શુક્રવાર, 9 સપ્ટેમ્બર, 2011

આતંકવાદના મુદ્દે બશર્મોની બેશરમી


- આનંદ શુક્લ

એક વખતની આતંકવાદી ઘટના બાદ બીજી આતંકવાદી ઘટનાની રાહ જોવાની ભારત સરકારને ટેવ પડી ગઈ છે. આતંકવાદથી દેશ છેલ્લા બે દશકાથી લહુલુહાણ છે અને યુપીએ સરકાર પાસે આતંક સામે લડવાની કોઈ સ્પષ્ટ રાષ્ટ્રીય નીતિ અને રણનીતિ નથી. વડાપ્રધાન અને ગૃહમંત્રી પોતાની ઘસાયેલી રેકોર્ડ વગાડતા રહે છે. તો સુબોધકાંત સહાય જેવા બેજવાબદાર કેન્દ્રીય મંત્રીઓ પીડિતોના લોહી અને સ્વજનોના આંસુ પર પોતાની ઓકાત બતાવી રહ્યાં છે. આતંકવાદના મુદ્દા પર રાજનીતિની નીચ કોશિશ ભારતીય રાજકારણનું કલંક છે. પરંતુ ભારતના રાજકારણમાં આતંકવાદના મુદ્દે રાજનીતિને રાષ્ટ્રનીતિમાં ફેરવવા માટે સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ ભેગા મળીને કોઈ પ્રયત્ન કરતાં નથી.

યુપીએ-1 સરકાર જ્યારે સત્તામાં આવી તો તેમણે સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ પોટા નામનો આતંકવાદ વિરોધી કાયદો સંસદમાં રદ્દ કરાવ્યો હતો. તે વખતે તર્ક હતો કે આતંકવાદ કંઈ કાયદાથી રોકાવાનો નથી અને ભારતના પ્રવર્તમાન કાયદા આતંકવાદ સામે લડવા માટે સક્ષમ છે. મુસ્લિમ વોટબેંકની રાજનીતિ સાથે પોટાને હટાવવાના મુદ્દાને કોંગ્રેસ અને તેના મળતિયાં રાજકીય પક્ષોએ ભેળવી દીધો હતો. પણ અત્યારે સવાલ એ છે કે સંસદ પર હુમલાના ષડયંત્રકારી આતંકી અફઝલ ગૂરુને ઘટનાના 10 વર્ષ બાદ પણ ફાંસીની સજા આપી શકાય નથી. સુપ્રીમ કોર્ટે અફઝલની ફાંસી પર મંજૂરીની મ્હોર મારી છે, પણ રાજકારણે અફઝલને ફાંસી પર લટકવા દીધો નથી. મુંબઈ હુમલાના એકમાત્ર જીવિત આતંકવાદી અજમલ આમિર કસાબને પણ બોમ્બે હાઈકોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. પરંતુ તેને આજે પણ જેલમાં બેસાડીને બિરયાની ખવડાવામાં આવે છે. ત્યારે ભારતના કાયદામાં એવી કોઈ ખામી છે, ભારતના ન્યાયતંત્રની પ્રણાલીમાં એવા કોઈ છીંડા છે કે અફઝલ, કસાબ જેવા નરરાક્ષસોને જેલમાં બેસાડીને મટન-બિરયાની ખવડાવામાં આવે છે.

મુંબઈમાં ત્રણ વિસ્ફોટો થયા, બાદમાં અન્નાના કથિત ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં લોકો આતંકવાદનો મુદ્દો ભૂલી ગયા. અન્નાના અનશન સમાપ્ત થયાના અઠવાડિયા બાદ 7મી સપ્ટેમ્બરે દિલ્હીની હાઈકોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 11 લોકોના જીવ ગયા. પણ કોઈ રાજકારણીઓના પેટનું પાણી હલ્યું નથી. કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે તો સંવેદનહીનતાની તમામ હદો પાર કરી દીધી છે. તેમણે દિલ્હી વિસ્ફોટો સંદર્ભે આંચકાજનક નિવેદન આપતા કહ્યુ છે કે આ કોઈ નવી ઘટના નથી. આખા દેશમાં આતંકી હુમલા થાય છે. લોકો આવા ઘડાકાઓના આદિ થઈ ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ માસમાં મુંબઈમાં થયેલા ટ્રિપલ બ્લાસ્ટ વખતે સુબોધકાંત સહાય મુંબઈમાં જ કોઈ ફેશન શોમાં મોડલ્સની લચકતી કમર જોઈને પોતાની આંખો ઠંડી કરી રહ્યા હતા.

દિલ્હી વિસ્ફોટના બે દિવસ બાદ ગૃહમંત્રી પી. ચિદમ્બરમ પોતાની વકીલ તરીકેની દલીલો સાથે જનતા સામે પ્રગટ થયા હતા. તેમણે કહ્યું હતું કે આખું ભારત આતંકવાદીઓના નિશાના પર છે અને હવેનો આતંકી હુમલો અમદાવાદમાં થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે કોઈપણ દેશમાં આતંકવાદી હુમલો ન થવાની ગેરેન્ટી આપી શકે નહીં. તેમણે ભારતની ભૂગોળને ઘણી વિકટ ગણાવી. પ્રખ્યાત વકીલમાંથી નાણામંત્રી બાદમાં ગૃહમંત્રી બનેલા પી. ચિદમ્બરમે કહ્યું છે કે દરેક ગુપ્ત માહિતી પર ત્યાં સુધી કાર્યવાહી કરી શકાય છે, જ્યાં સુધી તે ખોટી સાબિત ન થઈ જાય. આપણે આપણી ક્ષમતાઓને વિકસિત કરવાની કોશિશ કરી રહ્યાં છીએ. દરેક એજન્સીઓએ પોતાની ભૂમિકા નિભાવવી પડશે. દેશના નાગરીકોએ પોતાની ભૂમિકા નિભાવવી પડશે.

ત્યારે સવાલ એ છે કે આપણે આપણી ક્ષમતાઓને ક્યાં સુધી વિકસિત કરતાં રહીશું, ક્ષમતાઓ વિકસિત થવા છતાં પણ આતંકવાદી હુમલાઓ તો રોકાતા નથી. તેનો અર્થ એ થયો કે ભારતની સુરક્ષા એજન્સીઓ અને સરકાર કરતાં આતંકવાદીઓ વધારે તૈયારી કરી રહ્યાં છે. દરેક એજન્સીઓ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવતી ન હોવાથી જ તો આતંકી હુમલો થાય છે. તો આવી કઈ એજન્સી કે એજન્સીઓ છે અને તેમાં ક્યાં લોકો જવાબદાર છે, તે પણ ચિદમ્બરમ સાહેબે શોધવું ન જોઈએ. ચિદમ્બરમ સાહેબ ગૃહમંત્રી થઈને દેશમાં બોમ્બ ધડાકા નહીં થાય, તેવી કોઈ ખાતરી આપવા માટે તૈયાર નથી. પણ તેઓ કહી રહ્યાં છે કે દેશના નાગરીકોએ પોતાની ભૂમિકા નિભાવવી પડશે. એટલે કે અત્યારે લોકો પોતાની ભૂમિકા નિભાવતા નથી? શું લોકોએ પોતાની સુરક્ષા રામભરોસો રાખવી પડશે કે પોતાની મેળે પોતાની સુરક્ષા કરવી પડશે?

ચિદમ્બરમે પોતાના નિવેદનમાં આગળ કહ્યું છે કે 9/11ના હુમલા બાદ અમેરિકાને પોતાની ક્ષમતાઓ વિકસિત કરવામાં સમય લાગ્યો હતો. આપણે તો 26/11ની ઘટના બાદ આપણા સુરક્ષા તંત્રને મજબૂત કર્યું છે. પરંતુ ચિદમ્બરમ સાહેબ, કેમ ભૂલી જાય છે કે પૂણેમાં જર્મન બેકરીનો બ્લાસ્ટ, મુંબઈમાં ટ્રિપલ બ્લાસ્ટ, દિલ્હી બ્લાસ્ટ સહીતના આતંકવાદી હુમલા 26/11 બાદ જ થયા છે. હા, 26/11 બાદ કંઈક ત્રીસ માસ સુધી આતંકવાદી હુમલા થયા ન હતા. તો શું અમારે જનતાએ એમ માનવું કે તે પાકિસ્તાન અને તેના દ્વારા પ્રેરીત તથા પોષિત આતંકવાદી સંગઠનોની ઈચ્છા ન હોવાથી થયા ન હતા? કારણ કે અમેરિકા ઈચ્છતું ન હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઉભો ન થાય અને પોતાના સામરીક હિતોને નુકસાન ન પહોંચે. તો શું અમેરિકાએ પાકિસ્તાનની સરકાર અને સેનાને અને પાકિસ્તાની સરકાર-સેનાએ આતંકવાદીઓને ભારતમાં થોડો સમય આતંકી હુમલા ન કરવાનું ફરમાન કર્યું હશે અને ચિદમ્બરમ સાહેબ આને આતંકી હુમલાઓ રોકવામાં સફળતા માનીને છાતી ફૂલવી રહ્યાં છે?

દિલ્હી બ્લાસ્ટ બાદ વડાપ્રધાન મનમોહન સિંહનું નિવેદન હતું કે આતંકવાદ સામેનું યુદ્ધ લાંબુ છે અને તેમાં આપણે જીતીશું. ત્યારે સવાલ એ છે કે આતંકવાદ સામે આપણે ક્યું યુદ્ધ કેવી રીતે લડી રહ્યાં છીએ? શું આપણે આતંકવાદ સામે યુદ્ધના નામે નક્કર પરિણામદાયક પગલાં લેવાની જગ્યાએ હવામાં હવાતિયાં મારીને ખુશ થઈ રહ્યાં છીએ? શું આતંકવાદ જ્યાંથી પેદા થઈ રહ્યો છે, તે પાપી પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે લશ્કરી નહીં, તો કૂટનીતિક, રાજનયિક, રાજકીય, વ્યાપારીક અને સામરીક પગલાં લઈ રહ્યાં છીએ? આતંકવાદ સામેના યુદ્ધની આવી પોકળ નીતિ અને રણનીતિથી મનમોહનજી આપણે કેવી રીતે જીતીશું તેનો તો જવાબ આપો?

આતંકવાદી હુમલા બાદ સરસ અંગ્રેજી ભાષામાં પઢાયેલા પોપટની જેમ નિવેદન આપનારા કોંગ્રેસી નેતાઓની કોઈ અછત નથી. કોંગ્રેસના એક મહાસચિવ દિગ્વિજય સિંહને દરેક આતંકવાદી હુમલામાં આરએસએસનો હાથ દેખાતો રહ્યો છે. તેમણે જુલાઈ માસમાં થયેલા મુંબઈ વિસ્ફોટોમાં આરએસએસનો હાથ હોવાની વાતને નકારી ન હતી. તો તે વખતે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં દરેક આતંકવાદી હુમલા રોકવા બેહદ મુશ્કેલ છે. તેમણે ઉમેર્યું હતું કે ચોકસાઈ અને જાસૂસી દ્વારા દેશમાં 99 ટકા આતંકવાદી હુમલા રોકવામાં આવ્યા છે, પરંતુ દરેક હુમલો રોકવો કઠિન છે. તેમણે કહ્યું હતું કે ઈરાક અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલા અવારનવાર થાય અને અમેરિકા તેને ક્યાં રોકી શકે છે.

તો દિલ્હીમાં ભૂતકાળમાં દિવાળી પહેલા થયેલા આતંકવાદી હુમલામાં ઘણાં લોકોના જાન ગયા અને બીજા દિવસે જેટલી બેઠક થઈ, તે બધાંમાં ગૃહમંત્રી શિવરાજ પાટિલે જાતભાતના પરિધાનોમાં ભાગ લીધો હતો. શું એ શરમજનક વાત નથી કે લોકોના માર્યા જવાની ઘટના દરમિયાન ગૃહમંત્રી શિવરાજ પાટિલે કપડા અને જોડાંની પસંદગીમાં ગુંચવાયા હતા? મુંબઈ પરના આતંકવાદી હુમલાની ઘટના વખતે તાજ અને ટ્રાઈડેન્ટ હોટલમાં થયેલા આતંકી હુમલા બાદ પત્રકારોના એક સવાલના જવાબમાં પાટિલે આ હુમલાઓને નાની-મોટી ઘટના ગણાવીને પત્રકારોના સવાલોથી પીછો છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે મુંબઈ પરના આતંકવાદી હુમલામાં 186 લોકોના જાન ગયા અને 300થી વધારે લોકો ઘાયલ થયા હતા. આટલી મોટી ઘટનાને નાની ઘટના કહેનારો વ્યક્તિ દેશનો ગૃહમંત્રી હતો, તે દેશનું દુર્ભાગ્ય નથી?

તો મુંબઈ હુમલા દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલિન ગૃહમંત્રી આર. આર. પાટિલ ઘરેથી નીકળવા માટે તૈયાર ન હતા. નાયબ મુખ્યમંત્રી છગન ભૂજબળે કહ્યું હતું કે 26/11ની રાત્રે જ્યારે તેમણે પાટિલને હુમલાવાળા સ્થાનો પર જવાનું કહ્યું તો તેમણે કહ્યું કે પોલીસે મનાઈ કરી છે. ત્યારે ભૂજબળે કહ્યું હતું કે ઠીક છે, તમે ઘટનાસ્થળ પર ન ચાલો, પણ ઓછામાં ઓછું ડીજીપી ઓફિસ સુધી તો આવી જ શકો છો, પણ તેઓ તૈયાર થયા ન હતા.

દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય, તેના માટે આંદોલન થાય. આ બધી વાતો ઘણી સારી છે. ત્યારે દેશને આતંકવાદ મુક્ત કરાવવા માટે અને આતંકવાદના ખાત્મા સુધીની લડાઈ અન્ના હજારે જાહેર કરે, તે ઘણું સારું છે. આતંકવાદ પર રાજનીતિથી દેશને મુક્ત કરવા અને રાષ્ટ્રનીતિ ઘડવા માટે શું અન્ના હજારે નવું આંદોલન કરવા માટે તૈયાર છે? દેશના લોકોએ અન્નાના આંદોલનમાં ભાગ લીધો, ખૂબ સારું કામ કર્યું. પણ હવે આતંકવાદ સામે લડવા માટે સરકાર પર દબાણ બનાવવા માટે તમે તૈયાર છો? અન્નાના આંદોલનને મીડિયા ઈવેન્ટ બનાવનારા કેન્ડલિયા પત્રકારો પણ આતંકવાદના મુદ્દા પર જનમત તૈયાર કરવા માટે કોઈ મહત્વની ભૂમિકા નિભાવશે કે ચિલાચાલુ સ્ટોરીઓ તથા આતંકી ઘટનાઓના ગાણાં ગાઈને કેટલાંક ચોખલિયાઓને બોલાવીને સ્ટુડિયોમાં ચર્ચા જ કર્યે રાખશે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો