Thursday, June 21, 2012

એનડીએ તૂટી જશે?:'હિંદુત્વવાદી' મોદીની ઈમેજ પર નીતીશ કુમારનું રાજકારણ

-આનંદ શુક્લ

એનડીએમાં હાલની રાષ્ટ્રપતિપદની ચૂંટણીના ઉમેદવારની ચર્ચા ઓછી અને 2014ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવારની ચર્ચા વધારે થઈ રહી છે. ગુજરાતમાં 2012ના આખરમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. ગુજરાતમાં હાલની પરિસ્થિતિ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને અન્ય અસંતુષ્ટોની વિરોધમાં સક્રિય થયેલી રાજકીય ધરીથી નરેન્દ્ર મોદી માટે ગત વિધાનસભા ચૂંટણીઓ જેવી સરળ પરિસ્થિતિ નથી. કેશુભાઈ પટેલના ગઢ રાજકોટની કારોબારીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્ઞાતિવાદી રાજકારણ પર નિશાન સાધવા માટે નીતીશ કુમારના બિહાર પર ટીપ્પણી કરી હતી. નરેન્દ્ર મોદીએ કેશુભાઈ અને અન્ય અસંતુષ્ટો દ્વારા ચલાવવામાં આવતા પટેલ અને અન્ય જ્ઞાતિઓના સંમેલનો પર નિશાન સાધવા બિહાર અને યૂપીના જાતિવાદી રાજકારણનો દાખલો આપીને તેને તેમની દુર્દશા માટે જવાબદાર ઠેરવ્યા હતા.

પરંતુ તેના કારણે ત્રણ વર્ષ પહેલા અંગારા નીચે ધરબાયેલી મોદી વિરોધી આગ બિહાર ખાતેથી ફરીથી ભભૂકી ઉઠી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને છેલ્લા કેટલાંક સમયથી નિવેદનો આપવાના શરૂ કર્યા છે. તેમણે કહ્યુ છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર સેક્યુલર છબીવાળા વ્યક્તિ હોવા જોઈએ. નીતીશ કુમારની પાર્ટી જેડી-યૂ સેક્યુલર છબીવાળા વડાપ્રધાનપદના ઉમેદવાર સંદર્ભે કોઈપણ જાતની સમજૂતી કરવા માટે તૈયાર નથી. તેના માટે તેઓ 1997થી ભાજપ સાથેના પોતાના ગઠબંધનનું બલિદાન આપવા માટે પણ તૈયાર છે. જેડીયૂના પ્રવક્તા શિવાનંદ તિવારીએ કહ્યુ છે કે બિહારની સરકાર સત્તામાં રહે કે ન રહે, પરંતુ ધર્મનિરપેક્ષતાના મુદ્દે તેમની પાર્ટી કોઈ સમજૂતી કરશે નહીં.

ભાજપમાં મુંબઈ ખાતેની રાષ્ટ્રીય કારોબારીમાં ઘટેલા રાજકીય ઘટનાક્રમ પરથી એવો સંદેશ જાય છે કે પાર્ટીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ કરવાનું મન બનાવી લીધું છે. જો કે સંજય જોશી પ્રકરણ બાદ ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે મુખપત્ર કમલ સંદેશના તંત્રીલેખમાં મોદીનું નામ લીધા વગર ટીકા કરવામાં આવી. પાંચજન્યમાં સંઘના વરિષ્ઠ વિચારક દેવેન્દ્ર સ્વરૂપે મોદીની સંગઠનાત્મક ક્ષમતા પર સવાલ ઉભા કર્યા. ત્યારે બિહારમાંથી પણ એક અવાજ ઉઠયો હતો કે પાર્ટીને કોઈ હાઈજેક કરી શકે નહીં. આ અવાજ હતો બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીનો. ભાજપમાં પ્રદેશ સ્તરથી માંડીને રાષ્ટ્રીય સ્તરે મોદી તરફી અને મોદી વિરોધી જૂથ હોવાનું કોઈનાથી હવે છુપું નથી. મોદી તરફી જૂથ મોદીને કોઈપણ ભોગે વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરાવવા માટે તત્પર છે. જ્યારે મોદી વિરોધી જૂથ મોદીના 2002ના ગુજરાત રમખાણોના કલંકિત ઈતિહાસ પૃષ્ઠને આગળ કરીને તેમના રાજકીય ઈરાદાઓ ધરાશાયી કરવાનો પ્રયત્ન કરે છે.

એનડીએમાં જેડીયૂના નીતીશ કુમાર સાથે ભાજપના મોદી વિરોધી જૂથને ખાસો ધરોબો છે. નીતીશ કુમારે તાજેતરમાં ઈકોનોમિક ટાઈમ્સ અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર સેક્યુલર છબીવાળા હોવા જોઈએ. આ મુલાકાતમાં નીતીશ કુમારે મોદીનું નામ તો લીધુ નથી. પરંતુ સમીક્ષકોના માનવા પ્રમાણે, નિવેદન નરેન્દ્ર મોદીને ભાજપમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ચાલી રહેલી રાજકીય ઉઠાપઠક અને કવાયત સામે છે. નીતીશ કુમારને નરેન્દ્ર મોદીના વિરોધી ગણવામાં આવે છે. નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનવાની સૌથી મોટી રાજકીય અડચણ પણ નીતીશ કુમારને ગણવામાં આવે છે. કોસી નદીમાં આવેલા વિનાશક પૂર વખતે ગુજરાત સરકારે બિહારને પાંચ કરોડ રૂપિયાની મદદ કરી હતી. બિહારમાં રાષ્ટ્રીય કારોબારી વખતે મોદીની મુલાકાતના ટાણે અખબારોમાં આની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોદી અને નીતીશ કુમારની સાથે તસવીર પણ પ્રકાશિત કરવામાં આવી હતી. પરંતુ બિહારમાં ટાંકણે વિધાનસભાની ચૂંટણીઓ હોવાને કારણે નીતીશ કુમાર મુસ્લિમ વોટબેંકને લઈને ખાસા સતર્ક હતા. તેમણે તાત્કાલિક મોદી સરકારને બિહારને આપવામાં આવેલી પાંચ કરોડ રૂપિયાની મદદ પાછી આપી. ભાજપની કારોબારીમાં આવેલા નેતાઓ માટેનો રાત્રિભોજનનો કાર્યક્રમ પણ રદ્દ કર્યો. જેને નરેન્દ્ર મોદીની હાજરી સાથે જોડીને જોવામાં આવ્યો.

બિહારની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર ચૂંટણી પ્રચારક નરેન્દ્ર મોદીને દૂર રાખવામાં આવ્યા. જેનું સીધું કારણ નરેન્દ્ર મોદી માટે નીતીશ કુમારનો અણગમો હતો. જો કે જાણકારોના માનવા પ્રમાણે, મોદી અને નીતીશ વચ્ચેના સંબંધો 2010 બાદ જ બગડયા. વાજપેયી સરકારમાં 2002ના ગુજરાત રમખાણો બાદ પણ કેન્દ્રીય મંત્રી તરીકે નીતીશ કુમારે ઘણી વખત રાજ્યની મુલાકાત લીધી છે અને મોદી સાથે મંચ પર પણ બેઠા છે. સમીક્ષકો પ્રમાણે, મોદીનું હિંદુત્વ અને નીતીશ કુમારનો સેક્યુલરવાદ બંને તકવાદી છે. મોદીને જ્યાં સુધી હિંદુત્વની મદદથી ગુજરાતની ગાદી પર બેસવામાં મદદ મળતી હતી, ત્યાં સુધી તેના એજન્ડાને આગલ વધાર્યા. જ્યારે તેમને વડાપ્રધાનપદે પહોંચવાની રાજકીય મહત્વાકાંક્ષામાં હિંદુત્વ અડચણ લાગવા લાગ્યું, તો તેમણે સદભાવના મિશન હેઠળ ઉપવાસો કર્યા. પોતાની રાજકીય ઈમેજ બદલવા માટે પુરજોર કોશિશ કરી. જ્યારે નીતીશ કુમારે ગુજરાત રમખાણો બાદ મોદી સરકારને બરખાસ્ત નહીં કરવાના મુદ્દે વાજપેયીની સરકારના મંત્રીપદનું બલિદાન આપ્યું ન હતું. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે 2002ની ઘટનાઓ બાદ પણ મંચ ઘણી વખત બેઠાં છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના 16 ટકા મુસ્લિમ મતોને નરેન્દ્ર મોદીની કથિત મુસ્લિમ વિરોધી છબીને કારણ બનાવીને પોતાના તરફ ખેંચવાની કોશિશ કરી.

નીતીશ કુમારના મોદી સામેના મનાતા નિવેદન મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જવાબ આપ્યો છે. મોહન ભાગવતે કહ્યુ છે કે કોઈ હિંદુત્વવાદી ભારતના વડાપ્રધાન કેમ બની શકે નહીં? જો કે તેમણે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ સ્પષ્ટ થઈ ગયું છે કે મોદીની દાવેદારીના ટેકામાં સંઘ ખુલીને સામે આવી ગયો છે. ભાજપે પણ સંઘના સૂરમાં સૂર મિલાવતા જેડીયૂ પર હુમલો કરતા કહ્યું છે કે પાર્ટીને કોના સર્ટિફિકેટની જરૂરત નથી. અહીં મુદ્દો છે કે ભારતમાં 82 ટકા હિંદુ વસ્તી છે. હિંદુત્વ ભારતની જીવન પદ્ધતિ છે. આ તથ્યને સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે. ભારતની ધર્મપરાયણ પ્રજાને ધર્મનિરપેક્ષ બનાવવી હકીકતમાં પાપ છે. ધર્મ ભારતના અસ્તિત્વની મુખ્ય ધરી છે. ભારતમાં સંપ્રદાય-પંથ નિરપેક્ષતા આવે તે જરૂરી છે. પરંતુ ભારત ધર્મનિરપેક્ષ બની શકે નહીં. હિંદુત્વ જીવન પદ્ધતિ હોવાને કારણે આપમેળે જ તે સેક્યુલર છે. ત્યારે દેશમાં મુસ્લિમ રાષ્ટ્રપતિ બનાવવા માટે રાજકીય પાર્ટીના નેતાઓ ઉંબાડિયા કરતા રહે છે. પરંતુ હિંદુત્વના નામ પર દેશના વડાપ્રધાન બનવા જોઈએ નહીં તેમ કહેનારા નેતાઓની અહીં ભરમાર છે. દેશમાં મુસ્લિમ રાષ્ટ્રપતિ બને, સેનાધ્યક્ષ બને, મુખ્ય ન્યાયાધીશ બને, અરે વડાપ્રધાન બનવાનું વ્યક્તિત્વ ધરાવનારો મુસ્લિમ વડાપ્રધાન બને તો પણ કોઈને વાંધો નથી. તો હિંદુત્વવાદી વ્યક્તિના વડાપ્રધાન બનવા બાબતે વાંધો શા માટે ઉઠાવવામાં આવે છે?

જો કે સમગ્ર રાજકીય ઘટનાક્રમનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે નીતીશ કુમાર હાલ ભલે વડાપ્રધાનપદની દાવેદારી રજૂ કરતા ન હોય. પરંતુ તેમની ધરબાયેલી રાજકીય મહત્વકાંક્ષા જોર મારી રહી છે. ગુજરાત રમખાણો બાદ રાજ્યમાં મોદીના શાસન નીચે વિકાસ યાત્રા થઈ. કેટલાંક સર્વેમાં ગુજરાતના વિકાસને અવ્વલ દરજ્જાનો ગણાવવામાં આવ્યો. મોદી વિરોધીઓએ ગુજરાત રમખાણોની ચર્ચા કરી અને મોદીએ વિકાસના કામો કર્યા હોવાની છાપ પણ હાલ પ્રવર્તી રહી છે. બિહારના મુખ્યમંત્રી બનતા પહેલા નીતીશ કુમારે મોદી સંદર્ભેના કેટલાંક ભ્રમ દૂર કરી દીધા. મોદી વગર ભાજપ માટે ચૂંટણીમાં સારો દેખાવ કરવો શક્ય નથી. નીતીશ કુમારે બિહાર વિધાનસભાની ગત ચૂંટણીમાં મોદીને પ્રચાર અભિયાનથી દૂર રખાવ્યા હતા. છતાં જેડીયૂ અને ભાજપનું ગઠબંધન ત્રણ ચતુર્થાંસ બહુમતીથી સત્તામાં આવ્યું. મુસ્લિમ મતો મોદીના કારણે ભાજપથી દૂર થાય છે, તેવી માન્યતાને દ્રઢીભૂત કરી. કારણ કે મોદીના નહીં આવવાથી ભાજપ-જેડીયૂ ગઠબંધનને મુસ્લિમોએ ખોબલેને ખોબલે મત આપ્યા.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કથિત હિંદુત્વવાદી છાપને નીતીશ કુમારે પોતાની રાજનીતિનો મહત્વનો ભાગ બનાવ્યો. મોદીને પોતાની વડાપ્રધાન બનવાની રાજકીય મહત્વકાંક્ષામાં કટ્ટર ઈમેજ અડચણરૂપ લાગતા તેમણે પણ હિંદુત્વની કાંચળી ઉતારવાની શરૂઆત કરી. દરેક ઠેકાણે ગુજરાતની વિકાસ યાત્રાની વાતો પુરજોર કરવા માંડી. ઈમેજ મેકઓવર માટે સુપ્રીમ કોર્ટની કથિત ક્લિનચીટવાળા ગુલમર્ગ કાંડ સંદર્ભેના ઓર્ડર બાદ સદભાવના મિશન શરૂ કર્યું. તેના હેઠળ તેમણે કુલ 33 જગ્યાએ 36 ઉપવાસો કર્યા. આ સમગ્ર તામજામમાં 200 કરોડનો ખર્ચો થયો. પરંતુ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા મોદીને હિંદુત્વવાદી નેતા ગણાવતું તેમના નામ લીધા વગરનું નિવેદન ઘણી મોટી અસર પેદા કરશે. સંઘ જેને હિંદુત્વવાદી ગણતું હશે,તેને રાજકીય પક્ષો કેવી રીતે સેક્યુલર ગણશે? એટલે ચર્ચા એવી પણ છે કે મોહન ભાગવતે મોદીને કોથળામાં પાંચશેરી મારીને એનડીએના ગઠબંધનમાં તેમની વડાપ્રધાનપદની ઉમેદવારીને હાલ બ્રેક મારી દીધી છે.

હાલની પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીને ભાજપમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાની પ્રવૃતિ સામે એનડીએના ભાજપ પછીના સૌથી મોટા પક્ષ જેડીયૂના વાંધા બાદ તિરાડ વધુ પહોળી બની છે. રાજકીય વિશ્લેષકોના મતે મોદીને આગળ કરવાથી 2014 પહેલા એનડીએ તૂટી જશે. મોદીના હિંદુત્વવાદી ચહેરાથી એનડીએમાં ભાજપ બાદ શિવસેના સિવાયના તમામ પક્ષોને કોઈને કોઈ વાંધો છે. આવી પ્રવાહી પરિસ્થિતિમાં હિંદુત્વવાદી નરેન્દ્ર મોદીને 2014ની વડાપ્રધાનપદની ઉમેદવારી કરાવવા માટે ભાજપે એનડીએનું વિસર્જન કરીને હિંદુત્વવાદી એજન્ડા પર પાછા ફરવું પડે તેમ છે. રામજન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવી અને સમાન નાગરિક ધારાનો અમલ જેવા મુદ્દાઓ ફરીથી જીવિત કરવા પડે. આ મુદ્દાઓ દોઢ દશકથી કોમન મિનિમમ પ્રોગ્રામના નામે કોલ્ડ બોક્ષમાં મૂકી દેવામાં આવ્યા છે. બીજી તરફ સંઘ પરિવારના વિશ્વ હિંદુ પરિષદ જેવા સંગઠનના કેટલાંક વરિષ્ઠ નેતાઓનો મોદી સામેનો અણગમો જગજાહેર છે. વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયા અને નરેન્દ્ર મોદી વચ્ચેનો ગજગ્રાહ પણ ઘણો મોટો છે. વળી પ્રખર હિંદુત્વવાદી સંગઠન મોદી દ્વારા ગાંધીનગરમાં તોડવામાં આવેલા 250થી વધારે મંદિરોના મુદ્દે નારાજ છે. વિશ્વ હિંદુ પરિષદના તત્કાલિન અધ્યક્ષ અશોક સિંઘલે મોદીની સરખામણી મહંમદ ગઝની સાથે કરી હતી.

આવા સંજોગોમાં મોદીની હિંદુત્વવાદી છબી દુનિયામાં યથાવત છે, પરંતુ સંઘપરિવારમાં તેને ગ્રહણ લાગેલું છે. ગુજરાતના વિચારપત્ર નિરીક્ષકના એક અંકમાં જાણીતા મુસ્લિમ ઈતિહાસકારે મોદી સાથે થયેલી ખાનગી વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ છે કે મોદીએ તેમને જણાવ્યુ કે તેમણે મોટીસંખ્યામાં હિંદુ મંદિરો તોડયા હોવા છતાં તેમને હિંદુત્વવાદી ગણવામાં આવે છે. (શબ્દશ વાત યાદ નથી, બાકી જે વાત હતી તેનો મર્મ આવો કંઈક હતો) આનો અર્થ એ થયો કે મોદી પોતાની હિંદુત્વવાદી છબી તોડવા માટે ખૂબ ધમપછાડા કરી રહ્યા છે. પરંતુ 2002ની ગુજરાત રમખાણોની ઘટનામાં તેમની ઉભી થયેલી ઈમેજ વધારે ગાઢ સાબિત થઈ છે. આવા સંજોગોમાં મોદીની વડાપ્રધાનપદ માટેની એનડીએમાં દાવેદારીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની રાજનીતિથી ગ્રહણ લાગી રહ્યું છે.


1 comment:

  1. gujarat nee jamino indusriese ne vechee bhandol R.S.S. tatha B.J.P. ne aapyu ane have vadapradhan tenaa dama par thavu che pana te tarrkik reete kyaarey shakay nahee ja ban emitesh shukla nee garanty

    ReplyDelete