Wednesday, October 19, 2011

હિંસા-અહિંસાના ભેદ અને જનહિતને સમજવા જરૂરી


-આનંદ શુક્લ

ભારતમાં ઘણી જગ્યાએ મહાભારત એક સાથે નહીં વાંચવાનો રીવાજ છે. માનવામાં આવે છે કે મહાભારત એક સામટું વાંચી લેવાથી મહાભારત જેવી પરિસ્થિતિમાંથી વાંચનારા વ્યક્તિએ પસાર થવું પડે છે. મહાભારત એકસાથે વાંચવા સંદર્ભે આ અંધશ્રદ્ધા ભારતીય માનસને પ્રતિબિંબિત કરે છે. ભારતીય સમાજ દ્વાપર યુગમાં થયેલા ધર્મની સ્થાપના માટેના મહાભારતના યુદ્ધથી હજીપણ ડરી રહી છે. કુરુક્ષેત્રમાં લડાયેલા મહાભારત બાદ ભારત હવે નવા મહાભારત માટે તૈયાર નથી, મહાભારતમાંથી બચવા માંગે છે. ભારતમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, નક્સલવાદ, કટ્ટરતાવાદ અને ન જાણે કેટ-કેટલી સમસ્યાઓ છે. અધર્મ દેશમાં ચારેતરફ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં દેશમાં મહાભારત થવું જ જોઈએ. પરંતુ તેના માટે કોઈ તૈયાર નથી, બધાં મહાભારતથી ડરી રહ્યાં છે. મહાભારત ભારતની આજની પરિસ્થિતિમાં કેટલું પ્રાસંગિક છે, તે શોધવાનો અને ચર્ચા કરવાનો હિંમતભર્યો પ્રયાસ કરવાનો અત્યારે વખતે છે. મહાભારતથી ભાગવામાં આવશે, તો જીવનનો આધાર ધર્મ ક્યારેય સંસ્થાપિત થઈ શકશે નહીં.

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે જ્યારે પાંડવો અને કૌરવોની સેના એકબીજા સામે મોરચો માંડીને ઉભી હતી. ત્યારે અર્જૂને બંને સેનાની વચ્ચે શ્રીકૃષ્ણને રથ લેવાનું કહ્યું. અર્જૂને કૌરવ સેનામાં સ્વજનો અને ગુરુજનો જોયા. અર્જૂનના ગાત્રો શિથિલ થઈ ગયા. ગાંડિવ તેના હાથમાં સરવા લાગ્યું. અર્જૂનને ઘોર પરિતાપ થયો. અર્જૂને ગાંડિવ હાથમાંથી છોડી દીધું અને કૃષ્ણને કહ્યું કે સ્વજનોના રક્તથી ખરડાયેલું રાજ્ય તેને ખપશે નહીં. આમ કરવાના બદલે તે ભિક્ષા માંગીને પોતાનું જીવનયાપન કરશે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જૂનને આપદ ધર્મ સમજાવા માટે રણભૂમિની વચ્ચોવચ શ્રીમદ ભગવત ગીતાનો ઉપદેશ આપ્યો. કૃષ્ણે અર્જૂનને કહ્યું કે યુદ્ધ કર, નપુંસક ન બન, તારા ક્ષાત્રધર્મનું પાલન કર. ગાંડિવ ઉઠાવ અને યુદ્ધ કર. શ્રીમદ ભગવત ગીતા અર્જૂનને યુદ્ધ માટે પ્રેરીત કરવા માટે ઉદબોધવામાં આવી હતી. પરંતુ આ ભગવત ગીતા ભારતમાં અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીનો પ્રેરણાસ્ત્રોત હતી. મહાત્મા ગાંધી કહેતા હતા કે તેમના જીવનમાં ડગલેને પગલે આવેલી મુસીબતોનો ઉકેલ તેમને ગીતામાંથી મળે છે. આમ ગીતા મહાભારતની પ્રેરણા પણ બની શકે છે અને મહાત્મા ગાંધીની પ્રેરણા પણ બની શકે છે. ત્યારે પ્રશ્ન અવશ્ય થાય કે યુદ્ધ-હિંસા માટે અર્જૂનને પ્રેરીત કરનારી ગીતા અને ગાંધીજીમાં કોઈ વિરોધનું તત્વ છે?

લોકો કોઈપણ દેશહિત, રાષ્ટ્રહિત અને સમાજહિતની વાતમાં ગાંધીજીની અહિંસાની વાતને વિકૃત રીતે આગળ કરીને સમગ્ર મામલાને બગાડી રહ્યાં છે. પરંતુ ગાંધીજીની અહિંસાને વિકૃત કરનારા તેમના હિંસક અનુયાયીઓને ખબર હોવી જોઈએ કે ગાંધીજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા. મૃત્યુની ક્ષણે પણ હે રામ કહીને તેમણે પોતાનો દેહત્યાગ કર્યો હતો. ગાંધીજી અને કરોડો ભારતીયોના આરાધ્ય ભગવાન શ્રીરામે ધનુષ્ય ધારણ કરી રાખ્યું છે. તેમણે શરભંગના આશ્રમમાં પ્રતિજ્ઞા પણ કરી હતી કે નિસચર હીન કરો મહી, ભુજ ઉઠાયે પ્રણ કીન. એટલે કે સમગ્ર સૃષ્ટિને નિશાચરોવિહીન કરી દઈશ. (ભોપાલથી 10 કિલોમીટર દૂર રાક્ષસહાંડા કરીને જગ્યા છે. આ સ્થાન પર ઋષિઓના હાડકાંના ઢગલા જોઈને ભગવાન શ્રીરામે ભારતમાતાની ચરણરજ લઈને પ્રતિજ્ઞા કરી હતી કે આખી પૃથ્વીને રાક્ષસવિહોણી કરી દઈશ.) 1962માં ચીન સામેના યુદ્ધમાં મળેલી હાર બાદ ભારતીયોને લાગી રહ્યું છે કે હિંસા અને અહિંસાને સમજવામાં ભારે ભૂલ થઈ છે. કૃષ્ણ પણ અહિંસાને પરમ ધર્મ માનતા હતા. તેમાં કોઈ શંકાને કારણ નથી, કારણ કે તેમણે મહાભારતને રોકવા માટે દૂર્યોધન સાથે શાંતિવાર્તા કરી હતી. પરંતુ જ્યારે આક્રમણખોરો શસ્ત્રો સાથે આપણી પર હુમલો કરે અને તે સમયે આપણે બળપૂર્વક શસ્ત્રથી આત્મરક્ષણ કરીએ તો શું તેને હિંસા કહી શકાય? બળપ્રયોગથી આત્મરક્ષણ અને હિંસામાં કોઈ અંતર છે કે નહીં?

આત્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, દેશરક્ષા, સમાજરક્ષા અને સમ્માનરક્ષા માટે બળપ્રયોગ કરવો હિંસા કેવી રીતે છે? આ ઉદ્દાત હેતુ માટે બળપ્રયોગ કરવાની મનાઈ કરનારા પેઢીને નપુંસક બનાવવાનું કામ કરે છે. આપણે ત્યાં પ્રચલિત થયું છે કે હિંસા પાપ છે. પરંતુ આત્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, દેશરક્ષા, સમાજરક્ષા અને સમ્માનરક્ષા માટે થનારો બળપ્રયોગ અને તેનાથી થનારી હિંસા કેવી રીતે કોઈ પાપ થાય છે? મચ્છર મારીશું તો પણ હિંસા થઈ જશે, માટે મચ્છર પણ ન મારવા જોઈએ! ત્યારે પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ કે કૃષ્ણ અને ગાંધી, ગાંધી અને ગીતામાં એકબીજા માટે કોઈ વિરોધ છે? જો તે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનો પ્રસંગ આવે, તો શું એકનો તિરસ્કાર કરવો પડશે? કૃષ્ણની નીતિ અને ગાંધીની નીતિમાં ક્યાંક સામંજસ્ય છે કે નહીં? આપણે શોધી શકીએ કે ન શોધી શકીએ, પણ હકીકત છે કે તે બંનેમાં સામંજસ્ય તો છે. જો આમ ન હોત, તો ગાંધીજી ગીતા કેમ વાંચત, દરરોજ તેનું પઠન શા માટે કરત!

ભારતીય સંસદમાં નોબલ પુરષ્કાર વિજેતા વિખ્યાત અર્થશાસ્ત્રી અમાર્ત્ય સેને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે “કૃષ્ણની ધર્મસ્થાપનાની નીતિમાં જો આપણે જોઈશું તો વિનાશ છે. જો કૃષ્ણના ઢંગથી ધર્મની સ્થાપના કરવામાં આવશે તો ઘણાં લોકો માર્યા જશે. માટે હું કૃષ્ણના પક્ષમાં નથી.” પરંતુ કૃષ્ણના પક્ષમાં ન રહીને અમાર્ત્ય સેન મનુષ્યને બચાવવા માટે ધર્મની હત્યા કરી રહ્યાં છે. ધર્મની સ્થાપના માટે શ્રીકૃષ્ણ જો જીવનો વધ કરવો પડે, તો તેના માટે પણ તૈયાર છે. કારણ કે ધર્મ જ જીવનને ધારણ કરે છે. જો જીવોને બચાવવા, મનુષ્યને બચાવવા માટે ધર્મની હત્યા કરવામાં આવે અને અધર્મની સ્થાપના થઈ જશે તો તેના પછી જીવ, કોઈ જીવન, કોઈ મનુષ્ય કેવી રીતે બચી શકશે? માટે અમાર્ત્ય સેનની કૃષ્ણની ધર્મ સ્થાપનાની નીતિ સાથે અસંમત થવાની વાતથી સંમત થઈ શકાય તેમ નથી.

સીબીઆઈના ભૂતપૂર્વ નિદેશક જોગિન્દર સિંહે 11 સપ્ટેમ્બરના પોતાના એક લેખમાં કહ્યું છે કે ભારતની છબી ચારે બાજૂ એક દબ્બુ, એક ભીરુ, એક દુર્બળ અને ડરપોક રાષ્ટ્રની છે. માટે ન તો અપરાધીઓને ભારતની સરકારનો, ભારતનો ભય છે અને ન આપણા શત્રુઓને પણ આવો ભય નથી. આપણા શત્રુઓ, જેને તમે આતંકવાદી કહો કે બીજું કંઈપણ તેઓ પણ નિરંતર શક્તિશાળી થઈ રહ્યાં છે. ચીનને ભારતનો કોઈ ભય નથી, તે પોતે ઈચ્છશે તેમ જ કરશે. પાકિસ્તાનને પણ કોઈ ડર નથી. કેવી વિડંબણા છે કે શારદા, ચૈત્રી નવરાત્રીમાં શક્તિની ઉપાસના કરનારો સમાજ શક્તિહીન બને!!

અર્જૂન દ્વારા મહાભારતના ઈન્કારને જરા વિનોબાની દ્રષ્ટિથી જોઈએ. આચાર્ય વિનોબાના મતે જ્યારે અર્જૂન કહી રહ્યો છે કે તે યુદ્ધ કરવા ઈચ્છતો નથી. ત્યારે તે અહિંસાની વાત કરી રહ્યો નથી. અર્જૂન મહાભારતના ઈન્કાર વખતે અહિંસાથી પ્રેરીત નથી. અર્જૂન તે વખતે સ્વજનો પ્રત્યે આસક્ત છે અને તેના કારણે મહાભારતનું યુદ્ધ લડવાનો ઈન્કાર કરી રહ્યો છે. અર્જૂનના યુદ્ધ ઈન્કારનું કારણ સ્વજનાસક્તિ છે. વિનોબા કહે છે કે જે આપણે કરવા ઈચ્છતા નથી, તેને આપણે સિદ્ધાંતોના ખૂબ સરસ આવરણથી ઢાંકી દઈએ છીએ. જોગિન્દર સિંહ પોતાનો ઉપરોક્ત લેખમાં પુછે છે કે ક્યાં લોકો છે કે જે ભારતના દુશ્મન એવા આતંકવાદીઓને બચાવવા માંગે છે? ત્યારે વિચારવું પડે કે કોણ સ્વજન છે અને કોણ દુર્જન છે.

કેરળની વિધાનસભામાં આતંકવાદી વિસ્ફોટમાં સામેલ મદનીની તરફેણમાં પ્રસ્તાવ પારીત થયો, તેને બચાવવામાં આવ્યો. તમિલનાડુ વિધાનસભાએ રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીની સજા વિરુદ્ધ પ્રસ્તાવ પારીત કર્યો. કાશ્મીર વિધાનસભામાં સંસદ પરના હુમલાના ગુનેગાર અફઝલ ગુરુની ફાંસીની સજા રોકવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. પરંતુ હંગામાને કારણે તે પસાર થઈ શક્યો નહીં. પંજાબ વિધાનસભામાં પણ 1993ના વિસ્ફોટોના ગુનેગાર દેવિન્દરસિંહ ભુલ્લરની ફાંસી રોકવા માટે પ્રસ્તાવ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. આપણી સામેના આ ઉદાહરણો પરથી વિચાર કરવો જોઈએ કે ફાંસી પામેલા લોકો કોણ છે, તે કોના સ્વજન છે અને તેમને બચાવવા માટે ક્યાં લોકો આગળ આવ્યા છે? આ ફાંસી પામેલા લોકોને કોણ સ્વજન માને છે? આ ફાંસી પામેલા લોકોને સ્વજન માનનારાનો આ દેશ હોઈ જ ન શકે. આ દેશના લોકો ફાંસી પામનારા ઉપરોક્ત આરોપીઓના સ્વજન નથી. આપણે જોવું પડશે કે જે લોકો આપણા જનપ્રતિનિધિ બનીને કામ કરી રહ્યાં છે, તેઓ શું કરી રહ્યા છે?

સાંસદ અને ધારાસભ્યો પ્રતિનિધિ શબ્દનો દુરુપયોગ કરી રહ્યાં છે. આખરે સ્વામી વિવેકાનંદને ભારતના પ્રતિનિધિ તરીકે ચૂંટીને કોણે વિદેશ મોકલ્યા હતા? ગાંધીજીને કોણે ચૂંટયા હતા? રવિન્દ્રનાથ ઠાકુર કોઈ ચૂંટણીમાં ઉભા રહ્યા ન હતા, તો શું તેઓ આપણા પ્રતિનિધિ નથી? પ્રશ્ન ઉઠે છે કે આપણે આપણા પ્રતિનિધિ કોને કહેવા? માત્ર એક વખત વોટ મેળવીને કોઈપણ રીતે ચૂંટાઈને સંસદ કે ધારાસભામાં બેસી ગયા એટલે શું તેઓ લોકોના પ્રતિનિધિ બની ગયા? આપણું પ્રતિનિધિત્વ એ કરી શકે કે જે આપણી ભાવનાઓ સાથે સામંજસ્યતા ધરાવે છે. આ દેશની ભાવના સાથે સામંજસ્ય ધરાવતા વાલ્મિકીને તો કોઈ ચૂંટણીમાં જીત્યા ન હતા. છતાં તેઓ આપણા પ્રતિનિધિ છે. પ્રતિનિધિ બનવા માટે વ્યાસને કોઈ ચૂંટણીમાં ઉભા રહેવાની જરૂર પડી નથી. રામ, કૃષ્ણ, વિવેકાનંદ જેવાં આ દેશની ભાવના સાથે સામંજસ્યતા ધરાવતા લોકો જ આ દેશના પ્રતિનિધિ છે. આવી ભાવના ધરાવતા લોકો આગળ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પ્રતિનિધિ થવાનો અર્થ છે કે આ દેશના હિતમાં, આ દેશના લોકોના હિતમાં, જે કામ કરે અને જ્યાં સુધી કરે ત્યાં સુધી તેઓ આપણા પ્રતિનિધિ છે. જ્યારે પ્રતિનિધિ આપણી અને આપણાં લોકોની ભાવના પ્રમાણે કામ ન કરે, તે ક્ષણથી જ તે આપણું અને આપણા લોકોનું પ્રતિનિધિત્વ ગુમાવે છે.

ત્યારે આપણી સામે ઉભી થયેલી પરિસ્થિતિમાં આપણે વિચારવું પડશે કે કોણ આપણા પ્રતિનિધિ છે અને કોણ નથી, કઈ બાબત હિંસા છે અને કઈ અહિંસા છે, શું કોમવાદ છે અને શું સેક્યુલરવાદ છે, આપણે આ તમામ બાબતો પર પુનર્વિચાર કરવો પડશે. આ બધી બાબતોને કોઈ સ્થાપિત હિતો માટે વિકૃત કરવામાં આવી હશે, તો આને વિકૃત કરનાર બાબતોને આવી અવધારણાથી અલગ કરવી પડશે. આપણને જે પરિભાષાઓ આપવામાં આવી છે, તેનો સ્વીકાર કરીને માત્ર તેના રસ્તા પર ચાલવાનું નથી, કારણ કે તે આપણા હિતમાં નથી, તે આપણા સમાજના હિતમાં નથી, તે આપણા રાષ્ટ્રના હિતમાં નથી, તે આપણા દેશના હિતમાં નથી.

(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસે નાગપુરના રેશિમ બાગમાં આયોજીત સમારંભમાં નરેન્દ્ર કોહલી દ્વારા થયેલા ઉદબોધન પરથી)

No comments:

Post a Comment