Monday, October 10, 2011

શ્રમની બાદબાકી એટલે જીવનની બરબાદી!


-આનંદ શુક્લ

શ્રમ જીવનનો આધાર છે. શ્રમ કર્મ કરવાનું માધ્યમ છે. ભારતમાં દર્શનમાં કર્મનું ઘણું મહત્વ છે. શ્રીમદ ભગવત ગીતમાં પણ કર્મનો સિદ્ધાંત ખૂબ વિસ્તારથી સમજવામાં આવ્યો છે. શ્રમ કર્મ કરવાનું માધ્યમ છે. ભારત કૃષિ પ્રધાન દેશ હોવાને કારણે અહીં શારીરિક શ્રમ જીવનનો અભિન્ન હિસ્સો હતો. આઝાદી વખતે ભારત 80 ટકા કૃષિપ્રધાન દેશ હતો. હાલ ભારત 65 ટકા કૃષિપ્રધાન દેશ છે. એટલે કે ભારતમાં કૃષિ અથવા તેના પર આધારીત કામો 15 ટકા ઓછા થયા છે. તેની અસર અહીં વ્યક્તિના શરીર પર પડતી દેખાય છે. ભારતમાં કસરતનું પણ મહત્વ હતું. ગામેગામ અખાડા ભૂતકાળમાં રહેતા હતા. મલખમ, કુસ્તી, કબડ્ડી જેવી રમતો લોકોના જીવનનો ભાગ હતી. પરંતુ નવા પવને ભારતીય જીવનમાં રહેલા શ્રમને નિશાન બનાવ્યું છે. પહેલા આરામ માત્ર અમીરોના નસીબમાં જ હતો. પરંતુ હવે આરામ મધ્યમવર્ગીય લોકો સુધી પહોંચવા લાગ્યો છે. આરામે ભારતના વ્યક્તિના જીવનને હરામ બનાવી દીધું છે. ભારતીય જીવનધારામાંથી શ્રમની બાદબાકી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધી જેવાં મહાપુરુષ પણ શારીરિક શ્રમને માનવીય જીવનનો અભિન્ન હિસ્સો માનતા હતા. તેમણે ચલાવેલા તમામ રાજકીય અને સામાજીક આંદોલનમાં શ્રમની હિસ્સેદારી ઘણી મોટી હતી. પરંતુ હાલ ભારતીય જીવનમાંથી શ્રમનો છેદ ઉડાડી દેવાયો છે.

નવો પવન આપણા જીવનની દિશા બદલી રહ્યો છે, આપણને ખાઈ તરફ ધકેલી રહ્યો છે. વાતાનુકૂલિત ફ્લેટ કે ઓફિસમાં લેપટોપ પર કામ કરવાનું કલ્ચર વધી રહ્યું છે. નફા પાછળની આંધળી દોટ માણસના જીવનમાં તણાવ ઉભો કરી રહી છે. ચાલવાનું અને સાઈકલ પર ફરવાનું ભુલાઈ રહ્યું છે. ભારતમાં નવી નવી ઓટોમોબાઈલ કંપનીઓ સ્થપાઈ રહી છે અને તેઓ ભારતમાં મોટા પ્રમાણમાં દ્વિચક્રીય વાહનો વેચી રહી છે. ભારતમાં છેલ્લા કેટલાંક દશકાઓથી મધ્યમવર્ગમાં ખાસી વૃદ્ધિ થઈ છે. (જો કે ગરીબ વર્ગ પણ મોટો થતો જાય છે.) ખાનપાનમાં પણ ઘણો મોટો ફેરફાર થઈ રહ્યો છે. ભારતીયોનું જીવન બેઠાડું બની રહ્યું છે. આ બેઠાડું જીવન ભારતીયોને શારીરિક રીતે ખતમ કરી નાખશે.

સતત વધી રહેલા મોંઘવારીના સમયમાં જેમતેમ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહેલા મિડલ ક્લાસના માણસો માટે ડાયાબિટિસ એક નવી મુશ્કેલી બનીને સામે આવી રહ્યો છે. ભારતમાં ડાયાબિટિસના મામલા એટલી ઝડપથી વધી રહ્યા છે કે ગત એક દશકમાં દેશભરમાં તેનાથી પીડિત લોકોની સંખ્યા બેગણી થઈ ચુકી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ઈન્ડિયા ડાયાબિટિસના એક નવા અભ્યાસ પ્રમાણે, દેશભરમાં લગભગ 6.24 કરોડ લોકો ડાયાબિટિસથી પીડાય છે. 120 કરોડના દેશમાં આ આંકડા ભલે નાના લાગતા હોય, પરંતુ તેમાં ડાયાબિટિસ થવાને આરે પહોંચેલા લોકોની સંખ્યાને ઉમેરી દેવામાં આવે, તો પરિસ્થિતિ ગંભીર રીતે વણસેલી લાગે તેવી છે. આ અભ્યાસ પ્રમાણે, 7.72 કરોડ લોકો એવા છે કે જેમનામાં ડાયાબિટિસના લક્ષણ છે. એટલે કે હાલની પરિસ્થિતિમાં લગભગ 14 કરોડ લોકો ડાયાબિટિસની ઝપટમાં છે. વર્ષ 2004માં ડાયાબિટિસ કેયરએ અનુમાન લગાવ્યું હતું કે 2030 સુધીમાં ભારતમાં ડાયાબિટિસના દર્દીઓની સંખ્યા 7.94 કરોડ થઈ જશે. આમા હજી બે દશકા બાકી છે, પરંતુ ડાયાબિટિસના દર્દીઓની વધી રહેલી સંખ્યા જણાવી રહી છે કે આ અનુમાનના આંકડાને ભારત ઘણી ઝડપથી પાર કરી જશે.

શોધ અભ્યાસમાં પહેલીવાર તબીબોએ માન્યું છે કે ડાયાબિટિસ હવે શહેરી અને દોડાદાડીવાળી જીવનશૈલીની બીમારી રહી નથી, પરંતુ તેણે ગ્રામીણ જીવનને પણ પોતાની ઝપટમાં લેવાનું શરૂ કર્યું છે. કેટલાંક વર્ષો પહેલા ડાયાબિટિસ અમીરોની બીમારી ગણાતી હતી, પછી તેને જીનેટિક કારણથી ફેલાતી બીમારી ગણાવામાં આવી. પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં તે મધ્યમવર્ગની બીમારીમાં રૂપાંતરીત થઈ ગઈ છે. ડાયાબિટિસ પાછળના દરેક અભ્યાસમાં સામે આવ્યું છે કે છેલ્લા કેટલાંક સમયથી જેને ભારતના વિકાસનો સુવર્ણકાળ કહેવામાં આવે છે, તેમાં બેઠાડું જીવન વધી જતાં શારીરિક શ્રમની બાદબાકી થવાથી ડાયાબિટિસ ઝડપથી ફેલાયો છે. મહાનગરો-શહેરોની બેઠાડા જીવનની શૈલી ગામડાંઓ સુધી પણ પહોંચી છે. તેના કારણે આ બીમારી ઝડપથી લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે.

ડાયાબિટિસના મામલે ભારતનો ગ્રાફ પહેલેથી જ ખરાબ છે. દુનિયાના કુલ ડાયાબિટિસ પેશન્ટમાંથી એક ચતુર્થાંસ દર્દીઓ ભારતમાં છે. આગામી દિવસોમાં ડાયાબિટિસના દર્દીઓની સંખ્યા ભારતમાં મોટાપ્રમાણમાં વધવાની છે. આ પરિસ્થિતિ સામે હોવા છતાં ભારત સરકારની કોઈ આરોગ્ય નીતિ સ્પષ્ટ રીતે લોકો સામે આવી રહી નથી. જે ઝડપથી ડાયાબિટિસની બીમારી વધી રહી છે, તેટલી ઝડપથી લોકોમાં જાગરૂકતા ઉભી કરવાની કોઈ દરકાર સરકારને નથી. હાલ દેશના શહેરી વિસ્તારોમાંથી 30 ટકા લોકો ડાયાબિટિસની સારવારની જરૂરિયાત હોવાનું માનતા નથી, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 50 ટકા લોકોને ડાયાબિટિસની સારવારની જરૂરત લાગતી નથી. ડબલ્યૂએચઓના જણાવ્યા પ્રમાણે, ડાયાબિટિસ અને હ્રદય સંબંધિત રોગોને કારણે ભારતને દર વર્ષે 210 અબજ ડોલરનું નુકસાન ઉઠાવવું પડે છે. જો આવી જ સ્થિતિ ચાલુ રહેશે, તો આ નુકસાન આગામી દશ વર્ષોમાં વધીને દર વર્ષે 335 અબજ ડોલરે પહોંચશે.

તેવામાં મોટો સવાલ એ છે કે આ ખતરનાક બીમારીને અંકુશમાં કેવી રીતે લેવી? તબીબોના જણાવ્યા પ્રમાણે, ડાયાબિટિસ મોટાભાગે જીવનશૈલીમાં શારીરિક વ્યાયામ અને શ્રમને ઉમેરવાથી કાબૂમાં કરી શકાય છે. તેના માટે સામાન્ય લોકોમાં જાગરૂકતા વધારવાની જરૂરત છે. તેના માટે સરકારે પોતાની સ્વાસ્થ્ય યોજનાઓમાં ડાયાબિટિસ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. મધ્યમ વર્ગીય પરિવારોને સસ્તી સારવાર સુવિધાઓ આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવી પડશે.

આ સિવાય વિકાસનો દારૂ પીવડાવી બેઠાડાં જીવનની શૈલીને પ્રોત્સાહિત કરનારા નેતાઓએ દેશના લોકોના જીવનમાં શારીરિક શ્રમ અને વ્યાયામ પણ ભાગ બને તેના માટે ક્રાંતિકારી પગલાં ભરવા પડશે. દેશમાં સાઈકલ ચલાવનારના સ્ટેટસને નીચું જોવામાં આવી રહ્યું છે. ત્યારે સાઈકલના ચલણને પ્રોત્સાહન આપવાનું કામ સરકાર કેમ ન કરી શકે? સાઈકલ પર સબસિડી આપીને તેના ઉપયોગને વ્યાપક કેમ ન કરી શકે? દેશ અને રાજ્યમાં ઓટોમોબાઈલ કંપનીઓ સ્થપાય, તેનું ઉત્પાદન થાય, પણ લોકોને શિક્ષિત કરવા જોઈએ કે નાનામોટા અંતરના કામ પુરા કરવા માટે પગપાળા કે સાઈકલ પર જવામાં કોઈ નાનમ ન હોઈ શકે. સાઈકલનો દેશમાં ઉપયોગ વધે, તો આરોગ્ય સાથે પ્રદૂષણની સમસ્યા પણ ઘણી હદે કાબૂમાં આવી જશે. મેટ્રો રેલવે અને બીઆરટીએસના પ્રોજેક્ટ ચાલે છે. પરંતુ દેશમાં લગભગ કોઈપણ જગ્યાએ સાઈકલ ચલાવનારાઓ માટે સ્પેશ્યલ ટ્રેક ઉપલબ્ધ નથી.

આ સિવાય ખતમ થઈ રહેલી ખેતીને બચાવવામાં આવે. ગામડાંમાં ખેતી માનવીય જીવનમાં શારીરિક શ્રમનું મહત્વનું કારણ છે. ભારતમાં ખેતીની પ્રધાનતા સતત ઘટી રહી છે. ખેડૂતો જમીનો વેચીને કરોડો ઉભાં કરી રહ્યાં છે. ત્યારે ખેતીને, ખેડૂતોને બચાવવા માટે પણ ધારદાર પગલાં લેવા પડશે. દેશની તથાકથિત વિકાસલક્ષી ભોગવાદી આર્થિક અને ઔદ્યોગિક નીતિને દેશના લોકોના સ્વાસ્થ્યનું સત્યાનાશ કર્યું છે. તેથી જ જો લોકોના જીવનમાં શારીરિક શ્રમને અનિવાર્ય હિસ્સો બનાવી દેવામાં આવે અને વ્યાયામ પ્રત્યે જાગરૂકતા ઉભી કરવામાં આવે, તો ડાયાબિટિસ જેવાં બેઠાડાં જીવનના રોગો ઝડપથી કાબૂમાં લાવી શકાશે. નહીંતર ભારતને વિદેશની દવા કંપનીઓ પોતાના ધંધાનું સૌથી વધુ નફો કરતું કેન્દ્ર બનાવશે.

No comments:

Post a Comment