મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

ગુજરાત સામેના તેજોદ્વેષીઓની “ગેમ” ખુલ્લી પડી


-આનંદ શુક્લ

કાયદાની રમત અને કાયદા સાથે રમત બંને ઘટનાઓ ગુજરાતની 2002ના કોમી રમખાણોની ઘટના સાથે જોડાયેલી છે. ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા હિંદુત્વનો પાયો ઘણો ઉંડો નાખવામાં આવ્યો છે. હિંદુત્વની વિચારધારા ગુજરાત અને દેશભરમાં આગળ વધે તેનાથી કૉંગ્રેસ, કમ્યુનિસ્ટ પક્ષો સહીતના રાજકીય પક્ષોને તો વાંધો છે જ. પરંતુ કેટલીક વિદેશી હિતસાધક એનજીઓ અને કથિત કર્મશીલોને પણ તેનાથી વાંધો છે. ભારતમાં કાયદો ન્યાય માટે પૂરો અવકાશ આપે છે. આવી કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખીને વિદેશી હિતસાધક કર્મશીલો અને એનજીઓની એક ધરી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને હિંદુવાદી સંગઠનો પાછળ હાથ ધોઈને પડી છે. તેમને તેમના આ મિશનમાં મીડિયાનો સાથ મળ્યો છે. ગુજરાતમાં હિંદુત્વને આગળ વધતું અટકાવવા અને નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે મીડિયાએ કર્મશીલોના ઈશારે નાચીને ઘણાં ધમપછાડા કર્યા છે.

ઘણાં કેસોમાં મીડિયા ટ્રાયલ ચાલી. બેસ્ટ બેકરી કેસ તેનું ઉદાહરણ છે. જ્યારે બેસ્ટ બેકરી કેસમાં વડોદરાની અદાલતે આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા, ત્યારે મીડિયાએ કર્મશીલો સાથે કોરસમાં હોબાળો મચાવ્યો હતો. તેમની મીડિયા ટ્રાયલે ગુજરાતના વાતાવરણમાં ભારે તણાવ ઉભો કરી દીધો હતો. ગુજરાતનું ન્યાયતંત્ર ભયાનક કક્ષાએ બદનામ થયું હતું. બેસ્ટ બેકરી સહીત રમખાણોના 9 જેટલાં કેસો ગુજરાત બહાર ખસેડવામાં આવ્યા.ત્યાર બાદ બેસ્ટ બેકરી કેસમાં આરોપીઓને સજા થઈ. તેની સામે તાજેતરમાં આવેલા ગોધરા કાંડના ચુકાદામાં ઘણાં આરોપીઓ છૂટી ગયા. ગોધરાકાંડનો મુખ્ય આરોપી પણ છૂટી ગયો. પરંતુ મીડિયા અને કર્મશીલોએ આ કેસમાં છૂટી જનારા લોકો સંદર્ભે કોઈ મોટો હોબાળો મચાવ્યા નહીં. તેના માટે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં કોઈ રીટની કાર્યવાહી કરી નહીં. બેસ્ટ બેકરી કેસ અને અન્ય 9 કેસોમાં મુસ્લિમો મર્યા હતા અને ગોધરાકાંડમાં હિંદુઓ મર્યા હતા. તેને કારણે મુસ્લિમો તરફે જ લડવું અને બોલવું મીડિયા અને કર્મશીલો નક્કી કરીને બેઠા હોવાનું જ સામે આવે છે. ગોધરાકાંડ પછીના તોફાનોની વારંવાર વાતો કરનારા લોકો ગોધરાકાંડ સંદર્ભે બેશરમ મૌન રાખે છે. ગુજરાતની જનતાએ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને 2002, 2007ની ચૂંટણીમાં પોતાનો પ્રત્યાઘાત આપ્યો છે. ગુજરાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રહેલી ભાજપને બહુમતી આપી છે. જો કે મીડિયાને વશવશો હશે કે તેમનું મિશન મોદી અને ભાજપ હટાવો સફળ થઈ શક્યું નહીં.

દુષ્પ્રચાર અને મુદ્દા ઉઠાવવા બંને વચ્ચે મોટો ભેદ છે. ગુજરાતમાં હિંદુત્વની પાયો નાખી ચુકેલી વિચારધારાને કોમવાદી ગણીને તેનો તેજોદ્વેષ કરવો સૌથી મોટી નાલાયકી છે. હિંદુત્વને રાજકીય રીતે અનુસરવું લોકોની પસંદગી છે. આ પસંદગીને ખોટી ઠેરવવાનો કોઈને હક નથી. હિંદુત્વને કોમવાદ ગણાવીને તેના નામે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, હિંદુ સંગઠનો અને ભાજપ પર માછલા ધોવાની વૃતિ પબ્લિક ઓપિનિયનને બદલવા માટેની નિર્લજ્જ કવાયત છે. ગુજરાતમાં મુદ્દા ઘણાં ઉઠાવી શકાય તેમ છે. ગુજરાતમાં સાડા સાત વર્ષ સુધી લોકાયુક્ત ન હતા. પરંતુ જ્યારે રાજ્યપાલે લોકાયુક્તની નિમણૂક કરી ત્યારે જ મીડિયાએ લોકાયુક્તનો મુદ્દો ઉઠાવ્યો. ગુજરાતમાં ગોચરની જમીનો પર અતિક્રમણનો મુદ્દો છે. ગુજરાતમાં ઉદ્યોગોને અપાતી કથિત વધુ પડતી રાહતોનો મુદ્દો છે. ખેતીની જમીનો ઉદ્યોગોને આપવાની બાબત છે. કેગના રિપોર્ટ પ્રમાણેની નાણાંકીય ગેરરીતિનો મુદ્દો છે. પણ આવા મુદ્દા ટીવી ચેનલને સનસનાટીપૂર્ણ અને ટીઆરપી વધારનારા લાગતા નથી. તેને કારણે મોદી સામે મોરચો ખોલવા માટે તેમને ગુજરાતના 2002ના રમખાણો, સોહરાબુદ્દીન-કૌસરબી એન્કાઉન્ટર, ઈશરત જહાં એન્કાઉન્ટર જેવાં સનસનાટીપૂર્ણ ટીઆરપી વધારનારા અને ચોક્કસ રાજકીય પક્ષોને મદદ કરનારા મુદ્દાઓ જ હાથમાં આવે છે.

ગુજરાતમાં વિકાસ પૂરઝડપે ચાલી રહ્યો હોવાનો મુખ્યમંત્રી દાવો કરી રહ્યાં છે. ઘણાં રિપોર્ટો તેમની વાતને સમર્થન આપે છે. ત્યારે મીડિયા આ મુદ્દા પર તેમની કોઈ ભૂલ અથવા કોઈ કમી શોધીને લોકો સામે લાવી શકે તેમ છે કે કેમ? મીડિયા અને કર્મશીલોએ જવાબ આપવો જોઈએ કે 2002ની ઘટનાઓ બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ક્યાં કાચા પૂરવાર થયા છે? નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે કઈ જગ્યાએ કેવી રીતે કાચા પૂરવાર થયા છે? કોઈ ઈન્ટરવ્યૂ હોય તો કરણ થાપર કે વિજય ત્રિવેદી જેવાં મુલાકાતકર્તા નરેન્દ્ર મોદીને ગોધરાકાંડ અને રમખાણોના પ્રશ્નો પુછીને મુંઝવવાનો દાવો કરીને વાહવાહી લૂંટીને ટીઆરપી અંકે કરતાં હોય છે. આ વૃતિ કેટલી વ્યાજબી છે?

ગુલમર્ગ સોસાયટી કાંડમાં દિવંગત કોંગ્રેસી નેતા અહેસાન જાફરીના પત્ની જાકિયા જાફરી દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશનને આધારે રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે પોતાની તપાસને આધારે કહ્યું છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ પુરાવા નથી. સુપ્રીમ કોર્ટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ અને એમેક્સ ક્યુરીના રિપોર્ટ નીચલી અદાલતને સુપ્રત કર્યા છે. સુપ્રીમ કોર્ટે આ કેસનું મોનિટરિંગ કરવાનો પણ ઈન્કાર કર્યો છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ગુજરાત અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ દ્વેષીલો-ઝેરીલો પ્રચાર ચાલી રહ્યો છે, તેનો અંત આવે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે. જેના કારણે એ વાતને બળ મળે છે કે રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય 62 વ્યક્તિઓ પર અનિર્ણાયકતા અને ફરજ ચૂકના આરોપો મૂકવામાં આવ્યા હતા, તે માત્ર અને માત્ર રાજકારણનો ભાગ છે. તેમાં ન્યાયતંત્રને ખોટી રીતે કાયદાઓના ઉપયોગથી ઢસડવામાં આવ્યું હતું. કોઈએ 1984ના શીખ વિરોધી રમખાણો અથવા ભાગલપુરના તોફાનોને આવી રીતે ન્યાયતંત્રમાં લઈ જવાની વાત કરી નથી. માત્ર ગુજરાતને જ આવી બાબતો કેમ લાગુ પડે છે, તે સમજવું ખરેખર અઘરું છે.

માત્ર એક જ નહીં ગુજરાતના સંખ્યાબંધ કેસમાં સીધા જ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પક્ષકારો દ્વારા અપનાવામાં આવેલી પદ્ધતિ ટીકા પાત્ર છે. કારણ કે તેના દ્વારા તેવો એવું સ્થાપિત કરવા માંગે છે કે ગુજરાતમાં ન્યાયતંત્ર જેવી કોઈ ચીજ નથી. પક્ષકારોના આવા વલણોથી સમગ્ર ન્યાયતંત્રની બદનામી થઈ છે. ગુલબર્ગ સોસાયટીના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે પણ ટેલિવિઝન પર બકવાસ કરીને નિર્ણયની ટીકા કરનારાઓની નોંધ સુપ્રીમ કોર્ટે લેવા જેવી ખરી.

માનવાધિકાર કાર્યકર્તાઓની રંગભૂમિ માત્ર ગુજરાત જ શા માટે છે? શું અન્ય કોઈ રાજ્યોમાં માનવાધિકાર હનનના કોઈ કિસ્સા બનતા જ નથી? મીડિયા ગુજરાતલક્ષી બનીને અહીંની નાનામાં નાની ઘટનાને સનસનાટીપૂર્ણ બનાવીને બતાવતું રહે છે. ત્યારે મીડિયા માટે ભારતમાં બનતી માનવાધિકારની ઘટનાઓ ગુજરાત સુધી જ સીમિત છે? ગુજરાત અને ભારતમાં અન્ય તમામ સ્થાનો પર કોમી તોફાનોની ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ જૂની બાબતોની ખણખોદ કરીને વાતાવરણ તણાવપૂર્ણ કરવાનો પ્રયાસ નિંદાજનક નથી?

વિચારધારાને નિશાન બનાવવા માટે કોઈ એક વ્યક્તિ વિરુદ્ધ આટલો બધો દુષ્પ્રચાર કરવાનો આઝાદ ભારતના રાજકીય ઈતિહાસમાં આ પહેલો બનાવ છે. કેટલીક ઘટનાઓમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હોવાના કારણે કિન્નાખોરી રખાતી હોવાની વાત પણ પ્રતિપાદીત થતી હોય તેવો ભાસ ઉભો થાય છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી એસઆઈટીના કાબેલ અધિકારીઓએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સતત 9 કલાક પૂછપરછ કરી હતી. આ સિવાય અન્ય 62 વ્યક્તિઓની પણ સઘન પૂછપરછ થઈ હતી. આ પૂછપરછના આધારે તેમને કોઈ પુરાવા હાથ લાગ્યા ન હતા. આનો અર્થ એ થયો કે જેમના તરફ આંગળી ચિંધવામાં આવી હતી, તેઓ સામે આવી બાબતો રાજકીય પ્રચારથી વધારે કશું જ ન હતી. સુપ્રીમ કોર્ટ હવે આ કેસની બહાર છે. ત્યારે સવાલ એ છે કે આટલી ખોટી રીતે કાયદાનો ઉપયોગ કરીને સીધા સુપ્રીમમાં કેસ લડવા માટે ક્યાંથી નાણાં અને ફંડ પૂરું પડે છે? શું આની પાછળ કોઈ રાજકીય પક્ષની હિતસાધના છે અથવા વિદેશમાંથી હિતસાધક તત્વોને મદદ મળી રહી છે? સુપ્રીમ કોર્ટમાં એક દિવસ માટે વકીલોની ફી લાખો રૂપિયામાં હોય છે. ગુજરાતના હજી ડઝનબંધ કેસો સુપ્રીમ કોર્ટમાં છે. ત્યારે આ કેસ લડવા માટે મળી રહેલા ફંડ સંદર્ભે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા જ તપાસ થાય તે ઈચ્છનીય છે. પ્રજા ઉબાઈ જાય તેટલી હદે વાતનું વતેસર કરવા પાછળ મીડિયા અને ધર્માંતરીત કાર્યકરો તથા તેમના મળતિયાંઓને કોણ બહેકાવી રહ્યું છે, તે પણ ઊંડી તપાસનો મુદ્દો છે. કારણ કે સવાલ માત્ર નરેન્દ્ર મોદીનો નથી, આ મુદ્દા પર સવાલ હિંદુત્વની વિચારધારાને નિશાન બનાવવાનો અને ગુજરાતને બદનામ કરવાનો પણ છે.

1 ટિપ્પણી: