Friday, May 27, 2011

સરદારે ચીનના ખતરાને પારખ્યો, પણ નહેરુએ થાપ ખાધી!


15 ડિસેમ્બર ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. યોગાનુયોગ આજથી જ (15-12-2010)ચીનના વડાપ્રધાન વેન જિયાબાઓની ત્રણ દિવસીય ભારત યાત્રા શરૂ થઈ હતી. ત્યારે યાદ કરવું જોઈએ કે સરદાર પટેલે પોતાની દૂરદર્શિતાથી આવનારા ચીની જોખમને ઓળખ્યું હતું અને તેનાથી દેશને તથા તત્કાલિન વડાપ્રધાનને આગાહ કર્યા હતા. જો કે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સરદારની સલાહોની અને આશંકાઓની અવગણના કરી હતી. જેનું પરિણામ 1962માં ચીનના જંગી આક્રમણ અને કારમી હારથી ભારતને ભોગવવું પડયું છે. ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં પણ ભારતના નીતિનિર્ધારકો ચીન નીતિને કોઈ નવો ઓપ આપતાં પહેલા સરદાર પટેલની સલાહો પર ધ્યાન આપે તે જરૂરી બની જાય છે.

ભારતના એકમાત્ર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. તેમણે ભારતની એકતા અને અખંડિતતાને વાસ્તવિક અર્થમાં સાકાર કરીને તેઓ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાયા છે. ભારતનો ઈતિહાસ ભારતની એકતા અને અખંડિતતાના પ્રકરણમાં ક્યારેય સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને અવગણી શકશે નહીં. ભારતની આંતરીક બાબતો સાથે સરદાર પટેલે ભારતની વિદેશ નીતિ સાથે સંકળાયેલા ભારતના હિતો તરફ પણ વખતોવખત તત્કાલિન ભારતીય વડાપ્રધાન અને વિદેશ મામલાના મંત્રી જવાહરલાલ નહેરુનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમણે હિમાલયના વિસ્તારોમાં ખાસ કરીને તિબેટમાં ચીની હલચલને ધ્યાનમાં રાખીને નહેરુને આગામી સમયમાં જોખમી બનનારા ચાલાક ચીનના ખતરાથી અવગત કર્યા હતા. જો કે જવાહરલાલ નહેરુની ઠંડી પ્રતિક્રિયાથી સરદાર પટેલ નિરાશ થયા હતા.

સરદાર પટેલ ચીન સાથે મૈત્રીભાવ અને ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ની અવધારણાથી સંતુષ્ટ ન હતા. ઉલ્લેખનીય છે કે નહેરુનું માનવું હતું કે ભારત તિબેટથી સેનાઓ હટાવી લેશે, તો ભારત અને ચીન વચ્ચે અતૂટ મિત્રતા કાયમ થઈ જશે.

વિદેશ મંત્રાલયના તત્કાલિન મહાસચિવ ગિરિજાશંકર વાજપેયીએ પોતાની 3 નવેમ્બર, 1950માં લખેલી નોટમાં પટેલને ખૂબ વ્યથા સાથે વાસ્તવિક સ્થિતિની માહિતી આપી હતી. તેમણે ગ્યાનત્સી અને યાતુંગની વેપારી ચોકીઓ અને લ્હાસાથી ભારતીય મિશનની અપમાનજનક વાપસી સંદર્ભે કેટલાંક સૂચનો આપ્યા હતા. વાજપેયી આશંકિત હતા કે સૈનિક ઘૂસણખોરી તેમાં સામેલ રહેશે કે તેનું અનુસરણ કરશે. વાજપેયીએ સૂચન કર્યું હતું કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સામે સમર્પણ કરવાના ચીનના દાવાની હિમાયત કરવી બંધ કરવી જોઈએ.

વાજપેયીની નોટ મળ્યા બાદ સરદાર પટેલે આગલા દિવસે જ પોતાની પ્રતિક્રિયાઓ સાથે ઉત્તર આપ્યો હતો. તેમાં તેમની રાજકીય દૂરદર્શિતા અને ચીનના વિશ્વાસઘાત પ્રત્યે તેમના યથાર્થવાદી વિચાર પ્રદર્શિત થાય છે. સરદારે આવનારા જોખમને ઓળખી લીધું હતું અને તેમણે દેશને ચેતવણી આપી હતી કે ‘તિબેટમાં ચીનના પ્રવેશે આપણી સુરક્ષાની તમામ ગણતરીઓને અસ્ત-વ્યસ્ત કરી દીધી છે. અત્યાર સુધી ભારતે પોતાની સરહદોથી હંમેશા ઉત્તર-પશ્ચિમથી ખતરો હતો. આખા ઈતિહાસમાં આપણી સેનાઓને તે ક્ષેત્રોમાં તેનાત રાખી. પહેલી વાર ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી હવે એક ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે. તેની સાથે પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમથી ખતરો કોઈપણ પ્રકારે ઓછો થયો નથી. આ તમામ વાતોથી શર્મનાક સંરક્ષણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અને તેઓ તેમની (ગિરિજાશંકર વાજપેયી) સાથે સંપૂર્ણપણે સંમત છે કે આપણાં સૈનિકોની સ્થિતિ અને સેનાઓની ફરી વખત તેનાતીથી આપણે બચી શકીશું નહીં.’

ચીનની તત્કાલિન નીતિઓ પરથી આકલન લગાવીને સરદારે કહ્યું હતું કે ‘આપણે આપણી સામે ઉભેલી પૂર્ણપણે અનૈતિક, અવિશ્વસનીય અને દ્રઢ શક્તિઓ પર પણ ધ્યાન આપવું પડશે. તેઓ એ વાતના હકદાર છે કે સતર્કતાની જગ્યાએ તેમની સાથે શક્તિથી રજૂ થવું જોઈએ. આ પરિસ્થિતિઓમાં એક વાતો બિલકુલ સ્પષ્ટ છે કે ચીન સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરી શકાય નહીં. આપણે શક્તિઓના દ્રઢ, અનૈતિક, નિષ્ઠુર, સિદ્ધાંતહીન અને પૂર્વગ્રહી વગેર તમામ પ્રકારોથી પોતાનો બચાવ કરવા સંદર્ભે વિચારવાનું છે કે જેનું ચીન નેતૃત્વ કરી રહ્યું છે. તેમની તરફથી બહારી પ્રસ્તાવ કે મૈત્રીનો વિરોધ થઈ શકે છે. પરંતુ તેમાં તેમના જૂથમાં એક આધારભૂત, આદર્શવાદી ધૃણિત ષડયંત્ર અને ત્યાં સુધી કે રાજકીય વિજય છુપાયેલો હશે. આપણા તરફથી કોઈપણ પ્રકારના મૈત્રીપૂર્ણ અથવા શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસને યા તો કમજોરી માની લેવામાં આવશે યા તેમના ચરમ લક્ષ્યને પ્રોત્સાહન આપવાના સ્વરૂપે ઉપયોગ કરવામાં આવશે.’

સરદાર પટેલે 11 નવેમ્બર, 1950ના રોજ નહેરુને લખેલા પત્રમાં કહ્યું હતું કે ચીની સરકાર શાંતિપૂર્ણ ઢંગથી આપણને વિશ્વાસઘાત કરવાની કોશિશ કરી રહ્યું છે. તેમને લાગ્યું કે તેમાં સંદેહ નથી કે આ પત્રાચાર દરમિયાન વીતેલા સમયમાં ચીનું ધ્યાન તિબેટ પર આક્રમણ કરવા પર કેન્દ્રિત હોય. સરદાર પટેલેને એવું લાગ્યું કે ચીન એક મિત્રની ભાષા બોલી રહ્યું નથી, પરંતુ એક કટ્ટર દુશ્મનની ભાષા બોલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘આજનો કટુ ઈતિહાસ આપણને એ પણ જણાવે છે કે સામ્યવાદ ઉપનિવેશવાદના વિરુદ્ધ કોઈ કવચ નથી અને તે પણ કે સામ્યવાદી કોઈ અન્યની જેમ એટલાં જ ખરાબ અથવા સારા ઉપનિવેશવાદી છે. આ સંદર્ભમાં ચીનની મહત્વકાંક્ષામાં આપણી તરફની હિમાલયની ચઢાઈ જ આવે છે, પરંતુ તેમા આસામના મહત્વપપૂર્ણ ભાગો પણ આવી રહ્યાં છે.’

પંડિત નહેરુએ 18 નવેમ્બર, 1950ના રોજ પોતાની નોટમાં ચીન અને તિબેટ સંદર્ભે લખ્યું હતું કે ‘મને લાગે છે કે એ અત્યાધિક નિરાશાજનક વાત છે કે આપણે ભવિષ્ય સંદર્ભે એ અનુમાન લગાવી લઈએ કે ચાહે શાંતિ હો યા યુદ્ધ, તેમાં ચીન તરફથી કોઈપણ પ્રકારના સૈનન્ય હુમલાનો સામનો કરવો પડી શકે છે. એ કલ્પનાતીત છે કે તેઓ પોતાની ફૌજ અને પોતાની શક્તિને તિબેટના અશરણ્ય ક્ષેત્રથી હટાવી લેશે અને હિમાલયની પાર જોખમ ભરેલા રસ્તાઓ પર આધિપત્ય કરી લેશે. માટે હું ભારત પર ચીનના કોઈપણ મોટા હુમલાને નિયમ વિરુદ્ધ ઘોષિત કરું છું.’

ચીનના સંભવિત જોખમ સામે સરદાર પટેલ દ્વારા દર્શાવાયેલી આશંકાઓને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા નજરઅંદાજ કરાય તે સ્પષ્ટ દેખાય આવે છે. ભારતે ચીન સાથે પંચશીલ સમજૂતીઓ અને યુનોમાં ચીનના સભ્યપદને સમર્થન જેવી નીતિઓ ચાલુ રાખી હતી. બદલમાં ચીને હિમાલયના ક્ષેત્રોમાં આધિપત્યના દાવાઓ ચાલુ રાખ્યા હતા. લોહપુરુષ સરદાર ચીની જોખમોથી દેશને આગાહ કરીને 15 ડિસેમ્બર, 1950ના રોજ ભારતની ચિંતા સાથે પરલોક ચાલ્યા ગયા. પરંતુ દૂરદર્શી સરદારની વાત 1962માં સાચી પડી અને ચીને ભારતીય ક્ષેત્રો પર આક્રમણ કરીને જવાહરલાલ નહેરુની પીઠમાં ખંજર ભોંક્યું હતું. તેમા ભારતે લડાખ અને નેફાના હજારો વર્ગ કિલોમીટર વિસ્તારને ગુમાવવો પડયો હતો. 1962ના યુદ્ધમાં ભારતને નામોશીભરી હાર વેઠવી પડી હતી.

તમારો અભિપ્રાય જણાવો

ભારતે ચીન પ્રત્યે સરદારની સલાહને ધ્યાનમાં રાખીને કેવું વલણ અપનાવવું જોઈએ? વાચક મિત્રો આપનો અભિપ્રાય અમને નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મ દ્વારા લખી જણાવો.

No comments:

Post a Comment