Friday, May 27, 2011

‘સ્યૂડો કલ્ચરલ નેશનાલિસ્ટો’ માટે વિવેકાનંદના વિચારોની લાલબત્તી


કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં આત્મવિશ્વાસ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જ્યારે પોતાનામાંતી વિશ્વાસ હટી જાય છે, ત્યારે તે રાષ્ટ્ર ગુલામ બની જાય છે. પ્રાચીન ધર્મોમાં કહેવાયું છે કે જે ઈશ્વરમાં વિશ્વાસ રાખતો નથી, તે નાસ્તિક છે. પણ નૂતનકાળમાં જે આત્મવિશ્વાસ ધરાવતો નથી, તે ખરેખર નાસ્તિક છે. કારણ કે પોતાનામાં વિશ્વાસ એ જ ઈશ્વરમાં વિશ્વાસ છે.

કેટલાંક લોકો માલિક છે, જ્યારે કેટલાંક લોકો ગુલામ છે અને મનુષ્યોમાં આ ભેદનું મુખ્ય કારણ માત્ર આત્મવિશ્વાસની ઉપસ્થિતિ અને તેનો અભાવ છે. સમગ્ર સંસારનો ઈતિહાસ એવા લોકોનો ઈતિહાસ છે કે જેમાનામાં ભરપૂર આત્મવિશ્વાસ હતો. આ આત્મવિશ્વાસ અંતરમાં રહેલા દેવત્વને લલકારીને પ્રગટ કરી દે છે અને ત્યારે વ્યક્તિ કંઈપણ કરી શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ સર્વસમર્થ બની જાય છે. અસફળતા ત્યારે જ મળે છે કે જ્યારે અંતસ્થ અમોઘ શક્તિને અભિવ્યક્ત થવાનો યોગ્ય પ્રયત્ન થતો નથી. આમ જોવામાં આવે, તો જે ક્ષણે વ્યક્તિ કે રાષ્ટ્ર પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે, તે જ ક્ષણે તે મૃત્યુ પામે છે. રાષ્ટ્રમાં રહેલો આ આત્મવિશ્વાસ સામૂહિક રીતે તે રાષ્ટ્રના લોકોએ અભિવ્યક્ત કરેલી ભાવના છે. જેને રાષ્ટ્રવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભાવના એટલે કે રાષ્ટ્રવાદ રાષ્ટ્રના આત્મારૂપ હોય છે.

સ્વામી વિવેકાનંદના વિચારોમાં રાષ્ટ્રોત્થાન અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ

સ્વામી વિવેકાનંદે ભારતીય રાષ્ટ્રવાદ સંદર્ભે પોતાના ગહન ચિંતન દ્વારા આપણું માર્ગદર્શન કર્યું છે. તેમણે કહ્યું છે કે પ્રત્યેક રાષ્ટ્રમાં રાષ્ટ્રવાદ ભિન્ન સ્વરૂપે વિકસિત થયો છે. ફ્રાંસમાં સ્વતંત્રતાનું મહત્વ છે. અંગ્રેજોના ચરિત્રમાં વ્યવસાય અને આદાન-પ્રદાનની પ્રધાનતા છે. જ્યારે ભારતીય રાષ્ટ્રવાદ પ્રમાણે-‘રાજકીય અને સમાજીક સ્વતંત્રતા ખૂબ સારી છે, પરંતુ વાસ્તવિક સાધ્ય આધ્યાત્મિક સ્વાધીનતા અર્થાત મુક્તિ છે.’ તેમણે ભારતીય ઈતિહાસનો સંદર્ભ ટાંકીને કહ્યું હતું કે ‘જે કોઈ આક્રમણખોરોએ અહીંના ધર્મમાં હસ્તક્ષેપ કર્યો છે, તે અહીં પોતાનું શાસન કરી શક્યા નથી. ધર્મના આધારે જ ભારતીયોનું ચરિત્ર ઘડાયું છે. ભારતનો પ્રાણ ધર્મ છે, ભાવ ધર્મ છે અને રાષ્ટ્રીય જાગૃતિનું કારણ પણ ધર્મ છે.’ ભારતીયોમાં ધર્મની મહત્તાને કારણે જ સ્વામી વિવેકાનંદે રાષ્ટ્રવાદનું આધ્યાત્મિકરણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદ દ્રઢપણે માનતા હતા કે ધર્મ જ વ્યક્તિ અને રાષ્ટ્રને શક્તિ પ્રદાન કરી શકે છે.

‘પ્રત્યેક વ્યક્તિની જેમ પ્રત્યેક રાષ્ટ્રનો પણ એક વિશેષ જીવન ઉદેશ્ય છે, તે જ તેના જીવનનું કેન્દ્ર હોય છે, તેના જીવનનો મુખ્ય સ્વર હોય છે, જેની સાથે અન્ય તમામ સ્વરો મળીને સમરસતા ઉત્પન્ન કરે છે. ભારતવર્ષમાં ધાર્મિક જીવન જ રાષ્ટ્રીય જીવનનું કેન્દ્ર છે અને તે જ રાષ્ટ્રીયજીવનરૂપી સંગીતનો પ્રધાન સ્વર છે. જો ધર્મને અલગ કરીને રાજનીતિ, સમાજનીતિ કે અન્ય કોઈ નીતિને જીવનશક્તિનું કેન્દ્ર બનાવવામાં સફળ થઈ જઈશું, તો તેનું પરિણામ હશે કે ભારતનું અસ્તિત્વ જ નહીં રહે. ધર્મરૂપી મેરુદંડથી બધાં કાર્ય કરવા પડશે. વેદાંત દ્વારા સામાજીક અને રાજકીય વિચારોથી પ્લાવિત કરતાં પહેલા આવશ્યક છે કે આધ્યાત્મિક વિચારોનું પૂર લાવી દેવામાં આવે.’ આ અદભૂત ચિંતન હતું સ્વામી વિવેકાનંદનું! તેઓ વેદાંતી, સંન્યાસી હતા. તેઓ ભારતીય રાષ્ટ્રવાદને લોકો સુધી સમાજના દરેક ભાગ સુધી લઈ જવામાં અત્યંત સફળ થયા છે.

રાષ્ટ્ર વ્યક્તિઓથી બને છે. માટે જ વિવેકાનંદનો અનુરોધ હતો કે રાષ્ટ્રની દરેક વ્યક્તિમાં પુરુષત્વ, માનવગરિમા તથા આત્મસમ્માનની ભાવનાઓનો વિકાસ કરવો જોઈએ. વ્યક્તિએ પોતાના અહમ અને રાષ્ટ્રના આત્મા સાથે બરાબર તાલમેલ રાખવો જોઈએ.

સ્વામી વિવેકાનંદ પવિત્ર ભારતીય પરંપરાઓ અને ધર્મને જ ભારતનો સામાન્ય આધાર માનતા હતા. તેમનું સ્પષ્ટપણે માનવું હતું કે ‘યુરોપની રાષ્ટ્રીય એકતાનું કારણ રાજકીય વિચારધારા છે, પણ એશિયામાં રાષ્ટ્રીય ઐક્યનો આધાર ધર્મ છે, માટે ભારતમાં ભવિષ્યના સંગઠનોની પહેલી શરત ધાર્મિક એકતા છે. પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વર છે, તે સિદ્ધાંતને માનવાવાળો આખા દેશનો એક જ ધર્મ હોય.’

ધર્મનો અર્થ

ધર્મ શબ્દનો ભારતમાં પ્રચાર એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ સાથે કરવામાં આવ્યો છે. જેને કારણે ભારતનો સામન્ય નાગરીક ધર્મ એટલે Religion સમજી બેસે છે. પણ હકીકતમાં ધર્મ અને રિલિઝિયનમાં આસમાન-જમીનનો તફાવત છે. અંગ્રેજી શબ્દ રિલિઝિયન સંકુચિત અર્થમાં વપરાયો છે. જ્યારે ધર્મનો અર્થ અતિવ્યપાક છે. અંગ્રેજી શબ્દકોષ પ્રમાણે, રિલિઝિયન એટલે એક વિશિષ્ટ પ્રકારની ઉપાસના પદ્ઘતિ અથવા શ્રદ્ધા (Religion means a system of faith and woship.). જ્યારે ભારતીય ધર્મ ઉપાસના પદ્ધતિ સુધી જ સીમિત નથી. પરંતુ તે ઉપાસના પદ્ધતિ તેનું એક અંગ માત્ર છે. ધર્મ શબ્દની ઉત્પતિ ‘ધૃ’ ધાતુ પરથી થઈ છે. જેનો અર્થ છે, ‘ધારયતિ ઈતિ ધર્મ:’ અથવા ‘ધ્રિયતે લોક: અનેન’ અર્થાત જેને કાણે લોકોની સૃષ્ટિનું ધારણ થયું છે અથવા જે લોકોને ધારણ કરે છે. આમ ધર્મની સરળ વ્યાખ્યા એવી કરવામાં આવે છે કે જેના કારણે સમાજનું ગઠન થાય છે, તે નિયમ ધર્મ છે. તેનો અન્ય અર્થ છે કે ઉપાસના પરંપરાઓ રુઢ ભિન્નજાતિ અથવા સંપ્રદાયના આચાર વિધાન, સંવિધાન, નૈતિક સદાચાર, સત્કર્મો, કર્તવ્યો, ન્યાય, પવિત્રતા, નીતિ વગેરે છે. બૃહદારણ્યક ઉપનિષદ ધર્મને સત્ય માને છે. તેના પ્રમાણે, ‘જો કોઈ વ્યક્તિ સત્યની ઘોષણા કરે છે, તો તે ધર્મની ઘોષણા કરી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ ધર્મની ઘોષણા કરી રહ્યો છે, તો તે સત્યની ઘોષણા કરી રહ્યો છે. આમ સત્ય અને ધર્મ બંને સમાનાર્થી છે’.
રાષ્ટ્રપુરુષને સશક્ત કરવાનો વિવેકાનંદે દર્શાવેલો ઉપાય

એક તરફ માનવામાં આવે છે કે ભૂતકાળ તરફ દ્રષ્ટિ નાખવાથી કોઈ લાભ થશે નહીં, ભવિષ્ય તરફ જોવું જોઈએ. જ્યારે બીજી તરફ માનવામાં આવે છે કે ભૂતકાળથી જ ભવિષ્યનું નિર્માણ થાય છે, તેથી ભૂતકાળને નજરઅંદાજ કરવો યોગ્ય નથી. અતીતના ગૌરવગાન પર જ ભારતને પહેલા કરતાં વધારે સર્વશ્રેષ્ઠ બનાવવાનો પાયો નખાયો છે અને તેમાંથી ભવિષ્યનું ભારત પણ બની રહ્યું છે. સ્વામી વિવેકાનંદે ભારતના પુનરોત્થાન માટે આધ્યાત્મિકતા પર ભાર મૂકતા કહ્યું હતું કે ‘ભારતની આધ્યાત્મિકતા જ આપણાં જીવનનું રક્ત છે. જો તે શુદ્ધરૂપથી વહેતું રહે, જો તે શુદ્ધ અને સશક્ત રહે તો બધું જ ઠીક છે. રાજકીય, સામાજીક અને અન્ય કોઈપણ પ્રકારની ઐહિક ત્રુટિઓ હોય, ચાહે દેશની નિર્ધનતા જ કેમ ન હોય, જો ભારતના રક્ત સમાન ભારતની આધ્યાત્મિકતા શુદ્ધ હશે, તો બધું જ સુધરી જશે.’ સ્વામી વિવેકાનંદનું માનવું હતું કે ભાર,તના રક્ત સમાન આધ્યાત્મિકતાને રોગકારક અશુદ્ધ કરનાર કીટાણુઓ શરીમાંથી દૂર થઈ જાય તો પછી બીજી કોઈ અશુદ્ધિ રક્તમાં સમાય શકવાની નથી.

જ્યાં સુધી રાષ્ટ્રીય જીવન સશક્ત રહે છે, ત્યાં સુધી આધ્યાત્મિકતાને અશુદ્ધ કરનારા તત્વો દૂર રહે છે. પરંતુ જ્યારે રાષ્ટ્રીય જીવન કમજોર બની જાય છે, ત્યારે દરેક પ્રકારના રોગાના કીટાણુઓ રાષ્ટ્રપુરુષના શરીરમાં એકઠાં થઈ તેની રાજનીતિ, સમાજનીતિ અને બુદ્ધિને અશક્ત બનાવી દે છે. તેથી તેની ચિકિત્સા માટે આપણે આ બિમારીના મૂળ સુધી પહોંચીને ભારતના રક્ત સમાન ભારતની આધ્યાત્મિકતામાંથી ધર્મનીતિ વિરુદ્ધની અશુદ્ધિઓને કાઢી નાખવી જોઈએ. ત્યારે ઉદેશ્ય એ હોવો જોઈએ કે રાષ્ટ્રપુરુષ બળવાન બને, રક્ત શુદ્ધ અને શરીર તેજસ્વી થાય જેનાથી તે બહારી ઝેરને દબાવી અને તેને હટાવવા લાયક બની જાય. ધર્મનને રાષ્ટ્રનું તેજ, બળ અને રાષ્ટ્રીય જીવનનો આધાર ઘોષિત કરનારા સ્વામી વિવેકાનંદ સશક્ત બનવા માટે કહે છે. વિદેશી આક્રમણખોરોએ સોમનાથ જેવા જૂનાં અને પવિત્ર ધર્મસ્થાનોનો ધ્વંસ કર્યો, પણ કેટલાંય સમય બાદ તે પુન: જીવનના પ્રવાહ બની ગયા. જો આ જીવનપ્રવાહમાંથી બહાર આવવાનો પ્રયત્ન થશે, તો તેની પરિણિતી રાષ્ટ્રનો માત્ર પૂર્ણ વિનાશ બનીને જ ઉભી રહેશે.

તમારો અભિપ્રાય

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાતો કરનારા લોકો અને પક્ષો ભારતીય રાજકારણ અને સમાજજીવનમાં હાલ પણ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેઓ શું ખરેખર સ્વામી વિવેકાનંદના વિચારોમાં રહેલી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ગંગાને સમજ્યા છે કે પછી લોકોને તેના નામે ઉલ્લૂ બનાવી રહ્યાં છે. વાચક મિત્રો આ આપણાં સૌ માટે વિચારવાનો સમય છે. તમારા વિચારો અમને નીચે દર્શાવેલા કોમન્ટ બોક્ષમાં મોકલી શકો છે.

No comments:

Post a Comment