લેબલ આર્થિક આતંકવાદ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ આર્થિક આતંકવાદ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 19 ઑક્ટોબર, 2011

હિંસા-અહિંસાના ભેદ અને જનહિતને સમજવા જરૂરી


-આનંદ શુક્લ

ભારતમાં ઘણી જગ્યાએ મહાભારત એક સાથે નહીં વાંચવાનો રીવાજ છે. માનવામાં આવે છે કે મહાભારત એક સામટું વાંચી લેવાથી મહાભારત જેવી પરિસ્થિતિમાંથી વાંચનારા વ્યક્તિએ પસાર થવું પડે છે. મહાભારત એકસાથે વાંચવા સંદર્ભે આ અંધશ્રદ્ધા ભારતીય માનસને પ્રતિબિંબિત કરે છે. ભારતીય સમાજ દ્વાપર યુગમાં થયેલા ધર્મની સ્થાપના માટેના મહાભારતના યુદ્ધથી હજીપણ ડરી રહી છે. કુરુક્ષેત્રમાં લડાયેલા મહાભારત બાદ ભારત હવે નવા મહાભારત માટે તૈયાર નથી, મહાભારતમાંથી બચવા માંગે છે. ભારતમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, નક્સલવાદ, કટ્ટરતાવાદ અને ન જાણે કેટ-કેટલી સમસ્યાઓ છે. અધર્મ દેશમાં ચારેતરફ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં દેશમાં મહાભારત થવું જ જોઈએ. પરંતુ તેના માટે કોઈ તૈયાર નથી, બધાં મહાભારતથી ડરી રહ્યાં છે. મહાભારત ભારતની આજની પરિસ્થિતિમાં કેટલું પ્રાસંગિક છે, તે શોધવાનો અને ચર્ચા કરવાનો હિંમતભર્યો પ્રયાસ કરવાનો અત્યારે વખતે છે. મહાભારતથી ભાગવામાં આવશે, તો જીવનનો આધાર ધર્મ ક્યારેય સંસ્થાપિત થઈ શકશે નહીં.

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે જ્યારે પાંડવો અને કૌરવોની સેના એકબીજા સામે મોરચો માંડીને ઉભી હતી. ત્યારે અર્જૂને બંને સેનાની વચ્ચે શ્રીકૃષ્ણને રથ લેવાનું કહ્યું. અર્જૂને કૌરવ સેનામાં સ્વજનો અને ગુરુજનો જોયા. અર્જૂનના ગાત્રો શિથિલ થઈ ગયા. ગાંડિવ તેના હાથમાં સરવા લાગ્યું. અર્જૂનને ઘોર પરિતાપ થયો. અર્જૂને ગાંડિવ હાથમાંથી છોડી દીધું અને કૃષ્ણને કહ્યું કે સ્વજનોના રક્તથી ખરડાયેલું રાજ્ય તેને ખપશે નહીં. આમ કરવાના બદલે તે ભિક્ષા માંગીને પોતાનું જીવનયાપન કરશે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જૂનને આપદ ધર્મ સમજાવા માટે રણભૂમિની વચ્ચોવચ શ્રીમદ ભગવત ગીતાનો ઉપદેશ આપ્યો. કૃષ્ણે અર્જૂનને કહ્યું કે યુદ્ધ કર, નપુંસક ન બન, તારા ક્ષાત્રધર્મનું પાલન કર. ગાંડિવ ઉઠાવ અને યુદ્ધ કર. શ્રીમદ ભગવત ગીતા અર્જૂનને યુદ્ધ માટે પ્રેરીત કરવા માટે ઉદબોધવામાં આવી હતી. પરંતુ આ ભગવત ગીતા ભારતમાં અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીનો પ્રેરણાસ્ત્રોત હતી. મહાત્મા ગાંધી કહેતા હતા કે તેમના જીવનમાં ડગલેને પગલે આવેલી મુસીબતોનો ઉકેલ તેમને ગીતામાંથી મળે છે. આમ ગીતા મહાભારતની પ્રેરણા પણ બની શકે છે અને મહાત્મા ગાંધીની પ્રેરણા પણ બની શકે છે. ત્યારે પ્રશ્ન અવશ્ય થાય કે યુદ્ધ-હિંસા માટે અર્જૂનને પ્રેરીત કરનારી ગીતા અને ગાંધીજીમાં કોઈ વિરોધનું તત્વ છે?

લોકો કોઈપણ દેશહિત, રાષ્ટ્રહિત અને સમાજહિતની વાતમાં ગાંધીજીની અહિંસાની વાતને વિકૃત રીતે આગળ કરીને સમગ્ર મામલાને બગાડી રહ્યાં છે. પરંતુ ગાંધીજીની અહિંસાને વિકૃત કરનારા તેમના હિંસક અનુયાયીઓને ખબર હોવી જોઈએ કે ગાંધીજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા. મૃત્યુની ક્ષણે પણ હે રામ કહીને તેમણે પોતાનો દેહત્યાગ કર્યો હતો. ગાંધીજી અને કરોડો ભારતીયોના આરાધ્ય ભગવાન શ્રીરામે ધનુષ્ય ધારણ કરી રાખ્યું છે. તેમણે શરભંગના આશ્રમમાં પ્રતિજ્ઞા પણ કરી હતી કે નિસચર હીન કરો મહી, ભુજ ઉઠાયે પ્રણ કીન. એટલે કે સમગ્ર સૃષ્ટિને નિશાચરોવિહીન કરી દઈશ. (ભોપાલથી 10 કિલોમીટર દૂર રાક્ષસહાંડા કરીને જગ્યા છે. આ સ્થાન પર ઋષિઓના હાડકાંના ઢગલા જોઈને ભગવાન શ્રીરામે ભારતમાતાની ચરણરજ લઈને પ્રતિજ્ઞા કરી હતી કે આખી પૃથ્વીને રાક્ષસવિહોણી કરી દઈશ.) 1962માં ચીન સામેના યુદ્ધમાં મળેલી હાર બાદ ભારતીયોને લાગી રહ્યું છે કે હિંસા અને અહિંસાને સમજવામાં ભારે ભૂલ થઈ છે. કૃષ્ણ પણ અહિંસાને પરમ ધર્મ માનતા હતા. તેમાં કોઈ શંકાને કારણ નથી, કારણ કે તેમણે મહાભારતને રોકવા માટે દૂર્યોધન સાથે શાંતિવાર્તા કરી હતી. પરંતુ જ્યારે આક્રમણખોરો શસ્ત્રો સાથે આપણી પર હુમલો કરે અને તે સમયે આપણે બળપૂર્વક શસ્ત્રથી આત્મરક્ષણ કરીએ તો શું તેને હિંસા કહી શકાય? બળપ્રયોગથી આત્મરક્ષણ અને હિંસામાં કોઈ અંતર છે કે નહીં?

આત્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, દેશરક્ષા, સમાજરક્ષા અને સમ્માનરક્ષા માટે બળપ્રયોગ કરવો હિંસા કેવી રીતે છે? આ ઉદ્દાત હેતુ માટે બળપ્રયોગ કરવાની મનાઈ કરનારા પેઢીને નપુંસક બનાવવાનું કામ કરે છે. આપણે ત્યાં પ્રચલિત થયું છે કે હિંસા પાપ છે. પરંતુ આત્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, દેશરક્ષા, સમાજરક્ષા અને સમ્માનરક્ષા માટે થનારો બળપ્રયોગ અને તેનાથી થનારી હિંસા કેવી રીતે કોઈ પાપ થાય છે? મચ્છર મારીશું તો પણ હિંસા થઈ જશે, માટે મચ્છર પણ ન મારવા જોઈએ! ત્યારે પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ કે કૃષ્ણ અને ગાંધી, ગાંધી અને ગીતામાં એકબીજા માટે કોઈ વિરોધ છે? જો તે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનો પ્રસંગ આવે, તો શું એકનો તિરસ્કાર કરવો પડશે? કૃષ્ણની નીતિ અને ગાંધીની નીતિમાં ક્યાંક સામંજસ્ય છે કે નહીં? આપણે શોધી શકીએ કે ન શોધી શકીએ, પણ હકીકત છે કે તે બંનેમાં સામંજસ્ય તો છે. જો આમ ન હોત, તો ગાંધીજી ગીતા કેમ વાંચત, દરરોજ તેનું પઠન શા માટે કરત!

ભારતીય સંસદમાં નોબલ પુરષ્કાર વિજેતા વિખ્યાત અર્થશાસ્ત્રી અમાર્ત્ય સેને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે “કૃષ્ણની ધર્મસ્થાપનાની નીતિમાં જો આપણે જોઈશું તો વિનાશ છે. જો કૃષ્ણના ઢંગથી ધર્મની સ્થાપના કરવામાં આવશે તો ઘણાં લોકો માર્યા જશે. માટે હું કૃષ્ણના પક્ષમાં નથી.” પરંતુ કૃષ્ણના પક્ષમાં ન રહીને અમાર્ત્ય સેન મનુષ્યને બચાવવા માટે ધર્મની હત્યા કરી રહ્યાં છે. ધર્મની સ્થાપના માટે શ્રીકૃષ્ણ જો જીવનો વધ કરવો પડે, તો તેના માટે પણ તૈયાર છે. કારણ કે ધર્મ જ જીવનને ધારણ કરે છે. જો જીવોને બચાવવા, મનુષ્યને બચાવવા માટે ધર્મની હત્યા કરવામાં આવે અને અધર્મની સ્થાપના થઈ જશે તો તેના પછી જીવ, કોઈ જીવન, કોઈ મનુષ્ય કેવી રીતે બચી શકશે? માટે અમાર્ત્ય સેનની કૃષ્ણની ધર્મ સ્થાપનાની નીતિ સાથે અસંમત થવાની વાતથી સંમત થઈ શકાય તેમ નથી.

સીબીઆઈના ભૂતપૂર્વ નિદેશક જોગિન્દર સિંહે 11 સપ્ટેમ્બરના પોતાના એક લેખમાં કહ્યું છે કે ભારતની છબી ચારે બાજૂ એક દબ્બુ, એક ભીરુ, એક દુર્બળ અને ડરપોક રાષ્ટ્રની છે. માટે ન તો અપરાધીઓને ભારતની સરકારનો, ભારતનો ભય છે અને ન આપણા શત્રુઓને પણ આવો ભય નથી. આપણા શત્રુઓ, જેને તમે આતંકવાદી કહો કે બીજું કંઈપણ તેઓ પણ નિરંતર શક્તિશાળી થઈ રહ્યાં છે. ચીનને ભારતનો કોઈ ભય નથી, તે પોતે ઈચ્છશે તેમ જ કરશે. પાકિસ્તાનને પણ કોઈ ડર નથી. કેવી વિડંબણા છે કે શારદા, ચૈત્રી નવરાત્રીમાં શક્તિની ઉપાસના કરનારો સમાજ શક્તિહીન બને!!

અર્જૂન દ્વારા મહાભારતના ઈન્કારને જરા વિનોબાની દ્રષ્ટિથી જોઈએ. આચાર્ય વિનોબાના મતે જ્યારે અર્જૂન કહી રહ્યો છે કે તે યુદ્ધ કરવા ઈચ્છતો નથી. ત્યારે તે અહિંસાની વાત કરી રહ્યો નથી. અર્જૂન મહાભારતના ઈન્કાર વખતે અહિંસાથી પ્રેરીત નથી. અર્જૂન તે વખતે સ્વજનો પ્રત્યે આસક્ત છે અને તેના કારણે મહાભારતનું યુદ્ધ લડવાનો ઈન્કાર કરી રહ્યો છે. અર્જૂનના યુદ્ધ ઈન્કારનું કારણ સ્વજનાસક્તિ છે. વિનોબા કહે છે કે જે આપણે કરવા ઈચ્છતા નથી, તેને આપણે સિદ્ધાંતોના ખૂબ સરસ આવરણથી ઢાંકી દઈએ છીએ. જોગિન્દર સિંહ પોતાનો ઉપરોક્ત લેખમાં પુછે છે કે ક્યાં લોકો છે કે જે ભારતના દુશ્મન એવા આતંકવાદીઓને બચાવવા માંગે છે? ત્યારે વિચારવું પડે કે કોણ સ્વજન છે અને કોણ દુર્જન છે.

કેરળની વિધાનસભામાં આતંકવાદી વિસ્ફોટમાં સામેલ મદનીની તરફેણમાં પ્રસ્તાવ પારીત થયો, તેને બચાવવામાં આવ્યો. તમિલનાડુ વિધાનસભાએ રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીની સજા વિરુદ્ધ પ્રસ્તાવ પારીત કર્યો. કાશ્મીર વિધાનસભામાં સંસદ પરના હુમલાના ગુનેગાર અફઝલ ગુરુની ફાંસીની સજા રોકવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. પરંતુ હંગામાને કારણે તે પસાર થઈ શક્યો નહીં. પંજાબ વિધાનસભામાં પણ 1993ના વિસ્ફોટોના ગુનેગાર દેવિન્દરસિંહ ભુલ્લરની ફાંસી રોકવા માટે પ્રસ્તાવ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. આપણી સામેના આ ઉદાહરણો પરથી વિચાર કરવો જોઈએ કે ફાંસી પામેલા લોકો કોણ છે, તે કોના સ્વજન છે અને તેમને બચાવવા માટે ક્યાં લોકો આગળ આવ્યા છે? આ ફાંસી પામેલા લોકોને કોણ સ્વજન માને છે? આ ફાંસી પામેલા લોકોને સ્વજન માનનારાનો આ દેશ હોઈ જ ન શકે. આ દેશના લોકો ફાંસી પામનારા ઉપરોક્ત આરોપીઓના સ્વજન નથી. આપણે જોવું પડશે કે જે લોકો આપણા જનપ્રતિનિધિ બનીને કામ કરી રહ્યાં છે, તેઓ શું કરી રહ્યા છે?

સાંસદ અને ધારાસભ્યો પ્રતિનિધિ શબ્દનો દુરુપયોગ કરી રહ્યાં છે. આખરે સ્વામી વિવેકાનંદને ભારતના પ્રતિનિધિ તરીકે ચૂંટીને કોણે વિદેશ મોકલ્યા હતા? ગાંધીજીને કોણે ચૂંટયા હતા? રવિન્દ્રનાથ ઠાકુર કોઈ ચૂંટણીમાં ઉભા રહ્યા ન હતા, તો શું તેઓ આપણા પ્રતિનિધિ નથી? પ્રશ્ન ઉઠે છે કે આપણે આપણા પ્રતિનિધિ કોને કહેવા? માત્ર એક વખત વોટ મેળવીને કોઈપણ રીતે ચૂંટાઈને સંસદ કે ધારાસભામાં બેસી ગયા એટલે શું તેઓ લોકોના પ્રતિનિધિ બની ગયા? આપણું પ્રતિનિધિત્વ એ કરી શકે કે જે આપણી ભાવનાઓ સાથે સામંજસ્યતા ધરાવે છે. આ દેશની ભાવના સાથે સામંજસ્ય ધરાવતા વાલ્મિકીને તો કોઈ ચૂંટણીમાં જીત્યા ન હતા. છતાં તેઓ આપણા પ્રતિનિધિ છે. પ્રતિનિધિ બનવા માટે વ્યાસને કોઈ ચૂંટણીમાં ઉભા રહેવાની જરૂર પડી નથી. રામ, કૃષ્ણ, વિવેકાનંદ જેવાં આ દેશની ભાવના સાથે સામંજસ્યતા ધરાવતા લોકો જ આ દેશના પ્રતિનિધિ છે. આવી ભાવના ધરાવતા લોકો આગળ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પ્રતિનિધિ થવાનો અર્થ છે કે આ દેશના હિતમાં, આ દેશના લોકોના હિતમાં, જે કામ કરે અને જ્યાં સુધી કરે ત્યાં સુધી તેઓ આપણા પ્રતિનિધિ છે. જ્યારે પ્રતિનિધિ આપણી અને આપણાં લોકોની ભાવના પ્રમાણે કામ ન કરે, તે ક્ષણથી જ તે આપણું અને આપણા લોકોનું પ્રતિનિધિત્વ ગુમાવે છે.

ત્યારે આપણી સામે ઉભી થયેલી પરિસ્થિતિમાં આપણે વિચારવું પડશે કે કોણ આપણા પ્રતિનિધિ છે અને કોણ નથી, કઈ બાબત હિંસા છે અને કઈ અહિંસા છે, શું કોમવાદ છે અને શું સેક્યુલરવાદ છે, આપણે આ તમામ બાબતો પર પુનર્વિચાર કરવો પડશે. આ બધી બાબતોને કોઈ સ્થાપિત હિતો માટે વિકૃત કરવામાં આવી હશે, તો આને વિકૃત કરનાર બાબતોને આવી અવધારણાથી અલગ કરવી પડશે. આપણને જે પરિભાષાઓ આપવામાં આવી છે, તેનો સ્વીકાર કરીને માત્ર તેના રસ્તા પર ચાલવાનું નથી, કારણ કે તે આપણા હિતમાં નથી, તે આપણા સમાજના હિતમાં નથી, તે આપણા રાષ્ટ્રના હિતમાં નથી, તે આપણા દેશના હિતમાં નથી.

(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસે નાગપુરના રેશિમ બાગમાં આયોજીત સમારંભમાં નરેન્દ્ર કોહલી દ્વારા થયેલા ઉદબોધન પરથી)

શનિવાર, 19 સપ્ટેમ્બર, 2009

ફેક કરન્સી: પાકિસ્તાન દ્વારા ભારતમાં આર્થિક આતંકવાદ

પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી ભારત અવાર-નવાર લોહીલુહાણ થઈ રહ્યું છે. હવે પાકિસ્તાને પોતાની નાપાક હરકતો દ્વારા ભારતના વિકાસદરના નવા માનાંકો હાસિલ કરતાં અર્થતંત્રને નિશાના પર લીધું છે. ભારત સરકારે સંસદના બંને ગૃહોમાં આધિકારિકપણે કબૂલાત કરી છે કે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ, આતંકવાદી સંગઠનો અને આંતરરાષ્ટ્રીય માફિયા દાઉદ ઈબ્રાહીમના નેટવર્ક થકી ભારતમાં પાકિસ્તાનથી નકલી નોટોનો ધોધ વહેવડાવવામાં આવે છે. ભારતમાં નકલી નોટોના પાકિસ્તાન દ્વારા વધી રહેલા પ્રવાહ પાછળ બે બાબતોની શક્યતા દર્શાવાય છે. એક તો ભારતીય અર્થતંત્રની રેલને વિકાસના પાટા પરથી ઉતારવી અને ભારત વિરોધી આતંકવાદી જૂથોની નાણાંકીય જરૂરિયાતો પૂરી પાડવી. એક અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2000 સુધીમાં 1,69,000 કરોડ રૂપિયાની નકલી નોટો ચલણમાં ફરી રહી છે. જેના કારણે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધી છે. અધૂરામાં પૂરું બેંકોની શાખાઓ અને એટીએમમાં પણ નકલી નોટો ગ્રાહકોનેં નહીં મળે, તેની કોઈ ખાતરી નથી. ભારતમાં પેટ્રોલપંપોથી માંડીને શાકભાજીવાળા ફેરિયાઓ 500 અને 1000 રૂપિયાની નોટો સ્વીકારતા અચકાય છે. મોટાભાગે ફેક ઈન્ડિયન કરન્સી નોટ(એફઆઈસીએન)ને સાચી નોટોથી અલગ કરવી કઠિન છે. જો કે નકલી નોટોના નેટવર્કનો સ્વીકાર કરતી ભારત સરકાર અને આરબીઆઈ 1,69,000 કરોડ રૂપિયાની નકલી નોટો ચલણમાં ફરતી હોવાના અહેવાલોને નકારે છે. ભારતીય અર્થતંત્રને વૈશ્વિક મંદીની અસર મોડી નડી હોવાનો દાવો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. પણ એ પણ સત્ય છે કે 8થી 9 ટકાનો વિકાસદર હાલ 6 ટકાની આસપાસ સ્થિર થયો છે. ત્યારે નકલી નોટોના નાપાક નેટવર્ક થકી ભારતીય અર્થતંત્રને કેટલું નુકસાન થયું છે, તે સંશોધનનો વિષય બને છે. કારણ કે ફૂગાવાનો દર વધારે હતો, ત્યારે તેને દેશમાં ભાવવધારા માટે કારણભૂત ગણવામાં આવતો હતો. જો કે હાલમાં ફૂગાવાનો દર અત્યંત નીચો છે, તેમ છતાં જીવનજરૂરિયાતની વસ્તુઓનો ભાવવધારો કાબૂમાં આવ્યો નથી. તેથી પ્રશ્ન અવશ્ય ઉદભવે છે કે નકલી નોટોના નાપાક નેટવર્કને કારણે ભારતીય અર્થતંત્ર આવા ભાવવધારાને કાબૂમાં લેવાની ક્ષમતા ગુમાવી ચૂક્યું તો નથી ને?

આર્થિક આતંકવાદ થકી ભારતીય અર્થતંત્ર પર હુમલો કરીને તેની વિકાસ યાત્રા ખોરવવા માટે પાકિસ્તાન ઘણી બધી તૈયારીઓ કરીને બેઠું છે. પાકિસ્તાને લંડન સ્થિત કંપની પાસેથી નાણાંના છાપકામ માટેના સ્તરના કાગળો અને શાહીની મોટાપ્રમાણમાં આયાત કરી છે. જે તેની નોટો છાપવાની જરૂરિયાત કરતાં ઘણી વધારે છે. વળી આ કંપની પાસેથી ભારત પણ નાણાંના છાપકામ માટેની વસ્તુઓ મેળવે છે. ત્યારે પાકિસ્તાનનો હેતુ સ્પષ્ટ છે કે તે નકલી ભારતીય નાણું છાપીને પોતાના નાપાક ઈરાદાઓ પાર પાડવાની વેતરણમાં છે. ભારતીય ગુપ્તચર સંસ્થાઓની માહિતી પ્રમાણે, પાકિસ્તાનના બલુચિસ્તાનની રાજધાની ક્વેટાના સરકારી પ્રિન્ટિંગ પ્રેસ, કરાચીના સિક્યુરીટી પ્રેસ અને લાહોર તથા પેશાવરના અન્ય બે પ્રિન્ટિંગ પ્રેસમાં નકલી ભારતીય નાણું છાપવામાં આવી રહ્યું છે. ગત નવેમ્બર માસમાં થયેલા મુંબઈ હુમલા બાદ પોલીસની નકલી નોટો ઝડપવાની કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉત્તરપ્રદેશ, ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં નકલી નોટોનું પ્રમાણ વધારે હોવાના અખબારી અહેવાલો પણ પ્રકાશિત થયા છે. આરબીઆઈના આંકડાઓ પ્રમાણે, 18 જુલાઈ, 2008 સુધીમાં 6,03,000 કરોડનું નાણું ચલણમાં છે. તેની સામે 1,69,000 કરોડની નકલી નોટ હોવાના આઈબીના અહેવાલને કારણે કુલ ચલણી નાણાંની 28 ટકા જેટલી ચલણી નોટો નકલી હોવાનો અંદાજો લગાવાય છે. જે ભારતની આર્થિક સ્થિરતા સામે મોટો ખતરો છે. નકલી ભારતીય ચલણી નાણાં સંદર્ભે 2008માં સીબીઆઈએ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સ્તરે 13 જેટલાં કેસો નોંધ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે, જાન્યુઆરી અને ઓગસ્ટ,2008 વચ્ચે નકલી નોટો સંદર્ભે 1,170 કેસો નોંઘાયા છે, જ્યારે 2007માં 2,204 બોગસ નોટોના કેસો નોંધાયા છે. નકલી ચલણ દ્વારા આતંકવાદી પ્રવૃતિઓને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. હૈદરાબાદમાં 2007માં થયેલા ટ્વીન બ્લાસ્ટ, ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, બેંગલુરુ પરના હુમલા, અમદાવાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટો અને નવેમ્બર માસમાં થયેલા મુંબઈ હુમલાની તપાસમાં નકલી નોટોના નેટવર્ક સાથે આતંકવાદીઓના તાર ગાઢપણે જોડાયા હોવાનું ખુલ્યુ છે. નિશ્ચિતપણે આઈએસઆઈ ભારતમાં હોશિયારીપૂર્વક પ્રોક્સી વોર લડી રહી છે. તે એક તરફ આતંકવાદી હુમલા કરાવીને નિર્દોષોના લોહી વહેવડાવે છે, તો બીજી તરફ તે નકલી ભારતીય ચલણ દ્વારા નાણાં વ્યવસ્થાને આર્થિક આતંકવાદ થકી લોહીલુહાણ કરી રહી છે. આઈએસઆઈ દર વર્ષે આતંકવાદી પ્રવૃતિમાં 1,800 કરોડ રૂપિયાનું ફંડ ઉપલબ્ધ કરાવે છે. જેનો મોટો હિસ્સો નકલી ચલણ થકી પૂરો કરવામાં આવે છે.

મોટાભાગે નોટોની સત્યતા માટે 37 જેટલા સિક્યુરીટી ફિચર્સ ઉપલબ્ધ છે, પણ નકલી નોટોની સમસ્યાથી ત્રસ્ત ભારત દ્વારા તેમાંથી માત્ર આઠ સિક્યુરીટી ફિચર્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે નકલી ભારતીય નોટોનું છાપકામ વધારે સરળ બન્યું છે. કારણ કે જેટલા સિક્યુરીટી ફિચર્સ વધારે ઉપયોગમાં લેવાય તેટલું નકલી નોટો છાપવાનું કામકાજ મુશ્કેલ બને છે. જો કે છેલ્લે 2005માં નોટો પરના સિક્યુરીટી ફિચર્સને સુધારવામાં આવ્યા હતા. પણ હાલમાં ચલણમાં ફરતી નકલી નોટોને અલગ કરવી તાલીમબધ્ધ બેંકિંગ એજન્ટો માટે પણ માથાનો દુખાવો છે. જેના કારણે બેંકો અને એટીએમ દ્વારા આવી નકલી નોટોની ફેરવહેંચણી થવી આશ્ચર્યની વાત રહી નથી. હકીકતમાં મોટી કિંમતની નકલી નોટો કરતાં ઓછી કિંમતની નકલી નોટો ચલણમાં વધારે પ્રમાણમાં ફરી રહી છે. કારણ કે મોટી કિંમતની નોટો વધારે ચીવટથી તપાસાય છે. જ્યારે ઓછી કિંમતની નોટો પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, નેપાળ હાલમાં નકલી નોટોના ભારતમાં પ્રવેશ માટેનું મોટું હબ બન્યું છે. નેપાળથી ઉત્તરપ્રદેશમાં સિધ્ધાર્થનગર-મહારાજગંજ માર્ગે અને બિહાર થઈને એમ બે માર્ગે નકલી નાણું પ્રવેશે છે. 1000 રૂપિયાની નોટ 500થી 600માં અને 500 રૂપિયાની નોટ 300થી 400 રૂપિયામાં ઉપલબ્ધ થાય છે. આરોપીઓના જણાવ્યા પ્રમાણે, સો અને પચાસ રૂપિયાની નકલી નોટો પણ ઉપલબ્ધ છે. જો કે તેની પડતર કિંમત મોટી કિંમતની નોટોની સરખાણીએ વધારે હોય છે. જો કે નાની કિંમતની નોટોને ચલણમાં ફરતી કરવાનું સરળ હોવાની વાત તેઓ કબૂલે છે.

માત્ર નેપાળમાંથી જ નહીં, નકલી ભારતીય નાણું પાકિસ્તાન દ્વારા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની મદદથી બાંગ્લાદેશ, શ્રીલંકા અને દુબઈમાં પણ મોકલવામાં આવે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી થાર એક્સપ્રેસમાં પણ નકલી નાણાંની દાણચોરી થાય છે. ગુજરાતની દરિયાઈ અને ભૂમિ સરહદેથી મોટા પ્રમાણમાં નકલી નોટોની હેરાફેરી થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે. આ સિવાય દાઉદ ઈબ્રાહીમના દુબઈ ખાતેના નેટવર્કનો ઉપયોગ કરીને આઈએસઆઈ ત્યાં રહેતા એનઆરઆઈને પોતાના શિકંજામાં ફસાવીને નકલી નોટો ભારતમાં ઘૂસાડે છે. આ સિવાય થાઈલેન્ડ, મલેશિયામાંથી પણ નકલી નાણું ભારતમાં ઘૂસાડવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં જૈશે મહોમ્મદ તથા લશ્કરે તૈયબ્બા અને હુજી જેવા આતંકવાદી સંગઠનો દ્વારા નકલી નોટો ભારતમાં દાખલ કરાવાય. છે. ભારતમાં દાખલ થતી નકલી નોટોનો ખૂબ ઓછો હિસ્સો પોલીસની પકડમાં આવે છે. 2002માં 5.57 કરોડ, 2003માં 5.29 કરોડ, 2004માં 6.81 કરોડ રૂપિયાની નોટો ઝડપવામાં આવી હતી. આરબીઆઈના નિયમો પ્રમાણે, દર દસ લાખે સો રૂપિયાની 15 નકલી નોટો મળવી ગંભીર સ્થિતિને દર્શાવે છે અને હાલમાં આવી ગંભીર સ્થિતિ પ્રવર્તી રહી છે. આરબીઆઈના વાર્ષિક અહેવાલ પ્રમાણે, છેલ્લા ત્રણ વર્ષમાં 100 રૂપિયાની નકલી નોટો પકડાવવાનું પ્રમાણ ઘટીને 60 ટકા થયું છે. જ્યારે 500 રૂપિયાની નોટો પકડાવવાનું પ્રમાણ વધીને 75 ટકા અને 1000 રૂપિયાની નોટોનું પ્રમાણ વધીને 300 ટકા થયું છે. પંજાબ, ઉત્તરપ્રદેશ અને પુણેમાં નકલી નોટો ઝડપાવાનું પ્રમાણ બમણું થયું છે. વળી, ભારતમાં દાઉદના નેટવર્કનો પાકિસ્તાન ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે. હવે તો બેંક કર્મચારીઓને પણ નકલી ચલણના ફેલાવવા માટે પોતાની સાથે ભેળવવામાં આવી રહ્યાં છે. એસબીઆઈની દોમારીઆગંજની શાખાના ચીફ કેશિયર પાસેથી ચાર કરોડ રૂપિયાની નકલી નોટો ઝડપાઈ છે. નકલી નાણાંને સાર્વજનિક અને ખાનગી બેંકોના માધ્યમ થકી આઈએસઆઈના મળતિયાંઓ વ્યવસ્થિત રીતે અસલી નોટોમાં નકલી નોટો ભેળવીને દેશભરમાં ફેલાવી રહ્યાં છે.

નકલી નોટોનું નેટવર્ક દેશની સુરક્ષા માટે ખતરનાક છે. અસલી જેવી નકલી નોટો થકી ભારતમાં આતંકવાદીઓ પોતાનું નેટવર્ક અને લોજિસ્ટિક સપોર્ટ વધારી શકે છે. તેના માટે તેમને નકલી નોટો થકી નાણાંકીય સુવિધા ઉપલબ્ધ રહે છે. વળી આતંકવાદીઓ માટે ફંડ ઉપલબ્ધ કરાવતી આઈએસઆઈને ખાલી નકલી નોટો છાપવાનો જ ખર્ચ ઉઠાવવો પડે છે. નકલી નોટોના ધંધાની અવેજીમાં મળતા અસલી ભારતીય નાણાં થકી આતંકવાદી સંગઠનો માટે સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં તેમને સરળતા રહે છે. ઈન્ટેલિજન્સ અધિકારીઓના માનવા પ્રમાણે, પ્રોપર્ટી માર્કેટમાં નકલી નાણાંનું ચલણ વધારે છે. અહીં 30થી 60 ટકા પેમેન્ટ કાળાં નાણાંથી કરવામાં આવે છે. જેમાં નકલી ચલણનો છૂટથી ઉપયોગ કરાવાય છે.

નકલી નોટોના વધી રહેલા નેટવર્કથી દેશની પ્રજાનો વિશ્વાસ દેશના ચલણમાંથી ડગી રહ્યો છે. હાલમાં 500 કે 1000ની નોટો લોકો ભારે મુશ્કેલી અને ચીવટ દાખવીને હાથમાં પકડે છે. જો કે અસલી જેવી જ નકલી નોટોને ઓળખવી ભારે મુશ્કેલ છે. ભારતમાં આતંકવાદ ફેલાવવા સાથે ભારતીય અર્થતંત્રને હલબલાવી નાખવા માટે આઈએસઆઈનો દાવ સફળ થતો દેખાય રહ્યો છે. ત્યારે ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરીને ખર્ચાઓ પર કાપ રાખવાની વાત કરતા નાણાંપ્રધાન પ્રણવ મુખર્જી માટે નકલી નોટોના વિકસેલા તંત્રથી ભારતના અર્થતંત્રને બચાવવું એક મોટો પડકાર બની ગયો છે. એક તરફ જનતા કહેવાતી મંદીની અસર તળે મોંઘવારીની સમસ્યાથી પીડાઈ રહી છે, તો બીજી તરફ નકલી નોટોની બ્રહ્મજાળ મોં ફાડીને ઉભી છે. ત્યારે આસમાને પહોંચેલા ભાવોને નિયંત્રિત નહીં કરી શકવાની સરકારની મજબૂરી મજબૂત ગણાતા ભારતીય અર્થતંત્રની પાકિસ્તાનના નકલી નોટોના નેટવર્કથી ખોખલા થયાની ચાડી તો નથી ખાતી ને ? જો કે આરબીઆઈએ ભારતીય ચલણમાં સિક્યુરીટી મેજર્સ વધારવાનો નિર્ણય લીધો છે. સાથે 1996થી 2000 વચ્ચેની નોટો તબક્કાવાર ચલણમાંથી પાછી ખેંચીને નવી સિરીઝની નોટો ચલણમાં અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. જો કે પાકિસ્તાની સરકાર ઈંગ્લેન્ડ, સ્વીઝરલેન્ડ, અનને સ્વીડન પાસેથી નોટોની પ્રિન્ટીંગ સામગ્રી મોટા પ્રમાણમાં મેળવી રહ્યું છે. ત્યારે નકલી નોટોના સાત કોઠાને ભેદવા માટે કેન્દ્ર સરકારન આગવી ફૂલપ્રુફ યોજનાની જરૂર પડશે. કારણ કે નકલી નોટોના નેટવર્કનો સમગ્ર મામલો દેશની સુરક્ષા અને વિકાસ પ્રક્રિયા સાથે જોડાયેલો છે. પાકિસ્તાન દ્વારા ભારતમાં વિસ્તારવામાં આવેલા ફેક ઈન્ડિયન કરન્સી નેટવર્કને વિશેષજ્ઞો આર્થિક આતંકવાદ તરીકે જોઈ રહ્યાં છે. ત્યારે આતંકવાદને નાથવા માટે જેવી રીતે વિશેષ દળની જરૂર પડે છે, તેવી જ રીતે પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત આર્થિક આતંકવાદને નાથવા માટે સ્પેશ્યલ બેન્કિંગ એરેન્જમેન્ટસ અને મિકેનિઝમની જરૂર છે.