શનિવાર, 4 માર્ચ, 2017

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનો આતંકવાદી દોરીસંચાર

અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓને પાકિસ્તાન દ્વારા મદદ મળવા અને પાકિસ્તાનના આતંકવાદી જૂથો દ્વારા ઉભા થયેલા ખતરાને મામલે અમેરિકાની સેના, કોંગ્રેસના સેનેટર અને થિંક ટેંકો તરફથી ચિંતાઓ વ્યક્ત કરી છે. જેને કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફ આતંકવાદીઓને સમર્થન મામલે પાકિસ્તાન સામે પગલાં ભરવા માટે આશા રાખવામાં આવે છે. 

પાકિસ્તાની સેનાના રાદ-ઉલ-ફસાદના નામ શરૂ કરવામાં આવેલા આતંકવાદી વિરોધી સૈન્ય અભિયાનોને અધકચરો પ્રયાસ માનવામાં આવે છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે પાકિસ્તાની સેનાના જનરલ કમર જાવેદ બાજવા સાથે વીસ મિનિટ લાંબી ટેલિફોનિક વાતચીત કરી છે. મેટ્ટિસે આતંકવાદને ડામવા માટે પાકિસ્તાની સેનાની ભૂમિકાને સમર્થન આપ્યું છે. પરંતુ અફઘાનિસ્તાન ખાતે અમેરિકાની સેનાના કમાન્ડર જનરલ જોન નિકલ્સને કહ્યુ છે કે અમેરિકાની આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ 98 જૂથોમાંથી વીસ ગ્રુપ્સ અને ત્રણ હિંસક, કટ્ટરપંથી જૂથો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય છે. જનરલ નિકોલ્સને આને હિંસક અને આતંકવાદી ગ્રુપ્સનો દુનિયાભરમાં સૌથી મોટો જમાવડો ગણાવ્યો છે. 

અમેરિકાની સેનેટની પેનલ સમક્ષ જનરલ નિકોલ્સને પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધોની સંપૂર્ણ સમીક્ષા કરવાની દલીલ રજૂ કરી છે. તેમણે દલીલ કરી હતી કે તાલિબાનો અને હક્કાની નેટવર્ક માટે પાકિસ્તાનમાં સુરક્ષિત આશ્રયસ્થાનો છે અને તેને કારણે તેમની અસર ઓછી કરવામાં અડચણો છે. પાકિસ્તાન ખાતેના સુરક્ષિત આશ્રયસ્થાનોને કારણે અમેરિકા માટે માનવીય ખુવારી, સમય અને નાણાંની પણ બરબાદી થઈ રહી છે. જનરલ નિકોલ્સન જેવી જ ચિંતા રિપબ્લિકન સેનેટર જોન મેક્કેન અને ડેમોક્રેટ સેનેટર જેક રીડે વ્યક્ત કરી છે. 

રિપબ્લિકન સેનેટર જોન મેક્કેને સ્પષ્ટપણે જણાવ્યુ છે કે અફઘાનિસ્તાનમાં સફળતા માટે પાકિસ્તાન સાથેના અમેરિકાના સંબંધોની નિખાલસ આકરણી કરવાની જરૂર છે. પાકિસ્તાનમાં ઘણાં બધાં આતંકવાદી સંગઠનો સક્રિય છે અને તેઓ પાડોશી દેશો અને અમેરિકાના સૈનિકોને નિશાન બનાવે છે. આપણા દુશ્મનોને પાકિસ્તાનમાં સુરક્ષિત શરણસ્થાનો મળશે... તો અફઘાનિસ્તાનમાં અમેરિકાનું મિશન અશક્ય નહીં.. તો મુશ્કેલ ચોક્કસ બનશે. આ આતંકી અભ્યારણો ચોક્કસપણે નષ્ટ થવા જોઈએ. 

ડેમોક્રેટ સેનેટર જેક રીડે પણ સૂરમાં સૂર પુરાવતા કહ્યુ છે કે જો અમેરિકા અને અફઘાનિસ્તાનમાં જરૂરી સ્તરની સુરક્ષા સ્થાપિત કરવી હશે... તો અફઘાનિસ્તાન ખાતે સક્રિય આતંકવાદી જૂથોને પાકિસ્તાને સહાયતા કરવાનું બંધ કરવું પડશે. 
અમેરિકાના ફોરેન રિલેશન્સ કમિટીના અધ્યક્ષ એડ રોયસે કહ્યુ છેકે પાકિસ્તાને લશ્કરે તૈયબા જેવા સમૂહો પર કાર્યવાહી કરવાની સાથે આવા પરિસરોને બંધ કરવાની જરૂર છે. પાકિસ્તાન આતંકવાદી હુમલાના દોષિતોને ન્યાયના કટઘરામાં લાવી શકે નહીં.. તો તેણે આવા ગુનેગારોને હેગ કોર્ટને સોંપી દેવા જોઈએ. જેથી આંતરરાષ્ટ્રીય અદાલત તેમની વિરુદ્ધ સુનાવણી કરીને ચુકાદો ફરમાવે. પાકિસ્તાન 600થી વધુ દેવબંધી મદરસાઓને બંધ કરવા બાબતે ગંભીરતાથી વિચારવાની પણ જરૂર છે. અમેરિકાની કોંગ્રેસ અને ટ્રમ્પ વહીવટી તંત્રને લાગે છે કે આવી મદરસાઓ આતંકવાદીઓના પાંગરવાના સ્થાન છે. 
સેનેટ પેનલના હિયરિંગ દરમિયાન કરવામાં આવેલી નીતિગત ભલામણોનું પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હક્કાની.. ચાર અમેરિકન રાષ્ટ્રપ્રમુખોના સલાહકાર અને સીઆઈએના ભૂતપૂર્વ અધિકારી બ્રુસ રીડલ.. હેરિટેજ ફાઉન્ડેશન.. હડસન ઈન્સ્ટિટ્યૂટ.. મિડલ-ઈસ્ટ ઈન્સ્ટિટ્યૂટ.. ન્યૂ અમેરિકા ફાઉન્ડેશન અને જ્યોર્જટાઉન યુનિવર્સિટીએ પણ સમર્થન કર્યું છે. નિષ્ણાતોએ પાકિસ્તાનની વ્યૂહાત્મક દિશા બદલવા માટે આર્થિક અને લશ્કરી સહાયતા આપવાની નીતિને મૃગજળ સમાન ગણાવીને તેને બંધ કરવાના સૂચનો કર્યા છે. 

નિષ્ણાતોનો સ્પષ્ટ મત રહ્યો છે કે અમેરિકાએ પાકિસ્તાની સેનાને મજબૂત બનાવવા માટે દશકાઓ ખર્ચી નાખ્યા છે. પરંતુ આના કારણે ભારત પાસેથી સૈન્ય શક્તિના દમ પર કાશ્મીર ખૂંચવી લેવાની મનસા ધરાવતા તત્વો જ મજબૂત બન્યા છે. તેથી ટ્રમ્પ વહીવટી તંત્રને તમામ પ્રકારના વિકલ્પો અપનાવવા માટેની સલાહ પણ વિશેષજ્ઞો દ્વારા આપવામાં આવી છે. પાકિસ્તાનનો મેજર નોન-નાટો એલાઈનો દરજ્જો રદ્દ કરવા સુધીની સલાહ ટ્રમ્પને આપવામાં આવી છે. ટ્રમ્પ આતંકવાદ સામેની લડાઈ માટે સંકલ્પબદ્ધ માનવામાં આવે છે. તેથી તેમના દ્વારા પાકિસ્તાનના આતંકવાદી નેટવર્ક સામે કાર્યવાહી કરવાની શક્યતાઓ હોવાનું પણ જાણકારોનું માનવું છે. 

ISISના ખાત્માનો રસ્તો ISIની સમાપ્તિ

આઈએસઆઈએસ કરતા આઈએસઆઈ વધુ ખતરનાક

દુનિયાભરમાં ચાલતા આતંકના ખેલમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની ઘણી મોટી ભૂમિકા છે. આઈએસઆઈને દુનિયાના સૌથી ખતરનાક ગણાતા આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ કરતા પણ વધુ જોખમી માનવામાં આવે છે. 
આઈએસઆઈએસનો ખાત્મો તો જરૂરી જ છે. પરંતુ આતંકની જડમૂળથી સમાપ્તિ માટે આઈએસઆઈને ખતમ કરવું પણ જરૂરી છે. 

પાકિસ્તાન આઈએસઆઈએસના આતંકના રોદણા રડી રહ્યું છે. પરંતુ તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને દક્ષિણ એશિયા ખાતે આઈએસઆઈએસની સૌથી મોટી સમર્થક માનવામાં આવે છે. આઈએસઆઈ આ આતંકવાદી જૂથને વ્યૂહાત્મક અને ઈન્ટેલિજન્સ સમર્થન આપી રહી હોવાનું સિક્યુરિટી એનાલિસ્ટ ડૉ. અમરજિતસિંહ પોતાના એક બહુચર્ચિત આર્ટીકલમાં જણાવી ચુક્યા છે. તેથી ટ્રમ્પ દ્વારા આઈએસઆઈએસ સામે લડવાનો સંકલ્પ રજૂ કરાયો છે.. તેની પૂર્તિ આઈએસઆઈ સામેની કાર્યવાહી દ્વારા જ શક્ય બનવાની છે. 

પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં અમેરિકાના વોર ઓન ટેરરના શરૂ થયા બાદ મોટી આર્થિક અને સૈન્ય મદદ મળી છે. લગભગ એક અબજ ડોલર સુધીની મદદ પાકિસ્તાનને આતંકના ખાત્માના નામે મળી ચુકી છે. તેથી અફઘાનિસ્તાનમાં આતંકનો ખેલ ચલાવવો પાકિસ્તાનને અમેરિકાની મદદ મેળવવા માટે જરૂરી છે. અમેરિકાની મદદના સૌથી મોટા હિસ્સાનો ઉપયોગ આતંકની કાયનાત કાયમ કરનાર આઈએસઆઈ વાપરે છે. આવા સંજોગોમાં આઈએસઆઈની આકા પાકિસ્તાની સેના એક તરફ આતંકના ખાત્માના અભિયાનોના ડોળ કરી રહી છે અને બીજી બાજુ પાકિસ્તાનમાંથી પાડોશી દેશોમાં આતંકનો ખેલ ચલાવી રહી છે. આઈએસઆઈનો આ ખેલ દુનિયાના ઘણાં વ્યૂહરચનાકારો સામે ખુલ્લો પડી ચુક્યો છે. બલુચિસ્તાન ખાતે અમેરિકાના સૈન્ય કાફલા પર આઈએસઆઈ દ્વારા હુમલો કરાવાયો હતો અને નામ તાલિબાનોનું આપવાનો ખેલ પણ ખુલ્લો પડી ચુક્યો છે. જેને કારણે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ખાસો તણાવ પણ જોવા મળ્યો હતો. તેથી ટ્રમ્પના સત્તામાં આવતા પહેલા અમેરિકામાં પાકિસ્તાનને મદદ કરવી આગ સાથે રમત હોવા બાબતેની વિચારપ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે. 

ઈરાકમાંથી સ્થિરતા સ્થાપિત કર્યા પહેલા અમેરિકાની સેનાએ વાપસીની ઘણી મોટી વ્યૂહાત્મક ભૂલ કરી છે. જેને કારણે આઈએસઆઈએસને આતંકનું સામ્રાજ્ય સ્થાપિત કરવાનો અવકાશ મળ્યો છે. આઈએસઆઈએસ પણ ઓસામા બિન લાદેનના આતંકી સંગઠન અલકાયદાનો એક ફાંટો છે. અલકાયદાના પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ સાથે સોવિયત સંઘ સામે અફઘાનિસ્તાન ખાતેના યુદ્ધ વખતથી ગાઢ સંબંધો છે. 2001ના હુમલા બાદ અલકાયદા ચીફ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં જ છૂપાવવામાં આવ્યો હતો. આ કામ આઈએસઆઈ દ્વારા જ કરવામાં આવ્યું હતું. જો કે એક ગુપ્ત ઓપરેશનમાં ઓસામા બિન લાદેનને અમેરિકન નેવી સીલ કમાન્ડોએ પાકિસ્તાની સૈન્ય એકેડમીથી નજીકના અંતરે એક મકાનમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. 
વૈશ્વિક જેહાદની વાતો કરનારા માટે આઈએસઆઈ દ્વારા દશકાઓ જૂના વ્યૂહાત્મક સંબંધો ઉભા કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનમાં સોવિયત સેનાઓની વાપસી બાદ તાલિબાનોને ઉભા કરવાનું કામ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ દેવબંધી મદરસાઓ દ્વારા કર્યું હતું. 


તાલિબાનોને સંપૂર્ણપણે પાકિસ્તાની સેના અને આઈએસઆઈનો ટેકો હતો. અલકાયદાના ચીફ ઓસામા બિન લાદેન અને તાલિબાનોના અમીર મુલ્લા ઓમરે જ અફઘાનિસ્તાનમાં આતંકનું સામ્રાજ્ય કાયમ કર્યું હતું. ઓસામા બિન લાદેન સાથે પાકિસ્તાનના હાલના વડાપ્રધાન નવાઝ શરીફે પણ ત્રણેક વખત મુલાકાત કરી હોવાનો ખુલાસો કેટલાક પુસ્તકમાં થયો છે. ઈરાક અને સીરિયામાં આતંકનો ખેલ અને અફઘાનિસ્તાન -પાકિસ્તાનમાં ચાલી રહેલો દહેશતગર્દીનો ખેલ બિલકુલ અલગ-અલગ નથી. આવા સંજોગોમાં આઈએસઆઈની આઈએસઆઈએસ સંદર્ભે પણ મોટી ભૂમિકાઓની પ્રબળ આશંકાઓ પ્રવર્તી રહી છે. ટ્રમ્પે આઈએસઆઈએસના ખાત્માની વાત અમેરિકન સંસદમાં કરી છે. ત્યારે તેના ખાત્માના માર્ગમાં આગળ વધવા માટે આઈએસઆઈની સમાપ્તિ પણ આવે છે. ત્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની બેફામ શક્તિઓને ઘટાડવા માટે ચોક્કસપણે પગલા લેશે તેવું માનવામાં આવે છે. 

ટ્રમ્પ પાકિસ્તાનને અમેરિકાનું દોસ્ત ગણતા નથી

અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતકાળમાં પાકિસ્તાનને પરમાણુ હથિયારોને કારણે અમેરિકા માટે માથાના દુખાવારૂપ દેશ ગણાવ્યો છે. તો પાકિસ્તાન અમેરિકાનું દોસ્ત નહીં હોવાનું પણ ટ્રમ્પ ભૂતકાળમાં જણાવી ચુક્યા છે. જો કે ચૂંટાયા બાદ ઈસ્લામાબાદની આતંકની નીતિને નાપસંદ કરનારા ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ખૂબ સારી વાતચીત કરી હતી. 

માર્ચ-2016માં ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને કારણે તેને અમેરિકા માટે ઘાતક દેશ ગણાવ્યો હતો. અમેરિકાની ચૂંટણી પહેલા સીએનએનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે ક્હ્યુ હતુ કે અમેરિકા માટે પાકિસ્તાન ઘણી ઘણી ઘાતક સમસ્યા છે.. કારણ કે તેમની પાસે પરમાણુ હથિયારો છે. ફોક્સ ન્યૂઝને મે-2016માં આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યુ હતુ કે પરમાણુ શસ્ત્રો ધરાવતા પાકિસ્તાનથી બિલકુલ બાજુમાં હોવાને કારણે તેઓ અફઘાનિસ્તાનમાં ઓછામાં ઓછા દશ હજાર સૈનિકોને રાખવાની તરફદારી કરે છે. 

2011માં અલકાયદા ચીફ ઓસામા બિન લાદેનના એબટાબાદ ખાતે ઠાર થયા બાદ જુલાઈ-2012 ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે ઓસામા બિન લાદેનને સુરક્ષિત ઠેકાણું પુરું પાડવા બદલ પાકિસ્તાન ક્યારે અમેરિકાની માફી માંગશે? કેટલાક સાથી.. 

2016માં લાહોર ખાતે ખ્રિસ્તી સમુદાયને નિશાન બનાવીને કરાયેલા વિસ્ફોટમાં 74 લોકોના જીવ ગયા હતા. ત્યારે ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે એકલા ઉકેલી શકીશું.. સીએનએનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે લાહોર બ્લાસ્ટને ખ્રિસ્તી સમુદાયને નિશાન બનાવીને કરાયેલો ભયાનક હુમલો ગણાવ્યો હતો. 

2011માં એક ભારતીય ન્યૂઝચેનલે પોતાના અહેવાલમાં જણાવ્યુ હતુ કે પાકિસ્તાન પરમાણુ હથિયારોનો નાશ કરે નહીં ત્યાં સુધી અમેરિકાની મદદ રોકવાની ટ્રમ્પે હાકલ કરી છે. ટ્રમ્પે ત્યારે પાકિસ્તાન અમેરિકાનું મિત્ર નહીં હોવાનું પણ જણાવ્યું હતું. ટ્રમ્પે એમ પણ કહ્યુ હતુ કે અમેરિકા જાણે છે કે ઘણાં અન્ય આતંકવાદીઓ પણ પાકિસ્તાનમાં છે. 
જૂન-2016માં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને સોમાલિયાના મૂળના લોકો અમેરિકા માટે ખતરો છે. ત્યારે તેમણે 11 સપ્ટેમ્બર-2001ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકી હુમલાની ઘટનાનો ખાસ ઉલ્લેખ પણ કર્યો હતો. 

જો કે અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોના નાગરિકો પર અમેરિકામાં હંગામી પ્રવેશબંધી ફરમાવી હતી. આ મુસ્લિમ દેશોના નામ હતા- સોમાલિયા, સુડાન, લીબિયા, સીરિયા, ઈરાક, યમન અને ઈરાન. જો કે તેમા પાકિસ્તાન અને સાઉદી અરેબિયાનો સમાવેશ કરાયો ન હતો. 

ચૂંટાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે વાતચીતની કેટલીક ચર્ચાઓ પાકિસ્તાની મીડિયાને ટાંકીને ચાલી હતી. જેમાં ટ્રમ્પે શરીફની ખૂબ સારી પ્રતિષ્ઠા ધરાવતા હોવાનું જણાવીને તેમને જબરદસ્ત વ્યક્તિ ગણાવ્યા હતા. ટ્રમ્પે શરીફ સાથેની વાતચીતમાં પાકિસ્તાનીઓને કથિતપણે દુનિયાના સૌથી બુદ્ધિશાળી લોકો ગણાવ્યા હતા. 

પાકિસ્તાની મીડિયાના દાવા મુજબ ટ્રમ્પે શરીફને કહ્યુ છે કે લાંબા સમયથી વિલંબિત સમસ્યાઓના ઉકેલ માટે તેઓ કોઈપણ ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. શરીફે ટ્રમ્પને પાકિસ્તાન આવવા માટે આમંત્રિત કર્યા ત્યારે તેમણે કહ્યુ હતુ કે તેમને અસાધરણ દેશ.. અસાધરણ સ્થાન અને અસાધારણ લોકોને મળવાનું ગમશે. જો કે બાદમાં ટ્રમ્પની ટ્રાન્સિશન ટીમે સ્પષ્ટીકરણ આપ્યું હતું. જો કે ટ્રમ્પના શપથગ્રહણ સમારંભમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને કોઈ ભાવ આપવામાં આવ્યો નથી. તો પાકિસ્તાનના રાજદ્વારીઓના ટ્રમ્પના વહીવટીતંત્ર સાથે સંપર્કોની કોશિશો પણ એટલી કામિયાબ રહી નથી. 

આતંક મામલે પાકિસ્તાનની બેમોંઢાળી નીતિથી અમેરિકા નારાજ

અમેરિકાના સેનેટરોમાં પાકિસ્તાનના આતંકના ખેલ સામે અણગમો છે. અમેરિકાના ડેમોક્રેટ સેનેટર માર્ક વોર્નરે કહ્યુ છે કે પાકિસ્તાન આતંક મામલે દહીં અને દૂધ એમ બંને તરફ પગ રાખી શકે નહીં. પાકિસ્તાન એક તરફ આતંકવાદને ખતમ કરવાની વાતો કરે છે અને બીજી તરફ ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડે છે. 

અમેરિકાના ડેમોક્રેટ સેનેટર માર્ક વોર્નરે આતંકવાદની પાકિસ્તાનની બેમોંઢાવાળી નીતિની ઝાટકણી કાઢી છે. વોર્નરે કહ્યુ છે કે પાકિસ્તાન આતંક મામલે દહીં અને દૂધ એમ બંને તરફ પગ રાખી શકે નહીં. પાકિસ્તાન એક તરફ આતંકવાદને ખતમ કરવાની વાતો કરે છે અને બીજી તરફ ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડે છે. 

સિંધના સેહવાન ખાતેની લાલ શાહબાજ કલંદરની દરગાહ ખાતે આઈએસના આતંકવાદીના આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ પાકિસ્તાને આતંકના ખાત્માની વાત ફરીથી શરૂ કરી છે. તાલિબાનો સામે પાકિસ્તાને ઝર્બે અજ્બ નામનું કથિત સૈન્ય અભિયાન ચલાવ્યું છે. હવે પાકિસ્તાની સેનાએ આતંકના ખાત્મા માટે કથિત રાદ-ઉલ-ફસાદ નામનું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. પરંતુ પાકિસ્તાની સેના અને સરકારની આતંકનો ખાત્મો કરવાની વાર્તાઓ અમેરિકાને ગળે ઉતરે તેવી શક્યતાઓ ખૂબ પાંખી છે. અમેરિકાના ડેમોક્રેટ સેનેટર માર્ક વોર્નરે આતંકવાદ મામલે પાકિસ્તાનની બેમોંઢાવાળી નીતિની ઝાટકણી કાઢી છે. વોશિંગ્ટન ખાતેના વિડ્રોવ વિલસન સેન્ટરના કાર્યક્રમમાં વોર્નરની સાથે રિપબ્લિકન સેનેટર ડેન સુલીવાન પણ હતા. 

આ કાર્યક્રમમાં વોર્નરે કહ્યુ છે કે પાકિસ્તાન કાશ્મીરમાં અશાંતિ ફેલાવવામાં ભૂમિકા છે. પાકિસ્તાનની માત્ર કાશ્મીરમાં હિંસા ફેલાવવામાં જ ભૂમિકા નથી... પરંતુ પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને પણ પોતાના દેશમાં આશ્રય આપી રહ્યું છે. પાકિસ્તાનની આતંકવાદ મામલે બેમોંઢાવાળી વાત કરવી ખોટી છે. એક તરફ પોતાની જમીન પર આતંકી જૂથોને ખતમ કરવાની પાકિસ્તાન વાત કરે છે. તો બીજી તરફ ગુપચુપ રીતે ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવે છે. પાકિસ્તાને પોતાને ત્યાંના આતંકી સંગઠનોને મદદ કરવાનું બંધ કરવું જોઈએ અને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

અમેરિકામાં હાલ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ છે.  રિપબ્લિકન સેનેટર ડેન સુલીવાને પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદ મામલે ભારત અને અમેરિકાના સમાન હિત હોવાની અને બંને દેશો વચ્ચે આ મામલે મજબૂત સહયોગ ઉભો થવાની સંભાવના વ્યક્ત કરી છે. સુલીવાને ભારત અને અમેરિકા દ્વારા સમાન હિતના ક્ષેત્રોમાં સંયુક્ત લશ્કરી કાર્યવાહી કરવાનું સૂચન પણ કર્યું છે. જો કે ભારતે ભૂતકાળમાં આવા પ્રસ્તાવોને ટાળ્યા છે. 

બરાક ઓબામાના કાર્યકાળમાં ભારતને મેજર ડિફેન્સ પાર્ટનરનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ટ્રમ્પના શાસનકાળમાં પણ ભારત અને અમેરિકાના સંબંધો વધુ ઘનિષ્ઠ બને તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. પરંતુ ભારત દ્વારા મેરીટાઈમ સર્વિલાન્સ માટે ગાર્ડિયન ડ્રોન ખરીદવા માટેનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. પરંતુ હજી તેમા થોડી અડચણો હોવાનું માનવામાં આવે છે. ત્યારે ગાર્ડિયન ડ્રોન સંદર્ભેની ભારતની પ્રપોઝલને અમેરિકાના વિદેશ અને સંરક્ષણ મંત્રાલય દ્વારા મહત્વ નહીં આપવા બાબતે સેનેટર વોર્નરે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાના બંને સેનેટરે ભારપૂર્વક જણાવ્યુ છે કે ભારત અને અમેરિકા વચ્ચેનો સહયોગ માત્ર એશિયા-પેસિફિક ક્ષેત્ર પુરતો જ નહીં.. પણ દક્ષિણ ચીન સાગર માટે પણ જરૂરી છે. 

ટ્રમ્પની ઈચ્છા રેડિકલ ઈસ્લામિક આતંકવાદને ખતમ કરવાની

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા રેડિકલ ઈસ્લામિક ટેરરીજમના ખતરાથી પોતાના દેશને સુરક્ષિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેના માટે તેમણે ઈમિગ્રેશનની નીતિમાં ફેરફાર જરૂરી હોવાનું ગણાવ્યું હતું. 

વિવાદોના વંટોળ વચ્ચે અમેરિકાની જનતાએ આઠમી નવેમ્બર-2016ના રોજ ચુકાદો ફરમાવ્યો હતો. ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી-2017થી અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકે પદાસિન થયા છે. પદ પર આવ્યા બાદ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોના નાગરીકોના અમેરિકામાં પ્રવેશ પર હંગામી પ્રતિબંધ લગાવ્યો અને શરણાર્થીઓ પર પણ રોક લાગવી. અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પના નિર્ણય પર રોક લગાવી દીધી છે. પરંતુ અમેરિકાની કોંગ્રેસના સંયુક્ત સત્રને કરેલા પહેલા સંબોધનમાં ટ્રમ્પે પોતાની વિવાદીત ઈમિગ્રેશન પોલિસીનું સમર્થન કર્યું છે. તેમણે 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા બાદ અમેરિકામાં થયેલા હુમલાની ઘટનાઓ પણ આના સંદર્ભે ટાંકી હતી. 

ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસમાં પોતાના સંબોધનમાં અમેરિકાને રેડિકલ ઈસ્લામિક ટેરરીજમથી ખતરો હોવાનું પણ જણાવ્યું છે. તેમણે અમેરિકાની સુરક્ષા માટે ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કરવાની જરૂરિયાત હોવાનું પણ જણાવ્યું છે. 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં મેરિટ આધારીત ઈમિગ્રેશન પોલિસી બનાવવાની વાત કરીને તેને વધુ કડક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. 

ટ્રમ્પે પોતાના ભાષણમાં ઈસ્લામિક ટેરરીજમ નહીં પણ રેડિકલ ઈસ્લામિક ટેરરીજમ શબ્દ વાપર્યો છે. આ શબ્દોનો ઉપયોગ નહીં કરવાનો અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મેકમાસ્ટરે અભિપ્રાય આપ્યો હતો. છતાં તેમણે ચૂંટણી પ્રચાર અભિયાનમાં વાપરેલા શબ્દને અમેરિકન કોંગ્રેસમાં પણ વાપર્યો છે. અમેરિકન કોંગ્રેસમાં તેમણે ઈમિગ્રેશન પર નવો હુકમ ટૂંક સમયમાં જાહેર કરવાની વાત પણ કરી છે. માનવામાં આવે છે કે ટ્રમ્પ ઈમિગ્રેશન પોલિસીના ફેરફાર લાગુ કરવા માટે કાયદાકીય અડચણોને દૂર કરવા માંગે છે. તેની સાથે તેઓ ઈસ્લામિક દેશોમાંથી આવતા લોકો પર પણ આતંકવાદના મામલે કોઈ જોખમ લેવા માગતા નથી. 

અમેરિકાની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના ખાત્મા માટેની પ્રતિબદ્ધતા દ્રઢતાપૂર્વક વ્યક્ત કરી છે. તેમણે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદથી અમેરિકાની સુરક્ષા કરવા માટે કઠોર પગલા ઉઠાવાઈ રહ્યા હોવાનું પણ અમેરિકન કોંગ્રેસને જણાવ્યું છે. 
અમેરિકાએ ડબલ્યૂટીઓ એટેક બાદ અલકાયદા અને તાલિબાનોના ખાત્મા સાથે શરૂ કરેલું વોર ઓન ટેરર હવે સીરિયા અને ઈરાક તરફ કેન્દ્રીત થઈ ચુક્યું છે. અહીં આઈએસઆઈએસ નામના અલકાયદામાંથી પેદા થયેલા આતંકી સંગઠન દ્વારા વૈશ્વિક ખતરો પેદા કરવામાં આવ્યો છે. અમેરિકા આઈએસનું પહેલું નિશાન માનવામાં આવે છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પોતાની સંસદ સમક્ષ આઈએસના ખાત્માની ફરી એકવાર પ્રતિજ્ઞા કરી છે. ટ્રમ્પે કહ્યુ છે કે અમેરિકાને કટ્ટરપંથી આતંકવાદીઓનું આશ્રય સ્થાન બનાવા દેવાશે નહીં. 

ટ્રમ્પે અમેરિકાના સહયોગી મુસ્લિમ દેશોને પણ આતંકવાદ અને કટ્ટરવાદને ખતમ કરવા માટે હાકલ કરી છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન અમેરિકાનું અત્યાર સુધીનું સૌથી વધુ ઘનિષ્ઠ વ્યૂહાત્મક સાથીદાર છે અને વૈશ્વિક આતંકવાદનું વાસ્તવિક કેન્દ્રબિંદુ પણ પાકિસ્તાન છે. ત્યારે સવાલ એ છે કે શું આ નિવેદન પાછળ પાકિસ્તાનને કોઈ કૂટનીતિક સંદેશો આપવામાં આવ્યો છે? 

અમેરિકામાં અલકાયદા દ્વારા 2001માં કરવામાં આવેલા સૌથી મોટા આતંકી હુમલા બાદ છેલ્લા કેટલાક સમયથી આઈએસના સમર્થક આતંકીઓ દ્વારા સતત હુમલા થઈ રહ્યા છે. આઈએસ દ્વારા અમેરિકાને ઘણી વખત ધમકીઓ આપવામાં આવી છે. હવે ટ્રમ્પે આઈએસને ખતમ કરવા માટે સંકલ્પ તો વ્યક્ત કર્યો છે.. પરંતુ સવાલ એ છે કે આવા સેંકડો આઈએસ પેદા કરી ચુકેલા પાકિસ્તાનમાંથી આતંકવાદની સાફસફાઈ કર્યા વગર શું ટ્રમ્પ અમેરિકાને સુરક્ષિત કરી શકશે?

અમેરિકાના દબાણ સામે કાર્યવાહીની પાકિસ્તાનની લાચારી

દુનિયામાં આતંકવાદ અને હિંસા સામે જનમત તૈયાર થઈ રહ્યો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદો વચ્ચેની જીત પણ આતંકવાદને સહન નહીં કરવા માટેના દુનિયામાં બની રહેલા જનમતનું એક કારણ માનવામાં આવે છે. ત્યારે આતંકના એપી સેન્ટર પાકિસ્તાનમાં ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે આસિન થયા બાદ ખળભળાટનો માહોલ છે. કેટલીક ઘટનાઓ પણ પાકિસ્તાનને દબાણમાં આતંકનો ખેલ છૂપાવવા માટેની મજબૂરીની ચાડી ખાઈ રહી છે. 

20 જાન્યુઆરી-2017ના રોજ અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા હતા. ટ્રમ્પે પોતાના પહેલા ભાષણમાં જ રેડિકલ ઈસ્લામિક ટેરરિજમને ખતમ કરવાની વાત કરી છે. અમેરિકન કોંગ્રેસમાં પણ પોતાના પહેલા ભાષણમાં તેમણે આઈએસના ખાત્મા અને આતંકને નાબૂદ કરવાની વાત કરી છે. 

31 જાન્યુઆરી-2017ના રોજ પાકિસ્તાની સેનાએ પોતાના બગલબચ્ચા આતંકી સંગઠન લશ્કરે તૈયબા અને જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદને નજરકેદ કર્યો હતો. 
તો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની બીજી સ્ટ્રેટજીક એસેટ ગણાતા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને યુએનમાં પ્રતિબંધિત કરવાનો મામલો પણ અમેરિકાએ પોતાના હાથમાં લીધો છે. 7 ફેબ્રુઆરી-2017ના રોજ અમેરિકાના યુએન ખાતેના કાયમી પ્રતિનિધિ નિક્કી હેલીએ યુએનએસસીમાં મસૂદને પ્રતિબંધિત કરવાનો પ્રસ્તાવ આગળ વધાર્યો છે. મહત્વપૂર્ણ છે કે પઠાનકોટ હુમલાના માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહરને યુએનમાં પ્રતિબંધિત બનાવવાની ભારતે કોશિશો કરી છે. પરંતુ તેમા ચીને અડંગો લગાવ્યો છે. 

16 ફેબ્રુઆરી-2017ના રોજ સિંધના સેહવાનમાં લાલ શાહબાજ કલંદરની દરગાહ ખાતે આઈએસના આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી વિસ્ફોટમાં એકસોથી વધુ લોકોના જીવ ગયા હતા. 22 ફેબ્રુઆરીથી પાકિસ્તાની સેનાએ આઈએસના આતંકીઓ સામે રાદ-ઉલ-ફસાદ નામથી સૈન્ય અભિયાનની શરૂઆત કરી છે. પરંતુ આમા પણ પાકિસ્તાન ગુડ ટેરરિસ્ટ અને બેડ ટેરરિસ્ટનો ભેદભાવ કરીને જ કાર્યવાહી કરશે તેવું નક્કી માનવામાં આવે છે. 
19થી 24 ફેબ્રુઆરી દરમિયાન પેરિસમાં ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની પાંચ દિવસની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટેરર ફંડિંગના મામલે વાટાઘાટો હાથ ધરાઈ હતી. પાકિસ્તાનને અમેરિકા અને ભારતે ટેરર ફંડિંગના મામલે ઘેર્યુ હતું. બેઠકના છેલ્લા દિવસે ટેરર ફંડિંગ મામલે પાકિસ્તાનને નોટિસ ફટકારવામાં આવી હતી અને નેવું દિવસની અંદર લશ્કરે તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ટેરર ફંડિંગ સામે નક્કર કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે. નહીંતર એફએટીએફની મર્યાદામાં કાર્યવાહી કરવાની ચિમકી પણ પાકિસ્તાનને આપવામાં આવી છે. 

ત્યારે પાકિસ્તાને હાફિઝ સઈદ સામે મજબૂરીમાં કાર્યાવાહી કરી હોવાનુ માનવામાં આવે છે. પાકિસ્તાનના એક એનાલિસ્ટે હાફિઝને અફઘાની આતંકીઓથી જોખમ હોવાને કારણે કાર્યવાહી કરાઈ હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. જો કે હાફિઝ સઈદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આનું કારણ ગણાવી રહ્યો છે. અમેરિકાના એક ઉચ્ચ રાજદ્વારીએ ભૂતકાળમાં પાકિસ્તાન ખાતેની દેવબંધી મદરસાઓને બંધ કરવાની સલાહ આપી હતી. 

તાજેતરમાં અમેરિકામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત રહેલા હક્કાનીએ ટ્રમ્પ વહીવટી તંત્રને સલાહ આપી છે કે પાકિસ્તાનને આતંકવાદ સામેના યુદ્ધમાં મદદના નામે લશ્કરી અને આર્થિક સહાય પર કાપ મૂકવો જોઈએ અથવા તેને બંધ કરવી જોઈએ. ત્યારે આશા સેવાઈ રહી છે કે શું પાકિસ્તાનના આતંકના સામ્રાજ્યને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખતમ કરી શકશે?  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેડિકલ ઈસ્લામિક ટેરરિજમ સામે લડવાની વાત કરી છે. પરંતુ પાકિસ્તાનમાં થઈ રહેલી કટ્ટરપંથની ખેતી અને તેમાથી પેદા થતા આતંકવાદને સમાપ્ત કર્યા વગર ટ્રમ્પને આ લડાઈમાં જીત મળી શકશે?  

અમેરિકાની બીકે આતંકી હાફિઝ સઈદના સૂર બદલાયા

ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યાના 21મા દિવસે પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદને નજરકેદ કરવામાં આવ્યો અને તેના અમેરિકા વિરોધી સૂર પણ બદલાયા હતા. 31 જાન્યુઆરીએ નજરકેદ કરાયેલા હાફિઝ સઈદના વીડિયો મેસેજમાં અમેરિકાને કારણે ફફડાટ પણ વ્યક્ત થઈ રહ્યો છે. 

આ પાકિસ્તાની આતંકવાદીને ભારત અને અમેરિકા વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો હતો. આતંકવાદી સંગઠનો લશ્કરે તૈયબા અને જમાત ઉદ દાવાનો ચીફ હાફિઝ સઈદ અમેરિકા સામે બેફામ બોલી રહ્યો છે. તેના અલકાદાના ચીફ ઓસામા બિન લાદેન સાથે પણ સંબંધો રહ્યા છે.. આ પાકિસ્તાની આતંકવાદીને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ  ઉછેર્યો છે. 9-11 બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકાની કાર્યવાહીને કારણે આતંકવાદીઓનો ગરાસ લૂંટાયો હતો અને તેને કારણે હાફિઝ સઈદ ઝેર ઓકી રહ્યો છે. અમેરિકાએ યુએનમાં પ્રતિબંધિત આતંકવાદી પર 10 મિલિયન ડોલરનું ઈનામ પણ જાહેર કર્યું છે. પરંતુ પાકિસ્તાનમાં આ આતંકવાદી 31 જાન્યુઆરી-2017 પહેલા બેખોફ આતંકી પ્રવૃત્તિ ચલાવતો હતો. 

પાકિસ્તાને 31 જાન્યુઆરી-2017ના રોજ હાફિઝ સઈદને નજરકેદ કર્યો અને તેને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને પણ સમાજ માટે ખતરો માનીને આતંકી ગણાવ્યો હતો. પાકિસ્તાનમાં થયેલી આ કાર્યવાહી ટ્રમ્પના 20 જાન્યુઆરી-2017ના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે શપથગ્રહણ કર્યાના 21મા દિવસની છે. પાકિસ્તાની સેના અને આઈએસઆઈ માટે સ્ટ્રેટજીક એસેટ ગણાતા હાફિઝ સામે કાર્યવાહીનો દેખાડો કરવાની નવાઝ શરીફ સરકારને અમેરિકાના દબાણમાં ફરજ પડી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જો કે પાકિસ્તાનની કાર્યવાહી પર ભારતે નક્કર પરિણામ દેખાય નહીં ત્યાં સુધી વિશ્વાસ કરવાને કોઈ કારણ નથી. 2008ના મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાને હાફિઝ સઈદને જેલમાં મોજમજા કરાવીને મુક્ત કરી દીધો હતો. જોવો નજરકેદ થયા બાદ આતંકવાદી હાફિઝ સઈદે કેવા સૂર બદલ્યા છે. હવે આતંકી હાફિઝ સઈદ માટે અમરિકા નહીં માત્ર ભારત કાશ્મીરના કારણે દુશ્મન છે.. 

આઈએસપીઆરના ડીજી મેજર જનરલ આસિફ ગફૂરે પાકિસ્તાની સેના વતી જણાવ્યુ કે હાફિઝ સઈદ સામેની કાર્યવાહી નવી રાષ્ટ્રીય નીતિ અને રાષ્ટ્રીય હિતને કારણે કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે હવે હાફિઝ સઈદ સામેની કાર્યવાહીમાં પાકિસ્તાનને ક્યું રાષ્ટ્રીય હિત દેખાઈ રહ્યું છે? શું ટ્રમ્પ વહીવટી તંત્ર તરફથી પાકિસ્તાન પર આતંકવાદ સામે કાર્યવાહી બાબતે દબાણમાં ધરખમ વધારો થયો છે કે ઓસામા બિન લાદેન સામે થઈ હતી તેવી કોઈ કાર્યવાહીનો ડર આનું કારણ હશે?