Sunday, August 3, 2014

1949-1974 ભારત-અમેરિકા સંબંધ: નહેરુની બિનજોડાણવાદી નીતિ, ઈન્દિરા ગાંધીએ જગત જમાદારીને પડકારી

-આનંદ શુક્લ

ભારતની આઝાદીના સમયથી અમેરિકા સાથેના સંબંધોમાં સતત ઉતાર-ચઢાવ આવતા રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધ બાદ શીતયુદ્ધની શરૂઆતમાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ બિનજોડાણવાદી નીતિ અપનાવીને અમેરિકાના પિછલગ્ગુ બનાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો. તો ઈન્દિરા ગાંધીએ 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ કરીને અમેરિકાની નારાજગી છતાં પૂર્વ પાકિસ્તાનને અલગ કરીને બાંગ્લાદેશની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી. તો 1974માં ભારતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કરીને જગત જમાદાર અમેરિકાની ખફગી વ્હોરી લીધી હતી.

ભારત અને અમેરિકા વચ્ચે આઝાદીકાળથી બધું બરાબર રહ્યું નથી. 13 ઓક્ટોબર, 1949ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અમેરિકાની યાત્રાએ ગયા હતા. તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેનને મળ્યા. પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકા-સોવિયત સંઘ વચ્ચેના શીતયુદ્ધના પ્રારંભકાળમાં ભારતે મહત્વની ઘોષણા કરી. ભારતે અમેરિકા-સોવિયત સંઘમાંથી કોઈ એક સાથે જોડાવાના સ્થાને બિનજોડાણવાદી આંદોલનનું નેતૃત્વ લેવાની જાહેરાત કરી. ભારતનું વલણ સમગ્ર શીતયુદ્ધના સમયગાળામાં યથાવત રહ્યું હતું. તેનાથી ભારત અને અમેરિકાના સંબંધોમાં અડચણો સપાટી પર આવી હતી. જેના કારણે ભારત અને સોવિયત સંઘ વચ્ચે ઘનિષ્ઠતા વધવા લાગી. તો અમેરિકાએ પાકિસ્તાનને પડખામાં લીધું.

9 ડિસેમ્બર, 1959ના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ આઈસનહોવર ભારતની મુલાકાતે આવ્યા. આઈસનહોવર ભારતની મુલાકાતે આવનારા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ હતા. તેમણે તત્કાલિન ભારતીય રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે વાટાઘાટો કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ આઈસનહોવરે ભારતીય સંસદને સંબોધિત પણ કરી હતી

20 ઓક્ટોબર, 1962ના રોજ ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. ભારતે ચીનના આક્રમણ સામે અમેરિકાનો ટેકો માંગ્યો હતો. વડાપ્રધાન નહેરુએ અમેરિકી રાષ્ટ્રપતિ જહોન એફ. કેનેડીને આ સંદર્ભે પત્ર પણ લખ્યો હતો. અમેરિકાએ ત્યારે બંને દેશો વચ્ચેની મેકમોહન રેખાને સરહદ તરીકે માન્યતા આપી હતી. ભારતને અમેરિકાએ હવાઈ મદદ અને શસ્ત્રસરંજામ પુરા પડવાની ખાતરી આપી હતી. 1965 સુધી ભારત અને અમેરિકા વચ્ચે સામરિક-લશ્કરી સંબંધો યથાવત રહ્યા હતા. પરંતુ 1965માં પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધ બાદ અમેરિકા સાથેના સંબંધોના સમીકરણો બગડયા હતા.

1963માં ભારતના ખાદ્યાન્ન સંકટના ઉકેલમાં અમેરિકાએ ખાદ્યાન્ન ક્રાંતિને પ્રોત્સાહન આપીને મદદ કરી હતી. અમેરિકી કૃષિ વિશેષજ્ઞ નોર્મન બોરલોગ ભારત આવ્યા હતા. તેમણે ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉંની પ્રજાતિઓના પરીક્ષણો શરૂ કર્યા હતા. તેમણે ભારતમાં હરિત ક્રાંતિ માટે મજબૂત સહયોગ પુરો પાડયો હતો. જેના કારણે ભારતના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. એસ. સ્વામિનાથનને હરિત ક્રાંતિમાં સફળતા મળી હતી. ભારત આ સમયગાળામાં ખાદ્યાન્ન ઉત્પાદનમાં પગભર બન્યું હતું.

1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. પૂર્વ પાકિસ્તાનમાં બાંગ્લાદેશીઓ પર સૈન્ય અત્યાચાર થયા હતા. પાકિસ્તાની સેના સામે નાગરિક યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને ભારતમાં શરણાર્થીઓના ધાડાઓ ઉતરી આવતા ભારતે પૂર્વ પાકિસ્તાનમાં હસ્તક્ષેપ કરવો પડયો હતો. અમેરિકાએ આ યુદ્ધમાં પાકિસ્તાનનો પક્ષ લઈને ભારતને ધમકાવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન તેમના ભારત વિરોધી વલણ મામલે કુખ્યાત બન્યા હતા. જેના પરિણામે ભારતે પોતાની ઘોષિત બિનજોડાણવાદી નીતિમાં પરિવર્તન કરીને સોવિયત સંઘ સાથે ઓગસ્ટ માસમાં સંઘિ કરી હતી. 1971માં 16 ડિસેમ્બરે ઢાકા કબજે કરીને ભારતીય સેનાઓએ બાંગ્લાદેશની રચનામાં ભારતની મુખ્ય ભૂમિકા પ્રસ્થાપિત કરી હતી.

18 મે, 1974ના રોજ ભારતે પોખરણ ખાતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. ભારત યૂએનએસસીના પાંચ કાયમી સભ્યો સિવાય છઠ્ઠુ પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર બન્યું હતું. જેના કારણે અમેરિકા અને ભારત વચ્ચે બે દાયકા સુધી કડવાશ ભર્યા સંબંધો રહ્યા હતા. 

No comments:

Post a Comment