મંગળવાર, 26 મે, 2015

મોદીની ચીન નીતિનું ડોકોડિંગ, સ્ટ્રિંગ ઓફ પર્લ્સનો જવાબ રિવર્સ સ્ટ્રિંગ ઓફ પર્લ્સ..

- આનંદ શુક્લ 
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની વિદેશ નીતિનું ડિકોડિંગ ઘણું રસપ્રદ છે. ચીનની સ્ટ્રિંગ ઓફ પર્લ્સનો જવાબ આપવા માટે જાણે કે મોદી રિવર્સ સ્ટ્રિંગ ઓફ પર્લ્સની કોઈ રણનીતિ પર કામ કરી રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે. મોદીની લુક ઈસ્ટ પોલિસીને એક્ટ ઈસ્ટ પોલિસીમાં ફેરવવાની મનસાના ગૂઢાર્થો હિંદ મહાસાગરમાં ચીનનો પ્રભાવ રોકીને તેની ઘેરાબંધી કરવાનો હોય તેવું પણ પ્રતિપાદિત થઈ રહ્યું છે.

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ ભારતના સૌથી વફાદાર પાડોશી દેશ ભૂટાનની પહેલી વિદેશ યાત્રા કરી હતી. ભૂટાન વ્યૂહાત્મક રીતે અરુણાચલ પ્રદેશ.. સિક્કિમ અને ઈશાન ભારત સાથે જોડાયલું છે. ભૂટાનનો એક છેડો ચીનને પણ સ્પર્શે છે. ચીન અને ભૂટાન વચ્ચે સીમા વિવાદ છે. જેમાં ચીન ભારતની ચિકન નેક નામના સ્ટ્રેટજિકલી મહત્વના ક્ષેત્ર નજીકનો ભૂટાનનો હિસ્સો આપવા માટે દબાણ કરી રહ્યું છે. ત્યારે નરેન્દ્ર મોદીએ ભૂટાન મુલાકાત કરીને તેના પર ચીનના આવા કોઈપણ દબાણ વિરુદ્ધ ડિપ્લોમેટિક મેસેજ આપ્યો છે.

ભારતનું સદીઓથી સાંસ્કૃતિક સાથીદાર નેપાળ વિશિષ્ટ દરજ્જો ધરાવતું પાડોશી રાષ્ટ્ર છે. નેપાળના નાગરિકો ભારતીય સેનામાં સામેલ થઈ શકે છે. ભારતીય સેનામાં ગુરખા રેજિમેન્ટ ગૌરવમય ઈતિહાસ ધરાવે છે. ભારત અને નેપાળના નાગરિકો એકબીજાના દેશમાં રોકટોક વગર જઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે નેપાળના નાગરિકો વોટિંગ સિવાયના મોટાભાગના તમામ અધિકારો ભારતમાં ભોગવી શકે છે. પરંતુ નેપાળમાં રાજાશાહીના અંત અને માઓવાદી પ્રભુત્વમાં ચીનની એક મોટી ભૂમિકા રહી છે.

ચીને અહીં મોટા પ્રોજેક્ટો અને રેલ લિન્ક્સ પર કામ કર્યું છે. વળી ભારત વિરોધી લાગણીઓને હવા આપવાનું કામ પણ ચીનના દોરીસંચારથી થતું રહ્યું છે. ત્યારે 17 વર્ષે ભારતના વડાપ્રધાન તરીકે મોદી નેપાળની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે વિકાસના મામલે નેપાળને સંપૂર્ણ સહકારની ખાતરી આપી અને ત્યાંની સંસદને સંબોધિત કરી હતી. તો સાર્ક દેશનો બેઠકમાં પણ ફરીથી કાઠમંડૂની મુલાકાત લીધી હતી.
તેમણે તાજેતરમાં નેપાળમાં આવેલા ભૂકંપમાં ભારતીય સેના અને સંસાધનોને રાહત અને બચાવ કાર્યમાં મોટા પ્રમાણમાં ઉતારી હતી. તેની પાછળનો સ્પષ્ટ હેતુ નેપાળને ભારતની વધુ નજીક લાવીને ચીનનું વર્ચસ્વ ઘટાડવાનો પણ છે.

બ્રિક્સ શિખર સંમેલનમાં બ્રાઝિલ.. ચીન.. રશિયા.. દક્ષિણ આફ્રિકાના નેતાઓની સાથે મોદીએ મુલાકાત કરી હતી. બ્રિક્સમાં વડાપ્રધાન મોદીએ બ્રિક્સ દેશ માટેની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં મોદીને ચીન પર ડિપ્લોમેટિક સરસાઈની તક મળી હતી. બ્રિક્સ દેશોની બેન્કમાં ચાઈનિઝ ચલણનો ઉપયોગ કરવાની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મનસા બર આવવા દેવાઈ નહીં.

સપ્ટેમ્બર-2014માં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હતા. અહીં મોદીએ સીમા પર શાંતિ અને સ્થિરતાની જાળવણીની વાત સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી હતી. તો ચીન સાથે આર્થિક સંબંધો વધારવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જિનપિંગની ભારત મુલાકાત વખતે ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વિયેતનામના સત્તાવાર પ્રવાસે હતા. દક્ષિણ ચીન સાગરમાં વિયેતનામે ભારતીય કંપનીઓને ઓઈલ બ્લોક્સ ક્ષરણ માટે આપ્યા છે. જો કે ચીન આ ક્ષેત્ર પર પોતાનો દાવો કરીને ભારતને દૂર રહેવા જણાવી રહ્યું છે. દક્ષિણ ચીન સાગરમાં ભારતીય નૌસેનાના જહાજો સાથે પણ ચીન દ્વારા ગેરવર્તુણકના મામલાઓ સામે આવ્યા છે. ત્યારે વિયતનામના પ્રવાસે પ્રણવ મુખર્જીની મુલાકાતના દક્ષિણ ચીન સાગર સંદર્ભે બીજિંગને કેટલાંક ડિપ્લોમેટિક મેસેજ પણ મોકલવામાં સફળતા મળી હતી.

જાન્યુઆરી માસમાં જાપાનના વિદેશ પ્રધાને અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ ભારતીય ઉપખંડ બહાર મોદીએ વડાપ્રધાન તરીકે સૌથી પહેલી મુલાકાત જાપાનની લીધી છે. અહીં તેમણે જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે ખૂબ જ ઉમળકાથી મુલાકાત કરી અને ભારતના વિકાસ માટે સહયોગ માંગ્યો હતો. તો જાપાનમાં ભારતીય સમુદાયની સાથેની વાતચીતમાં તેમણે ચીનનો ઉલ્લેખ કર્યા વગર તેના વિસ્તારવાદી વલણની ટીકા કરી હતી. જાપાન-અમેરિકા અને ભારત વચ્ચે સંયુક્ત નૌસૈન્ય કવાયતો છેલ્લા કેટલાંક સમયથી થઈ રહી છે. એશિયા-પેસિફિકમાં જાપાન સાથે ભારતના વધી રહેલા સહયોગ પાછળ દક્ષિણ ચીન સાગરમાં તેની દાદાગીરી ઘટાડવાની યોજના પણ મુખ્ય પ્રેરકબળમાંથી એક હોવાનું માનવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો