લેબલ રમખાણો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ રમખાણો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 27 જુલાઈ, 2012

મોદીની ઉર્દૂ સાપ્તાહિક ‘નઈ દુનિયા’ને મુલાકાતના ગૂઢાર્થો


-આનંદ શુક્લ
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉર્દૂ અખબાર ‘નઈ દુનિયા’ને આપવામાં આવેલી મુલાકાત બાદ રાજકારણ ગરમ થયું છે. નરેન્દ્ર મોદી દ્વારા 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો પછી દશ વર્ષ બાદ પ્રથમ વખત કોઈ ઉર્દૂ અખબારને મુલાકાત આપવામાં આવી છે. આ મુલાકાતમાં મોદીએ એવા સવાલોનો જવાબ પણ આપ્યો છે કે ભૂતકાળમાં જેને સાંભળીને તેઓ બોલવાનું બંધ કરી દેતા હતા અથવા મુલાકાત અધુરી મૂકીને નારાજગી સાથે સ્ટુડિયોમાંથી ચાલ્યા જતા હતા.

ઉલ્લેખનીય છે કે એનડીટીવીના વિજય ત્રિવેદી દ્વારા 2007ની ચૂંટણી વખતે લેવામાં આવેલા ઈન્ટરવ્યૂ વખતે હુલ્લડ સંદર્ભેના સવાલ પર મોદી ચોપરની બારીની બહાર જોતા રહ્યા અને બોલવાનું બંધ કરી દીધું હતું. આ સિવાય સીએનએન-આઈબીએન ચેનલ પર કરણ થાપરના કાર્યક્રમમાં મોદીને ગુજરાત રમખાણો સંદર્ભે પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેઓ મુલાકાત છોડીને જતા રહ્યા હતા. જો કે કરણ થાપરના કાર્યક્રમમાં બનેલી ઘટનાના અઠવાડિયામાં જ હુલ્લડો સંદર્ભેના સ્ટિંગ ઓપરેશન તહેલકાએ જુદીજુદી ચેનલો પર પ્રસારીત કર્યા હતા.

પરંતુ દશ વર્ષ બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવા તમામ સવાલોનો જવાબ નઈ દુનિયાના સંપાદક અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શાહીદ સિદ્દીકીને આપ્યા છે કે જેનાથી મોદી ભૂતકાળમાં આભડછેટ રાખતા હતા. ગુજરાતમાં 2012ની વિધાનસભાની ચૂંટણી 2002 અથવા 2007 જેટલી સરળ દેખાઈ રહી નથી. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે મોદી સામે વિરોધનું બ્યૂગલ બજાવ્યું છે. છ સ્થાનો પર પરિવર્તન મહાસંમલનોમાં 20 હજારથી માંડીને 60 હજાર સુધીની ભીડ કોઈપણ જાતની વાહન વ્યવસ્થા વગર એકઠી કરીને કેશુભાઈ પટેલે મોદી સરકારની ખુરશીના પાયા તો હચમચાવ્યા છે. આવા ટાણે ઉર્દૂ અખબારને ગુજરાત રમખાણો સંદર્ભે ઈન્ટરવ્યૂ આપીને મોદી કોઈ નવી રાજકીય શતરંજ માંડી રહ્યા હોવાની વાત પણ રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.

રાજકીય નિરીક્ષકોના મતે હાલ ગુજરાતમાં મોદી સરકાર 2012ના અંતમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં એન્ટીઈન્કમબન્સી અને કેશુભાઈ પટેલના વિરોધને કારણે બિનઆરામદાયક પરિસ્થિતિનો અનુભવ કરશે. તેવા વખતે કોઈને કોઈ લાગણીશીલ મુદ્દાની તલાશ મોદીને રહેશે. મોદીને પોતાના તરફ જુવાળ ઉભો કરવા માટે હજી પણ ગુજરાત રમખાણોના મુદ્દા મદદરૂપ સાબિત થઈ શકે છે. જો કે મોદીએ ઈન્ટરવ્યૂમાં પોતાનો પક્ષ ખૂબ સ્પષ્ટ રીતે મૂક્યો છે અને કોઈ હિંદુહ્રદય સમ્રાટની અદાથી એવી કોઈ છબી બનાવવા માટે આ ઈન્ટરવ્યૂ આપ્યો નથી. તેમ છતાં તેમની સાથે જોડાયેલી રમખાણો સંદર્ભેની બાબતો પ્રજામાં ફરી એક વખત જુવાળ પેદા કરી શકે છે. ગુજરાત રમખાણોની ચર્ચા માત્રથી મોદીનું સ્થાન પ્રજામાં મજબૂત થાય છે.

જો કે ઈન્ટરવ્યૂમાં મોદીએ રમખાણોમાં પોતાની ભૂમિકાનો બચાવ કરતા કહ્યુ છે કે જો તેઓ દોષિત હોય તો તેમને ફાંસી પર ચઢાવી દેવામાં આવે. એવી રીતે જાહેરમાં ફાંસી આપવામાં આવે કે આવું કૃત્ય કરવાની કોઈ રાજનેતા 100 વર્ષ સુધી હિંમત કરી શકે નહીં. આ સિવાય તેમણે કહ્યુ છે કે કોંગ્રેસમાં જવાથી કોઈ નેતા સેક્યુલર થઈ શકતો નથી. બાબરી ધ્વંસ વખતે શંકરસિંહ વાઘેલા ક્યાં મંચ પર હતા, તે તેમને પુછવું જોઈએ. મોદીએ ઈન્ટરવ્યૂમાં ગુજરાતમાં મુસ્લિમો ખુશ હોવાની, મુસ્લિમ અનામત સંદર્ભે આગવી અસહમતિ દર્શાવી અને ગુજરાતમાં રમખાણો રોકવા તેમની સરકારે શું કાર્યવાહી કરી ત્યાં સુધીની તમામ વાતો કરી છે. આ ઈન્ટરવ્યૂમાં મોદીમાં રમખાણો સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક પામેલી એસઆઈટીના રિપોર્ટમાં મળેલી ક્લિનચિટનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો.

રમખાણોના દશ વર્ષ બાદ મોદી જ્યારે હિંદુત્વવાદીમાંથી સદભાવનાવાદી બન્યા છે, ત્યારે ઉર્દૂ અખબારને આપવામાં આવેલો ઈન્ટરવ્યૂ મુસ્લિમ સમુદાયમાં પીઆર વધારવાની કવાયત તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કઠલાલની પેટાચૂંટણીથી ખુદ મોદી પણ એવું કહેતા થયા કે ભાજપને મુસ્લિમના અમુક ટકા વોટ મળ્યા એટલે જીત થઈ. આ ઘણું મોટું પરિવર્તન છે. 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ એકપણ મુસ્લિમ ઉમેદવારને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી નથી. પરંતુ 2007ની વિધાનસભાની ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મુસ્લિમોને ઉમેદવારીની તક આપી છે. જેમાં મોદીને લાગે છે કે સારા પરિણામ આવ્યા છે અને તેથી 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કેટલાંક મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ દર્શાવાય રહી છે.

ગત વર્ષ સપ્ટેમ્બર માસમાં મોદીએ સદભાવના મિશન અંતર્ગત અમદવાદ ખાતે ત્રણ ઉપવાસ કર્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં કુલ 33 ઉપવાસ કરીને પોતે મુસ્લિમ વિરોધી નહીં હોવાનો સંદેશ આપતો સદભાવનાવાદી ચહેરો બનાવવાનો પ્રયત્ન મોદીએ કર્યો. જો કે મોદીને તેમા કેટલી સફળતા મળી તેના પરિણામો તો તેમની રાષ્ટ્રીય રાજનીતિમાં સ્વીકાર્યતા અને ગુજરાતમાં મુસ્લિમો તરફથી ભાજપને મળનાર મતોથી જ સાબિત થશે. પરંતુ ઉર્દૂ અખબારને મુલાકાત પાછળનું ઈમેજ મેકઓવરનું ગણિત પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

ઉર્દૂ અખબાર નઈ દુનિયા ઉત્તર પ્રદેશના મુસ્લિમ સમુદાયમાં ઘણી મોટી પહોંચ ધરાવે છે. દેશના સૌથી વધારે મુસ્લિમો યૂપીમાં રહે છે અને મુસ્લિમ રાજનીતિ અહીંથી જ નિયંત્રિત થાય છે. જેના કારણે યૂપીમાં મોદીનું ઈમેજ મેકઓવર થાય, તો તેનો ફાયદો રાષ્ટ્રીય રાજનીતિમાં સ્વીકાર્યતા વધારવા માટે થઈ શકે છે. શાહીદ સિદ્દીકી સમાજવાદી પાર્ટીના સાંસદ છે, તેથી ઉર્દૂ અખબારમાં ઈન્ટરવ્યૂથી મુસ્લિમ મતોથી યૂપીની સત્તા હસ્તગત કરનારી સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ મોદી માટે થોડી નરમાશ દાખવે તેવું પણ શક્ય છે. જેનો ફાયદો મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં મળી શકે છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવાની કવાયત વખતે બિહારના મુખ્યમંત્રી અને ઘોર મોદીવિરોધી નીતિશ કુમારે 2014ની ચૂંટણીમાં એનડીએ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવારની ચર્ચા શરૂ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે એનડીએ તરફથી વડાપ્રધાનપદનો ઉમેદવાર સેક્યુલર છબીવાળો હોવો જોઈએ. જેના જવાબમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવેત નિવેદન આપ્યું કે હિંદુત્વવાદી નેતા દેશના વડાપ્રધાન શા માટે બની શકે નહીં? આ નિવેદનને મોદીને સંઘ તરફથી મળેલા ટેકા તરીકે જોવામાં આવે છે. પરંતુ તેમ છતાં 2014 દરમિયાન દેશમાં પ્રાદેશિક પક્ષોની શક્તિને નજરઅંદાજ કરવી મોદી માટે શક્ય નથી. પ્રાદેશિક પક્ષો સેક્યુલારિઝમના મુદ્દે મોદીને રાજકીય રીતે અસ્પૃશ્ય ગણે તો તેમની રાજકીય મહત્વકાંક્ષાઓને ગ્રહણ લાગે તેવી શક્યતા છે. જેના કારણે મોદીનું હિંદુત્વવાદીમાંથી સદભાવનાવાદી ઈમેજ મેકઓવર તેમની પહેલી જરૂરત છે.

રાષ્ટ્રીય સ્તરે મુલાયમ સિંહ અને સમાજવાદી પાર્ટી નરેન્દ્ર મોદી તરફ નરમ વલણ અખત્યાર કરે, તો દેશના મુસ્લિમોનો તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય તેવી પણ શક્યતા છે. જો કે પોતાના સાંસદ શાહીદ સિદ્દીકીના ઈન્ટરવ્યૂના ટાઈમિંગથી નારાજ થઈને મુલાયમ સિંહ ગુજરાતમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર 182 બેઠકો પર ઉતારે, તો પણ મોદીને ફાયદો જ થવાનો છે. રાજ્યમાં મુસ્લિમ મતદારોનો જોક સ્વાભાવિકપણે કોંગ્રેસ અને બિનભાજપી ઉમેદવારો તરફ રહેલો છે. તેથી મુસ્લિમોના થોકબંધ વોટ મોદીને બદલે કોંગ્રેસને મળતા રહ્યા છે. સમાજવાદી પાર્ટી ગુજરાતમાં ઉમેદવાર ઉભા રાખે, તો તેઓ મુસ્લિમ વોટબેંકમાં ભાગ પડાવે અને તેને કારણે કોંગ્રેસને વોટમાં નુકસાન જાય. જેનો સીધો ફાયદો નરેન્દ્ર મોદીને થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગોધરા ખાતે શંકરસિંહ વાઘેલાને હરાવવા માટે બે અપક્ષ મુસ્લિમ ઉમેદવારોને ઉભા રાખીને મુસ્લિમ વોટ તોડવાની રણનીતિ ભાજપે ભૂતકાળમાં અપનાવી છે.

રાષ્ટ્રીય રાજકારણમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ વધવા માટે હિંદુત્વવાદી મોદીને સદભાવનાવાદી બનવું જરૂરી છે. સદભાવનાવાદી બનવા માટે મુસ્લિમો સાથે ઘણી પીઆરની કવાયત કરવી પડશે. આમા મુસ્લિમ મતોથી યૂપીમાં સત્તાસ્થાને પહોંચનારી સમાજવાદી પાર્ટીના નેતા શાહીદ સિદ્દીકીના મુસ્લિમોમાં પહોંચ ધરાવતા અખબાર નઈ દુનિયાનો સહારો મળે, તો તે મોદી માટે સૌથી વધારે ઉત્તમ છે. આ સિવાય મોદીને ગઠબંધન અને શક્તિશાળી પ્રાદેશિક પક્ષોના યુગમાં વડાપ્રધાનપદના ઉમેદવાર બનવા માટે જેડીયૂના નીતિશ કુમારનો વિકલ્પ પણ ઉભો કરવો પડે તેમ છે. જો કે આ વિકલ્પ તરીકે મુલાયમ સિંહ યાદવ સામે આવે નહીં, તો પણ તેમનું મોદી પ્રત્યેનું નરમ વલણ આવા વિકલ્પથી કમ નહીં હોય. 

રવિવાર, 26 ફેબ્રુઆરી, 2012

...તો ગોધરાકાંડ બાદના રમખાણોનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો હોત!


pakistan might take advantage of gujarat riots after gadhra carnage

સરહદે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા લશ્કર ખડકાયું હોય અને દેશની ભીતર કોમી હિંસા ફાટી નીકળે તો તેવી પરિસ્થિતિમાં દુશ્મન દેશને સીધો ફાયદો પહોંચી શકે છે. 13મી ડીસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો થયો અને ત્યાર બાદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આરપારની લડાઈનો નિર્ધાર વ્યક્ત કર્યો. ભારતીય સેના પાકિસ્તાન સરહદે પહોંચી ગઈ અને પાકિસ્તાન સામેના લશ્કરી ઓપરેશનના આદેશની રાહ જોવા લાગી.

તેવા વખતે 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતના ગોધરા જંકશન પાસે સિગ્નલ ફળિયા નજીક ટોળા દ્વારા અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકો સાથેની સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપી દેવામાં આવી. આ ઘટનામાં 58 કારસેવકોના સ્થળ પર જ આગમાં ભડથું થઈ જવાથી મોત નીપજ્યા. પાછળથી વ્યક્તિ મૃત્યુ પામી. આ આગ એટલી વિકરાળ હતી કે ગુજરાતમાં ઠેરઠેર કોમી હુતાસણો ફેલાયા.

ગુજરાતના 151 શહેરો અને 993 ગામડાંઓમાં કોમી હિંસાની આગ ફેલાઈ. રાજ્યના 25 જિલ્લામાંથી 15થી 16 જિલ્લામાં નાનામોટા પ્રમાણમાં કોમી છમકલા થયા. જેમાં 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધીમાં કોમી હિંસાની તીવ્રતા સૌથી વધારે હતી. જેની મોટી અસર 15 માર્ચ સુધી ફેલાયેલી રહી. જો કે સમગ્ર કોમી છમકલાં જૂનના મધ્ય ભાગ સુધી ચાલુ રહ્યા. આ કોમી રમખાણોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતને સૌથી વધારે અસર પહોંચી હતી. કારણ કે મોટાભાગના કારસેવકો આ બંને વિસ્તારોમાંથી આવતા હતા. મૃત્યુ પામેલા કારસેવકોમાં પણ તેમની સંખ્યા મોટી હતી. આ સિવાય ઉત્તર-પૂર્વની ગોધરા નજીકની આદિવાસી પટ્ટીમાં કોમી રમખાણોની તીવ્રતા મોટી હતી. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છ અપવાદરૂપ છમકલાંને બાદ કરતાં એકંદરે શાંત રહ્યા હતા.

ગુજરાતમાં 2002ની રમખાણોની ઘટનાનમાં 790 મુસ્લિમો અને 254 હિંદુઓ માર્યા ગયા હતા, જ્યારે 200થી વધારે લોકોને ગુમ થયેલા ગણાવાયા છે. ગોધરાકાંડ બાદ ભડકેલા હુલ્લડોમાં 500થી વધારે સ્થાનો પર તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે 298 દરગાહો, 205 મસ્જિદો, 17 મંદિરો અને 3 ચર્ચોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 61 હજારથી વધારે મુસ્લિમો અને લગભગ 10 હજાર હિંદુઓ પોતાના ઘરમાંથી બેઘર બન્યા હતા. હુલ્લડો બાદ 27901 હિંદુઓ અને 7651 મુસ્લિમોને તોફાનો માટે જવાબદાર ગણીને જેલમાં નાખી દેવાયા હતા. હુલ્લડોને નિયંત્રિત કરવા માટે પોલીસે 10 હજાર રાઉન્ડ ફાયર કર્યા હતા. પોલીસ ગોળીબારમાં 93 મુસ્લિમો અને 77 હિંદુઓના મોત નીપજ્યા હતા.

આ કોમી રમખાણોને ડામવા માટે રાજસ્થાન અને અન્ય સરહદે યુદ્ધની તૈયારી કરીને ઉભેલા સૈનિકોને બોલાવવા પડયા. આ ઘટનાની તીવ્રતા અને સંવેદનશીલતાને જોતા આખા ઉત્તર ભારતમાં કોમી હુતાસણો ફેલાવવાની શક્યતાઓને જોતા સરકારે અન્ય વિશેષ વ્યવસ્થાઓ કરવી પડી હતી. જો કે સદભાગ્યે કોમી હિંસાની ઘટનાઓ ગુજરાત સુધી જ સીમિત રહી.

પરંતુ વિચાર કરો કે આવા સંજોગોમાં પાકિસ્તાન સાથે ભારતનું યુદ્ધ થયું હોત અને કોમી હિંસા ગુજરાત સુધી જ સીમિત ન રહી હોત, તો દેશ કેવી પરિસ્થિતિમાંથી પસાર થયો હોત? શું આવી ઘટનાનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો ન હોત? શું દેશના પાંચમી કતારીયાને આવી ઘટનાઓ વધારે સબળ બનવા મૂળિયા મજબૂત કરવામાં મદદરૂપ બની ન હોત? આજે પણ ચૂંટણીઓમાં મુસ્લિમ મતોને ચોક્કસ દિશા આપવા માટે ગુજરાતના રમખાણોને યાદ કરવામાં આવે છે. તો સરહદપાર ચાલતા આતંકવાદી કેમ્પોમાં ભારત વિરુદ્ધ જેહાદ માટે કટ્ટરવાદીઓ દ્વારા મુસ્લિમ યુવાનોની ઉશ્કેરણી કરીને બ્રેઈન વોશ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત રમખાણો બાદ ગુજરાતમાં અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો અને 2008માં અમદાવાદમાં 20 શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની ઘટનાને આતંકવાદી પ્રતિક્રિયા તરીકે જોવામાં આવે છે. ગુજરાત હજીપણ આતંકવાદી હુમલાઓ અને ઘટનાઓ સંદર્ભે સંવેદનશીલ ક્ષેત્રની શ્રેણીમાં ગણવામાં આવે છે.

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

મોદીનો ટ્રેક બદલાયો… શું તેઓ વાજપેયીના રસ્તે ચાલવા લાગ્યા છે?..!!


modi changes the track he walks on the road of vajpayee

નરેન્દ્ર મોદી 2002ના ગુજરાત રમખાણો બાદ દેશ-દુનિયામાં બદનામ થયેલું સૌથી મોટું નામ. પરંતુ એક હકીકત એ પણ છે કે ગુજરાતમાં આ નામ સૌથી વધારે લોકપ્રિય છે. તેના કારણે તો એક દસકા જેટલા લાંબા સમયથી અનેક ઝંઝાવાતો સામે મોદીને ગુજરાતની જનતાએ સત્તાના સિંહાસન પર બેસાડયા છે.

દેશ-દુનિયામાં તેમના નામ પર કીચડ ઉછાળવામાં આવે છે, પણ ગુજરાતની જનતાએ તેમને ખોબલે-ખોબલે મતો આપીને ગુજરાતના સત્તાના સૂત્રો સોંપ્યા છે. ગુજરાતે છેલ્લા એક દસકામાં વિકાસના મામલે હરણફાળ ભરી છે. તો કોંગ્રસના વડપણવાળી યુપીએ સરકારની સચ્ચર કમિટીએ પણ કહ્યું છે કે ગુજરાતના મુસ્લિમોની સ્થિતિ દેશના અન્ય ભાગોના મુસ્લિમો કરતાં ઘણી સારી છે છતાં નરેન્દ્ર મોદીની છબી કટ્ટર હિંદુત્વવાદી નેતાની છે.

મુસ્લિમ સમુદાયમાં નરેન્દ્ર મોદીને સૌથી વધારે ધૃણાથી જોવામાં આવતું હોવાની માન્યતા છે. પરંતુ કઠલાલ વિધાનસભા બેઠક પર ભાજપને મળેલી જીત બાદ ખુદ મોદીએ જ કબુલ્યું કે આ જીતમાં મુસ્લિમ મતોની 30 ટકા જેટલી ભાગીદારી છે. અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ગાંધીનગરને બાદ કરતાં તમામ સ્થાનો પર ભાજપને બહુમતી સાથે સત્તા મળી ત્યારે પણ મુસ્લિમ મતો ભાજપને મળ્યા હોવાનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફથી દાવો કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ગુલમર્ગ કેસ સંદર્ભે આવેલા એક જજમેન્ટ બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સદભાવના મિશન હેઠળ ઉપવાસની શરૂઆત કરી છે. સુપ્રીમ કોર્ટના ગુલમર્ગ કાંડ સંદર્ભેના ચુકાદામાં મોદીને ક્લિનચીટ મળી હોવાના દાવા કરાયા છે. જો કે તે ચર્ચાનો અને કાયદાકીય મુદ્દો છે. પરંતુ એકવાત સ્પષ્ટ છે કે મોદીએ પોતાની સત્તાના એક દશકામાં પોતાનો ‘રાજધર્મ’ તો નિભાવ્યો છે. મોદીના ઉપવાસ હવે શુક્રવારે ગોધારામાં થવાના છે. ગોધરાના પોલન બજાર ખાતેના કેસરી ચોકમાં સદભાવના ઉપવાસ થશે.

અહીં શુક્રવારે મુસ્લિમોને નમાજ પઢવા માટે ઈબાદતખાનાની વ્યવસ્થા કરવામાં આવી છે. સંભાવના છે કે મુસ્લિમો મોટી સંખ્યામાં મોદીના સદભાવના ઉપવાસમાં હાજર રહેશે. ગોધરાકાંડને 10 વર્ષ થવા આવશે, દસ વર્ષમાં સાબરમતી નદીમાં ઘણાં નીર વહી ગયા છે ત્યારે જોવાનું એ રહેશે કે 27 ફેબ્રુઆરી, 2002ના સાબરમતી એક્સપ્રેસ કાંડ વિશે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સદભાવના ઉપવાસમાં શું કહે છે? તેનો ઉલ્લેખ કરે છે કે નહીં? શું નરેન્દ્ર મોદી સાબરમતી એક્સપ્રેસની 10મી વરસીએ પણ ગોધરા સ્ટેશન પર પડેલા s-6 કોચની મુલાકાત લેશે કે જેમાં 58 જેટલા કારસેવકો જીવતા ભૂંજાયા હતા? સાબરમતી એક્સપ્રેસ કાંડના મોટાભાગના આરોપીઓ અને સજા પામેલા લોકો ગોધરાના સિગ્નલ ફળિયા અને પોલન બજારના છે. ત્યારે મુખ્યમંત્રી મોદી અહીં શું સદભાવના સંદેશ આપશે, તેને પર સૌની મીટ મંડાયેલી છે.

ગોધરા ખાતેના સદભાવના ઉપવાસથી સ્પષ્ટ થઈ જશે કે હિંદુત્વના પોસ્ટર બોય નરેન્દ્ર મોદી ભાજપના સર્વોચ્ચ નેતા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરશે કે પોતાના આગવા મોદીત્વના સહારે રાજકીય વૈતરણી પાર કરીને દિલ્હીની ગાદીએ પહોંચવાનો પ્રયત્ન કરશે. એટલું તો સત્વ છે કે તેઓ લાલકૃષ્ણ અડવાણીના માર્ગે ચાલવા માગતા નથી. સારા હેતુ માટે થતું પરિવર્તન હંમેશા સારું હોય છે. સદભાવના માટે નરેન્દ્ર મોદીમાં આવેલા પરિવર્તનથી તેમની છબીમાં કોઈ પરિવર્તન થાય તો તે સુખદ છે.

નરેન્દ્ર મોદી પ્રત્યે મીડિયાના એક વર્ગમાં હજી પણ સદભાવના નથી. તેઓ નરેન્દ્ર મોદી પ્રત્યે પક્ષપાતપૂર્ણ વલણ દર્શાવે છે. તેમનું આ વલણ હજી પણ ચાલુ છે અને મોકો મળતા જ તેઓ આ વલણને તીવ્રતાથી દર્શાવે છે. ત્યારે સદભાવના મિશનથી મીડિયાના આ વર્ગમાં સદભાવના સ્થપાશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય છે. આજના યુગમાં મીડિયા વ્યક્તિની છબીને બનાવે છે અને બગાડે છે. ત્યારે નરેન્દ્ર મોદીની હિંદુત્વવાદી છબી લોકોમાં મીડિયા થકી જ વધારે ગાઢ બની છે. જેનો લાભ લઈને નરેન્દ્ર મોદીના પક્ષ અને વિપક્ષમાં રહેલા રાજકીય પ્રતિસ્પર્ધીઓ તેમની ઈમેજને કારણ બનાવીને અવાર-નવાર તેમની રાજકીય મહત્વકાંક્ષામાં ગ્રહણ લગાવી રહ્યા છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતોના ગણિતને આગળ કરીને જેડીયૂના નીતિશ કુમારે મોદીને બિહારમાં ચૂંટણી પ્રચાર માટે આવતા રોક્યા હતા. પરંતુ કદાચ હવે તેમને યૂપીમાં રોકી શકાશે નહીં. ત્યારે શું સદભાવના મિશન તેમના રાષ્ટ્રીય રાજનીતિમાં વડાપ્રધાન બનવા સુધીના મિશનમાં કોઈ રીતે મદદરૂપ થશે કે કેમ? તે પણ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપની સૌથી મોટી વિડંબણા એ છે કે નરેન્દ્ર મોદીને કેન્દ્રીય નેતૃત્વ પોતાનું પ્રતિસ્પર્ધી સમજે છે. જેના કારણે તેઓ હિંદુત્વવાદી ઈમેજમાં કેદ રહીને રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકામાં ન આવે, તેના માટે ગઠબંધન અને અન્ય કારણો આગળ કરીને તેમને રોકવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ભાજપનું હાઈકમાન્ડ ગણાતી કેન્દ્રીય નેતાગીરી કરતાં નરેન્દ્ર મોદી આખા દેશમાં સૌથી મોટા ક્રાઉડ પુલર નેતા છે.

આમ જોવો તો નરેન્દ્ર મોદી માટે પક્ષની અંદર પણ કેન્દ્રીય સ્તરે સદભાવના ઘણી ઓછી છે. તેવા સંજોગોમાં મોદી માટે ગુજરાતમાં સદભાવના મિશન સાથે ભાજપમાં પણ પોતાના તરફે સદભાવના ઉભી થાય તેવું કોઈ મિશન ચલાવવાની હજી પણ જરૂરત છે. મોદીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા હોવાની વાત અંબાણી બંધુઓથી માંડીને જાપાન-ચીન અને છેલ્લે અમેરિકી કોંગ્રેસના રિપોર્ટમાં પણ કહેવામાં આવી છે. છેલ્લે ચેન્નઈ ખાતે તુઘલક મેગેઝીનના સંપાદક અને રાજકીય વિશ્લેષક ચો. રામાસ્વામીએ પણ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં એનડીએ તરફથી આગળ કરવાની વાત કરી છે.

અડવાણીએ પણ કહ્યુ છે કે નરેન્દ્ર મોદીનું કદ વધવાથી તેમને ઘણો ગર્વ થયો છે. પરંતુ મોદીને રાષ્ટ્રીય રાજનીતિમાં તેમના કદ પ્રમાણેની ભૂમિકા આપવામાં કઈ દુર્ભાવના નડે છે અને તેને કેવી રીતે સદભાવનામાં ફેરવવી તે પણ મોદી માટે યક્ષપ્રશ્ન છે? જો કે નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલા આપણું ગુજરાત, આગવું ગુજરાતથી મોદીત્વની શરૂઆત કરી હતી, પણ અત્યારે મોદીત્વ સૌનો સાથ, સૌના વિકાસના સ્ટેશને આવીને ઉભું છે, તે પણ ઘણું સૂચક છે.

રવિવાર, 18 સપ્ટેમ્બર, 2011

ઉપવાસોથી મોદીને રાજકીય સદભાવના સ્થાપવાની તક?


-આનંદ શુક્લ

ઉપવાસ પ્રાયશ્ચિતનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. તેનાથી આત્મશુદ્ધિ થાય છે. કદાચ આત્મશુદ્ધિ અને પ્રાયશ્ચિતની ભારતના રાજકારણમાં સૌથી વધારે કોઈને જરૂર છે, તો તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છે. નરેન્દ્ર મોદી હિંદુત્વની રાજનીતિના ખભે બેસીને ગુજરાતના મુખ્યમંત્રી પદે પહોંચ્યા છે, પરંતુ 2002માં ગોધરાકાંડ અને તેના પછી ફાટી નીકળેલા કોમી રમખાણોએ મોદીને કોમવાદી નેતા બનાવી દીધા છે. ગોધરાકાંડ અને ગોધરાકાંડ પછીની ઘટનાઓ ન રોકી શકવા માટે નરેન્દ્ર મોદીને જરૂરથી દર્દ મહેસૂસ થવું જોઈએ અને તેનું પ્રાયશ્ચિત પણ તેમણે કરવું જોઈએ. જ્યારે રાજનેતા ઉપવાસ કરે છે, તો તેમાં રાજકીય હેતુ આપમેળે નિહિત બની જાય છે. નેતાઓ દ્વારા આવા ઉપવાસો પહેલા પણ થતા રહ્યા છે, જેવા કે નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે, પરંતુ આ કદાચ પહેલીવાર છે કે જ્યારે કોઈ ઉપવાસે રાષ્ટ્રીય આયોજનનું સ્વરૂપ લીધું છે. નરેન્દ્ર મોદીને હ્રદય છે અને તેમાં પણ પરિવર્તન થઈ શકે છે. તેમના સદભાવના મિશન અંતર્ગતના ત્રણ દિવસના ઉપવાસમાં ખોટું કશું જ નથી. રાજકીય ઉદેશ્યવાળા ઉપવાસ કરવા અને તેના માધ્યમથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાનો મોદીને પૂરો અધિકાર છે.

પરંતુ એ સમજવું અઘરું છે કે તેમણે આ ઉપવાસના આયોજન પાછળ આટલો તામ-જામ કેમ કર્યો છે? જેમ કે વ્યાપક પ્રબંધન, તડક-ભડક અને પ્રચાર તંત્ર સાથે થઈ રહેલા ઉપવાસથી એવું લાગી રહ્યું છે કે જાણે કે રાજકીય પક્ષનું મહાઅધિવેશન અથવા રેલી થઈ રહી હોય. ઉપવાસ ભારતીયોની ધાર્મિક શ્રદ્ધા અને આધ્યાત્મિકતાની સફર માટેનું સૌથી સરળ અને સાદું સાધન છે. મહાત્મા ગાંધી પણ આત્મશુદ્ધિ અર્થે ઉપવાસ કરતાં હતા, પરંતુ તેમના ઉપવાસમાં ફાઈવસ્ટાર કલ્ચર હંમેશા ગેરહાજર રહેતુ હતું. નરેન્દ્ર મોદીએ પણ પોતાના ઉપવાસ સાદાઈથી કર્યા હોત તો તેનું મહત્વ અનેકગણું વધી જાત અને તેના સંદર્ભે આટલો હોબાળો થાત નહીં. પરંતુ મોદીના ફાઈવસ્ટાર ઉપવાસથી દેશની જનતામાં એ સંદેશો જઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદી ઉપવાસ દ્વારા પોતાના રાજકીય કદને વિસ્તાર આપી રહ્યાં છે અને પોતાને 2014ની ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે તૈયાર કરી રહ્યાં છે, તો તેમાં લોકોનો દોષ કાઢવો ખોટો છે. કારણ કે ઉપવાસની ઘોષણા ગુજરાતના રમખાણો સંદર્ભેના મોદીને રાહત આપનારા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદીનો દાવો છે કે તે સદભાવના મિશન હેઠળ ત્રણ દિવસના ઉપવાસ દ્વારા એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવા ચાહે છે. પરંતુ એ હજી સુધી સ્પષ્ટ થયું નથી કે તેમને એકતા અને સદભાવનાનું અભિયાન છેડવાની એકાએક જરૂર શા માટે પડી? આમ જોવો તો મોદીના ફાસ્ટ ફેસ્ટિવલમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીથી માંડીને મોટાભાગના નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે અથવા આવી રહ્યાં છે. બધાં સ્વીકારે છે કે મોદીમાં વડાપ્રધાન બનવાની હેસિયત છે. મોદીના ઉપવાસના કાર્યક્રમમાં આવીને ભાજપના નેતાઓએ મને-કમને પોતાનું સમર્થન આપ્યું છે. કમને એટલા માટે કે વિદેશ અને ઉદ્યોગપતિઓ દ્વારા વડાપ્રધાન પદ માટેના નરેન્દ્ર મોદીને દાવેદાર ગણવા છતાં અને દેશભરમાં નંબર વન મુખ્યમંત્રી રહેવા છતાં ભાજપમાં હજી પણ તેઓ નંબર વન નેતા તરીકેની માન્યતા પ્રાપ્ત કરી શક્યા નથી. આમ મોદીના ઉપવાસો આવા ઘણાં સવાલ ઉભાં કરી રહ્યાં છે.

નરેન્દ્ર મોદીએ ઉપવાસના પ્રારંભે કહ્યું છે કે તે એ સુનિશ્ચિત કરવા ચાહે છે કે ગુજરાત ક્યારેય પણ માનવતાના માપદંડોમાંથી નીચે ઉતરશે નહીં. તેમણે કહ્યું છે કે હુલ્લડોનું દર્દ તેઓ મહેસૂસ કરે છે. તેમણે હુલ્લડો સંદર્ભે શાબ્દિક માફી માંગી નથી. પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે જો તેઓ ગુજરાતના તોફાનો માટે જવાબદાર હોય, તો તેમને ફાંસી આપવામાં આવે. પરંતુ એક વાત એ પણ છે કે ગુજરાતના હુલ્લડપીડિતો હિંદુ હોય કે મુસલમાન તેમને સંપૂર્ણ ન્યાય મળી શક્યો નથી. તેના કારણે જુદાંજુદાં રાજકીય પક્ષોને નરેન્દ્ર મોદીને નવેસરથી ઘેરવાનો અવસર મળી ગયો છે.

વિરોધી રાજકીય પક્ષો દ્વારા નરેન્દ્ર મોદીની ઘેરાબંધી એ જ સ્ટીરીયો ટાઈપ આક્ષેપો નીચે થઈ રહી છે. વિરોધી રાજકીય પક્ષોની પ્રતિક્રિયાથી સ્પષ્ટ છે કે તેઓ દુષ્પ્રચારની રાજનીતિમાં પોતાનો વિશ્વાસ ધરાવે છે અને જો તેમનું ચાલે તો ખુદ ન્યાયાધીશ બનીને મોદીને ફાંસીની સજા સંભળાવી દે. પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે દેશમાં ન્યાયતંત્ર સંપૂર્ણ સ્વતંત્રતાથી જીવંત સ્થિતિમાં છે. દેશના ન્યાયતંત્ર પર કોઈ રાજકીય પક્ષને વિશ્વાસ હોય કે ન હોય, પણ દેશની જનતાને તો વિશ્વાસ છે. પરંતુ મોદી વિરોધી રાજકીય પક્ષોએ એક વાત ગાંઠે બાંધવા જેવી છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધના રાજકીય રુદનથી તેઓ વધારે મજબૂત બન્યા છે. એ પણ હાસ્યાસ્પદ છે કે નરેન્દ્ર મોદીના મિશન સદભાવના નીચેના ઉપવાસનો વિરોધ કરનારી કોંગ્રેસ તેમના પ્રદેશ સ્તરના નેતાઓને ઉપવાસ કરવા દઈ રહી છે.

જો નરેન્દ્ર મોદી ઉપવાસ દ્વારા રાજકીય સ્ટંટ કરી રહ્યાં છે, તો તેનાથી મોટો તમાશો ફૂટપાથ પર બેસીને કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા સરીખા નેતાઓ કરી રહ્યાં છે. આખરે કોંગ્રેસ અથવા અન્ય કોઈ પક્ષ કે વ્યક્તિ કોઈને ઉપવાસ કરવાથી કેવી રીતે રોકી શકે? જો નરેન્દ્ર મોદીના ઉપવાસની જાહેરાત બાદ આટલી હાયતોબા મચાવામાં ન આવત તો કદાચ આની આટલી ચર્ચા પણ ન થાત. નરેન્દ્ર મોદીના ઉપવાસ દ્વારા સદભાવના કાયમ કરવામાં કેટલી સફળતા મળશે, તે કહેવું અઘરું છે. પરંતુ મોદીના ઉપવાસ વિરુદ્ધ થઈ રહેલા હોબાળાથી નરેન્દ્ર મોદીનું રાજકીય સ્વરૂપ વધારે વિરાટ બનશે અને તેનો તેમને રાજકીય લાભ પણ મળશે.

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

ગુજરાત સામેના તેજોદ્વેષીઓની “ગેમ” ખુલ્લી પડી


-આનંદ શુક્લ

કાયદાની રમત અને કાયદા સાથે રમત બંને ઘટનાઓ ગુજરાતની 2002ના કોમી રમખાણોની ઘટના સાથે જોડાયેલી છે. ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા હિંદુત્વનો પાયો ઘણો ઉંડો નાખવામાં આવ્યો છે. હિંદુત્વની વિચારધારા ગુજરાત અને દેશભરમાં આગળ વધે તેનાથી કૉંગ્રેસ, કમ્યુનિસ્ટ પક્ષો સહીતના રાજકીય પક્ષોને તો વાંધો છે જ. પરંતુ કેટલીક વિદેશી હિતસાધક એનજીઓ અને કથિત કર્મશીલોને પણ તેનાથી વાંધો છે. ભારતમાં કાયદો ન્યાય માટે પૂરો અવકાશ આપે છે. આવી કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખીને વિદેશી હિતસાધક કર્મશીલો અને એનજીઓની એક ધરી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને હિંદુવાદી સંગઠનો પાછળ હાથ ધોઈને પડી છે. તેમને તેમના આ મિશનમાં મીડિયાનો સાથ મળ્યો છે. ગુજરાતમાં હિંદુત્વને આગળ વધતું અટકાવવા અને નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે મીડિયાએ કર્મશીલોના ઈશારે નાચીને ઘણાં ધમપછાડા કર્યા છે.

ઘણાં કેસોમાં મીડિયા ટ્રાયલ ચાલી. બેસ્ટ બેકરી કેસ તેનું ઉદાહરણ છે. જ્યારે બેસ્ટ બેકરી કેસમાં વડોદરાની અદાલતે આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા, ત્યારે મીડિયાએ કર્મશીલો સાથે કોરસમાં હોબાળો મચાવ્યો હતો. તેમની મીડિયા ટ્રાયલે ગુજરાતના વાતાવરણમાં ભારે તણાવ ઉભો કરી દીધો હતો. ગુજરાતનું ન્યાયતંત્ર ભયાનક કક્ષાએ બદનામ થયું હતું. બેસ્ટ બેકરી સહીત રમખાણોના 9 જેટલાં કેસો ગુજરાત બહાર ખસેડવામાં આવ્યા.ત્યાર બાદ બેસ્ટ બેકરી કેસમાં આરોપીઓને સજા થઈ. તેની સામે તાજેતરમાં આવેલા ગોધરા કાંડના ચુકાદામાં ઘણાં આરોપીઓ છૂટી ગયા. ગોધરાકાંડનો મુખ્ય આરોપી પણ છૂટી ગયો. પરંતુ મીડિયા અને કર્મશીલોએ આ કેસમાં છૂટી જનારા લોકો સંદર્ભે કોઈ મોટો હોબાળો મચાવ્યા નહીં. તેના માટે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં કોઈ રીટની કાર્યવાહી કરી નહીં. બેસ્ટ બેકરી કેસ અને અન્ય 9 કેસોમાં મુસ્લિમો મર્યા હતા અને ગોધરાકાંડમાં હિંદુઓ મર્યા હતા. તેને કારણે મુસ્લિમો તરફે જ લડવું અને બોલવું મીડિયા અને કર્મશીલો નક્કી કરીને બેઠા હોવાનું જ સામે આવે છે. ગોધરાકાંડ પછીના તોફાનોની વારંવાર વાતો કરનારા લોકો ગોધરાકાંડ સંદર્ભે બેશરમ મૌન રાખે છે. ગુજરાતની જનતાએ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને 2002, 2007ની ચૂંટણીમાં પોતાનો પ્રત્યાઘાત આપ્યો છે. ગુજરાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રહેલી ભાજપને બહુમતી આપી છે. જો કે મીડિયાને વશવશો હશે કે તેમનું મિશન મોદી અને ભાજપ હટાવો સફળ થઈ શક્યું નહીં.

દુષ્પ્રચાર અને મુદ્દા ઉઠાવવા બંને વચ્ચે મોટો ભેદ છે. ગુજરાતમાં હિંદુત્વની પાયો નાખી ચુકેલી વિચારધારાને કોમવાદી ગણીને તેનો તેજોદ્વેષ કરવો સૌથી મોટી નાલાયકી છે. હિંદુત્વને રાજકીય રીતે અનુસરવું લોકોની પસંદગી છે. આ પસંદગીને ખોટી ઠેરવવાનો કોઈને હક નથી. હિંદુત્વને કોમવાદ ગણાવીને તેના નામે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, હિંદુ સંગઠનો અને ભાજપ પર માછલા ધોવાની વૃતિ પબ્લિક ઓપિનિયનને બદલવા માટેની નિર્લજ્જ કવાયત છે. ગુજરાતમાં મુદ્દા ઘણાં ઉઠાવી શકાય તેમ છે. ગુજરાતમાં સાડા સાત વર્ષ સુધી લોકાયુક્ત ન હતા. પરંતુ જ્યારે રાજ્યપાલે લોકાયુક્તની નિમણૂક કરી ત્યારે જ મીડિયાએ લોકાયુક્તનો મુદ્દો ઉઠાવ્યો. ગુજરાતમાં ગોચરની જમીનો પર અતિક્રમણનો મુદ્દો છે. ગુજરાતમાં ઉદ્યોગોને અપાતી કથિત વધુ પડતી રાહતોનો મુદ્દો છે. ખેતીની જમીનો ઉદ્યોગોને આપવાની બાબત છે. કેગના રિપોર્ટ પ્રમાણેની નાણાંકીય ગેરરીતિનો મુદ્દો છે. પણ આવા મુદ્દા ટીવી ચેનલને સનસનાટીપૂર્ણ અને ટીઆરપી વધારનારા લાગતા નથી. તેને કારણે મોદી સામે મોરચો ખોલવા માટે તેમને ગુજરાતના 2002ના રમખાણો, સોહરાબુદ્દીન-કૌસરબી એન્કાઉન્ટર, ઈશરત જહાં એન્કાઉન્ટર જેવાં સનસનાટીપૂર્ણ ટીઆરપી વધારનારા અને ચોક્કસ રાજકીય પક્ષોને મદદ કરનારા મુદ્દાઓ જ હાથમાં આવે છે.

ગુજરાતમાં વિકાસ પૂરઝડપે ચાલી રહ્યો હોવાનો મુખ્યમંત્રી દાવો કરી રહ્યાં છે. ઘણાં રિપોર્ટો તેમની વાતને સમર્થન આપે છે. ત્યારે મીડિયા આ મુદ્દા પર તેમની કોઈ ભૂલ અથવા કોઈ કમી શોધીને લોકો સામે લાવી શકે તેમ છે કે કેમ? મીડિયા અને કર્મશીલોએ જવાબ આપવો જોઈએ કે 2002ની ઘટનાઓ બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ક્યાં કાચા પૂરવાર થયા છે? નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે કઈ જગ્યાએ કેવી રીતે કાચા પૂરવાર થયા છે? કોઈ ઈન્ટરવ્યૂ હોય તો કરણ થાપર કે વિજય ત્રિવેદી જેવાં મુલાકાતકર્તા નરેન્દ્ર મોદીને ગોધરાકાંડ અને રમખાણોના પ્રશ્નો પુછીને મુંઝવવાનો દાવો કરીને વાહવાહી લૂંટીને ટીઆરપી અંકે કરતાં હોય છે. આ વૃતિ કેટલી વ્યાજબી છે?

ગુલમર્ગ સોસાયટી કાંડમાં દિવંગત કોંગ્રેસી નેતા અહેસાન જાફરીના પત્ની જાકિયા જાફરી દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશનને આધારે રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે પોતાની તપાસને આધારે કહ્યું છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ પુરાવા નથી. સુપ્રીમ કોર્ટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ અને એમેક્સ ક્યુરીના રિપોર્ટ નીચલી અદાલતને સુપ્રત કર્યા છે. સુપ્રીમ કોર્ટે આ કેસનું મોનિટરિંગ કરવાનો પણ ઈન્કાર કર્યો છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ગુજરાત અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ દ્વેષીલો-ઝેરીલો પ્રચાર ચાલી રહ્યો છે, તેનો અંત આવે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે. જેના કારણે એ વાતને બળ મળે છે કે રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય 62 વ્યક્તિઓ પર અનિર્ણાયકતા અને ફરજ ચૂકના આરોપો મૂકવામાં આવ્યા હતા, તે માત્ર અને માત્ર રાજકારણનો ભાગ છે. તેમાં ન્યાયતંત્રને ખોટી રીતે કાયદાઓના ઉપયોગથી ઢસડવામાં આવ્યું હતું. કોઈએ 1984ના શીખ વિરોધી રમખાણો અથવા ભાગલપુરના તોફાનોને આવી રીતે ન્યાયતંત્રમાં લઈ જવાની વાત કરી નથી. માત્ર ગુજરાતને જ આવી બાબતો કેમ લાગુ પડે છે, તે સમજવું ખરેખર અઘરું છે.

માત્ર એક જ નહીં ગુજરાતના સંખ્યાબંધ કેસમાં સીધા જ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પક્ષકારો દ્વારા અપનાવામાં આવેલી પદ્ધતિ ટીકા પાત્ર છે. કારણ કે તેના દ્વારા તેવો એવું સ્થાપિત કરવા માંગે છે કે ગુજરાતમાં ન્યાયતંત્ર જેવી કોઈ ચીજ નથી. પક્ષકારોના આવા વલણોથી સમગ્ર ન્યાયતંત્રની બદનામી થઈ છે. ગુલબર્ગ સોસાયટીના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે પણ ટેલિવિઝન પર બકવાસ કરીને નિર્ણયની ટીકા કરનારાઓની નોંધ સુપ્રીમ કોર્ટે લેવા જેવી ખરી.

માનવાધિકાર કાર્યકર્તાઓની રંગભૂમિ માત્ર ગુજરાત જ શા માટે છે? શું અન્ય કોઈ રાજ્યોમાં માનવાધિકાર હનનના કોઈ કિસ્સા બનતા જ નથી? મીડિયા ગુજરાતલક્ષી બનીને અહીંની નાનામાં નાની ઘટનાને સનસનાટીપૂર્ણ બનાવીને બતાવતું રહે છે. ત્યારે મીડિયા માટે ભારતમાં બનતી માનવાધિકારની ઘટનાઓ ગુજરાત સુધી જ સીમિત છે? ગુજરાત અને ભારતમાં અન્ય તમામ સ્થાનો પર કોમી તોફાનોની ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ જૂની બાબતોની ખણખોદ કરીને વાતાવરણ તણાવપૂર્ણ કરવાનો પ્રયાસ નિંદાજનક નથી?

વિચારધારાને નિશાન બનાવવા માટે કોઈ એક વ્યક્તિ વિરુદ્ધ આટલો બધો દુષ્પ્રચાર કરવાનો આઝાદ ભારતના રાજકીય ઈતિહાસમાં આ પહેલો બનાવ છે. કેટલીક ઘટનાઓમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હોવાના કારણે કિન્નાખોરી રખાતી હોવાની વાત પણ પ્રતિપાદીત થતી હોય તેવો ભાસ ઉભો થાય છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી એસઆઈટીના કાબેલ અધિકારીઓએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સતત 9 કલાક પૂછપરછ કરી હતી. આ સિવાય અન્ય 62 વ્યક્તિઓની પણ સઘન પૂછપરછ થઈ હતી. આ પૂછપરછના આધારે તેમને કોઈ પુરાવા હાથ લાગ્યા ન હતા. આનો અર્થ એ થયો કે જેમના તરફ આંગળી ચિંધવામાં આવી હતી, તેઓ સામે આવી બાબતો રાજકીય પ્રચારથી વધારે કશું જ ન હતી. સુપ્રીમ કોર્ટ હવે આ કેસની બહાર છે. ત્યારે સવાલ એ છે કે આટલી ખોટી રીતે કાયદાનો ઉપયોગ કરીને સીધા સુપ્રીમમાં કેસ લડવા માટે ક્યાંથી નાણાં અને ફંડ પૂરું પડે છે? શું આની પાછળ કોઈ રાજકીય પક્ષની હિતસાધના છે અથવા વિદેશમાંથી હિતસાધક તત્વોને મદદ મળી રહી છે? સુપ્રીમ કોર્ટમાં એક દિવસ માટે વકીલોની ફી લાખો રૂપિયામાં હોય છે. ગુજરાતના હજી ડઝનબંધ કેસો સુપ્રીમ કોર્ટમાં છે. ત્યારે આ કેસ લડવા માટે મળી રહેલા ફંડ સંદર્ભે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા જ તપાસ થાય તે ઈચ્છનીય છે. પ્રજા ઉબાઈ જાય તેટલી હદે વાતનું વતેસર કરવા પાછળ મીડિયા અને ધર્માંતરીત કાર્યકરો તથા તેમના મળતિયાંઓને કોણ બહેકાવી રહ્યું છે, તે પણ ઊંડી તપાસનો મુદ્દો છે. કારણ કે સવાલ માત્ર નરેન્દ્ર મોદીનો નથી, આ મુદ્દા પર સવાલ હિંદુત્વની વિચારધારાને નિશાન બનાવવાનો અને ગુજરાતને બદનામ કરવાનો પણ છે.