Sunday, August 3, 2014

વૈશ્વિક પરિવર્તનોવાળી 21મી સદીમાં ભારતની અમેરિકા પાસેથી અપેક્ષા

- આનંદ શુક્લ
અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરી સાથે આવેલા ઉચ્ચઅધિકાર પ્રાપ્ત પ્રતિનિધિમંડળમાં અમેરિકી વાણિજ્ય પ્રધાન પેની પ્રિત્સકર પણ ભારતની મુલાકાતે આવ્યા હતા. અમેરિકાના વિદેશ પ્રધાનની મુલાકાત બહુકોણીય ઉદેશ્યોની પૂર્તિ માટે હતી. ત્યારે જોઈએ ભારતની અમેરિકા પાસે કઈ સંભવિત અપેક્ષાઓ છે....

અમેરિકાના વિદેશ પ્રધાન ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા હતા. તેમણે ગુરુવારે ભારત-અમેરિકા વચ્ચેની રણનીતિક વાટાઘાટોની સહઅધ્યક્ષતા કરી હતી. કેરીએ સંરક્ષણ પ્રધાન અરુણ જેટલી સાથે પણ મહત્વની વાતચીત કરી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સપ્ટેમ્બર માસની પ્રસ્તાવિત અમેરિકાની યાત્રા માટે પણ જોન કેરી પૃષ્ઠભૂમિ તૈયાર કરી છે. એક નજર કરીએ અમેરિકા પાસે ભારતની તાત્કાલિક અપેક્ષાઓ પર...

ભારતની અમેરિકા પાસે અપેક્ષા રહેશે કે ઓબામા વહીવટી તંત્ર દ્વારા ભારતીયોના વીઝાના કડક બનાવાયેલા નિયમોમાં મુક્તિ મળે. દક્ષિણ એશિયા અને ભારતમાં ચાલી રહેલી પાકિસ્તાન પ્રેરીત આતંકવાદી પ્રવૃતિઓ સામે કડક પગલા આંતરરાષ્ટ્રીય મંચ પર લેવાય.

2008માં થયેલા મુંબઈ પરના ભીષણ આતંકવાદી હુમલાના અમેરિકી જેલમાં બંધ ગુનેગાર ડેવિડ હેડલીની પુછપરછ માટે ભારતને મંજૂરી મળે. વ્હીસલ બ્લોઅર સ્નોડેનના દાવા પ્રમાણે, અમેરિકી એજન્સીને ભારતના નેતાઓની જાસૂસીની મંજૂરી મળી છે. તો આ કથિત જાસૂસી બંધ કરવાની મોદી સરકારની તાત્કાલિક ઈચ્છા રહેશે. દેવયાની ખોબ્રાગડે સાથે થયેલા દુર્વ્યવહાર બાદ અમેરિકામાં અન્ય કોઈ ભારતીય રાજદ્વારીઓ સાથે અપમાનજનક વ્યવહારની સ્થિતિ ફરીથી ઉભી થાય નહીં.

સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત અમેરિકી યાત્રા દરમિયાન મહત્વના મુદ્દે સમજૂતી બને. તકનીકી બાબતો અને સંશોધનોમાં સહયોગમાં વધારો થાય. ભારતીય સૈન્યના આધુનિકીકરણ માટે અમેરિકાના સંરક્ષણ ક્ષેત્રની મદદ મળે. વીમા અને સંરક્ષણ ક્ષેત્રમાં 49 ટકા એફડીઆઈને મંજૂરી બાદ અમેરિકી મૂડી રોકાણને આકર્ષિત કરવું.

દક્ષિણ એશિયામાં અસ્થિરતા અને આતંકવાદની સ્થિતિમાં ભારતના રાષ્ટ્રીય હિતોને અમેરિકાનો ટેકો મળે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્ય પદ માટે અમેરિકા વલણ બદલી ટેકો આપે. શીતયુદ્ધ બાદ એકધ્રુવીય થયેલા વિશ્વમાં ભારતને અમેરિકા સ્વરૂપે મજબૂત સાથીદાર મળે.

તાજેતરમાં બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બે કલાક રાહ જોવડાવી અને બીજા દિવસે મુલાકાત આપી હતી. જેને ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં એક મોટા ફેરફાર તરીકે પણ જાણકારો જોઈ રહ્યા છે. તો પાકિસ્તાનને તાજેતરમાં રશિયાએ ભારતને વેચ્યા હતા.. તેવા જ હેલિકોપ્ટરોની ખેપ આપી છે.

ત્યારે રશિયાના મર્યાદિત બનેલા વૈશ્વિક પ્રભાવ અને ભારત માટે સોવિયત સંઘના તબક્કા જેવી સંબંધોમાં ગાયબ થઈ રહેલી ઉષ્મા વચ્ચે અમેરિકા-ભારત નજીક આવે તે બંને દેશોની રણનીતિક જરૂરિયાત છે. 9-11ના હુમલા બાદ અમેરિકાને પોતાના રાષ્ટ્રીય હિતો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર એવા ભારતની જરૂરિયાત થોડાઘણાં અંશે સમજાઈ છે.

No comments:

Post a Comment