-આનંદ શુક્લ
ઉપવાસ પ્રાયશ્ચિતનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. તેનાથી આત્મશુદ્ધિ થાય છે. કદાચ આત્મશુદ્ધિ અને પ્રાયશ્ચિતની ભારતના રાજકારણમાં સૌથી વધારે કોઈને જરૂર છે, તો તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છે. નરેન્દ્ર મોદી હિંદુત્વની રાજનીતિના ખભે બેસીને ગુજરાતના મુખ્યમંત્રી પદે પહોંચ્યા છે, પરંતુ 2002માં ગોધરાકાંડ અને તેના પછી ફાટી નીકળેલા કોમી રમખાણોએ મોદીને કોમવાદી નેતા બનાવી દીધા છે. ગોધરાકાંડ અને ગોધરાકાંડ પછીની ઘટનાઓ ન રોકી શકવા માટે નરેન્દ્ર મોદીને જરૂરથી દર્દ મહેસૂસ થવું જોઈએ અને તેનું પ્રાયશ્ચિત પણ તેમણે કરવું જોઈએ. જ્યારે રાજનેતા ઉપવાસ કરે છે, તો તેમાં રાજકીય હેતુ આપમેળે નિહિત બની જાય છે. નેતાઓ દ્વારા આવા ઉપવાસો પહેલા પણ થતા રહ્યા છે, જેવા કે નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે, પરંતુ આ કદાચ પહેલીવાર છે કે જ્યારે કોઈ ઉપવાસે રાષ્ટ્રીય આયોજનનું સ્વરૂપ લીધું છે. નરેન્દ્ર મોદીને હ્રદય છે અને તેમાં પણ પરિવર્તન થઈ શકે છે. તેમના સદભાવના મિશન અંતર્ગતના ત્રણ દિવસના ઉપવાસમાં ખોટું કશું જ નથી. રાજકીય ઉદેશ્યવાળા ઉપવાસ કરવા અને તેના માધ્યમથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાનો મોદીને પૂરો અધિકાર છે.
પરંતુ એ સમજવું અઘરું છે કે તેમણે આ ઉપવાસના આયોજન પાછળ આટલો તામ-જામ કેમ કર્યો છે? જેમ કે વ્યાપક પ્રબંધન, તડક-ભડક અને પ્રચાર તંત્ર સાથે થઈ રહેલા ઉપવાસથી એવું લાગી રહ્યું છે કે જાણે કે રાજકીય પક્ષનું મહાઅધિવેશન અથવા રેલી થઈ રહી હોય. ઉપવાસ ભારતીયોની ધાર્મિક શ્રદ્ધા અને આધ્યાત્મિકતાની સફર માટેનું સૌથી સરળ અને સાદું સાધન છે. મહાત્મા ગાંધી પણ આત્મશુદ્ધિ અર્થે ઉપવાસ કરતાં હતા, પરંતુ તેમના ઉપવાસમાં ફાઈવસ્ટાર કલ્ચર હંમેશા ગેરહાજર રહેતુ હતું. નરેન્દ્ર મોદીએ પણ પોતાના ઉપવાસ સાદાઈથી કર્યા હોત તો તેનું મહત્વ અનેકગણું વધી જાત અને તેના સંદર્ભે આટલો હોબાળો થાત નહીં. પરંતુ મોદીના ફાઈવસ્ટાર ઉપવાસથી દેશની જનતામાં એ સંદેશો જઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદી ઉપવાસ દ્વારા પોતાના રાજકીય કદને વિસ્તાર આપી રહ્યાં છે અને પોતાને 2014ની ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે તૈયાર કરી રહ્યાં છે, તો તેમાં લોકોનો દોષ કાઢવો ખોટો છે. કારણ કે ઉપવાસની ઘોષણા ગુજરાતના રમખાણો સંદર્ભેના મોદીને રાહત આપનારા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કરવામાં આવી છે.
નરેન્દ્ર મોદીનો દાવો છે કે તે સદભાવના મિશન હેઠળ ત્રણ દિવસના ઉપવાસ દ્વારા એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવા ચાહે છે. પરંતુ એ હજી સુધી સ્પષ્ટ થયું નથી કે તેમને એકતા અને સદભાવનાનું અભિયાન છેડવાની એકાએક જરૂર શા માટે પડી? આમ જોવો તો મોદીના ફાસ્ટ ફેસ્ટિવલમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીથી માંડીને મોટાભાગના નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે અથવા આવી રહ્યાં છે. બધાં સ્વીકારે છે કે મોદીમાં વડાપ્રધાન બનવાની હેસિયત છે. મોદીના ઉપવાસના કાર્યક્રમમાં આવીને ભાજપના નેતાઓએ મને-કમને પોતાનું સમર્થન આપ્યું છે. કમને એટલા માટે કે વિદેશ અને ઉદ્યોગપતિઓ દ્વારા વડાપ્રધાન પદ માટેના નરેન્દ્ર મોદીને દાવેદાર ગણવા છતાં અને દેશભરમાં નંબર વન મુખ્યમંત્રી રહેવા છતાં ભાજપમાં હજી પણ તેઓ નંબર વન નેતા તરીકેની માન્યતા પ્રાપ્ત કરી શક્યા નથી. આમ મોદીના ઉપવાસો આવા ઘણાં સવાલ ઉભાં કરી રહ્યાં છે.
નરેન્દ્ર મોદીએ ઉપવાસના પ્રારંભે કહ્યું છે કે તે એ સુનિશ્ચિત કરવા ચાહે છે કે ગુજરાત ક્યારેય પણ માનવતાના માપદંડોમાંથી નીચે ઉતરશે નહીં. તેમણે કહ્યું છે કે હુલ્લડોનું દર્દ તેઓ મહેસૂસ કરે છે. તેમણે હુલ્લડો સંદર્ભે શાબ્દિક માફી માંગી નથી. પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે જો તેઓ ગુજરાતના તોફાનો માટે જવાબદાર હોય, તો તેમને ફાંસી આપવામાં આવે. પરંતુ એક વાત એ પણ છે કે ગુજરાતના હુલ્લડપીડિતો હિંદુ હોય કે મુસલમાન તેમને સંપૂર્ણ ન્યાય મળી શક્યો નથી. તેના કારણે જુદાંજુદાં રાજકીય પક્ષોને નરેન્દ્ર મોદીને નવેસરથી ઘેરવાનો અવસર મળી ગયો છે.
વિરોધી રાજકીય પક્ષો દ્વારા નરેન્દ્ર મોદીની ઘેરાબંધી એ જ સ્ટીરીયો ટાઈપ આક્ષેપો નીચે થઈ રહી છે. વિરોધી રાજકીય પક્ષોની પ્રતિક્રિયાથી સ્પષ્ટ છે કે તેઓ દુષ્પ્રચારની રાજનીતિમાં પોતાનો વિશ્વાસ ધરાવે છે અને જો તેમનું ચાલે તો ખુદ ન્યાયાધીશ બનીને મોદીને ફાંસીની સજા સંભળાવી દે. પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે દેશમાં ન્યાયતંત્ર સંપૂર્ણ સ્વતંત્રતાથી જીવંત સ્થિતિમાં છે. દેશના ન્યાયતંત્ર પર કોઈ રાજકીય પક્ષને વિશ્વાસ હોય કે ન હોય, પણ દેશની જનતાને તો વિશ્વાસ છે. પરંતુ મોદી વિરોધી રાજકીય પક્ષોએ એક વાત ગાંઠે બાંધવા જેવી છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધના રાજકીય રુદનથી તેઓ વધારે મજબૂત બન્યા છે. એ પણ હાસ્યાસ્પદ છે કે નરેન્દ્ર મોદીના મિશન સદભાવના નીચેના ઉપવાસનો વિરોધ કરનારી કોંગ્રેસ તેમના પ્રદેશ સ્તરના નેતાઓને ઉપવાસ કરવા દઈ રહી છે.
જો નરેન્દ્ર મોદી ઉપવાસ દ્વારા રાજકીય સ્ટંટ કરી રહ્યાં છે, તો તેનાથી મોટો તમાશો ફૂટપાથ પર બેસીને કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા સરીખા નેતાઓ કરી રહ્યાં છે. આખરે કોંગ્રેસ અથવા અન્ય કોઈ પક્ષ કે વ્યક્તિ કોઈને ઉપવાસ કરવાથી કેવી રીતે રોકી શકે? જો નરેન્દ્ર મોદીના ઉપવાસની જાહેરાત બાદ આટલી હાયતોબા મચાવામાં ન આવત તો કદાચ આની આટલી ચર્ચા પણ ન થાત. નરેન્દ્ર મોદીના ઉપવાસ દ્વારા સદભાવના કાયમ કરવામાં કેટલી સફળતા મળશે, તે કહેવું અઘરું છે. પરંતુ મોદીના ઉપવાસ વિરુદ્ધ થઈ રહેલા હોબાળાથી નરેન્દ્ર મોદીનું રાજકીય સ્વરૂપ વધારે વિરાટ બનશે અને તેનો તેમને રાજકીય લાભ પણ મળશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો