રવિવાર, 18 સપ્ટેમ્બર, 2011

મિશન સદભાવના: મુસ્લિમોમાં મોદીની સ્વીકૃતિ માટેનો દાવ


- આનંદ શુક્લ

મિશન સદભાવના હકીકતમાં મોદીનું મિશન 2014 છે. શાંતિ, એકતા અને સદભાવના માટેના પોતાના ત્રણ દિવસના ઉપવાસથી નરેન્દ્ર મોદીએ ભાજપનો આગામી લોકસભા ચૂંટણી માટેનો એજન્ડા નક્કી કરી દીધો છે. ભાજપના ફાયરબ્રાન્ડ હિંદુ ચહેરાએ પોતાની ચાલ,ચરિત્ર અને ચહેરો બદલવાના સંકેતો આપી દીધા છે. એટલે કે હવે ભાજપ ફરીથી હિંદુત્વના માર્ગ પર ચઢશે નહીં. આમ તો 2004 અને 2009ની ચૂંટણીઓમાં પણ ભાજપે હિંદુત્વને કોરાણે મૂકીને વિકાસના મુદ્દાને આગળ કરીને જંગમાં ઝુકાવ્યું હતું. પરંતુ હિંદુત્વના(ભાજપ તેને રાષ્ટ્રવાદ પણ કહેતો હતો) મુદ્દાને છોડનારી ભાજપને પ્રજાએ છોડી દીધી હતી. તેમ છતાં કોણ જાણે કેમ, મુસ્લિમોને પોતાની સભામાંથી ઉભા થઈને જતાં રહેવાનું કહેનારા અને મુસ્લિમોના વોટની પોતાને જરૂર ન હોવાની વાત કહેનારા ભાજપના નેતાઓ અત્યારે મુસ્લિમ વોટો પાછળ દોડવા માંડયા છે. ગુજરાતની કઠલાલની પેટાચૂંટણી હોય કે ગુજરાતની મહાનગરપાલિકાઓની ચૂંટણી ભાજપને સારા પ્રમાણમાં મુસ્લિમોના મતો મળ્યા હોવાનો પ્રચાર જોરશોરથી કરવામાં આવે છે. બિહારની ચૂંટણીમાં પણ ભાજપને મુસ્લિમોના મતો મળ્યા હોવાના દાવા કરવામાં આવે છે. આ દાવાઓમાં કેટલું સત્ય છે, તે સંશોધનનો વિષય છે? તાજેતરમાં એક ટેલિવિઝન ચેનલના સર્વેક્ષણમાં પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે લોકોની પહેલી પસંદ હોવાની અને તેમને ત્રીસ ટકા મુસ્લિમોનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાંક સમયથી પોતાનો હિંદુત્વવાદી ચહેરો બદલીને સેક્યુલર વિકાસપુરુષનું મ્હોરું પહેરવા માગે છે. કારણ કે નરેન્દ્ર મોદીની નજર વડાપ્રધાન પદ પર છે. ઉપવાસના પ્રથમ દિવસે પોતાના ભાષણમાં આ વાતના સંકેત આપતા તેમણે કહ્યું હતું કે તેમને દેશસેવા કરવાના આશિર્વાદ મળે. એવા દેખીતા કારણો છે કે તેમને દેશની રાષ્ટ્રીય રાજનીતિમાં વડાપ્રધાન પદે પહોંચી શકાય તેવી માન્યતા મળે. અમેરિકન કોંગ્રેસની એજન્સીએ તેના તાજેતરના રિપોર્ટમાં નરેન્દ્ર મોદીને 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા છે. નરેન્દ્ર મોદીના શાસનની ઘણી પ્રશંસા કરી છે. અડવાણીએ પોતાના બ્લોગમાં પણ આ વાતને મ્હોર મારી છે. ચીન અને જાપાન પણ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બની શકે તેમ હોવાની વાતને સ્વીકારી રહ્યાં છે. પરંતુ દરેક ઠેકાણે માન્યતા પ્રાપ્ત કરી શકનારા અને દેશમાં ઘણાં લાંબા સમયથી મીડિયા સર્વેમાં મુખ્યમંત્રી નંબર વન રહેનારા નરેન્દ્ર મોદી પોતાની પાર્ટીમાં અટલ-અડવાણી બાદના દ્વિતિય પંક્તિના નેતાઓમાં હજી સુધી નંબર વનની માન્યતા મેળવી શક્યા નથી. એનડીએમાં તેમની સર્વસંમત નેતા તરીકે સ્વીકૃતિ નથી. કારણ કે 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોના ડાઘે મોદીનો ચહેરો કોમવાદી નેતાનો બનાવી દીધો છે. તેના કારણે બિહારની ચૂંટણીમાં જેડીયૂના નેતા નીતિશ કુમારના કહેવાથી નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચારથી દૂર રાખવામાં આવ્યા હતા. નીતિશ કુમારના નેતૃત્વમાં નરેન્દ્ર મોદીના બિલકુલ સહયોગ વગર ભાજપ-જેડીયૂ ગઠબંધને ત્રણ ચતુર્થાંસ બહુમતી પ્રાપ્ત કરી હતી. તો ભાજપના નેતાઓનો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા સંદર્ભેના પ્રશ્નનો એક જ સ્ટીરીયો ટાઈપ જવાબ હોય છે કે નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન બનવાના ગુણો છે. જો કે દેવેગૌડા વડાપ્રધાન બન્યા ત્યારથી સાબિત થયું કે વડાપ્રધાન બનવા ગુણો નહીં માથા જોઈએ. પરંતુ ભાજપમાં આવા ઘણાં નેતાઓ છે અને આ સંદર્ભેનો નિર્ણય પાર્ટી કરશે. વળી 2009ના પીએમ ઈન વેઈટિંગ એલ. કે. અડવાણીએ કેશ ફોર વોટ મામલે સંસદમાં બોલતા ભ્રષ્ટાચાર અને સ્વચ્છ શાસનના મુદ્દે નવી રથયાત્રાની ઘોષણા કરી દીધી. આમ તેમણે ભાજપમાં દ્વિતિય પંક્તિના નેતૃત્વમાં ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે પોતાને ફરીથી વડાપ્રધાન પદના ઉમેદવારની રેસમાં સામેલ કરી લીધા.

આ પરિસ્થિતિઓમાં વડાપ્રધાન પદના ભાજપ અને એનડીએના ઉમેદવાર બનવા માટે નરેન્દ્ર મોદીએ સેક્યુલર દેખાવું પડે તે તેમની રાજકીય મજબૂરી છે. સેક્યુલર દેખાવા માટે મુસ્લિમો પોતાની નજીક હોવાનું દેખાડવું પડે અને તેના માટે નરેન્દ્ર મોદીને તુષ્ટિકરણનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ સહારો લેવો પડે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસઆઈટી અને એમએક્સક્યૂરીનો રિપોર્ટ અમદાવાદની નીચલી અદાલતને સોંપવાના નિર્ણયની તક નરેન્દ્ર મોદીએ પોતાના ‘પોલીટીકલ મેકઓવર’ માટે ઝડપી લીધી. નરેન્દ્ર મોદીએ સુપ્રીમના નિર્ણય બાદ તુરંત મિશન સદભાવના નીચે ત્રણ દિવસના ઉપવાસની જાહેરાત કરી દીધી. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉપવાસ સ્થળે મુસ્લિમોને મોટી સંખ્યામાં લાવવા માટેની સૂચના આપવામાં આવી છે અને મુસ્લિમોને ઉપવાસ સ્થળે ટોપી પહેરીને આવવાનું પણ કહેવામાં આવ્યું છે. આમ નરેન્દ્ર મોદી પોતાની સમગ્ર તાકાત પોતાને મુસ્લિમોનું પણ મોટું સમર્થન મળી રહ્યું હોવાની વાતને સાબિત કરવા પાછળ લગાડી રહ્યા છે.

નરેન્દ્ર મોદીના ઉપવાસ પહેલો પ્રસંગ છે કે જ્યારે મોદીના ભાષણ બાદ ‘ભારત માતા કી જય’ અને ‘અલ્લાહ હો અકબર’ના સૂત્રો એકસાથે પોકારાયા હોય. અત્યાર સુધી બેગમ-બાદશાહના રાજને દૂર કરવાની અને પોતાના ચૂંટણીના ભાષણોમાં મિયાં મુશર્રફનો વારંવાર ઉલ્લેખ કરનારા નરેન્દ્ર મોદીમાં અચાનક યૂટર્ન આવ્યો છે. 2002ના રમખાણો સમયે દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોવાની વાત સમજાવીને તેમણે ન્યૂટનનો ત્રીજો નિયમ સમજાવ્યો હતો. 2011માં તેમણે ગુલમર્ગ કાંડના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કહ્યું કે ‘વેરથી વેર સમે નહીં’. પરંતુ મરહૂમ કોંગ્રેસી નેતા અહેસાન જાફરીના વિધવા જાકીયા જાફરીએ નરેન્દ્ર મોદીના ઉપવાસને, ‘સો ચૂહે ખાકે બિલ્લી હજ કો ચલી’ તેવી ઉપમા આપી છે. કેટલાંક સમીક્ષકો કહી પણ રહ્યાં છે કે મોદીના મોઢામાં સદભાવના, શાંતિ અને એકતાની વાત દુર્યોધનના મોઢામાં ગીતાના પાઠ જેવી લાગે છે અથવા તો શેતાન બાઈબલ વાંચે તેવું લાગે છે. તેમનું દ્રઢપણે માનવું છે કે મોદીનું મિશન સદભાવના નહીં, પણ મિશન 2014 છે.

જો કે એનડીએના સૌથી મોટા ઘટક દળ જેડીયૂએ મોદીના ઉપવાસ સંદર્ભે કોઈ ઉત્સાહ દેખાડયો નથી. જેડીયૂના અધ્યક્ષ શરદ યાદવે આની મજાક ઉડાવીને કહ્યું છે કે દેશની વસ્તીનો મોટો હિસ્સો જે અમાનવીય પરિસ્થિતિમાં જીંદગી ગુજારી રહ્યો છે, તેને તો રોજ ઉપવાસ પર રહેવાનું હોય છે. પરંતુ કોઈ તેના હાલચાલ પુછતું નથી. કેટલાંક ખાસ ઉપવાસોની જ ચર્ચા થતી રહે છે. આમ જેડીયૂના સંકેત સ્પષ્ટ છે કે તેઓ મોદીના ઉપવાસને સમર્થન ન આપીને બિહાર ચૂંટણી વખતનું મોદી સંદર્ભેનું પોતાનું વલણ યથાવત રાખશે. એટલે કે બની શકે કે નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે, તો એનડીએમાં ભંગાણની સ્થિતિ પેદા થઈ શકે. વળી એઆઈએડીએમકેના સુપ્રિમો અને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ કહ્યું છે કે નરેન્દ્ર મોદીના સદભાવના ઉપવાસને ટેકો આપ્યો છે. તેમણે આની રાજકીય સમીકરણો પર અસર પડવાની વાતને નકારી છે. તેમણે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેનો ટેકો આપવાની વાતને ટાળતા કહ્યું હતું કે એવી સ્થિતિ પેદા થશે, ત્યારે તેનો જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે જયલલિતાએ પોતાના પ્રતિનિધિઓ મોદીના ઉપવાસના ટેકામાં મોકલ્યા છે. જયલલિતાના વલણ પરથી સ્પષ્ટ છે કે એનડીએ સિવાયના પક્ષો પણ મોદીને વડાપ્રધાન પદ માટે ટેકો આપતા ખચકાય છે.

મોદીએ ઉપવાસના પ્રથમ દિવસે કહ્યું હતું કે તેમનુ સદભાવના મિશન વોટબેંકની રાજનીતિના અંતની શરૂઆત છે. તુષ્ટિકરણ કર્યા વગર તેઓ બધાં વર્ગોને સાથે લઈને ચાલી રહ્યાં છે. પરંતુ તેમની આ વાતમાં હજી પણ શંકાને સ્થાન છે. મોદીનું મિશન વોટબેંકની રાજનીતિના અંતની શરૂઆત કેવી રીતે બનશે? તેઓ પોતે પણ હિંદુ વોટબેંકની રાજનીતિ રમી ચુક્યા છે અને હવે પોતાની વોટબેંકની રાજનીતિ મુસ્લિમ મતો મેળવવા સુધી વિસ્તારી રહ્યાં છે. તેઓ તુષ્ટિકરણ કર્યા વગર બધાં વર્ગોને સાથે લઈને ચાલી રહ્યાં છે. પરંતુ તેમણે છેલ્લા કેટલાંક વખતથી જાણે-અજાણે મુસ્લિમ વોટની લ્હાયમાં તુષ્ટિકરણની રાજનીતિ શરૂ કરી નથી? અમદાવાદમાં બીઆરટીએસ શાહઆલમ વિસ્તારમાં આવીને કેમ અટકી ગઈ છે? રસ્તા પરના મંદિરો કાં તો તોડી પડાય છે અથવા સ્થળાંતરીત થાય છે, પરંતુ દરગાહોને કેમ સુરક્ષિત રાખવામાં આવે છે? કપાતમાં હિંદુ વિસ્તારના ઘરો-દુકાનો તોડવામાં આવે છે, પરંતુ મુસ્લિમ વિસ્તારો બને ત્યાં સુધી અકબંધ રાખવાનો પ્રયત્ન શા માટે કરવામાં આવે છે? આવા તો ઘણાં સવાલો રાજ્યના લોકાના દિલોદિમાગમાં ઘુમી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં અઢીસો મંદિર નરેન્દ્ર મોદીની સૂચનાથી તોડી પાડવામાં આવ્યા હતા. સરખેજના રોજાના વિકાસ માટે સરકારી રાહે પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેના ઉર્સમાં નરેન્દ્ર મોદીએ પઠાણી સૂટ પહેરીને હાજરી આપી હતી. સામાન્ય જનતા માની રહી છે કે મોદીના ઉપવાસોનું મિશન સદભાવના મુસ્લિમોમાં પોતાની સ્વીકૃતિ ઉભી કરવાનો દાવ માત્ર છે. આમ કરીને મોદી પોતાને એનડીએમાં સ્વીકૃતિ અપાવીને વડાપ્રધાન પદ માટે તૈયાર કરી રહ્યાં છે. મહાત્મા ગાંધીએ હિંદુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાના નામે તુષ્ટિકરણ કર્યું, કોંગ્રેસે લઘુમતીઓના નામે આઝાદ ભારતમાં મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને ચાલુ રાખી. ભાજપમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણનો સેક્યુલર વાઈરસ ઘૂસી ચુક્યો છે અને સદભાવનાના નામે મુસ્લિમ તુષ્ટિકરણનો નવો ચીલો ચાતરશે.

ગુજરાતમાં મુસ્લિમો સંદર્ભે મોદીએ જે રાજનીતિની શરૂઆત કરી છે, તેને દેશના કેન્દ્રસ્થાને પહોંચવા માટે મોટાપાયે કરવાની તૈયારી હોવાના તેમના દ્વારા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યાં છે. આમ તો ભાજપના ચાલ, ચરિત્ર અને ચહેરામાં મુસ્લિમ તુષ્ટિકરણનો સેક્યુલર વાઈરસ ઘૂસી ચુક્યો છે. આ વાઈરસ અટલ, અડવાણી બાદ નરેન્દ્ર મોદીને પણ પોતાની ઝપટમાં લઈ રહ્યો છે. પરંતુ ઘેટું ઘાસ ચરવા જાય અને ઉન મૂકીને આવે, તેવા ઘાટની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. મોદીના કરોડોના ઉપવાસ સામે કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ ફૂટપાથ પર ઉપવાસ કર્યા છે. તેમણે નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના આપતાં કહ્યું છે કે ભગવાન સદબુદ્ધિ આપે. ગુજરાતમાં ઉપવાસની રાજનીતિ જોરમાં છે. રાજનીતિમાં ઉપવાસ છે, પરંતુ રાજનીતિનો લાભ ખાંટવામાં કોઈ ઉપવાસ કરે તેમ નથી. ત્યારે અત્રે સવાલો ઉભા થાય છે કે મોદી ભાજપ-એનડીએમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થશે? મોદીના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવાથી જેડીયૂ અને અન્ય દળો એનડીએમાં યથાવત રહેશે? શું નરેન્દ્ર મોદી પણ મુસ્લિમ તુષ્ટિકરણની રાહ પર ના-ના કરતાં આગળ વધી રહ્યાં છે? શું ભાજપ 2014ની ચૂંટણીમાં હિંદુત્વના મુદ્દાઓને આગળ કરશે કે આઘા રાખશે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો