Sunday, August 3, 2014

1978-1990: શીતયુદ્ધની ચરમસીમાએ અમેરિકાનો પાકિસ્તાન તરફી ઝુકાવ

- આનંદ શુક્લ
ભારતમાં કટોકટી બાદ સત્તા પર આવેલી મોરારજી દેસાઈની સરકારના કાર્યકાળમાં અમેરિકા સાથેના સંબંધો ફરીથી જીવિત થવા લાગ્યા હતા. અમેરિકાની નોનપ્રોફિલફેરેશન ટ્રેટી, ઈન્દિરા ગાંધીની હત્યા.. ભોપાલ ખાતેની અમેરિકી કંપનીમાં ગેસલીકની દુર્ઘટના અને કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત આતંકી પ્રવૃતિઓએ ફરીથી બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પાટા પર ચઢવા દીધા નહીં.

1 જાન્યુઆરી, 1978ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ જિમી કાર્ટર ભારતની મુલાકાતે આવ્યા હતા. કાર્ટરે રાષ્ટ્રપતિ સંજીવ નીલમ રેડ્ડી સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેમણે વડાપ્રધાન મોરારજી દેસાઈ સાથે પણ મહત્વપૂર્ણ વાટાઘાટો કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ કાર્ટરે ભારતીય સંસદને સંબોધિત પણ કરી હતી. કાર્ટરની મુલાકાત બાદ જૂનમાં વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ અમેરિકાની યાત્રાએ ગયા હતા. મોરારજી દેસાઈ અમેરિકામાં છ દિવસ રોકાયા હતા.

10 માર્ચ, 1978ના રોજ અમેરિકાએ પોતાની જગત જમાદારીને સાબૂત રાખવા માટે ન્યૂક્લિયર નોન-પ્રોલિફેરેશન એક્ટ બનાવ્યો હતો. ન્યૂક્લિયર નોન-પ્રોલિફેરેશન ટ્રેટીમાં જોડાવા ભારતે સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. જેના કારણે અમેરિકાએ ભારતને અપાતી તમામ પરમાણ્વિક મદદને સ્થગિત કરી દીધી હતી.

31 ઓક્ટોબર, 1984ના રોજ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી. ઓપરેશન બ્લૂસ્ટારનો બદલો લેવા માટે તેમની હત્યા કરાઈ હતી. ઈન્દિરા ગાંધીના શીખ અંગરક્ષકોએ તેમને ગોળીઓથી વિંધી નાખ્યા હતા. 1971માં ઈન્દિરા ગાંધી અને અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સ વચ્ચે કડવાશભર્યા સંબંધો હતા. બંને વચ્ચે 1971માં પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધ મામલે તીવ્ર મતભેદો હતા. 1982માં ઈન્દિરા ગાંધી ફરીથી અમેરિકા ગયા હતા. ત્યાર બાદ સંબંધોની નવી શરૂઆત સ્વરૂપે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જ્યોર્જ એચ. ડબલ્યૂ બુશ ભારતની મુલાકાતે આવ્યા હતા. પરંતુ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ બંને દેશના સંબંધોમાં થોડી અસ્પષ્ટતાઓ કાયમ રહી હતી.

3 ડિસેમ્બર, 1984ના રોજ ભોપાલમાં ઝેરી ગેસ લીક થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક અંદાજ પ્રમાણે 10 હજારથી વધારે લોકોના મોત નીપજ્યા હતા. ભોપાલમાં અમેરિકી કંપની યૂનિયન કાર્બાઈડ પ્લાન્ટમાં સર્જાયેલી ભીષણ દુર્ઘટના થઈ હતી. જેના કારણે પીડિતોને વળતર અને મહત્વના અમેરિકી અધિકારીઓને સેફપેસેજના મામલે બંને દેશોના સંબંધો ફરીથી પાટા પરથી ઉતરી ગયા હતા.

20 મે, 1990ના રોજ અમેરિકી ક્રાઈસિસ મિશન ભારત અને પાકિસ્તાનની મુલાકાતે આવ્યું હતં. કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત આતંકવાદને કારણે ભારત સાથેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. અમેરિકી ક્રાઈસિસ મિશન બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધની શક્યતાઓને ટાળવાના મિશન સાથે અહીં આવ્યું હતું. અમેરિકી મિશનમાં અમેરિકાના તત્કાલિન નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ગેટ્સ બંને દેશોના શીર્ષસ્થ નેતાઓને મળ્યા હતા.

જો કે આ સમયગાળા દરમિયાન જગત જમાદારી ટકાવવાની ફિરાકમાં દુનિયાભરમાં ઘર્ષણો પેદા કરનારા અમેરિકાનું પલડું હંમેશા ભારતની સરખામણીએ પાકિસ્તાન તરફ વધારે ઝુકેલું રહ્યું હતું. 




No comments:

Post a Comment