મંગળવાર, 19 મે, 2015

ઈસ્લામિક સ્ટેટ (ISIS) એટલે આતંકી હિંસાચારથી ઈસ્લામિક સામ્રાજ્યવાદને પુનર્જીવિત કરવાના ઉધામા


- પ્રસન્ન શાસ્ત્રી

મધ્ય-એશિયામાંથી ઉઠેલી આતંકની આંધી હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે સ્થિર થઈ છે. આ આંધી ચોક્કસપણે ઈસ્લામિક કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓ દ્વારા વધુ ઘાતક બનીને આ બંને દેશને વધુ અસ્થિર, અશાંત અને અરાજક બનાવશે. પણ તેની સાથે 18 કરોડ જેટલી મુસ્લિમ વસ્તી ધરાવતા ભારત માટે પણ સીમી-ઈન્ડિયન મુજાહિદ્દીન અને મુસ્લિમ ગુંડાઓના પ્રભુત્વવાળા અંડરવર્લ્ડના આતંકી નેટવર્ક સાથે સાંઠગાંઠથી ગંભીર પ્રકારના બાહ્ય અને આંતરીક  જોખમો પેદા કરશે તેવું આંતરરાષ્ટ્રીય સંરક્ષણ નિષ્ણાતો પરોક્ષપણે જણાવી રહ્યા છે.

વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના 9/11ના હુમલા બાદ અમેરિકાએ 15 વર્ષ પહેલા અફઘાનિસ્તાન પર હુમલો કરીને તાલિબાનોને સત્તામાંથી પદભ્રષ્ટ કર્યા હતા. પરંતુ આજે પણ અહીંથી અમેરિકા અને નાટો સેનાની વાપસીના કાઉન્ટડાઉન વચ્ચે તાલિબાની આતંકવાદી હુમલા, રાજકીય અસ્થિરતા, અંકુશરહીત ભ્રષ્ટાચાર, આર્થિક અનિશ્ચિતતાઓ અને નિરાશ્રિતો દ્વારા ઉભી થનારી સમસ્યાઓ પણ અસ્તિત્વ છે.

પરંતુ હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસના નેજા હેઠળ વધુ ખતરનાક રાજકીય-ધાર્મિક હિંસા અહીંની સામાજિક ક્ષિતિજ પર આકાર લઈ રહી છે. આઈએસઆઈએસ હવે પોતાને ઈસ્લામિક સ્ટેટ તરીકે ઓળખાવે છે. દાઈશ તેનું અરેબિક નામ છે.

અફઘાનિસ્તાનમાં હાલના સમયમાં ઘણાં ધાર્મિક આતંકવાદી જૂથો છે. આ આખા ક્ષેત્રમાં ઈસ્લામના નામે રાજકીય હિંસાચારનો સદીઓ જૂનો ઈથિહાસ છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના હાલની સરકારો અને તંત્રના વિરોધી એવા ઘણાં ઈસ્લામિક આતંકવાદી જૂથો છે. આઈએસના નેજા હેઠળ આવા ધાર્મિક આતંકવાદી જૂથો ઈસ્લામના નામે નવા ધર્મઝનૂનથી હિંસાચાર આચરીને ક્ષેત્ર પર વર્ચસ્વ હાંસલ કરવાની સંભાવનાઓ શોધી રહ્યા છે. દોઢ દાયકા સુધી તાલિબાનોના ઝંડા નીચે ચાલેલી ઈસ્લામ આધારીત રાજકીય વિદ્રોહની લડાઈમાં આવા જૂથો મોટા શહેરો અને જિલ્લાઓને લાંબા સમય સુધી પોતાના કબજા હેઠળ રાખવામાં નિષ્ફળ ગયા હતા.

આઈએસઆઈએસ સાથે રાજનિષ્ઠા વ્યક્ત કરીને અફઘાનિસ્તાન-પાકિસ્તાનના ઈસ્લામિક આતંકવાદીઓ નવા ટેકેદારો, ફંડિંગને આકર્ષીને મોટું નામ કમાઈને ઈતિહાસની નિષ્ફળતાઓને બદલવા ઈચ્છે છે. આઈએસઆઈએસએ ઉત્તર-પશ્ચિમ ઈરાક અને ઉત્તર-પૂર્વ સીરિયા ખાતે મોટા વિસ્તાર પર છેલ્લા ઘણાં વર્ષોથી કબજો જમાવ્યો છે. અહીં આ ઈસ્લામિક આતંકવાદી જૂથે રાજકીય-ધાર્મિક ઝનૂનથી વંશીય અને બર્બર હિંસાનું જાહેરમાં પાશવી પ્રદર્શન કરીને પોતાનું વર્ચસ્વ કાયમ રાખ્યું છે. ઈસ્લામિક સ્ટેટના આ કરતૂતથી અફઘાનિસ્તાન-પાકિસ્તાનના ઈસ્લામિક આતંકવાદીઓ પોતાની અસરકારકતાની સમીક્ષા કરી રહ્યા છે.

મીડિયા અહેવાલો પરથી જોઈએ તો અફઘાનિસ્તાનમાં આઈએસની સક્રિયતા સૌથી પહેલા સપ્ટેમ્બર-2014માં ગઝની પ્રાંતના અર્જેસ્તાન જિલ્લામાં કરેલા હુમલાથી સપાટી પર આવ્યા હતા. અર્જેસ્તાન જિલ્લાની ધરતી છેલ્લા ઘણાં વર્ષોથી તાલિબાનોના આતંકથી રક્તરંજિત છે. 2014માં આઈએસના આતંકવાદીઓએ અહીં સ્થાનિક પોલીસ અધિકારીઓના 15 પરિવારજનોના સિર કલમ કર્યા હતા. સાથે તેમણે 60 મકાનોને પણ આગચંપી પણ કરી હતી.

જાન્યુઆરી-2015માં અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં વર્ચસ્વ ધરાવતા તાલિબાની કમાન્ડર મુલ્લા રઉફ ખાદિમે પોતાની રાજનિષ્ઠા આઈએસ પ્રત્યે વ્યક્ત કરીને સ્થાનિકોને ઈસ્લામિક સ્ટેટની આતંકી પ્રવૃત્તિમાં સામેલ કરવાનું કામ શરૂ કર્યું હતું. અફઘાનિસ્તાનના મીડિયાએ આ પ્રકારના અહેવાલો આપતા અમેરિકાની સેનાની વાપસીના કાઉન્ટડાઉન વચ્ચે નવી ઘાતક પરિસ્થિતિના અંદેશાથી ખળભળાટ મચી ગયો હતો. અફઘાનિસ્તાનની લથડિયા ખાતી રાજકીય સ્થિરતા માટે પહેલા જ ઈસ્લામિક સ્ટેટનો વિચાર અને તેને મધ્ય એશિયામાં મળેલી સફળતાએ ગંભીર જોખમ પેદા કર્યું છે.

મુલ્લા ખાદીમ મોબાઈ રિજર્વ ફોર્સને કમાન્ડ કરતો હતો. તેને અમેરિકાએ ગ્વાન્ટનામો ખાતેની જેલમાં વર્ષ-2001માં મોકલી દીધો હતો અને 2007માં તેને મુક્ત પણ કર્યો હતો. ખાદીમના ટેકેદારો અને આઈએસના આતંકીઓએ હેલમંદ પ્રાંતના કજાકી જિલ્લા ખાતેની ચેકપોસ્ટ પર કબજો મેળવવા માટે લડાઈ પણ કરી છે. અફઘાનિસ્તાનની સરકારે ત્યારે અહીં ઈસ્લામિક સ્ટેટના આગમન થયાના અહેવાલોને રદિયો આપ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ વિસ્તારો પર અફઘાનિસ્તાનની હાલની સરકારને ક્યારેય નિયંત્રણ પ્રાપ્ત કરવાનું નસીબ થયું નથી.

જો કે આઈએસના અફઘાનિસ્તાનમાં પગરણ સંદર્ભેનો તેમને રદિયો અલ્પજીવી રહ્યો. 9 ફેબ્રુઆરી-2015ના રોજ અફઘાન અને અમેરિકાની સેનાના ટોચના અધિકારીએ મુલ્લા ખાદીમને આઈએસનો ટોપ રિક્રૂટર ગણાવીને તેનો ડ્રોન હુમલામાં સફાયો કરાયો હોવાની જાહેરાત પણ કરી હતી.

આ સમયગાળામાં જ એક જેહાદી જૂથોનો વીડિયો સામે આવ્યો.. જેમાં પાકિસ્તાનના 10 તાલિબાની કમાન્ડરો અને અફઘાનિસ્તાનના કુનાર, લોગાર અને નિન્ગરહાર પ્રાંતના તાલિબાની કમાન્ડરોએ પોતાની રાજનિષ્ઠા આઈએસ માટે વ્યક્ત કરી હતી.

આમા સૌથી ધ્યાન ખેંચનારું નામ તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનના કમાન્ડર શહીદુલ્લાહ શહીદનું છે. શહીદુલ્લા પાકિસ્તાનમાં સૌથી વધારે સરકાર વિરોધી હિંસાચાર અને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારમાં આતંકી હુમલાઓ માટે જવાબદાર છે.

અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ શિયાપંથી હઝરા સમુદાયના લોકોનું અપહરણ અને તેમના સિર કલમ કરીને હિંસાચારનું તાંડવ શરૂ કર્યું છે. ઈસ્લામિક સ્ટેટે આ પ્રકારનો વંશીય હિંસાચાર ઈરાક અને સીરિયામાં કર્યો છે અને હજીપણ ચાલુ છે. અફઘાનિસ્તાન માટે વંશીય હિંસાની તીવ્રતા ભૂતકાળની સરખામણીએ કંઈક નવી છે.

23 ફેબ્રુઆરી-2015ના રોજ અફઘાનિસ્તાનના ઝાબુલ પ્રાંત ખાતે ઈરાનથી પાછી ફરી રહેલી બસને રોકીને શિયા અને સુન્નીને અલગ કર્યા હતા. ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ હઝરા સમુદાયના 31 શિયાપંથી મુસ્લિમોની કરપીણ હત્યા કરી છે. ગત વર્ષે પણ આવી જ રીતે 15 હઝરા સમુદાયના લોકોને કતારબંધ ઉભા રાખીને ઠાર કરાયા હતા.

આ ઘટનાના ત્રણ સપ્તાહ બાદ 10થી વધુ હઝરા સમુદાયના લોકોનું ગઝની પ્રાંતના જાઘોરી જિલ્લામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.

તેના બીજા દિવસે 17 માર્ચ-2015ના રોજ પશ્ચિમ અફઘાનિસ્તાનના હેરાત-ફરાહ હાઈવે ખાતે હથિયારબંધ લોકોએ 6થી વધારે હજરા સુમદાયના લોકોને લઈ જઈને હત્યા કરી નાખી હોવાનું માનવામાં આવે છે.
એપ્રિલ માસની શરૂઆતમાં ગઝની પ્રાંતમાં એક પેસેન્જર વાન પસાર થતી વખતે રોડની બાજુમાં વિસ્ફોટ થયો અને 13 હજરા મુસાફરો માર્યા ગયા હતા. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
ગઝનીના અજરેસ્તાન જિલ્લામાંથી 15 એપ્રિલ-2015ના રોજ ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ હજરા સમુદાયના પાંચ ખેડૂતોનું અપહરણ કર્યું હતું. તેના ત્રણ દિવસ બાદ પાડોશી દૈકુંદી પ્રાંતના અન્ય છ હજરા સમુદાયના લોકો સાથે સિર કલમ કરાયેલી હાલતમાં મળી આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં આઈએસના હિંસાના ખેલમાં હજરા સમુદાયના લોકોની હત્યા માત્ર એક પાસું છે. આ સિવાય તેઓ તાલિબાનો સાથે મળીને સરકાર અને નાગરિકોને દેશભરમાં કરપીણતાથી નિશાન બનાવી રહ્યા છે. તેના કારણે દર વર્ષે વધુમાં વધુ લોકોના મોતના રેકોર્ડ કરતું એક ચક્રીય હિંસાતંત્ર પેદા થઈ રહ્યું છે.
એપ્રિલ-2015ના છેલ્લા સપ્તાહમાં જલાલાબાદ ખાતે કાબુલ બેન્કની શાખા પર આત્મઘાતી હુમલામાં 35 લોકોના મોત નીપજ્યા અને 125 ઈજાગ્રસ્ત થયા હતા. પહેલા પાકિસ્તાન બેસ્ડ હક્કાની નેટવર્ક અને તાલિબાનો પર તેનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘાનીએ હુમલા માટે ઈસ્લામિક સ્ટેટના આતંકીઓને જવાબદાર ઠેરવ્યા છે.

જો કે તેના માટે એવી પણ ધારણા પ્રવર્તી રહી છે કે તાલિબાનોની સમસ્યાના ઉકેલ માટે ઘાની ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓની હિંસાચારમાં સામેલગીરીની વાત કરીને વ્યૂહરચના હેઠળ તાલિબાનોને રાજકીય ઉકેલ માટે વાટાઘાટો માટેના મેજ પર લાવવા દબાણમાં લાવી શકાય.

સીરિયા અને ઈરાકની યુફ્રેટિસ અને તિગ્રિસ નદીથી કાબુલ અને કંદહાર સુધી આઈએસ કેવી રીતે પોતાનું હિંસાતંત્ર સ્થાપિત કરશે તેના વિશે હાલ કંઈપણ કહેવું વહેલું ગણાશે. અફઘાનિસ્તાનના યુદ્ધમાં ઈસ્લામિક સ્ટેટ આતંકની નવી બ્રાન્ડ.. નવી પદ્ધતિઓ અને વંશીય ફિરકાપરસ્ત લોહિયાળ ખેલનું પરિમાણ પણ ઉમેર્યું છે. અફઘાનિસ્તાનમાં પ્રમાણમાં સુરક્ષા કરવાના મામલે ઓછા અસરકાર હજરા સમુદાયના લોકો આઈએસ માટે મોટી અડચણ નથી. પરંતુ તેમના માટે મોટો પડકારો તાલિબાન.. હજ્બ-એ-ઈસ્લામી અને હક્કાની જૂથ જેવા ઈસ્લામિક આતંકવાદી જૂથો પર વર્ચસ્વ સ્થાપવું છે.

ઈસ્લામિક સ્ટેટની નેતાગીરી, હાર્ટલેન્ડ અને તેનું સમર્થનનું માળખું મધ્ય-એશિયામાં છે. પરંતુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ખાતેની સ્થાનિક નેતાગીરીમાં આઈએસ ઓછું પ્રિય છે. તાલિબાનો માટે પાકિસ્તાનમાંથી ભરતીઓ કરાય છે અને ફંડ માટેનું માળખું પણ અહીં છે. આઈએસ પાસે સ્થાનિક નેતાગીરીનો અભાવ હોવાની સાથે પાકિસ્તાની સેના અને તેની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સમાં તાલિબાન જેટલું સમર્થન પણ નથી.

તાલિબાન છાપ ઈસ્લામિક વિચારધારા અફઘાનિસ્તાનને ઈસ્લામિક અમીરાત ગણાવે છે. જ્યારે તાલિબાનની સ્થાનિક અને પ્રાદેશિક રાજકીય અસ્તિત્વની ઈસ્લામિક વિચારધારા સામે ઈસ્લામિક સ્ટેટ ખિલાફતની પાન-ઈસ્લામિક વિચારધારામાં વિશ્વાસ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે ઈસ્લામના પ્રાદૂર્ભાવ બાદ સાતમી અને આઠમી સદીના ટૂંકાગાળાને બાદ કરતા અફઘાનિસ્તાન ક્યારેય બૃહદ ઈસ્લામિક ખિલાફતનો ભાગ રહ્યું નથી. તેથી ઈસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાનને ખિલાફતના એક પ્રાંત તરીકે સ્થાપિત કરવાની ઈચ્છા અહીંના રાજકીય ઈતિહાસ સાથે બંધબેસતી નથી. પરંતુ નવી-નવી બાબતો બાદમાં ઈતિહાસ બની જાય છે.. તેવો કોઈ નવો ચિલો-ચાતરવાની વાત પણ ઈસ્લામિક સ્ટેટની કોશિશોથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં નવી સામાજિક-રાજકીય અને ધાર્મિક ઉથલ-પાથલોને આકાર આપશે.

ઈસ્લામિક સ્ટેટના મધ્ય એશિયામાં વર્ચસ્વનું કારણ સીરિયાની સેક્યુલર તાનાશાહી અને ઈરાક તથા સીરિયામાં શિયા સમુદાયના સરકારમાં પ્રભાવ સામેની પ્રતિક્રિયા ગણાય છે. તો તેની સામે અફઘાનિસ્તાન ઈસ્લામિક રાજ્ય રહ્યું છે. અહીં સુન્ની અને શિયાપંથીઓની માન્યતા પ્રમાણેનું ન્યાયતંત્ર છે.

અફઘાનિસ્તાનના બંધારણે તેને ઈસ્લામિક રાજ્ય જાહેર કર્યું છે. તેના બંધારણ પ્રમાણે કોઈપણ કાયદો અને તેની જોગવાઈ ઈસ્લામની ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધાઓ વિરુદ્ધ હોઈ શકે નહીં. તેથી ઈસ્લામિક સ્ટેટને સીરિયાના સેક્યુલર તાનાશાહો સામે ઈસ્લામિક રાજ્યના વિચાર હેઠળ ટેકો મળ્યો હોઈ શકે.. પણ અફઘાનિસ્તાન માટે તેમને શરિયા અને ઈસ્લામના નામે ટેકો મળે તેવી શક્યતા તાલિબાનોના વર્ચસ્વ સામે થોડી ઝાંખી લાગે છે. તેથી તેમની પાસે તાલિબાનો કરતા પણ વધુ જલદ ઈસ્લામને આગળ લઈ જવાનો એક વિકલ્પ બચે છે. ઈસ્લામિક સ્ટેટના મુખ્ય આતંકવાદી અબુ-બકર-અલ-બગદાદીએ પણ તાજેતરમાં ઈસ્લામને અમનનો ધર્મ નહીં.. પણ ઈસ્લામ યુદ્ધનો ધર્મ હોવાનું જણાવીને તેના સંકેતો આપી દીધા છે.
ઈસ્લામિક સ્ટેટ અને તાલિબાનોમાં હિંસાચારની પદ્ધતિઓમાં મોટી સમાનતા છે. 1994માં તાલિબાનોના જન્મ અને તેમના સત્તામાં આવ્યા બાદ ચાલેલી સામુહિક હત્યા.. લઘુમતી અને વંશીય સમુદાયોના નરસંહારો.. ઈસ્લામ પહેલાના સાંસ્કૃતિક વારસાનો નેસ્તોનાબૂદ કરવું, હરીફ જૂથો સાથે બર્બર વ્યૂહરચનાથી નિર્દયતાથી વ્યવહાર કરવું એ અજમાવાયેલી વસ્તુ છે.

અફઘાનિસ્તાન અને ઈરાકમાં પશ્ચિમ અને અમેરિકાની નીતિઓના દુષ્પરિણામથી ઉભા થયેલા રાજકીય શૂન્યાવકાશનો ફાયદો અનુક્રમે તાલિબાનો અને ઈસ્લામિક સ્ટેટે ઉઠાવ્યો છે. સોવિયત સંઘ વિરોધી અમેરિકા પ્રેરીત જેહાદના અંતે તાલિબાનોનો જન્મ અને તેમના દ્વારા 90 ટકા જેટલા અફઘાનિસ્તાનને કબજે કરવા માટે બર્બર નાગરિક યુદ્દ અને સોવિયત સંઘના અફઘાનિસ્તાનમાંથી હટયા બાદ રાજકીય શક્તિની ગેરહાજરીમાં તેઓને સફળતા મળી હતી.

તો ઈસ્લામિસક સ્ટેટના પેદા થવા માટે ઈરાકમાં બાથિસ્ટ શાસનને ઉથલાવીને અમેરિકા દ્વારા અપનાવાયેલી કેટલીક ખોટી વ્યૂહચના જવાબદાર છે. અમેરિકાએ સદ્દામ હુસૈનને ફાંસી આપ્યા બાદ ઈરાકમાં શિયાઓને રાજકીય વર્ચસ્વ આપતી વ્યવસ્થા ઉભી કરી છે. જેના કારણે અહીં શિયા અને સુન્ની વચ્ચે નાગરિક યુદ્ધ ચાલતું રહ્યું છે અને તેમાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને સમર્થન પણ પ્રાપ્ત થયું છે.

ઈરાન દ્વારા શિયાપંથી હજરા સમુદાયના નિરાશ્રિતોને મોટી સંખ્યામાં સીરિયામાં પ્રોક્સિ વોર માટે નાણાં અને આશરાની લાલચ આપીને મોકલવામાં આવે છે. ઈસ્લામિક સ્ટેટના ઉદભવને આ સંદર્ભમાં જોતા અફઘાનિસ્તાનમાં તેમના દ્વારા હજરા સમુદાયને નિશાન બનાવવાની વાત એક ખતરાની ઘંટડી સમાન છે.
ત્યારે શક્ય છે કે સીરિયા ગયેલા ઈરાન પ્રેરીત હજરા સમુદાયના શિયાપંથી લડાકૂઓ પાછા ફરશે પછી અફઘાનિસ્તાનમાં શિયાપંથી કટ્ટરપંથ પણ હિંસક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. અફઘાનિસ્તાનમાં ઉજબેક..તાજિક.. હજરા.. પઠાણ સહીતની ઘણી વંશીય વિવિધતા જોવા મળે છે. ત્યારે અહીં વંશવાદી ઘર્ષણોની તીવ્રતા ઉચ્ચસ્તરે પહોંચવાની સંભાવનાને ઈસ્લામિક સ્ટેટ દ્વારા અફઘાનિસ્તાનમાં ઉભું થનારા ગંભીર જોખમ તરીકે જોવામાં આવે છે.

ઈસ્લામિક સ્ટેટ ક્ટરપંથી ઈસ્લામિક આતંકવાદી એવા તાલિબાનોના રહેતા અફઘાનિસ્તાનના મુખ્ય રાજકીય પ્રવાહમાં મુખ્ય ખેલાડી બને તેના માટે ઘણી લાંબી લોહિયાળ મજલ કાપવાની રહેશે. પરંતુ અહીં ઈસ્લામિક સ્ટેટ જે રીતે માથું ઉંચકી રહ્યું છે તેનાથી કહી શકાય કે અફઘાનિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં અર્થસૂચક અને નોંધનીય આતંકવાદી સંગઠન તરીકેની છાપ ઉપસાવી ચુક્યું છે. નોટા અને અમેરિકાની સેનાની વાપસી બાદ ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં વધુ બેફામ બનીને વર્ચસ્વ માટે રક્તસ્નાન કરશે. અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ સહીતના ઈસ્લામિક આતંકવાદી જૂથો પહેલા જ ત્યાંની રાજકીય અસ્થિરતાને ડગમગાવી રહ્યા છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદે ઈસ્લામિક સ્ટેટના કેમ્પના અહેવાલો પણ ચિંતા ઉપજાવે તેવા છે. મે માસની શરૂઆતમાં કરાચીમાં 47 ઈસ્માઈલિયા સમુદાયના શિયાપંથીઓની હત્યા કરવામાં આવી છે. તેના માટે તાલિબાનો અને ઈસ્લામિક સ્ટેટ બંનેએ જવાબદારી સ્વીકારી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનો હોવાથી રાજકીય શૂન્યાવકાશની સ્થિતિ કદાચ અમેરિકા-નાટો સેનાની વાપસી બાદ નહીં હોય. પરંતુ તહેરીકે તાલિબાન પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની સરકાર વિરુદ્ધ હિંસાચાર પર ઉતરી આવ્યું છે.

પાકિસ્તાનમાં સરકારી તંત્ર અને સેના સામે આક્રોશિત લોકોને ઈસ્લામના નામે ઈસ્લામિક સ્ટેટ પોતાના તરફ ખેંચી શકે તેવી એક સંભાવના જોવાઈ રહી છે. તહેરીકે તાલિબાન પાકિસ્તાનના સરકારી તંત્રને ઉથલાવા ઈચ્છે છે અને ઈસ્લામિક સ્ટેટને પાકિસ્તાનના પરમાણુ હથિયાર જોઈએ છે. તેના દ્વારા ઈસ્લામિક સ્ટેટ ખિલાફતને આગળ વધારવાના નામે સાઉદી અરેબિયાથી માંડીને ભારત સુધીના વિસ્તારમાં આતંકની આગ ભડકાવીને વિસ્તારો કબજે કરવાના મનસૂબા સેવી રહ્યું છે.

આવા સંજોગોમાં પાકિસ્તાનની સેના અને આઈએસઆઈની સુન્ની સમુદાય કેન્દ્રીત અને ભારત વિરોધી રણનીતિ ઈસ્લામિક સ્ટેટને મોકળું મેદાન આપશે. અફઘાનિસ્તાનના ચોક્કસ વિસ્તારો અને પાકિસ્તાનમાં વર્ચસ્વ જમાવ્યા બાદ ઈસ્લામિક સ્ટેટ ભારતમાં પણ સક્રિય થવાની કોશિશ કરે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ઈસ્લામિક સ્ટેટ સાથે ભારતના કેટલાંક મુસ્લિમ યુવકોના જોડાવાની ઘટના ભારતના લોકો સામે લાલબત્તી ધરે છે. આવા સંજોગોમાં ઈસ્લામિક સ્ટેટ અને અન્ય આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે કૂણી લાગણી વ્યક્ત કરનારા લોકો પર પણ સરકારી તંત્રે કડક હાથે કામ લેવું જરૂરી બની જાય છે.

છેલ્લા બસ્સો વર્ષમાં ઈસ્લામના નામે અસ્તિત્વમાં આવેલું રાજ્ય પાકિસ્તાન છે. 14 ઓગસ્ટ-1947ના રોજ મુસ્લિમ લીગે ભારતની આઝાદીની લડાઈ લડયા વગર ઈસ્લામિક સ્ટેટ પાકિસ્તાનને સ્વતંત્રતા પહેલા આપણી પાસેથી છીનવી લીધું. પાકિસ્તાનની રચના એક રાજકીય ચળવળ સ્વરૂપે કટ્ટરપંથની રાહે આગળ ચાલી હતી. તો સીરિયા અને ઈરાકમાં આજે ઈસ્લામિક સ્ટેટ નામના આતંકવાદી સંગઠને એક મોટા ભૂભાગને પોતાના નિયંત્રણમાં આણી દીધું છે.

દુનિયાએ માન્યતા આપી નથી.. પણ અહીં ઈસ્લામિક સ્ટેટ એક દેશ તરીકે ઓપરેટ કરે છે. તેઓ બજેટિંગ કરે છે.. વિભાગોની જવાબદારી વહેંચવામાં આવી છે. ફંડિંગના અલગ-અલગ પદ્ધતિઓ વિકસિત કરી છે. એક દેશ તરીકે ઈસ્લામિક સ્ટેટે આ આખા વિસ્તારમાં કબજો જમાવીને ખિલાફતની જાહેરાત કરી છે. તેમનો ઈરાદો ઈસ્લામિક સ્ટેટ ઓફ સીરિયા એન્ડ ઈરાકમાંથી હવે ખિલાફતના નામે ઈસ્લામિક સ્ટેટ બનવાનો છે. જેને કારણે દુનિયા અને ખાસ કરીને ભારતીય ઉપખંડમાં અફઘાનિસ્તાન.. પાકિસ્તાન વધુ પોલિટિકલ-રિલિજયસ હિંસાચારમાં ધકેલાશે અને ભારતમાં આતંકની આગ ઉગ્ર બને તેવી પણ શક્યતા નકારી શકાય નહીં.

આવા સંજોગોમાં ભારત, ભારતના લોકો અને ભારતની સરકાર કોઈ આતંક સામેના યુદ્ધને ટાળી શકે તેમ નથી. ઈસ્લામિક સામ્રાજ્યવાદી ખિલાફતની વિચારધારાથી મુસ્લિમ જગતમાં વર્ચસ્વ જમાવવા ઉધામ કરતા ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠનો માથું ઉંચકે નહીં તેના માટે કટ્ટરપંથી વિચારધારા અને આતંકવાદીઓને મૂળમાં જ જનોઈવઢ ઘા મારીને નેસ્તોનાબૂદ કરીને ભારતના બંધારણ અને કાયદાનું સમ્માન કરવા માટે મજબૂર કરીને વોટબેંકના રાજકારણથી ઉભા થયેલા અન્ય તમામ વિકલ્પો બંધ કરી દેવા જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો