શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

‘વિકાસ પ્લસ હિંદુત્વ’નો એજન્ડા જ મોદીને વડાપ્રધાન બનાવશે


-આનંદ શુક્લ

નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત થશે, તો પાર્ટી આપમેળે જ ઘણી બાબતોમાં સ્પષ્ટ થઈ જશે. સદભાવના મિશનના અનુભવ પછી જોઈ શકાયું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હિંદુ હ્રદય સમ્રાટની છબીમાંથી છટકી શકે તેમ નથી. સદભાવના મિશન ઉપવાસના બીજા દિવસે એક સૂફી સંતે મંચ પર નરેન્દ્ર મોદીને મુસ્લિમ ટોપી પહેરાવાની ચેષ્ટા કરી. હકીકતમાં નરેન્દ્ર મોદી સામે ટોપી પહેરવી અને ટોપી ન પહેરવીના બંને વિકલ્પોમાં નુકસાન હતું. તેમની પાસે ઓછું નુકસાન થાય તેવો વિકલ્પ પસંદ કરવાની રાજકીય મજબૂરી હતી. નરેન્દ્ર મોદી કટ્ટરવાદી છબી ધરાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકમાંથી મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી બન્યા બાદ થોડા મહીનાઓમાં ગોધરાકાંડની 56 હિંદુઓને ટ્રેનમાં સળગાવી દેવાની ઘટના બની. ત્યાર બાદ ગુજરાતે 2002માં મોટા રમખાણોના તબક્કામાંથી પસાર થવું પડયું. જનઆક્રોશના પરિણામે ગુજરાતમાં મુસ્લિમોને સૌથી વધારે જાનમાલની હાનિ ઉઠાવવી પડી. સેક્યુલર અંતિમવાદીઓના તર્ક-કુતર્કોને પરિણામે નરેન્દ્ર મોદીની છબી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કટ્ટર હિંદુવાદી નેતા તરીકે ઉપસી આવી. તો ગુજરાતની જનતાએ તેમને તમામ પ્રચાર-દુષ્પ્રચાર છતાં હિંદુ હ્રદય સમ્રાટ બનાવી દીધા. હિંદુ હ્રદય સમ્રાટની ઈમેજના આધારે નરેન્દ્ર મોદી ડિસેમ્બર-2002માં વિધાનસભાની ચૂંટણી મીડિયામાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ અને દુષ્પ્રચારના ચક્ર છતાં જીત્યા. જો કે નરેન્દ્ર મોદી જાણતા હતા કે તેમને હિંદુ હ્રદય સમ્રાટ તરીકેની મળેલી લોકચાહનાને પરિણામે ઉપસેલી છબી વાઘની સવારી છે. તેમ છતાં તેવા સંજોગોમાં તેમના માટે સેક્યુલર દેખાવાનો વિકલ્પ આત્મઘાતી હતો. તેના કારણે તેમણે હિંદુ હ્રદય સમ્રાટની છબીને જાળવી રાખીને વિકાસપુરુષ અને સુશાસક તરીકેની છબી ઉપસાવાનો ભરપૂર પ્રયત્ન કર્યો.

તેના માટે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પદે 2002માં ચૂંટાયા બાદ ગુજરાતમાં વિકાસ કાર્યોને નવી ઊંચાઈ આપી. ગુજરાતમાં વિકાસ સહજ રીતે થાય છે, પણ તેની પ્રસિદ્ધિ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરવામાં મોદી સફળ થયા. ઉદ્યોગોના મૂડી રોકાણમાં છત્તીસગઢ અને બિહાર જરાય પાછળ નથી. છતાં ગ્લેમરાઈઝ્ડ પ્રચારે ગુજરાતને વિકાસ રાજ્યની ઈમેજ આપી. આ એ ગુજરાત છે કે જ્યાં 1969માં આખા ભારતમાં સૌથી વધારે ફોર વ્હીલર્સ હતા. તેના કારણે ભારતનું સૌથી પહેલું ડ્રાઈવ ઈન થિયેટર ગુજરાતમાં બનાવાયું હતું. રાજ્યનું ઔદ્યોગિકરણ પણ તેજ ગતિથી થાય તેના માટે તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરીને રાજ્યમાં દેશી-વિદેશી રોકાણને આકર્ષવા માટે કોશિશ કરી. તેમના આ પ્રયાસોને ધારી સફળતા મળી. તેની સાથે નરેન્દ્ર મોદીના પ્રચાર તંત્રે તેમની હિંદુ હ્રદય સમ્રાટની છબીના સ્થાને વિકાસપુરુષ અને સફળ સુશાસકની છબીને ઉંચકવાનો ભરપૂર પ્રયત્ન કર્યો. તેમા નરેન્દ્ર મોદી 2007 સુધીમાં સફળ પણ થયા. 2007ની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિકાસના મુદ્દા પર વોટ માંગવા માટે ચૂંટણી જંગમાં ઉતર્યા. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી માટે મોતના સોદાગર જેવો શબ્દ વાપરીને જીતના પવનની દિશા મોદી તરફ ફેરવી દીધી. 2002થી 2007ની ટર્મ દરમિયાન મોદીને પોતાની હિંદુ હ્રદય સમ્રાટની છબીથી જ પોતાના ઘોર રાજકીય વિરોધીઓને એક પછી એક માર્ગમાંથી હટાવવામાં સફળતા મળી હતી. એટલે કે 2007માં તેમને હિંદુ હ્રદય સમ્રાટની છબીની કોઈ જરૂરત ન હતી. તેમ છતાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને રમખાણોની પૃષ્ઠભૂમિમાં મોદી માટે વપરાયેલા મોતના સોદાગર જેવાં સોનિયા ગાંધીના શબ્દોએ ભાજપ અને મોદીને ફરીથી હિંદુત્વના મુદ્દે જ જીત અપાવી દીધી.

પરંતુ રાજનીતિ મહત્વકાંક્ષાઓનો ખેલ છે. મહત્વકાંક્ષાઓને પૂરી કરવા માટે રાજકારણીઓ એક ઈમેજ તોડીને બીજી ઈમેજ બનાવતા હોય છે. નરેન્દ્ર મોદીની કટ્ટર હિંદુવાદી નેતાની છબી તેમની રાષ્ટ્રીય રાજકારણમાં જઈને વડાપ્રધાનના સર્વોચ્ચપદની ઉમેદવારી કરવામાં સૌથી મોટી અડચણ છે. આ વાત નરેન્દ્ર મોદી ખૂબ સારી રીતે જાણે છે. તેથી તેમણે 2009ની ચૂંટણી સુધીમાં પોતાની વિકાસપુરુષ તરીકેની છબીને વધારે દ્રઢ બનાવીને રજૂ કરી. તેના પરિણામે 2009ની ચૂંટણીમાં ભાજપ તરફથી એલ. કે. અડવાણી વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર થયા હોવા છતાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મુકશે અંબાણી, અનિલ અંબાણી અને સુનિલ મિત્તલ જેવાં ઉદ્યોગપતિઓએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે શ્રેષ્ઠ ઉમેદવાર ગણાવ્યા. 2009ની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી સંદર્ભે ઉદ્યોગપતિઓ દ્વારા થયેલી ટિપ્પણીઓ પર ભાજપ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહીં. કેટલાંક રાજકીય વિશ્લેષકોના મતે, 2009ની ચૂંટણીમાં વિકાસપુરુષ બનવા મથી રહેલા કટ્ટર હિંદુવાદી ઈમેજમાં કેદ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદ માટે ઉદ્યોગપતિઓ દ્વારા પહેલી પસંદ બતાવવાની વાતથી મતદારોમાં ગુંચવાડો ઉભો થયો હતો. જેના પરિણામે ભાજપને કોંગ્રેસ સામે સારો દેખાવ કરવાની તક મળી ન હતી. ઉલ્લેખનીય છે કે 2009ની ચૂંટણીમાં ભાજપને દેશભરમાં મુસ્લિમોના અંદાજે માત્ર સાત ટકા મત મળ્યા હતા.

હવે જ્યારે યુપીએ-2ના શાસનકાળમાં કોંગ્રેસ વિરુદ્ધનું વાતાવરણ બની રહ્યું છે, ત્યારે ફરીથી અડવાણી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નવી રથયાત્રા દ્વારા ભાજપને સક્રિય કરી રહ્યાં છે. તેનો રાજકીય અર્થ એવો લગાવાતો હતો કે અડવાણી હજીપણ વડાપ્રધાનપદની રેસમાં છે. બરાબર તેવા જ સમયે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુલમર્ગ કાંડમાં એસઆઈટી અને એમએક્સક્યુરીના રિપોર્ટો અમદાવાદની નીચલી અદાલતને સોંપવાના નિર્ણયને નરેન્દ્ર મોદીએ રમખાણોમાં પોતાને ક્લિનચીટ મળી હોવાનું ગણાવીને રાજકીય દાવ ખેલી લીધો. તેમણે સદભાવના મિશન અંતર્ગત ત્રણ દિવસના ઉપવાસની જાહેરાત કરી. આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે ભાજપ અને નરેન્દ્ર મોદીના કોઈ કાર્યક્રમમાં મુસ્લિમો દ્વારા અલ્લાહ હો અકબરના સૂત્રો પોકારાયા. આ સેક્યુલારિઝ્મના તમામ પ્રયોગો નરેન્દ્ર મોદી પોતાની વિકાસપુરુષની છબી ઉપસાવા અને પોતાની હિંદુ હ્રદય સમ્રાટની છબી દૂર કરવા માટે કરી રહ્યાં હતા.

તેમણે કહ્યું પણ ખરું કે તેમના સદભાવના મિશનના ઉપવાસ દેશમાં વોટબેંકની રાજનીતિનો અંત અને વિકાસની રાજનીતિની શરૂઆત છે. પરંતુ ઈમામ શાહી સૈયદ દ્વારા મુસ્લિમ ટોપી ન પહેરવાની ઘટનાએ નરેન્દ્ર મોદીના સદભાવના મિશન પર પાણી ફેરવી નાખ્યું. દેશભરના મુસ્લિમ સમુદાયમાં એક સંદેશ ગયો કે મુસ્લિમ ટોપી પહેરવાનો ઈન્કાર કરીને નરેન્દ્ર મોદી પોતાની હિંદુ હ્રદય સમ્રાટની છબી યથાવત રાખવાનું નક્કી કરી ચુક્યા છે. જો કે આ બાબત નરેન્દ્ર મોદીની રાજકીય મજબૂરી હતી કે તેઓ ગુજરાતમાં 2012ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુસ્લિમ ટોપી પહેરીને કોઈપણ પ્રકારના રાજકીય આપઘાતને આમંત્રણ આપે નહીં. પરંતુ ટોપીકાંડથી નરેન્દ્ર મોદીના 2014ના મિશન દિલ્હીને કમરતોડ ફટકો પડયો છે.

સપ્ટેમ્બર માસમાં આવેલા અમેરિકી કોંગ્રેસની એજન્સીના રિપોર્ટમાં કહેવાય છે કે નરેન્દ્ર મોદીને 2014માં વડાપ્રધાનપદના પ્રબળ દાવેદાર ગણાવાયા છે. તેમાં 2014નો ચૂંટણી જંગ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેનો જંગ હશે, તેવી વાત કરવામાં આવી છે. આ રિપોર્ટમાં નરેન્દ્ર મોદી સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના શાસનની પણ પ્રશંસા કરવામાં આવી છે. સદભાવના મિશન દરમિયાન અડવાણી સહીતના ભાજપના મોટામોટા નેતાઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદના ઉમેદવાર બની શકે તેવી વાત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી છે. ભૂતકાળમાં ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ પણ પોતાની નિયુક્તિ બાદ થોડા સમયમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાની વાત કહી છે. ભાજપના અરુણ શૌરી, એમએનએસના રાજ ઠાકરે સહીત ચીન-જાપાન જેવાં દેશોના મતે પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર હોવાની વાતો સામે આવી છે. પરંતુ સદભાવના મિશનના ત્રણ દિવસના ઉપવાસ બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમનો પક્ષ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કરતો નથી. આવી સંભવિત પરિસ્થિતિમાં જેડીયૂએ એનડીએથી છેડો ફાડવા સુધીના અર્થની વાત પણ કહી છે. આમ એનડીએમાં ભાજપ બાદ દ્વિતિય ક્રમના પક્ષ જનતાદળ-યૂનાઈટેડે નરેન્દ્ર મોદીને એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નાપસંદ કર્યા છે.

અત્રે નોંધનીય છે કે બિહાર વિધાનસભાની તાજેતરની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીને તેમની કટ્ટર હિંદુવાદી નેતા તરીકેની છબીને કારણે નીતિશ કુમારના કહેવાથી ભાજપે પ્રચાર કાર્યથી દૂર રાખ્યા હતા. કારણ કે નીતશ કુમારની સેક્યુલર છબી છે અને તેમને બિહારમાં 16 ટકા મુસ્લિમ મતોની ફિકર સતાવતી હતી. એમએનએસના રાજ ઠાકરેને સદભાવના મિશનના મંચ પર નરેન્દ્ર મોદી સાથે જોઈને ભાજપના જૂના સહયોગી શિવસેના સુપ્રિમો બાળ ઠાકરેના પેટમાં તેલ રેડાયું છે. તો એઆઈએ-ડીએમકેના જયલલિતાએ પણ નરેન્દ્ર મોદીને હાલ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ટેકો આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેલગુ દેશમના ચંદ્રાબાબુ નાયડુ અને ખુદ અણ્ણા હજારેએ પણ નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદની સંભવિત ઉમેદવારી સામે જાહેરમાં નાખુશી વ્યક્ત કરી છે.

ત્યારે હાલ ‘વિકાસ માઈનસ હિંદુત્વ’ની નીતિ પર બે લોકસભા ચૂંટણી લડીને હારેલું ભાજપ ‘વિકાસ પ્લસ હિંદુત્વ’ની નીતિ પર આગામી લોકસભા ચૂંટણીમાં ઝુકાવે તો જ નરેન્દ્ર મોદી અને ભાજપ માટે વડાપ્રધાન પદે પહોંચવાનો રસ્તો ખુલ્લો રહે તેમ છે. પરંતુ સવાલ એ છે કે શું ભાજપની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા સર્જરી અને કેમોથેરપીની સારવાર પૂરી થઈ ચુકી છે કે જેથી ભાજપ ‘વિકાસ પ્લસ હિંદુત્વ’ની રાજનીતિ પર ચૂંટણી લડવા માટે તૈયાર થાય? આ સવાલનો હાલ તો કોઈ જવાબ મળે તેવી શક્યતા નથી. જો કે પોતાની રથયાત્રા માટે મંજૂરી લેવા નાગપુર સંઘમુખ્યાલય ગયેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ એવા સંકેત આપ્યા છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર નથી. તેવા સંજોગોમાં ભાજપ તરફથી વડાપ્રધાન પદ માટે અન્ય વિકલ્પો પર વિચાર થશે. તેમાં જો ભાજપ વિકાસ માઈનસ હિંદુત્વની રણનીતિ નીચે ચૂંટણીમાં ઉતરશે, તો નરેન્દ્ર મોદી તેમની કટ્ટર હિંદુવાદી નેતાની છબીને કારણે પાર્ટી માટે પ્રચારમાં તો કામમાં આવશે, પરંતુ ગઠબંધનના યુગમાં વડાપ્રધાન તરીકની ઉમેદવારીના કામમાં નહીં આવે.

બીજી શક્યતાનો વિચાર કરીએ તો ભાજપ ‘વિકાસ પ્લસ હિંદુત્વ’ની નીતિ પર આગળ વધે, તો નરેન્દ્ર મોદી હાલ ભાજપ તરફથી સૌથી મોટા ‘ક્રાઉડ પુલિંગ કટ્ટર હિંદુવાદી નેતા’ તરીકે વડાપ્રધાન પદ માટે પહેલી પસંદ બની શકે. જો કે આ પરિસ્થિતિમાં પણ નરેન્દ્ર મોદીએ સંઘ, સંઘ પરિવાર અને ભાજપમાં રહેલા પોતાના નારાજ, નાખુશ અને અસંતુષ્ટ સાથીદારોને માનવવા પડશે. કોર્પોરેટ જગતની વડાપ્રધાન તરીકેની પહેલી પસંદ બની ચુકેલા નરેન્દ્ર મોદી ખૂબ મોટાપ્રમાણમાં પાર્ટી ફંડ એકઠું કરે છે. પાર્ટી, સંગઠનો ફંડથી ચાલતા હોય છે, ત્યારે આવી સ્થિતિમાં નરેન્દ્ર મોદી માટે પોતાનાથી અસંતુષ્ટ, નારાજ અને નાખુશ સાથીદારોને મનાવવું અઘરું નહીં રહે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો