Sunday, August 3, 2014

2005થી 2013: ડૉ. મનમોહનસિંહના કાર્યકાળમાં ભારત અમેરિકી સંબંધો સ્થિર અને પ્રગાઢ બન્યા

- આનંદ શુક્લ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ડૉ. મનમોહનસિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં વધુ મજબૂત બન્યા હતા. ભારતે અમેરિકા સાથે નાગરિક પરમાણુ ઊર્જા કરાર કર્યા હતા. તો ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક હુસૈન ઓબામા વચ્ચે માત્ર ચાર વર્ષના સમયગાળામાં ત્રણ મહત્વની બેઠકો યોજાઈ હતી.

15 માર્ચ, 2005ના રોજ બંને દેશો વચ્ચે ઊર્જા સુરક્ષા સંદર્ભે વાટાઘાટો થઈ હતી. અમેરિકી વિદેશ પ્રધાન કોન્ડોલિઝા રાઈસ ભારત આવ્યા હતા. તે વખતે ભારતના ઈરાન સાથેના સંભવિત ઊર્જા સહકાર અને અમેરિકા દ્વારા પાકિસ્તાન સાથે ફાઈટર જેટ આપવાની ડીલ મુદ્દે તણાવ હતો. જો કે બંને દેશો વચ્ચે તણાવ વચ્ચે પણ ઊર્જા સુરક્ષા સંદર્ભેની વાટાઘાટો આગળ વધી હતી.

28 જૂન, 2005ના રોજ ભારતે નવા ડિફેન્સ ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કર્યા હતા. મેરિટાઈમ સિક્યુરિટી, આતંકવિરોધી મદદને પ્રાથમિકતા આપવા માટે સંમતિ સધાઈ હતી. ઓક્ટોબરમાં બંને દેશો વચ્ચે મોટી નૌસેના કવાયત થઈ હતી. બાદમાં વાયુસેના અને ભૂમિસેનાની પણ સંયુક્ત કવાયતો થઈ હતી. 

18 જુલાઈ, 2005ના રોજ ભારત અને અમેરિકા વચ્ચે નાગરિક પરમાણુ ઊર્જા કરાર થયો હતો. ત્રણ દશક જૂની ન્યૂક્લિયર ટ્રેડ પરની રોક હટાવી લેવાઈ હતી. ભારતે નાગરિક અને લશ્કરી પરમાણુ કાર્યક્રમો અલગ કર્યા હતા. તો નાગરિક પરમાણુ કાર્યક્રમોને આઈએઈએના સેફગાર્ડ હેઠળ આવરી લીધા હતા. અમેરિકાએ ભારતને સંપૂર્ણ નાગરિક પરમાણુ સહકારની ખાતરી આપી હતી.

જો કે 2005માં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાએ વીઝા આપવાનો ઈન્કાર કર્યો હતો. તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બુશ જૂનિયરના વહીવટી તંત્રે મોદીને વીઝા આપવાનું નકાર્યું હતું. 2002માં હુલ્લડો સંદર્ભે મોદીની કથિત ભૂમિકાના આરોપમાં અમેરિકાએ આવી નીતિ અપનાવી હતી.

માર્ચ, 2006ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશ ભારત આવ્યા હતા. ત્યારે નાગરિક પરમાણુ કરારને આખરી ઓપ અપાયો હતો. બંને દેશો વચ્ચે સંરક્ષણ અને આર્થિક બાબતોના કરારો પણ થયા હતા. જુલાઈ-2007માં પરમાણુ કરાર પૂર્ણ કરાયો હતો. આ કરાર બાદ ભારતને ન્યૂક્લિયર કોમર્સમાં ભાગીદારી મળી હતી. નોનપ્રોલિફેરેશન ટ્રેટીની બહાર માત્ર ભારતને જ આવી મંજૂરી મળી હતી.

નવેમ્બર, 2008ના રોજ મુંબઈ પર પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ત્રણ દિવસ ચાલેલા આતંકી હુમલામાં 166 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં 6 અમેરિકનો પણ માર્યા ગયા હતા. અમેરિકાએ ભારતની એજન્સીઓને મજબૂત મદદ કરી હતી. અમેરિકી તપાસ સંસ્થા એફબીઆઈના અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતો ભારત મોકલવામાં આવ્યા હતા.

29 નવેમ્બર, 2009ના રોજ વડાપ્રધાન મનમોહનસિંહ અમેરિકા ગયા હતા. તેમનું અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મનમોહન-ઓબામા વચ્ચેની મંત્રણાનું પ્રતીકાત્મક મહત્વ હતું. જો કે તેમાં દ્વિપક્ષીય સંબંધોના મામલે સીમાચિન્હરૂપ પરિણામો મળી શક્યા નહીં.

5 એપ્રિલ, 2010ના રોજ ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક ભાગીદારી આગળ વધી હતી. અમેરિકી નાણાં પ્રધાન તિમોથી ગેઈથનરે ભારતની મુલાકાત લીધી. તેમણે તત્કાલિન ભારતીય નાણાં પ્રધાન પ્રણવ મુખર્જી સાથે વાટાઘાટો કરી હતી. બંન દેશો વચ્ચે મજબૂત આર્થિક સંબંધોનો પાયો નખાયો હતો.

1 જૂન, 2010ના રોજ બંને દેશો વચ્ચે પ્રથમ રણનીતિક વાટાઘાટો થઈ હતી. તેનાથી ભારત-અમેરિકા રણનીતિક સંબંધોની શરૂઆત થઈ હતી. તેના સંદર્ભે ભારતનું ઉચ્ચઅધિકાર પ્રાપ્ત પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન ગયું હતું. અમેરિકાના તત્કાલિન વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને ભારતને અનિવાર્ય રણનીતિક સાથીદાર ગણાવ્યું હતું. તો ઓબામાએ બંને દેશોના સંબંધોને 21મી સદી માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. બંને દેશો વચ્ચે વાર્ષિક રણનીતિક વાટાઘાટોને પણ મંજૂરી અપાઈ હતી.

5 નવેમ્બર, 2010ના રોજ અમેરિકાએ યુનાઈટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના દાવાને ટેકો આપ્યો. ભારત યુએનએસસીમાં કાયમી સભ્ય પદનો દાવો કરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય સંસદને સંબોધિત કરતી વખતે આ દાવાને ટેકો આપ્યો હતો. ઓબામાએ ત્યારે 14.9 અબજ ડોલરની ટ્રેડ ડીલની પણ જાહેરાત કરી હતી. જો કે તેનો હેતુ ભારતીય બજારો સુધી અમેરિકી પહોંચ વધારવા અને નાગરિક પરમાણુ કરાર પર મહત્વપૂર્ણ ચર્ચાના ભાગરૂપે જાહેર કરાઈ હતી.

19 જુલાઈ, 2011ના રોજ બંને દેશો વચ્ચે સાયબર સિક્યુરિટી કોર્પોરેશન મામલે સંમતિ સધાઈ હતી. તેને ભારત અને અમેરિકા વચ્ચેની રણનીતિક વાટાઘાટોમાં મહત્વના સ્થંભ તરીકે જોવામાં આવે છે.

30 મે, 2012ના રોજ ભારત અને અમેરિકા વચ્ચે પેનેટ્ટા બુસ્ટ્સ મિલિટિરી સંધિ કરવામાં આવી હતી. અમેરિકી સંરક્ષણ પ્રધાન લેઓન પેનેટ્ટા ભારત આવ્યા હતા. તેમણે આ સંધિને એશિયા માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. તેના પહેલા જાન્યુઆરી-2010માં અમેરિકી સંરક્ષણ પ્રધાન રોબર્ટ ગેટ્સ ભારત આવ્યા હતા.

27 સપ્ટેમ્બર, 2013ના રોજ વડાપ્રધાન તરીકે ડૉ. મનમોહનસિંહ અમેરિકાની આખરી મુલાકાતે ગયા હતા. તે સમયે છેલ્લા ચાર વર્ષના ગાળામાં મનમોહન-ઓબામા વચ્ચે ત્રીજી બેઠક યોજાઈ હતી. તે સમયે સુરક્ષા, વેપાર, ઈમિગ્રેશન, પરમાણુ કરાર સહીતના ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ મુલાકાત ભારતની કથળેલી આર્થિક પરિસ્થિતિ વચ્ચે યોજાઈ હતી.


9-11ના આતંકવાદી હુમલા બાદ અમેરિકાનો ભારત માટેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. વાજપેયી સરકાર  દ્વારા અમેરિકા સાથે ઘનિષ્ઠતાની નીતિને ડૉ. મનમોહનસિંહે પોતાના વડાપ્રધાન તરીકેના દસ વર્ષના ગાળામાં વધુ મજબૂત અને સ્થિર બનાવ્યા હતા. 

No comments:

Post a Comment