રવિવાર, 3 ઑગસ્ટ, 2014

ચીન-નેપાળના દોરીસંચાર હેઠળ નેપાળમાંથી ભારત માટેની ઉષ્મામાં ઘટાડો રાષ્ટ્રીય હિતો માટે જોખમી

આનંદ શુક્લ
નેપાળના રાજકીય ઈતિહાસમાં અનેક ઉથલ-પાથલો બાદ રાજાશાહીથી લોકશાહીના માર્ગે ચાલવા લાગ્યું છે. પરંતુ ભારત માટે અતિ મહત્વના પાડોશી દેશ પ્રત્યે છેલ્લા 17 વર્ષથી ઉપેક્ષિત વલણ અપનાવાયું છે. 1997માં તત્કાલિન વડાપ્રધાન આઈ. કે. ગુજરાલ કાઠમંડૂ ગયા હતા. પરંતુ ત્યાર બાદ ભારતના વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી અને ડૉ. મનમોહનસિંહ નેપાળની મુલાકાતે ગયા નથી. પણ નેપાળના રાજકીય ઘટનાક્રમ પ્રત્યેનું દુર્લક્ષ્ય ભારત માટે ખતરનાક નીવડી શકે છે....
મે-2009માં વડાપ્રધાન પ્રચંડે રાષ્ટ્રપ્રમુખ રામ બરન યાદવ સાથેના વિવાદમાં રાજીનામું આપી દીધું. માઓવાદીઓને નેપાળી સેનામાં સામેલ કરવાના મામલે મતભેદ સર્જાયા હતા. માઓવાદીઓએ સરકાર છોડી દીધી હતી. કમ્યુનિસ્ટ નેતા માધવ કુમાર નેપાળ નવા વડાપ્રધાન બન્યા હતા. તે જ સમયે બ્રિટિશ સેનામાં ચાર વર્ષ ફરજ બજાવનારા ગુરખા સૈનિકોને ઈંગ્લેન્ડમાં વસવાટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ડિસેમ્બર-2009ના રોજ માઓવાદીઓ દ્વારા બળપૂર્વક જમીન કબજે કરવાના મામલે ચાર લોકોની હત્યા કરાઈ હતી. તેના કારણે ફરીથી શાંતિ પ્રક્રિયા પર જોખમ પેદા થયું હતું.
મે-2010માં નવા બંધારણના મુસદ્દાને તૈયાર કરવા માટે મે-2011 સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જૂન-2010માં વડાપ્રધાન માધવકુમાર નેપાળે માઓવાદીઓના દબાણમાં સરકાર છોડી હતી. જાન્યુઆરી-2011માં યુએસ પીસ મોનિટરિંગ મિશનને પોતાનું નેપાળ ખાતેનું અભિયાન સમાપ્ત કર્યું.. ફેબ્રુઆરી-2011ના રોજ જ્હાલનાથ ખનાલ નેપાળના વડાપ્રધાન બન્યા હતા. મે-2011માં બંધારણીય સભામાં નવા બંધારણના મુસદ્દાની રચના માટેની ડેડલાઈન જાળવી શકાય નહીં. ઓગસ્ટ-2011માં નવા બંધારણના વિરોધ મામલે ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયેલા પીએમ ખનાલે રાજીનામું આપ્યું હતું.
માઓવાદી પાર્ટીના બાબુરામ ભટ્ટારી નવા વડાપ્રધાન બન્યા હતા. તેમણે માઓવાદી બળવાખોરોને સેનામાં સામેલ કરવા અને નવા બંધારણના મુદ્દે સંમતિ સાધવા તબક્કાવાર કોશિશો કરવાનું વચન આપ્યું હતું. મે-2012માં ભટ્ટારીએ નવા બંધારણ સંદર્ભે સંમતિ નહીં સધાતા સંસદ ભંગ કરીને નવેમ્બરમાં ચૂંટણી જાહેર કરી હતી. તેઓ કાર્યવાહક સરકારના વડાપ્રધાન તરીકેના પદભાર પર યથાવત રહ્યા હતા.

માર્ચ-2013માં મુખ્ય ન્યાયાધીશ ખિલરાજ રેજ્મીને વચગાળાની એકતા સરકારની નેતાગીરી સોંપવામાં આવી હતી. એપ્રિલ-2013માં નાગરિક યુદ્ધમાં ગુનાઓની તપાસ માટે સરકારની યોજનાને નેપાળની સુપ્રીમ કોર્ટે સસ્પેન્ડ કરી હતી. મે-2013માં માઉન્ટ એવરેસ્ટ સર કરાયાની સાઠમી વરસીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવેમ્બર-2013માં નવી બંધારણીય સભાની ચૂંટણી યોજાઈ હતી.

નેપાળી કોંગ્રેસ પાર્ટીને મોટાભાગની બેઠકો જીતવામાં સફળતા મળી હતી. માઓવાદીઓએ ચૂંટણીના પરિણામો સંદર્ભે આશંકાઓ વ્યક્ત કરી હતી. 26 મે-2014ના રોજ નેપાળના વડાપ્રધાન સુરેશ કુમાર કોઈરાલાએ પીએમ નરેન્દ્ર મોદીની શપથવિધિમાં હાજરી આપી હતી. 26 જુલાઈ-2014 ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ નેપાળની ત્રણ દિવસીય યાત્રાએ ગયા હતા. અહીં ભારત અને નેપાળના સંયુક્ત પંચની 23 વર્ષ બાદ બેઠક પણ યોજાઈ હતી.
ઉતાર-ચઢાવવાળા ભારત અને નેપાળના સંબંધોમાં છેલ્લા કેટલાંક વર્ષોથી ઉષ્મા ગાયબ છે. ત્યારે મોદી સરકાર નેપાળ સાથે સંબંધો સુધારીને ભારતના સામરિક હિતોને ક્ષેત્રીય સ્તરે સાધવા ઈચ્છે છે. વળી પરંતુ વાજપેયી અને મનમોહનસિંહના 15 વર્ષ જેટલા કાર્યકાળમાં નેપાળની ઉપેક્ષા થઈ હોય તેવી એક લાગણી બંને દેશોમાં પ્રવર્તી રહી છે. ત્યારે નેપાળમાં ચીન અને પાકિસ્તાનની સક્રિયતા જોતા આતંકવાદ અને નકલી ભારતીય ચલણ તથા ચીનના માલના ડમ્પિંગને અટકાવવા માટે જરૂરી સમજૂતીઓની મોટી જરૂરી છે. 

મોદીનું પાશુપતાસ્ત્ર નેપાળમાં ચીનના દોરીસંચાને ખતમ કરવામાં સફળ થશે?

આનંદ શુક્લ

17 વર્ષ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન આઈ. કે. ગુજરાલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાઠમંડૂમાં મહત્વના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારશે. પરંતુ 17 વર્ષના ગાળામાં વિદેશનીતિમાં માહેર ગણાતા અટલ બિહારી વાજપેયી અને તેમના અનુગામી પીએમ મનમોહનસિંહ ચીન ગયા પણ નેપાળ ગયા નથી.

 ભારત-નેપાળ વચ્ચેના સદીઓ જૂના પ્રગાઢ સાંસ્કૃતિક સંબંધો છતાં બંને વચ્ચે અંતર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેવા સંજોગોમાં ચીન અને પાકિસ્તાનના વધતા પ્રભાવને ઘટાડીને ભારતના સામરિક હિતોની સુરક્ષા થાય તેના માટે મોદીની કાઠમંડૂની મુલાકાત મહત્વની છે. ભારતના બોલીવુડ સ્ટાર અને ફિલ્મોનો વિરોધ.. પાશુપતિનાથના મંદિરમાં દક્ષિણ ભારતીયોની પૂજાનો મામલો.. ભારતીય મૂળના મધેશીનો મામલો.. બિહાર સરહદે ભારતની છ હજાર એકર જમીન પર કબજાનો મામલો... ઉપરાષ્ટ્રપતિ પરમાનંદ ઝા દ્વારા હિંદીમાં શપથ લેવાનો વિવાદ.. ઉકેલવા પણ એટલા જ જરૂરી છે.

1815-16માં એંગ્લો-નેપાળ યુદ્ધ બાદ સુગૌલી સંધિ થઈ. નેપાળને બટવાલનો વિસ્તાર મળ્યો હતો.  1949માં માઓના કુખ્યાત પુસ્તક ચાઈનિઝ રિવોલ્યૂશન એન્ડ ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીમાં નેપાળને ચીનના એક રાજ્ય તરીકે ગણાવવામાં આવ્યું હતું. 1950માં ભારત-નેપાળ વચ્ચે શાંતિ અને મૈત્રીની મહત્વપૂર્ણ સમજૂતી થઈ. 1951-59 દરમિયાન ભારત-નેપાળ સંબંધોમાં સરકારી દબાણ હેઠળ તબક્કાવારપરિવર્તન થયા. ચીન અને સોવિયત સંઘ સહીત અનેક દેશો સાથે કૂટનીતિક સંબંધોમાં પરિવર્તન કરવા નેપાળ તરફથી પ્રયત્ન કરાયા હતા. 1955માં નેપાળને સંયુક્તરાષ્ટ્રનું સભ્યપદ પ્રાપ્ત થતા વિદેશ અને સંરક્ષણ ક્ષેત્રે કૂટનીતિક પરિવર્તનો વધુ ઝડપી બન્યા હતા. નવેબર-1959માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદમાં કહ્યુ કે નેપાળ પર કોઈપણ પ્રકારનો હુમલો ભારત પર કરવામાં આવેલો હુમલો માનવામાં આવશે. તો તેને જવાબમાં બી. પી. કોઈરાલાએ જવાબ આપ્યો કે ભારત નેપાળની વિનંતી વગર આવું એકપક્ષીય પગલું ભરી શકે નહીં.

1962ના ભારત અને ચીન યુદ્ધમાં નેપાળે પ્રત્યક્ષપણે તટસ્થ નીતિ અપનાવી હતી. પરંતુ જાણકારો પ્રમાણે.. સહાનુભૂતિ પરોક્ષપણે ચીન તરફી હતી.  1962ના ચીનના ભારત પર આક્રમણ અને યુદ્ધ બાદ નેપાળ સાથેના સંબંધો ભારત માટે અતિ મહત્વપૂર્ણ બન્યા હતા. તત્કાલિન ગૃહ પ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીને નેપાળની યાત્રા પર મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ નેપાળ નરેસ ભારતની 13 દિવસની મુલાકાતે આવ્યા અને પછી તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન પણ નેપાળ ગયા હતા. આ સમયગાળા દરમિયાન નેપાળ સાથે સંબંધો એટલી હદે સુધર્યા કે નેપાળની રાષ્ટ્રીય પંચાયતના અધ્યક્ષ સૂર્યબહાદૂર થાપાએ કહ્યુ કે જ્યાં સુધી એકપણ નેપાળી જીવિત છે.. ત્યાં સુધી નેપાળના રસ્તે કોઈપણ શક્તિને ભારત પર આક્રમણ કરવાની મંજૂરી મળી શકશે નહીં.  23 સપ્ટેમ્બર, 1964ના રોજ ભારતીય વિદેશ પ્રધાન સરદાર સ્વર્ણસિંહ પણ નેપાળ જઈને એક સમજૂતી કરી આવ્યા હતા. કોસી યોજનાની નહેરનું ઉદ્ઘાટન 24 એપ્રિલે, 1965ના રોજ તત્કાલિન વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીએ કરી હતી. ડિસેમ્બર-1965ના રોજ નેપાળના મહારાજા ફરીથી ભારતના પ્રવાસે આવ્યા હતા. નેપાળ નરેશે સ્વીકાર કર્યો હતો કે ભારતની મદદથી નેપાળમાં પુરતી પ્રગતિ સાધી શકાઈ છે.

1964માં ચીન અને નેપાળ વચ્ચે એક વ્યાપારીક સંધિ થઈ હતી. નેપાળના વડાપ્રધાન સૂર્યબહાદૂર માર્ચ-1966માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેના થોડા સમય બાદ સાડા ચાર ચોરસ માઈલ લાંબા સુસતા નામના ક્ષેત્ર બાબતે વિવાદ પેદા થયો હતો. 22 ઓક્ટોબર-1967ના રોજ તત્કાલિન નાયબ વડાપ્રધાન મોરારજી દેસાઈએ નેપાળની યાત્રા દરમિયાન આર્થિક અને તકનીકી મદદનું વચન આપ્યું હતું. તો 5થી 9 જૂન 1968 દરમિયાન તત્કાલિન વિદેશ પ્રધાન દિનેશસિંહે સુસ્તા વિસ્તાર અને પશ્ચિમી કોસી નહેર સંદર્ભે વાતચીત કરી હતી. તે સમયે પશ્ચિમી કોસી નહેર યોજનાને નેપાળે મંજૂરી આપી ન હતી.

1968માં ચીન અને નેપાળે સાંસ્કૃતિક તથા વૈજ્ઞાનિક સંધિઓ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. નેપાળ અને ચીન વચ્ચે આ સમયગાળા દરમિયાન જ કાંઠમંડૂ-કોંડારી રાજપથ નિર્માણ માટે સમજૂતી થઈ હતી. તેના કારણે ભારતની ઉત્તરીય સરહદે સુરક્ષા સંકટ પેદા થઈ ગયું છે. 1969માં ભારત યાત્રા દરમિયાન નેપાળના વિદેશ પ્રધાને આ મામલો ઉઠાવ્યો હતો અને બંને દેશો વચ્ચે પશ્ચિમી સરહદના પુનર્નિર્ધારણ કરવાની માગણી કરી હતી.. 22 જૂને-1969ના રોજ નેપાળના તત્કાલિન વડાપ્રધાને ભારત વિરોધી ગણી શકાય તેવું નિવેદન આપ્યું હતું. કાર્તિનિધિ બિષ્ટે કહ્યુ હતું કે ભારત અને નેપાળ વચ્ચે કોઈ વિશેષ સંબંધ નથી. તથાકથિત ભારતીય સુરક્ષા માટે નેપાળ પોતાના સાર્વભૈમત્વને મર્યાદિત કરી શકે નહીં. કીર્તિનિધિએ શસ્ત્રસરંજામ પુરવઠાની સમજૂતી રદ્દ કરાય તેવી સ્પષ્ટતા પણ કરી હતી.

ભારત સરકારે જુલાઈ-1970માં પોતાના સૈન્ય દળોને પાછા ફરવા આદેશ આપ્યા હતા.  ફેબ્રુઆરી-1973માં ઈન્દિરા ગાંધી નેપાળ ગયા હતા. ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે નેપાળ એક સાર્વભૌમ રાજ્ય છે અને ભારત તેના પર કંઈપણ થોપવા માટેની ઈચ્છા ધરાવતું નથી. 10 મે-1973ના રોજ નેપાળી એરલાઈન્સનું એક વિમાન કેટલીક વ્યક્તિઓએ હાઈજેક કર્યું હતું. ફારસીગંજ નામની ભારતીય સરહદ નજીક આ વિમાનને ઉતરાણ માટે મજબૂર કરાયું હતું. અફવાઓ તેજ બની હતી કે ભારતની ઈચ્છાને કારણે જ વિમાન હાઈજેક થઈ શક્યું છે. નેપાળે ભારતને અપહરણકર્તાઓની ભાળ મેળવવા જણાવ્યું હતું. ભારતને આ વિમાન અપહરણ મામલે કેટલાંક તથ્યો પ્રાપ્ત થયા હતા અને તેને નેપાળ સરકારને સોંપવામાં આવ્યા હતા.
1975માં તત્કાલિન નેપાળ નરેશ વીરેન્દ્ર વીર વિક્રમ શાહ દેવે નેપાળને આંતરરાષ્ટ્રીય શાંતિ ક્ષેત્ર તરીકે માન્યતા મળે તેવો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને ચીન અને પાકિસ્તાને ટેકો આપ્યો હતો.

1976માં બને દેશો વચ્ચેના સંબંધોમાં નક્કર કાર્ય થયું હતું. રાજકીય અને સરકારી સ્તરે ઘણી યાત્રાઓ થઈ હતી. તેનાથી બંને સરકારો વચ્ચે સતત વાતચીત અને સંપર્ક જળવાયો હતો. ભારતે એ નિશ્ચય કર્યો કે નેપાળના જે નાગરિક ભારતના સંરક્ષિત પ્રતિબંધિત વિસ્તારોમાં આવવા ઈચ્છે તેમને પણ અન્ય વિદેશી રાષ્ટ્રોની સમકક્ષ માનવામાં આવશે અને પ્રવાસ માટે પરમિટ મેળવી પડશે.

માર્ચ-1977માં ભારતમાં નવી સરકાર બનતા વાતાવરણ વધુ સુખદ બન્યું હતું. પાડોશી દેશો સાથે મિત્રતા વધારવાના હેતુથી તત્કાલિન ભારતીય વિદેશ પ્રધાન અટલ બિહારી વાજપેયીએ નેપાળની યાત્રા કરીને બંને દેશો વચ્ચેની ઘણી સમસ્યાઓને ઉકેલી હતી.

બાદમાં એપ્રિલ-1977ના રોજ નેપાળ નરેશ વીરેન્દ્રએ પણ ભારતનો પ્રવાસ કર્યો હતો. એક સમજૂતી પ્રમાણે- ભારતે નેપાળને બાંગ્લાદેશ સાથે વેપાર કરવા માટે ભારતમાં થઈને જવાની સુવિધા પ્રદાન કરી હતી. તેનાથી સંબંધોમાં નવો વળાંક આવ્યો હતો. 1977માં ભારતીય જનમતે જે. પી.ની સાથે જ રાજા વીરેન્દ્રને ભૂતપૂર્વ નેપાળી વડાપ્રધાન જી. પી. કોઈરાલાને જેલમાંથી છોડવાની અપીલ કરી હતી. તેનું અનુકૂળ પરિણામ આવ્યું.

ડિસેમ્બર-1977માં તત્કાલિન વડાપ્રધાન મોરરાજી દેસાઈએ નેપાળનો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા ઘણી સફળ રહી હતી. આ પ્રસંગે નેપાળના તત્કાલિન વડાપ્રધાન કીર્તિનિધિ વિષ્ટે કહ્યુ કે ભારત સરકારની નીતિઓમાં એક નવો દ્રષ્ટિકોણ દેખાઈ રહ્યો છે. તેના માટે પરિસ્થિતિઓને વધારે ગંભીર અને પરિપકવ ઢંઘથી સમજવાની ભાવના છે. આ યાત્રામાં બંને દેશોના સામૂહિક પ્રયત્નોથી વીજ પરિયોજનાઓ અને બંને દેશો વચ્ચે પાણીનાસ્ત્રોતના ઉપયોગની અન્ય સમસ્યાઓ પર પણ સંમતિ સાધી શકાઈ છે. આ યોજનાઓ કરનાલી.. પંચેશ્વર અને રષ્પી સાથે સંબંધ ધરાવે છે. દેવીઘાટ વીજ પ્રોજેક્ટ પર ભારત લગભગ 32 કરોડ રૂપિયા ખર્ચ કરવાનું હતું. તેવી રીતે દુલાલઘાટ ધાનકુટ્ટા પર્વતીય માર્ગ પર પણ કામ થવાનું હતું. આ વિરાટ પરિયોજના પાછળ 2 અબજ રૂપિયાનો ખર્ચ આવ્યો.

1984માં નેપાળે ફરથી આંતરરાષ્ટ્રીય શાંતિક્ષેત્ર ઘોષિત કરવાના પ્રસ્તાવનું પુનરાવર્તન કર્યું હતું. પણ ભારતે પ્રતિક્રિયા આપી નહીં. નેપાળ ચીનની મદદથી આ પ્રસ્તાવને આંતરરાષ્ટ્રીય મંચો પર આગળ વધારતુંગયું અને 1990માં તેને આ મામલે 112 દેશોનો ટેકો પણ મળ્યો હતો. 1988માં વેપાર-પરિવહન સંધિ મામલે વિવાદ પેદા થયો હતો. તેમા નેપાળે 1988માં ચીન પાસેથી શસ્ત્રો આયાત કરતા મામલો વધુ વણસ્યો હતો. નેપાળની આ હરકતને ચીન સાથે સૈનિક સંબંધોની સ્થાપનાનો સંકેત માનવામાં આવ્યો હતો. 23 માર્ચ, 1989ના રોજ બે વખત મર્યાદા વધાર્યા બાદ વેપાર અને પરિવહન સંધિઓ સમાપ્ત થઈ હતી. એપ્રિલ-1990માં ભારતે નેપાળ સાથે આર્થિક સહયોગ પણ સમાપ્ત કરીદીધો હતો

 જૂન-1990માં નેપાળના તત્કાલિન વડાપ્રધાન કૃષ્ણાપ્રસાદ ભટ્ટરાયે બંને દેશના આર્થિક અને રાજકીય સંબંધોની પુનર્સ્થાપનાનું મહત્વ સમજીને ભારતના તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહ સાથે નવી દિલ્હી ખાતેના સંમેલનમાં બંને દેશો વચ્ચે સુરક્ષા સંબંધોની નવેસરથી શરૂઆત કરી હતી.ડિસેમ્બર-1991માં નેપાળી વડાપ્રધાન ગિરિજાપ્રસાદ કોઈરાલાની ભારત યાત્રા બંને દેશોએ નેપાળને વધારે આર્થિક લાભ માટે નવી અને અલગ વ્યાપારિક અને પરિવહન સંધિઓ પર હસ્તાક્ષર કર્યા હતા.

એપ્રિલ-1995માં નેપાળના વડાપ્રધાન મનમોહન અધિકારીએ નવી દિલ્હી ખાતે ઉચ્ચસ્તરીય વાતચીતમાં 1950ની શાંતિ-મૈત્રી સંધિની વ્યાપક સમીક્ષાનો આગ્રહ કર્યો હતો. 1990ના દશકના અંતમાં ભારતની આર્થિક ઉદારીકરણની નીતિઓ અને ગુજરાલ ડોક્ટ્રિને ભારત-નેપાળ સંબંધો પર અસર પેદા કરી હતી. જૂન-1997માં વૈશ્વિક પરિવર્તનોના તબક્કામાં વડાપ્રધાન આઈ. કે. ગુજરાલે નેપાળની યાત્રા કરીને નવાયુગની શરૂઆત કરી હતી. ગુજરાલે બાંગ્લાદેશ થઈને નવા વ્યાપારીક માર્ગની નેપાળની માગણી સ્વીકારી લીધી.

1998માં બોલીવુડ સ્ટાર માધુરી દિક્ષિત નેપાળ ગયા હતા. ત્યાં તેમણે કથિતપણે નેપાળ ભારતનો ભાગ હોવાનું નિવેદન કર્યું હતું. તેના કારણે ઉગ્ર ભારત વિરોધી દેખાવો થયા હતા. તો 2000માં ફિલ્મ સ્ટાર રીતિક રોશનની એક કથિત મુલાકાતમાં નેપાળ અને નેપાળીઓને ધિક્કારતા હોવાના કથિત નિવેદન મામલે કાઠમંડૂમાં હિંસક ભારત વિરોધી દેખાવો થયા હતા. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ ભારત વિરોધી દેખાવ પાછળ માફિયા ડોન દાઉદ ઈબ્રાહીમના હાથની આશંકાઓ પ્રદર્શિત કરાઈ હતી.

2003માં ભારતના નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ કહ્યુ કે નેપાળના માઓવાદીઓ અને ભારતના નક્સલીઓ ભારતીય ઉપખંડમાં નેપાળથી આંધ્રપ્રદેશ સુધી એક રેડ કોરિડોર તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 2008માં પ્રચંડે નેપાળના વડાપ્રધાન બન્યા બાદ ચીનની પહેલી વિદેશ યાત્રા કરીને ભારત કરતા ચીનને વધારે મહત્વ આપવાની નીતિ અખત્યાર કરી હતી. તેમમે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને બિનફાયદાકારક ગણાવ્યા છે. 18-22 ઓગસ્ટ, 2009ના રોજ નેપાળના વડાપ્રધાન માધવકુમાર નેપાલે ભારતની ચાર દિવસીય યાત્રા કરી હતી.

નેપાળમાં ચીનની યોજનાઓ અને ચીનના પ્રભાવથી થયેલા રાજકીય પરિવર્તનો છેલ્લા ઘણાં સમયથી ભારતીય હિતો માટે જોખમી બન્યા છે. તો પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈનું ભારત વિરોધી નેટવર્ક પણ અહીં ખૂબ જ સક્રિય છે. આઈસી-814 ઈન્ડિયન એરલાઈન્સના અપહરણની ઘટના પણ કાઠમંડૂથી થઈ હતી.

ત્યારે છેલ્લા ચાર વર્ષથી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો સુધારવા માટે વિશેષ પ્રયત્ન બંને દેશો તરફથી થઈ રહ્યા છે. તો ભૂટાન બાદ મોદીની નેપાળની વિદેશ યાત્રા હિમાલયન વિસ્તારમાં ચીનની જોહૂકમીને રોકવાના એક વિશિષ્ટ પ્રયાસ તરીકે પણ જોવાઈ રહી છે. જાણકારો પ્રમાણે... નેપાળ સાથે ભારતના ઉપેક્ષિત સંબંધોને દ્રઢ બનાવવાની પ્રક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચીન સામેનું પાશુપતાસ્ત્ર છે.


નેપાળમાં રાજાશાહીને રૂખસદ લોકશાહીનું આગમન, માઓવાદી પ્રચંડ વડાપ્રધાન બન્યા

આનંદ શુક્લ

નેપાળમાં લોકોની લોકશાહી માટેની આકાંક્ષાઓ વધી રહી હતી. તો નેપાળની રાજાશાહી લોકલાગણીને કચડવા માટે લશ્કરી શક્તિનો બેફામ ઉપયોગ કરવાનું વલણ ધરાવતી હતી. ત્યારે હિંસાચાર અને ચીન તરફી વલણ ધરાવતા માઓવાદીઓને લોકોનું પણ ઘણું મોટું સમર્થન મળવા લાગ્યું હતું. જેના કારણે નેપાળના રાજાના વિશેષાધિકારો ખતમ થયા અને માઓવાદી નેતા પ્રચંડ વડાપ્રધાન બન્યા હતા.

ઓગસ્ટ-2003માં માઓવાદી બળવાખોરોએ સરકાર સાથે વાતચીત બંધ કરી. તો ફરી હિંસાચાર શરૂ કરતા સાત માસ જૂનો યુદ્ધવિરામ કરાર પણ પડતો મૂક્યો હતો. બાદમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બેફામ હિંસક ઘર્ષણો શરૂ થયા અને માઓવાદીઓએ લાશોની ખેતી શરૂ કરી હતી. એપ્રિલ-2004માં નેપાળ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થયું હતું. મે-2004માં લોકશાહીને ફરીથી લાગુ કરવાની માગણી સાથે જનઆંદોલન ઉગ્ર બન્યા હતા. જેના કારણે રાજાશાહીના ટેકેદાર વડાપ્રધાન સૂર્યબહાદૂરસિંહ થાપાને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

ફેબ્રુઆરી-2005માં નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ સરકારને બરખાસ્ત કરી. સત્તાના સૂત્રો હસ્તગત કર્યા. માઓવાદીઓના ખાત્મા માટે ફરીથી કટોકટીની જાહેરાત પણ કરી હતી. એપ્રિલ-2005માં આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ રાજા જ્ઞાનેન્દ્રને કટોકટી હટાવી લેવી પડી હતી. નવેમ્બર-2005માં માઓવાદીઓ અને વિપક્ષી દળો વચ્ચે લોકશાહીના પુનર્સ્થાપન માટે સમજૂતી સધાઈ હતી. એપ્રિલ-2006માં નેપાળી સંસદે સર્વસંમતિથી રાજા જ્ઞાનેન્દ્રના તમામ રાજકીય વિશેષાધિકારો અને સત્તાને ખતમ કરી હતી.

નવેમ્બર-2006માં સરકાર અને માઓવાદીઓ વચ્ચે શાંતિ સમજૂતી થઈ હતી. વ્યાપક શાંતિ કરાર હેઠળ 10 વર્ષ જૂની બળવાખારીની ઔપચારીક સમાપ્તિ થઈ હતી. જાન્યુઆરી-2007માં હંગામી બંધારણ પ્રમાણે માઓવાદીઓ નેપાળની સંસદમાં પ્રવેશ્યા હતા.

એપ્રિલ-2007માં નેપાળના મુખ્ય રાજકીય પ્રવાહમાં માઓવાદી બળવાખોરો પ્રવેશ્યા હતા. ત્યાર બાદ તેઓ વચગાળાની સરકારમાં પણ જોડાયા હતા. સપ્ટેમ્બર-20087માં માઓવાદી હિંસાની સમાપ્તિની ઘોષણા બાદ પહેલીવાર કાંઠમંડૂમાં ત્રણ બોમ્બ વિસ્ફોટો થયા હતા. રાજાશાહીને પ્રતીકાત્મક રીતે પણ અસ્તિત્વમાં નહીં રહેવા દેવાની માગણી સાથે માઓવાદીઓએ સરકાર છોડી હતી. જેના કારણે નવેમ્બર માસમાં યોજનારી બંધારણીય સભાની ચૂંટણીઓ રદ્દ કરવી પડી હતી

 ડિસેમ્બર-2007માં શાંતિ કરાર હેઠળ માઓવાદીઓ સરકારમાં ફરીથી જોડાવા રાજી થયા હતા. તેમની સાથેની સમજૂતી પ્રમાણે નેપાળી સંસદે રાજાશાહીને સંપૂર્ણપણે રૂખસદ આપવાની મંજૂરી આપી હતી. જાન્યુઆરી-2008માં દક્ષિણ તરાઈના મેદાન પ્રદેશમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા. જેમાં ડઝનબંધ લોકોના મોત થયા હતા. તરાઈમાં આંદોલનકારીઓ પ્રાદેશિક સ્વાયત્તાતાની માગણી કરી રહ્યા હતા.

એપ્રિલ-2008માં ભૂતપૂર્વ માઓવાદી બળવાખોરો બંધારણીય સભાની ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મેળવવામાં સફળ રહ્યા હતા. પરંતુ તેમને સ્પષ્ટ બહુમતી મળી નહીં. મે-208માં નેપાળ પ્રજાતાંત્રિક દેશ બન્યું. જૂન-2008માં નવા રાષ્ટ્રપ્રમુખ સંદર્ભે ઉભા થયેલા વિવાદને કારણે માઓવાદી પ્રધાનોએ રાજીનામા ધરી દીધા હતા. જુલાઈ-2008માં રામબરન યાદવ નેપાળના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા.

ઓગસ્ટ-2008માં માઓવાદી નેતા પ્રચંડે ગઠબંધન સરકારની રચના કરી હતી. નેપાળી કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષમાં બેસવાનું પસંદ કર્યું હતું.

ચીન તરફી ગણાતા માઓવાદીઓ નેપાળના રાજકારણના મુખ્યપ્રવાહમાં સામેલ થતા જ નેપાળમાં ભારત વિરોધી લાગણીઓ વધુ ઉગ્ર બનવા લાગી હતી. નેપાળમાં ભારતીય હિતોને માઓદીઓની સરકાર નુકસાન પહોંચાડે તેવી શક્યતાઓ પણ ઉભી થઈ હતી. તો માઓવાદી નેતા પ્રચંડે નેપાળના વડાપ્રધાન બન્યા બાદ પરંપરા તોડીને ચીનની સૌ પ્રથમ વિદેશ યાત્રા કરી હતી. પ્રચંડ ભારત પણ આવ્યા હતા. પરંતુ તેમણે ભારત વિરોધી વલણ સહેજ પણ ઢીલું કર્યું નહીં.


2001થી 2003 દરમિયાન નેપાળમાં ચીન તરફી માઓવાદીઓનો હિંસાચાર અને રાજકીય અસ્થિરતા

આનંદ શુક્લ

નેપાળમાં ચીન તરફી માઓવાદીઓનો હિંસાચાર... 2001માં નેપાળના લોકપ્રિય રાજા બીરેન્દ્ર અને તેમના રાજપરિવારની હત્યાને કારણે રાજકીય અસ્થિરતાએ વેગ પક્ડયો હતો. તો નવા રાજા જ્ઞાનેન્દ્રને માઓવાદીઓ તરફથી મોટા રાજકીય પડકારોનો સામનો કરવો પડયો હતો.

1994થી 2001 સુધી નેપાળમાં રાજકીય અસ્થિરતાઓ અવાર-નવાર સપાટી પર આવી હતી. 1994માં કોઈરાલા સરકાર વિશ્વાસ મત હારી ગઈ હતી. નવી ચૂંટણીમાં ડાબેરીઓની સરકાર સત્તા પર આવી હતી. 1995માં ડાબેરી પક્ષોની સરકારને બરખાસ્ત કરવામાં આવી હતી. 1995થી ચીન તરફી વિચારધારાવાળા માઓવાદી ડાબેરીઓએ નેપાળમાં એક દાયકા જેટલી લાંબી લડાઈ શરૂ કરી હતી. આ હિંસામાં એક અંદાજ પ્રમાણે.. 20 હજારથી વધારે લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. 1997માં શેર બહાદૂર દેઉબાની સરકાર વિશ્વાસ મત હારી ગઈ હતી. વારંવાર વડાપ્રધાનો બદલાતા નેપાળમાં રાજકીય અસ્થિરતા શરૂ થઈ હતી. 2000માં ગિરિજાપ્રસાદ કોઈરાલા વડાપ્રધાન બન્યા હતા. તેઓ નેપાળમાં 10 વર્ષમાં સત્તા પર આવેલી નવમી સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા.

જૂન.. 2001ના રોજ નેપાળ નરેન્દ્ર બિરેન્દ્ર.. મહારાણી ઐશ્વર્યાદેવી અને રાજપરિવારના અન્ય સભ્યોની રહસ્યમયી સામૂહિક હત્યા થઈ હતી. દાવા પ્રમાણે- આ હત્યાઓ યુવરાજ દીપેન્દ્રએ દારૂના નશામાં બેફામ ગોળીબાર કરીને કરી હતી. બાદમાં યુવરાજ દીપેન્દ્રએ પણ આત્મહત્યા કરી હતી. 2001માં બીરેન્દ્રના ભાઈ જ્ઞાનેન્દ્ર નેપાળ નરેશ બન્યા હતા. જુલાઈ-2001માં માઓવાદી હિંસામાં બેફામ વધારો થયો હતો. તેને કાબુમાં નહીં કરી શકવાને કારણે ગિરિજાપ્રસાદ કોઈરાલાને વડાપ્રધાન પદ છોડવું પડયું હતું. તેમના સ્થાને શેર બહાદૂર દેઉબાને વડાપ્રધાન બનાવાયા હતા. નવેમ્બર-2001માં માઓવાદીઓએ શાંતિવાર્તાને નિષ્ફળ ગણાવી હતી. તેમણે ચાર માસ જૂનો યુદ્ધવિરામ પણ રદ્દ કર્યો હતો. ત્યાર બાદ માઓવાદીઓએ નેપાળી સેના અને પોલીસ પર ભીષણ હુમલા શરૂ કર્યા હતા.

નવેમ્બર-2001માં બેફામ હિંસાચાર વચ્ચે માત્ર ચાર દિવસમાં 100 લોકોની કરપીણ હત્યા કરાઈ હતી. જેના કારણે નેપાળમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ માઓવાદીઓને કચડી નાખવાના કડક આદેશ જારી કર્યા હતા. નેપાળી સેના અને માઓવાદીઓ વચ્ચેની લડાઈમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. મે-2002માં નેપાળી સંસદ ભંગ કરાઈ હતી. વચગાળાની સરકારમાં શેર બહાદૂર દેઉબા વડાપ્રધાન બન્યા હતા. કટોકટીને લંબાવવાની તેમણે મંજૂરી આપી હતી. ઓક્ટોબર-2002માં નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ દેઉબા સરકારને બરખાસ્ત કરી હતી. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાના આદેશ પણ આપ્યા હતા. જાન્યુઆરી-2003માં નેપાળી સરકાર અને માઓવાદીઓએ યુદ્ધવિરામ પણ જાહેર કર્યો હતો.

નેપાળની અશાંતિની આગમાં ચીન તરફી તત્વોએ ઘી હોમ્યુ હોવાની આશંકાઓ તેજ બની હતી. તેવા સંજોગોમાં નેપાળની અસ્થિરતાથી વિશિષ્ટ સંબંધો ધરાવતા પાડોશી દેશ ભારતની ચિંતામાં વધારો થયો હતો. જો કે ભારતે નેપાળમાં અસ્થિરતામાં કોઈ નકારાત્મક ભૂમિકા અપનાવવાની જગ્યાએ લોકશાહીની માગણીને ટેકો આપીને સમગ્ર મામલે તટસ્થ રહેવાની નીતિ અખત્યાર કરી હતી.

1768માં શાહ વંશી રાજાશાહી દ્વારા એકીકૃત નેપાળ બન્યા બાદ 1991માં આંશિક લોકશાહી આવી

આનંદ શુક્લ

હિમાલયના પહાડી વિસ્તારોમાં આવેલું નેપાળ તેની રાજકીય તવારીખની તારીખમાં ઘણાં ઉતાર-ચઢાવ જોઈ ચુક્યું છે. નેપાળમાં ગોરખા શાસકોના પ્રભુત્વ બાદ દુનિયાના એકમાત્ર હિંદુ રાજ્ય તરીકે આધુનિક સમયમાં પોતાની સફર શરૂ કરી હતી. પરંતુ આજે નેપાળમાં સંપૂર્ણ રાજાશાહીના સ્થાને સંપૂર્ણ લોકશાહી છે. તો હિંદુ રાજ્યના સ્થાને હવે તે ધર્મનિરપેક્ષ પ્રજાતાંત્રિક રાજ્ય બન્યું છે.

1768માં ગુરખા શાસક પૃથ્વી નારાયણ શાહે કાઠમંડૂ જીતીને એકીકૃત નેપાળનો પાયો નાખ્યો હતો. 1792માં તિબેટમાં ચીનના હાથે હાર ખાધા બાદ નેપાળનું વિસ્તરણ અટક્યું હતું. 1814થી 1816 સુધી ચાલેલા એન્ગ્લો નેપાળ યુદ્ધ બાદ તેને બ્રિટિશરો સાથે સંધિ કરવી પડી. આ સંધિ દ્વારા નેપાળની પ્રવર્તમાન સરહદો નક્કી થઈ છે. 1846માં નેપાળની સત્તા વંશાનુગત રાણા વંશના મુખ્યમંત્રીઓ હસ્તગત હતી. રાણાઓએ નેપાળના રાજતંત્ર પર વર્ચસ્વ જમાવ્યું હતું. તેમણે નેપાળને દુનિયાથી અલગ પાડી દીધું હતું. 1923માં બ્રિટિશરોએ નેપાળની સાર્વભૌમતાને સંધિ દ્વારા સ્વીકારી હતી.

સંપૂર્ણ રાજાશાહી તરફ પગરણ માંડતા 1950માં રાણાઓ વિરુદ્ધ ભારત તરફી શક્તિઓએ રાજાશાહી સાથે જોડાણ કર્યું. 1951માં નેપાળમાં રાણાઓનું વર્ચસ્વ ખતમ થયું. નેપાળ નરેશની પ્રભુસત્તા ફરીથી સ્થપાઈ હતી. રાણાઓ સામે બળવો કરનારા નેતાઓના વર્ચસ્વવાળી નેપાળી કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવી.

1953માં ન્યૂઝીલેન્ડના પર્વતારોહક એડમંડ હિલેરી અને નેપાળી શેરપા તેન્ઝિંગ નોર્ગેગ્વેએ માઉન્ટ એવરેસ્ટ સૌ પ્રથમ સર કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. 1955માં નેપાળ યુનોનું સભ્ય બન્યું હતું. તો તે વર્ષે નેપાળ નરેશ ત્રિભુવનનું નિધન તથા મહેન્દ્ર નવા રાજા બન્યા હતા.

1959માં નેપાળે બહુપક્ષીય બંધારણીય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હતો. 1960માં નેપાળી કોંગ્રેસ પાર્ટીની જીત બાદ બી. પી. કોઈરાલા વડાપ્રધાન બન્યા હતા. નેપાળ નરેશ મહેન્દ્રએ બંધારણ અને સંસદ સ્થગિત કર્યા હતા. 1962માં નેપાળમાં નવું બંધારણ લાગુ થયું હતું. પક્ષવિહીન રાષ્ટ્રીય પંચાયતની રચના થઈ હતી.

નેપાળ નરેશે સંપૂર્ણ સત્તા પ્રાપ્ત કરીને વર્ચસ્વ જમાવ્યું હતું. 1963માં રાષ્ટ્રીય પંચાયતની પ્રથમ ચૂંટણી થઈ હતી. 1972માં નેપાળ નરેશ મહેન્દ્રનું નિધન થયું. તેમના પુત્ર બીરેન્દ્રનો નેપાળના મહારાજા તરીકે રાજ્યાભિષેક થયો હતો.

નેપાળમાં બહુપક્ષીય રાજકારણના તબક્કામાં 1980માં આંદોલનોને કારણે બંધારણીય જનમત લેવાયો. તેમાં રાષ્ટ્રીય પંચાયત પદ્ધતિને ખૂબ ઓછું સમર્થન મળ્યું. નેપાળ નરેશે નેશનલ એસેમ્બલીમાં પક્ષવિહીન પદ્ધતિથી સીધી ચૂંટણીને સંમતિ આપી દીધી હતી. 1985માં એનસીપીએ બુહપક્ષીય પદ્ધતિ લાગુ કરવા માટે સવિયન કાનૂન ભંગનું આંદોલન શરૂ કર્યું હતું. 1986માં નેપાળી કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. 1989માં ભારત સાથે વ્યાપારિક અને પરિવહન મામલે વિવાદ સર્જાયો. જેના કારણે લેન્ડલોક નેપાળની નાકાબંધી કરાઈ હતી. તેનાથી નેપાળમાં આર્થિક સંકટ પેદા થયું હતું.

1990માં એનસીપી અને ડાબેરી પક્ષોના ટેકાથી લોકશાહી માટે આંદોલને જોર પકડયું હતું. રોયલ નેપાળ આર્મીએ આંદોલન કચડવા સેંકડો લોકોની હત્યાઓ કરી હતી. જનઆંદોલનના દબાણને કારણે નેપાળ નરેશ બીરેન્દ્ર નવા બંધારણ માટે સંમત થયા હતા. 1991માં નેપાળી કોંગ્રેસે પ્રથમ બહુપક્ષીય લોકશાહી ઢબની ચૂંટણીમાં જીત મેળવી હતી. ગિરિજાપ્રસાદ કોઈરાલા નેપાળના વડાપ્રધાન બન્યા હતા.

ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક એવા લેન્ડલોક નેપાળની આંતરીક સમસ્યાઓ વિશિષ્ટ પ્રકારની હતી. નેપાળમાં 1949થી 1991ના સમયગાળામાં અનેક રાજકીય ઉતાર-ચઢાવ આવ્યા. તેમાં ભારત સાથેના સંબંધોમાં મીઠાશ-કડવાશ અને ચીન સાથે સંબંધો વધારવાની ફિરાકમાં ભારત સાથે સંબંધો બગાડવાની હદે કૂટનીતિક ભૂલો કરાઈ હતી. તો રાજાશાહી સામે લોકશાહી માટેની ઈચ્છાશક્તિ પ્રબળ બનવા લાગી હતી. તેથી નેપાળ આ તબક્કામાં સંપૂર્ણ રાજાશાહીથી આંશિક લોકશાહી મેળવવામાં સફળ થયું હતું.

મોદી સરકાર આવ્યા સત્તામાં આવ્યા બાદ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના નવા યુગનો પ્રારંભ

આનંદ શુક્લ

મનમોહનસિંહના કાર્યકાળના આખરી તબક્કામાં અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો વણસ્યા હતા. પરંતુ ભાજપની નરેન્દ્ર મોદીના નેતૃત્વાળી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવતા જ બંને તરફથી સંબંધો પ્રત્યે સકારાત્મક અભિગમ દેખાઈ રહ્યો છે. અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. તો સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળવાના છે.

31 માર્ચ, 2014ના રોજ રાજદ્વારી તકરારમાં બંને દેશો વચ્ચેના સંબંદોમાં કડવાશ આવી હતી. અમેરિકામાં ભારતીય રાજદ્વારી સાથે અપમાનજનક વ્યવહાર કરાયો હોવાના અહેવાલોથી કેન્દ્ર સરકારે કડક વલણ અખત્યાર કર્યુંહતું. ભારતીય રાજદ્વારી દેવયાની ખોબ્રાગડેની અમેરિકામાં ધરપકડ કરાઈ હતી. આ વિવાદ બાદ ભારત ખાતેના અમેરિકી રાજદૂત નેન્સી પોવેલના રાજીનામાની જાહેરાત કરવામાં આવી હતી.

લોકસભા ચૂંઠણી વખતે ભારત ખાતેના અમેરિકી રાજદૂતાવાસ દ્વારા ઘોષણા કરાઈ હતી. પરંતુ અમેરિકી વિદેશ મંત્રાલયે તેની પુષ્ટિ કરી ન હતી. જો કે નેન્સી પોવેલે ચૂંટણીના પરિણામો બાદ રાજીનામું આપ્યું હતું.
20 મે, 2014ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોશિંગ્ટન આવવાનંત આમંત્રણ આપ્યું હતું. ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી અને નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા હતા. ત્યારે ઓબામાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પીએમ મોદીને વ્હાઈટહાઉસ આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

28 જુલાઈ, 2014ના રોજ અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના 2002ના રમખાણોમાં કથિત ભૂમિકાના આરોપ મામલે ક્લિનચિટ આપી હતી. અમેરિકાના આંતરીક ઈન્ટરનેશનલ રિલિજયસ ફ્રીડમ રિપોર્ટમાંથી મોદીના તમામ ઉલ્લેખો અને સંદર્ભો હટાવી દેવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં એસઆઈટી દ્વારા મોદીને મળેલી ક્લિનચિટવાળા અહેવાલને કોર્ટની મંજૂરીનો પણ ઉલ્લેખ કરાયો છે.

30 જુલાઈ, 2014ના રોજ અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. તેમની સાથે ઉચ્ચઅધિકાર પ્રાપ્ત પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. જેમાં અમેરિકી વાણિજ્ય પ્રધાન પ્રેની પ્રિત્સકર પણ સામેલ છે. 31 જુલાઈએ તેમણે ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે રણનીતિક વાટાઘાટોની સહઅધ્યક્ષતા કરી હતી. તેમણે સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ પ્રધાન અરુણ જેટલી સાથે પણ મુલાકાત કરી હતી. પહેલી ઓગસ્ટે જોન કેરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા છે. આ મુલાકાતમાં સપ્ટેમ્બર માસમાં મોદીની પ્રસ્તાવિત મુલાકાત સંદર્ભે પૃષ્ઠભૂમિ તૈયાર કરાઈ છે.

બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિમાં ચીનના તાકતવર થયું છે. તો આતંકવાદના પડકાર વચ્ચે લોકતાંત્રિક મૂલ્યોના અસ્તિત્વની જાળવણી માટે બંને મહત્વની લોકશાહીના સાથે આવવું જરૂરી છે. પરંતુ તેની સાથે સાથે અમેરિકાની જગત જમાદારની ભૂમિકા અને પોતાના હિતોની જ નિસ્બતનો સ્વાર્થી દ્રષ્ટિકોણ ભારતના રણનીતિક હિતોનો બલિ લઈ લે નહીં તે જોવું પણ અત્યંત જરૂરી છે.

1991-2001: સોવિયત સંઘના તૂટયા બાદ ઉદારીકરણને અપનાવનાર ભારત અમેરિકાની નજીક આવ્યું

આનંદ શુક્લ

1991થી ભારતે આર્થિક ઉદારીકરણનો માર્ગ અપનાવ્યો. જેના કારણે ભારત એક બજાર તરીકે વિશ્વ સામે ખુલ્લું મૂકાયું. અમેરિકાને ભારતના બજારમાં પોતાના આર્થિક હિતો દેખાતા તેણે દ્વિપક્ષીય સંબંધો સુધારવાની શરૂઆત કરી. પણ 1998માં વાજપેયી સરકારે પરમાણુ પરીક્ષણો કરતા ફરીથી અમેરિકા સાથેના સંબંધો પાટા પરથી ઉતરી ગયા હતા. પરંતુ વાજપેયી સરકારના કાર્યકાળમાં જ ભારત અમેરિકા સાથે સૌથી વધારે નજીક પહોંચવા લાગ્યું હતું. જે ભારતની પરંપરાગત બિનજોડાણવાદી અને બાદમાં રશિયા તરફી નીતિઓમાં બહુ મોટો વળાંક હતો.

24 જુલાઈ, 1991ના રોજ તત્કાલિન નરસિંહરાવ સરકારે ભારતને ઉદારીકરણના આર્થિક સુધારાના રસ્તે લઈ જવાનો નિર્ણય કર્યો હતો. વડાપ્રધાન નરસિંહરાવે આર્થિક ઉદારીકરણને મંજૂરી આપી હતી. જેના કારણે આર્થિક હિતોની આસપાસ અમેરિકા સાથેના સંબંધો વિકસવાની શરૂઆત થઈ હતી. તે સમયે ડૉ. મનમોહનસિંહ ભારતના નાણાં મંત્રી તરીકે મહત્વની ભૂમિકામાં હતા.

ભારત અને અમેરિકાના આગળ વધી રહેલા સંબંધોમાં 11 મે, 1998ના રોજ ભારત દ્વારા બીજું પરમાણુ પરીક્ષણ કરાયું હતું. પોખરણમાં તત્કાલિન વાજપેયી સરકારે અમેરિકી ગુપ્તચર એજન્સીઓને અંધારામાં રાખીને પાંચ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાને ચુગઈની પહાડીઓમાં છ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. જેના કારણે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં પરમાણુ શસ્ત્રોની દોડ તેજ થવાનો વૈશ્વિક ડર પેદા થયો હતો. જેના કારણે અમેરિકાના ભારત સાથેના સંબંધો ફરીથી વણસ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને અમેરિકી કાયદા પ્રમાણે ભારત પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા.

3 મે, 1999ના રોજ કારગીલ યુદ્ધને કારણે અમેરિકાની પાકિસ્તાન પરસ્ત નીતિઓમાં ફરીથી પરિવર્તન આવ્યું. પાકિસ્તાની સૈનિકોએ કારગીલમાં ઘૂસણખોરી કરી હતી. તેના જવાબમાં ભારતે હવાઈ આક્રમણો સહીત લશ્કરી કાર્યવાહી શરૂ કરી અને આ યુદ્ધ જુલાઈ સુધી ચાલ્યું હતું. 4 જુલાઈ, 1999ના રોજ કિલન્ટને પાકિસ્તાના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ઈમરજન્સી બેઠક કરી હતી. કિલન્ટના કડક નિર્દેશ બાદ શરીફે પાકિસ્તાની સેનાને કારગીલમાંથી પાછી ખેંચી હતી. તો ભારતે પણ તેમને સેફપેસેજ આપવા તૈયારી દેખાડી હતી.

20 માર્ચ, 2000ના રોજ બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ભારત આવ્યા હતા. 1978 બાદ પહેલી વખત કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ ભારતની યાત્રાએ આવ્યા હતા. 1998ના પરમાણુ પરીક્ષણ બાદ ક્લિન્ટને સંબંધો સુધારવા ભારતની મુલાકાત લીધી હતી. જો કે તેણે ભારત પર સીટીબીટી પર હસ્તાક્ષર કરવા માટે દબાણ કર્યું હતું. ઈન્ડો-યુએસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોરમની સ્થાપના કરવામાં આવી. ભારતીય અર્થતંત્રએ મજબૂતી પકડતા અમેરિકાએ પોતાનું વલણ બદલ્યું હતું. શીતયુદ્ધ વખતની પાકિસ્તાનની આળપંપાળની અમેરિકી નીતિમાં પણ ફેરફાર થયો હતો.

અમેરિકા પર 9-11ના આતંકી હુમલા બાદ 22 સપ્ટેમ્બર-2001ના રોજ તેણે ભારત પર પરમાણુ પરીક્ષણ બાદ લગાવેલા આર્થિત પ્રતિબંધો હટાવી લીધા હતા. અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે ભારતની આર્થિક રોક હટાવી હતી.