શનિવાર, 12 જુલાઈ, 2014

વિવાદ: ગાંધી હત્યામાં RSS પર આરોપ લગાવી રાહુલ ગાંધી ફસાયા

આનંદ શુક્લ

ભારતની આઝાદીમાં મોટું યોગદાન આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા 67 વર્ષ બાદ પણ રાજકીય મુદ્દો બને છે. લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની હત્યાનો મુદ્દો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો. આ સંદર્ભે તેમણે આરએસએસના લોકો પર ગંભીર આરોપ લગાવ્યો હતો. હવે મહારાષ્ટ્રના ભિવંડીની કોર્ટે રાહુલ ગાંધીને 7 ઓક્ટોબર સુધીમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

મહાત્મા ગાંધી.. ગુજરાતના પનોતા પુત્ર અને આઝાદ ભારતના રાષ્ટ્રપિતા... જનતા પર એક અમીટ છાપ ધરાવે છે. ગાંધીજીનું મહાત્માપણું આજે પણ જનતાના દિલમાં રાજ કરી રહ્યું છે. પરંતુ તેમની સાથે રાજકીય રીતે અસંમત નાથુરામ ગોડસે અને તેના સાથીદારોએ તેમની હત્યા કરી નાખી હતી. ગાંધીજીની હત્યા બાદ સાવરકર સહીત ઘણાં નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તો સરદાર પટેલે ગૃહમંત્રી તરીકે આરએસએસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ કોર્ટે નાથુરામ ગોડસે અને તેના એક સાથીદારને ફાંસીની સજા સંભળાવી હતી. જ્યારે આ મામલામાં વિનાયક દામોદર સાવરકર અને આરએસએસને ક્લિનચીટ આપવામાં આવી હતી. પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આરએસએસના લોકો અને વિચારધારા પર ગાંધીજીની હત્યાનો સીધો આરોપ લગાવ્યો હતો.

ભિવંડીના આરએસએસના સચિવ રાજેશ કુંતે કોર્ટમાં રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરી કાર્યવાહીની માગણી કરી હતી. કોર્ટે હવે રાહુલ ગાંધીને 7 ઓક્ટોબર સુધીમાં ગાંધી હત્યા બાબતે સંઘ પર આપેલા નિવેદન સંદર્ભે કોર્ટમાં હાજર થવા સમન્સ જારી કર્યો છે. સંઘની દલીલ છે કે ગાંધી હત્યાના મામલામાં જવાબદારોને સજા અપાઈ છે. જ્યારે આરએસએસને આ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકારનો વિવાદ શા માટે?

આરએસએસએ કહ્યુ છે કે આ મામલો કોર્ટમાં છે. પરંતુ રાહુલ ગાંધીએ ઈતિહાસની ઘટનાઓમાંથી શીખ લેવી જોઈએ. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સીતારામ કેસરીને ગાંધી હત્યા મામલે આવી જ ટીપ્પણી બદલ કોર્ટમાં માફી માગવી પડી હતી.

ગાંધીજીની હત્યા દેશ માટે આઝાદી બાદ પહેલો કારમો આઘાત હતો. પરંતુ તે વખતની પરિસ્થિતિ અને લોકોની ઉશ્કેરાયેલી લાગણીઓના માહોલમાં કેટલાંક લોકો ગાંધીજીના વિરોધી બન્યા હતા. જેમાંથી નાથુરામ ગોડસે જેવા વ્યક્તિઓ ભારતની તત્કાલિન સમસ્યાઓ માટે ગાંધીજીને મોટું કારણ ગણતા હતા.

તેમણે ગાંધીજીની હત્યા કરી.. ઘટના ખૂબ જ દુખદ અને આઘાતજનક હતી. આજે પણ તેની અસર ભારતના લોકોના દિલમાં છે. પરંતુ કોર્ટ અને કમિશનો દ્વારા ગાંધી હત્યાના મામલે આરએસએસનો દોષમુક્ત જાહેર કરાયું હોય, તો પછી તેમના પર રાજકીય પ્રતિસ્પર્ધાથી પ્રેરીત થઈને આરોપ લગાવવો કેટલું યોગ્ય ગણાય? જો કે આનો નિર્ણય હવે કોર્ટ કરશે... પણ ભારતની બેજવાબદાર રાજકારણને જવાબદાર બનાવવા માટે રાજનેતાઓનું જવાબદાર બનવું ખૂબ જ જરૂરી છે.

રાજકીય એજન્ડા માટે ગડકરી નહીં, તો સંઘ માટે અમિત શાહ હી સહી

આનંદ શુક્લ

સંઘ પરિવારમાં  કોંગ્રેસના પોલિટિકલ મોડલને ખતમ કરીને ભાજપને માધ્યમ બનાવીને પોતાના આદર્શો પ્રમાણેની રાજનીતિ ઉભી કરવા માટેની મહત્વકાંક્ષા છે. જેના માટે રાજકીય ઈમાનદારી અને વફાદારી ઉભી કરવા અને કોઈને પણ રાજકીય નફો નહીં આપવાના નવા મોડલ સાથે ખામોશીથી કામ થઈ રહ્યું છે. જો કે તેના માટે પણ સંઘ પરિવારને માધ્યમ તરીકે ચોક્કસ વ્યક્તિઓની જરૂર હોય છે. સંઘ જે પ્રયોગને નીતિન ગડકરી દ્વાર અંજામ સુધી પહોંચાડવા માંગતો હતો.. હવે તેને અમિત શાહ સંઘની મહત્વકાંક્ષાઓની ક્ષિતિજ પર મોદીના માર્ગદર્શનમાં પહોંચાડશે.

ભૂતપૂર્વ પાર્ટી અધ્યક્ષ ગડકરી દિલ્હીના ન હતા. તેમને નાગપુરથી ભાજપને કેમોથેરપી આપવા મોકલાયા હતા. તેવી રીતે અમિત શાહ પણ દિલ્હીના નથી અને ભાજપના સમગ્ર દેશમાં કાયાકલ્પ માટેના મિશન સાથે અધ્યક્ષ બન્યા છે. ગડકરી કોઓપરેટિવથી કોર્પોરેટ સુધીને સમજનારા વેપારી પણ છે. અમિત શાહે પણ કેશુભાઈના શાસનકાળમાં નાણાંકીય કોર્પોરેશન દ્વારા રાજકારણને સાધ્યું. તેમના આ હુન્નરનો મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ખૂબ મોટો પ્રમાણમાં ઉપયોગ કર્યો. સંઘે પણ આ વાસ્તવિકતાને ઝીણવટથી પારખી છે.

મોદીની ભાજપના ઈતિહાસમાં મળેલી સૌથી મોટી જીતથી સંઘના મહત્વકાંક્ષી એજન્ડાઓને હાલ તો ઓક્સિજન મળ્યો છે. બાકી પહેલા દિલ્હીની રાજનીતિથીના કાદવમાંથી ભાજપને બહાર કાઢવા માટે સંઘે મોદીને હથિયાર જ બનાવ્યા હતા. પરંતુ જ્યારે મોદીને પ્રચંડ જનાદેશ મળ્યો.. તો સંઘ પરિવારમાં મંથન ચાલ્યું કે દિલ્હીની સત્તા મળી શકે .. તો દરેક રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સરકાર કેમ બનાવી શકે નહીં?

પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં પણ પ્રભાવ વધારવાનો વિચાર સંઘની અંદર હવે જાગી ચુક્યો છે. સંઘનું માનવું છે કે કલમ-370 અને કાશ્મીરી પંડિતોના પુનર્વાસનો મુદ્દો સામાજિક રીતે ઉઠાવતા પહેલા રાજકીય સ્તરે ઉઠાવવો જરૂરી છે. તેવી જ રીતે કમ્યુનિસ્ટ વિચારધારાના ખાત્મા બાદ મમતા બેનર્જીના રાજકારણને મુસ્લિમ તુષ્ટિકરણ સાથે જોડવાની જરૂર છે. તેના દ્વારા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજકીય પ્રભાવને ઘટાડી પણ શકાય છે. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરની છ લોકસભા બેઠકમાંથી ત્રણ પર ભાજપને જીત મળી છે અને પશ્ચિમ બંગાળમાં સારા પ્રમાણમાં મત પણ મળ્યા છે.

કેન્દ્રની સત્તા ભાજપને મળે તેના માટે સંઘ પરિવાર ખૂબ જ અધીરો બન્યો હતો. સંઘે મનમોહન સરકારના કાર્યકાળમાં પોતાના અસ્તિત્વ સામે મોટું જોખમ આવતું દેખાયું હતું. જ્યારે સરસંઘચાલકથી લઈને ઈન્દ્રેશ કુમાર સહીત ડઝનબંધ શીર્ષસ્થ પદાધિકારીઓની આસપાસ આતંકના નામે ઉભી થયેલી આરોપોની જાળ ગુંથાઈ હતી. તેથી લોઢું લોઢાને કાપેના અંદાજથી મોદી અને તેમની સાથે અમિત શાહને ભાજપમાં શીર્ષસ્થ સ્તરે આગળ વધારવા માટે સંઘની મદદથી ખુલ્લુ મેદાન આપવામાં આવ્યું. કંઈક આ જ અંદાજમાં સંઘ હવે રાજકીય શુદ્ધિકરણનું મિશન આગળ વધારી રહ્યો છે. તેની એક બાજી પર મોદી સર્વેસર્વા છે... તો બીજી તરફ મોદીના વજીર અમિત શાહ સુપ્રીમો છે. 


અમિત શાહ: ખામોશીથી કાર્યવાહીની શૈલી ધરાવતા ભાજપના નવા અધ્યક્ષ

આનંદ શુક્લ

9 જુલાઈ-2014ના રોજ ભાજપની જીતના ચાણક્ય અને સૌથી અસરકારક વ્યૂહરચનાકાર અમિત શાહ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. પરંતુ દિલ્હી ખાતેના ભાજપ મુખ્યાલયમાં અમિત શાહ મહદ અંશે ખામોશ રહ્યા. દોઢ વર્ષ પહેલા 23 જાન્યુઆરી-2014ને યાદ કરીએ તો જશ્નના માહોલમાં રાજનાથસિંહની અધ્યક્ષ પદે તાજપોશી થઈ હતી. ભાજપમાં પરંપરા છે કે અધ્યક્ષ બન્યા બાદ તુરંત કાયકર્તાઓને મીડિયા દ્વારા દરેક અધ્યક્ષ સંબોધિત કરે છે. પરંતુ અમિત શાહે અમદાવાદ આવીને પોતાના સ્વાગત કાર્યક્રમમાં પોતાની વાત રજૂ કરી.

અમિત શાહનો આત્મવિશ્વાસ અને લક્ષ્ય માટેની લગન તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે આસિન કરી શકી છે. જાણકારો પ્રમાણે, અમિત શાહની ખામોશી તેમની વ્યૂહરચનાકાર તરીકેની કાર્યશૈલીનું સૌથી મોટું હથિયાર છે. તેઓ યોગ્ય સમયે યોગ્ય વિષય પર બોલવા માટે ખૂબ પંકાયેલા છે. અમિત શાહ બોલે છે, તેના કરતા સંગઠન માટે જે જરૂરી હોય તે ખામોશીથી કરી નાખે છે. યૂપીના ભાજપ પ્રભારી તરીકે અમિત શાહે આ વાત પ્રસ્થાપિત પણ કરી છે. ભારતના દરેક રાજ્યોમાં લોકસભાની જ્વલંત જીતનું પુનરાવર્તન કરીને ભાજપના કાયાકલ્પનું મિશન અમિત શાહને સોંપવામાં આવ્યું છે.

ભાજપના સંગઠનમાં રાજ્ય સ્તરે નવસંચાર માટે અમિત શાહનો પહેલો રાજકીય મંત્ર મોટાભાગના રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલવાની કવાયત બની રહેવાની શક્યતા છે. એટલું જ નહીં.. નરેન્દ્ર મોદીના ખાસમખાસ સેનાતપિત અમિત શાહના અધ્યક્ષ બન્યા બાદ ભાજપ મુખ્યમથકના નાના-નાના ઓરડામાં કબજો જમાવીને બેઠેલા કેટલાંય નેતાઓની ખુરશીના પાયા પણ હચમચશે.

સંઘના નેતાઓ અને અમિત શાહ વચ્ચે તેમની અધ્યક્ષ પદે નિયુક્તિ પહેલા ઘણી મહત્વની બેઠક થઈ છે. માનવામાં આવે છે કે સંઘના ત્રણ મંત્રો આગામી સમયમાં ભાજપમાં જોવા મળશે. પહેલું..દરેક રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે. જેમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદૂનો સમાવેશ થાય તો નવાઈ નથી. બીજું...સંઘની શાખાઓ સાથે સંબંધિત અથવા એબીવીપી દ્વારા રાજકારણમાં પ્રવેશનારાઓને નંબર-1 અને નંબર-2 માટે મહત્વ આપવામાં આવશે. આમાથી પ્રદેશ પ્રમુખ પસંદ થાય તેવી શક્યતાઓ રહેશે. ત્રીજું.. ગઠબંધનના રાજકારણ હેઠળ ભાજપને સત્તામાં લાવવાના સપના પિરસતા નેતાઓને હાંસિયામાં ફેકી દેવા.

17 વર્ષ સુધી એનડીએ ગઠબંધનનો યુગ ચાલ્યો. ત્યારે સંઘ પરિવારમાં મંથન ચાલ્યું કે રાજકીય પ્રચાર દ્વારા સંઘનો સ્વયંસેવક ભાજપ માટે રાજકીય જમીન તૈયાર કરે છે.. પરંતુ તેનો લાભ ગઠબંધનના પક્ષોને શા માટે મળવો જોઈએ? તેથી 2014ની લોકસભાની ચૂંટણીમાં સંઘ અને મોદી-અમિત શાહનું લક્ષ્ય ભાજપને પોતાના દમ પર સત્તાએ પહોંચાડવાનું હતું. હવે અધ્યક્ષ તરીકે અમિત શાહ ભાજપને મહારાષ્ટ્ર.. હરિયાણા અને ઝારખંડમાં પોતાના દમ જીત મળે તેવા લક્ષ્ય સાથે કામ કરશે.


પરંતુ આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીવાળા ત્રણેય રાજ્યોમાં લોકસભા ચૂંટણી જેવી જીત દોહરાવવાના અમિત શાહના મિશનમાં ત્રણ અડચણો પણ છે. .એક.. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ પાસે એવો કોઈ નેતા નથી કે જેની પાછળ આખી પાર્ટી ચાલવા તૈયાર હોય. બીજું... ત્રણેય રાજ્યોમાં ભાજપના કાર્યકર્તાઓ પોતાના નેતાઓને લઈને જૂથબંધીનો ભોગ બન્યા છે. ત્રીજુ.. ભાજપ વંશવાદનો વિરોધ કરે છે.. પરંતુ તેના સાથીપક્ષો વંશવાદમાં ગળાડૂબ છે. 

કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં રાષ્ટ્રીય સ્તરે મોદીનું પોલિટિકલ મોડલ લાગુ થયું

આનંદ શુક્લ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગવું પોલિટિકલ મોડલ છે. આ પોલિટિકલ મોડલનો અનુભવ ગુજરાતના ભાજપના સંગઠન અને સરકારી તંત્ર-રાજકીય વર્તુળોને 13 વર્ષથી થયો છે. આ મોદી મોડલ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં પણ લાગુ થવાનું શરૂ થઈ ગયું છે. થોડા સમય પછી નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ચાપલુસીની હદ સુધી કરતી પ્રશસ્તિ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં જોવા મળે તો નવાઈ પામવા જેવું નથી.

ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપ પર મોદીની પક્કડ-

મોદીના પોલિટિકલ મોડલ પ્રમાણે, સંગઠનની બાબતમાં મજબૂત ગણાતા કેડરબેઝ ગુજરાતા ભાજપમાં વ્યક્તિવાદ પ્રભાવી બન્યો અને મોદી તારણહાર તરીકે પ્રસ્થાપિત થયા છે. ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ, પ્રદેશ મહામંત્રીઓ અને અન્ય પદાધિકારીઓ છે. પરંતુ આમાના કોઈપણ નરેન્દ્ર મોદીનો કોઈપણ પ્રકારે ક્યારેય વિરોધ કર્યો નથી. આ બધાં મોદીના યસમેન બનીને રહ્યા અને હજીપણ મોદીના યસમેન છે.
તો ગુજરાતમાં ચાલેલી મોદી સરકારની વાત કરીએ તો તેમાં પણ મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 13 વર્ષમાં જાહેરાતોમાં, સભાઓમાં, સરઘસોમાં, પ્રચારોમાં છવાયેલા રહ્યા. કેટલાંક પ્રસંગે ધાર્મિક ઉત્સવો દરમિયાન શુભેચ્છા સંદેશની જાહેરાતોમાં ધાર્મિક બાબતો સાથે સંકળાયેલા ભગવાન કે આધ્યાત્મિક પુરુષ કરતા પણ મોદીની મોટી તસવીરો લાગતી હતી.
ગુજરાતના રસ્તાઓ, બસો, કેટલીક જગ્યાએ ભીંતો પર મોદીના અલગ-અલગ મુદ્રામાં ફોટોગ્રાફ રાજ્ય સરકારની જુદીજુદી યોજનાઓની જાહેરાત સાથે અઢળક પ્રમાણમાં દેખાઈ હતી. જો સરકારના સંચાલનની વાત કરીએ, તો જાણકારો પ્રમાણે, મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની જાણ બહાર એક પણ મંત્રી કે અધિકારી કંઈપણ કરી શક્તો ન હતો. વિધાનસભામાં અને સભા-ભાષણોમાં ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદીની પ્રશસ્તિ ચાપલુસીની કક્ષાએ કરવાનું ચુક્તા ન હતા.

મોદીનું પોલિટિકલ મોડલ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યું

નરેન્દ્ર મોદી સીએમથી પીએમ બન્યા છે. મોદીના વડાપ્રધાન બન્યા બાદ તેમનું આગવું પોલિટીકલ મોડલ રાષ્ટ્રીય સ્તરે સરકાર અને સંગઠનમાં લાગુ થવાની શરૂઆત થઈ ચુકી છે.

કેન્દ્ર સરકારમાં મંત્રાલયો-નોકરશાહી પર પ્રભાવ પાથર્યો

જો કેન્દ્રની સરકારમાં મોદી મોડલના પ્રસ્થાપિત થવાની પ્રક્રિયા પણ રસપ્રદ બની છે. નરેન્દ્ર મોદીએ પહેલા કેબિનેટની બેઠક બોલાવીને તમામ મંત્રીઓને તેમની આદત પ્રમાણે મંત્રાલયના એજન્ડાઓ નક્કી કરીને જણાવવા માટે કહ્યુ હતું.

બાદમાં તેમણે સચિવો સાથે બેઠક કરી અને સરકાર તેમની સાથે રહેશે તેઓ નિર્ભયપણે કામ કરે તેમ જણાવ્યું. પીએમ મોદીએ સચિવોને તેમની સાથે સીધા વાત કરવાની છૂટ આપી છે. તેનાથી કેટલાંક જાણકારો મોદી સરકારના મંત્રીઓનો નોકરશાહી પર પ્રભાવ ઘટવાની અને વડાપ્રધાનની બ્યૂરોક્રસી પર અસર વધવાની સંભાવનાઓ દર્શાવે છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે દેશના 674 જિલ્લાના કલેક્ટરો સાથે સીધો સંપર્ક બનાવવાના મિકેનિઝમ પર કામ કરી રહ્યા છે. તેનો સીધો અર્થ છે કે પીએમ મોદી ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાગુ કરાયેલા મોડલની જેમ પોતાના મોડલને સરકારી તંત્રમાં સ્થાપિત કરી રહ્યા છે. કહેવામાં આવે છે કે ઈન્દિરા ગાંધીની પકડ બ્લોક લેવલ પર પણ હતી. તેવી જ પકડ મોદી જમાવવાની શરૂઆત કરી ચુક્યા છે. જાણકાર પત્રકારો પ્રમાણે, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં ઈન્દિરા ગાંધી બાદ હવે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં અધિકારીઓમાં ખોફ દેખાઈ રહ્યો છે.

ભાજપના સંગઠન પર રાષ્ટ્રીય સ્તરે મોદીની જ પક્કડ રહેશે

સરકારની સાથે ભાજપના સંગઠન પર પણ મોદી પોતાનો પ્રભાવ વધુ પ્રગાઢ બનાવીને તેમની કામગીરીમાં સંગઠન તરફથી કોઈ મુશ્કેલી ઉભી થાય નહીં તેની તકેદારી રાખવામાં આવે છે. વડાપ્રધાન મનમોહનસિંહની સરકારમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું બેકસીટ ડ્રાઈવિંગ હતું. તો મોદી ભાજપ સંગઠન પર રાષ્ટ્રીય સ્તરે પોતાનો પ્રભાવ ગુજરાત પ્રદેશ એકમની જેમ પાથરીને આ સમસ્યા ઉભી થાય નહીં તેની તકેદારી રાખી રહ્યા છે. તેના માટે ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા મોદીના ખાસ અમિત શાહ ઘણી મોટી ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ભાજપના એવા અધ્યક્ષ છે કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેરામાં પગે લાગીને આદર આપવાનું ક્યારેય ચુક્યા નથી.

તેના ભાગરૂપે ઘણી રાજકીય કવાયતો બાદ ના-ના કરતા ભાજપના તત્કાલિન અધ્યક્ષ રાજનાથસિંહ મોદી સરકારમાં નંબર-ટુ એટલે કે ગૃહમંત્રી બની ગયા છે. તેના કારણે સંગઠનમાં બીજા સત્તાકેન્દ્રના ઉદભવની સંભાવના પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે.

તેની સાથે મોદીના ખાસમખાસ અને ગુજરાતમાં મોદી સાથે ખભેખભો મિલાવાની દરેક મિશન પાર પાડનારા અમિત શાહને 50 વર્ષની ઉંમરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. તેના કારણે મોદી સરકાર અને સંગઠન વચ્ચે અમિત શાહ વડાપ્રધાનના સંકેતો અને એજન્ડાઓ બાબતે કડીરૂપ કામ કરશે. જેના કારણે મોદી સરકારને તેમના કામકાજમાં અડચણ ઉભી થાય નહીં તેની તકેદારી રખાશે. હિંદુત્વવાદી મુદ્દાઓ, એફડીઆઈ-ડીસઈન્વેસ્ટમેન્ટની નીતિ, સ્વદેશી આંદોલન, મજૂરોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો મુદ્દે કામ કરતા સંઘ પરિવારના સંગઠનોને પણ અમિત શાહના સંઘના શીર્ષસ્થ નેતાઓ સાથે ઘનિષ્ઠતાના આધારે કાબુમાં રાખવામાં આવશે.

હાલ સત્તાવાર રીતે ભાજપના નેતાઓ કંઈપણ બોલવા તૈયાર નથી. પરંતુ પાર્ટીમાં શીર્ષસ્થ નેતાઓમાં આંતરીક બેચેની ખૂબ વધી રહી છે. વડાપ્રધાન બન્યા બાદ એક સપ્તાહની અંદર જ નરેન્દ્ર મોદીએ સંગઠન સ્તર પર બે મોટી પહેલ કરીને સૌને ચોંકાવી દીધા હતા. જેનાથી ભાજપના શીર્ષસ્થ નેતાઓ પણ ચોંકી ઉઠયા હતા. જો કે તેઓ આ મુદ્દે જાહેરમાં કંઈપણ કહી રહ્યા નથી.

સૌથી પહેલા વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 7-આરસીઆર ખાતેના પીએમ નિવાસમાં ભાજપના મહાસચિવોની બેઠક બોલાવી હતી. મોદી ખુદ ભાજપમાં લાંબા સમય સુધી મહાસચિવ રહ્યા હતા. માટે તેમનો મહાસચિવો પ્રત્યે લગાવ સ્વાભાવિક છે. પરંતુ ભાજપના સંગઠનાત્મક માળખામાં મહાસચિવ ઉપાધ્યક્ષથી વધારે સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. માટે વડાપ્રધાન નિવાસ પર પાર્ટીના મહાસચિવોની બેઠકથી મોદીએ સ્પષ્ટ કર્યું કે આગામી દિવોસમાં તેઓ મળેલી સફળતાને નબળી નહીં પડવા દે.

આ બેઠકથી પણ વધારે ચોંકાવનારું તથ્ય એ છે કે પાર્ટી અધ્યક્ષ તરીકે આ બેઠકની માહિતી રાજનાથસિંહને આપવામાં આવી ન હતી. બેઠક બાદ જ્યારે સમાચાર આવ્યા, ત્યારે રાજનાથસિંહે મહાસચિવોને ટેલિફોન કરીને જાણકારી પ્રાપ્ત કરી હતી. કે બેઠકમાં મોદીએ શું વાતચીત કરી છે. જો કે રાજનાથસિંહ તે વખતે પાર્ટી અધ્યક્ષ સાથે મોદી સરકારના ગૃહમંત્રી પણ હતા. પરંતુ મોદીની આ પહેલથી તેઓ પણ ચોંકી ગયા હતા.

ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ બીજી પહેલ કરીને નવી દિલ્હી ખાતેના 11 અશોકા રોડ પરના ભાજપના મુખ્યમથક પર પહોંચ્યા હતા. અહીં તેઓ પાર્ટી મુખ્યાલયમાં કામ કરનારા કર્મચારીઓને મળ્યા અને પોતાના હાથે કર્મચારીઓને બોનસ પણ આપ્યું. અહીં તેમણે તત્કાલિન પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહની સાથે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યું.

બીજી પહેલનો સંકેત સ્પષ્ટ હતો કે તેઓ ભલે પાર્ટી અધ્યક્ષને કિનારે કરે, પણ પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠનને મહત્વ આપતા રહેશે. આનો ઈશારો સ્પષ્ટ છે કે ભાજપમાં મોદી નિર્વિવાદ રીતે સુપ્રીમો છે ને બીજો કોઈ નેતા તેમની આ છબીની આડે આવી શકે નહીં.

આનાથી વધારે ચોંકવાનારી વાત એ છે કે વડાપ્રધાન તરીકે તમામ જિલ્લા કલેક્ટર સાથે મોદી જોડાશે. તેની સાથે ભાજપના સંગઠન સ્તરે પણ તેઓ એક એવું તંત્ર વિકસિત કરવા જઈ રહ્યા છે કે જેનાથી દેશભરમાં જિલ્લા સ્તર પર મોદી પોતાની પકડ બનાવી રાખી શકે. તેના માટે તેઓ દરેક જિલ્લામાં એક સીઈઓ નિયુક્ત કરવાની યોજના અમલી બનાવવાની વિચાર પ્રક્રિયા ચાલુ કરી ચુક્યા છે. આ પાર્ટી સીઈઓ જિલ્લા સ્તરે સત્તા અને સંગઠન વચ્ચે સમન્વયનું કામ કરશે અને ભાજપના અધ્યક્ષ અને મોદીના ખાસ અમિત શાહને સીધો રિપોર્ટ કરશે. એ કહેવાની જરૂર નથી કે આમાની મહત્વની બાબતો ભાજપના અધ્યક્ષ અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાન પર જરૂરથી મૂકતા રહેશે.

શનિવાર, 21 જૂન, 2014

ભારત સામે જેહાદી આતંકનો પડકાર: “ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાન”ને રોકવા મજબૂત રાષ્ટ્રવાદ જરૂરી

- પ્રસન્ન શાસ્ત્રી
વિશ્વ પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમ છે, પોતાના મત કે મજહબની વિશ્વ પર સત્તા સ્થાપિત કરવી. વિશ્વ પર તોળાઈ રહેલા જોખમમાં અન્ય મત કે મજહબ કે પંથ-સંપ્રદાયના સહઅસ્તિત્વનો ઈન્કાર તેનો પાયો છે. આ ખતરનાક માનવવિરોધી વિશ્લેષણનું કેન્દ્રબિંદુ મોટા ભાગે ઈસ્લામિક દુનિયા રહી છે. ઈસ્લામની સ્થાપના સાથે જ ઈસ્લામ મતના અનુયાયીઓએ ભયંકર લોહિયાળ યુદ્ધો કરીને પોતાના મજહબનો ફેલાવો કર્યો અને ઘણાં દેશોનું ઈસ્લામીકરણ કરી નાખ્યું. દારુલ-હરબ એટલે કે બિનઈસ્લામિક રાજ્યોને દારુલ-ઈસ્લામ એટલે કે ઈસ્લામિક રાજ્યોમાં ફેરવવાના ઘોષિત લક્ષ્ય સાથે આ વૈશ્વિક જોખમોના ટાઈમબોમ્બ વખતોવખત દુનિયા પર ત્રાટક્યા છે. ઈસ્લામ મતની મૂળભૂત ધારણા શું હશે, તેની સ્પષ્ટતા ઈસ્લામિક સ્કોલર્સ પાસેથી સમજવી જરૂરી છે. પરંતુ ઈસ્લામ મતની મૂળભૂત ધારણાના જે કોઈ અર્થઘટનો કરવામાં આવ્યા છે. તેનાથી વિશ્વની શાંતિ અને સ્થિરતા હંમેશાથી જોખમાઈ છે.

કાશ્મીરમાં આઝાદીના નામે આતંકનો કારસો
તાજેતરમાં મૃતપ્રાય ગણાતા અલ-કાયદાના પાકિસ્તાન સેલના કમાન્ડરે એક વીડિયો પ્રસારીત કર્યો હતો. જેમાં તેણે કાશ્મીરને કથિતપણે આઝાદ કરાવવાની જેહાદીઓને હાકલ કરી છે. અફઘાનિસ્તાનમાંથી જેહાદીઓ કાશ્મીરને આઝાદ કરાવવા માટે આવી રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ સાથે દુનિયાભરના મુસ્લિમ જેહાદ માટે હથિયાર ઉઠાવી રહ્યા છે, ત્યારે ભારત અને પાકિસ્તાન સહીત ભારતીય ઉપમહાદ્વીપ ગણાતા દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં મુસ્લિમોને જેહાદમાં સામેલ થવાની હાકલ કરવામાં આવી છે. તો સીરિયા પાકિસ્તાન કરતા પણ મોટું ઈસ્લામિક આતંકવાદનું તાલીમ કેન્દ્ર બની રહ્યું છે.

જેહાદીઓની ડિઝાઈન સપાટી પર આવી
બીજી તરફ અફઘાનિસ્તાનમાંથી 2016 સુધીમાં અમેરિકી અને નાટો સૈન્ય પોતાના દેશ પાછું ફરશે. ત્યાર બાદ દક્ષિણ એશિયામાં અશાંતિ ફેલવવા માટે કાર્યરત જેહાદી જૂથોની આગામી ડિઝાઈન સપાટી પર આવવા લાગી છે. પાકિસ્તાનમાં તહેરીક-એ-તાલિબાન સહીતના જેહાદી જૂથો શરિયતને લાગુ કરાવવા માટે પાકિસ્તાની સરકાર સામે અવાર-નવાર હુમલા કરે છે, તો તેમના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના લોકોની પણ હત્યાઓ થઈ રહી છે. છેલ્લા કેટલાંક સમયથી 80 ટકા સુન્ની મુસ્લિમની વસ્તી ધરાવતા પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોની કત્લેઆમ સામાન્ય બની ગઈ છે.

મિડલ-ઈસ્ટનું આઈએસઆઈએસ વૈશ્વિક ખતરો

મધ્ય-પૂર્વ એશિયામાં પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે. અહીં આઈએસઆઈએસ એટલે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા અથવા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ અલ-શામ ઈરાક અને સીરિયાના સુન્ની બહુમતીવાળા ક્ષેત્રો પર પ્રભુત્વ સ્થાપીને નવું ઈસ્લામિક સ્ટેટ બનાવવા માટે ભયાનક યુદ્ધ લડી રહ્યું છે. જો આઈએસઆઈએસ પોતાના મનસૂબાઓમાં કામિયાબ થશે, તો આધુનિક સમયમાં કોઈ ઈસ્લામિક આતંકવાદી જૂથ દ્વારા નવો દેશ પેદા થવાની ઘટના પહેલી હશે. બની શકે કે તેનું પુનરાવર્તન પાકિસ્તાનમાં કરવાની કોશિશ આગામી સમયમાં તહેરીકે તાલિબાન સહીતના ઈસ્લામિક આતંકવાદી જૂથો કરી શકે છે. તેની ઘણી મોટી અસર ભારતને જમ્મુ-કાશ્મીર સહીત સંવેદનશીલ મુસ્લિમ બહુલ ભારતીય વિસ્તારોમાં અનુભવાય તેવી શક્યતા છે. જેના કારણે આગામી સમયમાં ભારતે મજહબી આતંકવાદના વૈશ્વિક પડકાર સામે પોતાની સૈન્ય સજ્જતાઓને કારગર રીતે ઉપયોગમાં લાવવાની જરૂર ઉભી થવાની છે.

દક્ષિણ એશિયામાં રાખ નીચે અંગારા

મહત્વપૂર્ણ છે કે 1996-97માં અફઘાનિસ્તાનમાં અલ-કાયદા અને તાલિબાનોને કટ્ટર સુન્ની ઈસ્લામિક શાસન કાયમ કર્યું હતું. જેના પરિણામે 9/11 જેવી ભયંકર આતંકવાદી ઘટનાનો ભોગ અમેરિકા જેવી મહાસત્તાને પણ થવું પડયું હતું. તાલિબાનોનું શાસન ખતમ કરવા માટે અમેરિકાએ આતંકવાદની ફેકટરી પાકિસ્તાનને સાથે રાખીને અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી યુદ્ધના નામે લગભગ એક દશકથી વધારે સમય યુદ્ધ કરવું પડયું છે. જો કે છેલ્લા કેટલાંક સમયથી અમેરિકી-નોટો સૈન્યની ઘરવાપસીની પ્રક્રિયાના સમાચાર વચ્ચે પાકિસ્તાનના વજિરીસ્તાન સહીતના ઉત્તરીય વિસ્તારોમાં તાલિબાનો અને ઈસ્લામિક આતંકવાદી જૂથો સક્રિય થયા છે. તેમનો પહેલો ઈરાદો અફાઘાનિસ્તાનમાં સત્તા કબજે કરવી અને ત્યાર બાદ પાકિસ્તાનમાં કટ્ટરપંથી સુન્ની હકૂમત કાયમ કરવી. તેના માટે તેઓ પાકિસ્તાની સેનામાં સામેલ ઈસ્લામિક કટ્ટરપંથી તત્વોનો સાથ મેળવીને આગળ પાકિસ્તાનમાં કોઈ મોટી હિંસક કાર્યવાહીઓ કરે તેવી શક્યતા છે. તેની સાથે આ આતંકવાદીઓનું લક્ષ્ય ભારતમાં અસ્થિરતા પેદા કરવાનું પણ છે. કાશ્મીરમાં આઝાદીની લડાઈના નામે ભારતને આતંકવાદના નવા તબક્કામાં વધુ ખતરનાક પડકારોનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નકારી શકાય તેમ નથી. દક્ષિણ એશિયા હાલ રાખ નીચે બળતા અંગારાથી મોટી આગનું જોખમ ધરાવે છે. નિશ્ચિતપણે ભારત પર પણ તેની મોટી અસર થાય તેવી શક્યતા છે.

આઈએસઆઈએસનું લક્ષ્ય સ્ટેટ ઓફ ખોરસાન

ઈરાકમાં કહેર બનીને તૂટી પડેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસ અથવા આઈએસઆઈએલનું લક્ષ્ય ઈરાક, સીરિયા સાથે ઉત્તર આફ્રિકાથી લઈને ભારતના જમ્મુ-કાશ્મીર અને ગુજરાત સહીતના ઉત્તર-પશ્ચિમ ભાગ સુધી સુન્ની ઈસ્લામિક રાજ્ય સ્ટેટ ઓફ ખોરસાન સ્થાપિત કરવાનું છે. અબુ બકર અલ બગદાદી આઈએસઆઈએસનો વડો છે. તેને પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકી ઓપરેશનમાં માર્યા ગયેલા અલ-કાયદાના ખૂંખાર આતંકી ઓસામા-બિન-લાદેનનો સીધો વારસ માનવામાં આવે છે. તેનો જન્મ ઈરાકના સમરા શહેરમાં થયો હતો. 2003માં અમેરિકાએ ઈરાક પર સૌ પ્રથમ વખત લશ્કરી આક્રમણ કર્યું હતું. તે વખતે અબુ-બકર-અલ-બગદાદી બગદાદની એક મસ્જિદમાં મૌલવી હતો. તેણે ચાર વર્ષ અમેરિકી જેલમાં વિતાવ્યા છે. અમેરિકી જેલમાંથી મુક્ત થયા બાદ તેણે 2010માં આઈએસઆઈએસની રચના કરી. ઓક્ટોબર-2011માં અમેરિકાએ બગદાદીને આતંકવાદી ઘોષિત કરીને તેને જીવતો કે મરેલો પકડનારને એક કરોડ ડોલર એટલે કે લગભગ 60 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.

ઈરાકમાં બગદાદીનો ખૂની ખેલ

ઈરાકમાં 40 ટકા સુન્ની, 55 ટકા શિયા અને 5 ટકા જેટલા કૂર્દ લોકો છે. ઈરાકમાં અમેરિકાના દ્વિતિય આક્રમણમાં સુન્ની સમુદાયમાંથી આવતા તાનાશાહ સદ્દામ હુસૈનને પકડી લેવામાં આવ્યો અને બાદમાં તેને 2006માં બનેલી અમેરિકી પ્રભુત્વવાળી શિયા સમુદાયના નૂર અલ મલિકીની સરકારે ફાંસીની સજા આપી. શિયા સમુદાયની અલ-મલિકીની સરકારે ઈરાકમાં સુન્નીઓ સાથે ભેદભાવ શરૂ કર્યા હતા. તેની સામે અમેરિકાએ આંખ આડા કાન કર્યા હતા. જેના કારણે આઈએસઆઈએસને સુન્ની સમુદાયના લોકોનું સમર્થન મળ્યું. 2011માં ઓબામા સરકારે અમેરિકી સૈન્યને પાછું ખેંચ્યું હતું. ત્યાર બાદ સુન્ની પંથી આઈએસઆઈએસના અબુ બકર અલ બગદાદીનો ખૂની ખેલનું વરવું સ્વરૂપ ઈરાકમાં સામે આવ્યું છે.
બગદાદીનું સંગઠન પાડોશી દેશ સીરિયામાં ચાલતા ગૃહયુદ્ધનો ફાયદો ઉઠાવીને ખૂબ શક્તિશાળી બની ગયું છે. પશ્ચિમી દેશો માને છેકે સીરિયા આઈએસઆઈએસને ગુપ્ત મદદ કરી રહ્યું છે. ઈરાકમાં શિયા સમુદાયના પ્રભુત્વવાળી સરકાર પર ઈરાનનો પણ મોટો પ્રભાવ છે. જેને કારણે આક્રોશમાં આવેલા સુન્ની સમુદાયે પણ આઈએસઆઈએસને તમામ પ્રકારે ટેકો આપ્યો છે. આ સંગઠનમાં ઈરાકી સુન્નીઓ સાથે ખૂંખાર સીરીયાઈ, આરબ, આફ્રિકી, પાકિસ્તાની અને અફઘાની મુજાહિદ્દીનો સામેલ છે. આ લોકોને યુદ્ધનો લગભગ બે દાયકા જેટલો લાંબો અનુભવ છે. જેને કારણે તેઓ ઈરાકની દોઢથી બે લાખની સેનાને ઈંટનો જવાબ પથ્થરથી આપી રહ્યા છે. જો કે આઈએસઆઈએસના આતંકીઓની સંખ્યા 10 હજારથી વધારે છે. તેમ છતાં ઈરાકી સેનામાં શિયા અને સુન્ની એમ બંને સમુદાયના સૈનિકો છે. માનવામાં આવે છેકે મોસૂલ પર જ્યારે આઈએસઆઈએસએ હુમલો કર્યો હતો, ત્યારે સુન્ની સૈનિકોએ ઈરાકની શિયા પંથના પ્રભાવવાળી સરકાર માટે લડવાનું યોગ્ય માન્યું નહીં. આશંકાઓ વ્યક્ત થઈ રહી છે કે હજારો સુન્ની સમુદાયના ઈરાકી સૈનિકોના સામેલ થવાથી આઈએસઆઈએસની ઘાતકતામાં વધારો થયો છે.

આઈએસઆઈએસની કરમ કુંડળી

હાલ આઈએસઆઈએસને દુનિયાનું સૌથી ધનિક આતંકવાદી સંગઠન માનવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે તેની પાસે બે અબજ ડોલરની સંપત્તિ છે. આ બર્બર આતંકી સંગઠન દર વર્ષે તેની બેલેન્સ શીટ પણ જારીકરે છે. અમેરિકી થિંક ટેન્ક ધ ઈન્ટિસ્ટયૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (આઈએસડબલ્યૂ)એ આઈએસઆઈએસના કારનામાના વાર્ષિક અહેવાલનું અધ્યયન કર્યું છે. આ રિપોર્ટને અરબીમાં અલ-નાબા એટલે કે ધ ન્યૂઝ કહેવાં આવે છે. અરબીમાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં ગત નવેમ્બરથી 12 માસ સુધીના સમયગાળાનું વિવરણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે, આ સમયગાળામાં આઈએસઆઈએસએ ઈરાકમાં 10 હજારથી વધારે ઓપરેશન્સ કર્યા છે. જેમાં એક હજાર આત્મઘાતી હુમલા, ચાર હજારથી વધારે બોમ્બ વિસ્ફોટ અને સેંકડો કેદીઓને મુક્ત કરાવવાની ગતિવિધિઓનો સમાવેશ થાય છે. હાલ બગદાદીનું સંગઠન ઈરાકના સુન્ની બહુલ વિસ્તારોના ઘણાં શહેરો પર કબજો કરીને બગદાદ પર ડોળો જમાવીને બેઠું છે.

આઈએસઆઈએસ અલ-કાયદાના કાબુમાં નથી

આઈએસઆઈએસ શરૂઆતમાં અલ-કાયદાનો હિસ્સો જ હતું. પરંતુ જ્યારે અલ-નસરા નામના જેહાદી સંગઠન સાથે બગદાદીના મતભેદો શરૂ થયા. ત્યારે અલ-કાયદાના સરગના અયમન-અલ-ઝવાહીરીએ હસ્તક્ષેપ કર્યો હતો. સીરિયામાંથી આઈએસઆઈએસને દૂર રહેવાનું ઝવાહીરીએ ફરમાન કર્યું હતું. પરંતુ બગદાદીએ તેનું ફરમાન માન્યું નહીં. 2013માં બગદાદીએ અલ-કાયદા સાથે છેડો ફાડયો હતો.

પાકિસ્તાનમાં જેહાદીઓ તખ્તાપલટ કરશે?

પાકિસ્તાનમાં તેની રચના સાથે ઘણાં મોટા સમયગાળા સુધી લશ્કરી તાનાશાહોએ શાસન કર્યું છે. નાગરિક સરકારે માત્ર એક વખત જ પોતાનો કાર્યકાળ પાકિસ્તાની સેનાની મહેરબાનીથી પૂર્ણ કર્યો છે. પાકિસ્તાનમાં સેના-આઈએસઆઈ, જેહાદી સંગઠનો અને નાગરિક સરકાર એમ ત્રણ સત્તાના કેન્દ્રો છે. જેમાં સેના-આઈએસઆઈ સૌથી શક્તિશાળી સત્તાનું કેન્દ્ર છે. શરૂઆતમાં તેમણે જેહાદી તત્વોનો રાજકીય હિતસાધના માટે ઉપયોગ કર્યો હતો. પરંતુ હવે જેહાદી સંગઠનો પાકિસ્તાની સેના અને આઈએસઆઈના કેટલાંક કટ્ટરપંથી નહીં ગણાતા પશ્ચિમી વિચારધારાથી પ્રભાવિત એસ્ટાબ્લિશમેન્ટને પડકાર ફેંકી રહ્યા છે. કરાચી એરપોર્ટ પરના તહેરીકે તાલિબાનના હુમલા પાકિસ્તાની સેના અને આઈએસઆઈને જેહાદીઓ દ્વારા આપવામાં આવેલો સીધો પડકાર છે. જેના પરિણામે જનરલ પરવેઝ મુશર્રફ બાદ પાકિસ્તાની સેનાએ વજિરીસ્તાનમાં તાલિબાનો સામે સૌથી મોટી કાર્યવાહી શરૂ કરવી પડી છે.

પરંતુ જાણકારોનું માનીએ, તો કાશ્મીરને આઝાદ કરાવવાના નામે અને દુનિયામાં ઈસ્લામિક રાજ્ય સ્થાપિત કરવા માટેની સ્વપ્નસૃષ્ટિમાં રાચતા જેહાદી જૂથો હવે પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રિત થાય તેવી સ્થિતિ નથી. તેના મુખ્ય કારણોમાં પાકિસ્તાની સેનામાં પણ જેહાદીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતા સૈનિકો અને અધિકારીઓ મોટી સંખ્યામાં છે. તેમની જેહાદીઓ સાથે સાંઠગાંઠ છે. જેના કારણે તેઓ જમ્મુ-કાશ્મીર ખાતેની એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પર જેહાદીઓ સાથે મળીને બર્બર કાર્યવાહીઓને અંજામ આપે છે અને યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન કરે છે.

તેવા સમયે ભારત સામે પાકિસ્તાન વધુ નમતું જોખતું હોય તેવું લાગશે, ત્યારે લશ્કરે તોઈબાના હાફિઝ સઈદ, જૈશે મહોમ્મદના અઝહર મસૂદ, તહેરીકે તાલિબાન સહીતના જેહાદી સંગઠનો પાકિસ્તાનમાં બળવો કરે તેવી પુરી શક્યતા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની સેના અને આઈએસઆઈ ભારત વિરુદ્ધની ભાવનાને વધારે ભડકાવવાની ભૂમિકામાં જ રહેશે. વળી કોઈ નવા સમીકરણો રચાય તો પાકિસ્તાની સેના અને આઈએસઆઈના જેહાદી તત્વો નોન-સ્ટેટ એકટર્સ ગણાતા જેહાદીઓ સાથે મળીને પાકિસ્તાનમાં તખ્તાપલટને અંજામ આપે તો પણ નવાઈ નથી. આવી પરિસ્થિતિમાં ભારતમાં અસ્તિત્વ ધરાવતા જેહાદી આતંકવાદીઓના નેટવર્કની સક્રિયતા સપાટી પર આવવાને ઈન્કારી શકાય તેમ નથી.

વૈશ્વિક જેહાદને સાઉદી અરેબિયા-ખાડી દેશોની મદદ

ઈસ્લામનો જન્મ સાઉદી અરેબિયામાં થયો છે. સાઉદી અરેબિયા સુન્ની ઈસ્લામિક દેશ છે. ભારતમાં વહાબી આંદોલનના સમયથી સાઉદી અરેબિયા દ્વારા કટ્ટરપંથી પ્રવૃતિઓને સીધી પ્રેરણા અને મદદ મળતી રહી છે. પેટ્રો ડોલરથી સંપન્ન સાઉદી અરેબિયા અને ખાડીના દેશો દુનિયામાં ઈસ્લામના પ્રસાર માટે જેહાદી સમૂહોને મદદ કરી રહ્યા છે. જેમાં આર્થિક અને રાજકીય મદદનો સમાવેશ થાય છે. તેની સાથે જેહાદી જૂથો પાસે અત્યાધુનિક પરંપરાગત હથિયારોથી માંડીને મોટા હથિયારો સુધીની તેમની પહોંચ બીજી ઘણી આશંકા પેદા કરે છે.

સાઉદી અરેબિયા દુનિયામાં સૌથી વધારે હથિયારોની આયાત કરનારા દેશોમાં સ્થાન ધરાવે છે. સાઉદી અરેબિયા સાથે યૂએઈ પણ ખૂબ મોટા પ્રમાણમાં હથિયારોની આયાત કરે છે. આ હથિયારોમાં પરંપરાગત હથિયારોનો ખૂબ મોટો ભાગ છે. વળી દુનિયાભરની જેહાદી પ્રવૃતિઓમાં સાઉદી અરેબિયાના સુન્ની પંથી જેહાદીઓ ખૂબ મોટા પ્રમાણમાં સક્રિય છે. ત્યારે સાઉદી અરેબિયાની સેનાના પ્રમાણમાં તેના આયાત થતા હથિયારોનું ઘણું મોટું પ્રમાણ છે. આવા સંજોગોમાં જેહાદી જૂથોને સાઉદી અરેબિયા સહીતના કેટલાંક ખાડીના દેશો તરફથી હથિયારોની આપૂર્તિની શક્યતાની આશંકાઓ જન્મે છે. ઈરાકના સત્તાધીશો તરફથી આઈએસઆઈએસને સીરિયા અને સાઉદી અરેબિયા દ્વારા મદદ થતી હોવાનો આરોપ મૂકાયો છે. જેનો સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીએ સત્તાવાર રદિયો પણ આપવો પડયો છે.

સત્તા સંતુલનો ખોરવાયા

મધ્ય-પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયામાં 19મી સદીના પ્રારંભથી બ્રિટન અને યૂરોપના દેશો સક્રિય પ્રભુત્વ ધરાવતા હતા. જેના કારણે ઈસ્લામિક દેશોનું ક્ષેત્ર પરથી વર્ચસ્વ ઘટવા લાગ્યું હતું. અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, જોર્ડન, સીરિયા, લેબેનોન જેવા ખાડી દેશોમાં પશ્ચિમ અને કમ્યુનિઝમનો પ્રભાવ 19મી સદીના પ્રારંભમાં દેખાવા લાગ્યો હતો. તુર્કીમાં કમાલ-આતા-તુર્કે 97 ટકા મુસ્લિમ વસ્તીવાળા દેશને સેક્યુલર ઘોષિત કર્યો હતો. પરંતુ ભારતમાંથી બ્રિટનના ગયા બાદ બીજા વિશ્વયુદ્ધ બાદ મધ્ય-પૂર્વ એશિયામાં થોડી અસ્થિરતા દેખાઈ હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી કોલ્ડવોરના તબક્કામાં અમેરિકા અને રશિયાએ પેટ્રોલિયમ પેદાશો પર વર્ચસ્વ મેળવવા માટે ખાડીદેશોમાં પોતાના કેમ્પો સ્થાપવના શરૂ કર્યા હતા. અમેરિકાએ સાઉદી અરેબિયા, ઈજીપ્ત, ઈરાન સહીતના દેશોમાં પોતાની પહોંચ વધારી હતી. તો સામે ભૂતપૂર્વ સોવિયત સંઘે ઈરાક, સીરિયા, સહીતના ઘણાં ખાડી દેશો પર પોતાનો પ્રભાવ જમાવ્યો હતો. અફઘાનિસ્તાનમાં ભૂતપૂર્વ સોવિયત સંઘે સૈન્ય મોકલ્યું હતું. ત્યારે અફઘાનિસ્તાનમાંથી રશિયન પ્રભાવ ખતમ કરવા માટે અમેરિકાએ ઈસ્લામિક જેહાદીઓને તૈયાર કર્યા અને તેમને શસ્ત્રોથી માંડીને તાલીમ આપવા સુધીની મદદ કરી હતી. જેના પરિણામે ઘરઆંગણે કમજોર બનેલા સોવિયત સંઘે 1990માં પોતાની સેનાઓ અફઘાનિસ્તાનમાંથી પાછી ખેંચી લીધી હતી. તો 1992માં સોવિયત સંઘ નામનો મહાકાય દેશ તૂટી પડયો હતો. તુર્કમેનિસ્તાન, કજાકિસ્તાન, આજારબૈજાન સહીત મધ્ય-પૂર્વ એશિયામાં નવા મુસ્લિમ દેશો અસ્તિત્વમાં આવ્યા હતા. તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલા પહેલા અમેરિકાને પોતાના સામરિક હિતોને કોઈ જોખમ નહીં લાગતા જેહાદી તત્વોને અફઘાનિસ્તાન સહીત પાકિસ્તાનમાં મજબૂત થવા દેવામાં આવ્યા. ભારતે અવાર-નવાર પાકિસ્તાનને અમેરિકી મદદનો ભારત વિરોધી પ્રવૃતિઓમાં ઉપયોગ થતો હોવાની ફરિયાદ કરી હતી. પણ અમેરિકા પોતાના સ્વાર્થને કારણે તેને નજરઅંદાજ કરતું રહ્યું હતું. જેના કારણે એકધ્રુવીય વિશ્વમાં સોવિયત સંઘના ખાલી પડેલા સ્થાન પર ઈસ્લામિક જેહાદીઓએ મિડલ-ઈસ્ટ અને અફઘાનિસ્તાનમાં પગદંડો જમાવવાનો શરૂ કર્યો હતો. જેના કારણે ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં ઈસ્લામિક જેહાદીઓનો હિંસાચાર વધ્યો છે.

ભારતના જેહાદીઓની સામેલગીરીથી ખતરો

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટના કાર્યકારી નિદેશક અજય સાહનીએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ છે કે વ્યૂહરચના ક્ષમતાની કાર્યપ્રણાલી છે. આપણે (ભારત) મધ્ય-પૂર્વ એશિયાની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરતા નથી, કારણ કે આપણી પાસે તેમને પ્રભાવિત કરવાની ક્ષમતા નથી. પહેલા પણ આ ક્ષેત્રમાંથી ભારતીયોના અપહરણ થયા છે અને ભારત થર્ડ પાર્ટી નિગોસિયેટર પર આધારીત રહ્યું છે. (ઉલ્લેખનીય છે કે ઈરાકમાં 40 ભારતીયોના અપહરણ થયા છે.) સંરક્ષણ બાબતોના નિષ્ણાત અજય સાહનીએ કહ્યુ છે કે દરેક વૈશ્વિક જેહાદના લક્ષ્યાંકમાં ભારત આવે છે. આપણે (ભારત) તેમની સામે આપણા જોખમે જ આંખ આડા કાન કરી શકીએ. તેમણે ઈરાક અને સીરિયામાં લડી રહેલા ભારતના જેહાદીઓ સંદર્ભે વિશેષ ચેતવણી આપી છે. અજય સાહનીએ ચેતવણી આપતા કહ્યુ છે કે યુદ્ધ લડી રહેલા આતંકવાદીઓ એકને એક દિવસ પાછા ફરવાના છે. ત્યારે બહારની ઘટનાઓને આધારે ભારતમાં પ્રેરણાસ્ત્રોત મેળવનારા ઘણાં લોકો સાથે અન્યોને પણ આ જેહાદીઓની સફળતા પ્રેરણા આપશે. તેમણે આઈએસઆઈએસના જોખમને આંકતા કહ્યુ છે કે અલ-કાયદાના એક નાનકડા જૂથમાંથી 2006માં આઈએસઆઈએસ ઈસ્લામિક સ્ટેટનો આકાર પામ્યું, તેના પરથી તેની મહત્વકાંક્ષાઓનો અંદાજ મળી શકે છે. સીરિયામાં ગૃહયુદ્ધ વચ્ચે તે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક અને સીરિયા બન્યું અને હવે તેને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવન્ટ કહેવામાં છે. લેવન્ટ (પૂર્વ ભૂમધ્ય પ્રદેશ) શબ્દમાં આ જેહાદી જૂથની સીરિયા, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, લેબેનોન, જોર્ડન, સાયપ્રસ અને તુર્કીના કેટલાંક ભાગને પર નિયંત્રણ મેળવવાની મહત્વકાંક્ષા દેખાય છે.

પાન-ઈસ્લામિક મૂવમેન્ટથી ભારતને નુકસાન

એક તરફ 18મી અને 19મી સદીમાં યૂરોપના બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, પોર્ટુગલ, જર્મની અને સ્પેન જેવા દેશો આફ્રિકા અને એશિયામાં કોલોનીની સ્થાપના કરી રહ્યા હતા. તેના કારણે ઈજીપ્ત, લીબિયા સહીતના આફ્રિકી અને મિડલ-ઈસ્ટના દેશો અને દક્ષિણ એશિયા જેવા ક્ષેત્રમાં ઈસ્લામિક વર્ચસ્વમાં ઓટની શરૂઆત થઈ હતી. વળી પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તુર્કીમાં ખિલાફતને ખતમ કરવામાં આવી હતી. જેના કારણે અખંડ ભારતમાં 1918થી 1924 સુધી ખિલાફત આંદોલન ચાલ્યું હતું. જેમાં એમ. કે. ગાંધીએ બ્રિટિશરો સામેના જંગમાં મુસ્લિમ સમર્થન મળે તેવી ગણતરીએ ખિલાફત આંદોલનને ટેકો આપ્યો હતો. પરંતુ તેના પરિણામો ઘણાં વિપરીત આવ્યા. ભારતીય રાજકારણમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ વિકસવા લાગી અને દેશમાં પાન ઈસ્લામિક મૂવમેન્ટના દુષ્પ્રભાવો સામે આવવા લાગ્યા હતા.

1906માં સ્થપાયેલી મુસ્લિમ લીગ પાન ઈસ્લામિક મૂવમેન્ટની ભારતમાં વાહક બનવા લાગી હતી. જેના પરિણામે 1947માં અખંડ ભારતમાંથી પાકિસ્તાન નામે અલગ ઈસ્લામિક દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. પાન ઈસ્લામિક મૂવમેન્ટના સમયમાં મુસ્લિમ લીગની મુસ્લિમ નેશનલ ગાર્ડ નામની પાંખે ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી.

1946માં મુસ્લિમ લીગના સુપ્રિમો મહંમદ અલી ઝીણા દ્વારા અલગ પાકિસ્તાન માટે અપાયેલા ડાયરેક્ટ એક્શનના એલાનથી કોલકત્તા સહીત દેશભરમાં હિંદુઓની ખૂબ મોટી કત્લેઆમ થઈ હતી. જો કે તેના માટેની તૈયારી ત્રણ-ચાર વર્ષ પહેલેથી મુસ્લિમ નેશનલ ગાર્ડે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં લોખંડ ઉઘરાવવાના નામે હથિયારો ભેગા કરવાથી કરી હતી. 1947માં ભારતને ખંડિત આઝાદી મળી, ત્યારે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં જાણકારોના માનવા પ્રમાણે બર્બર હત્યાકાંડો થયા હતા.

આ હત્યાકાંડોમાં 10 લાખ જેટલી નિર્દયી હત્યાઓમાં મોતને ઘાટ ઉતારાયેલાઓમાં હિંદુઓની સંખ્યા મહત્તમ રહી હતી. તો લગભગ 2 કરોડ જેટલાં હિંદુઓએ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાંથી નિરાશ્રિત થઈને ભારત આવવું પડયું છે. મુસ્લિમ લીગની મુસ્લિમ નેશનલ ગાર્ડ નામની પાંખની વ્યૂહરચના સ્પષ્ટ હતી કે ભાગલા વખતે વધારેમાં વધારે હિંદુઓની હત્યા કરવી કે તેમને વિસ્થાપિત કરીને પાકિસ્તાનને હિંદુવિહીન બનાવવું. મુસ્લિમ નેશનલ ગાર્ડને પાકિસ્તાન બન્યા બાદ પાકિસ્તાન નેશનલ ગાર્ડ તરીકે અર્ધલશ્કરી દળમાં ફેરવી નાખવામાં આવ્યું છે. આજે પશ્ચિમ પાકિસ્તાનમાં માત્ર 1.86 ટકા હિંદુઓ છે. તો પૂર્વ પાકિસ્તાનમાંથી 1971માં બનેલા બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યા માંડ 8 ટકા રહી છે. આઝાદી વખતે પાકિસ્તાનમાં 20થી 23 ટકા હિંદુઓ હતા. તેની સામે મુસ્લિમોના મોત અને વિસ્થાપનનું પ્રમાણ લગભગ અડધું હતું. જે દર્શાવે છે કે પાન-ઈસ્લામિક મૂવમેન્ટના આધારે મુસ્લિમ લીગે મુસ્લિમોને ટુ નેશન થિયરી પ્રમાણે પૂર્વનિયોજિતપણે હિંદુઓની કત્લેઆમ કરાવી અને તેમના સામૂહિક વિસ્થાપન કરાવ્યા હતા.

આઝાદી બાદ પણ પાન ઈસ્લામિક અસર ચાલુ

આઝાદી બાદ ખિલાફત આંદોલનથી મુસ્લિમ તુષ્ટિકરણની શરૂ થયેલી રાજનીતિએ વરવું સ્વરૂપ ધારણ કર્યું. 1964માં જબલપુરના ભયાનક હુલ્લડો બાદ આઝાદ અને ખંડિત ભારતમાં હિંદુઓ પર મુસ્લિમ કોમવાદીઓનું આક્રમણ હુલ્લડોના સ્વરૂપે બહાર આવ્યું છે. જેના કારણે હિંદુ સમાજમાં પણ પ્રતિક્રિયાત્મક વિચાર અને વ્યવહાર હુલ્લડો દરમિયાન સામે વખતોવખત સામે આવવા લાગ્યો હતો. ભારતમાં અત્યાર સુધીમાં હજારો નાના-મોટા હુલ્લડો થયા છે. પરંતુ વોટબેંકની રાજનીતિ કરનારાઓએ મુસ્લિમ વોટની લાલચમાં હુલ્લડો પણ રાજકારણ ખેલ્યું છે. જેના કારણે હિંદુ પ્રતિક્રિયા વખતોવખત વધારે આકરી બનતી ગઈ છે.

ભારતમાં 1993થી ઈસ્લામિક જેહાદી તત્વો દ્વારા બોમ્બ વિસ્ફોટો કરવાની એક પરંપરા ચાલી છે. જેમાં હિંદુઓ મોટાભાગે નિશાન બનતા રહ્યા છે. ભારતમાં દહેશત ફેલાવીને જેહાદીઓ પોતાના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો વરવો પ્રયાસ કરતા રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં 1988થી ઉગ્રવાદમાંથી અલગતાવાદ અને અલગતાવાદમાંથી આતંકવાદની પાન ઈસ્લામિક મૂવમેન્ટ શરૂ થઈ હતી. ટુ નેશનની થિયરીના આધારે મુસ્લિમ બહુમતી હોવાના કારણે પાકિસ્તાન કાશ્મીર પર દાવો કરે છે. 1948માં કબાયલીઓના વેશમાં પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીર પર આક્રમણ કરીને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને કબજે કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના તત્કાલિન મહારાજા હરિસિંહના ભારત સાથે રિયાસતના વિલિનીકરણમાં થયેલો વિલંબ ખૂબ જ ઘાતક નીવડયો છે. કાશ્મીરને આઝાદ કરાવવાના નામે જેહાદીઓએ 70 હજાર જેટલા લોકોની કતલ કરી છે. તો કાશ્મીર ખીણમાંથી 1990માં ત્રણ લાખથી પણ વધારે કાશ્મીરી પંડિતોને તેમના જ દેશમાં નિરાશ્રિત બનવું પડયું છે. આજે પણ કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સામે અલગતાવાદી અને આતંકવાદી કાશ્મીરી નેતાઓ અને જૂથો ધમકીની ભાષામાં વિરોધ કરી રહ્યા છે.

ભારતે તૈયાર રહેવું જોઈએ

વૈશ્વિક જેહાદના પડકાર સામે ભારતે તૈયાર રહેવું પડશે. ભારત હિંદુ બહુમતી ધરાવતો સેક્યુલર દેશ છે. પરંતુ ભારતને ઈસ્લામિક દેશમાં ફેરવવા માટે ભારતના 17 કરોડ મુસ્લિમો સમુદાયમાંથી ઠીકઠીક પ્રમાણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટેકો ધરાવતા સંગઠનો ઘોષિત કે અઘોષિતપણે આવા લક્ષ્યો સાથે રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક જેહાદી પ્રવૃતિઓ કરે છે. તેમને ભારત બહારના ઈસ્લામિક વિશ્વની પણ ઘણી મોટી મદદ મળી રહી છે. અત્યાર સુધી કહેવાતું હતું કે ભારતનો કોઈપણ મુસ્લિમ આંતરરાષ્ટ્રીય આતંકવાદની પ્રવૃતિમાં સામેલ નથી. પરંતુ આઈએસઆઈએસની ઈરાક અને સીરિયામાં જેહાદી પ્રવૃતિઓમાં ભારતના જેહાદીઓની સામેલગીરીની આશંકાઓ સામરિક બાબતોના જાણકારોએ વ્યક્ત કરી છે.

અત્યારથી તૈયાર થાય વ્યૂહરચના

ત્યારે ભારતમાં સામાજિક સ્તરે જનજાગૃતિ કરીને લોકોને જેહાદના નામે માનવતા વિરોધી, ભારત વિરોધી મનસૂબાઓની જાણકારી આપવી જોઈએ.

આ જેહાદી સંગઠનો મોટાભાગે સૈન્ય સંગઠનોનું સ્વરૂપ ધરાવે છે. જ્યારે ભારતમાં સૈન્ય સંગઠન ધરાવતા રાષ્ટ્રવાદી સંગઠનો ગેરહાજર છે. રાષ્ટ્રવાદી સંગઠનોનું સ્વરૂપ મહદઅંશે સાંસ્કૃતિક છે. ત્યારે સૈન્ય સંગઠન સ્વરૂપ ધરાવતા જેહાદી જૂથોના પડકારને પહોંચી વળવા માટે પણ વ્યૂહાત્મક તૈયારીઓ કરવી પડશે.
રાજકીય સ્તરે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને હવા આપનારા તત્વોને ચિન્હિત કરીને તેમને લોકતાંત્રિક પદ્ધતિથી રાજકીય રીતે સમાપ્ત કરવા જરૂરી છે. કારણ કે આવા તત્વોને કારણે ભારતમાં જેહાદી તત્વોને મોકળું મેદાન મળ્યું છે. મુસ્લિમ તુષ્ટિકરણ કરનારા રાજકીય તત્વો અને થિંક ટેન્ક ભારતના દરેક પક્ષમાં અસ્તિત્વ ધરાવે છે, તે ભારતના લોકોનું દુર્ભાગ્ય છે. પરંતુ ભારતના લોકોએ રાજકારણ પર પોતાની લાગણીનો પ્રભાવ સ્થાપિત કરવા માટે રાજકીય સાક્ષરતા મેળવવી પડશે.

ભારતીય શાસકો અને વહીવટી તંત્રે તર્ક-વિતર્ક-કુતર્કના રાષ્ટ્રદ્રોહી ચક્કરમાંથી બહાર આવીને નિર્ણાયક સ્થિતિમાં આવીને વૈશ્વિક જેહાદ સામે સક્રિય અને અસરકારક ભૂમિકા માટે તૈયાર થવું પડશે.

ભારતીય સેનાને ખૂબ જ ઝડપથી અત્યાધુનિક શસ્ત્રો અને તાલીમથી સજ્જ કરવી પડશે. ભારતના પોલીસ તંત્રને વધારે મજબૂત અને સક્રિય બનાવવા માટે મોર્ડનાઈઝેશન પ્રોગ્રામનો અમલ કરવો પડશે. ભારતના અર્ધલશ્કરીદળોને વધારે શક્તિશાળી બનાવવા માટેની રણનીતિ બનાવવી પડશે.

થોડા વર્ષો પહેલા અમદાવાદ સહીત ભારતના કેટલાંક શહેરોમાં વી આર વેઈટિંગ ફોર ગઝનવી- લખેલા પોસ્ટરો લાગ્યા હતા. આ વાત તે સમયે ખૂબ હળવાશથી લેવામાં આવી હતી. પરંતુ જોખમના સમયે આંખો બંધ કરી દેવાથી ખતરો ટળી જતો નથી. આવી હરકત જોખમને વધુ ખતરનાક બનાવે છે.

નિષ્કર્ષ

વૈશ્વિક જેહાદી નેટવર્ક હકીકતમાં પાન ઈસ્લામિક મૂવમેન્ટનું આતંકવાદી સ્વરૂપ છે. પાન ઈસ્લામિક મૂવમેન્ટે ભારતના ભાગલા કરાવ્યા છે. આવા સંજોગોમાં બ્લિડ ઈન્ડિયા પોલિસી હેઠળ વર્તતા પાકિસ્તાને પણ જેહાદી જૂથોને પોતાના રાજકીય હથિયાર તરીકે ભારત સામે વાપર્યા છે. હવે આ જેહાદી તત્વો સાધન મટીને માલિક બનવા લાગ્યા છે. ત્યારે તેમની જેહાદી મહત્વકાંક્ષાઓ ઘણી ખતરનાક દેખાઈ રહી છે. આવા સંજોગોમાં ભારતે મધ્ય-પૂર્વની ઘટનાઓ પર સતત વિશ્લેષણાત્મક નજર રાખવી પડશે અને અહીંની ગતિવિધિઓને સુન્ની-શિયાના ઝગડા તરીકે જોઈને ભારત સામેના જેહાદી જોખમ સામે આંખ આડા કાન કરવાની વૃતિ-પ્રવૃતિઓમાં પરિવર્તન લાવવું પડશે. ભારતીય રાષ્ટ્રવાદ કમજોર પડે તેવી કોઈપણ પ્રવૃતિઓને ઉગતા જ ડામી દેવી પડશે, પછી તે સરકારી રાહે હોય કે બિનસરકારી રાહે. ભારતીય રાષ્ટ્રવાદનું મજબૂત પ્રગટીકરણ વૈશ્વિક જેહાદી મનસૂબાઓને રોકવાનો એકમાત્ર રસ્તો છે.

મંગળવાર, 27 મે, 2014

સાવધાન: પાકિસ્તાની પીએમ નવાઝ ભારત માટે ‘શરીફ’ નથી

- પ્રસન્ન શાસ્ત્રી
ભારતના સનાતન અસ્તિત્વને કાપીને પાકિસ્તાનની રચના જિન્નાવાદી મુસ્લિમ લીગી માનસિકતા દ્વારા થઈ છે. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પાકિસ્તાનને ભારતના શરીર પર લોહી દૂઝતું ગુમડું ગણાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1948, 1965, 1971 અને 1999માં ચાર ભીષણ યુદ્ધ થયા છે. આ સિવાય 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને બે ટુકડામાં વહેંચતી ભારતની જીતનો બદલો લેવા માટે પાકિસ્તાને ભારતને લોહીલુહાણ કરવાની નીતિ અપનાવી છે. પાકિસ્તાની સેનાના ટ્રેનિંગ મેન્યુઅલમાં ધ કુરાનિક કોન્સેપ્ટ ઓફ વોરનો સમાવેશ કરવામાં આવે છે. પાકિસ્તાની સેનામાં ઈસ્લામિક કટ્ટરપંથીઓની ભરમાર છે.

પાકિસ્તાનના સમાજમાં પણ ઈસ્લામિક કટ્ટરપંથીઓ, અંતિમવાદીઓ અને આતંકવાદીઓને ખૂબ મોટા પ્રમાણમાં સમર્થન મળે છે. પાકિસ્તાન ઘોષિત ઈસ્લામિક રાજ્ય છે. પાકિસ્તાનનો ઈસ્લામિક રાષ્ટ્રવાદ ભારત અને હિંદુઓના વિરોધ પર કેન્દ્રીત છે. પાકિસ્તાન આતંકવાદનું જનક અને પોષક છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય અને રાજકીય હિતોની પૂર્તિ માટે આતંકીઓનો ભારત વિરુદ્ધ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં પણ આતંકવાદીઓ ભારતીય હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે.

પાકિસ્તાનના તાનાશાહ ઝિયા-ઉલ-હક દ્વારા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા અને તત્કાલિન વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસીએ ચઢાવવામાં આવ્યા હતા. આ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ 1971ની હાર પછી ભારતના તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી પાસે આવીને નીચી મુંડીએ સિમલા કરાર કરી ગયા હતા. પરંતુ પાકિસ્તાનમાં જઈને તેમણે ભારત સામે કાશ્મીર માટે એક હજાર વર્ષ લડવાની અને ઈસ્લામિક અણુ બોમ્બ બનાવવા માટે ઘાસ ખાવા જેવી કુરબાનીઓની વાતો કરી હતી. આ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને અહીં મુખ્ય પ્રવાહની પાર્ટી ગણવામાં આવે છે.

જો કે પાકિસ્તાનમાં ભુટ્ટોની ફાંસી પછી તાનાશાહ જનરલ ઝીયા-ઉલ-હકે આખી રાજકીય તાસિરને બદલી નાખી. પાકિસ્તાનમાં ઈસ્લામિક કટ્ટરપંથને મજબૂત કરતી નીતિઓ અપનાવી. ઝીયા-ઉલ-હકે ભારત સામે નફરત ભરી નીતિઓથી પાકિસ્તાની સમાજનું વધુ બ્રેન વોશ કર્યું. પાકિસ્તાની સેનાના માઈન્ડ સેટને ભારત સામે બદલો લેવા માટે અને ભારતીય ઉપખંડમાં ઈસ્લામિક પ્રવૃતિઓ તેજ બનાવીને આધિપત્ય સ્થાપિત કરવાની નીતિઓ અપનાવી હતી.

પાકિસ્તાનના ઘણી થિંક ટેન્ક ભારતનું હાલનું વિશાળ કદ ઘટાડવાની રણનીતિ પર પાકિસ્તાની સેનાને કામ કરવા માટે બ્રેઈન સ્ટોર્મિંગ કરતી રહી છે. પાકિસ્તાનની કટ્ટરપંથી ઈસ્લામિક થિન્ક ટેન્ક ભારતને ત્રણ કે ચાર ટુકડામાં વહેંચવા માટેની સામરીક રણનીતિ પર વર્ષોથી કામ કરી રહી છે. જેના ભાગરૂપે જનરલ ઝીયા-ઉલ-હકે  અને ત્યાર પછી પાકિસ્તાનમાં સત્તા પર આવનારા તમામ શાસકોએ ભારતમાં અલગતાવાદી પ્રવૃતિઓ કરનારા સંગઠનો અને વિચારધારાને નૈતિક, આર્થિક અને લશ્કરી ટેકો આપીને પ્રોક્સી વોર શરૂ કર્યું છે. આ પ્રોક્સી વોર હજી પણ ચાલુ છે.

ભુટ્ટોના શાસનકાળમાં પાકિસ્તાનમાં રાષ્ટ્રીયકરણના તબક્કામાં શરીફ ખાનદાનની સ્ટીલ ફેક્ટરીને સરકારે લઈ લીધી હતી. જેના કારણે  ઉદ્યોગપતિ જૂથના નબીરા નવાઝ શરીફે પાકિસ્તાનની રાજનીતિમાં પાપા પગલી ભરવાની શરૂ કરી. નવાઝ શરીફ ભુટ્ટો અને તેમની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઘોર વિરોધી છે. આ વાત તેઓ જાહેરમાં અનેક વખત કહી ચુક્યા છે. નવાઝ શરીફે ઈસ્લામિક કટ્ટરવાદી તાનાશાહ જનરલ ઝીયા-ઉલ-હકની આંગળી પકડી હતી. તેઓ પહેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નાણાં મંત્રી બન્યા અને બાદમાં તેના મુખ્યમંત્રી પણ બન્યા.

ઓગસ્ટ-1988માં રહસ્યમયી વિમાન દુર્ઘટનામાં જનરલ ઝીયા-ઉલ-હકનું મૃત્યુ થયું. ત્યારે પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં નવાઝ શરીફે કટ્ટરપંથી ઝીયાના એજન્ડાને આગળ વધારવા માટે વોટ માંગ્યા હતા. તેઓ પાકિસ્તાનની સૌથી વધારે કટ્ટર દક્ષિણપંથી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા છે. તેમને પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠનો અને નેતાઓનો હંમેશાથી ખુલ્લો ટેકો રહ્યો છે. જો કે તેઓ 1988માં બેનઝીર ભુટ્ટોને સત્તા પર આવતા રોકી શક્યા નહીં.

નવાઝ શરીફે બેનઝીર ભુટ્ટોની સરકારને ઉથલાવવા માટે વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદી જૂથોની મદદ લેવાની શરૂઆત કરી. તે સમયે શરીફે અમેરિકા દ્વારા પાકિસ્તાનના એબોટાબાદમાં સિક્રેટ ઓપરેશનમાં ઠાર કરાયેલા ઓસામા બિન લાદેનની મદદ લીધી હતી. ઓસામા બિન લાદેન પાકિસ્તાનના મરહૂમ શાસક ઝીયા-ઉલ-હક દ્વારા સ્થપાયેલી ઈસ્લામિક જમ્હુરી ઈત્તેહાદ (આઈજેઆઈ)નો કટ્ટર સમર્થક હતો. નવાઝ શરીફ તે વખતે આઈજેઆઈના અધ્યક્ષ હતા. આઈએસઆઈના ભૂતપૂર્વ અધિકારી ખાલિદ ખ્વાજાના ખુલાસા પ્રમાણે, શરીફ ઓસામાને સાઉદી અરેબિયામાં તેમની હાજરીમાં ત્રણ વખત મળ્યા હતા. ઓસામાએ શરીફને ભુટ્ટો સરકારને ઉથલાવવા માટે ફંડ પણ આપ્યું હતું.

1990થી 1993 સુધી નવાઝ શરીફ પહેલી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા. તેમના પ્રથમ કાર્યકાળમાં પાકિસ્તાનમાં કટ્ટર ઈસ્લામીકરણ માટેની કમિટીઓ અને જેહાદી તંત્રને ઉભું કરવામાં આવ્યું હતું. ભારતના અંડરવર્લ્ડના મુસ્લિમ માફિયાઓ સાથે પણ સંપર્કો સ્થાપિત કરવામાં આવ્યા હતા. નવાઝ શરીફને તેમની જેહાદી નીતિઓને કારણે પાકિસ્તાની સેના અને કટ્ટરપંથીઓનો ભરપૂર સાથ મળ્યો હતો.

ભારતમાં 1993માં મુંબઈ ખાતે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. ભારતમાં બોમ્બ બ્લાસ્ટથી આતંકની પહેલી શરૂઆત વખતે પાકિસ્તાનમાં નવાઝ શરીફ વડાપ્રધાન હતા. પાકિસ્તાને તે વખતે કુખ્યાત માફિયામાંથી આંતરરાષ્ટ્રીય આતંકવાદી બનેલા દાઉદ ઈબ્રાહીમને ભારત વિરોધી પ્રવૃતિઓ માટે છૂટોદોર આપ્યો હતો. મુંબઈ વિસ્ફોટ માટે જવાબદાર ટાઈગર મેમણને પાકિસ્તાનમાં શરણ પણ શરીફની સરકારે જ આપ્યું હતું. જો કે શરીફ અને તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપિત વચ્ચે ખટરાગ ચરમસીમાએ પહોંચતા પાકિસ્તાની સેનાના કહેવાથી શરીફે પદનો ત્યાગ કર્યો હતો.

બીજી વખત નવાઝ શરીફ 1997થી 1999 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન રહ્યા હતા. આ બીજા કાર્યકાળ દરમિયાન કટ્ટરપંથીઓના ટેકાથી સત્તા પર આવેલા શરીફે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના પ્રભાવને વિસ્તરીત કરવાની રણનીતિ અપનાવી. અફઘાનિસ્તાનની તાલિબાની સરકારને દુનિયામાં સૌથી પહેલી મંજૂરી નવાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે આપી હતી. 1998માં ભારતે પાકિસ્તાનની નીતિઓને જોતા પરમાણુ પરીક્ષણ કર્યા હતા. તેના જવાબમાં શરીફે પણ પાકિસ્તાનમાં પરમાણુ પરીક્ષણો કરીને જવાબ આપ્યો હતો. ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લાહોર બસ યાત્રા કરીને અમનનો પેગામ લઈને પાકિસ્તાન ગયા. ત્યારે પાકિસ્તાની વડાપ્રધાન તરીકે નવાઝ શરીફે વાજપેયી સાથે મીઠીમીઠી વાતો કરી, પણ પાકિસ્તાનના તત્કાલિન વિરોધપક્ષના નેતા બેનઝીર ભુટ્ટો સાથે મુલાકાત કરવા દીધી નહીં. વાજપેયીને સેલ્યુટ નહીં કરીને પાકિસ્તાની સેનાના તત્કાલિન અધ્યક્ષ જનરલ પરવેઝ મુશર્રફને પણ શરીફ તરફથી કોઈ ઠપકો મળ્યો નહીં.

બાકી નવાઝ શરીફે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ જહાંગીર કરામાતને હટાવીને પરવેઝ મુશર્રફને સેનાધ્યક્ષ બનાવ્યા હતા. શરીફ એવી ખુશફેમીમાં હતા કે પાકિસ્તાની સેના તેમના સંપૂર્ણ નિયંત્રણમાં છે અને પરવેઝ મુશર્રફ તેમના માણસ છે. પરંતુ વાજપેયીની સાથે લાહોર એકોર્ડ પર સહી કરનારા શરીફના શાસનકાળમાં જ કારગિલમાં પાકિસ્તાની સેનાએ ભારતીય ક્ષેત્રમાં એલઓસી પાર કરીને કબજો જમાવ્યો હતો. કારગિલમાંથી પાકિસ્તાની સેનાને મારી હટાવવા માટે ભારતને 500 જેટલાં જવાનો અને અધિકારીઓના બલિદાન આપવા પડયા હતા. જો કે શરીફનો દાવો છે કે કારગીલના જંગની તેમને કોઈ જાણ હતી નહીં, પણ મુશર્રફે આખી યોજનાને પાર પાડી હતી. પરંતુ છેલ્લે થયેલા ખુલાસા અને દાવાઓ પ્રમાણે, કારગીલમાં પાકિસ્તાની સેનાની કાર્યવાહીની યોજનાની નવાઝ શરીફને પણ જાણ હતી.

કારગીલમાંથી અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પાકિસ્તાની સેના પાછી ખેંચવા માટે શરીફને તાકીદ કરી હતી. જેના કારણે શરીફે પાકિસ્તાની સેનાને ભારતીય વિસ્તારો છોડીને પાછા ફરવાનો આદેશ કર્યો હતો. કારગીલ યુદ્ધ પછી જનરલ મુશર્રફ શ્રીલંકા ગયા હતા. ત્યારે શરીફે મુશર્રફના વિમાનને કરાચીમાં ઉતરાણ કરવા દીધું નહીં. જેના કારણે પાકિસ્તાની સેનાએ તખ્તાપલટ કરી અને મુશર્રફ સત્તા પર આવતા શરીફને સાઉદી અરેબિયાના જેદ્દામાં વિસ્થાપિત થવું પડયું હતું.

મુશર્રફે પાકિસ્તાનની સત્તા છોડયા પછી છેક 2013માં નવાઝ શરીફ પાકિસ્તાન આવીને ચૂંટણી લડી શક્યા. 2013માં નવાઝ શરીફ પાકિસ્તાનના ત્રીજીવાર વડાપ્રધાન બન્યા છે. નવાઝ શરીફની જીતમાં તહેરીકે તાલિબાન અને અહલે-સુન્નત-વલ-જમાત (એએસડબલ્યૂજે) જેવા કટ્ટરપંથી સંગઠનોનો ખુલ્લો ટેકો મળ્યો છે. સુન્ની કટ્ટરપંથી સંગઠન લશ્કરે જાંગવીની માતૃ સંસ્થા અહલે-સુન્નત-વલ-જમાત છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ મુખ્યમંત્રી છે. પાકિસ્તાની પંજાબની શાહબાઝ શરીફની સરકાર ખુલ્લેઆમ ભારત વિરોધી આતંકવાદી જૂથોને સરકારી રાહે નાણાંકીય સહાય કરે છે. લશ્કરે તોઈબાનો કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદ 2008ના મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે અને અમેરિકી સરકારે તેના પર મોટું ઈનામ જાહેર કર્યું છે. હાફિઝ સઈદને 6 સપ્ટેમ્બરે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં વડાપ્રધાન નવાઝ શરીફે હજારો જેહાદીઓની રેલી કરવાની મંજૂરી આપી હતી. પાકિસ્તાન નેશનલ ડિફેન્સ ડેના રોજ હાફિઝ સઈદની રેલીમાં ભારત અને હિંદુઓ સામે ખૂબ જલદ વિષવમન કરાયચું હતું. શરીફની સરકાર પાકિસ્તાન શરીયત પ્રમાણે ચલાવવાની કટ્ટરપંથીઓ સામે બિલકુલ ખામોશ છે. શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ઈસ્લામિક કટ્ટરપંથીઓ અને જેહાદીઓને રાજકીય તંત્રમાં સ્થાન અપાવવાની તરફેણ કરે છે. શરીફ અફઘાનિસ્તાનના માનવતા વિરોધી તાલિબાનો સાથે વાતચીતની  કરવાની વાત કરીને અમેરિકી લશ્કરી કાર્યવાહીને આડે પાટે લઈ જવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. 2014માં અમેરિકી અને નાટો સેનાઓ અફઘાનિસ્તાનમાંથી પાછી ફરશે, ત્યારે ભારત પર જેહાદી આતંકનો ખતરો ઘેરો બની રહ્યો છે. તેવા સંજોગોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના જેહાદી નેટવર્કને તોડવાને સ્થાને શરીફ સરકાર તેમને સરકાર અને રાજકીય તંત્રનો ભાગ બનાવવાની રણનીતિ પર કામ કરી રહી છે. આવા સંજોગોમાં ભારત સામે ઘણો મોટો ખતરો ઝળુંબી રહ્યો છે.

ભારતમાં 16મી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ભાજપ અને એનડીએની નવી સરકાર સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવી છે. વડાપ્રધાન પદે શ્રીનરેન્દ્રભાઈ મોદીની શપથવિધિમાં પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે ભાગ લીધો છે. પરંતુ શરીફે ભારતના નવા વડાપ્રધાનને ટેલિફોન પર જીત માટે અભિનંદન પાઠવતા પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું. તેના જવાબમાં ભારત તરફથી નવી સરકારે  સાર્ક દેશોના પ્રમુખો સાથે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને પણ સત્તાવાર આમંત્રણ મોકલ્યું હતું. પરંતુ શરીફે આ આમંત્રણ પર નિર્ણય લેવામાં 72 કલાક જેટલો લાંબો સમય લીધો. માનવામાં આવે છે કે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફ અને પાકિસ્તાની પંજાબના મુખ્યમંત્રી શાહબાઝ શરીફ સાથે બેઠકો બાદ તેઓ ભારત આવવાનો નિર્ણય કરી શક્યા હતા.

પરંતુ શપથવિધિ દરમિયાન નવાઝ શરીફની બોડી લેન્ગવેજ ઘણી વિચિત્ર હતી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ જ્યારે શપથ વિધિમાં આવ્યા, ત્યારે ભારતીય પરંપરા હેઠળ નમસ્કારની મુદ્રા સાથે પ્રવેશ્યા હતા. બીજા દિવસે વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીને મળ્યા, ત્યારે પણ કરજઈ નમસ્કારની મુદ્રામાં ગર્મજોશીથી તેમને મળ્યા હતા. પરંતુ નવાઝ શરીફે બધી જગ્યાએ સલામ કરીને લોકોનું અભિવાદન કર્યું. પરંતુ અહીં ફરક અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના નેતાઓની માનસિકતાનો છે. અફઘાનિસ્તાનમાંથી ભૂતકાળમાં ભારત પર અનેક ભીષણ આક્રમણો થયા છે. પરંતુ હાલના અફઘાનિસ્તાનના શાસકોમાં કોઈ કટ્ટરતા કે ભારત વિરોધી ભાવના દેખાતી નથી. પરંતુ પાકિસ્તાનના ભારત આવનારા દરેક નેતાઓ ભારતમાં આવીને તેમના વ્યવહારમાં ઈસ્લામિક કટ્ટરવાદી માનસિકતા દર્શાવતા રહે છે.

શરીફે દિલ્હીની જામા મસ્જિદની મુલાકાત લીધી, અહીં નમાઝ પઢી. દિલ્હીની જામા મસ્જિદના ઈમામ બુખારીને નવાઝ શરીફે મળીને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું છે. ઈમામ બુખારીએ આમંત્રણનો સ્વીકાર પણ કર્યો છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે ઈમામ બુખારી તેમની કોમવાદી માનસિકતા માટે કુખ્યાત છે. તેમણે હાલની લોકસભાની ચૂંટણીમાં સેક્યુલર વોટરોએ કોંગ્રેસને વોટ કરવો જોઈએ કહીને મુસ્લિમ મતદાતાઓને વોટિંગ કરવાની દિશા દર્શાવી હતી. શ્રી મોદી, ભાજપ અને આરએસએસ માટે હંમેશા વિષવમન કરનારા ઈમામ બુખારીની માનસિકતાથી આખો દેશ પરિચિત છે.

ત્યારે દેશે સાવધાન રહેવાની જરૂર છે, પાકિસ્તાનના નવાઝ શરીફ ભારત માટે ક્યારેય શરીફ રહ્યા નથી. વાજપેયી જેવા કવિ હ્રદય વડાપ્રધાન શરીફથી ભૂતકાળમાં છેતરાયા છે. પરંતુ આ ઈતિહાસનું પુનરાવર્તન થાય નહીં તેવી દરેક હિંદુની હ્રદયની લાગણીઓ છે. વળી, પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફ પણ નવાઝ શરીફ સાથે સંબંધો ધરાવે છે. પરંતુ તેમણે પણ કાશ્મીરને પાકિસ્તાનની ધોરી નસ ગણાવીને કોઈપણ આક્રમણનો જવાબ આપવાની વાત કરીને યુદ્ધખોર માનસિકતા પ્રદર્શિત કરી છે. કાશ્મીર મુદ્દે યુદ્ધનું નિવેદન આપીને નવાઝ શરીફ ખુદ ફરી ગયા છે. આ બંને શરીફોના સત્તા પર આવતા જમ્મુ-કાશ્મીર ખાતે એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા 120થી વધારે વખત યુદ્ધવિરામનો ભંગ થયો છે. ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીની શપથવિધિ વખતે પણ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા હતા. શરીફની ભારત મુલાકાત દરમિયાન કુલ ત્રણ વખત પાકિસ્તાની સેનાએ ભારતીય સેના પર ફાયરિંગ કર્યા છે. ત્યારે પાકિસ્તાનના ઈરાદા અને બેવડા વલણો સ્પષ્ટ થઈ રહ્યા છે. ભારતની નવી સરકારે પણ નવા યુગમાં પાકિસ્તાન સામેની નીતિઓની સ્પષ્ટતાનો પાકિસ્તાનના શરીફોને અનુભવ થાય તેવી રણનીતિ પર કામ કરવું રાષ્ટ્રહિતમાં જરૂરી છે.

સોમવાર, 24 ફેબ્રુઆરી, 2014

લોકસભાની ચૂંટણીમાં હિંદુઓ વ્યૂહાત્મક બની 100% મતદાન કરે

-         પ્રસન્ન શાસ્ત્રી
ભારતનું રાજકારણ ઘણું જટિલ છે. ભારતમાં બ્રિટિશ મોડેલ પ્રમાણેની સંસદીય લોકશાહી અમલમાં છે. દેશની લોકશાહીને લૂંટશાહીમાં તબ્દીલ કરનારા સત્તાના દલાલો તેને શ્રેષ્ઠ ગણાવતા થાકતા નથી. પરંતુ કેટલાંક કરોડની વસ્તી ધરાવતા યૂરોપિયન દેશ ઈંગ્લેન્ડની રાજવ્યવસ્થાને કરોડોની આબાદીવાળા એશિયન દેશ ભારતમાં અમલી બનાવતા કેટલીક ખામીઓ ઉજાગર થઈ છે. બ્રિટિશ મોડેલની ઉજાગર થયેલી ખામીઓ ભારતની રાજવ્યવસ્થા દેશને સંપૂર્ણપણે અનુકૂળ નહીં હોવાની અથવા તેમા હજી પણ આ શાસનવ્યવસ્થાને રાષ્ટ્ર માટે યોગ્ય બનાવવા માટે ઘણો અવકાશ હોવાની વાત તરફ ઈશારો કરે છે. જાણકારો જણાવે છે કે ભારતના લોકતંત્રને રાજકારણના વચેટિયાઓએ ભ્રષ્ટતંત્ર બનાવી દીધું છે. જેના કારણે દેશની જનતામાં રાજકારણ અને રાજકારણીઓ પ્રત્યે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ભારતની લોકશાહીની ખામી કહો કે દેશના રાજકારણીઓની કરણી કહો, પણ આપણી લોકશાહીમાં રાજકીય વિકલ્પો વચ્ચે પણ લોકોને સતત વિકલ્પવિહીનતાનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે એક રોષનું વાતાવરણ છે.

આઝાદીની ચળવળ વખતે મુસ્લિમ તુષ્ટિકરણની કોંગ્રેસી નીતિઓના પરિણામે દેશના ભાગલા થયા. કોંગ્રેસની નીતિઓને કારણે મુસ્લિમો દેશના ખાસ આદમી બની ગયા. જ્યારે બહુમતી હિંદુઓ દેશના (બિચારા!!) આમ આદમી બની રહ્યા. આઝાદીની ચળવળ વખતે દેશનો હિંદુ કોંગ્રેસને રાષ્ટ્રવાદી હિંદુ વિકલ્પ તરીકે જોતો હતો. પરંતુ ગાંધી-નહેરુની રાહબરી હેઠળ કોંગ્રેસે પોતાની મુસ્લિમોમાં સ્વીકાર્યતા દેખાડવા માટે હિંદુઓના ભોગે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ ચાલુ રાખી હતી. દેશના આમ આદમી હિંદુઓને તત્કાલિન કોંગ્રેસી નેતાઓએ રાજકીય રીતે ભરમાવી રાખ્યા. બીજું એક હજાર વર્ષની તુર્ક-અફઘાન-મોગલ-બ્રિટિશ ગુલામીમાં હિંદુઓમાં રાજકારણ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ પણ પેદા થયો હતો. હિંદુઓની ઉપેક્ષા અને બેધ્યાનપણાને કારણે દેશની રાજનીતિ મનસ્વી બની. સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિએ ઉચ્ચ સાક્ષરતા ધરાવતો હિંદુ સમાજ પોતાના સામૂહિક રાજકીય હિતોને જોઈ શકે તેવી બહાદૂરીભરી રાજકીય સાક્ષરતા દાખવી શક્યો નહીં.

જેના કારણે રાષ્ટ્રવાદી હિંદુનું મહોરુ પહેરેલા, પણ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને વરેલા નેતાઓ અને કોંગ્રેસ-કમ્યુનિસ્ટ પાર્ટી જેવા રાજકીય પક્ષો વચ્ચે હિંદુ સમાજ અટવાતો રહ્યો. તેમ છતા પાકિસ્તાનના પેદા થયા પછી હિંદુઓમાં કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પની એક આકાંક્ષા હતી. પરંતુ દેશના રાજકીય માળખા અને વ્યવસ્થા પર ઉપરથી નીચે સુધી ગાંધીવાદી દંભમાં ડૂબેલા કોંગ્રેસી મોડલે પકડ જમાવી દીધી. જેના કારણે 1947થી 1977 સુધી કેન્દ્રની એકહથ્થુ સત્તા કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી-નહેરુ પરિવારના જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી કેન્દ્રીત બની ગઈ હતી. ઈન્દિરા ગાંધી દ્વારા લોકશાહીને ટૂંપો દેવાયો અને કટોકટી જાહેર થઈ હતી. પરંતુ તે પહેલા ભ્રષ્ટાચારના મુદ્દે લોકનાયક જયપ્રકાશ નારાયણે દેશમાં નવા રાજકીય વિકલ્પ માટે વાતાવરણ પેદા કર્યું હતું.

કટોકટી વિરુદ્ધના આંદોલનોમાં સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોની મોટી ભૂમિકા હતી. તો કોંગ્રેસ સામે અન્ય રાજકીય પક્ષો જયપ્રકાશ નારાયણના વડપણ હેઠળ એકઠા થયા હતા. તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા મનસ્વીપણે લાગુ કરાયેલી કટોકટી જનવિરોધના કારણે પાછી ખેંચીને લોકસભાની ચૂંટણીઓની જાહેરાત કરવાની ફરજ પડી હતી. આ ચૂંટણીમાં પહેલી વખત દેશની જનતાએ કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પ તરીકે મુખ્યત્વે જનતા પાર્ટીને પસંદ કરી હતી. પરંતુ સત્તાની સાઠમારીના કોંગ્રેસી મોડલમાં ઉછરેલા નેતાઓ કોંગ્રેસનો વિકલ્પ બની શક્યા નહીં. તેણે સાબિત કર્યું કે દેશમાં કોંગ્રેસ માત્ર રાજકીય પક્ષ નથી, પરંતુ રાજકીય મોડલ છે. 1980ની ચૂંટણીમાં ફરીથી ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સત્તા પર આવી. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ઉઠેલા સિમ્પથી વેવમાં રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને ત્રણ ચતુર્થાંસ બહુમતી મળી. ત્યારે લાગતું હતું કે કોંગ્રેસનો રાજકીય વિકલ્પ પેદા થઈ શકશે નહીં.

પરંતુ બોફોર્સ કાંડમાં રાજીવ ગાંધીનું નામ ઉછળ્યા બાદ સંરક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપનારા વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વમાં ફરીથી કોંગ્રેસના રાજકીય વિકલ્પની શોધ શરૂ થઈ. વી. પી. સિંહની આગેવાની હેઠળ જનતાદળ-ભાજપનું ગઠબંધન થયું. 1989માં વી. પી. સિંહ વડાપ્રધાન બન્યા. જો કે ભાજપની સફળતા પાછળ તેની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની હિંદુ વિચારધારાનો ઘણી મોટી ભૂમિકા હતી. એક તરફ શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ સંસદમાં દેશના આમ આદમી હિંદુઓએ આપેલી અભૂતપૂર્વ બહુમતીના જારે મુસ્લિમો ઈચ્છા પ્રમાણે તેમની તરફેણમાં પલટાવી નાખ્યો હતો. તેની સામે હિંદુઓમાં વિરોધનું વાતાવરણ હતું. આ સાથે ભાજપે હિંદુઓની રાજકીય આકાંક્ષાઓને વાચા આપવાની શરૂઆત કરી. અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે શિલાપૂજનના કાર્યક્રમોએ હિંદુત્વવાદી વાતાવરણ તૈયાર કર્યું હતું. જેની અસર દેશના રાજકારણ પર પડી રહી હતી. હિંદુ લાગણીઓને તત્કાલિન ભાજપ થકી રાજકીય મંચ ઉપલબ્ધ થઈ રહ્યો હતો.
જો કે વી. પી. સિંહએ હિંદુત્વવાદી વાતાવરણનો તોડ અનામતના મંડલ કમિશનના રાજકારણમાં શોધ્યો. તેની સામે ભાજપે પણ હિંદુત્વની રાજનીતિને તેજ કરી હતી. વિશ્વ હિંદુ પરિષદના રામજન્મભૂમિ આંદોલનને લાલકૃષ્ણ અડવાણીએ ટેકો જાહેર કર્યો. ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની 10 હજાર કિલોમીટરની રામરથયાત્રા ચાલુ કરી હતી. જેના કારણે તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહની સરકાર હલબલી ઉઠી હતી. જનસમર્થન પોતાની પાસેથી ખસીને હિંદુત્વના રામરથ પર સવાર ભાજપ તરફ ખસી રહ્યું હતું. બિહારના સમસ્તીપુર ખાતે તત્કાલિન જનતાદળના લાલુપ્રસાદ યાદવે અડવાણીની રથયાત્રાને રોકીને તેમની ધરપકડ કરી. તેની સાથે ભાજપે ટેકો પાછો ખેંચતા વી. પી. સિંહની જનતાદળ સરકારનું પતન થયું. ચંદ્રશેખરના નેતૃત્વમાં કોંગ્રેસના ટેકાવાળી સરકાર ટૂંકાગાળા માટે સત્તા પર આવી. 1991-92માં જનતાએ ફરીથી વિકલ્પો વચ્ચે વિકલ્પવિહીનતાની સ્થિતિમાં જનતાદળથી મોહભંગ થઈને કોંગ્રેસને મત આપ્યા.

જો કે આ સમયગાળામાં દેશમાં હિંદુ લાગણીઓ જોર પર હતી અને હિંદી બેલ્ટમાં અસરકારક હિંદુ વોટબેંક અસ્તિત્વમાં હતી. જેના કારણે અહીં ભાજપને ઘણું સારું સમર્થન મળ્યું હતું. પરંતુ કોંગ્રેસને દક્ષિણ ભારતમાંથી સારો ટેકો મળ્યો. તેની પાછળ તમિલનાડુના શ્રીપેરામ્બદૂર ખાતે રાજીવ ગાંધીની એલટીટીઈની આત્મઘાતી દ્વારા કરાયેલી હત્યાની ઘણી મોટી ભૂમિકા હતી. જો કે રાજીવ ગાંધીની હત્યા કોંગ્રેસ માટે ઈન્દિરા ગાંધીની હત્યા જેવો સિમ્પથી વેવ પેદા કરી શકી નહીં. કારણ કે હિંદી બેલ્ટમાં રામજન્મભૂમિ આંદોલનના કારણે હિંદુત્વવાદી વોટબેંક તૈયાર થઈ ચુકી હતી. નરસિંહરાવના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર લઘુમતી સરકાર હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવી. પણ તેને પૂર્ણ બહુમતી મળી ન હતી. 1996માં ભાજપ હિંદુ વોટબેંકના આધારે સૌથી મોટો પક્ષ બન્યો. ભાજપના નેતા અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા. વાજપેયી ભારતમાં સૌથી પહેલા બિનકોંગ્રેસી મૂળ ધરાવતા વડાપ્રધાન હતા. અહીંથી દેશના આમ આદમી એવા હિંદુઓએ મુસ્લિમોને ખાસ બનાવતી રાજનીતિ કરતી કોંગ્રેસને જાકારો આપવાની રાષ્ટ્રનીતિને પ્રભાવીપણે લાગુ કરી.

1998-99માં ભાજપ ફરીથી દેશનો સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટણીમાં જીત મેળવી. ત્યારે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 દૂર કરવો અને સમાન નાગરીક ધારો લાગુ કરવાની વાત સામેલ હતી. પરંતુ 24 પક્ષોના ટેકા સાથે આ ત્રણેય મુદ્દાને એનડીએના નેજા નીચે કોમન મિનિમમ પ્રોગ્રામ દ્વારા દૂર રાખવામાં આવ્યા. તેની પાછળનો હેતુ કોંગ્રેસને સત્તાથી દૂર રાખીને દેશહિતોનું વધુ નુકસાન અટકાવવાનો હતો. વાજપેયીના નેતૃત્વમાં એનડીએની સરકાર છ વર્ષ ચાલી. કોંગ્રેસના રાજકીય વિકલ્પ તરીકે ભાજપની આ સફળતા હતી.

પરંતુ હિંદુત્વના મુદ્દાઓ પર બાંધછોડે ફરીથી હિંદુ વોટબેંકને વિહવળ બનાવી દીધી. જો કે તેની પાછળ દેશમાં રૂઢિગત બનેલુ કોંગ્રેસનું રાજકીય મોડલ જવાબદાર હતું. ભારતની રાજનીતિમાં મૂળથી માંડીને ટોચ સુધી કોંગ્રેસના ડીએનએ ધરાવતા નેતાઓની સતત પકડ રહી છે. જેના કારણે કોંગ્રેસના સત્તા પરથી જવા છતાં કોંગ્રેસનું રાજકીય મોડલ પ્રભાવી રહે છે. જેનો અનુભવ બિનકોંગ્રેસી રાજકીય મૂળ ધરાવતા અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારને પણ થયો હતો. હિંદુ આકાંક્ષાઓને કેટલીક ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં દબાવી દેવાની પ્રવૃતિ રાજકીય સ્તરે તેજ બની હતી. જેના કારણે રામજન્મભૂમિ આંદોલન વખતે તૈયાર થયેલી હિંદુત્વવાદી વોટબેંક હિંદી બેલ્ટથી આગળ વધવાને સ્થાને વિખેરાવા લાગી. 2004ની લોકસભાની ચૂંટણીમાં તેના માઠા પરિણામ ભાજપને ભોગવવા પડયા. 2004થી કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર સત્તા પર આવી. વિખેરાયેલી હિંદુ વોટબેંક ફરીથી પ્રભાવી બનાવવા માટે પ્રયત્ન નહીં કરાતા 2009માં પણ ફરીથી કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર સત્તા પર આવી.
2014ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણની કોંગ્રેસી નીતિઓના ઓવરડોઝથી આમ હિંદુ ત્રસ્ત બન્યો છે. તેની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, ગુનાખોરી સહીતના મુદ્દાઓ પણ આમ હિંદુઓમાં કોંગ્રેસ વિરોધી લહેર પેદા કરનારા બન્યા છે. જેના કારણે રાજકીય ઉપેક્ષાનો ભોગ બનેલી હિંદુ આકાંક્ષાઓ ફરીથી એકજૂટ બની છે. દેશમાં ફરીથી કટોકટી સમયની લહેર હોવાની વાત રાજકીય જાણકારો કરી રહ્યા છે.

આ હિંદુ આકાંક્ષાઓ ફરીથી વોટબેંકનું સ્વરૂપ ધારણ કરી શકે છે. 2011માં અણ્ણા હજારેના નેતૃત્વમાં શરૂ થયેલા ભ્રષ્ટાચાર વિરોધી જનલોકપાલ બિલ માટેના આંદોલને જનઆકાંક્ષાઓને ફરીથી સડકથી સંસદ સુધી આંદોલિત કરી હતી. આ જનઆકાંક્ષાઓમાં હિંદુ રાજકીય વિકલ્પનો અંડરકરંટ પણ દેખાયો હતો. જો કે અણ્ણા હજારેના આંદોલનનો ઉપયોગ કરીને ભાજપ અને કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પ તરીકે કમ્યુનિસ્ટ વિચારસરણી તરફ ઝોક ધરાવતા અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 9 માસ જૂની આમ આદમી પાર્ટીને 70માંથી 28 બેઠકો મળી. ભાજપ દિલ્હીમાં 32 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો. પરંતુ કોંગ્રેસના આઠ ધારાસભ્યોના ટેકાથી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી બનીને દિલ્હીમાં 49 દિવસ સરકાર ચલાવી. ત્યાર બાદ જનલોકપાલ બિલ દિલ્હીની વિધાનસભામાં રજૂ કરવાના મુદ્દે ઉભી થયેલી બંધારણીય અંટસના પરિણામે તેમણે રાજીનામું આપ્યું. આ વખતેની લોકસભની ચૂંટણીમાં તેઓ પણ મેદાનમાં છે.

પરંતુ ભારતના આમ હિંદુ મતદાતાઓએ પોતાના વિવેક પ્રમાણે વિચારવાનો સમય છે કે શું દેશમાં હાલ કોઈ હિંદુ રાજકીય વિકલ્પ ઉપલબ્ધ છે અથવા આગામી સમયમાં કોઈ હિંદુત્વવાદી રાજકીય વિકલ્પનો ગર્ભ  બની શકે છે? તેવા સંજોગોમાં હાલ ઉપલબ્ધ રાજકીય વિકલ્પોમાંથી હિંદુ મતદાતાઓએ રાષ્ટ્રહિતમાં મહત્વનો નિર્ણય કરવાનો છે. આમ આદમી પાર્ટીની પૃષ્ઠભૂમિમાં રહેલા અણ્ણા હજારેના આંદોલન વખતે કોંગ્રેસી મોડેલ હેઠળની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિઓ દેખાઈ હતી. એક તરફ અણ્ણા હજારે અનશન કરી રહ્યા હતા અને બીજી તરફ મુસ્લિમોને પોતાની તરફ ખેંચવા માટે અણ્ણાના તત્કાલિન ટેકેદારો અનશન સ્થાને ઈફ્તાર પાર્ટીનું આયોજન કરી રહ્યા હતા. અણ્ણાના મંચ પર મુસ્લિમ પ્રતિનિધિત્વ દેખાડવાનો પ્રયત્ન કરાયો હતો. અણ્ણાના આંદોલનની શરૂઆતમાં મંચ પર દેખાયેલી ભારતમાતાના તસવીર આંદોલનના છેલ્લા તબક્કામાં ગાયબ થઈ હતી...તો દિલ્હીની જમા મસ્જિદના ઈમામ બુખારીનું સમર્થન લેવા માટે અરવિંદ કેજરીવાલે અંદાજે અઢી કલાક સુધી રાહ જોઈ હતી. જો કે ત્યાર બાદ પણ તેમને ખાલી હાથે પાછા ફરવું પડયું હતું.


આમ આદમી પાર્ટીની જાહેરાત બાદ પણ મુસ્લિમ સમર્થન માટે અરવિંદ કેજરીવાલના હવાતિયાં જગજાહેર છે. મુઝફ્ફરનગર ખાતેના હુલ્લડો બાદ કેજરીવાલ હુલ્લડખોર મનાતા તૌકીર રજા નામના શખ્સને રાજકીય ટેકા માટે મળ્યા હોવાનું મનાય છે. દિલ્હીના મુખ્યમંત્રી પદે સોગંદવિધિ દરમિયાન સેક્યુલર દેખાવા માટે કેજરીવાલે પોતાના ભાષણમાં ઈશ્વર સાથે અલ્લાહનો વારંવાર ઉપયોગ કર્યો હતો. જો કે મુસ્લિમ અનામતની તરફદારી કરતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહીતના પક્ષોની એક અલગ પ્રકારની રાજકીય સંસ્કૃતિ પેદા થઈ છે. આ દોડમાં ભાજપે પણ મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે થોડાઘણાં પ્રયત્નો કર્યા હોવાનું ઘણાં લોકો માની રહ્યા છે. આમાના ઘણાની લાગણી છે કે ભાજપનું કોંગ્રેસીકરણ થયું છે અને કોંગ્રેસ આઝાદી પહેલાની મુસ્લિમ લીગ બની ગઈ છે. પરંતુ આ તમામની પાછળ ભારતમાં મૂળ સુધી પ્રસરેલું કોંગ્રેસનું રાજકીય મોડલ જવાબદાર હોવાની વાત હિંદુ મતદારોએ ધ્યાનમાં રાખવા જેવી છે. અત્યારે ઘણાં હિંદુ મતદારો ઘોષિત હિંદુ રાજકીય વિકલ્પનો અભાવ અનુભવી રહ્યા છે. તેમ છતાં તેમણે કોંગ્રેસના રાજકીય મોડેલને ખતમ કરવા માટે વ્યૂહાત્મક મતદાન કરવાની રાષ્ટ્રીય હિતોની પૂર્તિ માટે જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં હિંદુઓ બિનકોંગ્રેસી રાજકીય વિકલ્પ માટે ફરીથી સક્રિય બને તે જરૂરી છે. ત્યારે દેશના હિંદુ મતદારોએ રાષ્ટ્રીય હિતમાં વ્યૂહાત્મક રીતે વિચારવું આવશ્યક છે. ત્યારે હિંદુઓનું વ્યૂહાત્મક રીતે પ્રવર્તમાન રાજકીય વિકલ્પોમાંથી હિંદુ રાજકીય વિકલ્પ તરીકે નજીકના પક્ષ કે મોરચાના ઉમેદવારની તરફેણમાં 100 ટકા મતદાન ભારતને નવી સંભાવનાઓ તરફ આગળ લઈ જઈ શકશે.