Wednesday, June 6, 2012

ગરીબો પ્રત્યેની સંવેદનશીલતાનું મૂલ્ય આયોજન ભવનના ‘ટોઈલેટ્સ’ કરતાં પણ ઓછું!


-આનંદ શુક્લ
ભારતમાં બહુમતી કોની? આ પ્રશ્નનો જવાબ ધર્મના આધારે આપવો હોય તો  હિંદુ હોઈ શકે. પરંતુ આ દેશમાં રહેતા નાગરીકોની વરવી પરિસ્થિતિ જોઈએ, તો જવાબ અલગ હોઈ શકે. આ દેશમાં બહુમતી ખરેખર તો ગરીબોની જ છે. જો કે કેન્દ્ર સરકારના આયોજન પંચના માપદંડો પ્રમાણે ગરીબોની સંખ્યા 30 ટકા નીચે છે. પરંતુ આ ગરીબી રેખાના માપદંડોનો આધાર કેલરીનો ઉપયોગ અથવા દરરોજની કમાણીને બનાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર પોતાની કામગીરીની સફળતા દર્શવાવા માટે ગરીબોની સંખ્યા ઘટતી હોવાનું બતાવવા માંગે છે અને તેથી જ આ માપદંડોમાં ફેરફારો કરતી રહેતી હોય છે.
આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાએ શહેરી વિસ્તારમાં 32 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 26 રૂપિયા પ્રતિદિનની કમાણી કરનાર વ્યક્તિને ગરીબ ગણ્યો નથી. ગરીબી રેખાના યોજના પંચના પ્રતિદિન ખર્ચ કરવાના માપદંડની સુપ્રીમ કોર્ટ સહીત દેશના મોટાભાગના રાજકીય પક્ષોએ ટીકાઓ કરી હતી. તેન્ડૂલકર સમિતિના અહેવાલ પ્રમાણે, દેશમાં 42 ટકા ગરીબી રેખાની નીચે જીવતા લોકો છે.
હકીકત એ પણ છે કે ગરીબી રેખાની નીચે નહીં, પણ તેની આસપાસ રહેનારા લોકોનું જીવન પણ કોઈ સમ્માનજનક સ્થિતિમાં હોતું નથી. કેલોરીનો ઉપયોગ અથવા કમાણીને ગરીબી રેખા હેઠળ માપદંડ બનાવવાના સ્થાને વ્યક્તિને સમ્માનજનક જીવન જીવવા માટે જરૂરી આવકને માપદંડ બનાવવામાં આવે, તો ભારતમાં ગરીબોની સંખ્યા ખાસ્સી વધી જાય.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ છે કે ગરીબી રેખાનો માપદંડ નક્કી કરતી વખતે વ્યક્તિના સમ્માનજનક જીવન જીવવાના માપદંડને ધ્યાનમાં રાખવો જોઈએ. દરરોજની કમાણી અથવા કેલોરી ઉપયોગના આધારે ગરીબી રેખાના માપદંડ યોગ્ય નથી.
નીતિશ કુમારે ગરીબી રેખા સંદર્ભે કરેલી વાતમાં દમ છે, કારણ કે કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ હાલ ખોટી સાબિત થઈ રહી છે. ફૂગાવો અને મોંઘવારી આસમાને છે, વ્યક્તિને જીવનજરૂરિયાતની વસ્તુઓ, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકતી નથી. ભારતીય બંધારણના અનુચ્છેદ-21 પ્રમાણે ભારતમાં રહેનારા દરેક વ્યક્તિને જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે અને ભારતમાં રહેતા કોઈપણ વ્યક્તિની બદતર જીંદગી બંધારણમાં આપવામાં આવેલા આ હકનું ઉલ્લંઘન છે.
પરંતુ ભારતનું આયોજન પંચ દેશમાં રહેનારા દરેક વ્યક્તિને સમ્માનજનક જીવન ઉપલબ્ધ કરાવવાની યોજનાઓમાં ધ્યાન ઓછું આપી રહ્યું હોય તેમ લાગે છે. તેમનો મોટાભાગનો સમય ગરીબી રેખાના માપદંડોનો પુનર્વિચાર કરીને દેશમાં રહેલા ગરીબોની સંખ્યા છુપાવવામાં જ જાય છે. સરકાર બજારલક્ષી આર્થિક નીતિ તરફ આગળ વધી રહી છે. જેમાં તેમના માટે ગરીબો માટેની સબસિડી ભારરૂપ છે. આ સબસિડી ઓછી કરવા માટે તેમને દેશના ગરીબોની સંખ્યામાં ઘટાડો દર્શાવવો પડે છે. ગરીબોની સંખ્યા ઓછી દેખાય તો જ જે-તે સરકારની કામગીરી સારી પુરવાર થઈ શકે તેમ છે. બાકી આજે સારી કંપનીના મિનરલ વોટરની કિંમત 15થી 20 રૂપિયા વચ્ચે છે. ત્યારે રોજના  32 રૂપિયા જ ખર્ચ કરી શકનારો વ્યક્તિ ગરીબ કેવી રીતે ન ગણવો જોઈએ?

માહિતી અધિકાર (રાઈટ ટુ ઈન્ફર્મેશન-આરટીઆઈ) હેઠળની અરજીથી માલૂમ થયું છે કે આયોજન પંચના ભવનમાં તાજેતરમાં ટોઈલેટોનું સમારકામ કરાવવામાં આવ્યું. જેની પાછળ 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. ત્યાર બાદ આયોજન પંચના 60 અધિકારીઓ સુધી ટોઈલેટોનો ઉપયોગ નિયંત્રિત કરવા માટે લગાડવામાં આવેલી ડોર એક્સેસ કંટ્રોલ સિસ્ટમ માટે 5.19 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. યોજના પંચના અધિકારીઓ માટેની શૌચાલય જેવી વ્યવસ્થાનું સ્તર એટલું ઉંચુ છે કે દેશના ગરીબોને ગરીબ હોવા પર આપોઆપ લઘુતાગ્રંથિ બંધાય જાય છે.
દેશમાં ગરીબ કોણ તે નક્કી કરનારા આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહલુવાલિયા સંદર્ભેની આરટીઆઈમાં માલૂમ પડયું છે કે મે અને ઓક્ટોબર-2011 વચ્ચે તેમની વિદેશ યાત્રા દરમિયાન રોજના 2.02 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
એક અન્ય રિપોર્ટમાં  કહેવામાં આવ્યું હતું કે જૂન-2004થી જાન્યુઆરી-2011 વચ્ચે તેમણે 42 વિદેશ યાત્રાઓ  કરી છે. 274 દિવસના પ્રવાસનો ખર્ચ 2.34 કરોડ રૂપિયા આવ્યો છે. જો કે આહલુવાલિયાનુ કહેવુ છે કે અધિકૃત ફરજ અદા કરવા માટે વિદેશ યાત્રા  ફરજિયાત છે.
સાદું જીવન અને ઉચ્ચ વિચાર આપણા દેશના મહાન નેતાઓની જીવનશૈલીના ભાગ હતા. પરંતુ હાલ સરકારી તંત્રમાંથી સાદું જીવન ગાયબ છે અને ઉચ્ચ વિચારના પરિણામ દેશ ભોગવી જ રહ્યો છે. 

No comments:

Post a Comment