Friday, October 7, 2011

“હિંદુઓના ધર્માંતરણને અટકાવા માટે રાષ્ટ્રીય કોષ બનાવાશે” - ધર્મનારાયણજી શર્મા, અખિલ ભારતીય મંત્રી, ધર્મપ્રસાર વિભાગ-વિહિપ


-મુલાકાતકર્તા- આનંદ શુક્લ

(વિશ્વ હિંદુ પરિષદના ધર્મપ્રસાર વિભાગ દ્વારા સતપંથ પ્રેરણાપીઠ પીરાણા ખાતે અખિલ ભારતીય કાર્યકર્તા સંમેલન દિનાંક-5,6,7 નવેમ્બર, 2011ના રોજ યોજાવાનું છે. આ મહાસંમેલનમાં દેશભરમાંથી જીલ્લા સ્તરથી ઉપરના કાર્યકર્તાઓ ભાગ લેવાના છે. જેમાં દેશમાં ખ્રિસ્તી મિશનરીઓ અને અમુક ઠેકાણે મુસ્લિમ સંગઠનો દ્વારા ચાલી રહેલા ધર્માંતરણ પર વિશેષ ચર્ચા યોજાવાની છે. આ સંમેલનમાં વિહિપના અધ્યક્ષ અશોક સિંઘલ, આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણભાઈ તોગડિયા, આંતરરાષ્ટ્રીય સંગઠન મંત્રી દિનેશજી, ધર્મપ્રસારના કેન્દ્રીય મંત્રી મોહનજી જોશી અને ધર્મનારાયણજી ઉપસ્થિત રહેવાના છે. આ મહાસંમેલન સંદર્ભે ધર્મપ્રસાર વિભાગના અખિલ ભારતીય સંગઠન મંત્રી ધર્મનારાયણજી શર્માએ પત્રકાર આનંદ શુક્લ સાથે વિસ્તૃત વાતચીત કરીને પોતાના સ્પષ્ટ વિચાર વ્યક્ત કર્યા. પ્રસ્તુત છે, આ મુલાકાતના મુખ્ય અંશો...)

(1)પીરાણાપીઠ ખાતે નવેમ્બર માસમાં યોજનારા અખિલ ભારતીય ધર્મપ્રસાર કાર્યકર્તા મહાસંમેલનનો ઉદેશ્ય શું છે?

હિંદુ સમાજ અને ધર્માંતરીત થઈને મુસ્લિમ-ખ્રિસ્તી બનેલા હિંદુઓમાં ધર્મપ્રસારનો કાર્યવિસ્તાર કરવો. આ કાર્યકર્તા મહાસંમેલનને માધ્યમ બનાવીને દેશભરમાં કાર્યકર્તા, સમિતિની સંખ્યામાં વધારો કરીને ધર્મપ્રસારને સુદ્રઢતાપૂર્વક આગળ વધારવાની યોજના કરવી અને તેના માટે ધનસંગ્રહ પણ કરવો.

(2) ધર્મપ્રસાર કાર્યકર્તા મહાસંમેલન માટે પીરાણાપીઠની પસંદગી શા માટે કરવામાં આવી?

પીરાણાપીઠમાં 2થી3 હજાર કાર્યકર્તાઓને રહેવા માટેની યોગ્ય વ્યવસ્થા છે. પીરાણાપીઠના ટ્રસ્ટીઓએ આગળ વધીને પીરાણા ખાતે ધર્મપ્રસાર કાર્યકર્તા મહાસંમેલનના આયોજન માટે આગ્રહ કર્યો હતો. દેશભરમાં અન્ય સ્થાનો પણ મહાસંમેલન માટે હતા, પરંતુ ગુજરાતમાં પીરાણાપીઠ અમદાવાદથી માત્ર 20 કિલોમીટર દૂર હોવાથી દેશભરમાંથી આવનારા કાર્યકર્તાઓને પહોંચવામાં સુગમતા રહે તેના કારણે પસંદ કરવામાં આવી.

(3)આ સંમેલનમાં કેટલાં કાર્યકર્તાઓ ભાગ લેવાના છે?

આ મહાસંમેલનમાં દેશભરના જીલ્લાસ્તરના અને તેની ઉપરના સ્તરના કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા છે. કુલ મળીને સાડા ત્રણ હજાર જેટલાં ધર્મપ્રસારના કાર્યકર્તાઓ મહાસંમેલનમાં ભાગ લેશે. આ મહાસંમેલનમાં સંત-મહાત્માઓ પણ આશિર્વાદ અને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહેશે. આ સિવાય દાનદાતાઓ, ભારતીય જનસેવા સંસ્થાના આજીવન સભ્યોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

(4) આ મહાસંમેલનમાં વિખ્યાત સંતોમાંથી કોણ હાજર રહેવાનું છે?

હાલ મારી પાસે રહેલી માહિતી પ્રમાણે, પ.પૂ. સ્વામી ચિન્મયાનંદજી (હરિદ્વાર), પ.પૂ. સ્વામી અખિલેશ્વરાનંદ ગિરિ (જબલપુર) ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ સિવાય પ્રયાસ છે કે ગુજરાતના જાણીતાં શ્રેષ્ઠ સંતો મહાસંમેલનમાં ભાગ લે. આ મહાસંમેલનમાં દેશભરના તમામ મહામંડલેશ્વરોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

(5) કાર્યકર્તા સંમેલનમાં ક્યાં મુદ્દાઓ પર ચર્ચા થવાની છે?

અખિલ ભારતીય કાર્યકર્તા મહાસંમેલનમાં દેશભરમાં વધી રહેલા ધર્માંતરણ પર ચર્ચા કરીને તેને રોકવાના ઉપાયો અને રણનીતિ ઘડાશે, ધર્મપ્રસારના કામ માટે કાર્યવિસ્તાર પર વ્યાપક ચર્ચા થશે. ધર્માંતરણ રોકવા માટે રાષ્ટ્રીય કોષ બનાવવા પર વિશેષ ચર્ચા કરીને તેના માટેની યોજના બનાવાશે. મહિલાઓમાં ધર્મપ્રસારના કામના વિસ્તાર માટે યોજના બનશે. આ સિવાય સેવાપ્રકલ્પો વધે તેના માટે પણ કાર્યકર્તાઓનો અભિપ્રાય લેવામાં આવશે. ઘરવાપસી અને પરાવર્તનના કામ માટે પૂર્ણકાલિનોની સંખ્યામાં વૃદ્ધિના વિષય પર ગંભીરતાથી ચિંતન થશે.

(6) આ સંમેલનમાં ક્યાં પ્રસ્તાવો પસાર કરવામાં આવશે?

આ અખિલ ભારતીય કાર્યકર્તા સંમેલનમાં કોઈ પ્રસ્તાવ પારીત કરાશે નહીં. પરંતુ તેમાં 10 જૂથો બનાવીને સંતો, મહિલાઓ, કાર્યકર્તાઓ, દાનદાતાઓ સાથે અલગ-અલગ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. કાર્યકર્તાઓને ધર્મપ્રસારના વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. ધર્મપ્રસારના કાર્ય માટે યુવા શક્તિ મંચ અને નારી શક્તિ મંચ બનાવાયા છે. યુવા શક્તિ મંચને દેશભરના યુવા સંગઠનોની સાથે ઘનિષ્ઠતા કેળવવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. દેશભરમાં વિધર્મીઓ દ્વારા લવજેહાદ ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખીને નવયુવતીઓ અને મહિલાઓને સજાગ કરવા માટે નારી શક્તિ મંચને સક્રિય ભૂમિકા નિભાવવાનું લક્ષ્ય આપવામાં આવશે.

(7) ધર્મપ્રસારના કામમાં દેશભરમાં કેટલાં પૂર્ણકાલિન કાર્યકર્તાઓ કાર્યરત છે?

દેશભરમાં ધર્મપ્રસારના કામમાં 200 પૂર્ણકાલિન કાર્યકર્તાઓ કાર્યરત છે. તેમાંથી ધર્મપ્રસારના સંગઠનના કામમાં 125 પૂર્ણકાલિનો કાર્યરત છે અને ધર્મપ્રસારના સેવાપ્રકલ્પોમાં 75 પૂર્ણકાલિન કાર્યકર્તાઓ કાર્યરત છે.

(8) ધર્મપ્રસાર વિભાગમાં કામ કરનારા પૂર્ણકાલિન કાર્યકર્તાઓ અને સેવાપ્રકલ્પોની આર્થિક જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરવામાં આવે છે?

પૂર્ણકાલિન કાર્યકર્તાઓની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે ભારીતય જનસેવા સંસ્થાન નામની એનજીઓ બનાવવામાં આવી છે. તેના દ્વારા ધનસંગ્રહ કરવામાં આવે છે. આ એનજીઓને 80-જી અને એફસીઆરએ પ્રાપ્ત છે. થોડા પ્રમાણમાં પ્રવાસી ભારતીયોનો સહયોગ પણ પ્રાપ્ત થાય છે. આમાંથી સેવાપ્રકલ્પોની આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવે છે.

(9) ધર્મપ્રસાર વિભાગની સરખામણીમાં ખ્રિસ્તી-મુસ્લિમ સંસ્થાઓને ઘણું વધારે ફંડિગ મળી રહ્યું છે, ત્યારે ધર્મપ્રસાર વિભાગને વધારે ફંડિગ મળે તેના માટે કેવી કોશિશ કરવામાં આવશે?

દેશભરમાં હિંદુઓને ધર્મપરિવર્તિત કરીને ખ્રિસ્તી અને મુસલમાન બનાવવા માટે વિદેશી નાણાંઓથી ચાલતી ઘણી મિશનરીઓ અને એનજીઓ કાર્યરત છે. તે હિંદુ સમાજ માટે ચિંતાનો વિષય છે. ત્યારે હિંદુ ધર્મમાં ધર્મપરિવર્તન અટકાવવા અને ધર્મપરિવર્તિત થયેલા હિંદુઓની ઘરવાપસી માટે ઘણાં નાણાંની જરૂર ઉભી થઈ છે. ધર્મપ્રસારના કામને વેગ આપવા માટે વધારે ફંડિગ મળે તેના માટે એક રાષ્ટ્રીય કોષના નિર્માણ માટે આગામી પાંચ વર્ષમાં યોજના બનાવીને કામ કરવામાં આવશે.

(10) દેશભરમાં ધર્માંતરણની પ્રવૃતિ ક્યાં ક્યાં ઠેકાણે પૂરજોરમાં ચાલી રહી છે?

આમ તો દેશભરમાં હિંદુઓને ધર્માંતરીત કરવાની પ્રવૃતિ નાનામોટા પ્રમાણમાં ઠેરઠેર ચાલી રહી છે. પરંતુ તેમાં કેરળમાં ખ્રિસ્તી અને મુસ્લિમ સંસ્થાઓના માધ્યમથી હિંદુઓનું ધર્માંતરણ ચાલી રહ્યું છે. આ સિવાય તમિલનાડુમાં સમુદ્રકિનારે રહેતા હિંદુ માછીમારો, આંધ્ર પ્રદેશના પૂર્વ વિસ્તારમાં, મધ્ય પ્રદેશ-છત્તીસગઢના બસ્તર અને બિલાસપુરમાં, ઝારખંડ-ઓરિસ્સાના આદિવાસી વિસ્તારોમાં, ગુજરાતના ટ્રાઈબલ બેલ્ટમાં ધર્માંતરણનું કામ પૂરજોરમાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં ટ્રાઈબલ સિવાય વણકર, કોળી, ઠાકોર, સલાટ જાતિઓને ધર્માંતરીત કરવા માટે ખ્રિસ્તી મિશનરીઓ અને મુસ્લિમ સંગઠનોએ જાળ બિછાવી છે.

(11) દેશભરમાં ધર્માંતરણનું કામ ક્યાં ક્યાં ધર્મના સંગઠનો દ્વારા ચાલે છે?

દેશભરમાં મુખ્યત્વે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સેવાના માધ્યમથી ધર્માંતરણનું કામ ચાલી રહ્યું છે. મુસ્લિમ સંગઠનો ખ્રિસ્તી સંગઠનોની સરખામણીએ નહીવત પ્રમાણમાં હિંદુઓનું ધર્માંતરણ કરી રહ્યાં છે. જો કે તબલીગ જેવાં મુસ્લિમ સંગઠનોનો મુસ્લિમોને વધારે કટ્ટર બનાવવાનું કામ કરી રહ્યાં છે, કારણ કે દેશના ઘણાં વિસ્તારોમાં મુસ્લિમોમાં હિંદુ જીવનપદ્ધતિના સંસ્કાર રહેલા છે. તબલીગ જેવાં મુસ્લિમ સંગઠનો આવા મુસ્લિમ સમુદાયોમાંથી હિંદુ જીવનપદ્ધતિના સંસ્કારોને કાઢીને તેમને વધારે કટ્ટર બનાવવાનું અભિયાન ચલાવી રહ્યાં છે.

(12) દેશભરમાં સૌથી વધારે ધર્માંતરણ ક્યાં રાજ્યોમાં થાય છે?

દેશભરમાં સૌથી વધારે ધર્માંતરણ કેરળ અને તમિલનાડુ રાજ્યોમાં થઈ રહ્યું છે. કેરળમાં હિંદુ સામાન્ય રીતે ગરીબ છે. કેરળની શિક્ષણ સંસ્થાઓ ખ્રિસ્તી મિશનરીઓના હાથમાં છે અને વ્યાપાર-ધંધા મુસ્લિમોના હાથમાં છે. અહીં હિંદુ દબાયેલો છે. તેને કારણે હિંદુઓને ધર્માંતરીત કરવા માટે ખ્રિસ્તી-મુસ્લિમ સંગઠનોને કેરળમાં અનુકૂળતા મળી રહી છે. આ સિવાય તમિલનાડુના દરિયાકિનારે રહેતા હિંદુ માછીમારોને ખ્રિસ્તી મિશનરીઓ લોભ-લાલચ અને છળકપટથી ખ્રિસ્તી બનાવી રહ્યાં છે.

(13) ગુજરાતમાં ક્યાં વિસ્તારોમાં ધર્માંતરણ થઈ રહ્યું છે?


આમ તો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણ થઈ રહ્યું છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, ભરૂચ અને નર્મદા-વલસાડ જિલ્લામાં, બનાસકાંઠામાં દાંતા તાલુકામાં, સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, મેઘરજ, માલપુર, ભિલોડા, વિજયનગરમાં, દાહોદ-પંચમહાલ, સંતરામપુરમાં ધર્માંતરણનું કામ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચાલે છે. આ સિવાય સુરેન્દ્રનગર, આણંદ-નડિયાદમાં પણ ખ્રિસ્તી મિશનરીઓ મોટા પ્રમાણમાં કાર્યરત છે. કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારમાં મુસ્લિમ સંગઠનો ધર્માંતરણના કામમાં લાગેલા છે.

(14) ગુજરાતમાં કઈ જાતિઓ ધર્માંતરણનો ભોગ બની છે?


ગુજરાતમાં આદિવાસીઓ મુખ્યત્વે ધર્માંતરણનો ટાર્ગેટ બન્યા છે. આ સિવાય આણંદ-નડિયાદમાં વણકર જાતિ, સુરેન્દ્રનગરમાં સલાટ જાતિ, ગાંધીનગરમાં રાવલ જાતિને ખ્રિસ્તી મિશનરીઓ ધર્માંતરીત કરી રહી છે. જ્યારે કચ્છના સરહદી વિસ્તારોમાં કોળી અને દલિત-હરીજનોને મુસ્લિમ સંગઠનો ધર્માંતરીત કરી રહ્યાં છે. કચ્છના સરહદી વિસ્તારમાં કોળી, હરીજન-દલિતોને મુસ્લિમ બનાવવાની પ્રવૃતિ સુરક્ષાની દ્રષ્ટિએ ઘણી સંવેદનશીલ બાબત છે.

(15) હિંદુઓના થઈ રહેલા ધર્માંતરણને રોકવા માટે વ્યક્તિ, સમાજ અને સરકારને શું અનુરોધ કરો છો?

હિંદુ સમાજને ધર્માંતરણથી બચાવવા માટે વ્યક્તિ તરીકે સમય અને ધનનો ભોગ આપવો જોઈએ. સમાજે સમરસતાને સાચા અર્થમાં સાકાર કરવી જોઈએ અને ઘરવાપસી માટે ઉત્સાહપૂર્વક ધન આપવું જોઈએ. જે જગ્યાએ ધર્માંતરણ થતું હોય, ત્યાં સરકારે ધર્માંતરણ વિરોધી કાયદો અસ્તિત્વમાં હોય તો તેનો કડકાઈથી અમલ કરવો જોઈએ. જો ધર્માંતરણ વિરોધી કાયદો ન હોય, તો લોભ,લાલચ,ભય અને છેતરપિંડીથી થતાં ધર્માંતરણને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ. દેશભરમાં ધર્માંતરણ વિરોધી કાયદો બનવો જોઈએ.

(16) ગુજરાતના ધર્માંતરણ વિરોધી કાયદાથી તમે સંતુષ્ટ છો?

જોવો, માત્ર કાયદાના બની જવાથી સંતુષ્ટ થવાય નહીં, સંતુષ્ટ તો તેના અમલથી થવાય છે. કાયદાનો જ્યાં સુધી અમલ થતો નથી, ત્યાં સુધી તેઓ માત્ર કાગળ પર જ હોય છે. ત્યારે સમાજે ધર્માંતરણના કિસ્સાઓમાં સરકારને ફરીયાદ કરવી જોઈએ. હિંદુ સંગઠનોએ સજાગ થઈને ધર્માંતરણના કાર્યોના પુરાવા મોટાપ્રમાણમાં એકઠા કરવા જોઈએ. પોલીસ અને સંબંધિત લોકો સુધી તેની ફરીયાદ કરવી જોઈએ અને કાયદો લાગુ કરવા માટે તેમને મજબૂર કરવા જોઈએ.

(17) દેશભરમાં ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવા માટે તમારી શું રણનીતિ છે?

જુઓ, અમે ઈચ્છીએ છીએ કે ધર્માંતરણ વિરોધી કાયદો દેશભરમાં બને અને લાગુ થાય. અમે તેના માટે બે વાર્ષિક બેઠકોમાં પ્રસ્તાવો પારીત કર્યા છે. તેને સરકારને પણ મોકલ્યા છે. અમારી બેઠકો, સંમેલનોમાં ધર્માંતરણ વિરોધી કાયદાઓની માગણી પૂરજોરમાં કરવામાં આવે છે. જો કે અમે હજી તેના માટે કોઈ આંદોલન કર્યું નથી અથવા તો આંદોલનના માર્ગે ગયા નથી. હાલ આંદોલનનો વિચાર કર્યા વગર પાંચ વર્ષ માટે સંગઠનને મજબૂત કરીને પ્રખંડ સ્તર સુધી પહોંચાડવાની રણનીતિ પર કામ કરી રહ્યા છીએ. આ કાર્યપૂર્ણ થયા પછી જે પ્રકારની જરૂર પડશે, જેને જે ભાષામાં સમજાવાની જરૂર પડશે, તે પ્રકારે સમજાવા માટે તેવી ભાષામાં બોલવામાં આવશે. ગુજરાતમાં ખ્રિસ્તીઓ મોટાભાગે વટલાયેલા હિંદુઓ છે. આગામી દશ વર્ષમાં ખ્રિસ્તી બનેલા તમામ હિંદુઓની ઘરવાપસી કરવામાં આવશે. તેના માટે ગુજરાતમાં ધર્મપ્રસારના પૂર્ણકાલિનોની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

(18) ગુજરાત અને દેશભરમાં ધર્માંતરીત બનેલી જાતિઓને કેવી રીતે હિંદુ ધર્મમાં પાછી લાવો છો? શું તેના માટે કોઈ બળજબરી કરો છો?

કોઈને ઘરે પાછા લાવવામાં બળજબરીનો પ્રશ્ન જ ઉભો થતો નથી. આવી કોઈ બળજબરી અમારા તરફથી થતી નથી. અમે સૌ પ્રથમ વટલાયેલા હિંદુઓનો સંપર્ક કરીએ છીએ. તેમના નેતાઓ સાથે ચર્ચા કરીએ છીએ. તેમને તેમના પૂર્વજ અને પરંપરાઓ યાદ કરાવીએ છીએ. તેમને તેમનો ઈતિહાસ જણાવીએ છીએ. તેના કારણે સ્વાભાવિકપણે તેમનામાં પોતાના પૂર્વજો અને પરંપરા સાથે જોડાવાની લાગણી પેદા થાય છે. ત્યાર બાદ તેમના દ્વારા એફિડેવિટ થાય છે અને પછી તેમને સંતો-મહાત્માઓના માધ્યમથી યજ્ઞ કરીને હિંદુ ધર્મમાં ભાવપૂર્વક પાછા લાવવામાં આવે છે. આવા કિસ્સાઓમાં બળજબરીનો ક્યારેય પ્રયત્ન કરવામાં આવતો નથી. આવા સમાચારો ખોટા અને દુષ્પ્રચારથી પ્રેરીત છે. ગુજરાત અને દેશમાં ઘણાં ઘર વાપસીના કાર્યક્રમો થયા છે. આજે આવા પરિવારો હિંદુ સમાજમાં પુનર્પ્રસ્થાપિત થઈ ચુક્યા છે. આગામી દિવસોમાં પણ અમને ઘરવાપસીના કાર્યક્રમોમાં સફળતા મળશે તેવી શ્રદ્ધા છે. સંતો-મહંતો હિંદુઓના ધર્માંતરણથી ઘણાં ચિંતિત છે. તેઓ પણ ધર્મપ્રસારના કામમાં યોગદાન આપી રહ્યાં છે.

1 comment:

  1. anandbhai, dharmantarn mate Hindu loko ni uch-nich ni mansikta javabdar chhe.
    bija namber upar ave chhe, apne Hindu dharm ma open rite koi bija dharm na manso ne parivartit karvani khami. Koi ne Hindu banvu hoy to koi official process nathi jyare bija dharm ma avi process chhe. ghana foreigner ne Hindu dharm game chhe, e loko hindu dharm ni vicharshaili ne mane chhe pan Hindu bani nathi sakta....

    ReplyDelete