Sunday, August 3, 2014

1991-2001: સોવિયત સંઘના તૂટયા બાદ ઉદારીકરણને અપનાવનાર ભારત અમેરિકાની નજીક આવ્યું

આનંદ શુક્લ

1991થી ભારતે આર્થિક ઉદારીકરણનો માર્ગ અપનાવ્યો. જેના કારણે ભારત એક બજાર તરીકે વિશ્વ સામે ખુલ્લું મૂકાયું. અમેરિકાને ભારતના બજારમાં પોતાના આર્થિક હિતો દેખાતા તેણે દ્વિપક્ષીય સંબંધો સુધારવાની શરૂઆત કરી. પણ 1998માં વાજપેયી સરકારે પરમાણુ પરીક્ષણો કરતા ફરીથી અમેરિકા સાથેના સંબંધો પાટા પરથી ઉતરી ગયા હતા. પરંતુ વાજપેયી સરકારના કાર્યકાળમાં જ ભારત અમેરિકા સાથે સૌથી વધારે નજીક પહોંચવા લાગ્યું હતું. જે ભારતની પરંપરાગત બિનજોડાણવાદી અને બાદમાં રશિયા તરફી નીતિઓમાં બહુ મોટો વળાંક હતો.

24 જુલાઈ, 1991ના રોજ તત્કાલિન નરસિંહરાવ સરકારે ભારતને ઉદારીકરણના આર્થિક સુધારાના રસ્તે લઈ જવાનો નિર્ણય કર્યો હતો. વડાપ્રધાન નરસિંહરાવે આર્થિક ઉદારીકરણને મંજૂરી આપી હતી. જેના કારણે આર્થિક હિતોની આસપાસ અમેરિકા સાથેના સંબંધો વિકસવાની શરૂઆત થઈ હતી. તે સમયે ડૉ. મનમોહનસિંહ ભારતના નાણાં મંત્રી તરીકે મહત્વની ભૂમિકામાં હતા.

ભારત અને અમેરિકાના આગળ વધી રહેલા સંબંધોમાં 11 મે, 1998ના રોજ ભારત દ્વારા બીજું પરમાણુ પરીક્ષણ કરાયું હતું. પોખરણમાં તત્કાલિન વાજપેયી સરકારે અમેરિકી ગુપ્તચર એજન્સીઓને અંધારામાં રાખીને પાંચ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાને ચુગઈની પહાડીઓમાં છ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. જેના કારણે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં પરમાણુ શસ્ત્રોની દોડ તેજ થવાનો વૈશ્વિક ડર પેદા થયો હતો. જેના કારણે અમેરિકાના ભારત સાથેના સંબંધો ફરીથી વણસ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને અમેરિકી કાયદા પ્રમાણે ભારત પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા.

3 મે, 1999ના રોજ કારગીલ યુદ્ધને કારણે અમેરિકાની પાકિસ્તાન પરસ્ત નીતિઓમાં ફરીથી પરિવર્તન આવ્યું. પાકિસ્તાની સૈનિકોએ કારગીલમાં ઘૂસણખોરી કરી હતી. તેના જવાબમાં ભારતે હવાઈ આક્રમણો સહીત લશ્કરી કાર્યવાહી શરૂ કરી અને આ યુદ્ધ જુલાઈ સુધી ચાલ્યું હતું. 4 જુલાઈ, 1999ના રોજ કિલન્ટને પાકિસ્તાના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ઈમરજન્સી બેઠક કરી હતી. કિલન્ટના કડક નિર્દેશ બાદ શરીફે પાકિસ્તાની સેનાને કારગીલમાંથી પાછી ખેંચી હતી. તો ભારતે પણ તેમને સેફપેસેજ આપવા તૈયારી દેખાડી હતી.

20 માર્ચ, 2000ના રોજ બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ભારત આવ્યા હતા. 1978 બાદ પહેલી વખત કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ ભારતની યાત્રાએ આવ્યા હતા. 1998ના પરમાણુ પરીક્ષણ બાદ ક્લિન્ટને સંબંધો સુધારવા ભારતની મુલાકાત લીધી હતી. જો કે તેણે ભારત પર સીટીબીટી પર હસ્તાક્ષર કરવા માટે દબાણ કર્યું હતું. ઈન્ડો-યુએસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોરમની સ્થાપના કરવામાં આવી. ભારતીય અર્થતંત્રએ મજબૂતી પકડતા અમેરિકાએ પોતાનું વલણ બદલ્યું હતું. શીતયુદ્ધ વખતની પાકિસ્તાનની આળપંપાળની અમેરિકી નીતિમાં પણ ફેરફાર થયો હતો.

અમેરિકા પર 9-11ના આતંકી હુમલા બાદ 22 સપ્ટેમ્બર-2001ના રોજ તેણે ભારત પર પરમાણુ પરીક્ષણ બાદ લગાવેલા આર્થિત પ્રતિબંધો હટાવી લીધા હતા. અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે ભારતની આર્થિક રોક હટાવી હતી.


No comments:

Post a Comment