શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

અડવાણીની અંતિમ(?) (રથ)યાત્રાના ખતરનાક ગૂઢાર્થો


-આનંદ શુક્લ

ભાજપને રાજકારણની વૈતરણી પાર કરીને સત્તાના સિંહાસન પર પહોંચાડવા માટે અડવાણી એક નવી રથયાત્રાની તૈયારી કરી રહ્યાં છે. ભારતીય રાજનીતિમાં રથયાત્રાથી ચેમ્પિયન બનેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ભ્રષ્ટાચારના મુદ્દે નવી રથયાત્રા કાઢવાની ઘોષણા કરી છે. 2009માં ડૉ. મનમોહન સિંહના હાથે વડાપ્રધાન પદની દોડમાં માત ખાધા બાદ આમ તો લાલકૃષ્ણ અડવાણીએ પોતાને વડાપ્રધાનપદની દોડથી અલગ કરી લીધા છે. પરંતુ તાજેતરમાં સંસદમાં કેશ ફોર વોટ મામલે આપવામાં આવેલા નિવેદન કે અમરસિંહ સાથે ધરપકડ કરાયેલા ભાજપના બંને સાંસદોને સ્ટિંગ ઓપરેશન કરવા માટે પોતે મંજૂરી આપી હતી અને જો કોઈ દોષિત છે, તો તે પોતે છે. તેમણે સરકારને કહ્યું પણ હતું કે તેમને જેલમાં બંધ કરવામાં આવે. ત્યાર બાદ ભ્રષ્ટાચારના મુદ્દે અડવાણીએ સંસદના શિયાળુ સત્ર પહેલા રથયાત્રાની જાહેરાત કરીને એક જ તીરથી અનેક નિશાન પાર પાડવાની તૈયારી કરી છે. હવે માત્ર અડવાણીનું જ નહીં, પણ ભાજપનું ભવિષ્ય પણ એના પર નિર્ભર રહેશે કે આ યાત્રા કેટલી કામિયાબ થાય છે. જો આ યાત્રા કામિયાબ થઈ તો તેનું સૌથી મોટું નુકસાન સ્વાભાવિક રીતે કોંગ્રેસને જ થશે, પરંતુ જો તે નિષ્ફળ રહી તો તેનો આંચકો ભાજપને ઓછો પરંતુ અડવાણીને વધારે લાગશે અને તેઓ 83 વર્ષે વડાપ્રધાન પદે પહોંચવાની પોતાની તમામ સંભાવનાઓને એક જ ઝાટકે ખતમ કરી નાખશે.

સંભાવના છે કે 83 વર્ષના અડવાણીની આ રથયાત્રા રાજકારણમાં તેમની અંતિમ યાત્રા બની રહેશે. અડવાણીની આ રથયાત્રાની ઘોષણામાં ઘણાં બધાં રાજકીય ગૂઢાર્થો છુપાયેલા છે. ભાજપની આંતરીક સ્થિતિ અને સર્વસંમત નેતાની હજી કમી હોવાની વાત સ્પષ્ટ થઈ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેપથ્યમાં જવાની સાથે જ ભાજપમાં નેતૃત્વનું સંકટ ઉભું થઈ ગયું હતું. વાજપેયીના નેપથ્યમાં ગયા પછી ભાજપમાં ઉભા થયેલા શૂન્યને અડવાણી દ્વારા ભરવાની કોશિશ થઈ હતી. અડવાણીએ રામરથયાત્રા દ્વારા પોતાના રાજકીય કદને વાજપેયીની સમકક્ષ લાવીને ઉભું કરી દીધું હતું. તેથી તે સ્વાભાવિક છે કે વાજપેયીના નેપથ્યમાં જવાથી ઉભા થયેલા નેતૃત્વના શૂન્યને અડવાણી ભરી દે. પરંતુ અડવાણીની પાકિસ્તાન યાત્રા અને ત્યાં જિન્નાહને સેક્યુલર કહેવાના અને બાબરી ધ્વંસને પોતાની જીંદગીનો દુ:ખદ દિવસ કહેવાના નિવેદને તેમના રાજકીય કદને પળમાં વામણું કરી નાખ્યું.

આ ઘટના પછી ભાજપમાં દ્વિતિય પંક્તિના નેતાઓ નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, વેંકૈયા નાયડુ, યશવંત સિંહા, જશવંતસિંહ વગેરેમાં નેતૃત્વ મુદ્દે હોડ જામી અને એકબીજા પર સરસાઈ મેળવવા માટેની પેતરાબાજી પણ ચાલી. જો કે અડવાણીની ભ્રષ્ટાચાર મુદ્દે હજી એક રથયાત્રા કરવાની ઘોષણા દર્શાવી રહી છે કે ભાજપના દ્વિતિય પંક્તિના નેતૃત્વમાં હજી સુધી કોઈ નેતા પર સર્વસંમતિ સધાઈ નથી. આ સિવાય બીજો અર્થ એ છે કે અડવાણી 2009ની ચૂંટણીમાં ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા. પરંતુ અડવાણીને રાજકારણમાં પોતાની વડાપ્રધાનપદે આસિન થવાની ઈચ્છાની પૂર્તિ ન થવાને કારણે અવગતિયો જીવ હોવાની વાત ઘણાં ગુજરાતી સમીક્ષક કહી ચુક્યા છે. તેવી પરિસ્થિતિમાં ક્યાંક અડવાણીની ફરીથી આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ભાજપ-એનડીએના ઉમેદવાર થવાની કોઈ સુષુપ્ત ઈચ્છા હોઈ શકે છે. જો કે અડવાણીએ પોતાની નવી રથયાત્રાને વડાપ્રધાન પદની દાવેદારી સાથે જોડવાના મુદ્દે વાંધો ઉઠાવ્યો છે. જો કે ભાજપમાં 2009ના લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પરાજીત થયા બાદ આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. ક્યારેક વાઈબ્રન્ટ ગુજરાતમાં તો ક્યારેક કોઈ ફિલ્મી સિતારા અથવા તો ઉદ્યોગપતિ દ્વારા આગામી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી યોગ્ય હોવાની વાત અલગ-અલગ સંદર્ભોમાં કહેવામાં આવી છે. કેટલીક ટેલિવિઝન ચેનલોએ પણ પોતાના સર્વેક્ષણમાં ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની દોડમાં નરેન્દ્ર મોદી આગળ હોવાનું જણાવ્યું છે. પરંતુ ભાજપમાં દ્વિતિય પંક્તિના નેતાઓમાં આ મામલે હજી કોઈ સર્વસંમતિ થઈ શકી નથી.

તો ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ નિવેદન આપ્યું છે કે દરેક ચૂંટણીમાં પાર્ટી વડાપ્રધાન પદના ઉમેદવારની ઘોષણા કરે તે જરૂરી નથી. આ એ પાર્ટીની ઘોષિત નીતિથી બિલકુલ ઉલટું છે કે જે આ સવાલ પર કોંગ્રેસ અથવા અન્ય વિરોધીઓને ઘેરવાનું ચુકતી ન હતી. હાલમાં કોઈ ચૂંટણી નથી, ન તો કોઈ એવી પરિસ્થિતિ કે જેમાં ભાજપને કેન્દ્રની સત્તા મળી રહી છે. આનાથી દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીની અંદર ચાલી રહેલા ગજગ્રાહની ખબર પડે છે. ગડકરીનું નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની વધુ એક રથયાત્રા શરૂ કરવાના એલાન સંદર્ભે સામે આવ્યું છે.

74 વર્ષીય અન્ના હજારેના 12 દિવસના અનશનથી દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ માહોલ જામેલો છે. અન્ના હજારેના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે સિવિલ સોસાયટી દ્વારા ચલાવાયેલી બીજી આઝાદીની લડતથી દેશનું વાતાવરણ અત્યારે ચાર્જ છે. તેના કારણે દેશમાં કોંગ્રેસની વિરુદ્ધનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. પરંતુ તેનો અર્થ એ નથી કે રાજકીય વાતાવરણ કોંગ્રેસ વિરુદ્ધનું હોય, તો તે ભાજપ તરફી થઈ જાય છે. કારણ કે જે આંદોલન દેશના મુખ્ય વિપક્ષે કરવાનું હતું, તેને ભાજપે સિવિલ સોસાયટી અને અન્ના હજારેના ભરોસે છોડી દીધું હતું. માટે એવું પણ લાગે છે કે અડવાણી દ્વારા ભ્રષ્ટાચાર અને રાજકીય સુચરિત્રની વાતના મુદ્દા રથયાત્રા દ્વારા ઉઠાવવાની વાત અન્ના હજારેના આંદોલનને મળેલા વ્યાપક સમર્થનથી પ્રેરીત છે. પરંતુ તેમણે વિચારવું જોઈએ કે આ મુદ્દા ધધકતી અગન જ્વાળા જેવા છે અને તેમાંથી રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરવામાં આવશે, તો બની શકે કે રાજકીય રોટલા બળી પણ જાય!

ભારતીય રાજકારણના હાલના પીઢ રાજનેતા એલ. કે. અડવાણીને રથયાત્રાઓનો બહોળો અનુભવ છે. તેમણે સૌથી પહેલા સપ્ટેમ્બર 1990માં રામજન્મભૂમિ રથયાત્રા કાઢી હતી. તેના પરિણામે દેશની રાજનીતિના રથની દિશા બદલાઈ ગઈ હતી. 1984ની લોકસભા ચૂંટણીમાં માંડ બે બેઠકો મેળવનારું ભાજપ 1996 સુધીમાં તો કોંગ્રેસનો વિકલ્પ બનીને ઉભું રહ્યું. તો 1997, 1998માં સત્તાના સૂત્રો પણ હસ્તગત કર્યા. રામજન્મભૂમિ રથયાત્રાથી પ્રેરાયને અડવાણીએ અન્ય ચાર રથયાત્રાઓ કાઢી હતી. તેમાં સપ્ટેમ્બર, 1993માં જનાદેશ યાત્રા, મે-જૂન, 1997માં સ્વર્ણ જયંતી રથયાત્રા, માર્ચ-એપ્રિલ, 2004માં ભારત ઉદય યાત્રા અને એપ્રિલ-મે 2006માં ભારત સુરક્ષા યાત્રા કાઢી હતી. જો કે અડવાણીની રામજન્મભૂમિ રથયાત્રા જેટલી અને જેવી સફળતા તેમની અન્ય કોઈ યાત્રાને હજી સુધી મળી શકી નથી.

નવી ઘોષિત રથયાત્રાથી અડવાણી ત્રણ કામ કરવા માંગે છે- એક, ભાજપને ભ્રષ્ટાચાર વિરોધી માહોલની વચ્ચે મજબૂત કરવાની કોશિશ કરવી, બીજું, વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પોતાને બધાં ભાજપી નેતાઓથી દમદાર સાબિત કરવા, ભ્રષ્ટાચારના મુદ્દે અન્નાના આંદોલન બાદ ઉભા થયેલા કોંગ્રેસ વિરોધી માહોલને ભાજપ તરફી બનાવવું.

દેશના આમ આદમી માટે આ પ્રસ્તાવિત રથયાત્રા સાથે સંલગ્ન મોટી ચિંતા એ હશે કે લગભગ સ્વયંસ્ફૂરણાથી ઉભરેલા ભ્રષ્ટાચાર વિરોધી ચેતનાને તેનાથી ક્યાંક કોઈ આંચકો તો લાગશે નહીં ને? જનલોકપાલ બિલ માટે ચાલી રહેલું જે આંદોલન તેની ચેતનાની મુખ્ય અભિવ્યક્તિ બનેલું છે, તેનું સ્વરૂપ અત્યાર સુધી બિનરાજકીય રહ્યું છે. કોઈ એક પાર્ટી દ્વારા તેમાથી લાભ લેવાની કોશિશ લોકોમાં તેના પ્રત્યે અરુચિ પેદા કરી શકે છે. એ પણ ત્યારે કે જ્યારે ભાજપના તત્કાલિન અધ્યક્ષ કેમેરામાં લાંચ લેતા ઝડપાય ગયા હોય, ભાજપના રેડ્ડી બંધુઓને ભ્રષ્ટાચારના આરોપમાં જેલ ભેગા કરાયા હોય, લોકાયુક્તના રિપોર્ટના આધારે કર્ણાટકના ભાજપના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાને ગાદી છોડવી પડી હોય, ઉત્તરાખંડના મુખ્યમંત્રી નિશંક પર તલવાર તોળાઈ રહી હોય અને મીડિયામાં ભાજપ પર ભ્રષ્ટાચાર સામે નરમ વલણ અપનાવાયાના આરોપો લગાવાતા હોય.

બીજો સૌથી મહત્વનો મુદ્દો છે કે ખુદ લાલકૃષ્ણ અડવાણી તેમની રામજન્મભૂમિ રથયાત્રાથી દેશની રાજનીતિમાં સૌથી વધારે કોમવાદી ચહેરા તરીકે મીડિયામાં પ્રચારીત કરાયા છે. અડવાણીની ખ્યાતિ અને સ્મૃતિ આજે પણ તેમની આ રથયાત્રાને લઈને છે. ત્યારે લોકોને આશંકા છે કે અડવાણી દ્વારા ઘોષિત નવી રથયાત્રા આખી ભ્રષ્ટાચાર વિરોધી ચેતનાને કોમવાદી રંગમાં રંગી ન નાખે. કારણ કે અન્નાના આંદોલનમાં ભારતમાતા કી જય અને વંદે માતરમના નારા સામે કેટલાંક નાલાયકોએ વાંધો ઉઠાવીને તેને ઈસ્લામ વિરોધી ગણાવ્યા હતા. આવા નાલાયક તત્વે અન્નાના આંદોલનમાં ભાગ ન લેવા માટે મુસ્લિમોને હાકલ કરી હતી. ત્યારે અડવાણીની ખુદની કરણી, રથયાત્રાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ટેકો વગેરે બાબતો આવા નાલાયક કોમવાદી તત્વોને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને કોમવાદી રંગ લગાવવા માટે મોકળું મેદાન આપશે.

વળી એ એક વિડંબણા છે કે ભ્રષ્ટાચારના મુદ્દા પર પોતાને ખરાબ રીતે ઘેરાયેલા જોવા છતાં કોંગ્રેસે અડવાણીની રથયાત્રાની ઘોષણાનું સ્વાગત કર્યું છે. લાગે છે કે કોંગ્રેસને ઉંડે ઉંડે આશા છે કે અડવાણીના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં કૂદવાની સાથે જ અન્ના હજારેના આંદોલનથી ઉભું થયેલું દબાણ તેના કોમવાદીકરણ સાથે ઢીલું પડી જશે. તેનાથી કોંગ્રેસને પોતાના રાજકીય હિતો સધાવાની પૂરી શક્યતાઓ પણ દેખાઈ રહી હોય. ત્યારે આ રાજકીય ગાળિયાને અહેસાસ સૌથી મોટા વિપક્ષ ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને નહીં હોય?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો