Friday, May 27, 2011

વિવેકાનંદના વિચારોથી ભ્રષ્ટાચારના ભોરિંગને નાથો


ભારત આજે ભ્રષ્ટાચારના કાદવમાં ખૂપી ગયું છે. તાજેતરમાં ઘણાં ગોટાળાઓ સામે આવ્યા છે. આ ગોટાળા રાજકારણીઓ અને ઉદ્યોગોની મિલીભગતથી થયા છે. તેમાં 1.72 લાખ કરોડ રૂપિયાનું 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ, અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનું મનાતું કોમનવેલ્થ ગેમ્સનો ગોટાળો, આદર્શ હાઉસિંગ સોસાયટીનો કડદો, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં જમીનના ગોટાળા, રેડ્ડી બંધુઓનું માઈનિંગ કૌભાંડ અને અન્ય સામે ન આવ્યા હોય તેવા ગોટાળા તો સામે આવે તો જ ખબર પડે. માનવામાં આવે છે કે ભારતના 70000 લાખ કરોડ રૂપિયા સ્વિઝ બેંકોમાં છે. આ કાળા નાણાંને ભારતમાં લાવવાનો મુદ્દો ગત લોકસભાની ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બન્યો હતો. આ મુદ્દો હજી પણ ચાલુ છે. પરંતુ આ તમામ ભ્રષ્ટાચારની સમસ્યામાંથી નીકળવાનો માર્ગ યુગપુરષ સ્વામી વિવેકાનંદના વિચારદર્શનમાં છે. જરૂર છે, માત્ર તેને જાણવાની અને જાણીને સમજવાની. યોગાનુયોગ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ પણ છે. સ્વામી વિવેકાનંદના ઉત્કૃષ્ટ વિચારો ભ્રષ્ટાચારના ભોરિંગની ફેણ કચડવા માટે મદદરૂપ બની શકે તેમ છે.

મનુષ્ય નિર્માણથી રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થશે

રાષ્ટ્ર ઉત્થાન, રાષ્ટ્રસાધના એ આપણાં પ્રત્યેકના જીવનનું લક્ષ્ય બનવું આવશ્યક છે. જેનાથી રાષ્ટ્ર ઉન્નતિ તરફ આગળ વધશે. પણ કોઈપણ કાર્યની સાધના તેના સાધન પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે વ્યક્તિ આદર્શથી એટલો વશીભૂત બની જાય છે કે તેની પ્રાપ્તિના સાધનોનો વિચાર તેની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ જાય છે. સ્વામી વિવેકાનંદ ત્યારે રાષ્ટ્ર સાધનામાં રત સાધકોને રસ્તો બતાવતા કહે છે કે ‘જ્યારે કોઈ અસફળતા મળે છે, ત્યારે તેમાની 99 ટકા ઘટનાઓમાં માત્ર એક જ નિષ્કર્ષ નીકળશે કે સાધનો તરફ ધ્યાન ન અપાયું તે અસફળતાનું કારણ છે. તેથી જો સાધન બિલકુલ યોગ્ય હશે, તો સાધ્ય પ્રાપ્ત થઈને રહે છે. કારણ જ પરિણામનું જનક હોય છે. પરિણામ કોઈ પોતાની મેળે નહીં નીકળે. એક વખત જો આદર્શોને લગભગ ભૂલી પણ જઈએ તો કોઈ હર્જ નથી, કારણ કે સાધનોની પૂર્ણતાની સાથે તેની સિદ્ધિ અપરિહાર્ય છે. આદર્શની પ્રાપ્તિ પરિણામ માત્ર છે. સાધન તેનું કારણ છે. તેથી સાધનોની ચિંતા જ રાષ્ટ્ર જીવનની સફળતાની કુંજી છે.’ આ સાધનોના સ્વરૂપે તેમણે ધર્મ અને આધ્યાત્મિક ચિંતનધારાને પ્રગટ કરી, જેનાથી જનસાધારણને સંગઠિત કરવામાં સહાયતા પ્રાપ્ત થઈ.

સ્વામી વિવેકાનંદે મનુષ્ય નિર્માણ માટે આહ્વાન કર્યું છે, જેનાથી સમાજમાં મત વિભિન્નતા, પોંગાપંથી, અજ્ઞાન, જાતિભેદ, ઈર્ષા હોવા છતાં સામાજીક પુનરોત્થાન થશે અને રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થશે. આ જ આધારે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ‘દીર્ઘ રાત્રિ હવે સમાપ્ત થઈ હોય તેમ લાગે છે.’ સ્વામી વિવેકાનંદે ભારતીય સમાજને આહ્વાન કરતાં પોતાની ‘સંન્યાસીના ગીત’ કવિતામાં રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાનો ઉદઘોષ કરતાં કહ્યું છે કે-

‘તોડો સબ શ્રૃંખલા, ઉન્હેં નિજ જીવન બંધન જાન,
હો ઉજ્જવલ કાંચન કે અથવા ક્ષુદ્ર ધાતુ કે મ્લાન
પ્રેમ, ધૃણા, સદ-અસદ, સભી યે દ્વંદ્વો કે સંધાના
દાસ સદા હી દાસ, સમાદ્રત્ત વા તાડિત-પરતંત્ર
સ્વર્ણ નિગડ હોને સે ક્યાં વે સુદ્રઢ ન બંધન યંત્ર?
અત: ઉન્હેં સંન્યાસી તોડો, છિન્ન કરો, ગા યહ મંત્ર’


ભારતના અમૃતપુત્રોને સ્વામી વિવેકાનંદનો સંદેશ અને માર્ગદર્શન

સંસારનો ઈતિહાસ સાક્ષી છે કે પરિવર્તન દુરાગ્રહપૂર્ણ સુધારાઓથી આવી શકતું નથી. બુરાઈ વિરુદ્ધ સંઘર્ષ માટે સ્વામી વિવેકાનંદે દર્શાવેલો રસ્તો વધારે આત્મનિષ્ઠ લાગે છે. તેમણે ભારતના સમાજની બુરાઈઓ સામે લડવા માટે રસ્તો સૂચવતા જણાવ્યું છે કે ‘હે મારા ભારતવાસીઓ! હે અમૃત પુત્રો! તમારું આ રાષ્ટ્રીય વહાણ યુગોથી સભ્યતાઓને ધારણ કરી રહ્યું છે અને પોતાના અમૂલ્ય રત્નો સંપૂર્ણ વિશ્વના કોષમાં ભરતું રહ્યું છે. સેંકડો શાનદાર શતાબ્દિઓથી આપણું આ રાષ્ટ્રીય જળયાન જીવનસાગરની આરપાર ચક્કર લગાવી રહ્યું છે અને અગણિત આત્માઓને સાંસારિક દુ:ખોથી દૂર, પેલે પાર લઈ ગયું છે. પરંતુ આઝે ભલે તમારી પોતાની ભૂલોથી, ચાહે કોઈ અન્ય કારણથી ક્ષતિગ્રસ્ત થઈ ગયું, થશે અથવા તેમાં એકાદ છેદ થઈ ગયો અને તમે બધાં તેમાં બેઠાં છો, તો શું કરશો? શું તમે તેને કોસતા રહી અને આપસમાં ઝગડતા રહેશો? શું તમે બધાં એકતાના સૂત્રમાં ગુંથાઈને આ છિદ્રને બંધ કરવાનો પ્રયત્ન નહીં કરો? આઓ, આમ કરવા માટે આપણે આપણાં હ્રદય આપીએ, આપણાં રક્ત આપીએ અને જો આપણે આપણાં પ્રયત્નોમાં અસફળ રહીએ તો સાથે ડૂબી જઈએ.’

આપણા રાષ્ટ્રીય વહાણના છિદ્રને ભરવા માટે ‘હું આત્મા છું, મને તલવાર કાપી નહીં શકે, શસ્ત્ર છેદી નહીં શકે, અગ્નિ બાળી નહીં શકે, વાયુ શોષી નહીં શકે, હું સર્વશક્તિમાન છું, હું સર્વદર્શી છું’ વેદાંતના આ દર્શનથી પ્રત્યેકના જીવનમાં આધ્યાત્મિકતાથી પ્રેરણા જગાડી શકાશે. આ આત્મ વિશ્વાસથી ભારતના દરેક વ્યક્તિનું નિર્માણ કરવું તે જ રાષ્ટ્રસાધના છે. આ આત્મવિશ્વાસ જગાડવાની ક્રિયા જ હકીકતમાં રાષ્ટ્રોત્થાન છે. આ આત્મવિશ્વાસથી છલરકતો દરેકે દરેક ભારતીય શક્તિશાળી, સુદ્રઢ, ભ્રષ્ટાચાર અને અન્ય બદીથી મુક્ત રાષ્ટ્રનું પુનર્નિમાણ કરી શકશે. ભારતનું પુનરોત્થાન ભારતની વિખરાયેલી આધ્યાત્મિક શક્તિઓના એકીકરણથી જ શક્ય બનશે. સમાન આધ્યાત્મિક સ્વરના સ્પંદનો ધરાવતાં હ્રદયવાળા લોકોના સંગઠનથી ભારતએ ખરા અર્થમાં ભારત બની શકશે.

ભારતના યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદે માનવસેવા એ જ પ્રભુસેવા હોવાનું જણાવ્યું છે. સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું છે કે ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહ્યો’. તેઓ ઈચ્છતા હતા કે ભારતનો યુવાન મંદિરોની જગ્યાએ ફૂટબોલના મેદાનમાં પરસેવો પાડી પોતાના યૌવનને ઝંકૃત કરે. તેઓ યુવાનોને ભારતના પુનરોત્થાન માટેનું કારણ માનતા હતા. તેમણે ભારતના યુવાનોમાં વ્યક્તિત્વ નિર્માણ કરીને રાષ્ટ્રનિર્માણનું સ્વપ્ન જોયું હતું. જો કે અફસોસ એ વાતનો છે કે વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત કરવામાં આવી રહી છે, છતાં હજીપણ રાષ્ટ્રની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.

સ્વામી વિવેકાનંદે ધાર્મિક પરંપરાઓને એક એવી સંયુક્ત પરંપરા ગણાવી છે કે જેમાં શંકરનો નિર્ગુણ નિરપેક્ષતાવાદ, રામાનુજનો ભક્તિવાદ અને ભગવાન બુદ્ધનો માનવતાવાદ ઓતપ્રોત થઈ ગયા છે.

સ્વામી વિવેકાનંદ માનતા હતા કે ધર્મને વહેમ અને લાગણીવેડાથી મુક્ત કરીને શુદ્ધ કરવામાં આવે તથા તર્ક અને વિજ્ઞાનને તેમની આક્રમણકારી કઠોરતાથી મુક્ત કરવામાં આવે તો, જરૂર એક સૈમ્ય અને સંતોષકારક જીવનદ્રષ્ટિ ઉત્પન્ન કરી શકાય. તેમણે ભારતને ચેતવણી આપી છે કે ‘રીત-રીવાજ અને અંધશ્રદ્ધાવાળી રૂઢ પ્રાણાલિકાઓ પર ચણાયેલો ધર્મ એ ‘ધર્મનો વિક્રય કરતી દુકાન’ બની જાય છે, તેમાં ઈશ્વર એ સાધ્ય નહીં પણ સાધન બની રહે છે.’

તેમણે પશ્ચિમની સભ્યતા માટે ભવિષ્યવાણી કરી છે કે ‘જો આધ્યાત્મનો પાયો નહીં હોય, તો આખીય પશ્ચિમી સભ્યતા ધરાશાહી થઈ જશે. માનવજાત પર તલવારના જોરે શાસન કરવું તદ્દન નિરર્થક છે.’

સ્વામી વિવેકાનંદનો ઉપદેશ હંમેશા યુવાનોને પ્રેરણા આપતો રહ્યો છે. તેમના ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહ્યોનો જયઘોષ યુવાનોને ઉત્સાહથી ભરપૂર બનાવે છે. વિવેકાનંદનો ઉપદેશ વ્યવહારીક, માનવકેન્દ્રી અને સક્રિય પુરુષાર્થ સભર છે. ગીતામાં નિર્દિષ્ટ ‘નિષ્કામ કર્મ’ ઉપર તેઓ હંમેશા ભાર મૂકતા હતા. હિંદુ ધર્મની શ્રેષ્ઠતાનો વિશ્વભરમાં ડંકો વગાડનારા સ્વામી વિવેકાનંદનું જીવન અને તેમના વિચારો ભારતના યુવાનોને તેમનામાં વ્યક્તિત્વ નિર્માણ કરીને રાષ્ટ્રને પરમ વૈભવે પહોંચાડવાના કાર્યમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપશે.

તમારો અભિપ્રાય

સ્વામી વિવેકાનંદના વિચારો પ્રમાણે મનુષ્ય નિર્માણથી રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થાય છે. ભારતની હાલની ભ્રષ્ટાચાર સહીતની અન્ય સમસ્યાઓનું મૂળ મનુષ્ય નિર્માણ કરવા માટેના મૂલ્યોનો હ્રાસ તો નથી ને? વિચાર માંગી લે તેઓ વિષય છે. કારણ કે મૂલ્યો, નૈતિકતા, સદાચાર, વિશ્વાસ, આત્મસમ્માન, માનવતા વગરે દ્વારા જ તો મનુષ્યનું નિર્માણ થાય છે. પરંતુ ભારતની હાલની વ્યવસ્થા આ પ્રકારે મૂલ્યો અને નૈતિકતા સહીતના મનુષ્ય નિર્માણમાં નિષ્ફળ જવાને કારણે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, દ્વેષ, હિંસાચાર, આતંકવાદ જેવી સમસ્યાનું કારણ બની રહી છે. ત્યારે સમય છે કે સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી કોઈ માર્ગદર્શન મેળવવામાં આવે. વાચક મિત્રો નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં આપના વિચારો, અભિપ્રાયો અને મંતવ્યો લખીને સબમિટ કરો. દુનિયાભરના વાચકો સાથે સંવાદનો પ્રારંભ કરો......

No comments:

Post a Comment