને હંમેશા મહેસૂસ થાય છે કે જો ચીનના સંદિગ્ધ ઈરાદાઓ સંદર્ભે ગંભીર ચેતવણી અને ઉત્તર અને ઉત્તર-પૂર્વ સીમાંતોની સુરક્ષા કરવાના સરદાર પટેલના સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવત અને જરૂરત પડવાથી તેના પર અમલ કરવામાં આવત તો નિશ્ચિતપણે બાર વર્ષો બાદ આપણે ચીનના આક્રમણથી આપણાં સામરીક ક્ષેત્રને બચાવી લેત.’

No comments:

Post a Comment