મંગળવાર, 19 ફેબ્રુઆરી, 2013

ધર્મનિરપેક્ષતાનો દંભ છોડો, સાચા હિંદુ બનો


-          ક્રાંતિવિચાર

શું મનુષ્ય ધર્મથી નિરપેક્ષ રહી શકે? ધર્મથી નિરપેક્ષ રહેનારા મનુષ્યમાં અને પ્રાણીમાં કોઈ ફેર રહે? પણ ભારતમાં 1950માં અમલમાં આવેલા બંધારણમાં 1976માં કટોકટી વખતે ધર્મનિરપેક્ષ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આ શબ્દ બંધારણના મૂળ ઘડવૈયાઓએ બંધારણમાં મૂક્યો ન હતો. પરંતુ કટોકટી વખતે ઈન્દિરા ગાંધીના શાસનમાં બંધારણીય સુધારા દ્વારા આ શબ્દ ભારતીય બંધારણના આમુખમાં પાછળથી મૂકવામાં આવ્યો. આમ તો ભારતને ધર્મનિરપેક્ષ બનાવવાનું ચલણ 1947થી અસ્તિત્વમાં હતું. પરંતુ 1976માં તેને બંધારણમાં સામેલ કરીને ભારતીય રાજનીતિની દિશાને ડામાડોળ કરવામાં આવી.

દેશમાં વોટબેંકની એક નવી રાજનીતિ શરૂ થઈ. ભારત સાથે અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનમાં રહેતા હિંદુઓને નાગરીક તરીકેના ઘણાં અધિકારોમાં કાપ મૂકવામાં આવ્યો. આજે પણ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓમાં હિંદુ વોટરો પ્રભાવહીન રહે તેવી વ્યવસ્થા અસ્તિત્વમાં છે. તેની વિરુદ્ધ ભારતમાં 14 ટકાની આસપાસ રહેલા મુસ્લિમોને ભારતની તમામ ચૂંટણીઓમાં સમાન અધિકાર અને પ્રભાવથી વોટ કરવાનો અધિકાર છે. જેના પરિણામે હંમેશા એક ચોક્કસ દિશામાં વોટિંગ કરનારા મુસ્લિમ મતદારોને પોતાની સાથે જોડી રાખવા માટે કોંગ્રેસના સૌથી પ્રભાવી વડાપ્રધાનો જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીએ ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમ તુષ્ટિકરણની ભારતના અસ્તિત્વ માટે જોખમી રાજનીતિ શરૂ કરી.

આ રાજનીતિ દર દસકે સતત નીચેના સ્તરે પહોંચતી ગઈ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે, મુસ્લિમોની હાલતને અનુસૂચિત જાતિના લોકો કરતા પણ ખરાબ ગણતો સચ્ચર કમિટીનો રિપોર્ટ આવ્યો છે. ત્યાર બાદ મુસ્લિમ વોટો સાચવવા માટે વડાપ્રધાન મનમોહનસિંહે 15 મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. અલગ લઘુમતી મામલાનું મંત્રાલય બનાવ્યું છે. વડાપ્રધાન મનમોહનસિંહે જાહેર કર્યું છેકે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. ધર્મનિરપેક્ષતાની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિનું આનાથી વરવું ઉદાહરણ બીજું કોઈ મળે તેમ નથી. હવે મુસ્લિમોને શિક્ષણ અને નોકરીઓમાં અનામત આપવાની માગણી થઈ રહી છે. આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની સરકારોએ મુસ્લિમોને અનામત આપવાનો પ્રયત્ન કર્યો છે. જો કે આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ અનામતનો કોર્ટની રાહે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટ સુધી સરકારની ધર્મના નામે અનામત આપનારી નીતિ સાથે કોર્ટે ખાસી અસહમતિ દર્શાવી છે.

ભારતની આઝાદીનો ઈતિહાસ આપણને ભણાવાય છે. પરંતુ સાથે ભારતના ભાગલાનો ઈતિહાસ પણ ભણાવવો જોઈએ. ભારતના ભાગલા ધર્મના નામે થયા તેમ કહેવાય છે. પરંતુ હકીકત એ છે કે ભારતના ભાગલા ઈસ્લામ અને મુસ્લિમોના નામે થયા છે. તત્કાલિન બ્રિટિશ સરકારે સેપરેટ ઈલેક્ટોરેટની વ્યવસ્થાને મંજૂરી આપીને ભારતના ભાગલાનું મૂળ નાખી દીધું હતું. આઝાદ પણ ખંડિત ભારતમાં હાલ મુસ્લિમોને 9 ટકા અને 18 ટકા અનામતના વચનો આપનારા નેતાઓ છે. અત્યારે શિક્ષણ અને નોકરીઓમાં મુસ્લિમોને અનામતની વાત થઈ રહી છે. પરંતુ આવનારા દિવસોમાં અત્યારની ધર્મનિરપેક્ષતાના નામે ચાલી રહેલી મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ જોતા લાગી રહ્યું છે કે મુસ્લિમોને રાજકીય ક્ષેત્રમાં પંચાયતો, વિધાનસભાઓ અને સંસદમાં અનામતની માગણી પણ ઉઠશે. લોકસભામાં લોકપાલ બિલની ચર્ચા વખતે પોતાને ધર્મનિરપેક્ષ ગણાવતા નેતાઓની દલીલો જોઈ હોય તો તેના પરથી આના સંકેતો મળે છે. લોકપાલની નિયુક્તિ માટેની પસંદગી સમિતિમાં એસસી, એસટી અને લઘુમતીના નામે મુસ્લિમો સભ્યને અનામત કરવાની માગણી ઉઠી હતી. તે પહેલા ક્યારેય કોઈપણ બંધારણીય પદ માટેની પસંદગીમાં ધર્મના નામે અનામતની માગણી થઈ નથી.

ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમ તુષ્ટિકરણનું ઝેર ભારતની વ્યવસ્થામાં હવે તેની ચેતનાને અસર કરવા લાગ્યું છે. ભારતની સેનાની ત્રણેય પાંખ, પોલીસ અને જ્યુડિશરીમાં કેટલાં મુસ્લિમો છે, ક્યા પદ પર છે તેના આંકડા સચ્ચર કમિટી બનાવીને મેળવવામાં આવ્યા છે. સચ્ચર કમિટી દ્વારા મુસ્લિમ સિવાયની અન્ય લઘુમતીઓ સંદર્ભે વિસ્તૃત અભ્યાસ અને આકલનો પુરતા પ્રમાણમાં આપવામાં આવ્યા નથી. તેના પરથી ચોક્કસ માનવાને કારણ છે કે સચ્ચર કમિટી કોંગ્રેસની આગેવાનીવાળા યુપીએ ગઠબંધનની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને પ્રાસંગિક બનાવવાની એક વ્યવસ્થાનો ભાગ હતી. ભારતમાં હાલ ગરીબોની મોટી સંખ્યા છે. કહેવામાં આવે છે કે ગરીબી ઘટી રહી છે. પરંતુ આમ આદમીની સ્થિતિને જોવામાં આવે તો ગરીબો 42 ટકાની આસપાસ છે. જો કે સરકાર પાસે અલગ-અલગ રિપોર્ટો પ્રમાણે જુદાંજુદાં આંકડા છે. પરંતુ બધાનો એકમત છે કે ભારતમાં ગરીબો ઘણા મોટા પ્રમાણમાં છે. તો શું આ ગરીબોમાંથી 80 ટકા લોકો મુસ્લિમ હશે? સચ્ચાઈ એ છે કે ભારતમાં રહેનારા ગરીબોમાંથી 80 ટકા હિંદુઓ છે. તો લાભ ગરીબોને મળવો જોઈએ કે મુસ્લિમોને?

છેલ્લા 15 વર્ષથી ભારતમાં ગરીબલક્ષી યોજનાઓને મુસ્લિમલક્ષી યોજનામાં ફેરવવાનું વલણ સામે આવ્યું છે. દેશની સંપત્તિની ભાગબટાઈ ધર્મના નામે થઈ રહી છે. યોજનાઓમાં લઘુમતીઓના નામે મુસ્લિમોના ભાગને અલગ કરવાનું વલણ અપનાવાય રહ્યું છે. ત્યારે આ નીતિ બનાવનારી સરકારોએ જવાબ આપવો જોઈએ કે 125 કરોડના દેશમાં હિંદુઓ 84 ટકા છે. ભારતને ટેક્સની જે આવક થાય છે, તેમા 85 ટકા હિસ્સો હિંદુઓનો છે. તો જે ટેક્સ આપનારા લોકો છે, તેના નાણાનો ઉપયોગ ધર્મના નામે ભાગબટાઈમાં કેમ કરવામાં આવે છે? આનાથી પણ મોટું આશ્ચર્ય ત્યારે થાય છે કે મંદિરોમાં હિંદુઓ દ્વારા કરવામાં આવતા દાનનો ઉપયોગ હિંદુ ધાર્મિક કાર્યો સિવાય અન્ય કામોમાં વપરાય છે. કેટલેક ઠેકાણે મુસ્લિમોને સબસિડી અને મદરસાઓના કામમાં હિંદુઓ દ્વારા મંદિરોને દાનમાં અપાયેલા નાણાંમાંથી ફંડ ફાળવવામાં આવતા હોવાના ઉદાહરણો પણ કેટલેક ઠેકાણે સામે આવ્યા છે.

ધર્મનિરપેક્ષતાના નામે દેશમાં વોટબેંકની રાજનીતિ ચાલી રહી છે. જેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે. કસાબ જેવા જેહાદી આતંકીને ભારત સરકારે ધર્મનિરપેક્ષતાની રાજનીતિના પરિણામે સાડા ચાર વર્ષ સાચવી રાખ્યો..તો સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુને લાંબા સમય સુધી તિહાડમાં બિરયાની ખવડાવી પડી. આ બંને નરરાક્ષસોને ભારત સરકારે છુપી રીતે ફાંસી આપી. ફાંસીની તારીખો પહેલેથી જાહેર કરવામાં પણ સરકારને જોખમ દેખાતું હતું. આ ધર્મનિરપેક્ષતાની રાજનીતિમાં મજબૂર બનેલી ભારતની વ્યવસ્થાની કહાણી છે.

મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર રાજ્યને બંધારણીય રીતે વિશેષ દરજ્જો આપતી કલમ-370 દૂર કરવાની વાત કરવી ભારતની રાજનીતિમાં કોમવાદી ગણાય છે. ચાર લગ્નો માટે સ્વતંત્ર મુસ્લિમોને સમાન નાગરીક ધારા હેઠળ કાયદા સામે તેમને સમાન કરવાની વાતને ભારતમાં સાંપ્રદાયિક ગણવામાં આવ છે. મોગલ લૂંટારા બાબરના બર્બર સેનાપતિ મીર બાંકી દ્વારા ધ્વસ્ત કરાયેલા રામમંદિરના સ્થાનેથી બાબરી ઢાંચો હટાવવાના કામને હિંસાનું કારણ ગણવામાં આવે છે. રામ ભારત રાષ્ટ્રના શિખર પુરુષોમાંના એક છે. રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ ભારતની અસ્મિતાનું પુનર્સ્થાપન છે. પરંતુ આને કટ્ટરપંથી કામ ગણવામાં આવે છે. દુનિયામાં જે ધોળું છે, તે ભારતમાં કાળું છે. દુનિયાના કોઈપણ દેશમાં કોઈ રાજ્યનો વિશેષ દરજ્જો તે દેશની એકતા અને અખંડિતામાં અડચણ બનતો હોત, તો તેને તુરંત દૂર કરવામાં આવ્યો હોત. દુનિયામાં કોઈ દેશમાં કોઈ ધર્મના લોકોના વિશેષાધિકાર દેશની દુર્ગતિનું કારણ બનતા હોત, તો તેને તુરંત સમાન નાગરીક ધારા નીચે લાવવામાં આવ્યા હોત. વિશ્વના કોઈ દેશની અસ્મિતાને કોઈ લૂંટારાએ ખંડિત કરી હોત, અપમાનિત કરી હોત, તો તેનું પુનર્સ્થાપન કરવામાં આવ્યું હોત. ભારતમાં ચાલી રહેલી રાજનીતિને કારણે આપણે ભારતના લોકો આમ કરી શકતા નથી.

કાળાને ધોળું અને ધોળાને કાળું કરવાની રાજનીતિનો પર્યાય ધર્મનિરપેક્ષતા બની ગઈ છે. ધર્મનિરપેક્ષતાના નામે અપનાવવામાં આવેલી મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને કારણે મુસ્લિમોની ખૂબ આળપંપાળ કરવામાં આવી રહી છે. જેને કારણે મુસ્લિમોના અસામાજિક તત્વોને નજરઅંદાજ કરવામાં આવે છે. જેહાદના નામે ચાલતા આતંકવાદની સામે આંખ આડા કાન કરવામાં આવે છે. મુસ્લિમોને અનામતથી માંડીને આર્થિક સહાયતા પુરી પાડવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આ બધી બાબતોમાં હિંદુઓના અધિકારો અને હિતોને બલિ ચઢાવવામાં આવે છે. ક્યારેક કાર્લ માર્ક્સે ધર્મને અફીણ સમાન ગણાવ્યું હતું. પરંતુ ભારતના રાજકારણમાં ધર્મનિરપક્ષેતા અફીણ સમાન છે. જેના કારણે હિંદુઓને ઘોર અન્યાય થઈ રહ્યો છે. ભારતના હિતોને આઘાતજનક નુકસાન થઈ રહ્યું છે. ભારતની સમસ્યાઓ ઉકેલાવાના બદલે ધર્મનિરપેક્ષ રાજનીતિને પરિણામે વધારે ગુંચવાય છે. ત્યારે પોતાને હિંદુ નહીં, પણ ધર્મનિરપેક્ષ ગણાવતા હિંદુઓએ પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. ધર્મનિરપેક્ષ માત્ર હિંદુઓ થઈ રહ્યા છે. ધર્મનિરપેક્ષોની સંખ્યા આઝાદી પહેલા મુસ્લિમો કરતા હિંદુઓમાં વધારે હતી. આઝાદી પછી પણ આ પરિસ્થિતિમાં કોઈ મોટો ફેર પડયો નથી. મુસ્લિમ વ્યક્તિ રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક એવી કોઈપણ પ્રકારની ઓળખમાં પોતાની ધાર્મિક ઓળખને સૌથી વધારે અને પહેલુ પ્રાધાન્ય આપે છે. ત્યારે ધર્મનિરપેક્ષતાના નામે હિંદુઓ પોતાની રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને પાતાળમાં ધકેલીને ઓળખવિહીન થઈ રહ્યા છે. આ દેશમાં હિંદુઓ ઓળખવિહીન બનશે, તો ખરેખર ભારતના અસ્તિત્વ પર જોખમ આવશે. તેવા સંજોગોમાં ધર્મનિરપેક્ષતાના નામે ચાલી રહેલી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને દેશવટો આપવો જોઈએ.

બાકી આખા વિશ્વના કલ્યાણની ભાવના ધરાવતા, વિશ્વના તમામ જડચેતનને સુખી કરવાની લાગણી ધરાવતા અને દરેક પ્રાણીઓમાં સદભાવનાની સ્થાપનાની ઈચ્છા કરનાર હિંદુને કોઈ ધર્મનિરપેક્ષતા શીખવાની જરૂર નથી. હિંદુઓની આવી ઉદાત્ત ભાવનાથી મહાન ધર્મનિરપેક્ષતા નથી. પોતાને ધર્મનિરપેક્ષ ગણાવનારા વ્યક્તિઓમાં આ ભાવનાઓ ગાયબ હોય છે. ત્યારે ધર્મનિરપેક્ષ કરતા હિંદુ બની રહેવું ભારત માટે વધારે હિતાવહ છે. 

મંગળવાર, 22 જાન્યુઆરી, 2013

હિંદુ આતંકવાદનો મુદ્દો કોંગ્રેસ માટે આત્મઘાતી


-          -  આનંદ શુક્લ
રાજહિતથી રાષ્ટ્રહિત સર્વોપરી હોય છે. દરેક દેશની રાજનીતિ રાષ્ટ્રહિતને આગળ કરીને ચલવાની હોય છે. પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો અહીંથી છેલ્લા 25 વર્ષથી ભારત સહીત દુનિયાભરમાં ઈસ્લામિક આતંકવાદની નિકાસ થતી રહી છે. પરંતુ પાકિસ્તાને ક્યારેય સ્વીકાર્યું નથી કે દુનિયાભરમાં તેમને ત્યાંથી આતંકવાદની નિકાસ થઈ રહી છે. ભારત છેલ્લા 20 વર્ષથી પાકિસ્તાનને આતંકવાદી દેશ ઘોષિત કરવાની માગણી કરતું આવ્યું છે. પરંતુ ભારતના ગૃહમંત્રી સુશિલકુમાર શિંદેને એક નિવેદને પાકિસ્તાનના આતંકવાદી તત્વોનો જુસ્સો વધારી દીધો છે. સુશિલકુમાર શિંદેએ કહ્યુ છે કે ભાજપ અને આરએસએસની શિબિરોમાં હિંદુ આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતનું સૌથી મોટું સામાજિક-સાંસ્કૃતિક સંગઠન છે અને ભાજપ આ દેશનો સૌથી મોટો વિપક્ષ છે. જ્યારે ભારતનો ગૃહમંત્રી આવા બંને સંગઠનો પર હિંદુ આતંકવાદ ભડકાવાનો આરોપ લગાવતો હોય, ત્યારે પાકિસ્તાનના ભારત પર આકરા હુમલા સ્વાભાવિક છે. લશ્કરે તોઈબાના સંસ્થાપક અને જમાત-ઉદ-દાવા નામના કટ્ટરપંથી સંગઠનના વડા હાફિઝ સઈદે શિંદેના નિવેદનનો લાભ લઈ ભારતને આતંકવાદી દેશ ઘોષિત કરવાની માગણી કરી છે. તેણે કહ્યુ છે કે ભારતના સેક્યુલારિઝમનો ભાંડો ફૂટી ગયો છે. શિંદેના એક નિવેદનથી પાકિસ્તાન સામેની ભારતની વ્યૂહરચના નેસ્તોનાબૂદ થઈ ગઈ.
ભારતને આતંકવાદી રાષ્ટ્ર ઘોષિત કરવાની માગણી કરનારો હાફિઝ સઈદ ખુદ એક આતંકવાદી છે. લશ્કરે તોઈબા જેવા ભારતમાં અનેક આતંકવાદી હુમલામાં સામેલ સંગઠનનો તે સર્વેસર્વા રહ્યો છે. હાફિઝ સઈદ પર મુંબઈ પરના 26/11ના હુમલાનો માસ્ટર માઈન્ડ હોવાનો આરોપ છે. આ આતંકવાદી હાફિઝ સઈદ ભારતના સેક્યુલારિઝમનો ભાંડો ફૂટી ગયો હોવાની વાત કરે છે. પરંતુ તેણે ભુલવું ન જોઈએ કે અખંડ ભારતના ધર્મના નામે ભાગલા કરાવનારા મુસ્લિમ લીગી માનસિકતાવાળા મુસ્લિમોના મગજની પાકિસ્તાન પેદાશ છે. ભારત આઝાદીના 65 વર્ષ બાદ પણ બંધારણીય રીતે સેક્યુલર છે. દુનિયાના ઘણાં સમાજશાસ્ત્રીઓ અને રાજકીય વિશ્લેષકોના મતે, ભારત સેક્યુલર હોવા પાછળ આ દેશના 84 ટકા હિંદુઓ કારણભૂત છે. આ દેશ બંધારણથી નહીં, આ દેશના હિંદુઓને કારણે સેક્યુલર રહી શક્યો છે. પોતાનું, પોતાના સમાજનું કે પોતાના દેશનું નહીં વિશ્વના તમામ જીવોનું કલ્યાણ કરવાની ભાવના હિંદુઓને ગળથૂથીમાં પાવામાં આવે છે. આવો હિંદુ અકારણ લોહી વહાવાની થિયરીમાં માની શકે નહીં. હિંદુ વિચારને મન અને આત્માથી માનનારા વ્યક્તિ શાંતિ માટે ક્રાંતિ કરી શકે, પણ આતંક ફેલાવી શકે નહીં. હિંદુઓની માનસિકતા આતંકવાદી હોત, તો 1947 સુધી દેશમાં ધર્મના નામે થયેલી કત્લેઆમનો જવાબ તેના ફેલાવનારાઓને ધર્મના નામે જ મળ્યો હોત. 1946ના ડાયરેક્ટ એક્શનના મુસ્લિમ લીગી આતંકી ફરમાનનો જવાબ હિંદુઓએ હિંસક રસ્તે આપ્યો હોત. હિંદુઓ ખુલ્લુ યુદ્ધ કરી શકે, કાયરની જેમ આતંક ફેલાવી શકે નહીં તે તો ઐતિહાસિક તથ્ય છે.
શિંદેનું નિવેદન દેશના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન પર હિંદુ આતંકવાદને પ્રોત્સાહાન આપવાનો આરોપ કરે છે. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 55 હજારથી વધારે શાખાઓ આખા દેશમાં સવારે અને સાંજે, દરરોજ અને સાપ્તાહિક સમયે નિશ્ચિત જગ્યાએ મળે છે. સંઘની શાખાની પ્રવૃતિ ભારતમાં ખુલ્લા મેદાનમાં થાય છે. સંઘની શિબિરો પણ ભારતમાં ઘોષિત કાર્યક્રમો પ્રમાણે ખુલ્લા મેદાનમાં થાય છે. આ દેશમાં સંઘ સાથે જોડાયેલા હોય તેવા અટલ બિહારી વાજપેયી અપાર લોકપ્રિયતાથી 6 વર્ષ વડાપ્રધાન પદે રહ્યા હતા. શું તેમણે દેશમાં આતંકવાદ ફેલાવ્યો? શું તેમણે પાકિસ્તાન સાથે અકારણ યુદ્ધની કોઈ ચેષ્ટા કરી? સંઘની તમામ પ્રવૃતિઓ ખુલ્લેઆમ અને ઘોષિત થાય છે. જો તેમા કોઈ ગુનાખોરી હોય અને તેના ગૃહમંત્રી પાસે પુરાવા હોય તો તેમણે તાત્કાલિક પગલા લેવા જોઈએ. પરંતુ સંઘની પ્રવૃતિની વાત કરીએ તો 1947માં ભાગલા વખતે સ્વયંસેવકોએ સરહદે વિસ્થાપિતોને મદદ કરી હતી. 1962ના ચીન યુદ્ધ વખતે જાન જોખમમાં નાખીને સંઘના સ્વયંસેવકોએ ભારતીય સેનાને મદદ કરી હતી. જેના પરિણામે 1963ની 26મી જાન્યુઆરીએ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ કર્યા હતા. દેશમાં ભૂકંપ, પુર કે અન્ય કુદરતી આફતો આવે, ત્યારે સંઘના સ્વયંસેવકો દેશવાસીઓની મદદ કરવા માટે દોડી જતા હોય છે. શું આ સંઘનો હિંદુ આતંકવાદ છે?
કોંગ્રેસી ગૃહમંત્રી શિંદે ભાજપને આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ ગણી રહ્યા છે. પરંતુ તેઓ ભૂલી રહ્યા છે કે ભાજપ આ દેશનો સૌથી મોટો વિપક્ષ છે. ભાજપ સાથે રાજકીય મતભેદો કોંગ્રેસી મંત્રી તરીકે હોય તે સ્વાભાવિક છે. ભાજપની વિચારધારા સાથે શિંદે સહમત ન થાય તે પણ યોગ્ય છે. પરંતુ ભાજપને હિંદુ આતંકવાદને પ્રોત્સાહન આપતો પક્ષ ગણવો તેમની મોટી ભૂલ છે. ભારતની લોકશાહીના સ્વાસ્થ્ય માટે આ સારી વાત નથી. શું ગૃહમંત્રી શિંદે ડાબેરી વિચારધારા હેઠળ ચાલી રહેલા નક્સલવાદને ડાબેરી પક્ષોનો લાલ આતંક કહેશે? દેશના 200થી વધારે જિલ્લામાં ચાલી રહેલા વિકૃત અને હિંસક નક્સલી આતંકવાદને રોકવાની ગૃહમંત્રીની ફરજ છે. પરંતુ તેઓ જેનું અસ્તિત્વ નથી, તેવા કાલ્પનિક હિંદુ આતંકવાદને નાથવામાં પડયા છે. 1984થી પંજાબમાં આતંકવાદ શરૂ થયો. શિંદેએ જવાબ આપવો જોઈએ કે આ આતંકવાદ કેમ ચાલુ થયો અને તેનો રંગ શું ભગવો હતો? કાશ્મીર ખીણ 1990થી હિંદુવિહીન બની છે. શું કાશ્મીર ખીણમાં ચાલી રહેલો આતંકવાદ હિંદુ આતંકવાદ છે?
જે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ દેશમાં ચાલી રહેલા જેહાદી આતંકવાદને કોઈ ધર્મ સાથે નહીં જોડવાનો તર્ક આપે છે. તે જ તુષ્ટિકરણની નીતિ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ દ્વારા હિંદુ આતંકવાદને પ્રોત્સાહન અપાતું હોવાનો તર્ક આપી રહી છે. કોંગ્રેસના મુસ્લિમ વોટબેંકના રાજકારણે રાષ્ટ્રહિતની રાજહિતને કારણે બલિ લીધી છે. સમજૌતા એક્સપ્રેસ કાંડ, અજમેર બ્લાસ્ટ, મોડાસા-માલેગાંવના વિસ્ફોટો અને હૈદરાબાદ મક્કા મસ્જિદ બોમ્બ કાંડના કેસોમાં કેટલાંક હિંદુઓને એનઆઈએએ જુદાજુદા આરોપો હેઠળ ઝડપ્યા છે. જો કે તેમની સામે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને હજી સુધી તેના પર કોઈ ચુકાદો આવ્યો નથી. ત્યારે આ બધાં હિંદુ આતંકવાદના કિસ્સા હોવાની વાત હાસ્યાસ્પદ લાગે છે. બની શકે તેમની પૃષ્ઠભૂમિ આરએસએસ સાથે જોડાયેલી હોય. પરંતુ તેઓનો તર્ક શું છે, તેઓ ખરેખર આવા કિસ્સાઓમાં સંડોવાયેલા છે, સંડોવાયેલા છે તો કેટલી હદે સંડોવાયેલા છે. તેના સંપૂર્ણ જવાબો લોકો સામે લાવવા જોઈએ. 90ના દાયકામાં શરૂ થયેલા પાકિસ્તાન પરસ્તોના મુસ્લિમ લીગી માનસિકતાવાળા આતંકવાદ સામે તત્કાલિન શાસકોની કૂણી નજર અને ઢીલી નીતિએ જનતામાં એક આક્રોશ પેદા કર્યો હતો. ત્યારે એ તપાસનો વિષય બને છે કે આવા આક્રોશથી કોઈ દોરવાયા તો નથી ને? તેવા સંજોગોમાં આ હિંદુ આતંકવાદની ઘટનાઓ પણ નથી. ભારત સરકારની આતંકવાદ સામેની ઢીલી નીતિઓ જ તેના માટે જવાબદાર છે. જો કે આવી હિંસાનું ક્યારેય કોઈ સમર્થન ન હોઈ શકે. પરંતુ આવી હિંસાને સરકારે કારણ આપ્યું તેમ તો ચોક્કસ કહી શકાય.
આતંકવાદ પર આ દેશમાં બહુકોણીય રાજકારણ ખેલાઈ રહ્યું છે. જેહાદી આતંકવાદ પ્રત્યે કૂણી નીતિના પગલે કોંગ્રેસ શાસિત સરકારો ભીંસમાં આવતી હતી. હવે કોંગ્રેસે ભાજપ અને સંઘને ભીંસમાં લેવા માટે તેમની સામે હિંદુ આતંકવાદના મુદ્દાને ઉછાળ્યો છે. પરંતુ આમ કરે તેઓ દેશનું તો નુકસાન કરી રહ્યા છે, પરંતુ તેઓ ખુદ પોતાનું નુકસાન પણ કરી રહ્યા છે. 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે દિગ્વિજય સિંહે હિંદુ આતંકવાદને મુદ્દે બેફામ નિવેદનો કર્યા અને જનતાએ કોંગ્રેસને નકારી હતી. ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હિંદુ આતંકવાદના મુદ્દાને આગળ કરવાની નીતિ કદાચ તેમને મુસ્લિમોના વોટ અપાવે, પરંતુ હિંદુઓના વોટોથી દૂર કરે તો નવાઈ પામવા જેવી નથી. આવા સંજોગોમાં કોંગ્રેસનું સત્તા પર ફરીથી કાબિજ થવું લગભગ અશક્ય બની જશે.
જ્યાં સુધી ભગવા આતંકવાદનો સવાલ છે. ભગવો આ દેશની આધ્યાત્મિકતાનો રંગ છે. આધ્યાત્મિકતા ઉગ્ર હોઈ શકે, આતંકી નહીં. આ દેશના રાષ્ટ્રધ્વજમાં પણ સૌથી પહેલો રંગ ભગવો કે કેસરી છે. આ દેશના ત્યાગી અને સમર્પિત લોકોનું તે પ્રતીક છે. ત્યારે આતંકવાદને ભગવા રંગ સાથે જોડવો આ દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન છે. કોંગ્રેસી નેતા મણિશંકર ઐય્યરના મત પ્રમાણે, પાકિસ્તાન નહીં, હિંદુત્વ તેમનું દુશ્મન છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આતંકી સંગઠન માને છે, પરંતુ પ્રતિબંધિત સીમીને આતંકી ગણવા માટે તેઓ પુરાવા માંગી રહ્યા છે. કોંગ્રેસના આવા ચરિત્રવાળા નેતાઓ તેને પ્રજાથી વિમુખ બનાવે તો આગામી સમયમાં કોઈને આશ્ચર્ય થશે નહીં.  

શુક્રવાર, 18 જાન્યુઆરી, 2013

પાકિસ્તાન એટલે કૂતરાંની વાંકી પુંછડી


- આંનદ શુક્લ
આખરે ભારતીય નેતાઓની પાકિસ્તાન સાથે શું મજબૂરી છે? પાકિસ્તાન વારંવાર ગુસ્તાખી પર ગુસ્તાખી કરતું જાય છે અને ભારતની વિદેશ નીતિ વાતચીત કરીશું અને નહીં કરીએ, તેવા લોલક વચ્ચે ઝુલી રહી છે. 1947માં આઝાદી વખતથી ભારત માટે નાસૂર બનેલું પાકિસ્તાન 2012 સુધીમાં એટલી હદે વકરી ચુક્યું છે કે તેનું ઓપરેશન કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં મોટી મુશ્કેલી સર્જાશે.

2013ની શરૂઆતમાં 8મી જાન્યુઆરીએ પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરના મેંઢર પાસેની અંકુશ રેખા પર જઘન્ય કસાઈ કાંડ કર્યો. જલ્લાદોની સંસ્કૃતિમાંથી પેદા થયેલા પાકિસ્તાની સૈનિકોએ ભારતના બે સૈનિકોની બર્બરતાથી હત્યા કરી. આ બંને ભારતીય સૈનિકોના મૃતદેહને અપમાનિત કર્યા અને તેની સાથે છેડછાડ કરી. જેમાંથી શહીદ લાન્સનાયક હેમરાજનું સિર કલમ કરીને તેઓ પોતાની સાથે લઈ ગયા. જ્યારે શહીદ લાન્સનાયક સુધાકરસિંહના મૃતદેહને પણ વિક્ષિપ્ત કરવામાં આવ્યો. અંકુશ રેખા પર બનેલી બર્બર ઘટના બાદ ભારતમાં જનાક્રોશ ચરમસીમાએ પહોંચ્યો. પરંતુ ભારતના વિદેશ મંત્રી સલમાન ખુર્શિદ હજી કહી રહ્યા છે કે પાકિસ્તાન સાથેની શાંતિપ્રક્રિયાને બાધિત થવા દેવાશે નહીં. આનાથી મોટું આશ્ચર્ય ભારતીય વિદેશ નીતિ માટે અન્ય બીજું કોઈ હોઈ શકે નહીં.

વિદેશ નીતિની વાત કરીએ તો તેનો જે-તે દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો અને પોતાના પાડોશી દેશો સાથેના સંબંધો સાથે સંબંધ છે. અમેરિકાની વિદેશ નીતિ છે કે તમે અમારી પર હુમલો કરશો, તો અમે તમારી પર હુમલો કરીશું. અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલા બાદ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. અફઘાનિસ્તામાં અમેરિકા પરના સૌથી મોટા આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકવાદી ઓસામા બિન લાદેનના છુપાયા હોવાની આશંકા હતી. વળી છેલ્લે અમેરિકાએ એક ગુપ્ત ઓપરેશનમાં પાકિસ્તાના એબટાબાદ ખાતે છુપાયેલા શેતાનોના સરદાર ઓસામા બિન લાદેનને ખતમ પણ કરી નાખ્યો.

ઈસ્લામિક દેશો વચ્ચે ઘેરાયેલા અને પોતાની રચનાથી અત્યાર સુધી સતત અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહેલા ઈઝરાયેલની વિદેશ નીતિ ઘણી આક્રમક છે. ઈઝરાયેલ કહે છે કે તમે અમારા પર હુમલો કરશો, તો અમે તમને તબાહ કરી દઈશું. ઈઝરાયેલથી ઈસ્લામિક દુનિયાના સરગના સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક અને પાકિસ્તાન સહીતના તમામ દેશો ડરે છે. 1968માં ઈઝરાયેલ પર તેની આસપાસના આરબ દેશો અને ઈજીપ્તે સામુહિક હુમલા કર્યા હતા. પરંતુ ઈઝરાયેલે આ તમામ દેશોને યુદ્ધમાં બોધપાઠ ભણાવ્યો છે. ઈઝરાયેલને ખતમ કરવા માટે ઈરાન અણુ બોમ્બ બનાવી રહ્યું છે, જ્યારે સાઉદી અરેબિયા હથિયારોનો ખડકલો કરી રહ્યું છે. પરંતુ ઈઝરાયેલ પોતાની પાસેની શક્તિમાં વિશ્વાસ રાખીને પોતાની વિદેશ નીતિના અસ્તિત્વ પર આધારીત સિદ્ધાંતો પર અડગ છે.

ઈસ્લામિક વિશ્વની આતંકી શક્તિઓથી જેને સૌથી વધારે ખતરો છે, તે ભારતની વિદેશ નીતિ છેલ્લા બે દાયકાથી અસ્તવ્યવસ્ત છે. આતંકની ફેક્ટ્રી પાકિસ્તાન ભારતના પાડોશમાં છે. પાકિસ્તાનમાંથી આખી દુનિયામાં આતંકવાદની નિકાસ થાય છે. તેની સૌથી વધારે અસર ભારતને થઈ રહી છે. ભારતના મસ્તક જમ્મુ-કાશ્મીરને કલમ કરવા માટે પાકિસ્તાને પોતાની સેના દ્વારા અને બાદમાં આતંકવાદની શેતાની શક્તિથી અનેક પ્રયત્નો કર્યા છે. જો કે પાકિસ્તાનને તેમા કોઈ સફળતા પ્રાપ્ત થઈ નથી. પરંતુ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર સંદર્ભેની પોતાની નીતિથીઓથી ભારતને ખૂબ રંજાડયું છે. જો કે તેની પાછળ સૌથી મોટું કારણ ભારતના નપાણિયા નેતાઓની રાજકીય ઈચ્છાશક્તિ કારણભૂત છે.

તાજેતરમાં જમ્મુ-કાશ્મીર સાથેની અંકુશ રેખા પર બનેલી ભારતીય સૈનિકોની બર્બરતાપૂર્ણ હત્યાની ઘટના બાદ દેશભરમાં ગુસ્સો આસમાને પહોંચ્યો છે. પહેલા સેના દ્વારા ભારતીય સૈનિકોના મૃતદેહને વિક્ષત કરાયાની વાત પર પડદો રાખવાનો પ્રયત્ન થયો. પરંતુ મીડિયાની સક્રિય ભૂમિકાને કારણે ભારતીયો સામે પાકિસ્તાની સૈનિકોની જલ્લાદ વૃતિ સામે આવી. પાકિસ્તાની સૈનિકો દ્વારા ભારતના એક સૈનિકનું સિર કલમ કરી સાથે લઈ જવાની ઘટના બાદ જનાક્રોશ દેશમાં દેખાવા લાગ્યો. જનતાની માગણી છે કે પાકિસ્તાન સામે ભારત સરકાર સખત કાર્યવાહી કરે. પરંતુ ભારત સરકાર તોપગોળા ચલાવવાને બદલે માત્ર જીભ ચલાવી રહી છે અને તે પણ વિલંબથી.

ભારતીય સૈનિકના સિર કલમ કરવાની ઘટના બાદ સરહદે રાજપૂતના રાઈફલ્સની સંબંધિત બટાલિયનમાં સૈનિકો પણ આક્રોશિત હતા. તેમણે લગભગ બે દિવસ સુધી ભોજન પણ ગ્રહણ કર્યું ન હતું. તેઓ પોતાના સાથીદારોની શહીદીનો બદલો લેવા માંગતા હતા. આ સૈનિકોને તેમના કમાન્ડિંગ ઓફિસરે ઘણી મહેનતથી સમજાવ્યા છે. આ સિવાય ભારતીય સેનાધ્યક્ષ જનરલ વિક્રમસિંહે પહેલા મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે પાકિસ્તાની સેનાને તેની કાર્યવાહીનો જડબાતોડ જવાબ મળશે. તેના માટેનું સ્થાન અને સમય ભારતીય સેના નક્કી કરશે. તેમણે ઉત્તરી કમાન્ડના તમામ ભારતીય કમાન્ડરોને સંરક્ષણાત્મક નહીં, આક્રમક અભિગમ માટે ટકોર કરી છે. જેના પરથી ભારતીય સેનાનો હવે પછીનો પાકિસ્તાની સેના સામેનો મિજાજ સ્પષ્ટ થઈ રહ્યો છે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ વિક્રમસિંહે 15મી જાન્યુઆરીએ સેના દિવસ પર પણ સ્પષ્ટ કર્યું કે ભારતીય સેનાએ અત્યાર સુધી દેશના લોકોની લાગણી પ્રમાણે કામ કર્યું છે અને આગળ પણ ભારતીય સેના કોઈપણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે.

ભારતીય સેનાધ્યક્ષના નિવેદન સિવાય ભારત સરકારના કોઈપણ નેતાનું વલણ સ્પષ્ટ દેખાતું ન હતું. વડાપ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ ભેદી મૌન જાળવ્યું. જો કે વડાપ્રધાન મનમોહનસિંહ મોડે મોડે બોલ્યા કે પાકિસ્તાન સાથે હવે પહેલા જેવા સંબંધો શક્ય નથી. પરંતુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હજી સુધી કંઈ જ બોલ્યા નથી. છેલ્લા બે દશકોથી ગોથા ખાઈ રહેલી ભારતીય વિદેશ નીતિ છેલ્લા બે વર્ષથી વધારે ખરાબે ચઢી છે. તેમા તાજેતરમાં સલમાન ખુર્શિદને વડાપ્રધાન મનમોહનસિંહે વિદેશ મંત્રીની નવી જવાબદારી આપી. હાલ વિદેશ મંત્રાલયમાં મુસ્લિમ મંત્રીઓ અને અધિકારીઓનો દબદબો છે. જેને ભારત તરફથી પાકિસ્તાન માટે અપનાવવામાં આવતા કૂણાં વલણ માટે મોટું કારણ ગણવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન સાથે વિદેશ મંત્રાલય ક્રિકેટ ડિપ્લોમસીથી સંબંધો સુધારવા માટે કામ કરી રહી હોવાનું સ્પષ્ટ દેખાયું. પાકિસ્તાની ક્રિકેટ ટીમને ભારતમાં ક્રિકેટ માટે વિરોધ વચ્ચે આમંત્રિત કરવામાં આવી. ભારતના દુશ્મન દાઉદ ઈબ્રાહીમના વેવાઈ જાવેદ મિયાંદાદને ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા વીઝા આપવામાં આવ્યા. આશ્ચર્યની વાત એ છે કે માફિયા ડોનમાંથી આંતરરાષ્ટ્રીય આતંકવાદી બનેલા દાઉદ ઈબ્રાહીમના વેવાઈ જાવેદ મિયાંદાદને ભારતીય વિદેશ મંત્રાલયે હજી સુધી બ્લેક લિસ્ટ કર્યો નથી. ભારતમાં મિયાંદાદને વીઝા આપવા સામે ઘણો વિરોધ થયો. અંતે દિલ્હીની મેચ પહેલા મિયાંદાદે ધાર્મિક કારણ બતાવી ભારત પ્રવાસ પોતાની મેળે જ પડતો મૂક્યો.

આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયના આમંત્રણ પર પાકિસ્તાનના આંતરીક બાબતના મંત્રી રહેમાન મલિક ભારત આવ્યા હતા. તેમણે ભારતમાં આવીને ડિપ્લોમેટિક ટેરરિઝમ ફેલાવ્યો. પોતાના નિવેદનોથી ભારતીય લાગણીઓને ઘાયલ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે મુંબઈ હુમલાની સરખામણી બાબરી ધ્વંસની ઘટના સાથે કરીને હદ કરી દીધી. તેમણે કહ્યુ કે હવે મુંબઈ હુમલા અને બાબરી ધ્વંસ જેવી ઘટનાઓ નહીં બને. ત્યારે સવાલ એ છે કે રહેમાન મલિકની ભારત યાત્રાનો હેતુ શું હતો? મલિકની ભારત યાત્રા, મિયાંદાદને વીઝાનો વિવાદ અને અંકુશ રેખા પર ભારતીય સૈનિકોની બર્બર હત્યા ભારતીય વિદેશ મંત્રાલયની અને આખી ભારત સરકારની પાકિસ્તાન સંદર્ભેની નીતિના સૌથી મોટા બ્લન્ડર છે.

ભારતીય સૈનિકોની બર્બર હત્યા માટે સૌથી પહેલી શંકા પાકિસ્તાનની 29 બલોચ રેજીમેન્ટના સૈનિકો પર જઈ રહી છે. જ્યારે કેટલાંકના મતે પાકિસ્તાનની સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ એટલે કે એસએસજીની આ હરકત છે. જો કે ભારતમાં તે વખતે મીડિયામાં અચાનક સમાચાર આવ્યા કે આ ઘટના પહેલા પાકિસ્તાન તરફની સંબંધિત અંકુશ રેખાની મુલાકાતે લશ્કરે તોઈબાનો પ્રમુખ હાફિઝ સઈદ ગયો હતો. તેણે ત્યાં ઉશ્કેરણી કરી હતી. ત્યાર પછી પાકિસ્તાન તરફથી નિવેદન આવ્યું કે તેમના સૈનિકોએ ભારતીય સૈનિકોની હત્યા કરી નથી. પછી એવી થિયરી આવી કે ભારતીય સૈનિકોની હત્યા પાછળ સરહદે સક્રિય આતંકવાદી જૂથો હશે. ભારતના કેટલાંક ઉત્સાહી વિશ્લેષકોનું કહેવું છે કે ભારતીય સૈનિકોની હત્યા આતંકવાદીઓએ કરી છે અને આ આતંકવાદીઓ પાકિસ્તાનના એવા નોન સ્ટેટ એક્ટર્સ છે કે જેમના પર પાકિસ્તાની સરકારનું કોઈ નિયંત્રણ નથી. પરંતુ આ ઉત્સાહી વિશ્લેષકો ભૂલી જાય છેકે પાકિસ્તાનના તમામ નોન સ્ટેટ એક્ટર્સો (આતંકવાદી જૂથો વાંચવું) પર પાકિસ્તાનની શેતાની સેનાનો કાબુ છે. પાકિસ્તાનમાં બે પ્રકારના સૈનિકો છે. એક જેઓ પાકિસ્તાની સેનાના નિયમિત સૈનિકો છે. બીજા આવે જેઓ પાકિસ્તાન સેના સમર્થિત આતંકવાદી જૂથોમાં કામ કરી રહ્યા છે. હાફિઝ સઈદની સરહદી વિસ્તારની મુલાકાતની વાત જાણે-અજાણે પાકિસ્તાની સરકાર અને સેનાને બચાવવાનો પ્રયાસ માત્ર છે.

આ ઘટના પછી ભારતનું રાજકીય વાતાવરણ પણ થોડા અપવાદોને બાદ કરતા નિરાશાજનક અને નિર્લજ્જ રહ્યું. શહીદ હેમરાજ ઉત્તર પ્રદેશમાં મથુરા પાસેના શેરનગરના વતની હતા. તેમની અંત્યેષ્ટિમાં ઉત્તર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી અખિલેશ યાદવની તો વાત જવાદો, એક મંત્રી સુદ્ધાં હાજર રહ્યો ન હતો. હેમરાજની અંત્યેષ્ટિ વખતે ગામમાં વીજળી ન હતી, પેટ્રોમેક્સના પ્રકાશમાં ચિતાને આગ આપવામાં આવી. શહીદની ઉપેક્ષાથી નારાજ હેમરાજના પરિવારજનોએ ઉપવાસ કર્યો. ત્યાર બાદ યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે શેરનગરની મુલાકાત લઈને પરિવારજનોના ઉપવાસ તોડાવ્યા. ભાજપના નેતાઓ સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સૂર્યપ્રતાપ શાહી વગેરે પણ હેમરાજના પરિવારજનોની મુલાકાતે ગયા હતા. સિર કલમ કરીને લઈ જવાયાની બર્બરતાથી નારાજ પરિવારની લાગણીને માન આપીને સેનાધ્યક્ષ જનરલ વિક્રમસિંહે પણ શેરનગરમાં શહીદના પરિવારજનોની મુલાકાત લીધી. અહીં લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે એક ભારતીય શહીદના માથાના બદલે દશ પાકિસ્તાનીઓના માથા લઈ આવવાનું બેબાક નિવેદન કર્યું. જેની કોંગ્રેસ તરફથી ટીકા પણ થઈ. બીજી તરફ મધ્ય પ્રદેશના વતની શહીદ સુધાકરસિંહની અંત્યેષ્ટિમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જોડાયા હતા.

કોંગ્રેસના એક નેતાએ સુષ્મા સ્વરાજના નિવેદનને ભારતના ચોક્કસ ધર્મના લોકોની ધાર્મિક ભાવના સાથે જોડીને કહ્યુ કે તેમણે આ લોકોની ધાર્મિક ભાવનાનો ખ્યાલ કરવો જોઈએ. તો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કહે છે કે ભારતે પાકિસ્તાન સાથે કોઈપણ સંજોગોમાં યુદ્ધ કરવું જોઈએ નહીં. ભારતના રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી ભાવનાને સૌથી વધારે ચોટ તથાકથિત સેક્યુલર લોકોના સેક્યુલારિઝમ અને ઉદારવાદે પહોંચાડી છે. પાકિસ્તાન સામે બોલવામાં ભારતના ક્યાં લોકોની ભાવનાને ઠેસ પહોંચે છે? તેને તેમણે સ્પષ્ટ કરવું જોઈએ. પાકિસ્તાન ભારતના વિરોધમાંથી પેદા થયું છે. ભારતની આઝાદીના 65 વર્ષે પાકિસ્તાન સાથે લાગણી ધરાવનારા લોકોને શા માટે ભારત વિરોધી નહીં ગણવા, તેની વાત પણ આ તથાકથિત સેક્યુલરો અને ઉદારવાદીઓએ ભારતની રાષ્ટ્રવાદી જનતાને સમજવવી જોઈએ. પાકિસ્તાન સંદર્ભેના રાજકારણીઓના વલણથી આશંકા જાગે છે કે ભારતમાં પાકિસ્તાન માટે લાગણી ધરાવનારા ચોક્કસ લોકોની વોટબેંક અંકે કરવા માટેની આવા લોકોની કોઈ રાજકીય ગણતરી તો નથી ને?

કેટલાંક વિશ્લેષકો કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો જ્યારે સારા થઈ રહ્યા હોય છે, ત્યારે જ પાકિસ્તાનના ભારત વિરોધી તત્વો દ્વારા સંબંધો બગડે તેવા કૃત્યો કરાય છે. પરંતુ જ્યારે હકીકતો તપાસવામાં આવે છે, તો પાકિસ્તાનનું બેવડું ચરિત્ર સામે આવે છે. 1999માં લાહોર બસ યાત્રા બાદ ત્રણ મહિને કારગીલ થયું. કારગીલમાં શરૂઆતમાં પાકિસ્તાની સેનાનો હાથ હોવાની વાતનો તત્કાલિન નવાઝ શરીફ સરકારે ઈન્કાર કર્યો. પરંતુ બાદમાં તેમણે સ્વીકારવું પડયું કે કારગીલ કાંડમાં પાકિસ્તાની સેના સામેલ છે. 2008માં પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારતમાં વાતચીત માટે આવ્યા હતા, તેવા સમયે મુંબઈમાં પાકિસ્તાની આતંકવાદીઓએ ભારત પર હુમલો કર્યો હતો. તાજેતરમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે શ્રેણી પુરી થઈ અને અંકુશ રેખા પર પાકિસ્તાની સેનાએ બર્બરતા દેખાડી. ત્યારે પાકિસ્તાનનો બચાવ કરનારાઓએ જવાબ આપવો જોઈએ કે પાકિસ્તાની સેનાથી મોટો ભારત વિરોધી પાકિસ્તાનમાં બીજો કોઈ છે?

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથેની 772 કિલોમીટર લાંબી અંકુશ રેખાને હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા રેખા તરીકે વ્યવહારમાં જોવામાં આવે છે. સંયુક્તત રાષ્ટ્ર દ્વારા મૂળરૂપથી પરિભાષિત યુદ્ધવિરામ રેખાને 1972માં બંને દેશો વચ્ચે સિમલા સમજૂતીમાં અંકુશ રેખા નામ આપવામાં આવ્યું છે. ભારતીય નિયંત્રણમાં રહેનારો વિસ્તાર જમ્મુ-કાશ્મીર છે. જ્યારે પાકિસ્તાનના નિયંત્રણમાં રહેનારા વિસ્તારોમાં ગિલગિટ, બાલ્ટિસ્તાન અને ગુલામ કાશ્મીર છે. પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે ભારતે 550 કિલોમીટરની અંકુશ રેખા પર કાંટાળા તારની વાડ લગાવી છે. આ અંકુશ રેખાનું 40 હજાર સૈનિકો દિવસરાત રક્ષણ કરી રહ્યા છે. અંકુશ રેખા પર દર 500 મીટરે ચેકપોસ્ટ લગાવવામાં આવી છે. તેમ છતા 2009માં યુદ્ધવિરામનું 28 વાર ઉલ્લંઘન થયું અને ચાર સૈનિકો શહીદ થયા હતા. 2010માં 44 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું અને ત્રણ સૈનિકો શહીદ થયા. 2011માં 51 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું, આ વર્ષે કોઈ ભારતીય સૈનિક શહીદ થયો નથી. 2012માં પાકિસ્તાને 117 વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારતના 8 સૈનિકો શહીદ થયા છે. 2013માં અત્યાર સુધીમાં 7 વખત યુદ્ધવિરામનો ભંગ થયો છે. જેમાંથી પાંચ વખત પુંછના ચક્કન દા બાગની ફ્લેગ મિટિંગ બાદ યુદ્ધવિરામનો ભંગ થયો છે.

પાકિસ્તાન એક તરફ ભારતના ગાલ પર થપ્પડો પર થપ્પડો ઝીંકી રહ્યું છે અને બીજી તરફ પીઠમાં ખંજર ભોંકી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે તાજેતરમાં કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવ્યો છે. વળી તેમણે વાતચીતની વાત માટે પાકિસ્તાન તૈયાર હોવાનું કહીને સાથે ભારત પર યુદ્ધોન્માદી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. પાકિસ્તાનની હરકતો અને તેના નિવેદનો તેની કરણી અને કથની વચ્ચેનું અંતર બતાવી રહ્યા છે. ત્યારે ભારતે પાકિસ્તાન સાથે વાતચીતની સંભાવનાનો હાલ ઈન્કાર કર્યો છે. પરંતુ ભારતના દર વખતના સ્ટેન્ડથી હવે અલગ અભિગમનો સમય પાકી ગયો છે. પરંતુ ભારત સરકારની ઢીલી નીતિ જનતામાં આક્રોશ પેદા કરવાનું કારણ બની શકે છે.

છેલ્લે-

દિલ્હીમાં ગેંગરેપની ઘટના બાદ સતત 15 દિવસ સુધી દેખાવો થયા. પરંતુ ભારતના બે સૈનિકોની બર્બરતાપૂર્ણ હત્યા બાદ આ કેન્ડલિયા ક્રાઉડે એક દિવસ પણ દેખાવો કર્યા નથી.

શુક્રવાર, 4 જાન્યુઆરી, 2013

ભારતે પેટ ચોળી શૂળ ઉભી કરી!!


-આનંદ શુક્લ
નિયમોના નિયમન વગરની સ્વતંત્રતાની વાતે જાતિય ગુનાઓના પ્રમાણમાં વધારો કર્યો, ઉપભોગતાવાદે સ્ત્રીને ભોગનું સાધન બનાવી
ભારતમાં સૌનું કલ્યાણ કરતું રામરાજ હતું. મુસ્લિમ અને અંગ્રેજ શાસનમાં ભારતના રાજની તાસિર બદલાઈ. આઝાદીની લડાઈ વખતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ભારતમાં સૌના માટે કલ્યાણકારી રામરાજ લાવવા માંગતા હતા. પરંતુ રામ હિંદુઓના આરાધ્ય હોવાને કારણે મુસ્લિમ લીગે અને અન્ય તથાકથિત સેક્યુલર પાર્ટીઓએ તેને ધાર્મિક ચશ્માથી જોયું. સૌના કલ્યાણ માટેની ગાંધીજીની ભાવનાને દરકિનાર કરી. ભારતમાં 1947થી સ્થપાયેલું સેક્યુલરરાજ 2012 સુધીમાં રાવણરાજ બની ગયું છે. 1947 સુધી ભારતમાં ઈમાન, ધરમ, મૂલ્યો, નૈતિકતા, સારાસ જેવી સકારાત્મક ઊર્જા ખૂબ મોટા પ્રમાણમાં સચવાયેલી હતી. એવું પણ ન હતું કે આવી સકારાત્મક ઊર્જા કોઈ એક સમાજમાં જ હતી. જેને માનવતા કહેવામાં આવે છે, તે આઝાદી વખતે ભારતના તમામ લોકોમાં તમામ વર્ગોમાં સચવાયેલી અને ધરબાયેલી હતી. પરંતુ 1947માં ગાંધીજીના રામરાજની જગ્યાએ સેક્યુલરરાજ સ્થાપવામાં આવ્યું અને તેમાં સકારાત્મક ઊર્જાને નકારાત્મક રીતે જોવાની શરૂઆત કરવામાં આવી.
દુનિયામાં બ્રિટિશરો પછી અમેરિકનોએ અલગ પ્રકારનો સામ્રાજ્યવાદ ચલાવ્યો. અમેરિકન મલ્ટિનેશનલ્સો અને કોર્પોરેટ કલ્ચરના ભારતમાં વધી રહેલા પ્રભાવમાં સકારાત્મક ઊર્જા સમા ભારતીય મૂલ્યો અડચણરૂપ હતા. આ મૂલ્યોને દૂર કરવા માટે તેનો પ્રભાવ ઘટાડવા માટે ધીમેધીમે લોકોને અલગ પ્રકારે વાળવાની વિવિધ રીતે કોશિશો થઈ. આધુનિકતા તો દરેક સમાજનો અધિકાર છે. પરંતુ આધુનિકતાને નામે અન્ય સંસ્કૃતિને ઓઢી લેવાની ચાલ માત્ર ભારતમાં જ દેખાઈ. ભારતે પોતાનો પહેરવેશ બદલ્યો, ખાણીપીણી બદલી અહીં સુધી વાંધો આવ્યો નહીં. પરંતુ કેળવણીમાં સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતાને પોષતી વાતો દાખલ કરવામાં આવી. જીવન સૌનો અધિકાર છે, તેમ સમજાવવામાં આવ્યું. પરંતુ જીવન કેવી રીતે જીવવું તેની સમજણ આપવાનું બંધ કરવામાં આવ્યું. આને કારણે સમાજમાં સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતાથી મનફાવે તેમ જીવનારો એક વર્ગ ઉભો થયો. તેનો પ્રભાવ સમાજના ઉપરના વર્ગમાં ખૂબ ઝડપથી સ્થપાયો. તો નીચલા વર્ગના લોકોએ પણ આવા લોકોનું અનુકરણ કરવાનું ચાલુ કર્યું. લોકોએ મૂલ્યો અને નૈતિકતાઓ સાથે ઈમાન-ધરમ સાથે બાંધછોડ કરવાની શરૂઆત કરી. બસ અહીંથી ભારતની તમામ મુસીબતોનો પ્રારંભ થયો.
90ના દાયકામાં ભારત વૈશ્વિકરણ અને ઉદારીકરણના રસ્તે બેફામ દોડવા લાગ્યું. સમાજમાં નાણાંની લિક્વિડિટી વધી. ભારતનો મિડલ ક્લાસ ખૂબ વધ્યો અને ફૂલ્યો ફાલ્યો. મિડલ ક્લાસની પહોંચ એશોઆરામ અને આરામદાયક વસ્તુઓ સુધી પહોંચી. પરંતુ ત્યારે મિડલ ક્લાસ વર્ગને વૈશ્વિકરણ અને ઉદારીકરણમાં પોતાના મૂલ્યો અને નૈતિકતાને આધારે સ્વતંત્રતાનો કેવી રીતે ઉપયોગ કરવો તેની કેળવણી આપવાની કોઈ સામાજિક, સાંસ્કૃતિક અથવા રાજકીય વ્યવસ્થા થઈ નહીં. આ સમયગાળામાં આવેલો ઉપભોગતાવાદ બેધારી તલવાર સાબિત થયો. ભારતની અંદર 90ના દાયકાથી કહેવાતા વિકાસની સાથે સાથે ક્રાઈમ રેટ વધવા લાગ્યો. ભ્રષ્ટાચાર, ગુનાખોરી, બળાત્કાર, લૂંટફાટ, ખૂનામરકીની ઘટનાઓ પણ ઝડપથી વધવા લાગી. આજે ભારતમાં અંદાજે અડધો કલાકે એક બળાત્કારની ઘટના બની રહી છે. તેની પાછળ ફિલ્મ અને ટેલિવિઝન સિરિયલ્સના માધ્યમથી પિરસવામાં આવતું સેક્સ અને હિંસા પણ ઘણાં મોટા પ્રમાણમાં કારણભૂત છે. આજે ટેલિવિઝન સામે બેસનારી પેઢીને જે સિરિયલ્સો જોવા મળે છે, તેમાં ઉપભોગતાવાદને પ્રમોટ કરતી થીમની જ રજૂઆત હોય છે. પ્રેમના નામે અનૈતિકતા અને મૂલ્યહીનતાને વધારે પ્રમાણમાં ટીવી સિરિયલ્સોમાં પ્રાધાન્ય મળી રહ્યું છે. ભારતીય સમાજનો પાયો લગ્ન સંસ્થા છે. પરંતુ તેના પાયા હચમચી જાય તેવી વાતો ફિલ્મો અને ટેલિવિઝનના માધ્યમથી બોમ્બમારાની જેમ દર્શાવવામાં આવે છે.
માનવીય સંબંધોમાં નૈતિકતા ખલાસ થવાની પ્રક્રિયાનો પ્રારંભ 1995ની ટેલિવિઝન શોપઓપેરા અને ફિલ્મોમાં એનઆરઆઈ પૃષ્ઠભૂમિની પટકથાઓના ચલણથી થયો. ફિલ્મોમાં ખુલ્લેઆમ સેક્સ સીનો અને બોલાતી અશ્લિલ ભાષા નાનપણથી બાળક સાંભળી રહ્યો છે અને તેને જોઈ રહ્યો છે. માબાપ પાસે પણ બાળકને ફિલ્મની વાત સાચા અર્થમાં સમજવાની સમજ અને સમય નથી. તેના કારણે 90ના દાયકા પછીની પેઢીમાં સ્વતંત્રતાના નામે જાતીય છૂટછાટ લેવાની વૃતિ પણ વધી છે. સ્વછંદતા તરફ લઈ જતી સ્વતંત્રતા ખતરનાક છે અને તેનો અનુભવ ભારત કરી રહ્યું છે. કોઈપણ વસ્તુ નિયમ વગરની હોતી નથી. સ્વતંત્રતાનું નિયમન પણ નિયમોથી થવું જોઈએ. પરંતુ સ્વતંત્રતાની વાત કરનારા 99 ટકા લોકો નિયમોના નિયમન વગરની સ્વતંત્રતાની માગણી કરી રહ્યા છે. ત્યારે તેવા સમયમાં અનૈતિકતા, મૂલ્યહીનતાનું પ્રમાણ વધે તે સ્વાભાવિક છે. જેના કારણે જાતીય છૂટછાટોના વધવાને કારણે જાતીય હુમલા અને ગુનાઓની સંખ્યામાં પણ વધારો થાય તે સ્વાભાવિક છે.
બળાત્કાર જઘન્ય અપરાધ છે. આ માત્ર સ્ત્રીના શરીરને જ ચૂંથવાનો ગુનો નથી, પણ તેના આત્માને આઘાત પહોંચાડવાનો ગુનો છે. સંસ્કૃત સમાજમાં બળાત્કાર જેવા જાતીય ગુનાને કોઈ સ્થાન હોઈ શકે નહીં. પરંતુ બળાત્કારની વધી રહેલી સંખ્યા અને મહિલાઓ તરફનો દ્રષ્ટિકોણ દર્શાવી રહ્યો છે કે સમાજ સંસ્કૃત અને સભ્ય બનવાની જગ્યાએ વિકૃતિઓ તરફ આગળ વધી રહ્યો છે. બળાત્કારના ગુનાઓ સામે સડકો પર આંદોલન થયા. પરંતુ શું સડકો પર ઉતરવા માત્રથી બળાત્કાર રોકાઈ જશે? બળાત્કાર માણસની અંદર રહેલા શેતાની તત્વોની નિપજ છે. આ શેતાની તત્વો માણસ કેવી રીતે નષ્ટ કરી શકે કે નિયંત્રિત કરી શકે તેની કોઈ સિસ્ટમ આજના સમાજમાં સાબૂત બચી છે ખરી? બળાત્કાર રોકવા માટે દરેક માણસે આત્મવિશ્લેષણ કરવું પડશે. તેનો મહિલાઓને જોવાનો તેમની સાથે વર્તવાનો દ્રષ્ટિકોણ ક્યો છે. ભારતની સંસ્કૃતિ રહી છે કે પારકી સ્ત્રીને માતા સમાન ગણવી. પરંતુ આ પ્રકારનો દ્રષ્ટિકોણની વાત જ જવા દો. નારીને ઉપભોગનું સાધન માત્ર સમજવાનો દ્રષ્ટિકોણ સમાજમાં વધારે પ્રભાવી બન્યો છે. નારીને એક વ્યક્તિ તરીકેનું સમ્માન આપવા માટે પણ લોકો વ્યક્તિગત અને સામાજિક રીતે તૈયાર દેખાતા નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યુ છે કે બળાત્કાર ઈન્ડિયામાં વધારે થાય છે, ભારતમાં ઓછા થાય છે. ત્યારે આપણે વિચારવું જોઈએ કે ભારતને ઈન્ડિયા બનાવીને તેને વિકાસ કહેનારા આપણે બધાં જ છીએ. ભારતમાં ભારત બચ્યું ક્યાં છે? આપણે શું ભારતને ભારતમાં જીવતું રહેવા દીધું છે? ભારત એટલે શું? દરેક ભારતીય એક ભારત છે. તેમના દરેકમાં જો ભારત જીવતું હોય, તો ભારતને ભારત ગણી શકાય. પરંતુ શું દરેક ભારતીયમાં આપણે ભારતને જીવાડી શક્યા છીએ? શહેરોમાં પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ થયું છે. પરંતુ શહેરની મહિલાઓની સ્થિતિ ગ્રામીણ મહિલાઓની સરખામણીએ સારી છે. ગામડામાં સ્ત્રીઓ પર થતા અત્યાચારની ઘણી વાતો બહાર પણ આવતી નથી. આવી સ્થિતિમાં ગામડામાં સ્ત્રીઓની સ્થિતિ સારી કેવી રીતે કહી શકાય? શહેરો ઈન્ડિયા અને ગામડા ભારત હોવાના માઈન્ડ સેટ સાથે પણ સહમત થવાય તેવું નથી. ભારતને ભારત બનાવવા માટે હજી ઘણું કરવું પડે તેમ છે.
મધ્ય પ્રદેશના ઉદ્યોગ મંત્રી કૌલાસ વિજયવર્ગીયે પણ આઘાતજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે એક મર્યાદા હોય છે, જ્યારે મર્યાદાનું ઉલ્લંઘન થાય છે, તો સીતાનું હરણ થઈ જાય છે. લક્ષ્મણરેખા દરેક વ્યક્તિની ખેંચવામાં આવી છે. આ લક્ષ્મણરેખાને જે પણ પાર કરશે, તો રાવણ સામે બેઠો છે, તે સીતાનું હરણ કરીને લઈ જશે. મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો ગુનો મહિલાઓ માથે જ શા માટે ઢોળવામાં આવે છે? શું કોઈ સ્ત્રી સાથે અણછાજતું બળાત્કારી વર્તન કરનાર પુરુષ મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી? મર્યાદા દરેક વ્યક્તિને લાગુ પડે છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય. એક વ્યક્તિ સાથે બીજા વ્યક્તિએ કઈ રીતે વર્તવું તેની મર્યાદાઓ વ્યક્તિએ વ્યક્તિએ અલગ-અલગ હોય છે. આ મર્યાદાનું પાલન દરેક વ્યક્તિ કરે, તો આવા ગુના થવાનું અટકી જાય. પરંતુ સ્ત્રી પુરુષ કરતા શારીરિક રીતે કમજોર હોવાથી મર્યાદાનું પાલન માત્ર તેમણે જ કરવાનું અને મર્યાદાનો ભંગ કરવો પુરુષોનો જન્મસિદ્ધ અધિકાર હોવાની માનસિકતા પણ ખોટી છે. પ્રશ્ન એ છે કે મર્યાદાનું ઉલ્લંઘન કરનાર સીતાનું હરણ થાય છે, પરંતુ મર્યાદાનું ઉલ્લંઘન કરનાર રાવણનો નાશ થતા લાંબો સમય કેમ લાગે છે?
સમાજમાં વિફરેલી ઉપભોગતાવાદી માનસિકતાના શમન માટેના રસ્તાઓ શોધવાનો સમય હવે પાકી ગયો છે. આ છેલ્લી ટ્રેન છે. બળાત્કારની વધી રહેલી ઘટનાઓ અને વધી રહેલો જાતીય સ્વેચ્છાચાર બંને સમાજ માટે ખતરનાક છે. મનફાવે તેમ જીવવું સ્વતંત્રતા નથી, પણ આજુબાજુના સૌને ફાવે તેમ જીવવું સ્વતંત્રતા છે. સહઅસ્તિત્વ માનવજીવનનો પાયો છે. સહઅસ્તિત્વને ખતમ કરતી કોઈની પણ સ્વતંત્રતા નકામી છે. ત્યારે સ્વતંત્રતાનું નિયમોના આધારે નિયમન થાય તેવી વ્યવસ્થા પણ જરૂરી છે. 65 વર્ષના સેક્યુલરરાજે ભારતને ક્યાં પહોંચાડયું તેનું પણ આત્મવિશ્લેષણ થવું અત્યારે બેહદ જરૂરી છે. 

રવિવાર, 2 ડિસેમ્બર, 2012

2012નો ગુજરાતનો જંગ: નરેન્દ્ર મોદી Vs. કેશુભાઈ પટેલ

-આનંદ શુક્લ

ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવારોની દોડમાં આગળ દોડી રહેલા નરેન્દ્ર મોદી માટે 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેમનું રાજકીય ભવિષ્ય નક્કી કરવા મહત્વની સાબિત થવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્વલંત જીત તેમની ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારની દાવેદારી મજબૂત બનાવશે. પરંતુ આ ચૂંટણીમાં થોડી પણ ઉંચ-નીચ તેમની રાષ્ટ્રીય રાજકારણમાં જેટ ગતિએ આગળ વધવાની ક્ષમતાને ગ્રહણ લગાવી શકે છે. 2002માં હિંદુત્વના રાજકારણથી 2012માં સદભાવનાનું રાજકારણ રમી રહેલા નરેન્દ્ર મોદી માટે આ ચૂંટણીઓ લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે. તેમના માટે કોંગ્રેસ કરતા કેશુભાઈ પટેલને ભાજપના મત કાપતા રોકવાનો મોટો પડકાર છે.
હિંદુત્વ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની જમીન છે. હિંદુત્વનું રાજકારણ ખેલનારા તમામ પક્ષો અને સંગઠનોમાં નરેન્દ્ર મોદી સૌથી મોટા હીરો છે. નરેન્દ્ર મોદીની આ લોકપ્રિયતા જ્યાં સુધી સાબૂત રહેશે. તેમને કોઈ વાંધો આવવાનો નથી. આ કહેવું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હારજીતની ચર્ચા કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ કાર્યકર્તાનું.
ડીસેમ્બર માસમાં રાજ્યની 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 20 ડીસેમ્બરે મતગણતરી બાદ નક્કી થશે કે નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના નાથ બનશે કે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીના ચાહકોને તેમના ફરીથી મુખ્યમંત્રી બનવાની પ્રબળ આશા છે. જો કે આ વખતે 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણી જેવો સીધો મામલો દેખાતો નથી.
2012ની ચૂંટણી 1998 બાદ રાજ્યમાં પહેલો ત્રિપાંખિયો જંગ છે. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ, શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસ અને કેશુભાઈ પટેલના વડપણ નીચે ગુજરાત પરિવર્તન પાર્ટી ચૂંટણી જંગમાં ઝુકાવશે. જનસંઘ અને ભાજપમાં 60 વર્ષ કામ કરનારા સંઘના સનિષ્ઠ સ્વયંસેવક એવા કેશુભાઈ પટેલે ભાજપ સાથે છેડો ફાડયો છે. તેમણે 6 ઓગસ્ટ, 2012ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સીધો રાજકીય પડકાર ફેંક્યો છે.
2002 અને 2007ની ચૂંટણી મોદી વિરુદ્ધ કોંગ્રેસનો જંગ હતો. પરંતુ જાણકારો 2012ના ચૂંટણી જંગને મોદી વિરુદ્ધ કેશુભાઈ પટેલનો સીધો જંગ માની રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો કેશુભાઈ પટેલ 10 વર્ષ સુધી ચુપ રહ્યા, તે મોદીની સ્થિરતાનું સૌથી મોટું કારણ છે. ભાજપના ચૂંટણી સમીકરણો કેશુભાઈ પટેલના ખુલીને વિરોધમાં નહીં આવવાથી મોદીને બહુ નડયા નથી.
કેશુભાઈ પટેલ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 6 વખત તેઓ ધારાસભ્ય રહ્યા અને એક-એક વખત લોકસભા તથા રાજ્યસભાના સાંસદ રહ્યા છે. તેમને ચૂંટણી દરમિયાન જ્ઞાતિ સમીકરણો બનાવવાની આગવી સૂઝ હોવાનું પણ માનવામાં આવે છે. કેશુભાઈ પટેલ ગુજરાતની પ્રભાવી પટેલ જ્ઞાતિના નેતા છે. તેમનો સૌરાષ્ટ્રમાં ઘણો મોટો બેઝ છે. વધારે માઈક્રો લેવલે વાત કરીએ તો કેશુભાઈ લેઉવા પટેલ જ્ઞાતિના નેતા છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં પટેલોની વસ્તી 1.20 લાખની છે અને તેમના મતદાતાઓની સંખ્યા અંદાજે 80 લાખની છે. તેમા લેઉવા પટેલોની સંખ્યા 65 ટકા થવા જાય છે.
ગત વર્ષ ખોડલધામ ખાતે પટેલ જ્ઞાતિએ બિનરાજકીય ગણાતો કાર્યક્રમ કર્યો હતો. ત્યારે કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદીની સામે ખુલીને વિરોધમાં આવ્યા ન હતા. પરંતુ ખોડલધામના કાર્યક્રમની એક વિશિષ્ટતા હતી કે બોલાવવામાં આવેલા તમામ પટેલ નેતાઓને મંચની નીચે બેસાડવામાં આવ્યા હતા અને મંચ પર એકમાત્ર રાજકીય નેતા કેશુભાઈ પટેલે સંબોધન કર્યું હતું. ખોડલધામના સંમેલન બાદ કેશુભાઈ પટેલ મોદી સામે નવી પાર્ટી બનાવવાના વિચાર સાથે ખુલ્લેઆમ વિરોધમાં ઉતર્યા.
જો વાત કરીએ 2007ની તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 અને કોંગ્રેસને 59 બેઠકો મળી છે. જ્યારે 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 11 અને ભાજપને 15 બેઠકો મળી છે. 2009ની લોકસભાની ચૂંટણી નવા ડિલિમિટેશન પ્રમાણે થઈ હતી. જેમા વિધાનસભા બેઠકના મતવિસ્તાર પ્રમાણે જોઈએ તો ભાજપને 107 બેઠકો પર અને કોંગ્રેસને 75 બેઠકો પર સરસાઈ મળી હતી. આમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને દેખીતો 16 બેઠકોનો ફાયદો થયો અને ભાજપને 10 બેઠકોનું નુકસાન થયું છે.
જો કે ત્યાર બાદ 2010માં યોજાયેલી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનોની ચૂંટણીમાં ભાજપને 479 અને કોંગ્રેસને 144 કોર્પોરેશનોમાં સત્તા મળી છે, જ્યારે અન્યોના ખાતામાં 19 કોર્પોરેશનો ગઈ છે. ભાજપના હાથમાં 549 અને કોંગ્રેસના હાથમાં 240 જિલ્લા પંચાયતો છે, જ્યારે અન્યની પાસે 12 જિલ્લા પંચાયતો છે. ભાજપના હાથમાં 2456 અને કોંગ્રેસના હાથમાં 1438 તથા અન્યની પાસે 154 તાલુકા પંચાયત છે. આમ જોવો તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપનો હાથ ઉપર રહ્યો છે. પરંતુ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ પરિણામો કેશુભાઈ પટેલના ભાજપમાંથી અલગ થયા પહેલાના છે. વળી ગ્રામ પંચાયતોની ચૂંટણી ભાજપ કે કોંગ્રેસના નિશાન પર નહીં લડાતી હોવા, છતાં કોંગ્રેસના ટેકેદાર સરપંચોની સંખ્યા વધારે હોવાનું માનવામાં આવે છે. ત્યારે કેશુભાઈ પટેલના ભાજપથી અલગ થયા બાદ તેના પરિણામો પર અલગ-અલગ પ્રકારના ક્યાસો લગાવાય રહ્યા છે.
ગુજરાતમાં 1975માં કોંગ્રેસના નેતાઓ ઝીણાભાઈ દરજી, સનત મહેતા અને માધવસિંહ સોલંકીએ ખામ થિયરી નામે જાણીતુ જ્ઞાતિ સમીકરણ રજૂ કર્યું હતું. તેનો મુખ્ય હેતુ રાજ્યની 20 ટકાથી વધારે વસ્તી ધરાવતી પટેલ જ્ઞાતિને સત્તામાંથી દૂર કરવાનું હતું. 1962ની ગુજરાતની પ્રથમ વિધાનસભાથી 1975 સુધીમાં ગુજરાતને ત્રણ વખત પટેલ મુખ્યમંત્રી મળ્યા. જો કે ત્યાર પછી કોંગ્રેસમાં પટેલ જ્ઞાતિ સિવાયના મુખ્યમંત્રી માટે ગણગણાટ શરૂ થઈ ગયો હતો. KHAM (થિયરી)માં 24 ટકા ક્ષત્રિય, 8 ટકા હરિજન, 15 ટકા આદિવાસી અને 12 ટકા મુસ્લિમોના મતોનું નવું જ્ઞાતિ સમીકરણ રજૂ કરીને તેના પર કામ કરવામાં આવ્યું. કોંગ્રેસને 1980માં 141 અને 1985માં 149 બેઠકો જીતવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. જેના પરિણામે માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનવાના મોકા મળ્યા હતા. માધવસિંહ સોલંકી ક્ષત્રિય સમાજમાંથી અને અમરસિંહ ચૌધરી આદિવાસી સમાજમાંથી આવતા હતા. પરંતુ 1990માં વી. પી. સિંહના કોંગ્રેસ વિરોધી આંદોલન અને રામજન્મભૂમિથી ઉભી થયેલી રામલહેરમાં ગુજરાતમાં કોંગ્રેસનું ધોવાણ થયું. 1990માં જનતાદળે ચિમનભાઈ પટેલ અને ભાજપે કેશુભાઈ પટેલના વડપણ નીચે ચૂંટણીમાં ગઠબંધન કરીને કોંગ્રેસને 149 બેઠકો પરથી સીધી 33 બેઠકો પર લાવી દીધી હતી. અહીંથી ફરી પાછો ગુજરાતના રાજકારણમાં પટેલ યુગ શરૂ થયો હતો. રાજકારણમાં ફરીથી પટેલ પાવર છવાવા લાગ્યો. પરંતુ પટેલ મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ બે વખત મુખ્યમંત્રી બન્યા, પણ લાંબો સમય સત્તા પર રહી શક્યા નહીં.
1995માં શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલની સરકાર સામે બળવો કરીને અલગ રાષ્ટ્રીય જનતા પાર્ટી સ્થાપી હતી. કેશુભાઈ પટેલની સરકાર ગણતરીના મહીનાઓમાં પડી ગઈ હતી. શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા, તેમના પછી દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા. પરંતુ કેશુભાઈ પટેલને 1998માં ફરીથી સત્તા મળી. જો કે ઓક્ટોબર-2001માં ભાજપ હાઈકમાન્ડે સત્તા પરિવર્તન કરીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા. તેની પાછળ ભૂકંપ બાદ રાહત અને પુનર્વસનની કામગીરીમાં થનારા વિલંબને કારણ ગણવામાં આવ્યો. વળી બે પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડયો. જેના કારણે ભાજપ હાઈકમાન્ડ સામે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવા માટે રજૂઆતો થવા લાગી હતી.
કેશુભાઈ પટેલે સત્તા પરિવર્તનને સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવકની રાહે સ્વીકારી લીધું હતું. જો કે દશ વર્ષ સુધી તેમની થયેલી ઉપેક્ષાએ તેમને સંઘ પરિવારમાં મોદી વિરોધીઓનું નેતૃત્વ કરવા માટે મજબૂર બનાવી દીધા. રાજકીય વિશ્લેષકો પ્રમાણે, નરેન્દ્ર મોદી સામે ખુલ્લો બળવો કરવાની સૌથી પહેલી હિંમત શંકરસિંહ વાઘેલાએ કરી હતી. કેશુભાઈ પટેલની પહેલી સરકારમાં નરેન્દ્ર મોદી સુપર ચીફમિનિસ્ટર તરીકે વર્તતા હતા. વાઘેલાએ પોતાની થતી ઉપેક્ષા સામે બળવો પોકાર્યો હતો. જે કેશુભાઈ પટેલથી વધારે નરેન્દ્ર મોદી સામે હતો. વાઘેલા દ્વારા કરાયેલા બળવા બાદ નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી ખસેડી કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા.
સંઘ વર્તુળોમાં ચર્ચા છે કે કેશુભાઈ પટેલે 1995માં જ નરેન્દ્ર મોદીથી ચેતી જવાની જરૂરત હતી. વળી મુખ્યમંત્રી પદેથી કોઈપણ પ્રકારની આંતરીક સમજૂતી વગર હટવું પણ કેશુભાઈની ભૂલ હતી. સંઘ વર્તુળોના માનવા પ્રમાણે કેશુભાઈએ 10 વર્ષ કરતા વધારે સમય પોતાની ઉપેક્ષા સહન કરીને મોદીને શક્તિશાળી થવા દીધા છે. આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ, કિસાનસંઘ અને સંઘ પરિવારની અન્ય સંસ્થાઓમાં નરેન્દ્ર મોદીની આપખુદશાહી કાર્યશૈલી સામે અસંતોષ 2003થી શરૂ થયો હતો. જેના કારણે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ ગૌરવયાત્રા થકી ગોધરાકાંડના રમખાણોની પૃષ્ઠભૂમિમાં જ્વલંત જીત મેળવી હોવા છતાં, 2004ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી માત્ર 14 બેઠકો અપાવી હતી. આના માટે ભાજપ અને સંઘ પરિવારના નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા મોદીના વિરોધમાં થયેલું કામ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
જાણકારોના માનવા પ્રમાણે, ગુજરાતમાં વિધાનસભા બેઠકો પર જીતના સમીકરણો લોકસભા બેઠકોથી સાવ અલગ છે. વળી મોદી વિધાનસભા બેઠકો જેટલી સિફતપૂર્વક મેનેજ કરી શકે છે, તેટલી સમજથી લોકસભા બેઠકોનું અંકગણિત ગોઠવી શકતા નથી. 2009ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને 15 અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે. હાલ પોતાને વડાપ્રધાન પદના ભાજપના ઉમેદવાર તરીકે પ્રસ્તુત કરવાની ઉઠાપઠકમાં મોદી માટે 2012ની વિધાનસભા ચૂંટણી રાજકીય જીવન-મરણનો પ્રશ્ન છે. નરેન્દ્ર મોદીએ ગત વર્ષે સદભાવના મિશન થકી પોતાની રાષ્ટ્રીય છબી સેક્યુલારિઝમના ઢોળથી ચમકાવાનો પ્રયત્ન કરી જોયો. જો કે ગોધરાકાંડ બાદના રમખાણો માટે મુસ્લિમ સમાજમાં નરેન્દ્ર મોદીની છાપ હજી પણ ખાસ વધારે સુધરી નથી. તેના કારણે મોદીના સદભાવના મિશનને રાષ્ટ્રીય સ્તરે નિષ્ફળ માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં મોદીએ હજી સુધી કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. પરંતુ ચર્ચા હતી કે 2012માં સદભાવના મિશનની રાજનીતિમાં પડેલા નરેન્દ્ર મોદી બે-ત્રણ મુસ્લિમ નેતાઓને ભાજપની ટિકિટ આપે પણ ખરા.જો કે ભાજપે 2012માં યોજાનારી ચૂંટણીમાં પણ એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. 
પરંતુ રાજકીય વિશ્લેષકો નરેન્દ્ર મોદીના સદભાવના મિશનને અડવાણીના જિન્ના પ્રકરણ સાથે સરખાવે છે. તેમનું એમ પણ માનવું છે કે મોદીએ સદભાવના ઉપવાસ ચૂંટણીના વર્ષ પહેલા કર્યા છે, તેથી તેની ચૂંટણીમાં તાત્કાલિક અસર પડશે નહીં. પરંતુ સંઘ પરિવારમાં મોદીની મુસ્લિમ તરફી રાજનીતિની ભારે ટીકા થઈ રહી છે. કેટલાંક નેતાઓ કહી રહ્યા છે કે 200 કરોડના ખર્ચે 33 સ્થાનો પર મુસ્લિમોને ગળે લગાડવા ભૂખ્યા રહેવાના તાયફા આજ સુધી ગુજરાતના કોઈ મુખ્યમંત્રીએ કર્યા નથી. મુસ્લિમોને ગળે લગાડનારા મુખ્યમંત્રીએ સ્ટેજ પર આરએસએસના પ્રાંત પ્રચારક અને પ્રાંત સંઘચાલકનું માન જાળવ્યું નથી, તેમને બીજી લાઈનમાં બેસાડયા હતા. વળી મંચ પર ઉપસ્થિત સાધુ-સંતોના ચરણસ્પર્શ કરવાની પણ મુખ્યમંત્રીએ દરકાર લીધી ન હતી. સદભાવના મિશનને કારણે મોદી પર પણ મુસ્લિમ રાજનીતિ કરવાનો આરોપ સંઘ પરિવારમાંથી છાને ખૂણે લગાવવામાં આવી રહ્યો છે.
તેની સામે કેશુભાઈ પટેલની રાજનીતિ પણ સ્પષ્ટ છે તેમણે કહ્યુ છે કે તેમની ગુજરાત પરિવર્તન પાર્ટી સંઘ વિચારની પૃષ્ઠભૂમિમાં આગળ વધશે. ગુજરાત જેવા ડાર્ક હિંદુત્વવાળા રાજ્યની રાજનીતિને ધ્યાનમાં રાખીને કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી સંદર્ભે ખાસ કાળજી લીધી છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપના વખતે મંચ પર કોઈ મુસ્લિમ નેતાને હાજર રાખ્યો નથી. કેશુભાઈની પાર્ટીમાં હજી સુધી લઘુમતી સેલ બનાવવામાં આવ્યો નથી. તેની પાછળનું કારણ મોદી દ્વારા કેશુભાઈની પાર્ટીને મુસ્લિમો તરફ ઝોકવાળી પાર્ટી ગણાવવાનો ડર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નરેન્દ્ર મોદીની વિવેકાનંદ યાત્રા અને કેશુભાઈ પટેલની પરિવર્તન યાત્રા ગુજરાતે જોઈ છે. વિવેકાનંદ યાત્રામાં સરકારી મશીનરીનો ભરપૂર ઉપયોગ થયો છે, જ્યારે પરિવર્તન યાત્રામાં આવી કોઈ તૈયાર મશીનરી વપરાય નથી. તેની સામે કોંગ્રેસે આ બંને યાત્રા પહેલા આદિવાસી વિસ્તારો અને દરિયાકિનારાના વિસ્તારોમાં યાત્રાઓ કરી છે અને ક્ષત્રિય સંમેલનો પણ કર્યા છે. પરંતુ કોંગ્રેસ એટલી સક્રિય દેખાતી નથી. તેની પાછળનું કારણ એ છે કે તેમણે પણ માની લીધું છે કે જંગ મોદી અને કેશુભાઈ વચ્ચેનો છે. કેશુભાઈ પટેલ ભાજપના મત તોડે અને તેનો કોંગ્રેસને ફાયદો થશે તેવી પણ તેમને આશા છે. પરંતુ સ્થિતિ ઊંટનો લબડતો હોઠ જોઈને તેની નીચે ચાલતા શિયાળ જેવી છે.
રાજકીય વિશ્લેષકોના માનવા પ્રમાણે, કેશુભાઈ પટેલનો બેઝ ભાજપના વોટરો છે. પટેલો પરંપરાગત રીતે ભાજપના વોટર રહ્યા છે. કેશુભાઈ પટેલ પટેલ વોટરો અને સંઘ વિચારધારા સાથે સંકળાયેલા વોટરોને પોતાની તરફ ખેંચશે. આ સિવાય તેઓ ઠાકોર સમાજને પણ પોતાની સાથે જોડવા માટે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પ્રયત્નો કરી રહ્યા છે. કચ્છમાં કચ્છી પટેલોનું મોટું મોબીલાઈઝેશન કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી સમાજો સાથે જ્ઞાતિ સમીકરણો બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
એક ગણતરી પ્રમાણે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે 1995થી 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં સરેરાશ 10 ટકાનું અંતર રહ્યું છે. કેશુભાઈ પટેલ ભાજપના 10થી 15 ટકા વોટ પણ તોડે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર ઘટે અને ભાજપને બેઠકોનું નુકસાન જઈ શકે છે. જો કે તેનો ફાયદો કોંગ્રેસને કહી શકાય તેમ નથી. કારણ કે ગુજરાત પરિવર્તન પાર્ટી 20થી 25 બેઠકો જીતવા માટે જ લડશે. જ્યારે 30 બેઠકોમાં ભાજપ કપાય તેવો પણ પ્રયત્ન કરી શકે છે. આવા સંજોગોમાં ગુજરાતમાં ગુજરાત પરિવર્તન પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. પરંતુ તેમની નીતિ સ્પષ્ટ છે કે તેઓ જીત્યા પછી કોંગ્રેસને ટેકો નહીં આપે. પરંતુ ભાજપને ટેકાની જરૂર હશે, તો મોદી અને તેમના મળતિયા વગરની સરકાર બનાવવાની શરત ગુજરાત પરિવર્તન પાર્ટી મુકી શકે છે.
આ સમગ્ર પરિસ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વીએચપીની ઝીણવટભરી નજર છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખુદ નાગપુર સંઘના મુખ્યમથકે સરસંઘચાલક મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. તો તેના બીજા દિવસે કેશુભાઈ પટેલે અમદાવાદમાં પ્રાંત સંઘ કાર્યાલય અને વીએચપી મુખ્યાલયની મુલાકાતો લીધી છે. માનવામાં આવે છે કે કેશુભાઈ પટેલ માટે વીએચપીમાં લાગણી પ્રવર્તી રહી છે, જ્યારે સંઘના પ્રાંત સંગઠનમાં કેશુભાઈ માટે કોઈ છોછ નથી.
જાણકારોના માનવા પ્રમાણે, શંકરસિંહ વાઘેલાના ભાજપમાં બળવા સમયે સંઘ પરિવારની સંસ્થાઓ સંપૂર્ણપણે તેમની વિરુદ્ધ હતી. જ્યારે કેશુભાઈ પટેલને સંઘ પરિવારમાંથી ઘણો મોટો સાથ-સહકાર મળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલા સાથે 45 ધારાસભ્યો હતા. પરંતુ ક્ષત્રિય વોટરો ભાજપના પરંપરાગત વોટરો ન હતા. તેથી 1998ની ચૂંટણીમાં વાઘેલાની રાજપાએ 11.86 ટકા વોટ મેળવ્યા. જેમાં મોટા ભાગના કોંગ્રેસી વોટ હતા. જેને કારણે કોંગ્રેસને તે ચૂંટણીમાં સીધું નુકસાન ગયું. જ્યારે કેશુભાઈ પટેલ સાથે હાલ કોઈ ધારાસભ્ય કે ભાજપના મોટા પદાધિકારીઓ ખુલીને સાથે આવ્યા નથી. પરંતુ પટેલ સમુદાયના તેઓ નિર્વિવાદ કદ્દાવર નેતા છે. ત્યારે પટેલ વોટરોની સિમ્પથી ઘણો મોટો ઉલટફેર કરે તેવી શક્યતા છે. કારણ કે પટેલ વોટરો મોટેભાગે ભાજપના વોટર છે. તેની સાથે સંઘની વિચારધારાને માનનારા ગુજરાતના ઘણાં લોકો નરેન્દ્ર મોદીથી ગોચર,ગોહત્યા જેવા મુદ્દાઓ પર નારાજ છે. તેથી તેમને પણ કેશુભાઈ રાજકીય વિકલ્પ પુરો પાડી રહ્યા છે.
આમ છતા નરેન્દ્ર મોદીની સ્થિતિ એટલા માટે મજબૂત માનવામાં આવે છેકે સંઘ પરિવારની સંસ્થાઓએ ગુજરાતમાં હિંદુત્વનો પ્રચાર કરતી વખતે કોંગ્રેસનો વિલન અને મુસ્લિમ લીગ સમાન ગણાવી છે. લોકો હજી પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને, તેવું વ્યાપકપણે ઈચ્છી રહ્યા નથી. ત્યારે કેશુભાઈ પટેલ સરકાર ન બનાવી શકવાના હોય, તો તેવા સંજોગોમાં તેમના માટે હિંદુત્વના હીરો રહેલા નરેન્દ્ર મોદી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોના પ્રસંગો બાદ નરેન્દ્ર મોદી હિંદુ હ્રદય સમ્રાટ બન્યા હતા. તેઓ હજી પણ ગુજરાતના આમ હિંદુઓમાં હ્રદય સમ્રાટનું સ્થાન ભોગવી રહ્યા છે. નરેન્દ્ર મોદીની રાજકીય જમીન તેમની હિંદુત્વવાદી ઈમેજ છે. ત્યારે 20મી ડીસેમ્બરના પરિણામો જ બતાવશે કે હિંદુત્વની ટ્રેનમાંથી વિકાસરથ પર બેસીને હવે સદભાવનાના રાજકારણનો રસ્તો પકડનારા મોદીની ઈમેજ કેટલી બદલાઈ છે. 

શુક્રવાર, 23 નવેમ્બર, 2012

બાળાસાહેબ ઠાકરે: હિંદુત્વના આંદોલનના સેનાપતિ

- ક્રાંતિવિચાર

વ્યક્તિને પોતાના પરનો વિશ્વાસ પોતાના વિચારો અને માન્યતાઓમાં અસીમ શ્રદ્ધા પ્રગટાવે છે. શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે પણ આવા જ વ્યક્તિ હતા. તેમણે પોતાના પરના વિશ્વાસને કારણે જ પોતાના વિચારો અને માન્યતાઓને દ્રઢતાથી વળગી રાખવાનું વલણ મૃત્યુ સુધી જાળવી રાખ્યું. શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબને હકીકતમાં હિંદુત્વના સેનાપતિ કહેવું વધારે યોગ્ય છે. જ્યારે દેશમાં હિંદુત્વના પંથને કટ્ટરપંથ તરીકે વગોવવામાં આવતો હોય, ત્યારે બાળાસાહેબ ઠાકરેની ત્રાડે તમામ હિંદુવિરોધીઓને સીધા દોર રાખ્યા છે. આનાથી પણ મોટી ઘટના એ છે કે જ્યારે રામરથયાત્રીઓ અને હિંદુત્વના આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનારા કંઈક હિંદુ હ્રદયસમ્રાટોની નકલી છબીઓ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિમાં ભષ્મીભૂત બની છે. જ્યારે બાળાસાહેબ ઠાકરેની હિંદુ હ્રદયસમ્રાટની છબી તેમના મૃત્યુ પછી પણ અકબંધ રહી છે. તેમને હિંદુ હ્રદયસમ્રાટની ઉપાધિ દેશના કરોડો હિંદુઓના પ્રેમને કારણે મળી છે, તેમને તેના માટે કોઈ ગોબેલ્સ પ્રચારનો સહારો લેવો પડયો નથી. તેમની વાતમાં હિંદુત્વનો પડઘો હતો અને તેના કારણે દેશના કરોડો હિંદુઓ તેમને દિલથી ચાહતા હતા.
17મી નવેમ્બરે બાળાસાહેબ ઠાકરેનું અવસાન થયું. 18મી નવેમ્બરે રવિવારે મુંબઈની સડકો પર હિંદુત્વના સેનાપતિની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડયું હતું. કહેવાય છે કે બાલાસાહેબની અંતિમ યાત્રામાં અંદાજે 20 લાખ લોકોએ ભાગ લીધો અને શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર વખતે બે લાખથી વધારે લોકો હાજર હતા. હિંદુત્વની દ્રઢતાથી વાત કરનારા બાળાસાહેબને કટ્ટર ગણાવાયા. હિંદુત્વને આજીવન વળગી રહેનારા બાળાસાહેબને કોમવાદી રાક્ષસ તરીકે ચિતરવામાં આવ્યા. હિંદુત્વના હિતની વાત કરનારા બાળાસાહેબને જલ્લાદ દર્શાવવામાં આવ્યા. પરંતુ તેમ છતાં તેમની અપાર લોકપ્રિયતાએ મીડિયાને પણ મજબૂર કર્યું કે તેઓ હિંદુત્વના સેનાપતિને છાજે તેવી તેમને શ્રદ્ધાંજલિ આપે. 1966માં કાર્ટૂનિસ્ટ બાળ ઠાકરેએ મરાઠી માનુષના હિત અને શિવશાહી સ્થાપિત કરવા માટે શિવસેનાની સ્થાપના કરી. મરાઠી માનુષની રાજનીતિ કરતી વખતે તેમને હંમેશા છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને તેમની હિંદુ પદપાદશાહીની વાતો યાદ રહેતી હતી. રામજન્મભૂમિ આંદોલનની શરૂઆતથી જ બાળ ઠાકરેએ હિંદુ હિતની વાતોને રાષ્ટ્રીય સ્તરે મહત્વની ગણીને તેના પર દ્રઢતાથી અભિપ્રાય આપવાનું શરૂ કર્યું. મરાઠી માનુષના હિતની રાજનીતિ બાળ ઠાકરેની રાજનીતિનું મહત્વનું અંગ હતું, તો હિંદુત્વના મુદ્દે દ્રઢતા તેનો આત્મા હતો.
દેશમાં 90ના દાયકામાં હિંદુઓના શ્રદ્ધાકેન્દ્રો પર આઘાત કરવાની ફેશન ચાલતી હતી. ત્યારે મીડિયા પણ આવા તત્વોને સાથ આપતું નજરે પડતું હતું. મુંબઈના એક અગ્રણી અખબારમાં છત્રપતિ શિવાજી મહારાજ સંદર્ભે અયોગ્ય વાત પ્રકાશિત થઈ. બાળ ઠાકરેને આની ખબર પડી, તુરંત તેમણે શિવસૈનિકોને આદેશ આપ્યો કે શિવાજી વિશે અભદ્ર વાતો પ્રકાશિત કરનારા અખબારની એકપણ નકલ વાચકો સુધી પહોંચે નહીં. શિવસૈનિકોએ તેમના સેનાપતિની વાતને અક્ષરશ માની અને આવી ગલીચ હરકત કરનારા અખબારની એકપણ નકલને મુંબઈની બહાર જવા દીધી નહીં.
1992માં બાબરી ઢાંચાને કારસેવાના અંતે ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે બાબરી ઢાંચો ધ્વસ્ત થવાથી આંદોલનમાં સામેલ નેતાઓ દુ:ખ વ્યક્ત કરી રહ્યા હતા અને સંગઠનો સંરક્ષણાત્મક સ્ટેન્ડ લઈ રહ્યા હતા. ત્યારે બાળ ઠાકરેએ કહ્યુ કે જો શિવસૈનિકોએ બાબરી ઢાંચો ધ્વસ્ત કર્યો હોય, તો તેનો તેમને ગર્વ છે. બાળ ઠાકરેની આ બેબાકી જ હતી કે જેણે તેમને હિંદુ હ્રદય સમ્રાટના પદે સ્થાપિત કર્યા હતા.
બાલ ઠાકરેએ દેશમાં વધી રહેલા ઈસ્લામિક આત્મઘાતી બોમ્બરોના હુમલાની સામે સરકારના ઉદાસિન વલણની છડેચોક ટીકા કરી હતી. 2002માં તેમણે કહ્યુ હતુ કે આવા ફિદાયિનોના જવાબમાં હિંદુ આત્મઘાતી બોમ્બરોની ટુકડી બનાવવી જોઈએ. મુંબઈ રમખાણો વખતે બાળ ઠાકરેએ મુસ્લિમોને દેશમાં કેન્સર સમાન ગણાવ્યા હતા. તેમણે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભારતના દરેક મુસ્લિમોના વિરોધી નથી, પરંતુ ભારતમાં રહીને ભારતના કાયદાનું પાલન નહીં કરતા મુસ્લિમોના તેઓ વિરોધી છે. તેમણે આવા લોકોને દેશદ્રોહી ગણાવ્યા હતા. તેમણે 2008માં ફરીથી કડક નિવેદન આપતા કહ્યુ હતુ કે ઈસ્લામિક આતંકવાદનો જવાબ હિંદુ આતંકવાદમાં છુપાયેલો છે. હિંદુઓ અને ભારતીયોની રક્ષા માટે દેશને હિંદુ આત્મઘાતી બોમ્બ સ્ક્વોર્ડની જરૂર છે. બાળ ઠાકરેના વિચારો ઉદ્દામવાદી લાગી શકે છે. પરંતુ તેમના વિચારો ભારત સરકારની ઈસ્લામિક આતંકવાદ સંદર્ભેની ઢીલી નીતિઓ સામેના રોષમાંથી પ્રગટયા હતા. નિર્દોષ ભારતીયો અને સુરક્ષાકર્મીઓના રક્તસ્ત્રાવથી બાળ ઠાકરે નારાજ હતા. જેના પરિણામે તેમણે ઉદ્દામવાદી વિચારો પુરી બેબાકીથી રજૂ કર્યા હતા.
પાકિસ્તાન સાથેના સંબંધો બાબતે પણ તેમના વિચારોની ધાર સ્પષ્ટ અને તેજ રહેતી. પાકિસ્તાન સાથે થોડું પણ નમતું મૂકવાના મતના તેઓ ન હતા. તેમણે કહ્યુ હતુ કે તેમને એક દિવસ માટે દેશની સત્તા સોંપવામાં આવે, તો તેઓ કાશ્મીર સમસ્યા એક દિવસમાં જ ઉકેલી બતાવશે. તેમણે વાજપેયીની પાકિસ્તાન સાથેની પીસ પ્રોસેસની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે પાકિસ્તાની દોરીસંચાર હેઠળ ભારતમાં આતંકવાદી હુમલા છતાં પાકિસ્તાની ટીમ સાથે ક્રિકેટ મેચ રમવાની ભારતીય નીતિની આકરી ટીકા કરી છે. ઠાકરેએ ભૂતકાળમાં પાકિસ્તાનની ટીમ ભારતમાં કોઈપણ સ્થાને ક્રિકેટ મેચ રમી શકે નહીં તેની તકેદારી રાખવા શિવસૈનિકોને જણાવ્યુ હતુ. જેના પરિણામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનની પીચ શિવસૈનિકોએ ભારત-પાકિસ્તાનની મેચના આગલા દિવસે જ ખોદી નાખી હતી. તાજેતરમાં પાકિસ્તાનની ટીમ ભારત ક્રિકેટ રમવા આવવાની છે. ત્યારે ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ કહ્યુ છે કે ભૂતકાળ ભૂલીને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવી જોઈએ. આ નિવેદનની બાળાસાહેબે આકરી ઝાટકણી કાઢી હતી અને પાકિસ્તાનની ટીમને ભારત નહીં બોલાવવાનો મત વ્યક્ત કર્યો હતો.
સંસદ પરના આતંકવાદી હુમલામાં ફાંસી પામેલા આતંકવાદી અફઝલ ગુરુની દયા અરજી નકારીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઈતિહાસ રચે તેવી બાળ ઠાકરેને ઈચ્છા હતી. મહત્વપૂર્ણ છે કે બાળ ઠાકરે એનડીએમાં હોવા છતાં રાષ્ટ્રપતિ પદના યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીને ટેકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાળ ઠાકરેના મોતના ચોથા દિવસે ભારત સરકારે મુંબઈ પરના આતંકવાદી હુમલાના એકમાત્ર જીવિત પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબને ફાંસીને માંચડે લટકાવી દીધો છે.
મુંબઈમાં મુસ્લિમ ગુંડા દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલની દાદાગીરી ચાલતી હતી. પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે, બંનેને ભારત છોડવા માટે મજબૂર કરનારા બાળ ઠાકરે હતા. મુસ્લિમ ડોન દાઉદ સામે હિંદુ ડોન અરુણ ગવળીની વાત પણ બાળ ઠાકરેએ ભૂતકાળમાં કરી છે. ઉલ્લેખનીય છે કે અરુણ ગવળી શરૂઆતના સમયમાં શિવસૈનિક હતો.
બાળ ઠાકરેએ હિંદુત્વના મોટામોટા સિદ્ધાંતો અને વિચારધારાની ક્યારેય ચર્ચા કરી નથી. તેમણે હિંદુત્વને વ્યવહારીકતામાં કેવી રીતે સર્વોપરી બનાવી શકાય તેની સતત ચિંતા કરી છે. જેને કારણે સેક્યુલર માઈન્ડ સેટમાં ઘડાયેલા સેક્યુલરમેનિયાથી પીડાતા બુદ્ધિજીવીઓને બાળાસાહેબ કોમવાદી લાગી શકે છે, તેમને બાળાસાહેબ દબંગ લાગી શકે છે, તેમને બાળાસાહેબ મુંબઈના દાદા લાગી શકે છે. પરંતુ બાળાસાહેબ શું હતા, તે તો તેમની અંતિમ યાત્રામાં સામેલ 20 લાખ લોકો અને દેશમાં ટેલિવિઝન પર નિહાળનારા કરોડો હિંદુઓ સારી રીતે જાણતા હતા.
બાળાસાહેબને શિવસેનાના તાનાશાહ ગણવામાં આવતા હતા. જો કે હકીકત તેનાથી વિપરીત હતી. શિવસૈનિકોના અપાર પ્રેમે તેમને શિવસેનના સર્વોચ્ચ સ્થાને 45 વર્ષોથી બેસાડયા હતા. જો કે તેમણે દુનિયાના સૌથી કુખ્યાત તાનાશાહ હિટલરની એક મુલાકાતમાં પ્રશંસા પણ કરી છે. તેમણે કહ્યુ છે કે તેઓ હિટલરના બહુ મોટા પ્રશંસક છે અને તેમને આવું કહેવામાં કોઈ શરમ અનુભવાતી નથી. હિટલરની તમામ પદ્ધતિથી તેઓ સહમત પણ ન હતા. તેમણે કહ્યુ કે હિટલર સારો આયોજક અને વક્તા હતો.તેમને લાગે છેકે તેમના બંનેમાં ઘણું સામ્ય છે. ભારતને લોખંડી હાથે કામ પાર પાડે તેવા સરમુખત્યારની જરૂર છે.
બાળાસાહેબ હંમેશા પોતાને સાચી લાગતી વાત કરતા, પોતાની સાચી વાતને અંતિમ ક્ષણ સુધી વળગી રહ્યા. તેમણે ક્યારે પોતાની વ્યક્તિગત મર્યાદાને પડદામાં રાખીને દંભ કર્યો નથી. તેઓ બિયર અને વાઈન પીતા હતા, સિંગાર અને ચિરુટના ભૂતકાળમાં બંધાણી હતા. આવી કોઈ વાત તેમણે ક્યારેય પડદામાં રાખી નથી. તેઓ હિંદુત્વની વાત કરતા હતા, પરંતુ માંસાહાર કરતા હોવાની વાતને ક્યારે છુપાવી નથી. બાળાસાહેબે પોતાના જીવન દરમિયાન રાજકીય સમજૂતીઓ પોતાની રાજનીતિ પ્રમાણે કરી હશે, પરંતુ હિંદુત્વના મુદ્દે આજીવન એકપણ સમજૂતી તેમણે કરી નથી. આવા દંભ વગરના દ્રઢ જીવને જ તેમને હિંદુ હ્રદય સમ્રાટ બનાવ્યા છે. 

મંગળવાર, 9 ઑક્ટોબર, 2012

હિંદુ આસ્થાઓને હીણ ગણવાની જયરામ રમેશની બૌદ્ધિક બદમાશી



-          આનંદ શુક્લ

હિંદુ મંદિરો વિદેશી મુસ્લિમ આક્રમણખોરોના નિશાના પર હતા. ત્યારે તેઓ મંદિરોમાં રહેલી અખૂટ સંપત્તિની લૂંટ સાથે સાથે હિંદુઓની આસ્થાને ઘેરી ચોટ પહોંચાડવા ઈચ્છતા હતા. વિદેશી મુસ્લિમ આક્રમણખોરોની પરંપરા આઝાદ ભારતમાં પણ આગળ વધી રહી છે. હિંદુ મંદિરો અને દેવ-દેવીઓ સંદર્ભે ઉતરતી ટીપ્પણીઓ કરવી આઝાદ ભારતના તથાકથિત આધુનિકો અને સુધારાવાદીઓની ફેશન છે. હિંદુ મંદિરો ભારતનું ભારત હોવાનું એકમાત્ર મહત્વપૂર્ણ કારણ છે. મંદિરોએ આ દેશની સંસ્કૃતિનો વિચાર આપ્યો, તેને દ્રઢીભૂત કર્યો અને આગળ વધાર્યો છે. અનેક આધ્યાત્મિક ચેતનાઓની સંજીવની મંદિરો સદીઓથી બનતા આવ્યા છે. આ આધ્યાત્મિક ચેતનાઓએ ભારતની હિંદુ જીવનપદ્ધતિ અકબંધ રાખી છે, જેના થકી ભારતનું સ્વરૂપ શક્ય બન્યું છે. આ મંદિરોને ઉતારી પાડવાની ફેશન ઘણી ખતરનાક છે.

તાજેતરમાં કોંગ્રેસના નેતા અને યુપીએ સરકારમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે નિવેદન આપ્યું છે કે ભારતમાં મંદિરોથી વધારે આપણા શૌચાલયો પવિત્ર છે. કેન્દ્ર સરકારની નિર્મલ ભારત યાત્રાને લીલી ઝંડી દેખાડતા તેમણે કહ્યુ છે કે આપમા દેશમાં મંદિરોથી વધારે શૌચાલયો મહત્વપૂર્ણ છે. જયરામ રમેશ બેફામ નિવેદનો કરવા માટે પંકાયેલા છે. ભૂતકાળમાં પણ તેમણે આવા કેટલાંક નિવેદનો કર્યા છે. પરંતુ તાજેતરનું તેમનું નિવેદન હિંદુઓના આસ્થા કેન્દ્રોને ચોટ કરનારું હોવાથી વધારે નિંદનીય છે.

ભારતમાં 64 ટકા લોકો આજે ખુલ્લામાં શૌચક્રિયા કરે છે અને તેને ભારતમાં કુપોષણનું ઘણું મોટું કારણ ગણવામાં આવે છે. પરંતુ કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે યાદ રાખવું જોઈએ કે ભારતની આઝાદીના 65 વર્ષમાં કોંગ્રેસે લગભગ 55 વર્ષ રાજ્ય ચલાવ્યું છે. 55 વર્ષના સમયગાળામાં કોંગ્રેસના વડાપ્રધાનો અને મંત્રીઓએ દેશમાં દરેક ઘરમાં શૌચાલયોની યોજનાઓને સાકાર કેમ કરી શક્યા નહીં?

શૌચાલયો આરોગ્ય અને સ્વચ્છતાની દ્રષ્ટિએ જરૂરી છે. શૌચાલયોથી ગંદકીની ઘણી મોટી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે મંદિરો કરતા શૌચાલયોને પવિત્ર ગણાવવા. હજી પણ દેશમાં શૌચાલયો બનાવવાથી કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારોને કોઈ રોકી રહ્યું નથી. પરંતુ જયરામ રમેશનો મંદિરો માટેનો વૈચારીક ગજનવી કક્ષાનો દ્રષ્ટિકોણ હિંદુઓની આસ્થાઓને ચોટ પહોંચાડનારો છે.

જયરામ રમેશ શૌચાલયોને મંદિરો કરતા વધારે પવિત્ર અને મહત્વના ગણે છે. પરંતુ તેમણે જવાબ આપવો જોઈએ કે મસ્જિદો અને મદરેસાઓ તથા ચર્ચો સંદર્ભે તેમનો શું અભિગમ છે. શું તેમણે ભારતના તમામ મંદિરોનો સર્વે કરાવ્યો છે કે તે બધાં ગંદા છે? શું તેમણે ભારતની તમામ મસ્જિદો અને મદરસાઓ તથા ચર્ચોનો સર્વે કરાવ્યો છે કે તે બધાં ચોખ્ખા ચણાક છે? જયરામ રમેશ પોતાના નિવેદનમાં મસ્જિદો અને ચર્ચોના વાપરે તો કંઈ નહીં, પણ તમામ ધર્મસ્થાનો એવો શબ્દ પણ વાપરી શક્યા હોત. પરંતુ તેમનું મંદિરો અને શૌચાલયો સંદર્ભે કરાયેલું નિવેદન તેમની વિશિષ્ટ વિકૃતિ ધરાવતી જમાતની માનસિકતાનું વરવું પ્રતિબિંબ છે. વળી મંદિરોની કથિત ગંદકીઓ અને શૌચની ગંદકીની તુલના પણ જયરામ રમેશ જેવા આઈઆઈટીયન માટે હાસ્યાસ્પદ છે. શું નિર્મલ ભારત યાત્રા કાઢનારા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીને મંદિરો ગંદા લાગતા હોય, તો તેઓ મંદિરોની સ્વચ્છતા માટેના કોઈ પ્રોજેક્ટ કેમ લાવતા નથી?

2001માં કચ્છમાં થયેલા વિનાશક ભૂકંપ બાદ મારે ભચાઉ નજીકના અધોઈ પાસેના એક ગામડામાં જવાનું થયું. કોળીઓની વસ્તીવાળા આ ગામના તમામ મકાનો જમીનદોસ્ત હતા. ઘણાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. તેમ છતાં લોકો ગામમાં સૌથી પહેલા મંદિર બાંધવા ઈચ્છતા હતા. મંદિરોની આધ્યાત્મિક તાકાતે તેમને ભૂકંપના વિનાશક તબક્કા પોતાના સ્વજનો ગુમાવ્યા છતાં લડવા માટેની શક્તિ આપી હતી. મંદિરોની આસ્થા સાથે સંકળાયેલા કિસ્સાઓ આખા ભારતમાં ઠેરઠેર છે. આથી સ્વચ્છતા અને આધ્યાત્મિક શક્તિ કેન્દ્રો બંને અલગ મુદ્દાઓ છે. તેને એકબીજામાં ભેગા કરવા બૌદ્ધિક બદમાશી છે.

હિંદુ આસ્થાઓ પર ચોટ કરતું નિવેદન કરનારા જયરામ રમેશે કહ્યુ છે કે આ નિર્મલ યાત્રા એ ચીજ બનાવવા માટે છે જે હું સમજુ છુ મંદિરથી પણ વધારે પવિત્ર છે અને તે છે શૌચાલય. આપણે જેટલા પણ મંદિરમાં જઈએ, જો શૌચાલય નથી, તમે કેટલાય નારિયેળ ફોડી લો તમને મોક્ષ મળવાનો નથી. આપણા દેશમાં સૌથી વધારે અફસોસજનક વાત છે કે સૌથી ગંદી જગ્યા આપણા મંદિરો છે. જ્યાં તમે મંદિર જાવ છો, તમારે નાકબંધ કરીને જવું પડે છે, કારણ કે આપણે તેને સ્વીકારીએ છીએ.

જયરામ રમેશે મંદિરોની ટીકા કરીને તેને શૌચાલયોથી ઉતરતા ગણાવાની ગુસ્તાખી તો કરી છે, સાથે તેમણે નારિયેળ ફોડવા જેવી ધાર્મિક શ્રદ્ધાને પણ છંછેડી છે. ભારતમાં આજે 125 કરોડની વસ્તીમાં એક અબજ જેટલાં હિંદુઓ છે. જયરામ રમેશેને એ પણ ખબર હોવી જોઈએ કે દેશમાં રહેલા 36 ટકા શૌચાલયોમાંથી મોટાભાગના હિંદુ ઘરો, મંદિરો, સંસ્થાઓમાં છે. શું જયરામ રમેશ તેમની મંદિરો સંદર્ભે કરવામાં આવેલી ગલીચ ટીપ્પણી તેમના વિદેશી મૂળના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ખુશ કરવા માટે કરી રહ્યા છે? શું જયરામ રમેશના મતે ચર્ચો અને મસ્જિદો-મદરસાઓ સ્વચ્છતાની તમામ કસોટીઓ પર ખરા ઉતરે છે? શું તેઓ ચર્ચો, મસ્જિદો-મદરસાઓ સંદર્ભે આવી ટીપ્પણી કરીને છાતી કાઢીને બધે ફરી શકત? સેતાનિક વર્સિસ નામની નવલકથા લખવા બદલ ભારતીય મૂળના બ્રિટિશ લેખક સલમાન રશ્દી સામે ઈરાન અને ભારતમાં મૃત્યુદંડના ફતવા નીકળ્યા હતા. જયરામ રમેશે મસ્જિદો-મદરસાઓ અને ચર્ચો સંદર્ભે આવા ફતવાના ખોફથી નિવેદન કરવાનું ટાળ્યું હોય તેવું લાગે છે.  તેમને લાગે છે કે હિંદુઓ સદીઓથી પોતાના મંદિરો પર હુમલા સહન કરતા આવ્યા છે અને શાબ્દિક રીતે હીણ કક્ષાના હુમલાઓ પણ તેઓ સહન કરી લેશે.