- આનંદ શુક્લ
ભારતને એશિયામાં પાવરફુલ દેશ તરીકે પ્રસ્થાપિત કરવા માટે વડાપ્રધાન મોદીએ છેલ્લા એક વર્ષના વિદેશ પ્રવાસમાં બુદ્ધ ડિપ્લોમસીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. બૌદ્ધ ગતિવિધિઓ પર મોદી સરકારના વધતા ધ્યાનને તેમની વિદેશ નીતિનો મહત્વનો ભાગ ગણવામાં આવે છે. મોદીના બુદ્ધમ્ શરણમ ગચ્છામિના ઘણાં બહોળા કૂટનીતિક અર્થો છે...
એશિયામાં ચીન અને પાકિસ્તાનના સામરીક પડકારોને પહોંચી વળવા અને ચીનની નજીક જવા માટે એક ચોક્કસ સાંસ્કૃતિક નીતિનો મોદી સરકાર દ્વારા ઉપયોગ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લુક ઈસ્ટ પોલિસીને એક્ટ ઈસ્ટ પોલિસી તરફ દોરી જઈ રહ્યા છે. જેમાં બૌદ્ધ ડિપ્લોમસીના ડોઝ દ્વારા દક્ષિણ-પૂર્વ એશિયા માટે તેઓ એક સાંસ્કૃતિક પુલ બનાવવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. દિલ્હીમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે આયોજિત એક કાર્યક્રમમાં 31 દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. દિલ્હીનું તાલકટોરા સ્ટેડિયમ બૌદ્ધ મતના અનુયાયીઓથી ખીચોખીચ ભરેલું હતું. સરકાર દ્વારા બુદ્ધ પૂર્ણિમાના દિવસે આવા વિશાળ આયોજન પાછળ એશિયામાં ભારતને સૌથી મોટા બૌદ્ધ કેન્દ્ર તરીકે પ્રચારીત કરવાની મોદીની ઈચ્છા કારણભૂત હોવાનું માનવામાં આવે છે.
તેમની આ મુત્સદી વિદેશ નીતિ પ્રભાવી બનાવવાની સાથે ટૂરિઝમ દ્વારા દેશની આવકમાં વધારો કરવાની પણ છે. મોદીએ આ કાર્યક્રમમાં કહ્યુ કે 21મી સદી એશિયાની સદી હશે. તેમાં કોઈ પણ શંકા નથી. ત્યાર બાદ તેમણે કહ્યુ કે બુદ્ધ વગર આ સદી એશિયાની સદી બની શકે નહીં. મોદી સરકાર સ્પષ્ટપણે બૌદ્ધધર્મને વિદેશનીતિના કેન્દ્રમાં રાખીને સમગ્ર ક્ષેત્રમાં કામ કરી રહી છે. સંકેત મળી રહ્યા છે કે મોદી રાજકીય અને ઈકોનોમિક ડિપ્લોમસીમાં બુદ્ધપુલ દ્વારા ભારતને સોફ્ટ પાવર તરીકે રજૂ કરવા ઈચ્છે છે. તેનાથી ચીન સાથે મુકાબલો કરવામાં મદદ મળશે.. તો મ્યાંમાર.. થાઈલેન્ડ.. કમ્બોડિયા અને શ્રીલંકા જેવા દેશોમાં મઠોના નિર્માણ અને સંરક્ષણ દ્વારા બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે.
ભારત બૌદ્ધ ધર્મનું સ્વાભાવિક ઠેકાણું છે. માનવામાં આવે છે કે નેપાળના લુમ્બિની ખાતે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. પરંતુ તેમણે બોધગયા ખાતે પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. ભારતમાં એક સમયે બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ હતું. તો દલિતોના મસીહા ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાના ટેકેદારો સાથે હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. એટલે મોદીની આ બૌદ્ધ ડિપ્લોમસી ઘરઆંગણાના રાજકારણમાં બૌદ્ધ બની ચુકેલા દલિત વર્ગને પણ આકર્ષી શકે છે. વળી સંઘની વિચારધારા પ્રમાણે બૌદ્ધ અને હિંદુ ધર્મને અલગ માનવામાં આવતા નથી. વળી હિંદુ-બૌદ્ધ સમન્વય માટે આયોજનબદ્ધ કોશિશો પ્રભાવીપણે આગળ વધારવામાં આવી છે. ત્યારે બૌદ્ધ ડિપ્લોમસીને લઈને મોદી સરકારની મોટી યોજનાઓ સમજી શકાય તેમ છે.
ભારતને એશિયા ખાતે બૌદ્ધ ડિપ્લોમસીનો બેવડો ફાયદો થઈ શકે છે. તેનાથી ડિપ્લોમસી સિવાય પર્યટકોને આકર્ષિત કરવામાં મોટી મદદ મળી શકે છે. દુનિયાના મોટામોટા નેતાઓને બોધગયા અને સારનાથ જેવા બૌદ્ધ ધર્મના આસ્થા કેન્દ્રો સુધી લાવી શકાય છે. મોદી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે.. ત્યારે બૌદ્ધ ધર્મના મહત્વના સ્થાનો ધરાવતા દેશોમાં બૌદ્ધ મંદિરોના દર્શને અવશ્ય જાય છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં જાપાન પ્રવાસ દરમિયાન તેમણે મશહૂર બૌદ્ધ મંદિરો તોજી અને કિનુકાકુજીમાં પ્રાર્થના કરી હતી. તો શ્રીલંકાના વિદેશ પ્રવાસમાં તેમણે કોલંબોના મહાબોધિ મંદિરમાં બૌદ્ધ સંન્યાસીઓને સંબોધિત કર્યા હતા અને અનુરાધાપુરા ખાતે મહાબોધિ વૃક્ષ નીચે પ્રાર્થના પણ કરી હતી. નેપાળ અને ભૂટાનના પ્રવાસ દરમિયાન પણ મોદી ત્યાંની સંસદોને સંબોધિત કરતી વખતે ભગવાન બુદ્ધને યાદ કરવાનું ચુક્યા ન હતા.
તો ચીન,મંગોલિયા અને સાઉથ કોરિયાના વિદેશ પ્રવાસમાં પણ મોદીની બુદ્ધ ડિપ્લોમસી નજરે પડી છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના હોમ ટાઉન શિયાનમાં ગ્રેટ વાઈલ્ડ ગુજ પેગોડા છે. તે પ્રખ્યાત બૌદ્ધ તીર્થયાત્રી યુ-એન-સાંગને સમર્પિત છે. કહેવમાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ટાઉન વડનગરનો પણ બૌદ્ધ ધર્મ સાથે ખૂબ મજબૂત નાતો રહ્યો છે અને યુ-એન-સાંગે ભારત પ્રવાસમાં વડનગરની પણ મુલાકાત લીધી હતી. શિયાનના બૌદ્ધ મઠમાં યુ-એન-સાંગે 1400 વર્ષ પહેલા પોતાની ભારત યાત્રાનું વિવરણ લખ્યું હતું. ભારતે ગત વર્ષ માર્ચ માસમાં બૌદ્ધ વૃક્ષનો છોડ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ મોકલ્યો હતો. તે હવે 160 સેન્ટિમીટર ઉંચો થઈ ગયો છે. દક્ષિણ કોરિયા આ બૌદ્ધ વૃક્ષ લગાવવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદી આમ તો ઈશ્વર તરફ પહેલેથી જ ભક્તિભાવ ધરાવે છે. મોદીનો ઈશ્વર તરફનો આ ભક્તિભાવ તેમની આધ્યાત્મિક પ્રકૃતિનો પુરાવો છે કે લોકચાહના પ્રાપ્ત કરવાની ઘેલછા છે? તાજેતરમાં તેમના બુદ્ધમ શરણ ગચ્છામિ કરવા પાછળનું રહસ્ય પણ ખૂબ જ રસપ્રદ છે. જેમાં ચીન સાથે સારા સંબંધો બનાવવા માટેની એક સંભાવના પણ તેઓ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બુદ્ધ પૂર્ણિમા દિવસ સમારંભનું દિલ્હી ખાતે સરકાર દ્વારા આયોજન કરાયું હતું.. આ કાર્યક્રમ માટે સરકારે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજિજૂના વડપણ હેઠળ એક આયોજન સમિતિની રચના કરી હતી. આ આયોજનને ખાસ માનવામાં આવે છે. માત્ર બે વખત સરકારી સ્તરે આવા કાર્યક્રમો આયોજિત થયા છે. સૌથી પહેલા જવાહરલાલ નહેરુની સરકારમાં 2500મી બુદ્ધ જયંતી નિમિત્તે બોધગયામાં મોટા સરકારી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યાર બાદ કુશીનગર ખાતે 2007માં તત્કાલિન મનમોહનસિંહની સરકારે ભગવાન બુદ્ધના 2550મા પરિનિર્વાણ દિવસે સરકારે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હવે આઠ વર્ષ બાદ મોદી પણ ભગવાન બુદ્ધની શરણમાં પહોંચી ગયા છે. મોદી સરકાર દ્વારા બુદ્ધ પૂર્ણિમાનું આટલા મોટા સ્તરે આયોજન કરવાનો ઉદેશ્ય પણ ઘણો રોચક છે.
મોદીએ પોતાના જન્મસ્થાન વડનગર સાથે બૌદ્ધ ધર્મના સંબંધની વાત એક મોટા મકસદ સાથે રજૂ કરી છે. આ ઉદેશ્ય પાછળ 9 વર્ષ પહેલા ચીનના હાંગ્જોઉ ખાતે યોજાયેલા એક કાર્યક્રમની વિગતો જાણવી જરૂરી છે. ચીનના હાલના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ત્યારે રાષ્ટ્રપ્રમુખ ન હતા. પરંતુ બૌદ્ધ ધર્મને માનનારા જિનપિંગે એક મોટી યોજના ચીનની સામે રજૂ કરી હતી. તેમની ઈચ્છા ચીનને બૌદ્ધ ધર્મના એક મોટા કેન્દ્ર તરીકે રજૂ કરવાની છે. તેના કારણે 2009 અને ત્યાર બાદ 2012માં ચીને વર્લ્ડ બુદ્ધિસ્ટ ફોરમનું આયોજન પણ કર્યુ હતું. તેથી દુનિયામાં ચીનને બૌદ્ધ ધર્મના સૌથી મોટા અને મહત્વના કેન્દ્ર તરીકે પ્રચાર મળવો શરૂ થઈ ગયો હતો. આ મામલે ભારત ચીનથી પાછળ પડવા લાગ્યું. આ એ જ ભારત છે કે જ્યાં અઢી હજાર વર્ષ પહેલા ભગવાન બુદ્ધે જ્ઞાનની પ્રાપ્તિ કરીને બૌદ્ધ ધર્મનો પાયો પણ નાખ્યો હતો. ચીનની બૌદ્ધ કેન્દ્ર તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત થવાની હિલચાલથી ભારત સરકાર સફાળી જાગી અને આયોજનો શરૂ કર્યા. જેના કારણે બુદ્ધ પૂર્ણિમા પર એક આયોજનની કોશિશ 2011માં યુપીએ સરકારે પણ કરી હતી.
જો કે મનમોહનસિંહની સરકારે મ્યાંમારમાં બૌદ્ધ ચિંતનનો અભ્યાસ કરનારાઓનો સૌથી મોટો કાર્યક્રમ આયોજિત કરવામાં મદદ કરી હતી. પરંતુ તેની મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય બુદ્ધ પૂર્ણિમા સમારંભના આયોજન જેવી નોંધ લેવાઈ ન હતી. મોદીએ સત્તામાં આવ્યા બાદ ચીનની આ કોશિશોનો જવાબ આપવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. ભારતને બૌદ્ધ ધર્મના સૌથી મોટા કેન્દ્ર તરીકે રજૂ કરવા માટે વડાપ્રધાન મોદીએ પોતાની પ્રથમ વિદેશ યાત્રા બૌદ્ધ ધર્મીઓની બહુમતી ધરાવતા સૌથી વફાદાર પાડોશી દેશ ભૂટાનની કરી.. તો દક્ષિણ એશિયા બહાર તેમણે પહેલો પ્રવાસ જાપાનનો કર્યો હતો.
જિનપિંગની ભારત મુલાકાતમાં અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાદમાં તેમણે પોતાના હોમટાઉન વડનગરનું બૌદ્ધ ધર્મ સાથેનું કનેક્શન રજૂ કરીને તેને આંતરરાષ્ટ્રીય મીડિયાના એજન્ડામાં લાવવાની કોશિશ કરી હતી. ચીન પ્રવાસ દરમિયાન મોદી જિનપિંગના હોમટાઉન ખાતે બૌદ્ધ પેગાડાની મુલાકાત લઈને બંને નેતાઓના વ્યક્તિગત સંબંધોમાં એક નવું આયામ જોડી રહ્યા છે.
ટૂરિઝમના વિકાસ માટે કોશિશો કરી રહેલી મોદી સરકારને બુદ્ધ ડિપ્લોમસીથી પ્રવાસન ઉદ્યોગના વિકાસમાં પણ મોટો ફાયદો થવાની આશા છે. એશિયામાં હિંદુ.. મુસ્લિમ.. બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ રહે છે. તેઓ પોતાના ધર્મોના મૂળિયા સાથે જોડાવા માટે તીર્થયાત્રી તરીકે આસ્થાકેન્દ્ર સુધી જાય છે. ભારતમાં હિંદુઓ બાદ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટેના મહત્વના વારસાનું અસ્તિત્વ છે.
મોદી સરકાર બૌદ્ધ ટૂરિજ્મ સર્કિટ વિકસિત કરવા ઈચ્છે છે. જેમાં ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી તે બોધગયા.. સારનાથ જ્યાં તેમને પહેલું શિક્ષણ મળ્યું... રાજગીર જ્યાં તેઓ રહ્યા અને ભિક્ષાટન કરતા હતા. નાલંદામાં બૌદ્ધ સાહિત્યનો મોટો ભંડાર હતો. કુશીનગર ખાત ભગવાન બુદ્ધે પોતાનો આખરી જીવનકાળ વ્યતિત કર્યો હતો. કપિલવસ્તુમાં ભગવાન બુદ્ધે બાળપણ વિતાવ્યું હતું. વૈશાલી ખાતે બુદ્ધે પોતાનો આખરી ઉપદેશ આપ્યો હતો. તો શ્રાવસ્તી ખાતે તેમણે પોતાના જીવનકાળના 24 વર્ષ વીતાવ્યા હતા.
આવી મહત્વની 10 જગ્યાઓ પર મોદી સરકાર દુનિયાભરના બૌદ્ધ તીર્થયાત્રીઓને બોલાવવા ઈચ્છે છે અને તેના માટે બજેટમાં 500 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. મોદી સરકાર બુદ્ધ ટૂરિજ્મ સર્કિટ માટે ફેઝ ટુમાં 17 રાજ્યોના બૌદ્ધ સ્મારકોને પણ જોડવાની યોજના પર કામ કરવાની છે. મહત્વપૂર્ણ છે કે 2013માં ચીનને 2014ની સરખામણીએ ટૂરિજ્મથી થયેલી કમાણીમાં 14 ટકાનો વધારો થયો હતો. બીજી તરફ 2010થી 2015 વચ્ચે પ્રવાસીઓથી ભારતની આવકમાં માત્ર 8 ટકાનો ફાયદો થવાનું અનુમાન છે. એટલે કે ચીનના મુકાબલે ભારતને અડધી કમાણી થઈ છે. ત્યારે દક્ષિણ એશિયામાં બૌદ્ધ ટૂરિસ્ટોને ભારત પોતાને ત્યાં ખેંચીને ચીનને એક મોટો ધોબીપછાડ આપવા ઈચ્છી રહ્યું છે.
આંકડા દર્શાવી રહ્યા છે કે બૌદ્ધ તીર્થયાત્રીઓને આકર્ષવામાં ભારત ઘણું પાછળ છે. થાઈલેન્ડમાં 33 ટકા.. નેપાળમાં 13 ટકા.. ચીનમાં 13 ટકા બૌદ્ધ તીર્થયાત્રીઓ જાય છે. તો જાપાનમાં 10 ટકા અને કમ્બોડિયામાં સાત ટકા બૌદ્ધ શ્રદ્ધાળુઓ પહોંચે છે. ગત વર્ષના આંકડા પ્રમાણે ચીનમાં લોકોની આવક વધતા હવે તેઓ વધુ નાણાં ખર્ચી રહ્યા છે. ગત વર્ષે 10 કરોડ ચીની પર્યટકોએ દુનિયાભરના દેશોનો પ્રવાસ કર્યો હતો. ત્યારે બૌદ્ધ ધર્મમાં માનતા કમ્યુનિસ્ટ ચીનના આવા પ્રવાસીઓને પણ ભારત ખાતેના બૌદ્ધ વારસા સુધી આકર્ષિત કરવાની મનસા મોદી સરકાર ધરાવે છે.
મોદી સરકારને માત્ર તીર્થયાત્રીઓ જ જોતા નતી. પરંતુ એશિયામાં સૌથી વધુ બૌદ્ધ ધર્મી લોકો ધરાવતા જાપાન.. ભૂટાન.. મ્યાંમાર.. શ્રીલંકા.. થાઈલેન્ડ સહીતના દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં નવું પ્રકરણ શરૂ કરવા ઈચ્છે છે. વાજપેયીની લુક ઈસ્ટ પોલિસીને મોદી એક્ટ ઈસ્ટ પોલિસી બનાવવા માંગે છે. તેના માટે સંયુક્ત સાંસ્કૃતિક વારસાની ડોરથી બંધાયેલી મોદીની અત્યાર સુધીની વિદેશ નીતિમાં બુદ્ધ ડિપ્લોમસીની એક મોટી ભૂમિકા રહેલી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો