Friday, June 1, 2012

વ્યક્તિત્વ પ્રભાવથી ગેરશિસ્ત “પાર્ટી વિથ ડિફરન્સ”ની વ્યથા


-    આનંદ શુક્લ
પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મૃત્યુ પછી સંગઠનમાં તૃતિય પંક્તિના ગણાતા લાલકૃષ્ણ અડવાણીને ભારતીય જનસંઘના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. (તેમણે તે વખતે અટલ બિહારી વાજપેયી સાથે છત્રીસનો આંકડો ધરાવતા પ્રખર હિંદુત્વવાદી નેતા અને જનસંઘના ભૂતપૂર્વ પ્રમુખ બલરાજ માધોકને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો.) જે સ્થિતિ 2009માં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના આશિર્વાદથી ગડકરીની બની હતી. પ્રાદેશિક સ્તરના નેતા નીતિન ગડકરી કે જેમને ચૂંટણી જીતવાનો અનુભવ નથી, તેમને ભાજપને કેમોથેરપી આપવા માટે પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સંઘના જ દોરીસંચાર હેઠળ ભાજપના બંધારણમાં ફેરફાર કરીને નીતિન ગડકરીને બીજી ટર્મ માટે પાર્ટી અધ્યક્ષ તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. એટલે કે 2014ની લોકસભાની ચૂંટણી ભાજપ ગડકરીની આગેવાનીમાં જ લડશે.
ભારતીય જનસંઘ અને ભાજપ પોતાની અલગ પ્રકારની સંગઠન શૈલીને કારણે ભારતની અન્ય તમામ પાર્ટીઓથી અલગ પડતી આવી છે. (જો કે હાલ આ પાર્ટી વિથ ડિફરન્સમાં ખરેખર ડિફરન્સિસ છે!)  ભાજપનું પૂરોગામી ભારતીય જનસંઘ અને તેમની માતૃસંસ્થા આરએસએસ હંમેશા વ્યક્તિત્વની આભામાં નહીં રહેનારા સંગઠનો તરીકે જાણીતા છે. પરંતુ આ સંગઠનો પર ચોક્કસ વ્યક્તિત્વોનો પ્રભાવ શરૂઆતથી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર તેના સંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારનો તો પ્રભાવ હોય જ. પરંતુ સૌથી લાંબો સમય સુધી સંઘના સરસંઘચાલક રહેલા માધવરાવ સદાશિવરાવ ગોલવલકર એટલે કે ગુરુજીનો પ્રભાવ પણ ઘણો મોટો છે. તો ભારતીય જનસંઘમાં તેના સંસ્થાપક અધ્યક્ષ શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાલ ઉપાધ્યાય એમ બે અધ્યક્ષોની તેના અનુગામી ભાજપના સમારંભોમાં તસવીરી અર્ચના થાય છે.
ભાજપની વાત કરીએ તો તે પણ પહેલા અટલ બિહારી વાજપેયીના દમદાર વ્યક્તિત્વ અને રામજન્મભૂમિ આંદોલનથી અડવાણીના વ્યક્તિત્વોના પ્રભાવમાં રહ્યું છે. જો કે હવે આ વ્યક્તિત્વનો પ્રભાવ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફે રૂપાંતરીત થઈ રહ્યો છે. એટલે કે આરએસએસ, ભારતીય જનસંઘ અને ભાજપ વ્યક્તિત્વ પ્રભાવથી અળગા રહેવાનો પ્રયત્ન કરતા  હોવા છતાં જાણે-અજાણે વ્યક્તિત્વોની અસર નીચે જ કામ કરતા દેખાયા છે. (ઉલ્લેખનીય છે કે વ્યક્તિપૂજા ટાળવા માટે આરએસએસમાં ગુરુસ્થાને ભગવા ધ્વજને સ્થાપવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે જીવિત વ્યક્તિમાં દોષ હોઈ શકે.)
કળિયુગમાં સંઘમાં શક્તિ રહેલી હોવાની વાતનું આ તમામ સંગઠનોમાં વારંવાર રટણ કરવામાં આવે છે. સંગઠનમાં વ્યક્તિની સર્વોપરીતા હોતી નથી, સર્વોપરીતા સંગઠનની હોય છે. જો કે જ્યારે વ્યક્તિના સંગઠનથી સર્વોપરી હોવાની પરિસ્થિતિ ઉભી થાય છે, તો સંગઠનમાં આંતરીક વિખવાદો સપાટી પર આવી જાય છે. જ્યાં સુધી આ સંગઠનોનું નિયંત્રણ પ્રબળ વ્યક્તિત્વોના હાથમાં હતું, ત્યાં સુધી તેના આંતરીક વિખવાદો લોકો સામે આવ્યા ન હતા.
પરંતુ ભારતીય જનતા પાર્ટી હાલ રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરોએ તેના નેતાઓના પ્રભાવ સ્થાપિત કરવાની લડાઈઓનો અખાડો બની ગઈ છે. જેની અસર મુંબઈ ખાતેની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં જોવા મળી. રાષ્ટ્રીય કારોબારી પછી સપાટી પર આવેલા આંતરીક વિખવાદો સંદર્ભે ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રીલેખમાં તંત્રી પ્રભાત  ઝાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર તેમની આકરી ઝાટકણી કાઢી છે. સમગ્ર તંત્રીલેખનો અર્થ નીકળી  રહ્યો છે કે મોદીની (વડાપ્રધાન બનવાની) ઉતાવળ ભાજપનું વહાણ ડૂબાડી રહી છે. એનડીએ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, તે દિવસે જ અડવાણીએ બ્લોગ લખીને ભાજપના બીજી ટર્મ માટે અધ્યક્ષ બનેલા નીતિન ગડકરી તરફ નારાજગી વ્યક્ત કરી છે. તો કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફ નિશાન તાક્યું છે. આમ તો મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ પ્રભાત ઝા અને ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીનો ધરોબો  પણ કોઈનાથી છુપો નથી.
કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ તંત્રીલેખમાં લખ્યું છે કે જ્યારે ટ્રેનમાં ભીડ હોય છે, ત્યારે ઉતાવળમાં હોય તેવા વ્યક્તિએ પણ રોકાવું પડે છે. પોતાની ઉતાવળમાં આવી વ્યક્તિ બીજા મુસાફરને નીચે ખેંચતી નથી, ન તો ટ્રેન તોડે છે અથવા ન તો તેના પર પથ્થરમારો કરે છે. જો તે પોતાની બનાવેલી ટ્રેનને તોડવા લાગે છે, તો પોતાની મંજિલે કેવી રીતે પહોંચશે? પાર્ટી કોઈ એક વ્યક્તિના યોગદાનથી ચાલતી નથી. પાર્ટી બધાંના સહયોગથી ચાલે છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં થયેલી રાષ્ટ્રીય કારોબારીમાં  મોદી એ શરતે જ પહોંચ્યા કે તેમના પહોંચવાથી  પહેલા સંજય જોશી પાસેથી રાજીનામું લેવામાં આવે. મોદીએ જે પ્રકારે સંજય જોશીને રાષ્ટ્રીય કારોબારીમાંથી દૂર કરાવ્યા તેનાથી પાર્ટીની કામ કરવાની પદ્ધતિ પર પણ સવાલ ઉભા થયા છે. મોદીની ધમકી સામે પાર્ટી અધ્યક્ષ ગડકરીએ  ઘૂંટણિયા ટેકવ્યા અને ભાજપમાં થયું એ કે જે મોદી ઈચ્છતા હતા! સવાલ ત્યારથી ઉભા થઈ રહ્યાં છે કે શું મોદી પાર્ટી સંગઠનથી પણ મોટા થઈ ગયા છે?
તંત્રીલેખમાં મોદીની જોહૂકમી સંદર્ભે લખવામાં આવ્યું છે કે એ કહેવું કે માત્ર મારી વાત ચાલશે, તેનાથી પાર્ટી અથવા સંસ્થા તો દૂર પરિવાર પણ ચાલતો નથી. આપણે બધાં જાણીએ છીએ કે શક્તિ સંસ્થાથી આવે છે ન કે વ્યક્તિ વિશેષથી. નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર તંત્રી પ્રભાત ઝાએ ઉમેર્યુ છે કે જ્યારે કોઈ કામિયાબીની સીડીઓ ચઢે છે તો તેમની સમજ પણ વધવી જોઈએ. પરંતુ એ વિડંબણા છે કે જે શિખર પર પહોંચી  જાય છે, તે બીજાને નીચું દેખાડવાની કોશિશ કરે છે, એ જાણવા છતા કે એક દિવસ તેને પણ નીચે આવવાનું છે.
તંત્રીલેખમાં અટલ બિહારી વાજપેયી, અડવાણી અને મુરલી મનોહર જોશીની પ્રશંસા કરવામાં  આવી છે અને કહેવામાં આવ્યું છે કે ત્રણેય ભારતીય રાજકારણની ક્ષિતિજ પર એટલા માટે વર્ષો સુધી ચમકતા  રહ્યા છે કે તેમણે હંમેશા સંગઠનને સર્વોપરી માન્યુ છે. તેમનું કદ ઘણું મોટું હોવા છતાં તેમણે પોતાની જાતને ભાજપની અંદર જ રાખી. તેમણે પોતાના કદને પાર્ટીના  કદથી ઉંચુ કર્યું નહીં.
અડવાણીના બ્લોગ અને કમલ સંદેશના તંત્રીલેખ પરથી સ્પષ્ટ થઈ રહ્યુ છે કે ભાજપમાં મોદીની જોહૂકમી સામે મોરચાબંધીનો પ્રયત્ન થઈ રહ્યો છે.

સ્પષ્ટ છે કે જે પાર્ટીમાં સંગઠન સર્વોપરી હોય, તેને મોદીની  પાર્ટીથી મોટા થવાની કોશિશ અનુકૂળ આવશે નહીં. આવી જ કોશિશમાં ભાજપે પહેલા ઉમા ભારતીને બે વખત પાર્ટીમાંથી બરખાસ્ત કર્યા હતા. જો કે અત્યારે ઉમા ભારતી નીચું માથું કરીને પાર્ટીમાં પાછા ફર્યા છે. તો કલ્યાણસિંહ જેવાં રામજન્મભૂમિ આંદોલનના
હીરો રહેલા વરિષ્ઠ નેતાને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તો વાજપેયી સામે મુખૌટા જેવો શબ્દપ્રયોગ કરવાના મામલે 1996માં અસરકારક સંગઠન મંત્રી ગણાતા અને સોશ્યલ એન્જિનિયરીંગના મહારથી ગણાતા ગોવિંદાચાર્યને પણ બહાર કરવામાં  આવ્યા હતા. એટલે કે ભાજપમાં મોદીથી પહેલા પાર્ટીએ કોઈની પણ ગેરશિસ્ત સહન કરી નથી. પરંતુ રાષ્ટ્રીય કારોબારીમાં પાર્ટી વિથ ધ ડિફરન્સ પર સવાલ ઉઠવાના ચાલુ થઈ ગયા છે કે તે પણ દેશની અન્ય રાજકીય પાર્ટીઓના રસ્તે જ આગળ વધી રહી છે?

જો કે અત્રે સવાલ અડવાણીના બ્લોગ અને કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાના તંત્રીલેખમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સંદર્ભે પણ ઉઠી રહ્યા છે. પ્રશ્ન એ છે કે જો તંત્રીલેખમાં પાર્ટીની ગેરશિસ્ત અને બ્લોગમાં ખુદની ફરીયાદોની વાત લખી શકાય છે, તો પછી પાર્ટીની અંદર આ મુદ્દાઓ પર ચર્ચા કેમ થતી નથી? જમીની સ્તરે શિસ્ત લાગુ કરવામાં અધ્યક્ષ ગડકરી મોદી જેવા વ્યક્તિત્વના પ્રભાવમાં કાચા શા માટે પડે છે

No comments:

Post a Comment