મંગળવાર, 26 મે, 2015

દર વર્ષે 1.20 કરોડ નોકરીઓ પેદા કરવા ભારતને રોજગારલક્ષી આર્થિક નીતિ જરૂરી

- આનંદ શુક્લ
મેક ઈન ઈન્ડિયા દ્વારા ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વકાંક્ષા ધરાવે છે. તેના સંદર્ભે કરતા દાવામાં દર વર્ષે 1 કરોડ 20 લાખ લોકોને રોજગાર પુરા પાડવાની વાતો ચર્ચાઈ રહી છે. પરંતુ 1991-92થી ઉદારવાદના વાવાઝોડામાં ભારતની આજ સુધીની સરકારો રોજગાર આપી શકે તેવી આર્થિક નીતિનું નિર્ધારણ કરી શકી નથી. ત્યારે મોદી સરકાર મેક ઈન ઈન્ડિયા અને એક કરોડથી વધારે લોકોને દર વર્ષે રોજગારી આપવાની વાત કરે છે.. ત્યારે આર્થિક નીતિમાં પાયગત ફેરફારો વગર આ વાતો હથેળીમાં ચાંદ જોવા બરાબર જ ભાસી રહી છે.

8મી એપ્રિલે યોજના પંચને વિખેરી નાખીને નીતિ પંચને અમલી બનાવવામાં આવ્યું છે. નીતિ પંચના અધ્યક્ષ અરવિંદ પનાગરિયાએ ઉદ્યોગગૃહની સીસીઆઈઆઈની વાર્ષિક સભામાં જણાવ્યું હતું કે વધુ મજૂરોને રોજગારી આપે તેવા ઉદ્યોગોમાં ઔદ્યોગિક ગૃહો તરફથી રોકાણ શા માટે કરાતું નથી? પનાગરિયાના સંબોધન પ્રમાણે.. દર વર્ષે ભારતની વસ્તીમાં એક કરોડ 20 લાખ લોકો રોજગારીને લાયક બને છે અને તેમને રોજગારી પુરી પાડવાની જરૂરી છે. તેમણે ભારતના ઔદ્યોગિક ગૃહોને ફૂડ પ્રોસેસિંગ.. ઈલેક્ટ્રોનિક એસેમ્બલી અને ચર્મ ઉદ્યોગમાં મોટું રોકાણ કરવા માટે સુચવ્યું છે.

પરંતુ મોદી સરકારના મેક ઈન ઈન્ડિયાના લક્ષ્ય અને નીતિ પંચના પહેલા અધ્યક્ષ અરવિંદ પનાગરિયાની વાતમાં વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિચાર ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે ભારતીય તેમજ વિદેશી મૂડીરોકાણમાં મોટો વધારો કરવાનું છે. આખા ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની મોદીની મનસા ઘેલછાની હદે ઉછળી રહી છે. જો કે આમા ઔદ્યોગિક વિકાસનો વિરોધ કરવાની કોઈ લાગણી નથી. માત્ર વાત એટલી જ છે કે ઔદ્યોગિક વિકાસમાં કેટલાંક દેશી-વિદેશી ઉદ્યોગગૃહોનો જ વિકાસ નહીં.. પણ લોકોને પણ તેના ફળ ચાખવા મળે.. ભારતની વસ્તીના 65 ટકા લોકો યુવાવર્ગના છે. ત્યારે તેમને સતત રોજગારી મળી રહે તેની તાતી જરૂરિયાત છે. પરંતુ માત્ર દેશીવિદેશી મૂડીરોકાણોના વધવાથી જ દેશમાં રોજગારી વધી જશે.. તેવી કોઈ શક્યતા ચોક્કસ નીતિ વગર હકીકત બનવાની નથી.

છેલ્લા 10 વર્ષના વિકાસની હકીકતો જોતા દર વર્ષે એક કરોડ 20 લાખ નોકરીઓ પેદા કરવાની વાત અત્યંત અઘરી લાગી રહી છે. 1999થી 2009-10 વચ્ચેના સમયગાળામાં જાહેર અને ખાનગી ક્ષેત્રોએ સાથે મળીને રોજગારી વર્ષે માત્ર એક ટકાના દરે વધી શકી છે. 2011માં ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ 5.6 ટકાના દરે વધી હતી. બીજી તરફ ખેતીનો જીડીપીમાં હિસ્સો ઘટીના માત્ર 14 ટકા થઈ ગયો છે. પરંતુ ભારતના અર્થતંત્રમાં રોજગારી પેટે ખેતી અને તેની સાથે જોડાયેલા ક્ષેત્રો દ્વારા ભારતની 58 ટકા રોજગારી આપી રહી છે.

1991-92થી ઉદારીકરણના યુગની શરૂઆતથી જ દેશના લગભગ પોણા ભાગની રોજગારી આપતા ખેતીના ક્ષેત્રની ઘોર અવગણના કરાઈ છે. જેના કારણે છેલ્લા 20 વર્ષમાં દેશભરમાં અંદાજે સાડા ત્રણ લાખ ખેડૂતોએ આપઘાત કર્યા છે. તાજેતરમાં કમોસમી વરસાદમાં બરબાદ થયેલા પાકને કારણે ફરીથી ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ઉઠયો છે. તો તેમાં જમીન સંપાદન બિલ સંદર્ભેની આશંકાઓ વચ્ચે ખેડૂતો વધુ ચિંતાતુર બન્યા છે. ત્યારે ખેતી પર ગમે તેવી રીતે નભતા 58 ટકા લોકોને તેના પ્રત્યે ઉપેક્ષિત વલણ સરકાર ઉદ્યોગ તરફી હોવાનું લાગવું સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ હોય તેવું પણ પ્રતિપાદીત લાગે છે.

હાલ ખેતીમાં મનરેગા કે ટૂંકી રોજગારી પર નભતી ભારતની જનતાને ગામડું છોડીને વધતી મોંઘવારી વચ્ચે શહેરોમાં હિજરત કરવાની ફરજ પડે છે. આજે ગરીબોની ઝૂંપડપટ્ટીઓ પણ શહેરોનો હિસ્સો છે. અહીં ગરીબો ગંદી વસ્તી અને ફૂટપાથ પર દિવસો કાઢી રહ્યા છે. તેમને કોઈ પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. હવે પાછું ગરીબોની ઝૂંપડપટ્ટીઓ પણ શાસકોને ખંટાઈ રહી છે. મોદી સરકાર હવે 500 સ્માર્ટ સિટી બનાવવાના લક્ષ્ય પર આગળ વધવા માંગે છે. 100 સ્માર્ટ સિટીની યોજનાને કેબિનેટની મંજૂરી પણ મળી ચુકી છે.

પરંતુ સવાલ એ છે કે આવી સ્માર્ટ સિટીમાં ભારતના ગરીબોને કેવી રીતે વસાવવામાં આવશે? બાકી શહેરમાં પલાયન નહીં કરનારા શ્રમજીવીને ઓછામાં ઓછું સ્વચ્છ હવા તો મળે છે... બાકી માની લેવામાં આવે કે વધુ રોજગારી તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રથી મળશે અને તેના કારણે ગામડામાં જમીન પરનું ભારણ ઓછું કરવા જમીન સંપાદન સરળ બનાવવું જોઈએ.. પરંતુ મેક ઈન ઈન્ડિયામાં કમ સે કમ ખેડૂતના સંતાનને પટાવાળા.. કલાર્ક અને ચોકીદારની નોકરી મળશે તેવી ગણતરી રાખવામાં આવે તો પણ ઔદ્યોગિક ઉત્પાદન નોકરીઓ ઉભી કરવાનું લક્ષ્યાંક પાર પાડશે તેવું શેના આધારે માની શકાય?

અત્યારે મેન્યુફકચરિંગક્ષેત્રનો જીડીપીનો હિસ્સા માત્ર 16 ટકા છે. 2014ના જૂન ત્રિમાસિક પરિણામો પ્રમાણે ભારતના 50 શહેરોમાંના 4500 ઉદ્યોગગૃહોએ 16 લાખ 64 હજાર 670 રોજગારી ઊભી કરી હતી. તે સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામોમાં ઘટીને 1 લાખ 31 હજાર 983 થઈ હતી. ટૂંકમાં,ઔદ્યોગિક ઉત્પાદનની હાલત સફળ થશે એવું કયા આધારે માનવું? લાંબા ગાળાની વાત કરીએ તો, છેલ્લા 10 વરસમાં ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રનો સરેરાશ ઉત્પાદન વૃદ્ઘિદર માત્ર 6થી 8 ટકા રહ્યો છે. આને 10 વર્ષમાં ત્રણ ગણો કરવો કોઈ સરળ બાબત નથી.

1991ની નવી આર્થિક નીતિના અમલ બાદ ઔદ્યોગિક ક્ષેત્રે 70 ટકાથી વધુ મૂડીરોકાણ થયું છે. પરંતુ તેનાથી ધાર્યા લક્ષ્યાંકો પાર પાડી શકાયા નથી. જો કે આ આર્થિક નીતિઓએ ખેતી ક્ષેત્રની હાલત બગાડવામાં સફળ રહી છે. તેનો સીધો ફાયદો ડબલ્યૂટીઓમાં સામેલ દેશોને થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે ભારતની આર્થિક નીતિઓ શું માત્ર દેશના જ નીતિનિર્ધારકોના હાથમાં છે કે તેમના પર ઝાકમઝોળ ધરાવતા વિકસિત દેશોના વિકાસથી સરકારો અસરગ્રસ્ત હોવાથી ખેતી વિરોધી વલણ અખત્યાર કરે છે?

એક તરફ મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ દેશી-વિદેશી રોકાણ વધારવાની વાતો થઈ રહી છે. વડાપ્રધાન મોદી ઝંઝાવાતી ગગનવિહાર દ્વારા વિશ્વવિહાર કરી રહ્યા છે. પરંતુ એફઆઈઆઈમાંથી વિદેશી રોકાણકારો પોતાના ફંડો પાછા ખેંચી રહ્યા હોવાથી 7 મે-2015ના રોજ રૂપિયો છેલ્લા વીસ માસની સૌથી નીચલી સપાટી સુધી ગગડયો હતો. ત્યારે એક ડોલરનો ભાવ 64 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
તાજેતરમાં ભારત સરકારના ઉદ્યોગ વિભાગે પાછલા 23 વર્ષમાં થયેલા મૂડી રોકાણ અને એના કારણે થયેલા રોજગારીના વધારાની રાજ્યવાર વિગતો આંકડા સાથે બહાર પાડી હતી. તેના પ્રમાણે ગુજરાતમાં એક કરોડ રૂપિયાના રોકાણના કારણે ચાર વ્યક્તિને રોજગારી મળી છે. આનો ખુલાસો નવી આર્થિક નીતિના ટેકેદારો આજ સુધી આપી શક્યા નથી. ઊલટાનું વધુ જોરથી આર્થિક સુધારા અમલમાં મૂકવા વૈશ્વિક દબાણ ઊભું કરે છે. નાણાં પ્રધાન અરુણ જેટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ એજન્ડાને લાગુ કરવા માટે તેમના નિર્દેશ પ્રમાણે રોકાણકારોને બધું આપવા કમર કસી રહ્યા છે.

પ્રખ્યાત અર્થશાસ્ત્રી આઈ. એમ. લીટર અને એની ક્રુગરનું કહેવું છે કે ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન છેલ્લા દાયકામાં ધીમું પડયું છે. તેનું કારણ સરાકરોએ માત્ર મસમોટા ઉદ્યોગો વિકસિત કરવા પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી એની ક્રુગરનું સ્પષ્ટ માનવું છે કે ભારતમાં કારખાના કાં તો એક હજાર કે તેથી વધારે કામદારોવાળા છે. અથવા તો નાના વણનોંધાયેલા એકમોવાળા કારખાનાની ભરમાર ધરાવે છે. વૈશ્વિક વિકાસના ઈતિહાસમાં 100થી 500 સુધીના કામદારોની સંખ્યા ધરાવનારા કારખાના વધુ ઉત્પાદન કરનારા અને વધુ કાર્યક્ષમ સાબિત થતા આવ્યા છે.

મોટા કારખાના તીવ્ર ક્રોની કેપિટાલિસ્ટ એટીટ્યુટ તરફ ઝોંક ધરાવતા હોવાનું દેખાયું છે. તો નાના વણનોંધાયેલા કારખાના શ્રમજીવીના શોષણનો સ્ત્રોત બનતા હોય છે. આવા સંજોગોમાં શ્રમેવ જયતેનો સૂત્રોચ્ચાર મજૂરોનું કલ્યાણ કરી શકશે નહીં.. તેના માટે મજૂર નીતિમાં ધડમૂળના ફેરફારો અને 58 ટકાને રોજગારી આપતી ખેતીને 18મી સદીની અવસ્થામાં રાખતી સરકારી માનસિકતામાં પણ ક્રાંતિકારી ફેરફારની જરૂરિયાત છે. રોજી માટે ગામડાના ગરીબોને શહેરો તરફ ધકેલવાને બદલે કસ્બાઓમાં ખેતી આધારિત લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઊભા કરવા તરફ ધ્યાન આપવું જરૂરી છે. રોજગારલક્ષી રોકાણ વધુ કરાય તેવી નવી આર્થિક નીતિના અમલ મારફત વધુ રોજગારી પેદા થઈ શકશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો