Thursday, June 7, 2012

ધર્મનિરેપક્ષ ભારતની સરકારનું કોમવાદી પગલું!


-આનંદ શુક્લ
સચ્ચર કમિટીની એક મહત્વપૂર્ણ ભલામણ સ્વીકારતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારોમાં ઓછામાં ઓછો એક મુસ્લિમ પોલીસ અધિકારી તહેનાત કરવા માટે તાકીદ કરી છે. કેન્દ્રીય ગૃહ સચિવે દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવો પાસે જૂનના આખર સુધીમાં સ્થિતિ અહેવાલ રજૂ કરવા માટે જણાવ્યું છે.

9 માર્ચ, 2005માં કેન્દ્ર સરકાર દ્વારા જસ્ટિસ રાજિન્દર સચ્ચરના અધ્યક્ષ પદે રચાયેલી સચ્ચર કમિટીને દેશના મુસ્લિમ સમુદાયની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક સ્થિતિની હકીકતો જાણવાની કામગીરી સોંપવામાં આવી હતી. જસ્ટિસ સચ્ચરે દેશની ત્રણેય સેનાઓ અને ન્યાયતંત્ર સહીત તમામ સ્તરે મુસ્લિમોની ગણતરી કરી હતી. જેના કારણે તે સમયે મોટો વિવાદ થયો હતો. સચ્ચર સમિતિ પહેલા દેશના ન્યાયતંત્ર અને ત્રણેય સૈન્ય પાંખમાં કામ કરનારા વ્યક્તિઓનો વિચાર હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ અથવા અન્ય કોઈ ધર્મના અનુયાયી તરીકે થયો ન હતો. જેના કારણે ભાજપ અને સંઘપરિવારે સચ્ચર સમિતિને દેશમાં ભાગલાવાદી પ્રવૃતિઓને વધારનારો ગણાવ્યો હતો. તેમણે કોંગ્રેસની આગેવાની નીચેની યુપીએ સરકાર પર મુસ્લિમ વોટબેંકની રાજનીતિ ખેલવાનો આરોપ લગાવ્યો હતો.

સચ્ચર સમિતિની ભલામણોને આધારે વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના પ્રથમ કાર્યકાળમાં 15 સૂત્રીય કાર્યક્રમની જાહેરાત કરી હતી. તે પ્રસંગે તેમણે આ દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો હોવાનું પણ વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. સચ્ચર સમિતિની ભલામણો યુપીએ સરકાર અલગ-અલગ રસ્તાઓથી ધીમે ધીમે લાગુ કરી રહી છે. યૂપી ઈલેક્શન પહેલા કેન્દ્ર સરકારે લઘુમતીઓ માટે ઓબીસી ક્વોટામાં 4.5 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. યૂપી ઈલેક્શનમાં પ્રચાર અભિયાન દરમિયાન કેન્દ્રીય કાયદા પ્રધાન સલમાન ખુર્શિદે રાજ્યમાં કોંગ્રેસના સત્તામાં આવ્યા બાદ લઘુમતી અનામત 9 ટકા કરવાની જાહેરાત કરી હતી.
લઘુમતી અનામતથી શરૂ થયેલી લઘુમતી વોટબેંકની રાજનીતિ હવે ઘણી આગળ નીકળી રહી છે. મુસ્લિમ વિસ્તારોમાં ઓછામાં ઓછા એક મુસ્લિમ અધિકારીની તહેનાતી કરવાની કેન્દ્ર સરકારની ભલામણ ખરેખર ભારતના ધર્મનિરપેક્ષ કલેવર માટે મોટી શરમ છે. આઝાદીના 65 વર્ષે પણ ભારતનું સ્વરૂપ સાચા અર્થમાં ધર્મનિરપેક્ષ થઈ શક્યું નથી. આ દેશનું વ્યવસ્થા-તંત્ર ધર્મનિરપેક્ષ થઈ શક્યું નથી. દેશની વ્યવસ્થાને ધર્મનિરપેક્ષ બનાવવાના સ્થાને તેને ચોક્કસ ધર્માંવલંબી બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી મુસ્લિમ વિસ્તારોમાં ઓછામાં ઓછા એક મુસ્લિમ પોલીસ અધિકારીની તહેનાતીની તાકીદનો અર્થ ઘણો ભયાનક છે. આ સમગ્ર બાબત દેશની ધર્મનિરપેક્ષ લોકશાહી માટે જોખમરૂપ છે. આ દેશમાં ધર્મના આધારે હિંદુઓની બહુમતી છે. પરંતુ આજ સુધી કોઈ 100 ટકા હિંદુ વિસ્તારમાં કોઈ મુસ્લિમ અધિકારી ન હોવો જોઈએ તેવી માગણી કરવામાં આવી છે? શું 100 ટકા હિંદુ વિસ્તારોમાં મુસ્લિમ પોલીસ અધિકારીઓ અને કલેક્ટરો તહેનાત કરવામાં આવતા નથી?

ઉદાહરણ તરીકે આવી કોઈ માગણી ઉઠી હોત તો દેશમાં સેક્યુલર કાગડાંઓની કાગારોળ મચી હોત. હિંદુ વિસ્તારમાંથી મુસ્લિમ પોલીસ અધિકારીને  ખસેડવાની માગણીને કોમવાદી ગણવામાં આવી હોત. ત્યારે પ્રશ્ન એ છે કે મુસ્લિમ વિસ્તારમાં ઓછામાં ઓછો એક મુસ્લિમ પોલીસ અધિકારી તહેનાત કરવાની સરકારની તાકીદ કોમવાદી નથી? જ્યારે કોમી રમખાણો કે તેવી અન્ય પરિસ્થિતિ ઉભી થશે ત્યારે આગળ જતાં સરકાર પર સેનાને પણ ધર્મના આધારે તહેનાત કરવાની માગણી પણ કરવામાં આવે તો હવે નવાઈ પામવા જેવું નથી.

સચ્ચર કમિટીની ભલામણોને વ્યાપકતાથી વિચારીએ તો જમ્મુ-કાશ્મીર, પંજાબ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય જેવા બિનહિંદુઓની બહુમતીવાળા રાજ્યોમાં હિંદુ વિસ્તારોમાં ઓછામાં ઓછા એક હિંદુ પોલીસ અધિકારીની તહેનાતી કરવામાં આવશે? કેરળમાં 23 ટકા મુસ્લિમ 21 ટકા ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ છે, તો આ રાજ્યમાં હિંદુ બહુલ વિસ્તારો માટે પણ કોઈ વિશેષ જોગવાઈ કરવામાં આવશે?

આ દેશનું બંધારણ કોઈ ધર્મનો વિરોધ કે કોઈ ધર્મની તરફેણ કરતું નથી. આ દેશે બંધારણ દ્વારા પોતાનો કોઈ ધર્મ નહીં હોવાનું જાહેર કર્યું છે. તો આઝાદીના 65 વર્ષે આ દેશમાં વ્યવસ્થાનું તંત્ર ધર્મથી પર થઈને કામ કરે તેવું કેમ થઈ શક્યું નથી? ધર્મનિરપેક્ષ બંધારણની નીચે હંમેશા દેશમાં ધર્મનું વોટબેંક પોલિટિક્સ ખેલાયું છે. કોઈ પક્ષે લઘુમતી સમુદાયોના નામે રાજકારણ ખેલ્યું, તો કોઈ પક્ષે બહુમતી સમુદાયના નામે. તેમાં પણ 1984ના દિલ્હીના શીખ વિરોધી રમખાણો, 1989ના ભાગલપુરના હુલ્લડો, 1992 અને 2002ના કોમી હૂતાસણોમાં બનેલી ઘટનાઓ આપણને અવશ્ય વિચારતા કરી શકે કે જેમને રાજધર્મ નિભાવવાનો હતો, તેઓ તેમાં નિષ્ફળ ગયા છે.

શાસકની પહેલી ફરજ છે પોતાની તાબેદારી હેઠળના તમામ લોકોને કોઈપણ ભોગે સુરક્ષા ઉપલબ્ધ કરાવે. પરંતુ કેટલાંક કિસ્સાઓમાં એવું માનવાને કારણ છે કે વ્યવસ્થા-તંત્રના કેટલાંક લોકોએ ધર્મના આધારે પક્ષપાત કર્યો હોય તેવી શક્યતા રહેલી છે. પરંતુ તેના કારણે ધર્મનિરપેક્ષ વ્યવસ્થાતંત્રમાં જે લોકો પોતાની ફરજની બજવણી પૂર્ણ નિષ્ઠાથી કરી રહ્યા છે, તેમની નિષ્ઠા પર કેન્દ્ર સરકાર શા માટે શંકા પેદા કરી રહી છે? તેના કરતા તો એ કરવું સારું હોત કે વ્યવસ્થાતંત્રમાં કામ કરનારા જે લોકોએ પોતાની ફરજની યોગ્ય બજવણી કરી નથી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. 

No comments:

Post a Comment