મંગળવાર, 26 મે, 2015

ચીનના પીપલ્સ લિબરેશન આર્મીની ઘૂસણખોરીથી LAC સંભવિત મિલિટ્રી કોન્ફલિક્ટ ઝોન

- આનંદ શુક્લ 
ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદમાં પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા થતી ઘૂસણખોરીથી તણાવ સર્જાય છે. પરંતુ ભારતની સરકારો હંમેશા ચીનની ઘૂસણખોરીને ખૂબ હળવાશથી લેતા હોય છે અથવા તો તેને ડાઉન પ્લે કરવાનો પ્રયત્ન પણ કરતી રહી છે. ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝ.. ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ દીપક કપુરથી માંડીને આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત સુધીના વ્યક્તિઓનું માનવું છે કે ભારત માટે ખરો સામરિક પડકાર ચીન છે.

મીડિયામાં આવેલા અહેવાલો પ્રમાણે.. ચીનના પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ ઉત્તર લડાખના બુરત્સે અને દિપસાંગ ખાતે 20 અને 28 માર્ચ-2015ના રોજ બે વખત ઘૂસણખોરી કરી હતી. ભારતીય સેના દ્વારા ચીનના સૈનિકોને પડકારવામાં આવતા તેઓ એલએસીમાં ચીનના ક્ષેત્રમાં ચાલ્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે 14 મેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ચીન પ્રવાસ પહેલા પીએલએ દ્વારા ઘૂસણખોરી તેમની જિનપિંગની ભારત મુલાકાત વખતે કહેવામાં આવેલી વાત માનવાનો લાલસેનાનો ઈન્કાર જ ગણી શકાય.

ભારત અને ચીનની સરહદે છેલ્લા 25 વર્ષથી એકંદરે ગંભીર લશ્કરી સંઘર્ષની ઘટનાઓ વગર શાંત રહ્યા છે. છેલ્લે 1987માં ભારત અને ચીન વચ્ચે અરુણાચલ પ્રદેશની સુમડોરોંગ ચુ વેલી ખાતે મોટો તણાવ સર્જાયો હતો. તેના પહેલા ચીનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ડેંગ શીઓપિંગે ઓક્ટોબર-1986માં ભારતને બોધપાઠ ભણાવવાનું આક્રમક નિવેદન કર્યું હતું. જો કે 1987થી 2015 સુધી ચીનની સેનાની ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરીની ઘટનાઓ અવારનવાર બનતી રહી છે.

છેલ્લા પાંચ વર્ષમાં થયેલી ચીની સેનાની ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરીની ઘટનાના આંકડાઓ પર નજર કરીએ તો.. 2010માં 228 વખત ઘૂસણખોરીની ઘટના બની હતી. 2011માં 213 વખત.. 2012માં સૌથી વધારે વખત 426 વખત ઘૂસણખોરી કરાઈ હતી. તો 2013માં 411 વાર અને 4 ઓગસ્ટ-2014 સુધીના આંકડા પ્રમાણે 334 વાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરી કરી હતી.

ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ મુદ્દે કેટલીક મોટી ઘટનાઓની જાણકારી તેની દિશા અને બીજિંગના વલણનો ઉઘાડું કરનારી છે.





ભારત અને ચીનના શીર્ષસ્થ નેતાઓ વચ્ચેની મુલાકાત વખતે એલએસી પર પીએલએ દ્વારા ઘૂસણખોરીની ઘટનાઓ વકરતી હોય છે. તેની પાછળ ચીન પોતાનો વિવાદીત ક્ષેત્ર પરનો દાવો મજબૂત હોવાનું દર્શાવવા માગતું હોવાની માન્યતા છે. વળી દ્વિપક્ષીય વાતચીતમાં સામરિકા મામલાઓમાં ભારત સંરક્ષણાત્મક રહે તેવો પણ તેનો હેતુ હોય છે.

ચીનની ઘૂસણખોરી બિનવિવાદીત ક્ષેત્રોમાં પણ થાય છે. જેનાથી તેઓ આવા ક્ષેત્રોને વિવાદીત બનાવીને પોતાનો સરહદી વિસ્તારોમાં દાવામાં સામેલ કરે છે. 2012થી ચીનની ઘૂસણખોરીની 90 ટકા ઘટનાઓ પશ્ચિમી સરહદે થઈ છે. તેનો અર્થ છે કે ચીન માટે પીઓકે અને તેની સાથે સંકળાયેલા વિસ્તારનું પૂર્વી સેક્ટરોથી વધારા મહત્વ છે. આની પાછળ પહેલેથી ચીનના કબજામાં રહેલા અક્સાઈ ચીનને પણ જાળવી રાખવાની એક વ્યૂહરચના છે.

ઉલ્લેખનીય છે કે અક્સાઈ ચીન પર ભારતનો દાવો છે.
દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધી રહેલી દાદાગીરી સામે અમેરિકા ભારત ચીન સામે ઉભું રાખવા માટે સ્ટ્રેટજીક સપોર્ટ આપી રહ્યું છે. જાપાને પણ પ્રથમ વખત અરુણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો ગણાવ્યો છે. ત્યારે ચીન પણ હવે ભારતની મજબૂત થતી ભૂરાજકીય સ્થિતિથી સંપૂર્ણપણે અવગત છે.

ચીન ઈંચ ટુ ઈંચ પોલિસી હેઠળ એલએસી પર ઘણી જગ્યાએ અતિક્રમણ કર્યું હોવાની પણ એક માન્યતા પ્રવર્તી રહી છે. આવા સંજોગોમાં ભારત અને ચીન વચ્ચેનો સરહદી વિવાદ ચીનની સેનાને પ્રાદેશિક યુદ્ધ માટે તૈયાર રહેવાની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની હાકલ અને બદલાતી સામરિક નીતિઓ સાથે જોડીને પણ જોવામાં આવે છે. તેને કારણે જાણકારો આને સંભવિત મિલિટ્રી કોન્ફ્લિક્ટ ઝોન તરીકે જોઈ રહ્યા છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો