
- આનંદ શુક્લ
વિવાદના વંટોળમાં ભારતના રાષ્ટ્રહિતો મરી રહ્યાં છે. દેશના રાજકીય પક્ષોને પોતપોતાની વોટબેંક સાચવવા સિવાય અન્ય કોઈ વાતની પરવાહ નથી. રાજનીતિનું લક્ષ્ય માત્ર અને માત્ર સત્તાપ્રાપ્તિ રહ્યું છે. રાજનીતિમાં રાષ્ટ્રસેવા, સમાજસેવા અને જનસેવા ગેરહાજર છે. રાજકીય પક્ષો અને નેતાઓની સ્વહિત સાધના રાષ્ટ્રને બેહદ નુકસાન પહોંચાડી રહી છે. દેશની સંસદમાં દેશહિત અને રાષ્ટ્રહિતની મોટાભાગે વિવાદો કરીને અવહેલના કરવામાં આવી છે. આતંકવાદ, કોમવાદ, નક્સલવાદ, પાકિસ્તાન, કાશ્મીર, ચીન, અમેરિકા સાથેના સંબંધો, ભ્રષ્ટાચાર, ભૂખ, ગરીબી, બેકારી જેવાં ઘણાં બધાં મુદ્દાઓ પર કોઈપણ પ્રકારની રાષ્ટ્રીય નીતિનો અભાવ છે. આ તમામ મુદ્દા રાષ્ટ્રનીતિના નહીં, રાજનીતિના ભાગ બની ગયા છે. લોકોની ઝંખના છે કે તેમને સારું, સ્વસ્થ અને સુરક્ષિત જીવન મળે. પણ સ્વહિત સાધનાથી સત્તાપ્રાપ્તિ માટેના લક્ષ્યમાં લાગેલા રાજકીય પક્ષો અને નેતાઓ લોકોની આવી કોઈ લાગણીને માન આપી રહ્યાં નથી.
દિલ્હીમાં 7મી સપ્ટેમ્બર, 2011ના રોજ હાઈકોર્ટના ગેટ નંબર-5 પર વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ વિસ્ફોટ ભારતનું ભાગ્ય બની ગયું છે. એથી વધારે દુર્ભાગ્ય છે કે બે દશકાથી આતંકવાદથી પીડિતા ભારત પાસે તેનો સામનો કરવાની કોઈ રાષ્ટ્રીય નીતિ નથી, કોઈ કડક કાયદો નથી અને રાજકીય પક્ષો પોતપોતાની ટ્યૂન વગાડીને રાજનીતિ કરી રહ્યાં છે. શું 26/11 બાદ આતંકના ભયાવહ ચહેરાને જોયા પછી ભારતીય સંસદ એક વિશેષ સત્ર આતંકવાદ સામેની રાષ્ટ્રીય નીતિ ઘડવા માટે કોઈ વિશેષ સત્ર બોલાવીને ચર્ચા ન કરી શકે? પણ દેશનું દુર્ભાગ્ય છે કે વિવિધ રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો પોતપોતાની જવાબદારીઓ ભૂલી જાય છે.
યુપીએ-1ના સમયગાળામાં સૌથી પહેલું કામ આતંકવાદ વિરોધી કાયદો પોટાને હટાવવાનું થયું હતું. આ કામ તેમણે કોઈ રાષ્ટ્રહિતમાં કર્યું ન હતું, પરંતુ મુસ્લિમોને હેરાનગતિ થઈ રહી હોવાના આક્ષેપ સાથે તેમણે પોટાને હટાવ્યો હતો. વિચાર કરો કે જ્યારે આતંકવાદથી દુનિયા ત્રસ્ત હોય, અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધ્વસ્ત થયા હોય અને ભારતની સંસદ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયત્ન થયો હોય, ત્યારે પોટા જેવા કડક આતંકવાદ વિરોધી કાયદાને હટાવી દેવો કેટલું તર્કસંગત લાગ છે? આતંકવાદની રાજનીતિ તો પાકિસ્તાન ભારતમાં કરી રહ્યું છે, પરંતુ ભારતના રાજકારણીઓ આતંકવાદ પર રાજનીતિ કરી રહ્યાં છે. મુસ્લિમ વોટબેંકને છાવરવાની રાજનીતિ આતંકવાદના મુદ્દે મહત્વની બની છે. આતંકવાદ સામે કડક કાયદાનો વિરોધ કરનારાઓનો તર્ક હતો કે કાયદો ઘડવાથી કંઈ આતંકવાદ રોકાવાનો નથી અને ભારત પાસે પુરતા કાયદા છે કે તેના દ્વારા આતંકવાદનો સામનો થઈ શકે છે. ત્યારે સવાલ એ છે કે દેશમાં બે દાયકાથી આતંકવાદ શા માટે કાબૂમાં આવતો નથી? દેશમાં 26/11ની ઘટના પછી પણ કોઈ બોધપાઠ શા માટે લેવામાં આવ્યો નથી? શું જેલમાં બેસીને મટન-બિરયાની ખાઈ રહેલા અફઝલ ગૂરુ અને કસાબને જોઈને કોઈ આતંકવાદ વિરોધી કડક કાયદાની અને ન્યાયપ્રણાલીને વધારે ઝડપી બનાવવાની જરૂરત દેખાતી નથી?
ખરેખર આતંકવાદના મુદ્દે વિવિધ તર્કોથી લોકો તંગ આવી ગયા છે. કોઈ કહે છે કે આતંકવાદને ધર્મ હોતો નથી, કોઈ કહે છે કે આતંકવાદનો કોઈ રંગ હોતો નથી, કોઈ કહે છે કે આતંકવાદ સામે કોઈ કડક કાયદાની જરૂરત નથી, કોઈ કહે છે કે આતંકવાદનું કારણ ગરીબી, બેકારી અને શિક્ષણનો અભાવ છે, કોઈ કહે છે કે આતંકવાદ ગેરમાર્ગે દોરાયેલાઓનું કૃત્ય છે. ત્યારે જનતા જાણવા કંઈક જાણવા ઈચ્છે છે. ભારતમાં કેટલા પ્રકારના આતંકવાદ અસ્તિત્વમાં છે? તેમનું હાલનું સ્ટેટસ શું છે? આ તમામ આતંકવાદનું કારણ શું છે? દેશમાં આઝાદી બાદ કેટલાં આતંકવાદી હુમલા થયા? આ આતંકવાદી હુમલા ક્યારે અને ક્યાં ઠેકાણે થયા? આ હુમલા પાછળનો ઉદેશ્યોની સરકારને તપાસ બાદ જાણ થઈ છે? આ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની સંખ્યા શું હતી? આ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના નામ જાહેર કરો? આ દરેક આતંકવાદી હુમલા બાદ સહાયતા રાશિ કેટલી અને કેવી રીતે ચુકવવામાં આવી? આ આતંકવાદી હુમલા બાદ સરકારે ક્યાં પગલાં લીધા? આ આતંકવાદી હુમલાની તપાસનું સ્ટેટસ શું છે? આ આતંકવાદી હુમલાની ઘટનામાંથી કેટલાંમાં ગુનેગારોને સજા થઈ? આતંકવાદીઓને સજા થયા પછી તેનો અમલ કેટલા કિસ્સામાં થયો? આતંકવાદ સામે લડવામાં દેશની રાષ્ટ્રીય નીતિ શું છે?
આતંકવાદી હુમલાઓ બાદનું રાજકીય વાતાવરણ હંમેશા જણાવે છે કે આવા કોઈપણ સવાલોના જવાબ દેશના નેતાઓ પાસે નથી અને જનતાની સંવેદનાઓને એટલી મૂઢ બનાવી દેવામાં આવી છે કે તેઓ આવા કોઈ પ્રશ્નોનો જવાબ પુછી શકે તેવી સ્થિતિમાં નથી.
આ સિવાય દેશમાં કોમવાદી રાજકારણ ચાલી રહ્યું છે. કોમવાદનો એવો અર્થ નથી કે બહુમતીને છાવરવા જ કોમવાદ ગણાય. કોમવાદ તો લઘુમતી-મુસ્લિમ અને ખ્રિસ્તીઓને છાવરવા પણ છે. પરંતુ દેશના કર્મશીલો અને રાજકારણીઓ આ વાતને ભૂલી જાય છે. જેના કારણે દેશના બહુમતી સમાજમાં પણ પ્રતિક્રિયાઓ, આશંકાઓ અને તણાવ ઉભો થાય છે. ભારતના બંધારણે કાયદાને તમામ માટે સમાન અને કાયદા સામે તમામ સમાન હોવાની વાત ભારપૂર્વક કરી છે. દેશના દરેક વ્યક્તિને મૂળભૂત અધિકારો આપ્યા છે. પરંતુ સાથે સાથે વિશેષ અનુચ્છેદ દ્વારા લઘુમતીઓને સંરક્ષણ પણ આપ્યું છે. જો કે આ સંરક્ષણને સંરક્ષણ ન રહેવા દઈને દેશના રાજકીય નેતાઓએ લઘુમતી તુષ્ટિકરણનો હાઈવે બનાવી દીધો છે. દેશને આઝાદી મળી, તેની સાથે જ વિભાજનનું દુ:ખ પણ મળ્યું. આ દુ:ખ ક્યાં કારણોથી મળ્યું, તેની કોઈ ચર્ચા વ્યવસ્થિત રીતે જનતા સમક્ષ કરવામાં આવી નથી. દેશમાં મુસ્લિમ લીગના કોમવાદી રાજકારણે પાકિસ્તાનની પેદાશ કરી છે. આ વાતને ગમે તેવા રૂપાળા તર્કો અને તથ્યોને વિક્ષેપિત કરીને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવે, પણ તે વધારે સમય સુધી છુપાય શકે તેમ નથી.
દેશનું સુપર કેબિનેટ નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ દેશના કોમવાદથી ઘણી બધી રીતે પરેશાન છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી નેશનલ એડવાઈઝરી કાઉન્સિલે પ્રિવેન્સન ઓફ કોમ્યુનલ એન્ડ ટાર્ગેટેડ વાયોલન્સ એક્ટ-2011 બનાવ્યો છે. પરંતુ તે બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધનો કાયદો છે. વળી તે કાયદા સામે તમામને સમાન અને તમામ માટે કાયદાને સમાન ગણવાની મૂળ ભાવનાનો છેદ ઉડાડી રહ્યો છે. આ કાયદા પ્રમાણે કોમવાદી અને લક્ષિત હિંસા માટે માત્ર અને માત્ર બહુમતી સમાજ એટલે કે આ દેશનો હિંદુ જ જવાબદાર છે. નેશનલ એડવાઈઝરી કાઉન્સિલનું આ ફેક્ટ ફાઈન્ડિંગ કેટલું ભયંકર છે, તેનો અંદાજો લગાવતા વિશેષજ્ઞોને કંપકપી છૂટી જાય છે. આ કાયદો સમાજનું કેટલી હદે વિઘટન કરશે, તેની તેના બનાવનારને ખબર નથી.
ત્યારે સવાલ એ છે કે દેશમાંથી કોમવાદનું નિર્મૂલન કરવું છે કે તેના પર રાજકારણને છૂટોદોર આપવો છે? જો દેશમાં કોમવાદના નિર્મૂલનની દિશામાં કંઈક વિચાર કરવો હોય, તો દેશની સરકારે થોડા સવાલોના જવાબ સાર્વજનિક કરવા જોઈએ. ભારતના વિભાજન માટે ક્યાં પરિબળો અને કોની રાજનીતિ જવાબદાર હતી? આઝાદ ભારતમાં કોમી અને લક્ષિત હિંસાના કેટલાં બનાવો બન્યા? આ બનાવો ક્યારે અને કઈ જગ્યાએ બન્યા? તેની પાછળના સંભવિત કારણો ક્યાં હતા? કોમી અને લક્ષિત હિંસાની ઘટનામાં માર્યા ગયેલાઓ અને ઘાયલોના નામ ઘટનાવાર જાહેર કરવામાં આવે? આવી ઘટનાઓમાં મૃતકો અને ઘાયલોને ચુકવવામાં આવેલી સહાયતા રાશિઓને ઘટનાવાર નામ સાથે જાહેર કરવામાં આવે? કોમી અને લક્ષિત હિંસાની ઘટનાઓ સંદર્ભે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વલણોને જાહેર કરવામાં આવે? આવી કેટલી ઘટનાઓની તપાસ તેના અંજામ સુધી પહોંચી? આવી ઘટનાઓ બાદ કેટલાં લોકોની ધરપકડ કરવામાં આવી અને તેમાથી કેટલાં લોકોને સજા થઈ તે ઘટનાવાર દર્શાવવામાં આવે. શું ભારતમાં આતંકવાદ અને કોમવાદી ઘટનાઓ વચ્ચે કોઈ આંતરસંબંધ છે?
આ સવાલોના જવાબ મળે તો જાણી શકાય કે દેશમાં કોમવાદ કેમ છે? તેના માટે કોણ મોટાભાગે જવાબદાર છે? આવી ઘટનાઓ કેવી રીતે થાય છે અને તેમાં સજા અને સહાયતા કેવી રીતે થાય છે? ત્યાર બાદ જો તો કોઈ કાયદો બનાવી શકાય. પણ આ બાબતોની ચર્ચા કર્યા વગર તેને ધ્યાન પર કાયદો બનાવીને હિંદુઓને કોર્ટની કાર્યવાહી વગર દોષિત ઠેરવી દેવા કેટલી હદે વ્યાજબી છે? ભારતમાં આતંકવાદ અને કોમવાદ વચ્ચે સંબંધ હોવાની વાત ઘણાં કિસ્સાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામે આવી છે. ત્યારે શું કોમવાદ અને લક્ષિત હિંસા સંદર્ભે મુસ્લિમોને તોફાન કરવાનો પરવાનો આપતા કાયદાથી આતંકવાદને રોકવા માટેનું લક્ષ્યાંક સિદ્ધ કરી શકાશે?
આના સિવાય પણ હિંદુઓની ધાર્મિક લાગણીઓની કોઈ દરકાર કરવામાં આવતી નથી. હિંદુઓ ગાયને માતા ગણે છે અને હિંદુઓમાં ગોમાંસ વર્જ્ય છે. ત્યારે ગોહત્યાને રોકવા માટે દેશવ્યાપી કડક કાયદા બનાવવાની કોઈ હિલચાલ કરવામાં આવતી નથી.બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ગોહત્યા પ્રતિબંધક કાયદાની ભલામણ કરવામાં આવી છે. પરંતુ જે રાજ્યોમાં ગોહત્યા પ્રતિબંધક કાયદા છે, ત્યાં કાયદાનો કડકાઈથી અમલ થઈ રહ્યો નથી.
હિંદુ ધાર્મિક સ્થાનો અને ટ્રસ્ટો પર સરકારની ગીધદ્રષ્ટિ છે. જ્યારે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મસ્થાનો અને ટ્રસ્ટોને વિશેષાધિકાર આપી દેવાયા છે. કર્ણાટક જેવાં રાજ્યમાં ભાજપની સરકારે જ મંદિરોનો વહીવટ પોતાના હસ્તગત લઈ લીધો છે. વળી મંદિરોની દાનની આવક હિંદુ ધાર્મિક કાર્યો માટે જ વપરાય તેવી કોઈ ચોકસાઈ રાખવામાં આવતી નથી. મંદિરોની આવકને હજની સબસિડી, મદરેસાઓ અને અન્ય ધર્મના કામમાં પણ વાપરવામાં આવે છે. ત્યારે હિંદુઓ પોતાના ધાર્મિક સ્થાનો, મંદિરો અને ટ્રસ્ટોમાં દાન કરીને ધાર્મિક પ્રવૃતિઓ કેવી રીતે ચલાવી શકશે? તેનો કોઈ અર્થ કેવી રીતે રહેશે?
આ દેશનો આત્મા હિંદુત્વ છે. પરંતુ દેશનું શાસન સેક્યુલર માળખાં નીચે ચાલી રહ્યું છે.આમા દેશમાં તમામ ધર્મની સાથે સમાન વ્યવહાર કરવો સરકારની ફરજ છે. પરંતુ સરકાર તેમ કરી રહી નથી. તેની વધુ સાબિતીઓ ઉપરોક્ત સવાલોના જવાબો જાહેર થયા બાદ આપોઆપ લોકો સામે સ્પષ્ટ બનશે.સેક્યુલારિઝ્મની વિકૃત વ્યાખ્યા કરવી આ દેશની મુસ્લિમ વોટબેંક માટે લાળ ટપકાવતા નેતાઓ માટે સામાન્ય વાત છે. દેશમાં હિંદુઓને જ પીડિત બનાવીને અન્ય પંથ-સંપ્રદાય-મજહબોને વિશેષ લાભો આપીને તુષ્ટિકરણ કરીને દેશના સોશ્યલ એન્જિનિયરિંગ સાથે ભયાનક અને ભાગલાવાદી પ્રયોગ થઈ રહ્યો હોય તેમ લાગતું નથી? દેશ માટે સેક્યુલારિઝ્મની વિકૃત વ્યાખ્યા, વિકૃત વ્યવહાર તમામ પ્રકારે અને સ્તરે ખતરનાક પુરવાર થયો છે અને થતો રહેશે.ત્યારે જરૂરી છે કે દેશની જનતા સ્વયંભૂ જાગૃત બનીને દેશના નેતાઓ અને રાજકારણીઓને વિકૃત સેક્યુલારિઝ્મનો માર્ગ છોડાવા માટે અભૂતપૂર્વ દબાણ ઉભું કરે, રાષ્ટ્રહિતમાં રાષ્ટ્રીય નીતિઓ બનાવવા માટે દબાણ કરે.જો દેશની તમામ સમસ્યાનો અભ્યાસ કરવામાં આવે,તો તેમાંથી મોટાભાગની સમસ્યાઓના મૂળમાં વિકૃત સેક્યુલરોની સેક્યુલારિઝ્મના નામે આચરવામાં આવેલી વિકૃતિઓ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો